Opinion Magazine
Number of visits: 9457407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|28 December 2023

રમેશ ઓઝા

અંતર માપવા માટે ગુજરતી ભાષામાં ગાઉ શબ્દ વપરાય છે, એ ગાયના વિચરણ પરથી બન્યો છે. ગાય એક દિવસમાં એક દિશામાં જેટલું વિચરણ કરે એ એક ગાઉ. ગાય એનાથી વધારે દૂર જતી નથી. ખરું પૂછો તો આ ધરતી પર કોઈ જીવ પોતાનાં વતનથી બહુ દૂર જતો નથી અને ઋતુ પ્રવાસી પક્ષીઓ વતનથી બહુ દૂર જો જાય છે તો ઋતુ બદલાયા સાથે વતન પાછાં ફરે છે. એક માત્ર માનવી એવું પ્રાણી છે જે વતનથી ખૂબ દૂર જાય છે અને કેટલીકવાર ક્યારે ય પાછો ફરતો નથી. પ્રાચીન યુગથી માનવી સુખ અને સુરક્ષાની તલાશમાં વતન બદલતો રહે છે.

પાછી વિડંબના જુઓ! વતનઝૂરાપો એ અનુભવે છે જે વતનને વફાદાર નથી. વતનની યાદમાં કવિતાઓ લખે, વાર્તા, નવલકથા અને નિબંધો લખે. પાછો એ જ માનવી કોઈ સગાને સુખી કરવા વતન છોડાવી પરદેશ લઇ જાય છે. એ બીજાના વતનપ્રેમ અને વતન પ્રત્યેની વફાદારી વિષે શંકાઓ કરે, તેને ગદ્દાર તરીકેનું લેબલ ચોડે અને હત્યાઓ પણ કરે. આ જગતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં હત્યાઓ અને એનાંથી વધુ સતામણી કોઈના દેશ માટેની તેની વફાદારી વિષે શંકાઓ કરીને કરાવામાં આવે છે.

તો શું વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?

જરા ય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનાં એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગન્તુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સ કહ્યું છે કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઇતિહાસ માનવીય સ્થળાંતરનો ઇતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વઘારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે.

પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?

બીજાં બધાં જીવો ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં જીવે છે. માનવી એક એવું પ્રાણી છે જેણે પોતાની દુનિયા પણ વિકસાવી છે અને એ માનવસર્જિત છે અને માનવ સંચાલિત છે એટલે એ ક્ષતિગ્રસ્ત છે. ગમે તેટલો પ્રયાસ કરે, માનવસર્જિત અને માનવસંચાલિત દુનિયા ક્ષતિરહિત બનવાની નથી. રામરાજ્ય એક કલપના છે, વાસ્તવિકતા નહોતી, નથી અને હોવાની નથી. આ સિવાય માણસ અન્ય પ્રાણીઓની તુલનામાં નિર્બળ છે, ભય અનુભવે છે, અસુરક્ષિત છે, ભવિષ્ય વિશે વિચારીને હજુ વધુ ડરે છે, લાલચ અને સંગ્રહવૃત્તિ ધરાવે છે, વગેરે. હજુ એક સમસ્યા છે. માનવીએ રચેલો સમાજ પક્ષપાતી છે, અન્યાયી છે, શોષણ કરે છે, છેવાડાના માનવીને છેવાડે જ રાખવા મથે છે અને તેની અવહેલના કરે છે. દેખીતી રીતે માણસ ત્યાંથી ભાગવાની કોશિશ કરશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતોને ગામડાં છોડીને શહેરમાં વસવાની સલાહ આપી હતી. સામેથી કહ્યું હતું કે ઇજ્જતની જિંદગી જીવવી હોય તો સ્થળાંતર કરો. આગાખાન સાહેબે ૧૯મી સદીમાં ખોજાઓને ગામડાં છોડી શહેરમાં સ્થળાંતરિત થવાની સલાહ આપી હતી. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી હુલ્લડો પછી મુસલમાનો વતન છોડીને પોતાની કોમની વસ્તી જ્યાં વધુ હોય ત્યાં સ્થળાંતરિત થઈ રહ્યા છે. અંગ્રેજીમાં આને ‘ઘેટ્ટો’ કહેવામાં આવે છે.

ટૂંકમાં એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંના મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટાભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.

આ વાત થઇ સ્વૈચ્છિક સ્થાળાંતરની. કેટલાં બધાં સ્થળાંતરો અસ્વૈચ્છિક અને સામૂહિક હોય છે. ચોક્ક્સ કોમને રીતસર ભગાડી મૂકવામાં આવે છે અથવા જીવ બચાવવા વતન છોડીને ભાગી જવું પડે છે. તમને ખબર છે?  જગતની ૧.૨ ટકા વસ્તી નિરાશ્રિત (રેફ્યુજીઝ) છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. ઘણાં દેશો નિરાશ્રિતોને આશ્રય આપતા નથી અને તેમને આશ્રય મેળવવા ભટકવું પડે છે. આખી જિંદગી અને કયારેક તો બબ્બે પેઢીને નિરાશ્રિતો માટેની છાવણીઓમાં જીવવું પડે છે.

ક્યાંક વિદેશમાં જવાનો ક્રેઝ હોય છે અને ક્યાંક પરાઈ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2023

Loading

ફસલ

વલ્લભ નાંઢા|Opinion - Short Stories|27 December 2023

વલ્લભ નાંઢા

ડોરબેલના સતત વાગતા અવાજથી મનજીતની આંખ ઊઘડી ગઈ. હર શનિવારે બને છે તેમ ગઈકાલે રાત્રે પણ ઘેર આવતાં ખાસું મોડું થઈ ગયું હતું. આજે રજાનો દિવસ છે, નિરાંતે ઊઠીશ એમ વિચારી પથારીમાં પડખાં ફેરવતો હતો ત્યાં બેલના રણકારે તેને જગાડ્યો.

આંખો ચોળતાં વૉલક્લોક તરફ જોયું. સાડા સાત થયા હતા. આટલી વહેલી સવારમાં કોણ આવ્યું હશે? સિમરન ડૉર ખોલશે એવું વિચારી થોડી વાર આંખો બંધ રાખી પથારીમાં પડી રહ્યો, પણ ડૉરબેલ વાગતી રહી. સિમરનની હિલચાલ ન જણાતાં પડખું ફેરવી ઉંઘરેટી નજર કિચન તરફ નાંખી. ત્યાં પણ કંઈ સંચાર જણાયો નહિ. પછી ખ્યાલ આવ્યો કે સિમરન તો સવારે “હેવલોક રોડ ગુરુદ્વારા” બાબા નાનકજીની શબદબાની સાંભળવા જાય છે. બગાસું ખાઈને એ બેડમાંથી નીચે ઊતર્યો. બારીનો કર્ટન ખસેડતાં સહેજ કંટાળા સાથે નીચે જોયું. પોર્ચમાં રણબીર ઊભો હતો.

નક્કી કંઈ અરજંટ કામ પડ્યું હશે. બીશનકૌર પ્રેગનન્ટ ને પાછી એનેમિક પણ છે. દેશમાં બીશનકૌરના પાપાજીને કૅન્સર થયું છે. અચાનક પાપાજીની તબિયત વધુ બગડી હોય ને ઇન્ડિયા જવાનો પ્રોગ્રામ બનાવી લીધો હોય અને તેની જાણ કરવા સારુ. – ના, એવું કંઇ ગોઠવ્યું હોય તો ગઈ કાલની પાર્ટીમાં રણબીરે જ મને જણાવ્યું હોત. પછી ગઈ કાલે રાતની પાર્ટીમાં બનેલી ઘટના યાદ આવી. એ અને સિમરન પાર્ટીમાંથી ઘેર આવવા ઉઠ્યાં ત્યારે રણબીર અને ફુમન સિંઘ વચ્ચે કોઈ વાત પર તીખી બહેસ ચાલતી હતી. કદાચ દારૂના નશામાં રણબીરે કોઈ બબાલ ઊભી કરી હોવી જોઈએ અને પાર્ટીનો માહોલ બગાડ્યો હોય અને રણબીર ઊભરો કાઢવા આવ્યો હોય એવું એવું પણ બની શકે.

નીચે આવી મનજીતે ડોર ખોલ્યો. અંદર દાખલ થતાં મનજીત સાથે હાથ મિલાવતાં રણબીર બોલ્યો : ‘સોરી, બડે ભૈયા. આપ કો ઈતની જલદી ઊઠના પડા. મેં દો-પાંચ મિનટોમેં અપની બાત દસકર ચલા જાઉંગા. ઔર ફીર કામ પર ભી તો જાના હૈ.”

“નહીં … નહીં બૈઠ. સિમરન ગુરુદ્વાર પે ગઈ હૈ. અબ આતી હી હોગી. બૈઠ, હમ સાથ સાથ બ્રેક્ફાસ્ટ કરતેં હૈં.”

રણબીર સોફા પર બેસી ગયો. અને તેણે મનજીતને ગઈ કાલ પાર્ટીમાં બનેલી ઘટનાની વાત કરી ત્યારે મનજીત પણ વિચારમાં પડી ગયો. આ તે કેવી દુશ્મનાવટ? ફુમનસિઁઘ કેવો હલકટ માણસ હશે?

***

મનજીત અને રણબીર પાંચેક વર્ષથી એકબીજાના પાડોશીઓ છે. બ્ન્ને વચ્ચે સારી દોસ્તી પણ છે. સિમરન અને બીશનકૌરને પણ સારું બને છે. બે ય પરિવારનાં બાળકો સાથે રમે છે ને ખાલસા પ્રાયમરી સ્કૂલમાં સાથે ભણે છે. મનજીત ‘ગુરુ નાનક શીખ એકેડમી’માં ઇતિહાસ શીખવે છે. જ્યારે રણબીર ડેગનહામની જાણીતી ફોર્ડ મોટર કંપનીની ઑટોમોટિવ ફેક્ટરીમાં પાર્ટ્સફિટર છે. બન્ને વચ્ચે શૈક્ષણિક અને વ્યવસાયિક અંતર છે છતાં ય બન્ને વચ્ચે સારો મેળ છે. કોઈ કોઈ વાર એ મનજીત પાસે આવી પોતાનો ઊભરો ઠાલવતાં કહે છે, “મૈં ને થોડી પઢાઈ કી હોતી તો આજ મુઝે મશીનો કે સાથ મશીન બનના નહીં પડતા! પઢાઈકે દિન થે તબ જલંધરકે “કેન્દ્રિય વિદ્યાલય’મેં પિંડકે શરારતી લડકોં કે સાથ લડકપન મસ્તી-તુફાનમેં ગુજર ગયા. પઢાઈકી ઔર ધ્યાન હી નહીં દિયા. સયાનોંકી બાત એક કાન સે સૂનકર દૂસરે કાનસે નીકાલ કે પઢઈ કા સમય બરબાદ કર દિયા.”

અને રણબીર તેને આશ્વાસન આપતાં કહેતો : “કોઈ કામ છોટા યા બડા નહીં હોતા હૈ. બાબાને જો બી કામ મેલા હૈ ઉસે બાબા કા પરસાદ સમજ કે નિષ્ઠા કે સાથ કરના ચાહીએ. એક દિન તુઝે ભી જરૂર તરક્કી મિલેગી. મેરી હી મિસાલ લો -‘

અને રણબીરને પોતાનું બાળપણ સાંભરી આવતું.

રણબીરનો જન્મ પંજાબમાં અને ઉછેર પણ પંજાબમાં. રણબીરને યુવાનીના આગમનની ચાડી ફૂંકતો મૂછનો દોરો ફૂટ્યો અને બાબા સોહનસિંઘને દીકરાની ચિંતા સતાવવા લાગી. રણબીર ગામની શાળામાં માંડ ચાર ધોરણ સુધી ભણ્યો હતો. કયો દીકરીનો બાપ પોતાની દીકરીનો હાથ આ અભણ છોકરાના હાથમાં આપવા તૈયાર થાશે? આ ચિંતા અંદરથી સોહનસિંઘ અને તેની પત્નીને સતત સતાવતી રહેતી. એક વાર શેરશિંઘ બીશનકૌર માટે ખાનદાન છોકરાની તલાશ કરતાં કરતાં લંડનથી જલંધર આવ્યા હતા. પિંડના કોઈ આદમીએ સોહનસિંઘનું ઘર ચીંધ્યું અને રણબીરનો શાદીયોગ આવી ગયો હોય તેમ બીશનકૌરની નજરમાં રણબીર વસી ગયો. બીશનકૌરને ખાસ વિદ્યા ચઢી નહોતી એટલે લંડનમાં તેને લાયક મૂરતિયાનો મેળ ખાતો નહોતો. એટલે બેટીને ઠેકાણે પાડવા બીશનસિંઘે જલંધર સુધી આવવું પડ્યું હતું.

રણબીર અને બીશનકૌર પરણી ગયાં. અને રણબીરનું નસીબ તેને લંડન લઈ આવ્યું. પૂરતા ભણતરના અભાવે તેને લંડન જેવા મોટા શહેરમાં ટેબલ ખુરશી વાળી નોકરી તો ક્યાંથી મળે? બીશનકૌર પણ સાઉથહોલના કોઈ ‘ઑટોમેશન’ કારખાનમાં એસેમ્બલર તરીકે વૈતરું કૂટતી હતી. દિવસો સુધી જૉબ-સૅન્ટરનાં પગથિયાં ઘસી નાખ્યાં પછી ડેગનહામની જાણીતી ફોર્ડ મોટર કંપનીમાંથી રણબીર માટે જોબની ઓફર આવી જે એણે તરત સ્વીકારી લીધી હતી. પણ આ નોકરીથી એ બહુ ખુશ જણાતો નહોતો. ઘણીવાર મનજીતસિંઘ પાસે પોતાની હૈયાવરાળ ઠાલવી દેતાં એ કહે છે : ”બડે ભૈયા, નૌકરી ઉચ્ચે દરજ્જે કી નહીં હૈ. મગર એક બાત તો તય હૈ કી પેસે બહોત કમા લેતા હૂં. આરામ સે કમાતા હૂં, ઔર બાદશાહ કી તરાહ જીતા હૂં.”

ત્યારે મનજીત કહે છે : “હમ તો ઠહરે બાબુ લોગ. કમ શારીરિક મહેનત કરને વાલે લોગ. અસલ મહેનતી કામ તો તેરા હૈ. તેરી નૌકરી સખ્ત મહેનત માંગ લેતી હૈ. ઔર ઇમાનદારી સે તું દો પેસે ભી કમા લેતા હૈ. ઔર કૂછ નહીં તો કમ સે કમ તૂઝે મનકી શાંતિ તો મીલતી હૈ નાં?”

“પૈસા તો ઠીક હૈ બડે ભૈયા! પર હમારી ગનોતી તો ગમાર કે તૌરસે કી જાતી હૈ નાં? એક બેજાન પશુ જૈસી! પશુકી તરાહ જીતે હૈં – પશુ કી તરાહ શરાબ ઢીંચતેં હૈં – ઔર શરાબ નહીં પીતે તો પાગલ હો જાતે.”

આમ રણબીર પોતાના ખાસ ભીરૂને પોતાના જીવનની અંગત વાતો કરીને હૈયાભાર હળવો કરી લે છે.

રણબીરના બીજા દોસ્તોમાં પણ કોઈ કોઈ વાર જર, જોરૂ ને જમીનની બાબતમાં નાની મોટી તકરારો થયા કરતી.

રણબીર કેટલી ય વાર તેના જ દોસ્તોથી છેતરાયો છે. અંગત કહી શકાય એવા ભાઈબંધોએ તેના ભોળપણનો અનેકવાર લાભ ઉઠાવ્યો  છે. પણ મનજીતસિંઘને એ પોતાના પ્રાણ અને શ્વાસ ગણતો હતો. મનજીતસિંઘને પણ રણબીરની દોસ્તી પર ગર્વ હતો. એક વેળા પ્રીતમપૂરનો અજમેરસિંઘ રણબીર સાથે નવટંકી કરી હજાર પાઉન્ડનું ફુલેકું ફેરવી ગયેલો. મળવા આવ્યો ત્યારે રણબીરના પગ પકડી મગરનાં આંસુ સાર્યાં હતાં. કહેવા લાગ્યો હતો : “બડે ભૈયા કો પુલીસ ગિરફતાર કર કે પોલીસ-સ્ટેશન લે ગઈ હૈ. પ્રોપર્ટીકી ખરીદારી કે મામલેમેં દલાલ કે સાથ કુછ ટંટા હુવા હૈ. વકીલ હજાર પાઉન્ડ એડવાન્સ માંગ રહા હૈ. …” કહી અજમેર રડવા લાગ્યો … “રણબીરભૈયા મૂજે હજાર પાઉન્ડ લોન પર દે સકેંગે? તાકી મેં ભૈયા કો રિહા કરવા પાઉં.” સિમરન પણ એ વખતે ઘરમાં નહોતી. રણબીરને દયા આવી ગઈ. રણબીરે તેને હજાર પાઉન્ડ આપી દીધા. એ પછી અજમેરે કોઈ દિવસ ન મોઢું બતાવ્યું છે કે ના તેણે હાજાર પાઉન્ડ પાછા વાળ્યા છે. પછી અજમેરના જ એક ખાસમખાસ દોસ્ત પાસેથી વાત જાણવામાં આવી હતી કે પોલીસવાળી ઘટના અજમેરે જાતે જ ઘડી કાઢી હતી!

પણ રણબીરનો ખરો કટ્ટર દુશ્મન તો હતો ચંડીગઢવાળો ફુમનસિંઘ. બહુ ખંધો. મોકો હાથ લાગે ત્યારે રણબીરને નીચો દેખાડવા એક પણ તક જતી કરતો નહિ. ક્યારેક દારૂ પીવડાવી તેની ફિરકી ઉડાવતો હોય છે તો ક્યારેક મશ્કરી – મજાકમાં તેની ઠેકડી ઉડાવી તેને શરમિંદો બનાવતો.

ફુમનસિંઘે એક વાર “રામગહરિયા હૉલ”માં તેના મિત્રોને બૈશાખીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રણબીરને તેણે ખાસ આમંત્રણ આપ્યું હતું. પાર્ટી દરમિયાન ફુમનસિંઘે હાજર રહેલા દોસ્તો વચ્ચે એક શરત મૂકી હતી. જો કે, રણબીરને નીચો દેખાડવા માટે જ આ શરતવાળી જાળ ખુદ ફુમનસિંઘે જ બિછાવી હતી. તેણે શરત મૂકી હતી – ‘જે માઈકોલાલ વ્હિસ્કીની આખી બોટલ પીધા પછી, હોશહવાશ ગુમાવ્યા વિના સાઉથહોલ પાર્ક ફરતે બે રાઉંડ મારી દેખાડે તે નરબંકાને બસો પાઉન્ડનું ઇનામ આપવાની ફુમનસિંઘે જાહેરાત કરી હતી’ ફુમનસીંઘે ભરત બરાબર ભર્યું હતું.

રામગરહિયા હૉલ”ના બેક્ગાર્ડનમાં પાર્ટીનું લુફ્ત ઉઠાવતા સો-એક જુવાનિયા હાજર હતા પરંતુ આ પડકાર ઝીલવા કોઈ આગળ ન આવ્યું. પણ રણબીર કેમ બેસી રહે? કાનમાં ત્રમ ત્રમ બોલવા લાગ્યું. પોતાની શર્ટનાં ઉપરનાં બે બટન ખોલી નાખી, જાંધ પર એક થપકી મારી એ ફુમનસિંઘની સામે આવી ઊભો રહી ગયો. ટેબલ પરથી વ્હિસ્કીની બોટલ ઉઠાવી તેનું ઢાંકળ તોડ્યું અને બોટલ ખોલીને ગટ ગટ ગટ ગટ મોંએ લગાડી આખી બોટલ ગટગટાવી ગયો. પછી પોતાની ફાંકડી મૂછોને વળ દેતાં “રામગરહિયા હૉલ”ની સામેની બાજુ વાળા પાર્ક તરફ દોડ્યો. પણ પાર્કનો અડધો રાઉન્ડ હજી પૂરો પણ કર્યો નહોતો ત્યાં તેના પગ અબડિયા લેવા લાગ્યા. આસપાસનું બધું ચકર ચકર ઘૂમતું હોય એવું લાગ્યું. જાતને સંભાળવાની કોશિશેય કરી પણ અચાનક તેને ચક્કર આવ્યાં અને  ગણતરીની સેંકડોમાં જ એ કોઈ કદાવર વૃક્ષની જેમ ધડામ્ દઈને જમીન પર ઢળી પડ્યો. પછી એ બેઠો ન થઈ શક્યો. તેના દોસ્તો તેને ઊંચકીને કારમાં બેસાડી ઘેર મૂકી આવ્યા.

***

બન્ને મિત્રો મનજીતસિંઘની લાઉંજમાં ચાની ચુસકીઓ ભરતા હતા પરંતુ મનજીતની નજર રણબીરના ચહેરાના ભાવ ઉકેલવા મથી રહી હતી.

‘મૈં આપકી માફી માંગને આયા હૂં.’

‘માફી? મુજસે? કિસ બાતકી માફી? મેં બાત સમજા નહિ.’

‘ઐસી કોઈ બાત નહીં, મગર તમાશા જબ શરૂ હુઆથા તબ તો આપ વહીં થે ને? તુમ્હે બૂરા નહીં લગા?’

‘અબે? ઈસમે કૈસી માફી? અપની તો આપસ મેં કોઈ ગાલીગલોચ નહીં હૂઈ ફીર માફી માંગને કા સવાલ હી નહીં ઉઠતા.’ મનજીતને હજી પણ સમજાતું નહોતું કે રણબીર કઈ બાબતની માફી માગવાની વાત કરે છે.’

‘ફીર ભી મેરી વજસે પાર્ટીકા મજા તો કિરકિરા હો ગયા થા ને? મૈં નશે મેં નહીં થા, પૂરે હોશમેં થા. ફીર ભી અપને આપકો સમ્હાલ નહી પાયા. ઔર મૂંહસે ગાલી નીકલ આઈ.’

ગઈ કાલે સાંજે રણબીરે બીશનકૌરની “ગોધ ભરાઈ” રસમ ઘરાઅંગણે ઉજવવાનું ગોઠવ્યું હતું. રણબીરે ઘરની લાઉન્જમાં આરામથી પચીસ ત્રીસ લોકો બેસી શકે એવી સગવડ રાખી હતી. પોતાના કેટલાક અંગત સ્નેહીઓને જ બોલાવ્યા હતા. પરંતુ ફુમનસિંઘને તો ખાસ બોલાવ્યો હતો. મનજીતને સમજાતું નહોતું કે આટલી બેઇજ્જતિ કર્યા પછી પણ રણબીરે એ સુવ્વરના બચ્ચાને કેમ આમંત્રણ આપ્યું હશે? એ દિવસે ઓવરગ્રાઉન્ડ સર્વિસમાં સિગ્નલ પ્રોબલેમ હોવાથી રણબીર ઘેર મોડો પહોંચ્યો હતો. એ ઘરમાં પ્રવેશ્યો ત્યાં જ પેસેજમાં ઊભેલાઓ ફુમનસિંઘના મળતિયોમાંનો કોઈ મળતિયો દાઢમાં બોલ્યો : ‘રણબીરભૈયા, કભી ટાઈમ પે નહીં આતે. કામમેં હાથ બટાના પડ જાય ઈસ લિયે. જાઈએ .. જાઈએ ભાઈસાબ, અંદર આપકી ટોલી બહાર ગાર્ડનમેં આપકા ઇંતેજાર કર રહી હૈ.’ આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા.

રણબીર ગાર્ડનમાં આવ્યો ત્યારે દોસ્તોની આંખોમાં શરાબનો નશો ચડવા લાગ્યો હતો. શરાબની બોટલોની સાથે ટેબલ પર મૂકેલી પ્લેટોમાં સૅન્ડવિચ, સમોસા, કાજુ, પિસ્તા,  વ્હિસ્કી, રમ, જીન … વિભિન્ન પ્રકારના નાસ્તા સાથે  શરાબની બાટલીઓ ખાલી થઈ રહી હતી.

સ્ત્રીવર્ગ અલગ કમરામાં ગોદ ભરાઈની રસમની કાર્યવાહીમાં પરોવાયો હતો.

ગાર્ડનમાં મિત્રો નાના નાના ગ્રુપમાં બેઠા હતા અને અર્ધનશામાં પોતપોતાની વાતોમાં મશગુલ હતા. તરલોક ગયા વીકેન્ડમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલ ક્રિકેટના બારામાં પોતાનો મત જણાવી રહ્યો હતો. તો મોહિન્દર એ મેચમાં ભારતને મળેલી શિકસ્તનું ઠીકરું રેફ્રી પર ફોડી અંતિમ પારીમાં રેફ્રીએ ઇંગ્લેન્ડની ટીમનો પક્ષપાત કર્યો હોવાનો બળાપો કાઢતો હતો. સુખદેવ કહેતો હતો કે આ દેશના ગોરા યંગસ્ટરોએ તેનું જીવવું હરામ કરી નાખ્યું છે. આ છોકરા-છોકરીઓ સ્કૂલમાંથી છૂટી મારી ન્યૂસપેપરની દુકાનમાંથી નાની-મોટી ચોરીઓ કરી જાય છે. અને પોલીસ ચોરીના આવા નાનામોટા મામલામાં કંઈ કરતી નથી. મોટી ફાંદવાળો ગુરમુખસિંઘ કહી રહ્યો છે, કે હવે કોઈ દિવસ એ ભારત નહીં જાય, કારણ કે તેના પટિયાલા વાળા પ્લોટ ઉપર કોઈએ પોલીસની મદદથી કબજો જમાવી લીધો છે. બે વરસથી કેસ ચાલે છે પણ હજી ફેસલો આવ્યો નથી. આખી સિસ્ટમ ભ્રષ્ટ અને ગંદી છે. પછી ગુસ્સામાં આવી એ બોલી બેસે છે: ‘કુત્તા હૈ સારા મુલક!’

દરેક વ્યક્તિ ખુલીને પોતાનો અભિપ્રાય આપી રહી હતી, પણ ગુરમુખસિંઘના મોંએથી દેશ વિશે ઘસાતી વાતો સાંભળી રણબીરનું મગજ ઘૂમરાઈ ગયું. આમ તો દેશ વિશે કોઈ એલફેલ બોલે ત્યારે જલદી ગુસ્સે થઈ જવું રણબીરની આદત ન હતી. પણ અત્યારે નાછૂટકે તેને મોં ખોલવું પડ્યું, સાથે થોડા રોષમાં બોલાયેલા શબ્દો પણ ફેંકાયા : 

‘અપને મુલ્ક કે બારેમેં હમેં ઐસી બેહૂદી બાતેં નહીં કરની ચાહીએ. દેશ તો અપના હી હૈ નાં? ઉસકી મિટ્ટીમેં સે હમ પૈદા હૂએ હૈં.’ રણબીર આટલું બોલ્યો ત્યાં ફુમનસિંઘ તેની વાત કાપી નાંખી હુંકારો કરતાં બરાડ્યો : ‘હમ તો યહાં દો મકાન ખરીદેંગે. હમ અપના પેસા દેશમેં ક્યોં લુંટાયે? હમારી ખૂન પસીનેકી કમાઈ હૈ.’

ફુમનસિંઘ નશામાં બેફામ લવારો કરવા લાગ્યો હતો. તે શું બકવાસ કરે છે તેનું તેને ભાન નહોતું. પરંતુ ફુમનસિંઘના હુંકારથી રણબીરનો ગુસ્સો ફાટ ફાટ થઈ ઉઠ્યો. ફુમનસિંઘ તરફ આંગળી ચીંધતાં બોલ્યો : ‘અબે ચૌરે, તેરી કૌન પરવા કરતા હૈ! તું ને અપને ભાઈયોં કે સાથ સંબંધ કાટ દિયા. તેરા બાપ ઘૂંટને ઘસતા હુઆ મરા. ગરીબ નિહાલચંદકે પેસે તું ને અભી તક નહીં લૌટાયે … સાલ્લા બડા સરદાર બન ઘૂમ રહા હૈ! મગર બિરાદરી મેં તેરી ઇજ્જત ક્યા હૈ?’ રણબીર બોલતો હતો ત્યારે તેનો ચહેરો ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો હતો. આંખોમાંથી આગ વર્ષી રહી હતી. ટેબલ પરથી ઊઠી એ ફુમનસિંઘ તરફ ધસ્યો અને તેનું ગળું પકડી તેને ધક્કો મારી પછાડ્યો. અને ઠોસા પર ઠોસા મારવા લાગ્યો.

બધા પોતાની ખુરશીઓ પરથી ઊભા થઈ ગયા. શોરબકોર મચી ગયો. કેટલાક ફુમનસિંઘની પડખે ઊભીને તાસીરો જોતા હતા. રણબીરનો ગુસ્સો હજી શાંત થયો નો’તો. અબ દેખ લે ચેલેન્જ કરને કા નતીજ! દોસ્તો બન્નેને વિખૂટા પાડવાની કોશિશ કરવા લાગ્યા. પણ કોઈ કોઈનું સાંભળતું ન હતું. પુરુષોની ઘાટંઘાટ સાંભળી મહિલાવર્ગ પણ બહાર દોડી આવ્યો હતો. એક પીઢ ઓરત તો વલોપાત કરતી કહેવા લાગી : ‘અગર શરાબ હજમ નહીં હોતી તો ફિર પીતે ક્યોં હો? ગોરો કે દેશમેં રહકર તમાશા ક્યોં ખડા કરતે હો?’

બીશનકૌર તો લગભગ બેહોશ જ બની ગઈ હતી. એ જમીન પર ઢળી પડી હતી અને બૂમો પાડતી હતી : “અરે ! અરે ભઈ, કોઈ તો રોકો ઇન્હેં?” એક બાઇએ બીશનકૌરને પાણી પીવડાવ્યું અને તેને માથે હાથ ફેરવી ધરપત દઈ રહી હતી.

ફુમનસિંઘનું ખમીસ ફાટી ગયું. તેના ચહેરા પરથી લોહીના રેલા દદડી રહ્યા હતા. કેટલાક દોસ્તો તેની જાડી-ભદ્દી કાયાને ઊંચકીને અંદર લઈ ગયા. અને મામલો વધુ બીચકે એ પહેલાં બે-ચાર દોસ્તોએ રણબીરને બહાર સંભાળ્યો. પ્રસંગની મજા મારી ગઈ હતી. કેટલાંકે ખાધું; કેટલાંક ખાધા વિના જ ઘર ભેગા થઈ ગયા. માહોલ જ આખો બેસ્વાદ બની ગયો.

રણબીર અંદર ને અંદર કેટલા ય સમયથી ગુસ્સાને ભીતરમાં દાબીને બેઠો હતો. પરંતુ આજે તેની ભીતર ધરબાયેલો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો હતો. ફુમનસિંઘે મારેલા ટોન્ટનો દાવ વાળવાનો આ મોકો એ જવા દેવા માગતો ના હતો. એટલે જ તેણે પોતાના ઘેર રાખેલી આ પાર્ટીમાં ફુમનસિંઘને ખાસ નોતરું પાઠવ્યું હતું.

મનજીતે રણબીરની પૂરી વાત સાંભળી. આમ તો ફુમનસિંઘ અને રણબીર વચ્ચે લાંબા સમયથી તનાવ રહેતો હતો, તે તેના ધ્યાન બહાર નહોતું. ખુદ રણબીરે જ ફુમનસિંઘના કાળાચારા વિશે મનજીતને વાત કરી હતી. તેને ફુમનસિંઘ સાથે નહોતું બનતું તો પછી પોતાને ત્યાં આવવા કેમ આમંત્રણ આપ્યું હશે?” આ વાત જ ગળે ઊતરતી નહોતી.

“રણબીર તું જાનતા થા કિ ફુમનસિંઘ બડા નિકમ્મા આદમી હૈ ફિર ઉસે અપને ઘર પે ક્યૂં બુલાયા?”

એ બાબતનો ખુલાસો કરતાં રણાબીરે જણાવ્યું, “ફુમનસિંઘ ઘટિયા આદમી હૈ. મૈં જાનતા હૂં. મગર પીછલી સાલ, બૈશાખી કે મેલે મેં સાલ્લે દો ટકે કે આદમીને અપની ગંદી ઝુબાન સે મૂઝે ભલાબૂરા કહા થા. મેં હિજડા હૂં … ઇમ્પોટંટ હૂં … બૂઢાબૈલ જૈસા નિકમ્મા હો ગયા હૂં … એસે એસે તાને મારે થે. બડે ભૈયા આપ હી બતાઈએ ઐસા તાના સૂનકર મૈં હાથ પે હાથ દબાયે કૈસે ચૂપ રહ સકતા થા? દો કોડી કે ઇન્સાન ને મેરે પૌરુષ કો લલકારા થા. ઉસકી ગંદી ઝુભાન સે નીકલે હુએ લફ્ઝ મેરે દિલમે ભાલે કી નોક તરાહ ચૂભ ગયે ઔર ઉસી પલ મૈને થાન લિયા થા કે અબ મેં ભી ઉસે દિખા દૂંગા  કિ-‘  જરા વાર અટકી પછી ઊંડો  શ્વાસ ભરી તેણે વાત આગળ ચલાવી : “બડે ભૈયા, મૈંને ઉસી વક્ત મનમેં ફેંસલા કિયા થા કિ વો સુવ્વર કે બચ્ચે કો મૈં અબ કૂછ કરકે હી દિખાઉંગા … ઔર વાયગુરુને મેરી બાત સૂન લી. બીશનકૌર કે પૈર ભારી હૂએ ઔર મૈને ફુમનસિંઘ કો દિખાને કે લિયે મેરે હી ઘર પે ‘ગોદ ભરાઈ’ કી રસમ રખ કર, અપની ફસલ દિખાને કે લિયે હી ઉસે ન્યોતા ભેજા થા.”

વાત પૂરી કરી ચાનો કપ ટિપોય પર મૂકી રણબીર ચાલતો થયો.

અને વેદનાની સિઝકતી ચીસો મનજીતની લાઉન્જની ચાર દીવાલોને જ નહિ, મનજીતના અંતરમાં પણ ક્યાં ય સુધી પડઘાતી રહી.

***

e.mail : vallabh324@aol.com
(પ્રગટ : “મમતા”; સપ્ટેમ્બર 2022)

Loading

આધુનિક ભારતના સમાજ સુધારક સંત : ગાડગે બાબા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 December 2023

ચંદુ મહેરિયા

આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે, પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું  દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા ગાડગે બાબા (1876 – 1956) તરીકે. પત્ની – સંતાનો સહિતના પરિવારને છોડી લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું. તેમાં બદન પર ફાટેલાં લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતાં. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું, ઓગણીસમી સદીનું, ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રદ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી, અસ્પૃશ્યતા અને  નિરક્ષરતાથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું. પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો.

ગાડગે મહારાજ

ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઊભી કરી હતી. જો કે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો. 

ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન,ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધા અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો. 

શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશાં ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા. સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એ જ મારી વાણીથી જગવ્યા હતા.

ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કીર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કીર્તન કરવાની પદ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું કરતા જોઈને દુ:ખી થતા. તેઓ કીર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રદ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કીર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક – ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.

ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કીર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કીર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃદ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ, ધર્મશાળા, શાળા, વૃદ્ધાશ્રમ, અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.

આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઊભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા. એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે. 

નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો. આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો. પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત  વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડોના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા. રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા. 

સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા. ગણપતરાવ ગાંગણા બાબાનાં બધાં કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણાં ન વેડફવા બાબા કહેતા. સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિદ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા. 

૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા. આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુદ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...713714715716...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved