Opinion Magazine
Number of visits: 9665796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાઈકુ

વસુધા ઈનામદાર|Poetry|15 March 2024

(૧)

વીંધાવું પડે

રસીલા સૂર ગાવા

પાવાને પૂછ !(વાંસળી)

(૨) 

વનની કોર્ટે,

દોષી છે પાનખર.

મલ્કે વસંત !(મલકે)

(૩) 

આંસુ સારે છે,

ખરેલી કળી જોઈ

મધમાખીઓ !

( ૪) 

જીવન છે તું,

મોતની અમાનત.

પંપાળું તને !

( ૫) 

મર્યાં પૂજાય,

જીવતાં ઠેબે ચઢ્યાં.

મરીને જીવ્યાં !

( ૬) 

સ્મૃતિ મહેંકી,

ખરે, પારિજાતક

કેસર ભીનાં !

(૭) 

શાંત દરિયે

પવનનો માઉસ,

કરે સર્ફીંગ !

સડબરી , બોસ્ટન
૩ -૧૪ -૨૦૨૪
e.mail : mdinamdar@hotmail.com

Loading

ઘરણ ટાણે સાપ…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 March 2024

રવીન્દ્ર પારેખ

11 માર્ચ, 2024ની સાંજથી સી.એ.એ. – સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ – નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે અને એ સંદર્ભે હવે સી.એ.એ. પોર્ટલ પણ સક્રિય છે. આ કાયદો લાગુ કરવાનો હેતુ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળે. 11 ડિસેમ્બર, 2019ને રોજ બંને ગૃહોમાં ખરડો પસાર થયો ને 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિની સહી થતાં તે કાયદો બન્યો. હવેથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત આવેલા લોકો અરજી કરીને ભારતની નાગરિકતા મેળવી શકશે. નાગરિકતા અધિનિયમ 1955, ગેરકાયદેસર રીતે ભારતમાં આવેલ વસાહતીઓને નાગરિકતા આપતો નથી, પણ સી.એ.એ. 31 ડિસેમ્બર, 2014 પહેલાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાંથી 6 લઘુમતી ભારતમાં સ્થળાંતરિત થઈ હોય તો તે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકશે. સી.એ.એ. અગાઉ, સ્થળાંતર કરીને આવનારને નાગરિકતા મેળવવાની અરજી કરવા 11 વર્ષ ભારતમાં હોવું અનિવાર્ય હતું, એ ગાળો પણ હવે ઘટાડીને 5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. સી.એ.એ.થી મળતી નાગરિકતાને કારણે શરણાર્થીઓને સન્માનજનક જીવન મળશે ને આર્થિક તેમ જ ધંધાકીય અધિકારો મળશે. આમાં મહત્ત્વનું એ પણ છે કે સી.એ.એ. નાગરિકતા આપતો કાયદો છે, નહીં કે નાગરિકતા છીનવતો ! એટલે એને વિષે ગેરસમજ પાળવાની જરૂર નથી. બીજી કલમો પણ કાયદામાં છે, પણ મુખ્ય વાત નાગરિકતા આપવાની છે. નાગરિકતા સુધારા કાયદો આમ તો પાંચેક વર્ષથી તૈયાર હતો, પણ તેનો અમલ 6 મહિનામાં ન થતાં 8 વખત એક્સટેન્શન લેવું પડ્યું ને અંતે 11 માર્ચ, 2024થી તે લાગુ કરી દેવાયો છે.

સી.એ.એ. કાયદો થયો ત્યારથી જ તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો હતો. એ વિરોધ કરનારા આસામ સહિતનાં ઉત્તરપૂર્વી રાજ્યો હતાં ને તે સિવાય પણ અન્ય પ્રદેશના લોકો પણ કાયદાના વિરોધમાં સક્રિય હતા. ઉત્તર પૂર્વીય રાજ્યોને આ કાયદાનો ભય એ છે કે સ્થળાંતરિત પ્રજાનું પ્રમાણ વધશે તો તેમનાં ભાષા-સંસ્કૃતિ દૂષિત થશે ને નવી વાતનો ઉમેરો થશે. આસામમાં કાઁગ્રેસની આગેવાની હેઠળના 16 પક્ષોના વિપક્ષી મંચે સી.એ.એ. વિરુદ્ધ આંદોલનનું બીડું ઝડપ્યું છે. આ મંચના સભ્યોએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મળીને એવું નિવેદન આપ્યું છે કે આસામની પ્રજાને સી.એ.એ.થી દૂર રાખવામાં આવે. આસામમાં ગૃહ મંત્રી અને વડા પ્રધાનનાં પૂતળાં સળગાવવામાં આવ્યાં છે, તો અન્ય પ્રદેશોને વાંધો એ છે કે 6 લઘુમતીમાં મુસ્લિમ શરણાર્થીઓનો સમાવેશ નથી જે બંધારણની સમાનતાની કલમ 14નું ઉલ્લંઘન છે. સી.એ.એ.નો વાંધો તો મુખ્ય મંત્રી સ્ટાલિને પણ પાડ્યો છે ને તેમણે જાહેર કર્યું છે કે તામિલનાડુમાં સી.એ.એ. લાગુ નહીં થાય. ઇન્ડિયન મુસ્લિમ લીગે પણ સી.એ.એ. પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. જો કે, સરકાર તો સી,એ,એ, હેઠળ 2022થી જ નાગરિકતા આપવા નવ રાજ્યના 31 જિલ્લા મેજિસ્ટ્રેટોને અને ગૃહ સચિવોને મંજૂરી આપી ચૂકી છે અને એનાં પરિણામ સ્વરૂપ એપ્રિલ-ડિસેમ્બર-2021 દરમિયાન 1414 વિદેશીને ભારતીય નાગરિકતા આપવામાં પણ આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ તો 12 માર્ચે એવી વધામણી પણ ખાધી છે કે વડા પ્રધાને શરણાર્થીઓને નાગરિકતા આપીને તેમનું સન્માન કર્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના રેકોર્ડ પ્રમાણે તો ત્રીસેક હજાર શરણાર્થીઓને સી.એ.એ.નો તાત્કાલિક લાભ મળે એમ છે, જેમાં પચીસ હજારથી વધુ તો હિન્દુઓ જ છે.

એ પણ છે કે અહીં સૂચવ્યા તે દેશો અને તે લઘુમતી સિવાય કોઈ દેશને કે લઘુમતીને આ કાયદો લાગુ પડતો નથી. શરણાર્થીઓ જે ત્રણ દેશમાંથી આવેલ છે તે મુસ્લિમ રાષ્ટ્રો છે ને મુસ્લિમ બહુલતા ધરાવે છે, તો મુસ્લિમો લઘુમતીમાં કેવી રીતે ગણાય એવો તર્ક પણ લડાવાય છે. બીજી ખાસ વાત એ પણ છે કે જે લોકો આ દેશના જન્મથી જ નાગરિક છે, ભલે પછી એ મુસ્લિમ જ કેમ ન હોય, તેને આ કાયદો કોઈ રીતે નડતર ઊભું કરે એમ નથી, એટલે મુસ્લિમોએ કોઈ રીતે ભય કે દબાણમાં રહેવાની જરૂર નથી, એવું ગૃહ મંત્રી ગાઈ બજાવીને કહી રહ્યા છે. એ પણ ધ્યાન રહે કે સી,એ,એ, વિદેશીઓને તગેડી મૂકવા માટે નથી. એવા ગેરકાયદે કોઈ શરણાર્થીઓ હોય તો પણ તેમને માટે પહેલેથી જ ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 અમલમાં છે જ ! સી.એ.એ. એને માટે નથી.

આમ પણ સી.એ.એ.ને કારણે દિલ્હીમાં થયેલાં તોફાનોમાં 50થી વધુ લોકોનાં જીવ ગયા છે. હવે રાજકીય હેતુસર હિંસક કશું ન થાય તેમ ઈચ્છવા જેવું છે, પણ ઇચ્છવાથી કશું થતું નથી. અસદુદ્દીન ઓવૈસીને વાંધો છે તે છે જ ! તેમનું માનવું છે કે 6 લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપીને સેકન્ડ ક્લાસ સિટીઝન્સ તરીકેનો મુસ્લિમોનો દરજ્જો સરકાર ઘટાડવા માંગે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મતુઆ સમાજના પૂર્વ પાકિસ્તાનના શરણાર્થીઓએ, આ કાયદાથી જાણે બીજો સ્વતંત્રતા દિવસ મળ્યાની અનૂભૂતિ કરી. શિવસેના, કાઁગ્રેસના વિરોધ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીનો શરૂઆતનો વિરોધ શરતી રહ્યો. તેમણે કાયદાનો અભ્યાસ કરીને ખોટું કૈં હશે તો વિરોધ કરવાની વાત કરી હતી, પણ, વિરોધ તો તેમણે કરવો જ હતો, એટલે 13મી માર્ચે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. સી.પી.આઇ.(એમ.)એ પણ સી.એ.એ.ના વિરોધમાં રેલી કાઢી હતી.

મંત્રીઓ કે નેતાઓના શાબ્દિક વિરોધ દેખાવ ખાતર ઠીક છે. જો કે, વિરોધનું એક કારણ, સી.એ.એ. પછી એન.આર.સી. – નાગરિકોનાં રાષ્ટ્રીય રજિસ્ટર લાગુ થવાનું પણ છે. એક વાત સ્પષ્ટ છે કે સી.એ.એ.નો કાયદો લાગુ કરી દેવાયો હોય ત્યારે આવા શાબ્દિક વિરોધનું કોઈ મૂલ્ય રહેતું નથી. બંધારણના અનુચ્છેદ 256 અને 257 મુજબ રાજ્યોએ કાયદાનું પાલન કરવાનું રહે જ છે, કારણ કે નાગરિકતા કેન્દ્રનો વિષય છે ને તે અનુસાર ઘડાયેલ કાયદો રાજ્યને અનુસરવા બાધ્ય કરે છે. ધારો કે કોઈ રાજ્ય એમ કરવામાં નિષ્ફળ રહે તો કાયદો અને વ્યવસ્થાનો ભંગ થઈ શકે છે ને એ સ્થિતિમાં અનુચ્છેદ 356 અનુસાર તેનો છેડો રાષ્ટ્રપતિ શાસન તરફ નીકળી શકે છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ ને કેરળ અત્યારે તો સી.એ.એ.ના વિરોધનું હવામાન બનાવી રહ્યાં છે, પણ તેમનો વિરોધ તેમને રાષ્ટ્રપતિશાસન તરફ દોરી ન જાય તે જોવાનું રહે. સરકારે સી.એ.એ. ચૂંટણી ટાણે જ અમલમાં લાવીને ભલે 2019માં આપેલું વચન પાળ્યું હોય ને એ દ્વારા રાજકીય લાભ ખાટવાનું પણ મનમાં હોય, પણ સી.એ.એ.નો વિરોધ કરીને વિપક્ષો પણ રાજકીય લાભ ન જ ખાટે એમ માનવાને કોઈ કારણ નથી, કારણ પાંચેક વર્ષ પર કાયદો બની ચૂક્યો હોય ત્યારે તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી, એવું બીજા કદાચ ન જાણે, પણ વિપક્ષો પણ ન જાણે એટલા ભોળા તો એ નથી જ ! એની સમાંતરે શાસકોએ પણ તેનાં પરિણામો વેઠવાની તૈયારી રાખવાની રહે જ છે. સાચું તો એ છે કે કાયદો લાગુ કરવામાં અને તેનો વિરોધ કરવામાં ચૂંટણીલક્ષી ગણતરીઓ જ છે એવું તો નાનકડું છોકરું ય હવે જાણે છે.

સવાલ તો એ પણ છે કે વર્લ્ડ ક્લાસ ઇકોનોમીની વાત કરતી સરકાર, 90 કરોડથી વધુ લોકોને વર્ષોથી મફત અનાજ પૂરું પાડતી હોય તો નવી નાગરિક્તા પામનારને તે પાલવી શકશે કે કેમ એ પ્રશ્ન જ છે. વળી એનો બોજો તો દેખીતું છે કે અહીંના નાગરિકોને માથે જ પડશે ને તે પણ તેમના કોઈ વાંકગુના વગર, તો એ અંગે સરકારે શું વિચાર્યું છે તેનો ખુલાસો થવો જોઈએ. આટલી મોંઘવારી, આટલી બેકારી, આટલી ભક્તિથી પ્રજા રઘવાઈ થઈ હોય, એ સ્થિતિમાં નવી નાગરિકતા મળવાને કારણે આંકડાઓ વધશે ને એ જે ભવિષ્ય સર્જશે તેમાં કોઈ વેઠ ઉતારે ને કોઈ વેઠે એમ બનવાનું. જો એમાં પ્રજાની જ ચામડી તડતડવાની હોય તો એ જ વાત યાદ આવ્યા કરશે કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 માર્ચ 2024

Loading

રૂઢિવાદિતા અને લૈંગિક અસમાનતામાંથી મુક્તિની દિશામાં ..

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 March 2024

ચંદુ મહેરિયા

આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટસને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબુક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબુક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દૃઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર  પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબુક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતાં. હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દૃષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજીસ અને એડવોકેટ્સ તેનાથી મુક્ત હોતા નથી. એટલે ઊલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે  છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો  જણાવ્યા છે.

કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે  આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્ત્વાકાંક્ષી સ્ત્રી હતી.તે એક ગરીબ અને અસહાય મહિલા નહોતી ! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન-સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામૂહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી, કથિત નિમ્ન જ્ઞાતિનાં છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.

સ્ટીરિયોટાઈપ્સ અર્થાત્‌ ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી, રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે. ૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી. ૨. મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે. ૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે. ૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે. જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે.

મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઇન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદ ને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી., હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જ ને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત, ઈવ ટીજિંગ કે છેડછાડ ને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ –  શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.

આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિદ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ  અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે..

જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે. કાયદા કે ન્યાયાલયની બહાર, ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમ જ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને મળી શકે.

સમાજ અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઢિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો  આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પદ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઊઠે તથા આગળ ધપી શકે. લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખરી ઉજવણી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...763764765766...770780790...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved