Opinion Magazine
Number of visits: 9457445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાજી મહંમદ અલારખા શિવજી

પ્રેષક : હિદાયત પરમાર|Opinion - Opinion|3 January 2024

હાજી મહમંદ અલારખા શિવજી

હાજી મહંમદ અલારખા શિવજીના પૂર્વજો કચ્છની રાજધાની ભૂજના વતની હતા ત્યાંથી તેમના પ્રપિતામહ માણેક મૂસાણીએ ૧૮૩૫ની સાલમાં મુંબઈ જઈને વસવાટ અને વેપાર શરૂ કર્યો.

તેમના પિતા વ્યવસાયે વેપારી હતા. સાધન સંપન્ન હતા. તેમ છતાં સાહિત્ય પ્રત્યે અભિરૂચિ રાખતા હતા. મુંબઈમાં હાજીનો જન્મ ૧૮૮૭ના ડિસેમ્બરની ૧૩ તારીખે થયો હતો. ફોર્ટ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૮૯૫થી અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષાનો અભ્યાસ આરંભ્યો. ત્યારથી જ સાહિત્ય સેવાનું બીજ રોપાયું. વાર્તાઓ લેખો લખવા શરૂ કર્યા. હિંદીમાં ગોસ્વામી તુલસીદાસ, કબીર સાહેબ, કવિ ગંગ વગેરે કવિઓને ઊંડાણપૂર્વક વાંચ્યા. ‘પ્રવીણસાગર’માંથી વિપુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું.

સો વષ પૂર્વે ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે ગુજરાતનો હીરો હાજી મહંમદ ઝગારા દેતો હતો. તે સમય ગુજરાતી સાહિત્યના ઉદયનો હતો. કવિઓ, લેખકો અને ચિત્રકારોના પ્રોત્સાહન પ્રેરક અને પોષક એવા સાહિત્યના શહિદ હરાજીનું પૂરું નામ હાજી મહંમદ અલારખા શિવજી હતું.

બાપદાદાની દોમદોમ સાહ્યબીમાં ઉછરેલા હાજી મહંમદને કિશોરાવસ્થાથી જ સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ આ લગાવ ખૂબ જ પરિપક્વ અને ઘેરો થવા લાગ્યો. ૧૯૨૦માં તેમણે ‘ગુલશન’ નામે માસિક શરૂ કરી તેનું તંત્રીપદ સંભાળ્યું. તેમના મનની અંદરના મનોરથ એક વિશિષ્ટ પ્રકારનું સામયિક શરૂ કરીને તે દ્વારા સાહિત્ય અને ચિત્રકલાને નજીક લાવવાનો હતો.

ચિત્રકલાને સાહિત્ય સાથે સંયોજીને ફુરસદના સમયમાં વાંચકોને તેમાં રસ લેતા કરી દેવા માટેની તેમની જબરી ઝંખના હતી. તે ઝંખનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ‘વીસમી સદી’ નામે સામયિક શરૂ કર્યું. તે સાથે જ રવિશંકર રાવલ (તે વખતે કલા ગુરુ પદે પહોંચ્યા ન હતા) રા. પુરુષાત્તમને હાજી મહંમદે શોધી લીધા.

‘વીસમી સદી’એ બંને કલાકારોને જગજાહેર કર્યા. તે સમયે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને અન્ય સાહિત્યકારોને ગુજરાતી સાહિત્ય રસિકો સમક્ષ રજૂ થવાની તક પૂરી પાડી. ઉજ્જવળ ભવિષ્યનું તેમણે ઘડતર કર્યું.

‘વીસમી સદી’ના આરંભના સમયમાં જુગતરામ દવે (પાછળથી આદિવાસી સેવાના ભેખધારી) તેમની સાથે કામમાં જોડાયેલા. ત્યારથી હાજી મહંમદ સાહિત્યકારોનું મિત્ર મંડળ રચવા માંડેલ. તેમાં મસ્ત ફકીર, હિંમતલાલ ગણેશજી, અંજારિયા, રા. વિભાકર, ક.મા. મુનશી, ઓલિયા જોશી અને અનેક સાહિત્યકારોનો, હાજી મહંમદના આલીશાન મકાનમાં કરેલા ‘વીસમી સદી’ના કાર્યાલયમાં ઝમેલો જામતો અને તેમાં સાહિત્યની અભ્યાસપૂર્ણ ચર્ચા થતી. તે યુગમાં પ્રકાશન શરૂ કરવું એ એક સાહસ ગણાતું. તે સાહસ હાજી મહંમદે કર્યું.

પ્રકાશન શરૂ કરવા બાબતના હાજી મહંમદ અલારખા શિવજીના ઉદ્દેશો અને વિચારો ખૂબ ઊંચા હતા ગુજરાતીઓનો વાંચનનો શોખ કેળવાય, તેઓ ચિત્રકલાની કદર કરતા થાય તેવી ઉચ્ચતમ ખ્વાહિશ સાથે સાહિત્ય જગતમાં ઝગમગી રહેલા હાજી મહંમદ રણજિતરામ, ભોગીન્દ્રનાથ દિવેટિયા, નરસિંહરાવ જેવાની કૃતિઓ હોંશે હોંશે મેળવતા.

હાજી મહંમદ અલારખાનું બીજું પણ એક ઉજ્જવળ પાસું હતું. તે ઉદારતા તેના દાખલા તેમના જીવનની સફર દરમિયાન બનેલા. ફકીર લગભગ તેમની સાથે હતા. અને વધુ વખત તેમની સાથે જ રહેતા. એક વખત ‘વીસમી સદી’ના શ્રેષ્ઠ વાર્તા લેખક કાર્યાલય પર આવ્યા. તેના વદન પર વિષાદના વાદળ છવાયેલા હતા. હાજીએ થોડોક સમય જોયા કર્યું. પછી તેઓ બેઠકમાંથી ઊઠીને બહાર ગયા. સાથે દરજીને લેતા આવેલા. ઈશારાથી લેખકને બીજા ખંડમાં બોલાવી એમના કપડાંનું માપ લેવડાવ્યું. બીજા અઠવાડિયે પોતાના લેખકને સજ્જ કર્યા. એટલે મસ્ત ફકીરે પૂછ્યું, ‘આ શું જાદુ થયો ?’ હાજીએ કહ્યું, ‘બોલીશમાં આપણને ખુદા આપી રહેશે.’

એક રવિવારે હાજી મોહંમદ અને મસ્ત ફકીર મુંબઈની ભીંડી બજારમાં કાપડની દુકાને ઓટલા ચડ–ઊતર કરતા હતા. હાજીને પાઘડી ખરીદવી હતી એટલે દુકાને દુકાને ફરતા હતા. પણ મેળ પડયો નહીં. એટલે બંને ટ્રામમાં બેસી તાજ મહલ હોટલ તરફ ગયા. આ હોટલમાં ‘વ્હીલર’ અને ‘તારાપોરવાલા’ એમ બે બુક સ્ટોલ હતા. બુક સ્ટોલમાં સામયિકો જોતાં જોતાં એક લેખ પસંદ પડ્યો. તે ખરીદી લીધું. આ લેખ તેમના સામયિક ‘વીસમી સદી’માં આવવો જ જોઈએ. પણ તાત્કાલિક કોણ લખી આપે ? તરત જ એક સ્ટેશનરી વાળાની દુકાનેથી એક પેકેટ ખરીદી લાવ્યા. મસ્ત ફકીરે પૂછયું, ‘આ શાનું પેકેટ છે ?’ જેની પાસે આપણે લેખ લખાવવાની જવાનું છે તેને ભેટ આપવા માટે “વોટરમેન” ફાઉન્ટન પેન છે. ઉતાવળે લેખ લખાવવો હોય તો કંઈક તો કદર કરવી પડેને ?’ હાજીએ કહ્યું. પાઘડી ખરીદવા માટેનાં નાણાં આમ વપરાઈ ગયા.

હાજી મોહમ્મદ અલારખા શિવજી એટલે દરિયાવ દિલનો આદમી. પોતાનું પુસ્તકાલય સદાય સૌ સાહિત્યકારો માટે સાર્વજનિક રહેલું. અપરંપાર પુસ્તકોનો ભંડાર. આવો પુસ્તક પ્રેમી સાહિત્યકાર જવલ્લે જ જન્મે.

હાજી સાહેબની પત્રકાર તરીકેની સમજ દાદ માગી લે તેવી હતી. ‘વીસમી સદી’ માટે અનેકવિધ લેખો લખતા, તેમની સૂઝ બૂઝનો સુંદર ઉપયોગ થતો. ભભકભરી શૈલીમાં ગુજરાતને નવજીવન પાન કરાવે એવું તેઓ બેરિસ્ટર વિભાકર પાસે લખાવે. ફારસી સાહિત્ય અંગેનો વિષય હોય તો પહોંચે કૃષ્ણલાલ ઝવેરીને ત્યાં બંકિમબાબુ કે રવીન્દ્રનાથની કથાનું પાન ગુજરાતને કરાવવું હોય તો ભગવાનલાલ ગિરિજાશંકરને જ પસંદ કરે.

ગુજરાતી સાહિત્યમાં અન્ય ભાષાની કૃતિઓ ઉતારનાર હાજી કેટલા કૃતનિશ્ચિય હતા તેના અનેક ઉદાહરણો સાંપડે છે.

હિંદી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર વિશ્વભરના જજા હાજીના વર્તુળના હતા. ગુજરાતી વાંચકોને હિંદી કૃતિનો આસ્વાદ ચખાડવા માટે વિશ્વંભરનાથ જજા પોતાની હિંદી વાર્તાઓ બોલે, હાજી સાંભળે, તે જ ક્ષણે સાંભળતા સાંભળતા ગુજરાતી અનુવાદ કરી નાંખે. ‘વીસમી સદી’માં પ્રકાશિત થયેલી ‘ઘૂંઘટવાલી’ અને અન્ય વાર્તાઓ આ રીતે લખાયેલી, એ જ રીતે મરાઠી માટે હાજી તેનું ગુજરાતી કરતા જાય, લેખ તરત જ તૈયાર !

‘રશીદા’ નામે રૂહાની ઈલ્મની વાર્તા તેમના પિતાને પ્રિય હતી. હાજીએ તેનું ગુજરાતી ભાષાંતર કરી પિતાને અર્પણ કરી પિતૃ ઋણ ચુકવ્યું. હાજી ઉમર ખય્યામની રચનાના પરમ ભક્ત હતા. તેમની કાવ્ય કળાનો અપૂર્વ લ્હાવો ગુજરાતને આપવાનો હરખ હતો.

તેમના પ્રથમ પત્ની ઉર્દૂ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેનું ભાષાંતર તેઓ કરતા. સાહિત્યકળા અંગે પરસ્પર ચર્ચા થાય, કાવ્ય અને સંગીતની સ્નેહસભર સુરાવલીમાં પતિ-પત્ની એકાકાર થઈ ઝૂમી રહે એવા પ્રસંગો વિરલ જ ગણાય. તેમનું ૧૮૯૮માં ‘સ્નેહ વિરહ પંદશી’ પ્રગટ થયું. અંગ્રેજી લેખક સર એડવીન કૃત ‘પલ્સ ઓફ ફેઈથ’નો અનુવાદ કર્યો ‘ઈમાનના મોતી’ નામે પ્રગટ કર્યું. ઈ.સ. ૧૯૦૩માં લોર્ડ કરઝનનો દરબાર ભરાયો ત્યારે ૧૦૦ સચિત્ર લેખ છપાયેલા. ૧૯૦૪માં ‘મહેરૂસ્ન્નિસા’ નામનું ગુજરાતી નાટક લખેલું. ૧૯૧૪માં ‘વીસમી સદી’ શરૂ કરવાની તૈયારી કરેલી. ચિત્રકાર ધુરંધર પાસે ટાઈટલ ચિત્ર તૈયાર કરાવી વિલાયત (ઈગ્લેન્ડ) મોકલી છપાવી મંગાવેલું. ત્યાં જ પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કામ અટકી પડ્યું. આખરે ઈ.સ. ૧૯૧૮ના એપ્રિલમાં ‘વીસમી સદી’નું પ્રાગટ્ય થઈ શકેલું.

ચાર હજાર ગ્રાહકો થયા. આદર પામ્યું. પરંતુ યુદ્ધને કારણે વધતી મોંઘવારીએ હાજી મહંમદની અકળામણ વધારી. પેડર રોડ પરના પોતાના બંગલામાં ચાલતા કાર્યાલયમાં તેમણે ‘વીસમી સદી’ દ્વારા ગુજરાતી સાહિત્યને મદદ કરવા શેક્સપિયર, બર્નાડ શો, વર્ડઝવર્થ જેવા સાહિત્યકારો તૈયાર કરવાની હોંશ અને હામ ભીડીને પાંચ વર્ષ સુધી મથામણ કરી. આખરે આર્થિક દેવાએ તેમની તબીયત બગાડી.

ગુજરાતી સાહિત્યનો હાજીએ બાગ રચ્યો હતો. તેના પુષ્પો ખીલ્યાં હતાં. તેનો પમરાટ પ્રસરી રહ્યો હતો. ને અચાનક તા. ૨૧ જાન્યુઆરી ૧૯૨૧ના રોજ ૩૩ વર્ષની ભર યુવાન વયે સાહિત્યના અનેક કોડ અધૂરા છોડી આ ફાનિ દુનિયાથી વિદાય લીધી.

કલા અને સાહિત્યના શહિદનું ગુજરાત સદા ઋણી રહ્યું છે. તેમનું ઋણ ચૂકવવા જેવુ કોઈ કાર્ય ગુજરાતીઓને કર્યું હોવાનું જાણમાં નથી.

(સૌજન્ય : ‘સંદેશ’ તા. ર૮-૧૧-ર૦૦૪, ‘ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો’ ભાગ – ૨, માર્ચ ૨૦૦૭)

Loading

અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયર કેવા હતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2024

દિનકરભાઈ મહેતા

આશરે સાડા ત્રણ દાયકા પૂર્વેનો ૩૦મી ઓગસ્ટ ૧૯૮૯નો દિવસ. એ દિવસે રાત્રિના નવેકના સુમારે અમદાવાદના રાયખડ વિસ્તારના ગોરજીના બંગલાની નાનકડી ખોલીમાં સાદગી વચ્ચે જીવતા દિનકર મહેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનકરભાઈની એક જાડી ઓળખ તો અમદાવાદના પૂર્વ મેયરની છે. તે અમદાવાદના પહેલા અને આજ સુધીના એકમાત્ર સામ્યવાદી મેયર છે. પણ એ ઓળખ સાચી હોવા છતાં પૂર્ણ નથી. દિનકર મહેતા એટલે સ્વાતંત્ર્ય સેનાની, મહા ગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષનો પાયો નાંખનાર પૈકીના પણ એ હતા. બ્યાંસી વરસની જિંદગીમાં છ દાયકા કરતાં વધુનું તેમનું જાહેરજીવન હતું. આ સઘળાં વરસોમાં તે સતત ગરીબ-શ્રમિક જનતાના શોષણ વિરુદ્ધના લોકસંઘર્ષોમાં મોખરે રહેતા હતા. ખરેખર તો એ ગરીબોના ઉત્થાન અર્થે મથતા ક્રાંતિવીર હતા.

હાલના વલસાડ જિલ્લાના ચીખલી ગામે ૧૭મી ઓકટોબર ૧૯૦૭ના રોજ જન્મેલા દિનકર મહેતાના પિતા સુરતની મિલમાં કારકૂન હતા. સુરત અને મુંબઈમાં એ ભણ્યા. સંસ્કૃતના તે સ્કોલર હતા. પણ ૧૯૨૬માં કોલેજ શિક્ષણ છોડી તે ગાંધીજી સ્થાપિત  ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. કાકાસાહેબ કાલેલકરના આ વિદ્યાર્થી ૧૯૨૯માં ગાંધીની વિદ્યાપીઠના સ્નાતક બન્યા અને અધ્યાપક પણ. બારડોલી કિસાન સત્યાગ્રહ અને ધરાસણાના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લઈને એમણે જેલવાસ વેઠ્યો હતો.

૧૯૩૨માં એમને ટી.બી. થયો હતો. તેની સારવાર દરમિયાન કાર્લ માર્ક્સનું ‘દાસકેપિટલ’ અને માર્ક્સ – એન્ગલ્સનું ‘સામ્યવાદી જાહેરનામું’ વાંચ્યું. આ બંને પુસ્તકોનું વાચન તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની રહ્યું. તેમના વિચારોમાં ગજબનું પરિવર્તન આવ્યું. તેઓ ગાંધીવાદીમાંથી સામ્યવાદી બની ગયા. આ વૈચારિક પરિવર્તનને દિનકરભાઈ તેમની આત્મકથાના પ્રથમ ખંડ ‘પરિવર્તન’માં એક સરસ દાખલા દ્વારા સમજાવતા લખે છે : માણસના વિચાર તેના હિત પ્રમાણે બદલાય છે. તેનો એક દાખલો મને સૂઝ્યો અને મેં તે રજૂ કર્યો. રેલવે સ્ટેશન પર જ્યારે ટ્રેનની રાહ જોઈને લોકો ઊભા હોય છે ત્યારે તેમના મનમાં એક જ તાલાવેલી હોય છે. ટ્રેનમાં એકદમ ચઢી જઈ, જગ્યા લઈ લેવાની. પણ એ જ માણસો ટ્રેનમાં જગ્યા મળી જતાં પછીના સ્ટેશને બીજા પેસેન્જરોને જગ્યા નથી કહી અંદર આવતા રોકે છે ! આ સાંભળી કાકાસાહેબ બોલી ઊઠ્યા, ‘દિનકરરાય, હવે તમે પાક્ક્કા સામ્યવાદી બની ગયા છો.’ ઉમાશંકર જોશી આ સાંભળી હસી પડ્યા. મારે માટે તો આ નવા પ્રસ્થાનની શરૂઆત જ હતી ….

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્તરે સક્રિય થતા, ગુજરાત કાઁગ્રેસની જવાબદારી દિનકર મહેતાના શિરે આવવાની હતી. ત્યારે જ વિચારભેદને કારણે તેમણે નોખો માર્ગ અપનાવ્યો હતો. ૧૯૩૪માં અન્ય સાથીઓ સાથે મળીને તેમણે ગુજરાતમાં કાઁગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી. જયપ્રકાશ નારાયણની જોડાજોડ તેઓ તે પક્ષના રાષ્ટ્રીય મંત્રી બન્યા. ૧૯૩૬માં તેઓ માર્કસવાદી સામ્યવાદી પક્ષના રાજ્ય મંત્રી બન્યા હતા. છેક આઝાદી આવી ત્યાં સુધી તેઓ કામદાર, કિસાન, વિદ્યાર્થી ચળવળને દોરતા રહ્યા. આઝાદીના આંદોલનમાં દિનકરભાઈએ સાત વખત કારાવાસ અને ભૂગર્ભવાસ ભોગવ્યો હતો. ઇન્દુલાલ યાજ્ઞિક સાથે તેમણે ગુજરાતના અલગ રાજ્ય માટેના મહા ગુજરાત આંદોલનમાં સક્રિય નેતૃત્વ કર્યું હતુ. સંગ્રામ સમિતિ અને જનતા પરિષદ દ્વારા અનેક આંદોલનાત્મક કાર્યક્રમોમાં તેઓ સક્રિય હતા.

નલિનીબહેન અને દિનકરભાઈ મહેતા

અમદાવાદ મહાનગરપાલિકાની ૧૯૬૫ની ચૂંટણીમાં જનતા પરિષદના ૪૮ ઉમેદવારો વિજ્યી બન્યા હતા. દિનકરભાઈ અને તેમનાં પત્ની નલિનીબહેન જેલમાં રહ્યે રહ્યે જંગી બહુમતીથી ચૂંટાયાં. ચોથી મે ૧૯૬૬ના રોજ દિનકર મહેતા અમદાવાદના મેયર બન્યા. દેશના દ્વિતીય અને અમદાવાદના એ પ્રથમ સામ્યવાદી મેયર હતા. પૂર્વેના કાઁગ્રેસી અને ગાંધીવાદી  મેયરોએ ન કર્યા હોય તેવાં અનેક કામો તેમણે કર્યાં. મેયરની ઓફિસમાં તેમણે ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરની તસ્વીરો મૂકાવી. ઓફિસમાંથી એરકન્ડિશનર કઢાવી નાંખ્યું. મેયર માટેની લાખ રૂપિયાની મોંઘી ઈમ્પાલા કારને બદલે વીસ હજારની એમ્બેસેડર દાખલ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સો ટકા મોંઘવારી ભથ્થું આપ્યું હતું. વસ્તુના વજનને બદલે કિંમત પર ઓકટ્રોય લેવાનું નક્કી કર્યું. શહેરના ઉપેક્ષિત એવા પૂર્વ અમદાવાદના કામદાર વિસ્તારોને પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રાધાન્ય આપ્યું હતું. શ્રમિક વિસ્તારોને વીજળી, પાણી અને ગટરની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી.

દિનકર મહેતાની મેયરની મુદ્દત પૂરી થવામાં હતી એ ગાળામાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કાનૂનગોને એક જાહેર કાર્યક્રમમાં દિનકરભાઈને મળવાનું થયું હતું. રાજ્યપાલે તેમને કહેલું કે તેઓ મેયર તરીકે ચાલુ રહે તેમ ઘણાં ઈચ્છે છે. આવું કોણ ઈચ્છે છે ?-ની પૃચ્છાનો જવાબ જ્યારે અમદાવાદના મિલમાલિકો એવો મળ્યો તો દિનકરભાઈને એટલે નવાઈ લાગી કે તેમણે તો મિલમાલિકો પર ભારે કરવેરા નાંખ્યા છે તો તેઓ શા માટે આવું ઈચ્છે ? ગવર્નરે તેનો પણ જવાબ આપતા કહેલું કે ભલે વેરા વધાર્યા પણ વહીવટ સુધર્યો છે અને લાંચ રૂશવત આપવી પડતી  નથી. એટલે મિલમાલિકો તમે મેયર તરીકે ચાલુ રહો તેવું ઈચ્છે છે. તો આવો હતો અમદાવાદના એકમાત્ર સામ્યવાદી મેયરનો શહેરનો વહીવટ.

શોષિત જનતાની અનેક પ્રજાકીય ચળવળોમાં દિનકર મહેતા કાયમ મોખરે રહેતા હતા. આઝાદી પહેલા અને પછીના લોકઆંદોલનોમાં અગ્રેસર રહેતા આ સંઘર્ષશીલ વ્યક્તિએ કુલ બાવીસ જેલવાસમાંથી પંદર તો આઝાદી પછી વેઠ્યા છે ! મેયરકાળમાં પણ આંદોલનકારી તરીકે તે એક મહિનો જેલમાં હતા ! ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટીના તેઓ વિરોધી હતા પણ સરકારે તેમને જેલમાં નાંખ્યા નહોતા. એટલે ૧૯૭૬માં એ ગુજરાતના સો જેટલા ગામો ખૂંદી વળ્યા અને પલટાતા ગામડાં પુસ્તક લખ્યું હતું. દિનકરભાઈ રાજકારણી નહીં પણ સંઘર્ષશીલ રાજનેતા, લેખક અને વિચારક હતા. પરિવર્તન અને ક્રાંતિની ખોજમાં તે બે ભાગમાં આત્મકથા, પ્રવાસ કથા પલટાતા ગામડાં ઉપરાંત તેમણે કાર્લ માર્ક્સનું જીવનચરિત્ર અને સામ્યવાદનાં મૂળ તત્ત્વો  જેવાં  પુસ્તકો લખ્યાં છે.

સમાજના  છેવાડાના માણસોનું શોષણ અટકે અને તેઓ બરાબરીનું જીવન જીવે તે દિનકરભાઈનું કાયમનું સપનું હતું. ‘જે સિસ્ટમ પોતાના ગુલામોને પણ ના ખવડાવી શકતી હોય એ લાંબો સમય ટકી ન શકે.’ તેમ માનતા દિનકરભાઈની આત્મકથાનો બીજો ખંડ “ક્રાંતિ આવી રહી છે..”ના આશાવાદી સૂર સાથે પૂરો થાય છે. વર્ણ અને વર્ગમાં આડા અને ઊભા વહેરાયેલા-વહેંચાયેલા ભારતીય સમાજમાં બીજા પણ ભાતભાતના ભેદ છે. બંધારણ નિર્માતાઓ તમામ પ્રકારની સમાનતા માટે વચનબધ્ધ હતા. છતાં જાણે કે તે જોજનો દૂર છે.  જ્યારે પણ દેશમાં ખરા અર્થમાં સમાનતા સ્થપાશે અને શોષણવિહીન સમાજ બનશે ત્યારે તેના પાયાના પથ્થર તરીકે ડાબેરી વિચારધારાને સમર્પિત ક્રાંતિવીર દિનકર મહેતા યાદ આવશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ચૂંટણી વરસે એક પ્રગટ મંથન : ધર્મ વિ. રિલિજિયન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|3 January 2024

આપણે ત્યાં ધર્મને નામે ખેલાતી રાજનીતિ વાસ્તવમાં રિલિજિયનનું રાજકારણ છે – કેવળ ધર્માંધ જ નહીં, અંધ પણ … અખો કહેશે : ‘આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ.’ સરવાળે, ‘અંધે અંધ અંધારે મળ્યાં, તલ મહીં જ્યમ કોદરા ભળ્યાં.’

રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહનનું માનવું હતું કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી

સંકેલાતા વરસમાં યાદગાર શું વાંચ્યું, એવી એક મોજણીમાં હમણાં નિવૃત્ત રાજનયિક (ડિપ્લોમેટ) વિવેક કાત્જુના પ્રતિભાવમાં મને રસ પડ્યો. એમણે કહ્યું કે નવું તો ઠીક પણ એક પુસ્તકનું પુનર્વાચન કર્યું એ મારે તમને ખાસ કહેવું જોઈએ. જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એની વચ્ચે નોળિયાને જેમ નોળવેલ તેમ મેં ક્ષિતિમોહન સેન કૃત ‘હિંદુઈઝમ’ ફરીને વાંચવા લીધી. દાયકાઓ પૂર્વે મારા પિતામહ (સ્વતંત્ર ભારતના ત્રીજા ગૃહ પ્રધાન ડો. કૈલાસનાથ કાત્જુએ) મને કોઈક પ્રસંગે તે ભેટ આપી હતી.

પ્રકાશ ન. શાહ

વિવેક કાત્જુનો આ ઉલ્લેખ વાંચ્યો ત્યારે હું છ દાયકા પાછળ ચાલી ગયો, જ્યારે આ પુસ્તકનો મને ય કંઈક સાક્ષાત્કારક પરિચય થયો હતો. ઉમાશંકર જોશીએ જેમને ક્યારેક ‘વડલા જેવા સારસ્વત’ તરીકે ઓળખાવેલા એ ર.છો. પરીખની અધ્યક્ષતામાં વિલે પાર્લે(મુંબઈ)માં મળેલી સાહિત્ય પરિષદમાં એક અદના પ્રતિનિધિ તરીકે સામેલ થયો, ત્યારે અધિવેશન પછીના રોકાણ દરમ્યાન તારાપોરવાલા બુક કંપનીની મુલાકાતે જવાનું થયું હતું … અધધ, આટલાં બધાં પુસ્તકો ને આટલી મોટ્ટી દુકાન, એ પહેલો સાક્ષાત્કાર. (પછી તો મુંબઈમાં જ ‘સ્ટ્રેન્ડ’થી માંડી પણે ન્યૂ યોર્કમાં ‘બાર્ન્સ એન્ડ નોબલ’ સરખી પાંચમજલી મુલાકાત લેવાનુંયે બન્યું છે.) ત્યાં મેં રૂપકડું પેંગ્વિન / પેલિકન પ્રકાશન, ક્ષિતિમોહન સેનનું ‘હિંદુઈઝમ’ જોયું અને ખરીદ્યું. કંઈક હિંદુત્વ વર્તુળોનો નિકટ પરિચય, કંઈક ગાંધી-નેહરુ-પટેલ સરજી એકંદરમતીનું સહજ ખેંચાણ, કંઈક રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદનાં સાહિત્યનો – એમના વ્યાપક અભિગમનો સંપર્ક, એ દિવસોમાં સમજમથામણમાં રાધાકૃષ્ણન્‌નું ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ ઉપયોગી જણાયું હતું, અને હવે હાથમાં આવ્યું ક્ષિતિબાબુનું પુસ્તક.

મને લાગે છે, વાચકને મારે ક્ષિતિબાબુ વિશે બે શબ્દો કહેવા જોઈએ. શાંતિનિકેતનમાં એ રવીન્દ્રનાથના નિકટ સહયોગી હતા. પોતે સંસ્કૃતના પ્રખર પંડિત, પણ તે ઉપરાંત હિંદી, રાજસ્થાની, અરબી, ફારસી, ગુજરાતી – હા, ગુજરાતીમાંયે સહજ ગતિ. રાધાકૃષ્ણને મુખ્યત્વે સંસ્કૃત પરંપરામાં અકુતો ભય વિહાર કર્યો હશે, પણ ક્ષિતિબાબુને કબીર સહિતની ધારાનો, લોકપરંપરાનો એવો ઊંડો પરિચય કે એક અર્થમાં રાધાકૃષ્ણન્‌ની સ્કોલરશિપને ય લાંઘી જઈ શકે. હિંદુ-મુસલમાન યુક્ત સાધનામાં એમનો પ્રવેશ, સૂફી સંસ્પર્શ, ધર્મને સંવારતાં સંગીત ને સાંસ્કૃતિક બળોની કદરબૂજ, એક અર્થમાં નિરીશ્વરવાદી એવાં જૈન ને બૌદ્ધ દર્શનોમાં હિંદુ પરંપરામાં વિકલ્પ વૈવિધ્યનું સાતત્ય જોતી દૃષ્ટિ અને લોકાયત સરખા ભૌતિકવાદી દર્શનનોયે પરિચય. ઋગ્વેદના નાસદીય સૂક્તમાંથી એ એક અદ્દભુત ઉદ્દગાર લઈ આવ્યા – બધા દેવતાઓ ય પાછળથી આવ્યા, બ્રહ્માંડના સર્જન સાથે … આખાં 138 પાનાં માત્ર, અને આખી અપરૂપ સૃષ્ટિ જાણે હસ્તામલકવત્.

ગમે તેમ પણ, રાધાકૃષ્ણન્‌ અને ક્ષિતિમોહન સેનના સેવને સમજાયું તે એ કે કોઈ ધર્મગ્રંથમાં બંધાયેલ હિંદુ ધર્મ નથી. કોઈ એક ઉદ્દગાતા, એક ગ્રંથ, એક પંથ એવી જડબેસલાક એની તાસીર નથી. એમાં ખાસું ખુલ્લાપણું છે. ગીતાંજલિકાર કહી શકે કે હું મારા માલિકને ચાહું છું, કેમ કે એણે મને નકારવાનો અધિકાર આપ્યો છે. ખુલ્લાપણાના સ્પર્શે મને જે સમજાઈ રહ્યું તે એ કે આ ધર્મને ધોરણે કોઈ બદ્ધ રાજકીય વિચારધારા હોઈ શકે નહીં. (એક સન્માન્ય વડીલ લક્ષ્મણરાવ ઈનામદારને (વકીલ સાહેબને), મુખે ‘હિંદુ વ્યૂ ઓફ લાઈફ’ વિશે સાંભળ‌વા મળેલી ફરિયાદ એ હતી કે એમાં બધું જ છે, સિવાય કે હિંદુ રાષ્ટ્ર!)

વિવેક કાત્જુએ મને અંતે આગળ લઈ જઈ શકતી પાછળ નજરના દિવસો સંભારી આપ્યા તે સાથે અંબોળું કે ભારતીય પરંપરાની ધર્મ એ સંજ્ઞા એના જાડા અંગ્રેજી અનુવાદમાં ‘રિલિજિયન’ તરીકે સમજાય છે એ દુરસ્ત નથી ધર્મ કોઈ એકલટ્ઠ કિતાબનો મોહતાજ નથી. આપણા સમયમાં ગાંધી-વિવેકાનંદ સરખાનાં જીવનકાર્યમાં, એમના ક્ષર અને અક્ષર દેહમાં, ધર્મનો ગૂઢ એટલો જ ગાઢ ને વળી વ્યાપક અર્થ ચરિતાર્થ થતો માલૂમ પડે છે. ચતુર્વેદી બદરીનાથ, આમ તો, એમના મહાભારત પરના કામ વાસ્તે સુપ્રતિષ્ઠ છે. બે’ક દાયકા પર એમને એ માટે સાહિત્ય અકાદેમી એવોર્ડ પણ મળ્યો હતો. પણ મને સવિશેષ રસ આ સંદર્ભમાં એમની ધર્મ-પર્યેષણામાં પડ્યો છે. ‘ધર્મ, ઈન્ડિયા એન્ડ ધ વર્લ્ડ ઓર્ડર’ (1993) અને મરણોત્તર પ્રકાશન ‘ધર્મ: હિંદુઈઝમ એન્ડ રિલિજિયન્સ ઈન ઇન્ડિયા’ (2019) વાંચીએ ત્યારે સમજાય છે કે રાષ્ટ્રની ‘ચિતિ’ રૂપે જે ધર્મનો મહિમા છે તે હિંદુ ધર્મ નથી, ‘ધર્મ’ છે.

હવે તરતમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ખુલ્લું મૂકવામાં છે તે અવસરે લાલકૃષ્ણ અડવાણીને મોળા આમંત્રણનું આયોજકોનું વલણ ચર્ચામાં છે. આંદોલનના સ્થપતિ બાબતે આવું વલણ ખૂંચે પણ ખરું. પરંતુ, આંદોલન દરમ્યાન અડવાણીએ ‘ધર્મ’ના સાંકડા અર્થની જે રાજનીતિ કરી તેના લાભાર્થીઓ આજે સત્તારૂઢ છે ત્યારે એમણે અને લાભાર્થીઓએ ‘જે જીત્યું તે સિકંદર’ના ઠાઠમાંથી લગીર જાતમાં ઝાંખીને વિચારવા જેવું ચોક્કસ છે કે આપણે રિલિજિયનને વળગીને સત્તાએ પહોંચ્યા, પણ જે છૂટી ગયો તે તો ધર્મ છે. જસ્ટિસ વર્માએ હિંદુત્વને ‘અ વે ઓફ લાઈફ’ તરીકે પોતાના ચુકાદામાં ઘટાવ્યું એમાં જે વિચારગોથું હતું તે માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે એમને કંઈક પકડાયું હશે તે 2002 અંગેના એમના અભિગમથી સમજાય છે.

ચતુર્વેદી બદરીનાથે છેડેલો એક વિચારોત્તેજક મુદ્દો જેમ ધાર્મિક (રિલિજિયસ) કટ્ટરવાદ તેમ સેક્યુલર કટ્ટરવાદનો પણ છે. (અલબત્ત, સેક્યુલર અભિગમ દેશની જે બિનકોમી વ્યાખ્યા પર ભાર મૂકે છે. તેની સાથે તેઓ સંમત છે.) કાશ, સૌ રિલિજિયસ પેચપવિત્રા છાંડી ‘ધર્મ’ને ધોરણે વાત કરી શકે!

દરમ્યાન, આભાર, વિવેક કાત્જુ, પ્રગટ મંથનની આ તક માટે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 જાન્યુઆરી 2024

Loading

...102030...706707708709...720730740...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved