Opinion Magazine
Number of visits: 9665376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

આઈડિયા ઓફ ઇન્ડિયા અથવા ભારત વિશેની એક કલ્પના સો-દોઢસો વરસ દરમ્યાન વિકસી હતી અને અત્યાર સુધી લગભગ સર્વમાન્ય લાગતી હતી, પણ અત્યારે તેની સામે પ્રચંડ પડકાર પેદા થયો છે અને દેશમાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં તેનું ભવિષ્ય નક્કી થવાનું છે. શું છે આ આઈડિયા ઓફ ઇન્ડિયા? હું મારી સમજ મુજબ આનો એક જ વાક્યમાં જવાબ આપું કે કોઈની ય કોઈના ઉપર સરસાઈ વિનાનું ભારત. દેખીતી રીતે આવા ભારતમાં નાગરિક સ્વાતંત્ર્ય, માનવીય આદર, દરેક પ્રકારની સમાનતા, ન્યાય, કાયદાનું રાજ, દરેક ધર્મ માટે આદર, મૂલ્યનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, બંધારણીય મૂલ્યોનો આદર વગેરે હોવાનાં. આ બધાં ગુણો ભારતીય સમાજ ધરાવતો હતો એવું નથી, પણ એ જીવનમાં ઉતારવાનો ઉદ્દેશ હતો. ભારતની આવી કલ્પના કરનારાઓએ એ પણ જોયું કે સદીઓથી સામાજિક, ધાર્મિક અને રાજકીય (ખરું પૂછો તો શાસકીય) સરસાઈનો આપણે (અને આખું જગત) અનુભવ કરતા આવ્યા છીએ અને તેમાં શીખવા એ મળ્યું છે કે એ દ્વારા કોઈનું ય ભલું થયું નથી.

સરસાઈ બે રીતે મળી શકે. એક સંખ્યા દ્વારા અને બીજી પરંપરાગત અધિકાર દ્વારા. જેમ કે બ્રાહ્મણોની દેશમાં સાડા ત્રણ ટકાની વસ્તી છે, પણ તે હિંદુ સમાજ ઉપર આધિપત્ય ધરાવે છે. આમાં સંખ્યા ગૌણ છે. એમ તો જો કોઈ સમાજના લોકો સત્તા ધરાવતા હોય તો એ સમાજના લોકો પણ તેટલો સમય ચડિયાતાપણાનો અનુભવ કરતા હોય છે, પણ એ પરપ્રકાશિત હોય છે. સત્તાનો સૂર્ય ડૂબ્યો નહીં કે સાન ઠેકાણે આવી નહીં. સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય લાંબા સમયનું આધિપત્ય છે અને તેની સામે લાંબી લડત આપવી પડે છે. અત્યાર સુધી આપણે આપી પણ ખરી, પણ એ પછી પણ તેનો પરાજય થયો નથી અને અત્યારે તો આઈડિયા ઓફ ઇંડિયા સામેનો પડકાર જોતા એમ લાગે છે કે કદાચ આપણી કલ્પનાના ભારતનો પરાજય પણ થાય! સંખ્યા અને અધિકારજન્ય આધિપત્ય વચ્ચે ધરી રચાઈ છે.

ભારત વિશેની કલ્પનાએ જ્યારે આકાર લેવાનું શરૂ કર્યું ત્યારે તેને આકાર આપનારાઓને લાગ્યું કે કોઈના પણ ચડિયાતાપણાને સ્વીકારવામાં જોખમ છે. ભારતનો અને જગતનો ઇતિહાસ એમ કહે છે કે આમાં આધિપત્ય સ્વીકારનારાઓનું અથવા તાબે થયેલી પ્રજાનું તો ભલું થયું નથી, આધિપત્ય જમાવનાર અથવા તાબે કરનારાઓનું પણ ભલું થયું નથી. ભારતમાં મુસ્લિમ શાસનનો ઇતિહાસ તપાસીએ. કેટલાક હિંદુઓને એમ લાગે છે કે મુસલમાનોનું શાસન પક્ષપાતી હતું, એમાં મુસલમાનોને અધિક માપ આપવામાં આવતું હતું અને હિંદુઓને હાન્સિયામાં રાખીને અન્યાય કરવામાં આવતો હતો. ઘડીભર આ વાત સ્વીકારી લઈએ તો ભારતીય ઉપખંડના મુસલમાન પ્રત્યેક સામાજિક-રાજકીય માપદંડોમાં અગ્રેસર હોવા જોઈતા હતા, પણ જોવા એનાથી ઊલટું મળે છે. કેટલાક મુસલમાનો (આખે આખી મુસ્લિમ કોમ) તો હિંદુઓની પછાત કોમ કરતાં પણ પછાત છે. બીજી બાજુ પારસીઓને કોઈ ઝૂકતું માપ મળ્યું નથી, સંખ્યા મામૂલી છે અને છતાં ય તેઓ દરેક મોરચે અગ્રેસર છે. સત્તા અને સંખ્યાની સરસાઈ વિકાસ, સુખાકારી કે સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય મુસલમાનો સુખી છે? બંગલાદેશમાં સુખી છે? ઇસ્લામિક દેશોમાં મુસલમાનો કઈ બાબતે અગ્રેસર છે? કેટલા નોબેલ પારિતોષિક મુસ્લિમોની સરસાઈ ધરાવતા મુસ્લિમ દેશોનાં મુસલમાનોને મળ્યાં છે?

માટે ભારતની કલ્પના કરનારાઓને એમ લાગ્યું હતું કે ચડિયાતાપણાને રવાડે ચડવા જેવું નથી. સંખ્યા કે સત્તા સુખ અને સમૃદ્ધિની કોઈ ગેરંટી આપતાં નથી, ઊલટું નુકસાન પહોંચાડે છે. તે માથાભારેપણાનો કેફ ચડાવે છે અને પ્રજા દાદાગીરી કરીને પોતાની તાકાત દેખાડવા મૂલ્યવાન જીવન વેડફે છે. આઝાદી પહેલાં કાઠિયાવાડમાં આ જોવા મળતું હતું. માથાભરેપણું એ સંખ્યા અને સંખ્યાજન્ય સત્તાનું અવિભાજ્ય લક્ષણ છે. આજકાલ આ જ જોવા મળી રહ્યું છે. પણ કેટલાક લોકોને એમ લાગે છે કે હિંદુઓને તેમની સરસાઈ કે ચડિયાતાપણું બતાવવાનો મોકો મળ્યો છે તો એનો ઉપયોગ શા માટે ન કરવામાં આવે? બીજાએ કર્યું તો આપણે કેમ ન કરીએ? એક હજાર વરસ સુધી આપણને (હિંદુઓને) સતાવવામાં આવ્યા તો આજે જ્યારે મોકો મળ્યો છે તો આપણે પણ તેમને તેમની જગ્યા બતાવી આપવી જોઈએ. આવી માનસિક વૃત્તિ અને રાજકીય વલણ દેશહિતમાં તો નથી જ હિંદુહિતમાં પણ નથી. પેશ્વાઓની સરસાઈ હતી ત્યારે હિંદુઓને શું મળ્યું? અનેક હિંદુ રાજવીઓની જે તે પ્રદેશોમાં સત્તા હતી, તપાસ કરી જુઓ હિંદુ રિયાસતોમાં હિંદુઓને શું મળ્યું? અરાજકતા સિવાય કોઈને કશું મળ્યું નહોતું અને અરાજકતાનો શિકાર સૌથી વધુ હિંદુઓ થયા હતા.

સુખ અને સમૃદ્ધિનો માર્ગ ઉદ્યમનો છે. દૂર અને વિશાળ દૃષ્ટિ, ભાવનાની જગ્યાએ બુદ્ધિપૂર્વક વિચારવાની આવડત, ધીરજ, સ્વસ્થતા, સૌને સાથે રાખીને ચાલવાની આવડત, તકને પારખવાની શક્તિ વગેરે ગુણો સુખ અને સમૃદ્ધિ આપે છે. રાજા આપણો છે કે સરકાર આપણા લોકોની છે એટલે સફળતા નથી મળી જતી. ઇતિહાસમાં આવું એક ઉદાહરણ બતાવો. આમ જે લોકોમાં વિચારવાની આવડત હતી અને જે લોકોને “આપણે” અને “બીજા”ને નામે સમાજમાં વિખવાદ પેદા કરીને રાજકારણ નહોતું કરવું એવા લોકોએ સહિયારા ભારતની કલ્પના વિકસાવી અને લોકો સુધી પહોંચાડી. ભારતની પ્રજાને કહેવામાં આવ્યું કે સુખ અને સમૃદ્ધિ સંખ્યાના બળમાં કે સત્તાના બળમાં નથી, સહયોગ અને વિજ્ઞાનનિષ્ઠામાં છે.

