Opinion Magazine
Number of visits: 9457393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપક્ષોને એ ખબર છે કે દેશનો વડાપ્રધાન કોઈ એક જ બને છે…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 January 2024

રવીન્દ્ર પારેખ

I N D I A- 28 વિપક્ષોનું જોડાણ થયું ત્યારે એમ લાગેલું કે આ બધા એક થઈને ભા.જ.પ.ને પડકારી શકશે ને લોકસભાની 2024ની ચૂંટણીમાં શાસક પક્ષને પરસેવો પડાવશે, પણ અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે 2024ની ચૂંટણી પછી ભા.જ.પ. જ સત્તા પર આવે તો નવાઈ નહીં ! વિપક્ષો I N D I Aને રિપ્રેઝન્ટ કરતાં હોય તો પણ, જે તે પક્ષ પોતાનો કક્કો ખરો કરવાનું ચૂકતો નથી. પેશીની જેમ બધા સાથે તો થાય છે, પણ તેનું આખું સંતરું બનતું નથી. I N D I A નામ રાહુલ ગાંધીએ આપ્યું ત્યારે આવું સૂચક નામ આપવા બદલ ખુશી વ્યાપેલી. એ નામથી એટલું તો થયેલું કે શાસકોને ‘ભારત’ શબ્દ આગળ કરવાનું કારણ મળેલું.

કોણ જાણે કેમ, પણ એક મજબૂત વિપક્ષ તરીકે કાઁગ્રેસને ઊભા થવાનું સૂઝતું નથી. રાહુલ ગાંધી એકંદરે સક્રિય જણાય છે, પણ તે ય ચૂંટણીલક્ષી સામૂહિક પ્રયત્ન તો નથી જ ! ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની થઈ, પણ તે અન્ય વિપક્ષોની યાત્રા પણ બની હોત તો તેની અસર વધુ વ્યાપક હોત. બધા વિપક્ષોએ સાથે મળીને શાસકોને પડકારવાના હોય, તેને બદલે, એ એકબીજાને જ પડકારતા રહેતા હોય એવી સ્થિતિ વધારે છે. રામમંદિર કે 370 નાબૂદી જેવી સફળતા વિપક્ષો પાસે નથી. દેશ ભલે ત્રીજા નંબરની વૈશ્વિક ઈકોનોમી બનવાની ક્ષમતાથી દૂર હોય તો પણ, 80 કરોડ જનતાને મફત અનાજ પહોંચાડવાનું શાસકો ચૂક્યા નથી, તો એ 80 કરોડ પ્રજા સરકારથી એવી નગુણી તો કેવી રીતે થાય, જેણે એનું પેટ પાળ્યું હોય? એ ખરું કે વિપક્ષો પાસે સત્તા નથી, એટલે એ પ્રજાલક્ષી પ્રોજેકટો ન કરી શકે, પણ 28 વિપક્ષો એક છે એવો અવાજ તો ઊભો કરી શકેને ! એવું પણ ખાસ થયું નથી. રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં હવે ન્યાયયાત્રા મણિપુરથી મુંબઈની કરવા માંગે છે. એ યાત્રા પણ રાહુલની કે કાઁગ્રેસની જ હોય એવી હવા છે, તો બાકીના વિપક્ષો એમાં જોડાય તો હવામાન બદલાય એવું, નહીં?

ઘણીવાર તો સવાલ થાય છે કે વિપક્ષો જીતવા માંગે છે કે ભા.જ.પ.ને જિતાડવા માંગે છે? બધા જ વિપક્ષો ભા.જ.પ.ને પછાડવા માંગે છે, પણ પરિણામ એકબીજાને પછાડવામાં આવે છે. એવું એટલે લાગે છે કે બધા સાથે છે, પણ I N D I Aનાં બેનર હેઠળ એક થયેલા જણાતા નથી. એક બાબત તમામ વિપક્ષોએ સમજી લેવાની રહે કે અંગતતા છોડીને વ્યાપકતા તરફ નજર નહીં દોડે તો વિપક્ષો છે ત્યાં જ રહેશે. વિપક્ષોની બેઠકો ભલે થતી રહે, પણ ભા.જ.પ.નો કાંગરો ય ખરે એમ નથી. સાચું તો એ છે કે વિપક્ષો ભા.જ.પ.ને પહોંચી વળે એમ જ નથી. ભા.જ.પ.માં મતભેદો ને વિચિત્રતાઓ નથી એવું નથી, પણ ત્યાં મોદી સિવાય કોઈને આગળ કરવાની કલ્પના પણ નથી, જ્યારે વિપક્ષોમાં બધા જ નેતા થવાની સ્પર્ધામાં છે. નેતા હોય તેની પણ ના નથી ને બધા ટિકિટને લાયક હોય તો પણ, ક્યાંક તો અટકવું પડશેને ! વિપક્ષોની સૌથી મોટી મર્યાદા તેમનામાં સંયમ અને સંપનો અભાવ છે એ છે.

એ દુ:ખદ છે કે દરેક વિપક્ષ ભેગા મળીને કોઈ એક સ્પષ્ટ નીતિ કે વ્યક્તિ જાહેર કરી શકતા નથી ને પોતાની સ્પર્ધા કોની સાથે છે ને પોતે કેટલી સીટ પર લડી ચૂક્યા છે એનો ભૂતકાળ ઉખેળવામાંથી જ ઊંચા નથી આવતા. કાઁગ્રેસ 2024ની ચૂંટણીમાં 291 બેઠક પર એકલે હાથે લડવા માંગે છે ને 85 સીટ પર I N D I Aનો સહયોગ ઈચ્છે છે. દેખીતું છે કે કાઁગ્રેસ સૌથી વધુ સીટો પર એકલે હાથે લડવા માંગે તો બીજા પક્ષોને પણ એવો લોભ હોય જ, તેઓ પણ ઈચ્છે કે કાઁગ્રેસ પોતાને માટે વધુ સીટ છોડે. મમતા બેનર્જી કહે છે કે પશ્ચિમ બંગાળમાં TMCની ટક્કર સીધી ભા.જ.પ. સાથે છે ને TMC રાજ્યમાં એકલી જ લડવા માંગે છે. બીજી તરફ I N D I A દેશમાં બધી સીટો પર સાથે લડવાની વાત કરે છે, પણ સાથે લડવાનું વલણ જણાતું નથી.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ ને પ્રવક્તા સંજય રાઉત કહે છે કે લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 સીટો પર લડતી આવી છે. શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે એવું રાઉત કહે છે, પણ 2019ની ચૂંટણીમાં ભા.જ.પ.ને 23 અને શિવસેનાને 18 સીટ મળી હતી. કેજરીવાલે પંજાબની બધી જ 13 સીટ માંગી છે, પણ કમાલ એ છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં આપને 1 જ સીટ મળી હતી. દિલ્હીની કુલ સાત સીટ છે, પણ 2019માં બધી જ સીટ ભા.જ.પ.ને મળી હતી અને આપ કે કાઁગ્રેસનું તો ખાતું પણ ખૂલ્યું ન હતું. એ જ રીતે મધ્ય પ્રદેશમાં 29માંથી 28 સીટ ભા.જ.પ.ને મળી હતી ને કાઁગ્રેસને સમ ખાવા પૂરતી 1 સીટ મળી હતી, તો ઉત્તર પ્રદેશમાં 80માંથી ભા.જ.પ.ને 62, બ.સ.પા.ને 10, સ.પા.ને 5 અને કાઁગ્રેસને માત્ર એક સીટ મળી હતી ને બિહારમાં 40માંથી 17 ભા.જ.પ.ને, 16 જે.ડી.યુ.ને, લો.જ.પા.ને 6 અને કાઁગ્રેસને 1 સીટ 2019ની લોકસભા ચૂંટણીમાં મળી હતી.

તાત્પર્ય એ છે કે બધે જ ભા.જ.પ. મોખરે હોય તો 28 વિપક્ષો સીટની ખેંચાખેંચ કરે કે સૌથી મોટી પાર્ટીનો દાવો કરે તો તે કેટલે અંશે યોગ્ય છે? કાઁગ્રેસ પોતે મોટી પાર્ટી હોય તો પણ તેનો દેખાવ છેલ્લી ચૂંટણીમાં કંગાળ રહ્યો છે. હકીકત એ છે કે ભા.જ.પ. સામે તમામે તમામ વિપક્ષોનો છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં દેખાવ નબળો રહ્યો છે ને 2024માં ભા.જ.પ.ને ટક્કર આપવી હોય તો તે મુજબની સ્ટ્રેટેજી નક્કી કરવી પડે, પણ એવું કશું જણાતું નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી પણ ભા.જ.પ.ને ટક્કર આપી શકે એવાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો નથી. પાંચમાંથી 3 રાજ્યો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા.જ.પ.નો વિજય થયો છે ને તેલંગાણામાં કાઁગ્રેસ જીતી છે.

આમ ચૂંટણી જીતવાના ઠેકાણાં નથી, પણ વડા પ્રધાન પદ માટે વિપક્ષોની દાવેદારી શરૂ થઈ ગઈ છે. કાઁગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે, જે.ડી.યુ.ના નીતીશકુમાર, બ.સ.પા.નાં માયાવતી, આપના કેજરીવાલ, તૃણમૂલ કાઁગ્રેસનાં મમતા બેનર્જી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનાં નામ આગળ કરાયાં છે. એન.સી.પી.ના શરદ પવાર ભેદી છે ને રહેશે. એ વિપક્ષોની સાથે છે કે એન.ડી.એની. સાથે તે નક્કી નથી, પણ એ તો લાભ હશે ત્યાં જ લોટશે એ નક્કી છે. 2014 અને 2019માં નાલેશીભરી હાર વેઠી હોય છતાં, વિપક્ષોને અહંકારને કારણે આત્મમંથન સૂઝતું નથી તેનું આશ્ચર્ય છે.

થોડા વખત પહેલાં I N D I A ગઠબંધનની મીટિંગમાં મમતાએ વડા પ્રધાનપદના ચહેરા તરીકે ખડગેનું નામ સૂચવ્યું એને આપના ટેકા સહિત બારેક પક્ષોએ ટેકો આપ્યો, પણ બાકીના પક્ષોએ આનાકાની કરી ને વાત આગળ ના વધી. નીતીશ અને શરદ પવાર છણકાયા. ખડગેનું નામ ચાલવું જોઈતું હતું, કારણ તેમની દક્ષિણના રાજ્યોમાં સારી એવી પકડ છે. કમ સે કમ કર્ણાટક અને તેલંગાણામાં કાઁગ્રેસનું ગાડું તો ગબડ્યું જ છે. એ નામ ન હોય તો ભલે, પણ કોઈ એક નામ સર્વ સંમતિથી કે બહુમતીથી એવું નક્કી નથી થઈ શકતું જે આખા I N D I A – ગઠબંધનને પ્રસ્તુત કરી શકે. એને બદલે 28 પક્ષો 28 નામ રજૂ કરવાની બાલિશતા ધરાવે, તો એમને એ નથી ખબર કે દેશનો વડા પ્રધાન તો એક જ હોય છે, 28 નહીં. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં યોગ્ય રીતે જ પુછાયું છે કે INDIA ગઠબંધન માટે સંયોજકનો ચહેરો કયો છે? મોદીની સામે ધરી શકાય એવું નામ કયું છે? એનો જવાબ વિપક્ષો પાસે નથી.

એ જરૂરી નથી કે વડા પ્રધાનપદ માટે કોઈ ચહેરો હોવો જ જોઈએ, પણ આટલા બધાં નામ વિપક્ષો ફોડતાં હોય ને એ બધા જ કૈં વડા પ્રધાન થઈ ન શકે, એ સ્થિતિમાં બધા પક્ષોને આશ્વસ્ત કરી શકે એવું એકાદ નામ તો હોવું જોઈએ, કારણ, ન કરે નારાયણ ને વિપક્ષો સત્તા પર આવ્યા તો આ બધા ચહેરા એટલું બખડજંતર કરશે કે ફરી ચૂંટણીનું બ્યૂગલ વાગે તો આશ્ચર્ય ન થાય. આવી ભાંજગડથી થાય છે એવું કે દેશ આખામાં વિપક્ષો વચ્ચે કેટલી સમજૂતી ને સંપ છે, એ બહાર આવે છે. પ્રજા આ બધું જુએ છે. તે મૂર્ખ નથી. તેને ખબર પડે છે કે વિપક્ષોથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી, એટલે વધારે સાહસ કરવાનું પડતું મૂકીને તે, જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવે છે.

વિપક્ષો એક મત ન થાય ત્યાં સુધી ભા.જ.પ.ને વાંધો આવે એમ નથી. કોઈ ચમત્કાર જ તેને સત્તાથી દૂર રાખે એમ બને. વિપક્ષો કુસંપને કારણે હારે ને ભા.જ.પ. સંપને કારણે જીતે એમ બને …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જાન્યુઆરી 2024

Loading

સત્તાભૂખ્યો શાસક તો એક દિવસ વિદાય લેશે અને સત્તા છોડશે, પણ રાજ્ય ગુમાવ્યા પછી તેને પાછું મેળવવું આસાન નથી હોતું

રમેશ ઓઝા|Opinion - Opinion|31 December 2023

રમેશ ઓઝા

જ્યારથી પ્રજાને સત્તામાં ભાગીદાર બનાવવાનું શરૂ થયું છે ત્યારથી પ્રજાને મેનેજ કરવાનું પણ શરૂ થયું છે. લોકોને મેનેજ કરી શકાય, જૂઠ બોલવાથી. લોકોને મેનેજ કરી શકાય, સપનાં બતાવીને. લોકોને મેનેજ કરી શકાય, ભ્રમમાં રાખીને. લોકોને મેનેજ કરી શકાય, શ્રેષ્ઠતાનો કેફ ચડાવીને. લોકોને મેનેજ કરી શકાય, ડરાવીને અને દબાવી રાખી ને. જ્યાં સુધી લોકતંત્ર નહોતું ત્યાં સુધી પ્રજાનો કોઈ રાજકીય ખપ નહોતો. પ્રજા રૈયત હતી અને રાજા જીવાડે એમ જીવતી હતી. રાજા પોતાનાં ધર્મની કે કુળની કે વંશની પ્રજાની તરફેણ કરે તો એ સહજ સમજવામાં આવતું હતું. પરધર્મી કે પરવંશીને એમાં કાંઈ અજુગતું નહોતું લાગતું. રાજા જો વધારે પડતો પક્ષપાતી અને જુલ્મી અથવા ગમાર હોય તો લોકો વધુમાં વધુ નવો રાજા ભલો અને સમજદાર મળે એ માટે પ્રાર્થના કરતા. આનાથી વધુ પ્રજા કાંઈ કરી શકતી નહોતી. પ્રજા એક જગ્યાએ હતી અને સત્તા અને શાસન બીજી જગ્યાએ હતાં. જેમ ઈશ્વર પહોંચની બહાર હતો એમ રાજવી પણ પ્રત્યક્ષ હોવા છતાં પહોંચની બહાર હતો.

પણ પછી આધુનિક યુગમાં લોકશાહી પદ્ધતિ વિકસી જેમાં પ્રજાની સત્તામાં ભાગીદારી હોય, શાસક પ્રજાને જવાબદાર હોય, શાસન પ્રજાલક્ષી હોય, પ્રજા પાસે શાસકને શાસનમાંથી હટાવવાનો અધિકાર હોય અને શાસકે દર બાંધી મુદ્દતે શાસન કરવાની અનુમતિ પ્રજા પાસેથી લેવાની હોય એવી જોગવાઈ કરવામાં આવી. હવે ક્લ્પના કરો કે આ પ્રજા શાસક માટે કેટલી માથાનાં દુઃખવારૂપ લાગતી હશે! માત્ર એક મતની મૂડી ધરાવનાર મુફલીસને લાડ લડાવવાના. વળી આનાથી બચવાનો કોઇ માર્ગ પણ નથી. એમાં જો લોકતંત્ર બંધારણીય ચૂસ્ત હોય તો પ્રજાનાં વધારે નાટક સહન કરવાનાં. જ્યાં લોકતંત્ર નામ માત્ર પણ નથી એવા દેશોએ પણ આજનાં યુગમાં બાંધી મુદ્દતે ચૂંટણી યોજવાનું નાટક કરવું પડે છે. આજે દુનિયામાં બહુ ઓછા દેશો બચ્યા છે જ્યાં બિલકુલ ચૂંટણી ન યોજાતી હોય. રશિયામાં, ચીનમાં અને બીજા તાનાશહી દેશોમાં પણ ચૂંટણી યોજાય છે.

આ બાજુ શાસકો ત્રણ પ્રકારના હોય છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે પણ આ ત્રણ પ્રકારના શાસકો હતા અને આજે લોકશાહી ધરાવતા દેશોમાં પણ આ ત્રણ પ્રકારના શાસકો મળે છે. આ ત્રણ પ્રકારમાં પહેલો પ્રકાર છે; પ્રજાવત્સલ શાસકોનો. લોકશાહી નહોતી ત્યારે પણ પ્રજાવત્સલ રાજવીઓ હતા. તેઓ પ્રજાની મરજીનું ધ્યાન રાખતા અને પ્રજાનાં કલ્યાણને વરેલા હતા. બીજો પ્રકાર હતો અને છે સત્તાનો મોહ અને મદ ધરાવનારા શાસકો. તેમનું ચાલે તો તેઓ ક્યારે ય સત્તા છોડે નહીં, પણ મૃત્યુ સામે તેઓ બિચારા લાચાર હોય છે. આવા લોકો મૃત્યુ પર્યંત સત્તા પર બેસી રહેવા આકાશપાતાળ એક કરતા હોય છે અને માટે કેટલાક શાસકો પોતાને આજીવન શાસક ઘોષિત કરતા હોય છે. રશિયાના વ્લાદિમીર પુતિને પોતાને આજીવન શાસક ઘોષિત કર્યા છે. ત્રીજા પ્રકારના શાસકો એવા હતા અને છે જે એમ માને છે કે પ્રજાએ ચોક્કસ રીતે જ જીવવું જોઈએ. તેમની ખાસ વિચારધારા હોય છે અને પ્રજાએ એ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એવો તેમનો આગ્રહ હોય છે. જો શાસકોની ચોક્ક્સ વિચારધારા સ્વીકાર્ય ન હોય એવા નાગરિકોએ ઓરમાયા વર્તનનો સ્વીકાર કરવો જોઈએ.

અત્યારનાં લોકશાહી દેશોમા (અને લોકશાહી નહોતી એ યુગમાં પણ) મર્યાદામાં માનનારા શાસકો એક લક્ષમણરેખા દોરતા હતા. બને ત્યાં સુધી લાંબામાં લાંબો સમય તેઓ શાસન કરવા ઈચ્છતા હોય છે અને એ માટે પ્રજાને સાચાં ખોટાં વચનો આપવાં, સપનાંઓ બતાવવાં, પોતાને અત્યંત લાયક તરીકે પ્રોજેક્ટ કરવા વગેરે માર્ગ તેઓ અપનાવતા હોય છે, પણ એ પછી પણ જો પ્રજા જાકારો આપે તો તેને તેઓ સ્વીકારી લે છે. પ્રજાને રીઝવવાનો એક હદ સુધી પ્રયાસ કરે છે પણ ગમે ભોગે સત્તા નહીં છોડવાની લક્ષમણ રેખા તેઓ ઓળંગતા નથી. પરાજય અને સત્તાત્યાગ તેમને વસમાં જરૂર લાગે છે પણ તેઓ લોકતંત્રની મર્યાદાઓનું પાલન કરે છે.

બીજા પ્રકારના સત્તાભૂખ્યા શાસકો લોકતાંત્રિક અને સભ્યતાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. જ્યારે લોકશાહી નહોતી ત્યારે સત્તા માટે ભાઇ ભાઈની હત્યા કરતો હતો અને ભવિષ્યમાં સિંહાસન માટે કોઈ દાવો ન કરે એ માટે પરિવારની અંદર બાળકોની હત્યાઓ કરાવામાં આવતી હતી. સત્તાનો નશો તેમની પાસે હિન કૃત્યો કરાવતો હતો. લોકશાહી દેશોમાં સત્તાભૂખ્યા શાસકો પ્રજાને આંજવાની કોશિશ કરીને અને જે ન અંજાય તેને ડરાવી રાખીને સત્તા પર વળગી રહે છે. તેઓ ધીરેધીરે પ્રતિસ્પર્ધીઓને ખતમ કરે છે અને એક દિવસ બંધારણ બદલીને પ્રતિસ્પર્ધીઓને કાયમ માટે સત્તાકીય રાજકરણમાંથી બહાર ફગાવી દે છે. તેમનું બંધારણીય અસ્તિત્વ જ ખતમ કરી નાખવામાં આવે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવામાં આવે. સત્તાભૂખ્યા શાસકોની કેવળ અંગત ભૂખ હોય છે. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેની સત્તાની ભૂખ સંતોષાવાની નથી. એટલું સારું છે કે ઈશ્વર પાસે તેનું કાંઈ ચાલતું નથી એટલે એક દિવસ તે મૃત્યુને ભેટે છે અને પ્રજાનો છૂટકારો થાય છે.

પ્રજાએ ચોક્કસ વિચારધારાને સ્વીકારવી અને અપનાવવી જોઈએ એમ માનનારા ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધ્ય નથી હોતી, સાધન હોય છે. બીજા અને ત્રીજા પ્રકારમાં આ મૂળભૂત ફરક છે. બીજા પ્રકારના શાસકો માટે સત્તા જ સર્વસ્વ હોય છે, જ્યારે ત્રીજા પ્રકારના શાસકો માટે સત્તા સાધન હોય છે. સર્વસ્વ તો વિચારધારા હોય છે. હા, એ વાત જૂદી છે કે તેઓ પણ યેનકેન પ્રકારેણ સત્તાને વળગી રહે છે અને સત્તા હાથમાંથી ન જાય એ માટે બધું જ કરી છૂટે છે, પણ એની પાછળનો હેતુ સત્તા કબજે કરવાનો નથી હોતો, રાજ્ય કબજે કરવાનો હોય છે. આ ફરક પણ સમજી લેવા જેવો છે. સત્તા કબજે કરવી અને રાજ્ય કબજે કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. રાજ્ય કબજે કરવામાં સમય લાગે છે, આ લાંબી પ્રક્રિયા છે અને માટે લાંબો સમય સુધી સત્તામાં રહેવું જરૂરી છે.

રાજ્ય એટલે રાજ્યની નીચેથી લઈને ઉપર સુધીનું સંપૂર્ણ વહીવટીતંત્ર. રાજ્ય એટલે રાજ્યની પ્રત્યેક શાસન સંસ્થાઓ. રાજ્ય એટલે રાજ્ય દ્વારા માન્ય કરવામાં આવેલું શિક્ષણ અને શિક્ષણસંસ્થાઓ. રાજ્ય એટલે રાષ્ટ્રીય સુરક્ષાની અવધારણા, સંરક્ષણ અને સૈન્ય. ટૂંકમાં ચોક્કસ વિચારધારા રાજ્યનો કબજો લે એ માટે સત્તાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બહુમતી પ્રજાને મહાનતાનો અમલ પીવડાવતા રહીને રાજ્ય પર કબજો કરી શકાય છે. આવું સામ્યવાદી દેશોમાં જોવા મળ્યું હતું અને આવું મુસ્લિમ દેશોમાં પણ જોવા મળ્યું હતું. અત્યારે હવે બીજા દેશોને પણ એનો અનુભવ થઈ રહ્યો છે. સત્તાભૂખ્યો શાસક તો એક દિવસ વિદાય લેશે અને સત્તા છોડશે, પણ રાજ્ય ગુમાવ્યા પછી તેને પાછું મેળવવું આસાન નથી હોતું. એમાં સત્તામાં બેઠેલાઓનું લક્ષ સત્તા નથી હોતું, વિચાર હોય છે. લડત લાંબી હોય છે અને અઘરી પણ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 31 ડિસેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—229

દીપક મહેતા|Opinion - Opinion|31 December 2023

ચાલો જોવા જઈએ આજે 

મુંબઈનો કિલ્લો, કિલ્લાની બજાર, બજારની દુકાનો               

આજે આપણે મુંબઈના ફોર્ટમાં લટાર મારવાના છીએ. આજના નહિ, ૧૮૩૧ના મુંબઈ શહેરના ફોર્ટમાં. અને એ પણ મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને. એસ્પ્લનેડ પરથી કિલ્લામાં દાખલ થતાં પહેલાં કિલ્લા કહેતાં ફોર્ટની બહારની ખાઈ ઓળંગવી પડશે. કિલ્લાના ત્રણે મુખ્ય દરવાજા પાસે લાકડાના પૂલ બાંધેલા છે તેના પરથી ખાઈ ઓળંગીને કિલ્લામાં દાખલ થવાનું. કિલ્લાની અંદર આવેલાં મકાનો છે ઊંચાં, રૂપકડાં, સુશોભિત. ખાસ્સ્સાં પહોળાં પગથિયાંવાળા દાદર ચડીને ઉપર જવાનું. પહેલે માળે મોટો વરંડો અચૂક હોય. ઓરડા પણ ખાસ્સ્સા મોટા, બારીઓને કારણે પુષ્કળ હવા-ઉજાસવાળા. હા, પણ રસ્તાઓ સાંકડા અને ધુળિયા. મકાનોનાં ઢળતાં છાપરાંના છેડા અડધી ગલ્લીને ઢાંકી દે. એટલે એ ગલીઓમાં પવન તો ક્યાંથી મળે? આવામાં તમે ફોર્ટ માર્કેટમાં ખરીદી કરવા જાવ તો? ભલે તમે પાલખીમાં બેઠા હો, એ પાલખી રેશમી ખોળવાળા ગાદી-તકિયાથી સજાવેલી હોય, ભલે સુગંધી ખસના પડદા ઝૂલતા હોય, છતાં એ બધું તમને અસહ્ય ગરમીથી બહુ બચાવી તો ન જ શકે. 

મુંબઈનો કિલ્લો – બોમ્બે કાસલ

કિલ્લાની અંદર ત્રણ મોટી દુકાન આવેલ છે જે પિનથી માંડીને પલંગ સુધીની જાતજાતની નાની મોટી વસ્તુઓ વેચે છે. જ્યારે જયારે બ્રિટિશ કે ફ્રેંચ જહાજ મુંબઈના બારામાં નાંગરે ત્યારે તેમાંથી જાત જાતનો માલ સામાન ઊતરે છે અને આ દુકાનોમાં ઠલવાય છે. આવો બધો જ સરસામાન કાચના શો કેસમાં આકર્ષક રીતે ગોઠવાયો હોય છે. તેના ભાવ ઇંગ્લન્ડ કે ફ્રાન્સમાં હોય તેના કરતાં અહીં વધારે હોય છે. અને એની પાછળનાં બે-ત્રણ કારણ છે. એક તો પરદેશથી માલ અહીં લાવવાનો ખરચ. બીજું રસ્તામાં થોડી ઘણી વસ્તુઓ ભાંગે તૂટે તેની નુકસાની ભરપાઈ કરવાની. અને ત્રીજું, આ બધો માલ દુકાનદારે ગ્રેટ બ્રિટન કે ફ્રાંસમાં ખરીદવો પડે રોકડેથી, પણ તેના પૈસા છૂટા થાય જેમ જેમ અહીં માલ વેચાતો જાય તેમ. એટલે યરપની બજારમાં જે ચીજ ત્રણ શિલિંગમાં મળે, તેના અહીં આઠ શિલિંગ આપવા પડે. અને આ ભાવે પણ માલ વહેલો મોડો વેચાઈ જતો હોય છે.

અલબત્ત, અહીં તમે કોઈ પણ દુકાનમાં જાવ, ભાવ-તાલ કરવાનો રિવાજ બધે જ છે. કારણ અહીંના દુકાનદારો અને ઘરાકો, બન્ને માને છે કે ભાવ-તાલ કરવા એ તો અમારો જન્મસિદ્ધ હક્ક છે. ફિક્સ ભાવ રાખવાથી દુકાનદાર અને ઘરાક વચ્ચે જે વિશ્વાસ બંધાય છે તેનું મહત્ત્વ અહીંના લોકના ગળે ઉતરતું જ નથી. તો બ્રિટન અને ફ્રાંસ સિવાયના બીજા દેશમાંથી આવેલ વસ્તુ સસ્તી મળતી હોય, અને સારી પણ હોય, તો ય મોટે ભાગે ઘરાક તે ખરીદતો નથી. બ્રિટન કે ફ્રાંસની વસ્તુનો જ આગ્રહ રાખે છે. જેમ કે ચીનથી આવેલું રેશમી કાપડ સસ્તું હોવા છતાં ગ્રાહક મોટે ભાગે તેને બદલે મોંઘુ દાટ યુરોપિયન કાપડ જ ખરીદે છે. કેમ? કારણ બીજું ‘હલકું’ કપડું પહેરવાથી પોતાની જમાતના લોકો વચ્ચે છાકો પડતો નથી.

આ ત્રણ દુકાનો ઉપરાંત કિલ્લાની અંદર કેમિસ્ટની બે દુકાન, બે ચોપડીઓની દુકાન, એક મ્યુઝિકલ સરક્યુલેટિંગ લાઈબ્રેરી, પણ આવેલી છે, અને એક છે અંગ્રેજની ઘરેણાંની દુકાન. આ ઉપરાંત અહીં પારસીઓની તો ઘણી દુકાન આવેલી છે. તેમાં સૌથી સારી છે જહાંગીરજી નસરવાનજીની દુકાન. ત્યાં તમને જાંબલી રંગના વેલવેટથી માંડીને સ્ટ્રોબેરીના જામ સુધીની બધી જ વસ્તુ મળે. ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે એની યાદી બનાવવા બેસું તો પાનાંનાં પાનાં ભરાય. જહાંગીરજીની દુકાનનાં બારણાં દિવસે ખુલ્લાં જ હોય. બારણાંની બંને બાજુ લાકડાની બેંચ. જ્યારે જુઓ ત્યારે તેના પર બે પારસી બેઠા હોય – એક જાડિયો પાડિયો દુકાનનો માલિક, અને બીજો એનો દૂબળો પાતળો મુનીમ. દુકાન છે મોટી, પણ અંધારી. ચારે દીવાલો પર કાચના શો કેસમાં ફ્રેંચ ક્રોકરી, સોનેરી-રૂપેરી લેસ, બ્રાન્ડીનો આથો ચડાવેલાં ફળફળાદિ, ઘોડા માટેની ચાબૂક, જેવી કંઈ કેટલીયે વસ્તુ ગોઠવેલી હોય. દુકાનના વચલા ભાગમાં જરઝવેરાત અને ઘરેણાં, ફ્રેંચ ઘડિયાળો, અને બીજી કિંમતી વસ્તુઓ જોવા મળે. તો એક ખૂણામાં કાચની બરણીઓમાં જુદી જુદી જાતનાં ચીઝ, હેમ, સારડિન, અને બીજી ખાદ્ય સામગ્રી જોવા મળે. તો દુકાનની સિલિંગ પરથી લટકાવ્યાં હોય પાળેલાં પંખીઓ માટેનાં પાંજરાં, ઝુમ્મરો, આકર્ષક ફ્રેમમાં મઢેલાં ફ્રેંચ લિથોગ્રાફ ચિત્રો. દુકાનના ભંડકિયામાં ભર્યાં હોય બીર, વાઇન, બ્રાન્ડી, અને બીજાં પીણાંના બાટલા. અને અંગ્રેજ સૈનિકોની ‘મેસ’ માટે જરૂરી એવી બધી જ વસ્તુઓ પણ ખડકી હોય.

પારસીની આ દુકાન તગડો નફો કરે છે. કારણ સાધારણ રીતે વેપારી જે રીતે ભાવ નક્કી કરે તેના કરતાં તેમની રીત સાવ જૂદી છે. વળી એમની રીત જેવો ઘરાક એવો ભાવની હોય છે. અને જો તમે માલ ઉધાર લીધો, તો તો બિલ મોકલે ત્યારે એમાં અલગથી વ્યાજની તગડી રકમ ઉમેરી જ દે. કાયદા પ્રમાણે તો દુકાનદાર અને ઘરાક વચ્ચે એ અંગે લેખિત કરાર થયો હોય તો જ વ્યાજની રકમ ઉમેરી શકાય. પણ આ દુકાનદારો કાયદાને ઘોળીને પી જાય છે. પણ એ જ પારસી વેપારી બીજા કોઈ પાસેથી માલ ખરીદે અને વેચનાર એ જ વખતે રોકડા પૈસા માગે, તો પેલો વેપારી બિલની કુલ રકમમાંથી અમુક ટકા કાપી લે છે – રોકડા પૈસા ચૂકવવા બદલ ‘રેડી મની’ના નામે! અહીંથી, તહીંથી, ગમે ત્યાંથી, પણ વધુમાં વધુ નફો રળી લેવાણી બાબતમાં આ વેપારીને કોઈ ન પહોચે.

થોડા ઘણા નુકસાનવાળા માલનું તો લગભગ રોજ અહીં લીલામ થાય છે. બીજો બધો સામાન તો જાણે સમજ્યા પણ ઘોડા અને ગાડીઓનું પણ અહીં આ રીતે લીલામ થાય છે! લીલામમાં વેચાતો માલ ખરીદનારા મોટે ભાગે વહોરા વેપારીઓ હોય છે. તેઓ પાણીનાં મૂલે વસ્તુઓ ખરીદે છે, થોડા રંગરોગાન કે સમાર કામ કરીને મોંઘા ભાવે વેચે છે. તો અહીં વેચાતાં ઘોડા અને ગાડી મોટે ભાગે પારસી દલાલો ખરીદે છે. ગાડીને ભડક રંગે રંગે છે, ઘોડાને માલિશ કરી થોડા તાજા દેખાડે છે અને પછી પુષ્કળ નફો લઈને વેચી દે છે.

ફોર્ટ કહેતાં કિલ્લાની અંદર બે મોટાં બજાર આવેલાં છે. એક ચીના બજાર અને બીજું ચોર બજાર. પહેલી બજારમાં ચીનથી આવેલ ચા, રેશમી કાપડ, પોર્સલેનનાં વાસણ, હાથથી હવા ખાવાના પંખા, વગેરે અનેક ચીજો વેચાય છે. તો બીજી બજારમાં વપરાઈને ભંગાર જેવી થઈ ગયેલી યુરોપિયન જણસો પાણીને મૂલે વેચાય છે. અહીંની ઘણી દુકાનો પેલા પારસીઓની દુકાનો કરતાં ઘણી મોટી હોય છે અને તેમનાં ગોડાઉન કિસમ કિસમના સામાનથી ઊભરાતાં હોય છે. બ્રેકફાસ્ટ અને ડિનર માટે વપરાતાં કાચનાં વાસણો અને બીજી ઘરગથ્થુ જણસો અહીં ઢગલાબંધ વેચાય છે. કારણ? કારણ આ બજારનું નામ જ સૂચવે છે : આમાંની મોટા ભાગની વસ્તુઓ ચોરીનો માલ હોય છે.

આ બધી બજારોની ભીડમાંથી નીકળીને ‘બોમ્બે ગ્રીન’ નામની ખુલ્લી, મોકળી, લીલોતરીભરી જગ્યામાં આવીને ચોખ્ખી હવામાં શ્વાસ લેવા એ એક આનંદ અને રાહતકારક અનુભવ છે. અર્ધ વર્તુળાકાર મેદાનની ધાર પર એક સરખાં મકાનો આવેલાં છે જેમાં વિદેશની અને દેશની મોટી મોટી કંપનીઓની ઓફિસ આવેલી છે. અ બધાં મકાનો એક સરખી ઊંચાઈનાં છે, તેમનો બહારનો ભાગ અર્ધ ગોળાકાર છે, અને બધાં જ મકાન એક સરખા પથ્થરનાં બનેલાં છે. અહીં આવેલા કોર્નવોલિસના ભવ્ય પૂતળાથી થોડે દૂર સંખ્યાબંધ પાલખીઓ ઊભી હોય છે. અને તેના છાંયડામાં બેસીને ભોઈ લોકો કાં ગપ્પા મારતા હોય છે, કાં કોઈ નાનું મોટું કામ કરતા હોય છે. 

ટાઉન હોલ, ૧૯૦૪માં

આ ગ્રીન્સને બીજે છેડે ટાઉન હોલની ભવ્ય ઈમારત આવેલી છે. લાઈબ્રેરી, કાઉન્સિલ માટેના ઓરડાઓ, અને બીજી કેટલીક સગવડો આ એક જ મકાનમાં આવેલી છે. બ્રિટિશ મ્યુઝિયમ અને પેરિસમાં આવેલી લાયબ્રેરીને બાદ કરતાં યુરપની બીજી કોઈ પણ લાઈબ્રેરી સાથે ઊભી રહી શકે તેવી આ ઈમારત છે. આ મકાનની અંદર આવેલા વિશાળ હોલમાં સર જોન માલ્કમ, મિસ્ટર એલ્ફિન્સ્ટન અને બીજા અંગ્રેજોના આદમકદ પૂતળાં મૂકેલાં છે. અવારનવાર આ હોલમાં જાહેર સભાઓ ભરાય છે. 

કોટન ગ્રીનમાં આરામ ફરમાવતા પાલખીવાળા

કોટમાં આવેલી દુકાનો કે ઓફિસોમાં કામકાજ સવારના અગિયાર પહેલાં શરૂ થતું નથી. તે પહેલાં અહીંના બધા જ રસ્તાઓ પર પાણી છાંટવામાં આવે છે, જેથી ગરમી થોડી ઓછી લાગે. ઉનાળાના દિવસોમાં તો આ રીતે દિવસમાં ત્રણ-ચાર વખત રસ્તાઓ પર પાણી છંટાય છે. અને છતાં બોમ્બે પ્રેસિડન્સીનાં બીજાં ગામો કરતાં મુંબઈમાં લૂ લાગવાના કિસ્સા વધુ જોવા મળે છે. જો કે સાંજ પડે એટલે દરિયા તરફથી આવતી ઠંડા પવનની લહેરો વાતાવરણને થોડું સહ્ય બનાવે છે. 

મુંબઈ ઇલાકામાં સૌથી વધુ બાહોશ પોલીસ દળ જો ક્યાં ય હોય તો તે છે મુંબઈમાં. હા, હજી અહીં ખાનગી મિલકતની સલામતી માટે ‘પગી’ રાખવાનો રિવાજ પણ ચાલુ છે. પગીનો માસિક પગાર ૧૪ શિલિંગ જેટલો હોય છે. આખી રાત તેઓ મકાનની આસપાસ, કંપાઉંડમાં ચક્કર મારતા રહે છે. થોડે થોડે વખતે તેઓ સંભવિત ચોરને સાવધ કરવા ખોંખારો ખાય છે અને હાથમાંનો દંડૂકો જમીન પર પછાડે છે. અને છતાં જો ચોરી થાય, તો આ પગીએ કાં ચોરને પકડી લાવવો પડે છે, કાં માલિકને થયેલું નુકસાન પોતે ભરપાઈ કરી આપવું પડે છે. 

મુંબઈ પોલીસ ૧૯મી સદીમાં 

પણ જાહેર રસ્તાઓ અને ઇમારતો, બજારો અને મેદાનો વગેરેની રખેવાળી કરવા માટે પોલીસના માણસો ખડે પગે રહે છે. તેમનાં યુનિફોર્મમાં છે ઘેરા ભૂરા કલરનો કોટ, તેના પર કાળા ચામડાનો પટ્ટો, માથે પીળી પાઘડી. અહીંના લોકો પોલીસ તરફ માનની નજરે જુએ છે, અને ચોર લૂંટારા તેમનાથી ગભરાય છે. કહે છે કે કંપની સરકારનું રાજ આવ્યું તે પહેલાં અહીં ચારે તરફ ભય અને અંધાધૂંધીનું વાતાવરણ હતું. પોર્ટુગીઝ રાજવટ વખતે પણ પોલીસ હતી તો ખરી. પણ તેમનું કામ લોકોના જાનમાલનું રક્ષણ કરવા કરવા કરતાં વધુ તો લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનું હતું.

ફોર્ટમાં ફર્યા પછી આવતે અઠવાડિયે મિસિસ પોસ્ટાન્સની સાથે ફરવા જશું કોલાબા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 30 ડિસેમ્બર 2023

Loading

...102030...708709710711...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved