
રવીન્દ્ર પારેખ
દેશમાં ચૂંટણી પ્રચારનું વાતાવરણ છે અને ગુજરાતમાં કાલે ચૂંટણી છે, બીજું એ કે વાત દિલ્હીની છે એટલે પણ ઘણાંનું એ તરફ બહુ ધ્યાન ન ગયું હોય, પણ સાવ બેધ્યાન રહેવાનો આ સમય નથી. આમ પણ કોઈને કોઈ ભીંસનારું પરિબળ ઉમેરાતું જતું હોય ત્યારે, બેધ્યાન રહેવાનું કોઈને જ ન પરવડવું જોઈએ. એ પણ છે કે રોજ જ સાવધાની તો ન રહે, છતાં વર્તમાન સમય આપણને તલવારની ધાર પર રાખનારો છે એ સમજી લેવાની જરૂર છે. આપણી અસાવધ પળ મુશ્કેલી વધારી શકે એ શક્ય છે. બધી જ સાવધાની છતાં, એકાદ નબળી પળ જોખમી બની શકે. ઘટના દિલ્હીની છે એટલે બીજા નગરોમાં એવું ન જ બને એવું નથી. એ ખરું કે ડરવા જેવું નથી, પણ ચેતવા જેવું તો છે જ !
એક તરફ ગુજરાત મે દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતું, ત્યારે દિલ્હી એન.સી.આર.માં સવારથી દોડધામ મચી ગઈ હતી. બન્યું હતું એવું કે વહેલી સવારે સ્કૂલો ચાલુ હતી ને ક્યાંક તો પરીક્ષા પણ હતી, એ દરમિયાન 200થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા. સ્કૂલોને ઇ-મેઈલ વિષે જેવી ખબર પડી કે દિલ્હી પોલીસ અને દિલ્હી ફાયર સર્વિસ(ડી.એફ.એસ.)ની દોડાદોડી વધી ગઈ. કેટલીક સ્કૂલોએ બાળકો ડરે કે ગભરાય નહીં એ રીતે ઘરે મોકલવાનું શરૂ કર્યું, તો પોલીસે ડોગ-બોમ્બ સ્કવોડની મદદ લેતાં પહેલાં, સ્કૂલો ખાલી કરાવીને સઘન તપાસ આરંભી. વાલીઓને ખબર પડતાં તેમનો જીવ તાળવે ચોંટ્યો. સ્કૂલોનો સ્ટાફ ચિંતાગ્રસ્ત ચહેરે ધબકતી પળોનો સામનો કરી રહ્યો હતો. પોલીસની તપાસને અંતે પણ ક્યાંયથી વાંધાજનક કઈં મળ્યું ન હતું. આમ તો ધમકી નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામની શાળાઓને પણ મળી હતી, પણ સ્થાનિક પોલીસે તેને ગણકારી ન હતી. દિલ્હી પોલીસે પણ છેવટે ધમકીને અફવા ગણાવી ને તે પછી સ્કૂલોએ તથા વાલીઓએ રાહત અનુભવી.
એ ખરું કે 200થી વધુ સ્કૂલોને ઇ-મેઇલથી ટાર્ગેટ કરાઇ હતી, એટલે પોલીસ તો તેને હળવાશથી લઈ શકે એમ હતું જ નહીં. પોલીસનું એન્ટિ ટેરર સેલ કામે લાગ્યું ને તેનું માનવું છે કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે, એટલે ઊંડી તપાસ થવી અનિવાર્ય છે. એટલું છે કે બધી શાળાઓને એક જ ઇ-મેઇલ sawariim@gmail.ru પરથી ગભરાટ ફેલાવવાના હેતુથી, રશિયાથી મોકલાયો હોવાનું પોલીસનું માનવું છે, તે એટલે પણ કે ઇ-મેઇલની ભાષા રશિયન છે. વળી ગુનેગારોએ ડાર્ક નેટનો ઉપયોગ કરીને ઓળખ છુપાવી છે, જો કે, 2023માં પણ દક્ષિણ દિલ્હીની એક શાળાને એ જ ઇ-મેઈલ આઈ.ડી.થી ધમકીનો મેઈલ મળેલો, પણ મોકલનાર ટ્રેસ થઈ શક્યો ન હતો. એ જોતાં 200 સ્કૂલોને મેઈલ મોકલનારને શોધવાનું સહેલું નથી. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની શંકા એવી પણ છે કે ઇસ્લામી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈ.એસ.)નો હાથ પણ આમાં હોઇ શકે, તેનું કારણ એ કે મેઈલ આઈ.ડી.માં એક શબ્દ sawariim છે, જેનો એક એરેબિક અર્થ આતંકી સંગઠન(આઈ.એસ.) થાય છે. જો કે, પોલીસે આઇ.પી.સી.ની કલમ 505(2), 507 અને 120(બી) હેઠળ કેસ નોંધ્યો છે.
આટલું ઓછું હોય, તેમ બિહારના રાજ્યપાલના રાજભવનમાં પણ બોમ્બ હોવાની ધમકી ઇ-મેઇલથી મોકલવામાં આવી હતી. તપાસને અંતે એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ. એનો ઇ-મેઈલ પણ ક્યાંથી આવ્યો એની ખરાઈ કરાઇ રહી છે. વધુ વિગતો તો તપાસ દરમિયાન બહાર આવશે, પણ જે બન્યું અને જે નથી બન્યું એ સંદર્ભે આખા દેશે સતર્ક થવાની જરૂર છે. સારું છે કે પરિણામ અફવામાં આવ્યું, પણ અફવા છે એવું સાબિત થાય તે પહેલાંના સમયે દિલ્હી અને એન.સી.આર.ના ધબકારા તો વધારી જ દીધા હતા. આમ તો કોઈ આતંકી સંગઠને ઇ-મેઇલની જવાબદારી લીધી નથી, પણ જે સંકેતો મળ્યા છે, તેના છેડા આંતરરાષ્ટ્રીય રમત તરફ નીકળે તો નવાઈ નહીં, એ ખરું કે ઈ-મેઈલ મોકલનારે ઓળખ છતી ન થાય એની કાળજી લીધી જ છે, એટલે પોલીસને આ મામલે પરસેવો પડવાની પૂરી શક્યતા છે.
યાદ રહે, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. બિહારના રાજભવનની ઘટના તો સમાંતરે ઘટી જ છે, એ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન સહિત 103 સરકારી બિલ્ડિંગોમાં બોમ્બ મુકાયાનો ઇ-મેઈલ ગયા મંગળવારની જ વાત છે. એ જુદી વાત છે કે એ સ્કૂલો ન હોવાને કારણે, એની આટલી હોહા નથી થઈ. સ્કૂલોની વાત કરીએ તો એપ્રિલની શરૂઆતમાં કોલકાતામાં પણ આ જ રીતે લગભગ 200 સ્કૂલોમાં બોમ્બ મુકાયાની અફવા ફેલાવવામાં આવી હતી. એ અગાઉ ચેન્નાઈમાં ફેબ્રુઆરીમાં 13 સ્કૂલો ટાર્ગેટ કરાઇ હતી ને એ ધમકી પણ અફવા જ પુરવાર થઈ હતી. ગયા જાન્યુઆરીમાં મુંબઇમાં જુદી જુદી આઠ જગ્યાએ બોમ્બ મુકાયાના ઇ-મેઈલ મોકલાયા હતા અને પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ એકથી વધુ મહાનગરોમાં આ રીતે ઇ-મેઈલ મોકલવાનો હેતુ શો હોઇ શકે એનું ગણિત સમજવા જેવું છે.
એ વાત સ્પષ્ટ છે કે અફવાઓ ફેલાવીને તંત્રોને અને જે તે સંસ્થાઓને ધંધે લગાડવાનો ઇરાદો આવા ઇ-મેઇલનો હોય છે. આવા વારંવારના ઇ-મેઈલ દ્વારા તે અફવા છે એવું પાકું થાય તે પહેલાં સમય, સાધનો ને સંપત્તિનો વ્યય કરાવીને તંત્રોને થકવવાનો અને પ્રજાને ડરાવવાનો હેતુ પણ ખરો જ ! વારુ, જેમને ટાર્ગેટ કરાય છે, એ બાળકો, વાલીઓ, સંબંધિત લોકો વગેરેમાં જે ભયનું વાતાવરણ ફેલાય છે, એની અસર લાંબો સમય જે તે વ્યક્તિને રહે છે. ઘણાંને તો કાઉન્સેલિંગની જરૂર પણ પડે છે. આમાં ઇ-મેઈલ મોકલનારનો ઇરાદો, લોકોના ભયમાંથી પાશવી આનંદ લેવાનો ન જ હોય એવું પણ કહી શકાય નહીં. ક્યારેક પરિણામની કલ્પના જ ન હોય ને ઇ-મેઈલ મોકલનાર એમ જ ગમ્મત કરતા હોય એમ પણ બને. હજી સ્કૂલોના ઇ-મેઇલનો નિકાલ નથી લાગ્યો, ત્યાં ગુરુવારે એક ઑર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેઈલ દિલ્હી પોલીસ આયુક્તને મોકલાયો છે. પોલીસે તપાસ કરી તો કૈં ન મળ્યું, પણ તે ઇ-મેઈલ કરનાર સુધી પહોંચી તો ખબર પડી કે તે મોકલનાર એ જ સ્કૂલનો આઠ વર્ષનો વિદ્યાર્થી છે ને તેણે મોબાઈલ પરથી ઇ-મેઈલ મોકલ્યો હતો. તેને પૂછતાં તે બોલ્યો કે તેણે તો ગમ્મત ખાતર જ ઇ-મેઈલ મોકલ્યો હતો. હવે એને સજા પણ શું થાય? તેને માટે ગમ્મત હતી ને પોલીસને માટે ત્રાસદાયક દોડધામ !
આ તો એક બાજુ થઈ, પણ કોઈ દુ:શ્મન કાવતરું કરે તો એની કૈં અગાઉથી ખબર પડતી નથી. મેસેજ કે ઇ-મેઈલ અફવા છે એવું સાબિત ન થાય ત્યાં સુધી તો પોલીસ ક્યાં ય ઢીલ રાખી શકે નહીં. બીજું, કે ઘણાં મહાનગરોએ ભયંકર લોહિયાળ હુમલાઓ વેઠ્યા છે, એટલે પોલીસને ઢીલ રાખવી પરવડે પણ નહીં. આતંકી સંગઠનો તો કોઈ પણ રીતે હુમલો કરવા ઇચ્છતા જ હોય છે. એ પણ એવી રમત કરતાં હોય તો નવાઈ નહીં કે અફવાઓ ફેલાવી ફેલાવીને લોકોમાં એવી સ્થિતિ ઊભી કરવી કે ખરેખર કાવતરું હોય તો પણ, લોકો તેને અફવા ગણવા પ્રેરાય ને તેનો લાભ આતંકીઓ ઉઠાવે. દેશમાં ચૂંટણી, ક્રિકેટ, પડોશી દેશોની મેલી મુરાદ, કાળઝાળ ગરમી, પાણીની તંગી, ભયંકર આગ જેવી અનેક ઘટનાઓમાં લોકો વ્યસ્ત હોય, ત્યારે આતંકી પરિબળો વધુ સક્રિય થઈ ઊઠે એ શક્ય છે. હજી તો આ કલ્પના ચાલે જ છે ને તે એક દિવસ પણ ટકે એ પહેલાં તે હકીકતમાં ફેરવાઇ ગઈ ! દિલ્હી અને અન્ય મહાનગરો ધમકીને અફવા ગણે ન ગણે ત્યાં તો કાશ્મીરનાં પૂંછમાં શનિવારની સાંજે એરફોર્સના જવાનો પરના આતંકી હુમલામાં પાંચ જવાનો ઘાયલ થયા છે, જેમાંના એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ને એકની હાલત ગંભીર છે. બને કે અફવાઓનું વાતાવરણ ઊભું થવા દઈને આતંકીઓ ઓચિંતો હુમલો કરીને વધુ નુકસાન પહોંચાડવાનું આવું કાવતરું કરતાં હોય. એ જે હોય તે, પણ દેશની પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. આવામાં આપણે ભૂલમાં પણ અફવા ફેલાવીને લોકોને ભયભીત કરવાનું કે પોલીસને દોડતી રાખવાનું પાપ ન કરવું જોઈએ. ન જ કરવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 મે 2024
![]()



માઈકલ નેગલર બર્કલી વિશ્વવિદ્યાલયના શિષ્ટ સાહિત્યના માનદ્દ પ્રાધ્યાપક છે, જ્યાં તેમણે ‘પીસ અને કોન્ફ્લિક્ટ સ્ટડીઝ પ્રોગ્રામ’ની રચના કરીને ઉચ્ચ કક્ષામાં અહિંસા વિષય પર શિક્ષણ આપ્યું. તેઓ મેટા સેન્ટર ફોર નોનવાયોલન્સના સ્થાપક છે અને ધ સર્ચ ફોર નોન વાયોલન્ટ ફ્યુચર, ધ નોન વાયોલન્સ હેન્ડબુક, અને થર્ડ હાર્મની : નોન વાયોલન્સ એન્ડ ધ ન્યુ સ્ટોરી ઓફ હ્યુમન નેચર જેવાં પુસ્તકોના લેખક પણ છે. માઈકલ નેગલરને ભારત બહાર ગાંધીમૂલ્યોના પ્રસાર માટે જમનાલાલ બજાજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે યુનાઇટેડ નેશન્સ, અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સભાઓમાં વક્તવ્યો આપ્યાં છે. તેઓ 1970ની સાલથી બ્લ્યુ માઉન્ટન સેન્ટર ઓફ મેડિટેશન આશ્રમ – ઉત્તર કેરોલાઇના ખાતે નિવાસ કરી રહ્યા છે.