અને આવું વિચારનારા અને લોકો સુધી આ વાત પહોંચાડનારા કોણ હતા? ૯૯ ટકા હિંદુઓ. એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતની કલ્પના મુખ્યત્વે હિંદુઓએ વિકસાવી છે. ભારતનું બંધારણ ઘડનારા લોકોમાં ૯૦ ટકા હિંદુઓ હતા. શું એ હિંદુઓ હિંદુઓના દુ:શ્મન હતા? સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. આંબેડકર, કનૈયાલાલ મુનશી દેશદ્રોહી હતા અથવા ઓછી બુદ્ધિ ધરાવતા હતા? ભારતમાં હિંદુઓની મોટી સંખ્યા હોવા છતાં અને તેઓ પોતે હિંદુ હોવા છતાં અને વળી હિંદુ હોવાનો ગર્વ લેતા હોવા છતાં હિંદુઓના ચડિયાતાપણાનો મોહ તેમણે સેવ્યો નહોતો. તેમનો ઈરાદો બહુમતી કોમને સંખ્યાભાન કરાવીને સત્તા પર કબજો કરવાનો નહોતો, પણ દેશની સમગ્ર પ્રજાનાં કલ્યાણ કરવાનો હતો.

અત્યારે યોજાઈ રહેલી ચૂંટણીમાં સહિયારા ભારત અને હિંદુ ભારત વચ્ચે મુકાબલો થવાનો છે. અને તેની સાથે પ્રજાના વિવેકની પણ કસોટી થવાની છે. જોઈએ શું થાય છે! સંસારચક્ર છે તેમાં સંકટ આવતાં જ રહેતાં હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 05 મે 2024

Loading

ચૂંટણી 2024: પરિણામ આવતા પહેલા સ્વીકારી લેવામાં ખરી નિષ્ફળતા મતદાતાઓની છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 May 2024

  મતદાતાઓના ઉત્સવમાં ઉત્સાહ ઘટી રહ્યો છે, લોકશાહી સંકોરાઇ રહી છે કારણ કે જેનું પરિણામ ખબર હોય એ મેચમાં કોઇને રસ નથી હોતો.

ચિરંતના ભટ્ટ

જ્યારે પણ કોઇ સ્પર્ધા યોજાય, એ દોડની હોય કે પછી ચિત્રની હોય કે પછી સંગીતની હોય કે આપણને બધાને ટી.વી. સામે ખોડી રાખતી ક્રિકેટ મેચ હોય – એની ખરી મજા ત્યારે આવે જ્યારે તેનાં પરિણામની આતુરતા હોય. કોઇ સ્પર્ધા, તંદુરસ્ત એટલે ‘હેલ્ધી કોમ્પિટિશન’ ત્યારે કહેવાય જ્યારે રસાકસીનો જંગ જામે, કોણ જીતશે, સામેના પ્રતિસ્પર્ધીને કોણ કેવી રીતે માત આપે છે, તેની વ્યૂહરચના શું છે એવા વિચારોનું મંથન સતત ચાલતું રહે. ચૂંટણી પણ આવી જ એક સ્પર્ધા છે, એક એવી મેચ છે જેનાં પરિણામમાં રાષ્ટ્રનાં કરોડો નાગરિકોનું ભવિષ્ય રહેલું છે. કમનસીબે કહો કે સદ્નસીબે કહો, આપણને આ સ્પર્ધામાં જાત-ભાતના ખેલ જોવા મળે છે. કાવા-દાવા, આક્ષેપો, દળ-બદલુઓનું ચલક-ચલાણું પેલે ઘેર ભાણુંની રમત વગેરે વગેરે. આટલો બધો રસાકસી ભર્યો જંગ થવાનો હોય, દેશનું સુકાન કોના હાથમાં જશે એ નક્કી થવાનું હોય એટલે સ્વાભાવિક છે કે તેનાં પરિણામો અંગેની ઉત્સુકતા જબરદસ્ત હોય અને હોવી જ જોઇએ કારણ કે મજાની વાત એ છે કે આ ખેલના દર્શકોને કારણે ખેલનું પરિણામ બદલાઈ જવાની પૂરી શક્યતા રહે છે. મતદાતાઓ – આ ખેલના દર્શકોના હાથમાં જ આ રમતનું સૌથી મોટું શસ્ત્ર રહેલું છે. મતદાન એ કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું શસ્ત્ર તો છે જ પણ લોકશાહીની ગાડીને પાટે રાખનારું સૌથી મોટું પરિબળ છે.

આટલી લાંબી કથા કરવા પાછળનો ખરો આશય તો એ સવાલ કરવાનો છે કે શું તમને લાગે છે કે 2024ની ચૂંટણીમાં આવી ‘હેલ્ધી’ સ્પર્ધા છે? ‘આયેગા તો મોદી હી …’ વાળું રટણ જાણે ચૂંટણીના રસાકસીના ખેલનો રસ ચુસીને એવો ઘોંઘાટ કરે છે કે હવે માથમાં વાગે છે. મોદી સરકાર આવે,  ન આવે, 400 બેઠકો સાથે ન આવે – કંઇ પણ થઇ શકે છે, મુદ્દો એ છે કે ચૂંટણીનો માહોલ એક તરફી બની ગયો છે, બનાવી દેવાયો છે અને એટલે જ બૂમ-બરાડા પાડતા કે ચર્ચામાં ઉગ્ર થઇ જનારા લોકો ભલે કોઇની પણ તરફેણમાં હોય પણ કોઇને પણ ચૂંટણની પ્રક્રિયામાં પહેલા જેટલો રસ રહ્યો નથી. હવે સુરતની જ વાત કરીએ તો 7મી મેએ ત્યાં મતદાનની તારીખ છે પણ શહેરને તો વગર ચૂંટણીએ સાંસદ મળી ગયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભા.જ.પા.ના મૂકેશ દલાલ મત ગણતરીના છ અઠવાડિયા પહેલા 2024ની ચૂંટણીના સૌથી પહેલા વિજેતા જાહેર કરાઇ દેવાયા છે. કાઁગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના મામલે જે થયું એ જગ જાહેર છે. ગાયબ, હાજર, રદ્દ જેવા શબ્દોથી આ કિસ્સાઓ વણાયા છે. સુરતના નવ ઉમેદવારોમાંથી આઠ જણાએ પોતાના નામ પાછા ખેંચી લીધા અને ભા.જ.પા.ને બગાસું ખાતા પતાસું આવ્યું.  હવે આ મામલે વિગતોનું પિષ્ટપેષણ નથી કરવું પણ સવાલ એમ થાય કે માળું મેચ રમાય એ પહેલાં વિજેતા ટીમ જાહેર થઇ જાય તો પછી આખા ખેલની પ્રક્રિયા કેટલી નકામી થઇ પડે. વળી આમાં સાચું નુકસાન હારેલી કે જીતેલી ટીમનું નથી પણ જે લોકો મેચની ટિકિટ લઇને બેઠા હતા એમનું છે એટલે કે નાગરિકોનું – આવામાં મતદાતાઓનું મહત્ત્વ શું અને કેટલું? વળી રમ્યા વગર જીતની ખુશી મનાવવાની ચૂંટણીના ઉમેદવારને પણ કેટલી મજા આવશે?

લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણીની મહત્તા ઘટતી દેખાય એનાથી મોટી ખતરાની ઘંટી બીજી કોઇ હોઇ જ ન શકે. વળી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવું પણ થયું છે કે લોકોએ મત આપીને ચૂંટેલી સરકાર હોવા છતાં ય સરકારો તોડી પાડવામાં આવી હોય. આ વર્ષની શરૂઆતમાં જ આપણે જોયુ કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતદાન અધિકારીએ હરીફ ઉમેદવારના મત ભા.જ.પા.ના ઉમેદવાર માટે ચોર્યા હતા. કેજરીવાલ પણ જેલમાં બેઠા છે. આ પહેલાં આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભા.જ.પા. વિરોધ પક્ષ ટકે જ નહીં એવી રીતે કામ કરે છે.

ઇંદિરા ગાંધી પણ માથા ભારે નેતા હતાં અને સરમુખત્યાર અભિગમ ધરાવતાં હતાં પણ તેમની સામે લડત આપનારા પ્રતિસ્પર્ધીઓ મજબૂત હતા, તેમને ખોખલા કરવા માટે રાજકારણીઓ છેલ્લે પાટલે જઇને નહોતા બેઠાં. મતદાન કેટલું થશે, મતોનો ઝૂકાવ જોવાની આતુરતા – ચૂંટણી વખતે એક અલગ પ્રકારની તાણ સર્જાતી. હવે તો સત્તા પક્ષે પોતાની જીત થવાની જ છે એમ ધારી લીધું છે. મોદીએ દક્ષિણમાં પોતાનો સિક્કો જમાવવા મહેનત કરી જ છે, એ કોઇ નકારતું નથી પણ માળું જેનું પરિણામ ખબર છે એ મેચની કોઇ ટિકિટ શું કામ લે? લોકો પોતાના મતને હળવાશથી લઇ રહ્યા છે એમ લાગે છે. વળી મતદાનની પ્રક્રિયાના પ્રશ્નો પણ છે. કોઇનું યાદીમાં નામ છે તો ફોટો કોઇ બીજાનો છે, કોઇનું નામ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરાવવાનું આવે તો ધીરજની કસોટી લેવાઇ જાય, યાદીમાં નામ હોવા છતાં મત આપવા જાય તો એ નામે મત અપાઇ ગયો હોવાનું પણ ગઇ ચૂંટણીમાં બન્યુ જ છે. ઇ.વી.એમ.ને લઇને નવા સવાલો છે. આ બધા ગુંચવાડાઓની વચ્ચે માળા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ છે. આ નિશાની છે કે ધીરે ધીરે ચૂંટણીનું મહત્ત્વ ઓછું થઇ રહ્યું છે. I.N.D.I.A. ગઠબંધનમાં ભેગાં થયેલા પક્ષ જ્યારે એમ દાવો કરે કે તેમને ડર છે કે 2024ની ચૂંટણી કદાચ ભારતની છેલ્લી ચૂંટણી હશે ત્યારે તેમની ઠેકડી ઉડાડવાને બદલે એકવાર તો આ વાત પર ગંભીરતાથી વિચાર કરવો જ જોઇએ.

માળું આ રશિયા જેવું ન થવું જોઇએ. દર વર્ષે ચૂંટણી થાય ખરી પણ પુતિનની જીત નક્કી જ હોય. મોટા ભાગના વિપક્ષી નેતાઓ ત્યાં કાં તો જેલમાં છે કાં તો તેમને દેશ નિકાલ કરવામા આવ્યા છે, કોઇની પર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મુકાયો છે તો કોઇ ઉમેદવારનું તો મૃત્યુ જ થઇ ચૂક્યું છે. તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં પુતિન 87 ટકા મત મેળીને જીત્યા અને પુતિનના સૌથી આકરા ટીકાકાર એલેક્સી નવલ્ની રહસ્યમય સંજોગોમાં જેલમાં મૃત્યુ પામ્યા.

એક તરફ રશિયામાં પુતિને પોતાની જાતને કાયમી પ્રમુખ જાહેર કરી દીધા છે બીજી તરફ 2024ની ચૂંટણી હજી પતી નથી અને સભાઓમાં નરેન્દ્ર મોદીએ 2047ની વાત કરવાની શરૂ કરી દીધી છે. ભા.જ.પા.ની નારેબાજી, પ્રચાર સામગ્રી બધામાં એક જ વ્યક્તિ કેન્દ્રમાં છે. મોદીના ટેકેદારો કે સમર્થકો પોતાની જાતને ગર્વથી ભક્ત ગણાવે છે. વ્યક્તિ પૂજાથી ચાલતા રાજકારણમાં લોકશાહી નથી બચતી. જો કે મારા મતે આ માટે મોદીનો વાંક કાઢવાને બદલે એ લોકોનો વાંક કાઢવો જોઇએ જે સત્તા પર બેસનારાઓને સવાલ કરવાનું છોડી દે છે. જે પોતાના મતાધિકાર, પોતાની લોકશાહીને હથેળીમાંથી રેતીની માફક સરકવા દે છે. કોઇ આટલું મોટું માથું બન્યું છે કારણ કે આપણે આવું થવા દીધું છે. આપણે આપણા રાજકારણીઓને, આપણા સત્તાધીશોની ચૂંટીએ છીએ એ ભૂલી જઇને ‘વાંસળીવાળો’ વાર્તામાં જેમ હતું એમ જે ધૂન સંભળાય છે એને સ્વીકારી લઇએ છીએ અને તેની પાછળ ચાલવા માંડીએ છીએ. ભૂલ આપણી છે પણ એ સમજવા માટે આંખ ખુલવાને હજી કેટલી હદે લોકશાહીનું પતન જોવું પડશે એ એક મોટો સવાલ છે. આમ થવા પાછળ ભા.જ.પા. કે નરેન્દ્ર મોદી કરતાં કંઇક ગણો વધારે વાંક આપણો, મતદાતાઓનો છે. આપણે ઘણું બધું ચલાવી લીધું છે, ચલાવી લઇએ છીએ, સવાલ કરવાની જરૂર નથી લાગતી.

લોકશાહીને માત્ર ચૂંટણી સાથે લાગેવળગે છે એમ નથી. લોકશાહીનું મૂલ્ય છે કારણ કે એ એકમાત્ર એવી સરકાર રચે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની ખાતરી આપી શકે છે. આ ત્રણ પાસાં ત્યારે જ સમાજમાં સ્થપાઇ શકે જ્યારે સત્તા પર પણ મર્યાદાઓ લદાઇ હોય. લોકોનું શાસન બંધારણ થકી થતું હોય છે, થવું જોઇએ – જેમાં તેમના મૂળભૂત હકો સચવાતા હોય છે. ચૂંટાયેલા નેતાઓને તેમના વહેવાર માટે જવાબદાર ઠેરવવામાં આવે છે – પછી તે સારો હોય કે ખરાબ. કમનસીબે અત્યારે આપણી પાસે આપણા મત સિવાય કશું જ બચ્યું નથી. આપણે નક્કી કરવું પડશે કે ભારતીયોને અગ્રિમતા આપતા સત્તાધીશો ચૂંટવા કે પછી ધ્રુવીકરણના રાજકારણને પસંદ કરતા સત્તાધીશો પસંદ કરવા.

વડા પ્રધાને મુસલમાનો વિશે જે પણ કંઇ સભામાં કહ્યું એ કોઇ પણ રાષ્ટ્રના પ્રમુખને શોભે એવું નહોતું જ. બીજી બાજુ વિદેશમાં તેમને ભારતની લોકશાહીની સ્થિતિ વિશે પુછાય છે ત્યારે તે ભોંઠા પડે છે. કાઁગ્રેસના મુદ્દાઓમાં દમ છે પણ ત્યાં મજબૂત ચહેરો નથી જેની પર લોકો વિશ્વાસ મૂકે. આપણી લોકશાહીની ઓળખ  સમો એક મહત્ત્વનો પ્રસંગ – ઉત્સવ કસ વગરનો, નિરસ થઇ ગયો છે. આપણો વોટ આપણું લોકતાંત્રિક શસ્ત્ર છે. શસ્ત્ર વાપરીએ, સારા ઉમેદવારને જીતાડીએ. એવા પક્ષ કે વ્યક્તિઓને આગળ કરીએ જે  સમાજમાં સમાનતા અને સ્વતંત્રતાને પ્રાધાન્ય આપતા હોય.

બાય ધી વેઃ 

ભા.જ.પા.એ સામે પક્ષે કોઇ બચે એવું કંઇ બહુ રાખ્યું નથી ત્યારે નાગરિકો કરતાં પોતાને ઉચ્ચ ગણતા પક્ષ અને સત્તાધીશોને મતાધિકારની શક્તિ બતાડવી જરૂરી છે. પડકારો ઓછા નથી પણ એનો અર્થ એવો પણ નથી કે પ્રતિકૂળ સંજોગોને વિસ્તરવા દેવાના. મતદાતાઓ પોતાનો મત કોઇને કેમ આપે છે એ એમણે પોતાની જાતને પૂછવાનો વખત આવી ગયો છે. તમારે એવી મેચના હિસ્સા કેમ થવું છે જેનું પરિણામ પહેલેથી જ ફિક્સ હોય. આપણી પાસે આ ખેલ બદલવાની ક્ષમતા છે તો તેનો ઉપયોગ કરવો જ જોઇએ. લોકશાહી તાજ છે, ગજવામાં મુકવાની પાવતી નથી. સત્તાને હાથવગી ગણનારા રાજકારણીઓને એ યાદ કરાવવાનો વખત આવ્યો છે કે તેમની જીતનું કારણ આપણે છીએ, તેમનો અહમ્‌ નહીં. મોંઘવારી, બેરોજગારી, ગરીબી આ પ્રશ્નોના નક્કર ઉકેલ મળવા જરૂરી છે, ધર્મને નામે દેકારા કરીશું તો સમસ્યાઓ નહીં ઉકેલાય – કોઇ વાદથી જવાબો કે ઉકેલ નથી મળતા માત્ર સમયનો વ્યય થાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

ભક્તનાં ટોળાં ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|5 May 2024

રમેશ ઓઝા

ભારતમાં ભક્તિપરંપરા પ્રાચીન છે. મોક્ષ માટે ત્રણ માર્ગ બતાવવામાં આવ્યા છે જેમાં જ્ઞાન (કેવળજ્ઞાન કે પરમજ્ઞાન) અને ધ્યાન (સાધના-ઉપાસના) ઉપરાંત ભક્તિનો પણ સમાવેશ થાય છે. તેના માટે યોગ વિશેષણ પણ વાપરવામાં આવે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ અને ધ્યાનયોગ. મૂળ ઇસ્લામમાં ઈશ્વર સાથે એકાકારનો અનુભવ કરનારી ભક્તિ નથી, એટલે સૂફી પરંપરા વિકસી હતી. મૂળભૂતવાદી મુસલમાનો સૂફીઓને ધિક્કારે છે, તેનું કારણ એ છે કે તેમના કહેવા મુજબ સાચો મુસલમાન ખુદાથી ડરનારો, તેની તાબેદારી સ્વીકારનારો, દાસ હોવો જોઈએ; ખુદા સાથે લાડ કરનારો, તેની સાથે તુંકારાનો સંબંધ રાખનારો અને તેની સાથે ઈશ્ક કરનારો ન હોવો જોઈએ. કવિ ઇકબાલ આવા એક સૂફી પરિવારમાંથી આવતા હતા એટલે તેમની શરૂઆતની રચનાઓ દ્વેષમુક્ત કે ચડિયાતાપણાથી મુક્ત એવી પ્રેમથી છલકાતી જોવા મળતી હતી. ઇકબાલની સારે જહાંસે અચ્છા તમે જાણો છો. પાછળથી ઇકબાલે ઇસ્લામનો અભ્યાસ કર્યો અને તેઓ સૂફી ઇસ્લામનો અને તમે એમ કહી શકો કે તેઓ ભારતીય ઇસ્લામના વિરોધી બની ગયા. તેમણે કહ્યું હતું કે સૂફી પરંપરા પર હિંદુ પ્રભાવ છે અને માટે બીદ્દત (માર્ગ ભૂલવો, ભટકી પડવું) છે. પછીના ઇકબાલ પાકિસ્તાનના શિલ્પકાર હતા.

આમ ભક્તિ હિંદુઓના લોહીમાં છે. તેની લાંબી પરંપરા છે. નારદનાં ભક્તિસૂત્ર તો બહુ જાણીતાં છે. બીજા દાર્શનિકોએ પણ ભક્તિનો મહિમા કર્યો છે. આધુનિક યુગમાં રામકૃષ્ણ પરમહંસે ભક્તિનો મહિમા કર્યો છે અને સાચા ભક્ત બનીને જીવ્યા છે. આપણા મધ્યકાલીન યુગને તો ભક્તિયુગ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાને ભક્ત નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે, આચાર્ય નરસિહ તરીકે નહીં. શંકર આચાર્ય તરીકે ઓળખાયા એટલે શાંકરવેદાંતીઓએ શંકરને વિજયી બનાવવા માટે શંકરદિગ્વિજયનો ઘટાટોપ રચવો પડ્યો અને એ પછી અનુવર્તી આચાર્યો અને તેમના અનુયાયીઓ આપસમાં જે બાખડ્યા છે તેનો લાંબો ઇતિહાસ છે. કેટલાક લોકોનો તો અભિપ્રાય છે કે આચાર્ય પરંપરાએ હિંદુઓનું અને ભારતનું નુકસાન કર્યું છે. જગત મિથ્યા છે, પણ હાથી આવે તો જીવ બચાવવા નાસી જવું જોઈએ. ના, હાથી પણ મિથ્યા હતો અને નાસી જવું પણ મિથ્યા હતું. આવી મલ્લીનાથી સદીઓથી ચાલતી આવી છે. શ્રમણ અને બ્રાહ્મણથી શરૂ કરીને આચાર્યો સહિતનાઓએ બાલની ખાલ ઊતારી છે. જો કે આજના યુગના મોટા વિચારક અમર્ત્ય સેન તો કહે છે કે એ આપણી વિમર્શ પરંપરા હતી. ભિન્ન મત ધરાવવાની અને મતને લઈને લડવાની મોકળાશ આપણે ત્યાં હતી જે હવે લુપ્ત થતી જાય છે.

પણ બાલની ખાલ ઉતારનારી, પ્રત્યેક શબ્દને પીંજી નાખનારી, પ્રતિદ્વંદ્વીનો જાન નહીં છોડનારી અને પાછો વિવાદ શિષ્યો દ્વારા વારસામાં આપી જનારી આ પરંપરા જોઇને અમર્ત્ય સેન ભલે રાજી થયા હોય, પણ કેટલાક લોકોને એમ લાગતું હતું કે આમાં ઈશ્વર તો હાથમાં આવતો જ નથી. ઈશ્વર એની જગ્યાએ છે અને તેને નામે ચાલતું બૌદ્ધિક ધીંગાણું બીજી જગ્યાએ છે. કેટલાક લોકોને એમ લાગ્યું કે ઈશ્વરે એક જ આયખું આપ્યું છે જે મૂલ્યવાન છે તે આવી મલ્લીનાથી કરવામાં ખર્ચવાનું કે પછી ઈશ્વર માટે ખર્ચવાનું? અને ઈશ્વર સાથે એકાકાર થવા માટે નથી બુદ્ધિની જરૂર, નથી તર્કશક્તિની જરૂર, નથી વાક્શક્તિની જરૂર, નથી અનુયાયીઓનાં સંખ્યાબળની જરૂર, નથી ગ્રંથોની જરૂર, નથી પંથોની જરૂર, નથી ભાષ્યકારોની જરૂર કે નથી કોઈના સમર્થનની જરૂર. સાવ એકલા અટુલા હોઈએ તો પણ શો ફરક પડે છે? ભક્તનાં ટોળાં ન હોય, ચોક્કસ વિચારધારામાં માનનારાઓનાં ટોળાં હોય.

ઓશોએ તેમના એક વક્તવ્યમાં બહુ સરસ પ્રસંગ ટાંક્યો છે. એકવાર એક નદીમાં પૂર આવ્યું. બે સાંઠીકડા તેમાં તણાઈ રહ્યા હતા. એક સાંઠીકડું પૂરથી બચવા માટે અને પોતાની જગ્યા પકડી રાખવા માટે આકાશપાતાળ એક કરતું હતું. દરેક ઉપાય અજમાવવતું હતું. બીજું સાંઠીકડું પાણી જ્યાં લઈ ત્યાં જવા તૈયાર હતું. મારી ચિંતા પૂર લાવનારે કરવાની છે, હું અહી હોઉં કે બીજે તેનાથી શો ફરક પડે છે. પહેલું લક્ષણ જ્ઞાનીનું છે, પણ સાચો જ્ઞાની. મારી જગ્યા અને મારો માર્ગ હું નક્કી કરીશ, બીજું કોણ જે મારી જગ્યા અને માર્ગ નક્કી કરે. તૂટી જઈશ, ખતમ થઈ જઈશ પણ જ્યાં સુધી કોઈની વાત ગળે ન ઉતરે ત્યાં સુધી કોઈને ય શરણે નહીં જઉં. બીજું લક્ષણ ભક્તનું છે. મારે શીદને ચિંતા કરવી જોઈએ! હું ક્યાં મારી ઈચ્છાથી આ દુનિયામાં આવ્યો છું. જેની ઈચ્છાનું હું પરિણામ છું એ ચિંતા કરશે. બન્ને પ્રામાણિક છે અને બન્ને શૂરવીર છે. એક સરખાં, ન કોઈ ઉપર ન કોઈ નીચે.

ભક્ત ચર્ચામાં નથી ઉતરતો, ભક્ત પ્રતિવાદ નથી કરતો. ભક્ત માત્ર ઈશ્વર સાથે અને પોતાની જાત સાથે સંવાદ કરે છે. ભક્તની ભક્તિ પ્રેમલક્ષણા હોય છે. ભક્ત નિ:શંક રહે છે. ભક્ત ધ્રુવ જેવો અચલ હોય છે એટલે ભક્ત ટીકાથી વિચલિત નથી થતો. ભક્ત નિર્ભય હોય છે. ભક્ત પોતાની મસ્તીમાં રહે છે. ભક્તની આંખમાંથી પ્રેમ વરસતો હોય છે અને બીજાનું દુ:ખ જોઇને કવચિત આંસુ. દ્વેષ અને કટુવચન શું કહેવાય એ ભક્ત જાણતો જ નથી હોતો. વિચારના પ્રદેશમાં એ પ્રવેશતો જ નથી, કારણ કે વિચારનો સ્વભાવ જ વાડા બનાવનારો અને વાડા અલગ કરનારો હોય છે. વિચારવાની તે આદત પણ કેળવતો નથી અને તેની કોઈ જરૂર પણ નથી હોતી. ભક્ત તેના ભગવાનનો રખેવાળ, ચોકિયાત કે તેનો ગુરખો બનીને જીવતો નથી કારણ કે તેને તેના ભગવાન પર ભરોસો હોય છે.

આ ભક્તનાં લક્ષણ છે અને ઓશોએ મારી જગ્યા હું નહીં છોડું અને છોડીશ તો મારી ઈચ્છાથી જ છોડીશ એવું સાંઠીકડાનું રૂપક આપીને કહ્યું એ જ્ઞાનીના લક્ષણ છે. માટે વિચારની ઉપાસના  કરવી હોય તો જ્ઞાનીના લક્ષણ જાણી લેવાં અને ભક્તિ કરવી હોય તો ભક્તનાં લક્ષણ જાણી લેવાં. અન્યથા ન સરખી ભક્તિ થાય કે ન બે વાક્યો કહેવા જેટલો વિચાર સાથ આપે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 મે 2024

Loading

...102030...711712713714...720730740...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved