Opinion Magazine
Number of visits: 9561564
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

12મું પાસ 7મું પાસ પણ હોય છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 February 2024

રવીન્દ્ર પારેખ

વિચિત્ર લાગે છેને ! 12મું પાસ 7મું પાસ કદાચ ન પણ હોય, એવી શંકાથી સુરત મહાનગરપાલિકાના પાંચ સફાઇ કામદાર કે બેલદાર પર પોલીસ તપાસ શરૂ થઈ છે. તપાસ એટલે થઈ રહી છે, કારણ, સુરત મહાનગરપાલિકાના પર્સોનેલ ઓફિસરે, પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે પાંચ વ્યક્તિઓએ પાલિકા સાથે છેતરપિંડી કરી છે. પોલીસ તપાસ અલબત્ત ! એવી સમજથી થઈ રહી છે કે એક મહિલા સહિત પાંચ જણાંએ 12મું પાસ હોવાની વાત છુપાવીને, 7મું જ પાસ છે એમ બતાવી સફાઇ કામદારની કે બેલદારની નોકરી મેળવી હતી. સાધારણ રીતે ઓછું ભણેલા હોય ને વધુ ભણતર બતાવીને નોકરી કે છોકરી મેળવવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ અહીં વધુ ભણતર હોવા છતાં, સાધારણ નોકરી મેળવવા, ઓછું ભણતર બતાવીને સરકારી નોકરી મેળવાઈ છે. વધારાનું ભણતર સંતાડવું પડે એટલી કિંમત હવે શિક્ષણની બચી છે. સાધારણ રીતે નોકરી મેળવવા, વધારે ભણેલો ઉમેદવાર, ઓછું ભણતર બતાવી લાયકાત ઘટાડતો હોય છે, તે એટલા માટે કે સાધારણ નોકરી પણ હાથથી ન જાય. શિક્ષણની પાત્રતા એવી થઈ ગઈ છે કે યોગ્ય નોકરી મળતી નથી ને મળે છે તે નોકરીને એટલી પાત્રતાની જરૂર હોતી નથી. સફાઈ કામદાર માટેની લઘુત્તમ લાયકાત બી.કોમ.ની તો ન જ હોય, પણ બી.કોમ. થયેલાને શિક્ષકની નોકરી પ્રયત્ન છતાં ન મળે, તો લાયકાત છુપાવીને સફાઇ કામદારની કે બેલદારની નોકરી લઈ લેવી પડે એ લાચારી છે. સફાઈકર્મીઓએ લાયકાત છુપાવી એ ખરું, પણ ઓછી હોવા છતાં, વધુ લાયકાત બતાવીને ઊંચી નોકરી મેળવી હોય એવી છેતરપિંડી આ નથી. આ તો વધુ પાત્રતા છુપાવીને સાધારણ કામ જ આ વ્યક્તિઓએ મેળવ્યું છે. જો કે, સચ્ચાઈ છુપાવવાનો ગુનો તો થયો જ છે ને એ મામલે કાયદો, કાયદાનું કામ કરે એ સામે કૈં કહેવાનું હોય નહીં. ગુનો એ ગુનો છે ને તેનો બચાવ ન હોય.

સુરત મહાનગરપાલિકા દ્વારા 8 મે, 2012 અને 20 જૂન, 2017ને રોજ સફાઇ કામદાર ડ્રેનેજ અને બેલદારની જગ્યા માટે જાહેરાત આપવામાં આવી, જેની લાયકાત ધોરણ ચારથી નવ પાસ નક્કી કરવામાં આવી. આ લાયકાત જાહેર થઈ છતાં, કેટલાક નોકરી ઇચ્છુકોએ વધુ શૈક્ષણિક લાયકાત છુપાવીને, ધોરણ સાતનું પ્રમાણપત્ર જોડીને, નોકરી મેળવી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું. આરોપી મહિલાએ તો નર્સિંગનો કોર્સ કર્યો છે ને તે ખાનગી હોસ્પિટલમાં નોકરી પણ કરી ચૂકી છે. બીજો એક આરોપી તો કોલેજ પૂરી કરી ચૂક્યો છે. આ વાત ધ્યાને આવતાં વાત પોલીસ સુધી પહોંચી ને પોલીસે બે જણાંની ધરપકડ તો કરી પણ લીધી છે. પોલીસ ઘટતી કાર્યવાહી કરશે, પણ આરોપીઓને આવું કરવાની જરૂર કેમ પડી તે કેફિયત જોઈએ તો એકનું કહેવું છે કે પિતાનો પગાર પૂરો પડતો ન હતો, બહેનનાં લગ્ન બાકી હતાં ને પોતે ટી.વાય.બી.કોમ સુધી પહોંચ્યો હતો, છતાં નોકરી મળતી ન હતી એટલે 7 પાસનું સર્ટિફિકેટ બતાવીને કોર્પોરેશનની સફાઇ કામદારની નોકરી મેળવી લીધી. બીજા એક આરોપીના પિતા કેન્સરગ્રસ્ત છે ને એમની સારવારમાં લાખોનું દેવું થઈ ગયું હતું. પોતે બાર પાસ હતો, પણ નોકરી મળતી ન હતી, પિતા અને બનેવીનું મૃત્યુ થતાં ચારેક વ્યક્તિની જવાબદારી આરોપી પર આવી પડી. એ સ્થિતિમાં મળી તે નોકરી લેવી પડી, તો એક આરોપીના પિતાથી નોકરી થાય એમ નથી. માતા ગૃહિણી છે. ઘરની જવાબદારી એ બાર પાસ આરોપી પર જ હતી, નોકરી મળતી ન હતી, એટલે કોર્પોરેશનની નોકરી મેળવવા ધોરણ સાતનું સર્ટિફિકેટ બતાવી આઠ વર્ષ સફાઇ કામદારની નોકરી કરી.

નોકરી મેળવવાનું એક કારણ, તેનો 19,000થી 35,000 સુધીનો પગાર પણ ખરો. બીજું, નોકરી સરકારી એટલે ખાનગીમાં કુટાવા કરતાં, સફાઇકર્મીની હોય તો પણ, નોકરી કરવા સ્વાભાવિક જ મન લલચાય. આટલો પગાર તો કદાચ પ્રવાસી શિક્ષક કે જ્ઞાન સહાયકને પણ મળતો નથી. તેને વધુમાં વધુ 26,000 મળે, તેની સામે સફાઇ કામદારને 35,000 મળે તો માસ્તર થવા કરતાં સફાઇ કામદાર થવાનું કોઈ પણ પસંદ કરે. આપણાં તંત્રોની એ બલિહારી છે કે માસ્તર કરતાં મજૂર વધારે કમાય એ રીતે વિકાસને કોઠે પડવા દીધો છે. એ જ કારણે યોગ્ય વ્યક્તિ અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ છે.

એ ખરું કે ઓછી લાયકાતવાળી જગ્યાઓ પર વધુ લાયકાતવાળા ગોઠવાઈ જાય તો નક્કી કરેલી લઘુત્તમ લાયકાતવાળાને નોકરી ન મળે ને એને કુટુંબ વળગેલું હોય તો તે જવાબદારીઓ ન નિભાવી શકે. એટલે પીએચ.ડી. ડિગ્રીધારીએ પટાવાળાની જગ્યાએ અરજી ન જ કરવી જોઈએ, પણ પીએચ.ડી. થયેલાને યોગ્ય નોકરી મળતી હોય તો તે સ્વેચ્છાએ પટાવાળો થવા માંગે છે એવું ક્યાં છે? સૌથી મોટી તકલીફ જ એ છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત લાયક ઉમેદવારને યોગ્ય નોકરીઓ મળતી નથી. એવું નથી કે જગ્યાઓ નથી. જગ્યાઓ છે, પણ સરકાર ભરતી કરવા ઇચ્છતી નથી. શિક્ષકની નોકરીની જ વાત કરીએ તો ગુજરાતમાં 32,000થી વધુ જગ્યાઓ કાયમી શિક્ષકોની, 2017થી ભરાતી જ નથી. કેમ ભરાતી નથી, તેનો જવાબ એ કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવા માંગે છે. એમાં સુરત મોખરે છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની 988 શાળાઓમાંથી 731 ખાનગી છે. અમદાવાદમાં 1,305માંથી 648 ખાનગી છે. મતલબ કે સુરતમાં 74 ટકા ખાનગી સ્કૂલો છે, જ્યારે અમદાવાદમાં ખાનગીની ટકાવારી 47ની છે. ખાનગીકરણ થાય તો સરકારને માથેથી શિક્ષણની જવાબદારી જાય ને શિક્ષણ કર ઉઘરાવીને નફો રળવાનું સહેલું પડે. છેલ્લાં ત્રણ વર્ષમાં 537 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 526 શાળાઓ એટલે કે 98 ટકા શાળાઓ ખાનગી છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોની લઘત્તમ લાયકાત પણ ન હોય એવા તાલીમ વગરના શિક્ષકોથી કામ લેવાય છે, તે એટલે કે તેમને પૂરો પગાર ચૂકવવો ન પડે. એ કેવું વિચિત્ર છે કે શિક્ષણમાં લાયકાત વગરના ભણાવે છે ને કોર્પોરેશનમાં વધુ લાયકાતવાળા સફાઈ કામદાર થવા લાચાર છે. ગુજરાતમાં 1,657 શાળાઓ એવી છે જે એક જ શિક્ષકને ભરોસે ચાલે છે. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના રિપોર્ટમાં કેટલીક ખામીઓ બતાવવામાં આવી છે, તેમાંની એક છે, શિક્ષકો નથી, ત્યાં પૂર્ણ સમયના શિક્ષકોની ભરતી કરો. પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી દેવાઈ ને અંદાજ સમિતિ કહે છે કે પ્રવાસી શિક્ષકોની ચોક્કસ નીતિ ઘડો. બીજાની વાતો ભલે સરકાર કાને ન ધરે, પણ વિધાનસભાની અંદાજ સમિતિની વાત તો સાંભળેને ! પણ, 2017થી સરકારને એ સંભળાતું નથી. શિક્ષકોની ઘટને કારણે જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિરના ધોરણ 11-12ના વર્ગો બંધ કરવાનો વારો આવ્યો છે. એ વર્ગો બંધ થવાને કારણે ગરીબ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે એમ બને. આ બધું શિક્ષકોના અભાવમાં થાય છે. સરકાર બધી જ કરકસર શિક્ષકો રાખવામાં જ કેમ કરે છે તે નથી સમજાતું.

તાજો જ ફતવો એવો આવ્યો છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષકોને એક પખવાડિયાની તાલીમ આવી છે, જેમાં 50 ટકા શિક્ષકોએ હાજર રહેવાનું ફરજિયાત છે. વારુ, જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલ ચાલતી હોય ત્યાં અડધા શિક્ષકે તાલીમમાં ને અડધાએ સ્કૂલમાં રહેવાનું થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે 1,100 શિક્ષકોની ઘટ ઓલરેડી હોય જ, તેમાં 50 ટકાએ જો તાલીમમાં જવાનું હોય, તો બેત્રણ શિક્ષકો ત્રણ ચાર વર્ગો એક સાથે લે તો ય ઠેકાણું ન પડે. પરીક્ષાઓ મોં ફાડીને સામે ઊભી હોય ત્યારે જ તાલીમનું ભૂત ધૂણાવવાની જરૂર ખરી? અક્કલ જોડે સમિતિને આટલી શત્રુતા કેમ છે તે કળાતું નથી.

આ બધું પૂરતા શિક્ષકો હોય તો લેખેય લાગે, પણ પૂરતા શિક્ષકો હોવા છતાં તેમને નોકરી નથી જ અપાતી ને એ લોકો વગર નોકરીએ ફાજલ પડે છે, એટલે જે નોકરી આવી મળે તે કરી લેવા લાચાર બને છે. પીએચ.ડી.ની ડિગ્રી હોય ને અધ્યાપનનું કાર્ય મળતું ન હોય, તો પેટ પાળવા પટાવાળાની નોકરીમાં  ગોઠવાઈ જવું પડે એ પણ વિધિની વક્રતા છે. ડિગ્રી એમ.બી.બી.એસની હોય ને દાક્તરી થાય એમ ન હોય ને કમ્પાઉન્ડરી કરવી પડે એના જેવું છે આ –

– અને વધુ લાયકાતવાળા જ સફાઇ કામદાર થાય છે એવું ક્યાં છે? કેટલા ય પ્રાથમિક શિક્ષકો એમ.એ., બી.એડ્. હોવા છતાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે જ છે, ત્યાં કોઈ સવાલ ઉઠાવતું નથી કે પ્રાથમિક શિક્ષક કરતાં વધુ લાયકાત ધરાવે છે તે માધ્યમિક કે કોલેજમાં કેમ નથી જતાં? તો, 12મું પાસ સાતમાં સુધી નીચે ઊતરી આવીને સફાઈ કામદારની નોકરી મેળવે તેના પર આટલી તવાઈ કેમ? એ ખરું કે એ નોકરિયાતોએ 12માંની લાયકાત છુપાવી. એટલો ગુનો તો ખરો જ, પણ જરા એમને પસંદ કરનાર અધિકારીને પૂછીએ કે નોકરી મેળવતી વખતે 12માંની લાયકાત જાહેર કરી હોત તો નોકરી મળી હોત ખરી? એમ.એ., બી.એડ્. પ્રાઈમરીમાં ચાલે, પણ બારમું પાસ સફાઇ કામદારમાં ન ચાલે ને તેની સામે પોલીસ ફરિયાદ થાય એ યોગ્ય છે? છેલ્લે, એમ કહેવાનું મન થાય છે કે વધુ લાયકાત છુપાવનારને નોકરીએ ન રાખાય તો ભલે, પણ કાનૂની કાર્યવાહી કરીને કોર્પોરેશન, તેમને એવી સ્થિતિમાં ન મૂકે કે બીજે એમની લાયકાત મુજબની નોકરી પણ ન મળે. સંતાડવું ગુનો હોઈ શકે, પણ વધુ શિક્ષણ તો અપરાધ ન હોયને ! ન જ હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ફેબ્રુઆરી 2024

Loading

મોઢું ફેરવી લેવાથી સત્યનો લોપ નથી થતો

રમેશ ઓઝા|Opinion - Opinion|11 February 2024

રમેશ ઓઝા

આપણને (હિંદુઓને) એ વાતની જાણ છે કે આપણે વિશ્વગુરુ છીએ, જ્ઞાનની ગંગોત્રી ભારત છે, પ્રાચીન યુગમાં ભારતમાં વિમાનો (પુષ્પક) ઊડતાં હતાં, ભારતમાં પ્લાસ્ટિક સર્જરી (ગણપતિ) થતી હતી, વગેરે વગેરે. વિશ્વ ભારતનું ઋણી છે. વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે એ કાં તો ભારતે વિશ્વને આપ્યું છે અથવા ભારત પાસેથી ચોરેલું છે. હિંદુ, હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિ વિના વિશ્વ અધૂરું છે. હિંદુ રાજાઓ વિષે બારોટોએ લખેલાં શૌર્યગીતોથી ભારતનું મધ્યકાલીન સાહિત્ય ઉભરાય છે. હિંદુઓની શૌર્યગાથા જગતભરમાં ગવાતી હતી એમ આપણે કહીએ છીએ. જો વિશ્વમાં કોઈ શૂરવીર પ્રજા હોય તો એ હિંદુ છે, હિંદુ છે અને હિંદુ છે.

આપણને (હિંદુઓને) એ વાતની પણ જાણ છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં મુસલમાનોએ હિંદુઓને બહુ સતાવ્યા હતા. મુસ્લિમ શાસકોએ હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે ભેદભાવ કર્યા હતા, જીજિયા વેરો વસૂલ કરવામાં આવતો હતો, તેમણે હિંદુઓનાં મંદિરો તોડ્યાં હતાં, હિંદુઓની બહેન દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો અને અનેક હિંદુઓનું તલવારના જોરે બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું, વગેરે વગેરે. જેમ હિંદુઓ વિશેનાં શૌર્યગીતો ઉપલબ્ધ છે એમ મુસ્લિમોએ કરેલા અત્યાચારો અંગેનું હિંદુઓને ચોધાર આંસુએ રડાવતું માતમ સાહિત્ય પણ ઉપલબ્ધ છે.

પણ આપણને એ વાતની જાણ નથી કે ઈ.સ. ૭૧૨(પ્લીઝ નોટ ઈ. સ. ૭૧૨)માં મહમ્મદ બિન કાસીમે સિંધ પર હુમલો કર્યો અને હિંદુ રાજા પાસેથી સિંધ જીતી લીધું ત્યારથી લઈને ૧૯૪૭માં ભારતે લડીને (પ્લીઝ નોટ લડીને) અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી ત્યાં સુધી એટલે કે લગભગ ૧,૨૦૦ વરસમાં હિંદુ રાજાએ એક પણ વખત વિજય મેળવ્યો નથી. જો પહેલા યુદ્ધમાં વિજય મેળવ્યો છે તો બીજા યુદ્ધમાં પરાજય થયો છે. આપણને એ વાતની પણ જાણ નથી કે પરાજીત થયેલો મુસ્લિમ આક્રમક કે અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં સુધી ભારતીય હિંદુ કે મુસ્લિમ શાસકને પરાજીત ન કરે ત્યાં સુધી સગડ મૂકતા નહોતા. દાખલા તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ સામે ત્રણ વખત લડાઈ લડી હતી અને છેલ્લી લડાઈમાં વિજય મેળવ્યો હતો. આવી જ રીતે કંપનીએ હૈદર અને ટીપુ સામે પણ વારંવાર ચડાઈ કરી હતી અને અંતે વિજય મેળવ્યો હતો. આપણને એ વાતની પણ જાણ નથી કે મરાઠાઓએ અડધું હિન્દુસ્તાન જીત્યું હતું, પણ તેનાં પરનો કબજો જાળવી નહોતા શક્યા. આવી તો બીજી અઢળક વાતો છે જે આપણે જાણતા નથી.

હવે સવાલ એ છે કે પહેલી વાતની જાણ છે તો એ કોના થકી છે, બીજી વાતની જાણ છે તો એ કોના થકી છે અને ત્રીજી વાતની જાણ કેમ ખાસ નથી? કોણ ઘાટા પાડીને કે પછી કાનમાં ચોક્કસ વાત કહે છે અને કોણ ચોક્કસ વાત કહેવાનું (અને સાંભળવાનું પણ) ટાળે છે? ક્યારે ય વિચાર કર્યો છે?

પહેલી વાત હિંદુ રાષ્ટ્રવાદીઓ કહે છે અને એ પણ કોઈ પણ પ્રકારનાં પ્રમાણ આપ્યાં વિના અને જો પ્રમાણ હોય તો એમાં બાદરાયણ સબંધ જોવા મળશે. અને વળી પોરસાવું કોને ન ગમે! કહેનારાઓને ખબર છે કે પ્રજામાં એવો એક ભાગેડુ વર્ગ હોય છે જે પોતાની મહાનતા સાંભળવા માગે છે અને કાયરતા છૂપાવવા માગે છે.

બીજી વાત અંગ્રેજો કહી ગયા છે અને એ પણ ઇતિહાસ લખીને અને શાળા કોલેજોમાં ઇતિહાસ ભણાવીને. જેમ વિશ્વમાં આપણે શ્રેષ્ઠ અને મહાન હોવાની મુગ્ધતા માનવીને ગમે છે એમ બીજાએ આપેલા દુઃખના શિકાર (વિકટીમ) હોવાની પીડા પણ માનવીને ગમે છે. નજર કરો, લોકો પીડાને પણ મમળાવતા હોય છે અને એમાં તેને એક પ્રકારનાં આનંદનો અનુભવ થાય છે. અને આ એવા લોકોને વધારે ગમે જે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેનારા ભાગેડુ હોય. અંગ્રેજો આ જાણતા હતા, એટલે તેમણે એવી રીતે ઇતિહાસ લખ્યો કે હિંદુ અને મુસલમાન બન્નેને પીડાનો અનુભવ થાય અને એકબીજાને પીડા આપનાર અત્યાચારી સમજે. એટલે તો હિંદુ અને મુસલમાન બન્ને ગાંધીજીના આગમન પહેલાં એક અવાજે એકબીજાના અત્યાચારોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો પાડ માનતા હતા. (જોઈ જાવ સર સૈયદ મહમ્મદ ખાન અને બંકિમચંદ્ર ચેટરજી.)

પણ ત્રીજી વાત કોઈએ કહી નથી એવું તો નથી, પણ આપણને એ સાંભળવી ગમતી નથી એટલે આપણા ચિત્તમાં એ કડવું પણ ટકોરાબંધ સત્ય જગ્યા પામતું નથી. આપણે તેને જગ્યા આપતા નથી. જે લોકો આવું કડવું સત્ય કહે છે તેને દેશદ્રોહી, હિંદુવિરોધી, સેક્યુલરિસ્ટ, સામ્યવાદી, ડાબેરી (આજકાલ અર્બન નક્સલ), પાશ્ચાત્યવાદી વગેરે વગેરે તરીકે ઓળખાવીને મોઢું ફેરવી લે છે. જેમ અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોને એકબીજાના અત્યાચારી તરીકે સિફતપૂર્વક ઓળખાવ્યા હતા તેમ હિન્દુત્વવાદીઓ કે હિંદુ રાષ્ટ્રવાદીઓ સત્યથી મોઢું ફેરવીને પોઢી જવા માગતી પ્રજાના આંખમાં તેલ આંજનારા સત્યના પ્રહરીઓને ઉપર કહ્યું એ રીતે ઓળખાવે છે. એક વાર કડવું પણ નકરું સત્ય બોલનારાઓને દેશના કે હિંદુઓના દુશ્મન તરીકે સ્થાપો એ પછી લોકો તેમની વાત સાંભળશે નહીં.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે મોઢું ફેરવી લેવાથી સત્ય બદલાઈ જવાનું છે? સત્યનો લોપ થવાનો છે? શા માટે બારસો વરસમાં એક પણ યુદ્ધ હિંદુ રાજવીઓ જીતી શક્યા નહીં? શા માટે એક પણ યુદ્ધ મુસ્લિમ શાસકો અંગ્રેજો સામે જીતી શક્યા નહીં? શા માટે આક્રમણકર્તાની શસ્ત્રસામગ્રી જોઇને એક પણ હિંદુ રાજવીને પ્રશ્ન ન થયો કે આ શસ્ત્રો ક્યાં બને છે, કેવી રીતે બને છે અને આપણે પણ તે વસાવવાં જોઈએ? શા માટે વારંવારના પરાજયો પછી એક પણ રાજવીને એ વાત ન સૂઝી કે આપણે આપણા લશ્કરમાં દલિતો અને બીજી છેવાડાની પ્રજાને ઉમેરીને લશ્કર વિશાળ બનાવવું જોઈએ? શા માટે મરાઠાઓને અને પેશ્વાઓને રાજ કરતા આવડ્યું નહીં અને જીતેલું ભારત ગુમાવી દીધું? કેવી રીતે મુઠ્ઠીભર અંગ્રેજો આટલે દૂર બેસીને ભારત પર રાજ કરે છે? કઈ આવડત છે તેમનામાં અને આપણે એ કઈ રીતે મેળવવી જોઈએ? શું અંગ્રેજોએ લખેલો ભારતનો ઇતિહાસ સાચો છે કે પછી તેમને માફક આવે એવો છે? શૌર્ય ગાયો છોડાવવામાં છે કે આપણી ભૂમિ છોડાવવામાં? શું કહે છે હિંદુ રાજવીઓનાં પ્રશસ્તિગાનો? ગાંધીજીએ ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાને લડવા માટે રસ્તા પર ઊતારી તો એ કઈ રીતે ઊતારી અને એ પછી પણ તેમને સમગ્ર પ્રજાનો ટેકો કેમ સાંપડ્યો નહીં? શા માટે બહુમતી હિંદુઓએ હિંદુરાષ્ટ્રનો માર્ગ નહીં અપનાવ્યો અને સેક્યુલર ભારતની સ્થાપના કરી?

બહુ અકળાવનારા સવાલો છે, નહીં? પણ આ લખનાર જેવાઓ તમને મનભાવન કલ્પનાના કૂબામાં પોઢી જવા નહીં દે. હકીકતોથી મોઢું ફેરવી લેનારી અને પલાયનવૃત્તિ ધરાવનારી પ્રજા ક્યારે ય જગતમાં પોતાનું સ્થાન બનાવી ન શકે. ડરનારી, રડનારી અને કલ્પનાના વિશ્વમાં રાચીને પોરસાનારી પ્રજા ક્યારે ય બેપાંદડે ન થઈ શકે.

જરા વિચારો કે તમે શું કરી રહ્યા છો?

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

જે ભણાવે છે તે વધુ સારી રીતે ભણે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 February 2024

રાજ ગોસ્વામી

2017માં, ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, (હવે નેટફ્લીક્સ પર પણ ઉપલબ્ધ છે) “ઢ.” તેમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્રણ લંગોટિયા દોસ્તારો ગુનગુન, બજરંગ અને વકીલ ભણવામાં ઠોઠ છે. ઠોઠ છે એટલું જ નહીં, રમતિયાળ પણ છે. તેમને એ ખબર જ નથી કે તેમના અબુધ મગજ પાસેથી વયસ્ક લોકોની નિર્મમ દુનિયા કેટલી મોટી અપેક્ષાઓ રાખે છે.

તેમને શાળામાંથી અને ઘરમાંથી નિયમિત ઠપકો મળતો રહે છે. તેઓ અર્ધ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. તેમને એવું ઠસી જાય છે કે તેઓ નકામા છે અને બીજા હોંશિયાર વિધાર્થીઓ સામે તેમની કોઈ હેસિયત નથી. તેમનો વર્ગ શિક્ષક પણ તેમના ભણવા પર આશા મૂકી દે છે અને હતાશ થઇને કહે છે કે “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.”

તેમની રમતિયાળ રખડપટ્ટી દરમિયાન અચાનક તેમને જાણ થાય છે કે નજીકના શહેરમાં તેમનો પ્રિય જાદુગર સૂર્ય સમ્રાટ જાદુના ખેલ કરવા આવ્યો છે. ત્રણે જણા ઘરે કે શાળામાં કહ્યા વગર શહેરમાં ઉપડી જાય છે. ત્યાં જાદુના અવનવા ખેલ જોઈને તેઓ દંગ રહી જાય છે.

તેઓ પાછા આવે છે એટલે શાળાને બંક કરવા માટે તેમને સજા થાય છે અને ઘરે પણ ફરિયાદ કરવામાં આવે છે. ઘરવાળા ત્રણેના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકે છે અને કડી મહેનત કરીને ભણવાની ફરજ પાડે છે. મુશ્કેલી એ છે કે તેમના ભેજામાં કશું ઉતરતું નથી.

એક દિવસ, પિતાઓએ નક્કી કરેલા ફ્રી ટાઈમમાં ત્રણે ભેગા થાય છે અને કેવી રીતે ભણવું અને કેવી રીતે પાસ થવું તેના પર તુક્કા લડાવે છે. એમાંથી એક દોસ્તને શિક્ષકે મારેલો ટોણો યાદ આવે છે કે, “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.” 

એ આ વાતને સાચી માની બેઠો હોય છે. તે પોતાના દોસ્તારોને આઈડિયા આપે છે કે, સાહેબે જ આપણને કહ્યું હતું કે જાદુથી પાસ થઇ જવાશે, તો આપણે જાદુગર સૂર્ય સમ્રાટને જ આપણી મુશ્કેલી કહીએ. ત્રણે જણા ખુશ થઈને જાદુગરને પત્ર લખીને તેમની પરિસ્થિતિ સમજાવે છે અને વિનંતી કરે છે કે તેમને એક એવો જાદુ શીખવાડે જેથી તેઓ પરીક્ષામાં પાસ થઇ જાય.

તેમના આશ્ચર્ય વચ્ચે, તેમને જવાબમાં એક ભેટ મળે છે. એ ભેટ જાદુગર તરફથી આવી હોય છે. ભેટમાં બિરબલ નામનું એક માથું હલાવતું રમકડું હોય છે. જાદુગર જવાબી પત્રમાં લખે છે કે આ જાદુ એવો છે કે તમારે જે ભણવાનું હોય, તે બધું આ બિરબલને સામે બેસાડીને તેને ભણાવી દેવાનું. એમાં જાદુ થશે અને તમે પરીક્ષામાં પાસ થઇ જશો.

ત્રણે દોસ્તારો ખુશ થઈને બિરબલ કોની પાસે કેટલો સમય રહેશે તેનું ટાઇમ ટેબલ બનાવે છે અને ટેબલ પર તેને સામે રાખીને પાઠ્યપુસ્તકોમાંથી મોટા અવાજે તેમને પાઠ ભણાવે છે. બિરબલનું ડોકું સતત હાલતું હોય છે એટલે તેઓ એવું માની લે છે કે તેઓ જે પણ લેશન કરાવી રહ્યા છે તે બરાબર રીતે બિરબલના ભેજામાં ઉતરી રહ્યું છે.

વાસ્તવમાં, એ લેશન તેમના ખુદના દિમાગમાં ઉતરી રહ્યું હોય છે અને તેઓ એ બધું જ યાદ રાખતા થઇ જાય છે જેના પર પરીક્ષા થવાની હોય છે. અંતે, ત્રણે જણા, શાળાના શિક્ષકો અને ઘરવાળાઓના આશ્ચર્ય વચ્ચે અવ્વલ નંબરે પાસ થાય છે. 

આ ફિલ્મમાં આમ તો બાળપણની નિર્દોષતા અને વયસ્કોની દુનિયાની અપેક્ષા વચ્ચેની કશ્મકશનો ચિતાર કરતી વાર્તા છે, પરંતુ એમાં એક ગહેરો મનોવૈજ્ઞાનિક બોધપાઠ છે, અને તે છે – શીખવાડવાથી શીખવા મળે. ત્રણે દોસ્તારો જ્યારે બિરબલ નામના રમકડાને પાઠ ભણાવે છે ત્યારે તેઓ વાસ્તવમાં ખુદને ભણાવે છે. 

હજારો વર્ષોથી, માણસો માનતા આવ્યા છે કે કોઈ બાબતની સમજવાનો શ્રેષ્ઠ રસ્તો એ બાબત કોઈને સમજાવાનો છે. આપણે કોઈકને કશુંક સમજાવીએ ત્યારે તે આપણા માટે પણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય. કશુંક ભણવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈને ભણાવાનો છે. રોમન ફિલોસોફર સેનેકાએ સદીઓ પહેલાં કહ્યું હતું કે, “આપણે જયારે ભણાવીએ છીએ, ત્યારે આપણે શીખીએ છે.”

હવે તો વિજ્ઞાનીઓએ પણ આ વાતને સાબિત કરી છે. 2007માં, સાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસોમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પહેલું બાળક તેમના પછી જન્મેલાં ભાઈ-બહેનો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. કેમ? કારણ કે મોટા હોવાના કારણે તેના પર નાનાં ભાઈ-બહેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી આવી પડે છે, પરિણામે તેમનો આઈક્યુ વધે છે.

સ્ટેનફોર્ડ અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીઓના ઇજનેરો અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ, ‘ઢ’ ફિલ્મના બિરબલ જેવી જ, બેટીઝ બ્રેઇન નામનું એક એનિમેટેડ પાત્ર બનાવ્યું હતું, જેને માધ્યમિક શાળાના સેંકડો વિધાર્થીઓ પર્યાવરણીય વિજ્ઞાન શીખવાડતા હતા. આમ તો તે વર્ચુઅલ શિક્ષણ હતું, પરંતુ તે પ્રક્રિયામાં વિધાર્થીઓની સમજણ અને યાદશક્તિમાં ખૂબ સુધારો થયો હતો. બેટીઝ બ્રેઇન પર 2009માં જર્નલ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બેટીઝને સૂચનાઓ આપવામાં રોકાયેલા વિદ્યાર્થીઓનું ખુદનું શિક્ષણ સુધર્યું હતું.

તેને પ્રોતેજ ઈફેક્ટ કહે છે – પ્રોતેજ એટલે વડીલ અથવા રક્ષક હોવાની અસર. તમને જ્યારે ખબર પડે કે તમારે કોઈક વિષય કોઈકને ભણવાનો છે ત્યારે, તમે જાત માટે ભણતાં હો તેની સરખામણીમાં, બીજાને ભણાવવા માટે એ વિષયમાં વધુ મહેનત કરો છો. એ પ્રક્રિયામાં તેમનું જ્ઞાન વધુ મજબૂત થાય છે. ટૂંકમાં, ક્લાસરૂમમાં માત્ર વિધાર્થી જ હોંશિયાર નથી થતો, શિક્ષકનું જ્ઞાન પણ વધે છે.

તમે જે જાણતા હો તે બીજાને શીખવાડવાનું હોય, ત્યારે તમારે તેના વિશે અલગ રીતે વિચારવું પડે છે. તે તમને તમે જે શીખ્યા છો તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, એક પ્રોફેસરને બાળમંદિરમાં ભણાવાનું આવે તો, તેણે બાળ મનના સ્તરે આવીને સમજાવવું પડે. તેનાથી તેના જ્ઞાનની જટિલતા વધુ સરળ અને સુબોધ બને છે. 

જ્યારે તમે કોઈને કંઈક શીખવો છો, ત્યારે તમારે તેને તમારા પોતાના શબ્દોમાં મૂકવું પડે. તેનાથી તે વાત તમારા મગજમાં દૃઢ રીતે બેસી જાય છે અને પછીથી તેને યાદ રાખવાનું સરળ બને છે. જ્યારે તમે બીજાને કંઈક સમજાવો છો, ત્યારે તમને ઘણીવાર તમારી પોતાની સમજણમાં અંતર જોવા મળે છે. પછી તમે વધુ સંશોધન અથવા અભ્યાસ કરીને તે અંતરને ભરો છો.

માટીકામના એક શિક્ષકે તેના ક્લાસને બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથને તેણે કહ્યું કે, “તમારે આ સત્રમાં માટીકામ, આયોજન, ડિઝાઈન અને એક પરફેક્ટ વાસણ બનાવવાનું છે. સત્રના અંતે કોનું વાસણ શ્રેષ્ઠ છે તેની હરીફાઈ થશે.”

બીજા જૂથને શિક્ષકે કહ્યું, “તમે આ સત્ર બહુ બધાં વાસણો બનાવવાનું કામ કરશો. કોણ વધુ વાસણો બનાવે છે તેના પર સત્રના અંતે માર્ક્સ મળશે અને તમારા શ્રેષ્ઠ વાસણને હરીફાઈમાં મુકવાની તક મળશે.”

પહેલું જૂથ એક શ્રેષ્ઠ વાસણ કેવી રીતે બને તેનો અભ્યાસ કરવામાં અને અને ઉત્તમ ડિઝાઈન બનાવામાં વ્યસ્ત થઇ ગયું.

બીજું જૂથ ફટાફટ બહુ બધી માટી લઇ આવીને નાનાં-મોટાં, સાદાં-જટિલ વાસણો બનાવવા લાગી ગયું. અનેક અઠવાડિયા સુધી મહેનત કરીને તેમના હાથ પણ તાકાતવર થઇ ગયા. સત્રના અંતે, બંને જૂથો પોત પોતાનાં શ્રેષ્ઠ વાસણો લઈને હરીફાઈમાં આવ્યાં. છેલ્લે, પરિણામ જાહેર થયું ત્યારે જે છોકરાઓને બહુ બધાં વાસણો બનાવાની પ્રેક્ટિસ કરી હતી તેમનાં વાસણો વધુ સારાં સાબિત થયાં, જ્યારે જેમણે એક શ્રેષ્ઠ વાસણ બનાવવા માટે આયોજન કર્યું હતું તેમનું વાસણ ઉતરતું સાબિત થયું.

આનો સાર એટલો કે જીવનમાં કોઈ કુશળતા હાંસલ કરવી હોય તો બહુ બધાં વાસણો બનાવવાં. ‘ઢ’ ફિલ્મમાં ત્રણ દોસ્તારોએ બિરબલને બહુ બધું ભણાવીને જ કુશળતા હાંસલ કરી હતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...757758759760...770780790...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved