Opinion Magazine
Number of visits: 9457428
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હજી ચાલ થોડું

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|21 January 2024

કેમ થંભી ગયો, હજી ચાલ થોડું,

ચાલ આગળ વધી હજી ચાલ થોડું

પગ ઝડપથી ઉપાડ મંઝિલ મળશે,

ત્યાં જ ફંટાઈને હજી ચાલ થોડું.

એ તરફ જો સપાટ મેદાન પાછળ,

સ્હેજ દરકારથી હજી ચાલ થોડું.

તું સમય વેડફી રહ્યો છે ઝડપ કર,

હો’ડને જીતવા હજી ચાલ થોડું.

સુખ માટે  કજાત થઈ જાવું પડશે,

ભાલ ચમકાવવા હજી ચાલ થોડું.

e.mail : addave68@gmail.com

Loading

લોકતાંત્રિક, સેક્યુલર અને સહિયારું ભારત બચાવવું હોય તો ઉદારમતવાદીઓએ પરસ્પર ઉદાર બનવાની જરૂર છે, બંધારણ એની મેળે બચી જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 January 2024

રમેશ ઓઝા

જ્યારથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી બંધારણનો મહિમા કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. ૨૬મી જાન્યુઆરીએ દેશભરમાં સંવિધાનયાત્રા નીકળશે અથવા બીજા એવા અનેક પ્રકારના કાર્યક્રમો થશે. બંધારણનો મહિમા કરવામાં આવે એમાં કશું જ ખોટું નથી, પણ બંધારણનો મહિમા કરવા માત્રથી ભારતનું લોકતંત્ર અથવા સહિયારું ભારત બચી જશે એમ માનવું ખોટું છે. બંધારણનાં મૂલ્યોને ભારતનાં નાગરિકો આત્મસાત કરે એ જરૂરી છે અને એ માટે બંધારણને તેની સમગ્રતામાં સમજવું પડે. બીજું, બંધારણ એ કોઈ દૈવી ગ્રંથ નથી. એ કોઈ એક મહાપુરુષે રચેલો કાલજયી ગ્રંથ નથી.

ભારતનું બંધારણ ક્રમશઃ આકાર પામ્યું છે. ૧૯૪૬-૧૯૪૯નાં વર્ષોમાં બે પ્રયાસમાં તે ઘડાયું તેનાં દોઢસો વરસ પહેલાંથી બંધારણ આકાર પામવાનું શરૂ થયું હતું. કનૈયાલાલ મુનશી અને બીજા અનેક બંધારણવિદો ૧૭૮૪માં આવેલા પીટના કાયદાથી તેની શરૂઆત ગણાવે છે. જ્યારે બંધારણસભા બંધારણ ઘડવા રચાઈ એ પહેલાં ભારતનાં બંધારણ વિષે મોટી મોટી સમજૂતી બની ચૂકી હતી. ૧૯૨૭માં મોતીલાલ નેહરુની કમિટીએ ભારતનું બંધારણ કેવું હશે એનો એક મુસદ્દો દેશની જનતા સમક્ષ અને તમામ રાજકીય પક્ષો સમક્ષ રાખ્યો હતો, જેના વિષે આ કોલમમાં મેં લખ્યું હતું. ૧૯૩૧માં કરાંચીમાં મળેલા કાઁગ્રેસના અધિવેશનમાં સ્વતંત્ર ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતા અને ઠરાવ ગાંધીજીએ ઘડ્યો અને રજૂ કર્યો હતો. એ ઠરાવમાં વચન આપવામાં આવ્યું હતું કે દેશના પ્રત્યેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતદાનનો અધિકાર આપવામાં આવશે અને પ્રત્યેક નાગરિકને બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત નાગરિક અધિકારો આપવામાં આવશે.

ઉદ્દેશ જેઓ સ્વતંત્ર ભારતમાં આપણું સ્થાન ક્યાં હશે એવી વાજબી શંકા ઉઠાવતા હતા તેમની શંકાનું નિરાકરણ કરવાનો હતો. તેમની શંકાનું નિરાકરણ થયું હતું એવું નથી. ભારતના કેટલાક નેતાઓ છેક ૧૯૪૬ સુધી આગ્રહ સેવતા હતા કે અંગ્રેજોએ ભારત છોડીને ન જવું જોઈએ. ભારતને આઝાદી આપવાનો સમય હજુ આવ્યો નથી. જો આઝાદી આપવી જ હોય તો અમારી જગ્યા સુનિશ્ચિત કરી આપો. તેઓ કાઁગ્રેસના નેતાઓના ઈરાદાઓ વિષે શંકા ઉઠાવતા હતા અને કેટલીકવાર તો બેફામ નિવેદનો કરતા હતા. સામી બાજુએ કાઁગ્રેસના નેતાઓ વખતો વખત વચનો આપીને અને ઠરાવો કરીને સધિયારો આપતા હતા કે ભારત લોકતાંત્રિક સેક્યુલર પ્રજાસત્તાક દેશ હશે.

દેશમાં એક ત્રીજો હિન્દુત્વવાદીઓનો પક્ષ પણ હતો જેને ભારતનાં બંધારણમાં કોઈ રસ નહોતો. આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, આઝાદ ભારતમાં દલિતોનું તેમ જ બહુજન સમાજનું સ્થાન ક્યાં હશે એ વિષે તેમણે કોઈ ફોડ પાડ્યો નહોતો તો સધિયારો તો બહુ દૂરની વાત છે. વળી શંકા કરનારાઓ તેમને કોઈ પ્રશ્ન પૂછતા પણ નહોતા કે, ભાઈ, બતાવો આઝાદ ભારત કેવું હશે અને એમાં અમારું સ્થાન ક્યાં હશે? તમે તો ભારતનાં બહુમતી હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરો છો. સવાલ એ લોકોને પૂછવામાં આવતા હતા જેઓ શંકાનું નિરાકરણ કરતા હતા, ઠરાવો કરતા હતા, ખાતરી આપતા હતા, સંવાદ સાધતા હતા, હરિજન સેવક સંઘ, હિન્દુસ્તાની પ્રચારસભા જેવી સંસ્થાઓ સ્થાપીને સેતુ બાંધવાનો પ્રયાસ કરતા હતા, હરિજનોનાં મંદિરપ્રવેશ માટે સાને ગુરુજી જેવા આંદોલન કરતા હતા, મંદિરપ્રવેશ માટે કાયદાઓ ઘડતા હતા, વગેરે વગેરે. માનવીય સમાજની રચના માટે ભારતનાં લાખો સવર્ણોએ ગાંધીજીની પ્રેરણાથી જીવન ઘસી નાખ્યું હતું. એ પછી પણ તેમના ઈરાદાઓ વિષે, પ્રામાણિકતા વિષે શંકાઓ કરવામાં આવતી હતી અને ગાળો પણ આપવામાં આવતી હતી. પંઢરપુરનું મંદિર હરિજનો માટે ખુલ્લું મૂકવા માટેનો સત્યાગ્રહ જ્યારે સાને ગુરુજીએ કર્યો ત્યારે તેમને કેટલાક દલિતોએ સવાલ કર્યો હતો કે તુમ્હી કોબરા કા? કોબરા એટલે કોંકણસ્થ બ્રાહ્મણ. સાને ગુરુજીએ જવાબ આપ્યો હતો કે હોય. હા, હું કોબરા છું. સાને ગુરુજી જેવા માતૃહૃદયીને પણ ઝેરીલા કોબરા તરીકે ઓળખાવતા શરમ નહોતી આવી.

જેણે કશું જ નહોતું કર્યું, દલિતો અને વંચિતો તરફ નજર પણ નહોતી કરી, સરેઆમ ઉપેક્ષા કરી હતી તેના વિષે તેમને (દલિતોને તેમ જ બહુજન સમાજના નેતાઓએ) કશું જ કહેવાનું નથી, કોઈ ફરિયાદ નથી અને જેમણે બાથમાં લેવા હરસંભવ પ્રયાસ કર્યો તેમને ગાળો આપવામાં આવે છે. આજે પણ આપવામાં આવે છે. દલિતો અને બહુજન સમાજનો વિમર્શ આઝાદી પહેલાંના સંદર્ભોથી મુક્ત નથી થઈ શકતો અને ખરું પૂછો તો નથી કરવામાં આવતો. ૨૦૧૪ પછી થોડોક ફરક જોવા મળે છે, પણ ખાસ કોઈ મોટો ફરક જોવા મળતો નથી. જો દલિતોને, બહુજન સમાજને, વંચિતોને એમ લાગતું હોય કે તેમનું વ્યાપક હિત બંધારણીય ભારત ટકી રહે તેમાં છે તો તેમણે પહેલું કામ એ લોકોને ગાળો આપવાનું બંધ કરવું જોઈએ જેમણે હાથ લાંબો કર્યો હતો અને બાથ પહોળી કરી હતી. એ લોકો ખરા મિત્ર હતા અને છે એનો સ્વીકાર કરવો જોઈએ. બાકી એકલા હાથે સંવિધાન બચાવ યાત્રાઓ કાઢવાનો કોઈ અર્થ નથી.

ભારતના કહેવાતા ઉદારમતવાદીઓ એકબીજા પ્રત્યે અનુદાર છે અને એ તેમની સૌથી મોટી કમજોરી છે. જો ઉદારમતવાદીઓ પરસ્પર વ્યવહારમાં અનુદાર ન હોત તો આજે બંધારણ બચવવા યાત્રાઓ કાઢવી ન પડત. માટે લોકતાંત્રિક, સેક્યુલર અને સહિયારું ભારત બચાવવું હોય તો ઉદારમતવાદીઓએ પરસ્પર ઉદાર બનવાની જરૂર છે, બંધારણ એની મેળે બચી જશે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 21 જાન્યુઆરી 2024

Loading

ધર્મશાસનઃ ધર્મશાસિત દેશોની સ્થિતિ એ વાતની સાબિતી છે કે રાજકારણથી ધર્મને છેટો રાખવામાં ભલાઇ છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|21 January 2024

ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે ‘રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએ’નું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા

ચિરંતના ભટ્ટ

ઈરાન, સાઉદી અરેબિયા, વેટિકન સિટી, પાકિસ્તાન, માલદિવ્ઝ, મોરેતાનિયા, યમન, અફધાનિસ્તાન, ભુતાન, ઇઝરાયલ અને હેલેનિક રિપબ્લિક એટલે કે ગ્રીસ – આ દસ રાષ્ટ્રો વચ્ચે એક સામ્યતા છે. આ તમામ રાષ્ટ્રોમાં એક અધિકૃત ધર્મને અનુસરવામાં આવે છે અથવા તો તેમના બંધારણમાં ધર્મને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે – અથવા તો કોઇ ચોક્કસ ધર્મને રાષ્ટ્રનો મુખ્ય ધર્મ બનાવવામાં આવ્યો છે. ભુતાન અને ગ્રીસને છોડીને બાકીના બધા દેશોમાં ઇસ્લામ ધર્મને અધિકૃત ધર્મ માનવામાં આવે છે. ભુતાનમાં બૌદ્ધ ધર્મને પ્રાધાન્ય મળેલું છે તો ગ્રીસ – હેલેનિક રિપબ્લિકમાં ખ્રિસ્તી ધર્મને મહત્ત્વ અપાયું છે. આ બધા દેશો ધર્મશાસિત દેશો છે, જેને માટે અંગ્રેજીમાં Theocratic શબ્દ વપરાય છે.  આ રાષ્ટ્રોમાં તેમનો નેતા કોઇ ઈશ્વર કે તેનો સમૂહ હોય અને તે કોઇ દુન્યવી વ્યક્તિ દ્વારા પ્રજા પર શાસન કરતા હોય. આ દુન્યવી વ્યક્તિ એટલે મોટે ભાગે કોઇ ધર્મગુરુ, પાદરી કે પછી મૌલાનાના સ્તરની વ્યક્તિ હોઇ શકે. અહીંની સરકારો ઇશ્વરને માટે વહીવટ કરે, ઇશ્વરની સેવા કરે પ્રજાની નહીં અને માટે જ આવા દેશોમાં નિયમોનું ઉલ્લંઘન કરવાની સજા બહુ જ આકરી હોય છે. એક સમયે ઇજીપ્ત, જાપાન, તિબેટ, ઇઝરાયલ અને ચીન પણ ધર્મશાસિત દેશો હતા. સુદાનમાં પણ ઇસ્લામિક ધર્મ શાસન હતું જે 2019માં માંડ માંડ ચાલે એવી લોકશાહીમાં ફેરવાયું.

આમ જોવા જઇએ તો ઘણા બધા રાષ્ટ્રો માટે ધર્મ તેમની કરોજરજ્જુ સમાન રહ્યો છે પણ ઘણીવાર અમુક રાષ્ટ્રોની કમરતોડ હાલત કરી દેવા પાછળ પણ ધર્મ જ કારણભૂત રહ્યો છે. અમુક રાષ્ટ્રો એટલા કટ્ટર પણ છે જ્યાં બીજા ધર્મનું અનુસરણ કરવા પર પ્રતિબંધ છે અને તેમ કરવું ગેરકાયદે ગણાય છે. વળી રશિયા જેવા દેશોમાં એક કરતાં વધુ રાષ્ટ્રીય ધર્મો છે, હાલમાં રશિયામાં ત્રણ ધર્મને રાષ્ટ્રીય ધર્મ તરીકેની માન્યતા અપાઈ છે. ચીનની વાત કરીએ તો બંધારણમાં ધાર્મિક માન્યતાની સ્વતંત્રતાની વાત છે અને બૌદ્ધ, કેથલિક, પ્રોટેસ્ટન્ટ, દાઓઇઝમ (તાઓઇઝમ) અને ઇસ્લમામ ધર્મને ત્યાં માન્યતા અપાતી હોવા છતાં પણ ચીનની સરકાર ધર્મને લઇને આકરું નિયમન કરે છે.  ચીનમાં જે પણ ધર્મ હોય તેણે ચીની સંસ્કૃતિને સમાંતર રહેવું પડે અને પોતે ચીનને વફાદાર છે તેવી સાબિતી પણ આપવી પડે. ચીનમાં ચર્ચમાંથી ક્રોસ કાઢી લેવાયા છે, મસ્જિદનાં ગુંબજ કે મિનારા તોડી નંખાયા છે જેથી તે ચીનનાં હોય એવા દેખાય. ચીનની સરકારે તો કુરાનની નવી આવૃત્તિ પણ બહાર પાડી છે જેનાથી મુસલમાન ધર્મનું શિક્ષણ નવા સમયના ચીનની સંસ્કૃતિને મેળ ખાતું હોય. ચીને તો વેટિકન સાથે પણ વાટાઘાટો કરી હતી જેની ટીકા કરવામાં આવી હતી. ચીન લોક સંસ્કૃતિને મહત્ત્વ આપે છે તો આ પાંચ મુખ્ય ધર્મ સિવાયના ધર્મને લગતી પ્રવૃત્તિઓને અંધશ્રદ્ધામાં ખપાવે છે. ચીનમાં ધર્મને લઇને ઘણાં બધાં નિયમો છે, જેમ કે 18 વર્ષથી નાની વયનાં બાળકોને બંધારણીય રીતે કોઈપણ ધર્મ તરફના ઝુકાવનો પ્રતિબંધ છે.  બાંગ્લાદેશ જેવા રાષ્ટ્રોની સમસ્યા એવી ખડી થાય કે ત્યાં લોકશાહી સરકાર હોવા છતાં વિરોધ પક્ષોમાં ધાર્મિક કટ્ટરવાદનો ઉદય થઇ રહ્યો છે અને તેઓ શરિયાના કાયદાને લાગુ કરવા મક્કમ છે.

આપણે જે પણ દેશોનો ઉપર ઉલ્લેખ કર્યો તે તમામની સ્થિતિ શું છે તેનો વિસ્તાર કરવાની જરૂર નથી. વિહંગાવલોકન પરથી તારણ કાઢીએ તો એ હકીકત છે કે સરકારની નીતિઓમાં જ્યારે ધર્મનો પ્રભાવ હોય, જ્યારે ધર્મ અને સરકાર હાથમાં હાથ નાખીને કામ કરતાં હોય ત્યારે પ્રજાની વલે થતી હોય છે. ભારત જેવો દેશ જ્યાં અને પ્રકારની અસમાનતાઓ છે એવા આપણા દેશમાં ધર્મ જાહેર સ્વાસ્થ્ય સુધ્ધાં પર અસર કરી શકે છે. યુ.એસ.એ. પણ આપણી માફક લોકશાહી દેશ છે છતાં પણ ગર્ભપાતના મુદ્દે જ્યારે ધાર્મિક સ્તરે ફાંટા પડ્યા ત્યારે આકરી મુશ્કેલી ખડી થઇ હતી. મુસલમાન ધર્મને જ્યાં પ્રાધાન્ય અપાય છે, સર્વોપરી મનાય છે ત્યાં ખતના (ફિમેલ જેનિટલ મ્યુટિલેશન), ખોરાક પર ધર્મનાં નિયંત્રણો, બુરખા પ્રથા જેવી સમસ્યાઓ છે. વળી આટલું ઓછું હોય તેમ પાકિસ્તાનમાં પોલિયોની રસી મુકવા ગયેલા પર થયેલા હુમલા કે ભારતમાં જેહોવાહના બ્લડ ટ્રાન્સફ્યુઝનની ના પાડવામાં આવી એ પુરતાં મોટા પુરાવા છે એ સાબિત કરવા કે ધર્મ જ્યારે રાજકારણ સાથે ભળે ત્યારે સમાજમાં કેવી પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે – જે સમાજનાં સ્વાસ્થ્ય માટે જ જોખમી બની જાય છે. જો કે એવાં દૃષ્ટાંત પણ છે જ્યાં સાઉદી અરેબિયા જેવા રાષ્ટ્રના જી.ડી.પી.નો સારો એવો હિસ્સો સ્વાસ્થ્ય જેવી બાબતો માટે ખર્ચવામાં આવે છે. પરંતુ મોટાભાગના રાષ્ટ્રો જ્યાં ધર્મને બંધારણનો હિસ્સો બનાવાયો છે ત્યાં સામાજિક, આર્થિક અરાજકતા એક સમાન્ય બાબત બની ચૂકી છે.

યુ.એસ.એ.માં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે અને તે અમુક હદે ઈશ્વર ભીરુ પ્રજા છે એમ કહી શકાય. યુરોપમાં દેખીતી રીતે લોકો કદાચ ધાર્મિક વિધિ વિધાન નથી અનુસરતા પણ વેટિકનનો પ્રભાવ ત્યાં પણ વર્તાય તો છે જ. વળી ટ્રમ્પે એક સમયે ધર્મને લગતા નિવેદનો કરીને વંશવાદના ભડકા કર્યા જ હતા અને આજે પણ ટ્રમ્પનો એ જ અભિગમ છે. રાજકારણીઓ ચૂંટણી ટાણે ધર્મને હુકમનું પાનું ગણે જ છે પછી ભલેને તે વિદેશની વાત હોય કે આપણા ભારત દેશની વાત હોય.

આ આખી કથા કરવાનો સાર એ કે ધર્મને રાજકારણનું કૉકટેલ દેશનો હાલ બેહાલ કરી શકે છે. આપણા દેશનું બંધારણ જ્યારે રચાયું તે પહેલાં આપણે મુઘલો, વલંદાઓ, અંગ્રેજોનાં રાજ જોયાં હતાં. કોઇએ ભારતને પોતાનું ઘર બનાવવાનો પ્રયાસ કર્યો તો કોઇએ સામ્રાજ્યવાદી વલણથી આપણું શોષણ કર્યું. બંધારણ બન્યું ત્યારે આપણે ત્યાં વિવિધ ધર્મ અનુસરનારા લોકો હોવાથી બિનસાંપ્રદાયિકતા અપનાવવામાં આવી. ધર્મને નહીં પણ ધર્મ અપનાવવાની સ્વતંત્રતા આપણા દેશની ઓળખ છે અને તે એમ જ રહેવું જોઇએ. બંધારણની બિનસાંપ્રદાયિકતાને યથાવત્ રાખવી એ એક નાગરિક તરીકે આપણો પહેલો ધર્મ છે નહીં કે ધર્મને નામે વોટની શતરંજના પ્યાદા બની જવું.

બાય ધી વેઃ

આજે કોઈ રાજકીય પક્ષ પોતાને કોઈ ચોક્કસ ભગવાનનો પક્ષ ગણાવે તો બંધારણની બિનસાંપ્રદાયિકતાનું શું થશે તેનો વિચાર આપણે કરવો રહ્યો. ગાંધીજીને પણ રામ રાજ્ય જોઈતું હતું પણ તેમના રામ રાજકીય નહોતા, તેમને માટે રઘુપતિ રાઘવ રાજા રામ અને વૈષ્ણજન તો તેને રે કહીએનું ભજન તેમની રામભક્તિના પુરાવા હતા. દરેક રાજકીય પક્ષના પોતાના સ્વાર્થ હોય છે. કાઁગ્રેસનું અને ભા.જ.પા.નું રામ રાજ્ય ગાંધીજીના રામ રાજ્ય કરતાં અલગ છે. ધર્મ અને રાજનીતિના આ ધસારા પછી આવનારી પેઢીઓ માટે આપણા દેશની ધાર્મિક વિવિધતાની બારીકીઓ સમજવું કદાચ અઘરું થઇ પડે એમ બને. હિંદુ ધર્મ, અને હિંદુ વાદમાં આસમાન જમીનનો તફાવત છે એ યાદ રાખીને આપણી આસ્થાને, આપણા શ્રીરામને વંદન કરીએ પણ તેમને રાજકીય દાવપેચનો ચહેરો ન બનવા દઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 જાન્યુઆરી 2024

Loading

...102030...686687688689...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved