Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2024ની ચૂંટણીમાં ભા.જ.પા.એ નવા ખાતા ખોલવાનો પ્રયાસ કર્યો તો વિવાદી રાજ્યોને છેટે રાખ્યા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 June 2024

400 પારના દાવાનું પરિણામ જલદી જ આર યા પાર થઇ જશે, ત્યારે ભા.જ.પા. માટે કયા રાજ્યોમાં પગદંડો જમાવવો અઘરો રહ્યો છે અને શા માટે તે જાણીએ

ચિરંતના ભટ્ટ

આવતીકાલે જે થવાનું છે તેની દરેકને કાગડોળે પ્રતીક્ષા છે. આટલી ઉત્સુકતા તો હવે કોઇ બીજા પરિણામો માટે કોઇને પણ નથી હોતી. ગઇ ચૂંટણીમાં ભા.જ.પા. ૩૦૩ બેઠકો પર જીતી અને એન.ડી.એ. સાથે ગણતરી કરીએ તો – 352 બેઠકો પર તેની જીત થઇ હતી. આ વખતે 400 પારનો દાવો સતત ગુંજ્યો છે. ભા.જ.પા.એ પોતાનું નિશાન 370 બેઠકો પર રાખ્યું છે તો એન.ડી.એ. સાથે 400 બેઠકો પર જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. એક આખા વર્ગનું માનવું છે કે 400 પાર ભા.જ.પા. માટે સરળ છે જ્યારે વિશ્લેષકો માને છે કે જે રાજ્યોના ગઢને ગઈ ચૂંટણીમાં ભા.જ.પા.ને જીતવો હતો પણ ધારી સફળતા ન મળી. એવી જ રીતે આ વખતે પણ કેટલાક રાજ્યોમાં ભા.જ.પા. માટે પોતાનો સિક્કો જમાવવો સહેલો નથી. જો કે આ વખતે ભા.જ.પા.એ જ્યાં પોતાની પહોંચ કે પ્રભાવ નથી ત્યાં છવાઇ જવા માટેના કોઇ પ્રયત્નો બાકી નથી રાખ્યા.

બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્ર લોકસભાના પરિણામોને ચોથી જૂને આવવાના છે અને આ ચારેયમાં ભા.જ.પા.એ પકડ જમાવવા માટે પાછા ફરીને નથી જોયું. બીજા બધા રાજ્યોને બેઠકોમાં ભા.જ.પા. કાં તો થોડી ઘણી પકડ ધરાવે છે અથવા તો ત્યાં પગદંડો જમાવી શકે એટલો પ્રભાવ ધરાવે છે અને ત્યાંના આંકડાથી આખરી પરિણામોમાં બહુ મોટું ગાબડું કે બહુ બધો ફાયદો થવાની શક્યતાઓ પાંખી છે. ખરી રસાકસી આ ચાર રાજ્યોમાં છે કારણ કે અહીંના પરિણામ કઇ બાજુ વળાંક લેશે તે ભા.જ.પા. માટે નિર્ણાયક સાબિત થાય એમ છે. જ્યારે ભા.જ.પા. કાઁગ્રેસ સાથે સીધે સીધી ઝીંક ઝીલે છે ત્યારે લડાઇમાં જીતવું મોટે ભાગે સહેલું રહે છે. જે રાજ્યોમાં ભા.જ.પા.એ ત્યાંના, જે-તે રાજ્યના પ્રાદેશિક પક્ષો સામે લડવાનું હોય છે ત્યાં ભા.જ.પા.ને એડી ચોડીનું જોર લગાડવું પડ્યું છે. આ વખતે પણ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચાર કામગીરી દરમિયાન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં બધું જોર લગાડ્યું છે કારણ કે અહીંના પ્રાદેશિક પક્ષોના ગઢના કાંગરા ખેરવવા ભા.જ.પા. માટે સહેલું નથી. ઉત્તર પ્રદેશ સિવાય જોઇએ તો બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને દક્ષિણના અમુક રાજ્યોમાં ભા.જ.પા.એ પોતાનો સિક્કો જમાવવા પાછા ફરીને જોયું નથી.

સૌથી પહેલાં દક્ષિણી રાજ્યોની વાત કરીએ તો અહીંના પરિણામોને મામલે કોઇ નક્કર દાવો કરવો ભા.જ.પા. માટે અશક્ય છે. કેરળની જ વાત કરીએ તો હજી સુધી ભા.જ.પા.ને લોકસભાની ચૂંટણીમાં અહીંથી એક બેઠક જીતવી પણ અઘરી રહી છે. એલ.ડી.એફ. અને યુ.ડી.એફ. જ અહીં મુખ્ય પ્રવાહ તરીકે દેખાયા છે અને તેમાં પોતાનો રસ્તો કરવા માટે ભા.જ.પે. બધા પ્રયત્નો કર્યા હોવા છતા હજી સુધી ધાર્યું પરિણામ નથી મળ્યું. કેરળમાં ભા.જ.પા.નું ખાતું ખુલ્યું નથી. એક એવું રાજ્ય જ્યાં સાક્ષરતાનું પરિણામ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું વધારે છે ત્યાંનું રાજકારણ ભા.જ.પા.ને હજી સુધી નથી કળ્યું. સી.પી.એમ. અને કાઁગ્રેસ કેરળમાં બીજા કોઇની કારી ફાવવા નથી દેતા અને બધા વોટ આ બન્ને વચ્ચે વહેંચાઇ જાય છે અને ભા.જ.પા. હાથ ઘસતી રહી જાય છે.  કેરળના હિન્દુ વોટ ભા.જ.પ.ને મળતા નથી અને લઘુમતી ઉપર કાઁગ્રેસનો પ્રભાવ છે. અહીંના હિન્દુ વોટ ડાબેરી પક્ષોને જતા હતા પણ વિધાનસભા ચૂંટણીઓમાં ભા.જ.પા.એ હિન્દુ વોટનો પ્રભાવ પોતાની તરફ વાળ્યો છે પણ શું સબરીમાલાને મુદ્દો ભા.જ.પ. તરફી વળેલા મતનો લાભ ભા.જ.પા.ને આ વખતે લોકસભાની ચૂંટણીમાં મળશે ખરો? કેરળના પાડોશી રાજ્ય તમિલનાડુમાં પ્રચાર કરવા નરેન્દ્ર મોદી દસથી વધારે વાર જઇ આવ્યા છે અને એ સાબિત કરે છે કે અહીં ખાતું ખૂલે એ માટે ભા.જ.પા. બેચેન છે. ભા.જ.પા.નું હિંદુત્વ તમિલનાડુમાં ચાલે એમ નથી કારણ કે અહીં ધર્મ નહીં પણ જાતિલક્ષી રાજકારણ ખેલાય છે. દક્ષિણી રાજ્યોને રિઝવવા માટે રામ મંદિરમાં પણ દક્ષિણનો ઘેરો પ્રભાવ રખાયો છે જેને વિશે આપણે અહીં પહેલાં પણ ચર્ચા કરી છે.

ઓડિશાના ચૂંટણા મેદાનમાં બીજુ જનતા દળ (બી.જે.ડી.) અને ભા.જ.પા.એ શિંગડા ભેરવ્યા છે. બી.જે.ડી. સાથે હાથ મેળવવામાં તો ભા.જ.પા. નિષ્ફળ રહી જ છે પણ મુખ્ય મંત્રી નવીન પટનાયકના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે ભા.જ.પા. પાસે કોઇ ચહેરો નથી. ભા.જ.પા.એ ઓડિશામાં પોતાની પકડ જમાવવા માટે કાઁગ્રેસની વોટ બેંકને તોડી છે. કેન્દ્રમાં રહ્યે રહ્યે ભા.જ.પા.એ પટનાયક સરકાર સાથે સારાસારી નથી રાખી એ પણ એક અવરોધ તો છે જ પણ ગરજ પડી ત્યારે પટનાયક સરકારની વાહવાહી કરનાર ભા.જ.પા.ની આશાઓ પર ઓડિશા મહેરબાન થાય છે કે કેમ તેની કોઇ ગેરંટી નથી.  બી.જે.ડી. રાષ્ટ્રીય મુદ્દાઓમાં મોદી સરકારને ટેકો આપે છે પણ ઘર આંગણે બીજુ પટનાયક સામે મોદી કાર્ડ કેટલું ચાલશે એ કોયડો ઉકેલવો અઘરો છે. પટનાયકની તરફેણમાં ઓડિશાના મહિલા વોટરો મોટી સંખ્યામાં છે.  બીજી તરફ ઓડિશામાં કાઁગ્રેસની કોઇ ગણતરી નથી અને ભા.જ.પા. પટનાયકની લોકપ્રિયતામાં ગાબડું પાડીને પોતાનો સિક્કો નહીં જમાવી શકે એ સ્વાભાવિક છે. આવામાં મુત્સદ્દી વલણથી પોતાની છાપ સારી રાખે તો કમ સે કમ ભા.જ.પા. ગણતરીમાં લેવાય એટલો ફાયદો કદાચ થાય એમ છે. ટૂંકમાં પટનાયક સરકારની લીટી ટૂંકી કરવાની દાનતથી ભા.જ.પા.ને ફાયદો થવાનો નથી.

પશ્ચિમ બંગાળ અને બિહારની 82 બેઠકો પરનો જંગ સૌથી રોચક રહ્યો હશે એમ કહી શકાય. આ રાજ્યોમાં છેલ્લા પાંચ વર્ષમા ઇ.ડી. અને સી.બી.આઇ. જેવી તપાસ એજન્સીઓ ફરી વળી છે. મમતા બેનર્જીની સરકાર માટે છેલ્લાં પાંચ વર્ષ અઘરાં રહ્યાં છે કારણ કે તૃણમૂલના ધારાસભ્યો, નેતાઓ અને ડઝન જેટલા નેતાઓ ભ્રષ્ટાચારીના લેબલ સાથે જેલભેગા કરાયા છે. સંદેશાખલીનો જાતીય સતામણીનો મામલો પણ મતતા બેનર્જીના પડકારોમાં વધારો કરનારો સાબિત થયો છે. મોદીએ પોતાની રેલીઓમાં આ બધા મુદ્દાઓને ભારે ચગાવ્યા છે. અહીં મોદી સામે ઝીંક ઝીલવા માટે કાઁગ્રેસ અને ડાબેરી પક્ષો પણ એક નથી થઇ શક્યા. મમતા બેનર્જી માથાભારે છે અને તેમની પશ્ચિમ બંગાળ પરની પકડને જરા ય હળવાશથી લેવાય એમ નથી છતાં પણ ભા.જ.પા.ની આ વખતની ઝૂંબેશમાં કોઇ કસર છોડવામાં નથી આવી. ભા.જ.પા.એ અહીં ખાતું ખૂલે એ માટે બનતા બધા પ્રયત્નો કર્યા છે અને મોદીએ તો એવો વિશ્વાસ જતાવ્યો છે કે ભા.જ.પા.ને અહીં સૌથી વધુ ફાયદો થાય તેમ છે. જો કે 2021ની વિધાનસભાની ચૂંટણી પછી સત્તા પર ફરી ગોઠવાયેલા દીદીને ભા.જ.પા. ટસથી મસ નથી કરી શકી.

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના અને એન.સી.પી.નું વિભાજન થતા રાજકીય સમીકરણો બલાઇ ગયા છે. અને ભા.જ.પા.ને આ બન્ને પક્ષોમાંથી જે બળૂકાં જૂથ છે તેનું જ સમર્થન મળ્યું છે પણ મહારાષ્ટ્રની અસ્પષ્ટતા પેચીદી છે. વળી ઉત્તર પ્રદેશમાં 30 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સાથે એન.ડી.એ.ની લડત કસદાર રહેવાની છે.

જોવાનું એ છે કે ભા.જ.પા.એ આ બધા રાજ્યોમાં ગોઠવાઇ જવા માટે કોઇ કસર નથી છોડી પણ ભા.જ.પ. કાશ્મીરમાં ચૂંટણી નથી લડતો. 370ની કલમની મોટાભાગની જોગવાઇઓને 2019માં રદ્દ કરવામાં આવ્યા પછી ઘાટીમાં પહેલી ચૂંટણી છે. ભા.જ.પા.ના ‘નયા કાશ્મીર’ના નેરેટિવથી ત્યાંના લોકો બહુ પ્રભાવિત હોય એમ લાગતું નથી. ભા.જ.પા. ઘાટીમાંની ત્રણ બેઠકમાંથી એકેય પરથી ચૂંટણી નથી લડી રહી. લદ્દાખને પણ ભા.જ.પા. છંછેડતી નથી તો મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાંમાં પણ ભા.જ.પા.નો પોતાનો એકેય ઉમેદવાર નથી.  જ્યાં સવાલોના જવાબ આપવા પડે ત્યાં કશું વતાવવું નહીં અને સમર્થક બની રહેવું એ ભા.જ.પા.નો અભિગમ રહ્યો છે.

આત્મવિશ્વાસ અને હુંકાર દેખાડવો એક વાત છે પણ સિફતથી સંવેદનશીલ રાજ્યોથી દૂર રહેવું, પ્રાદેશિક રાજકારણમાં રસ્તો બનાવવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવામાં ક્યાંક ભા.જ.પા.ના મનમાં રહેલી અસલામતી અને અચોકસાઇ ડોકિયું કરી જાય છે.

બાય ધી વેઃ 

કાઁગ્રેસે જ્યાં ધુસી શકાય ત્યાં ઘુસવાનો પ્રયત્ન કર્યો જ છે. ક્યાંક પ્રયાસો મરણિયા રહ્યા છે તો ક્યાંક સલુકાઇથી કરાયા છે પણ બધે કારી ફાવી નથી એ ચોક્કસ. ભા.જ.પા.ને મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાના બળે બહુમતી નહીં મળે એમ કાઁગ્રેસ દૃઢપણે માને છે. વળી એન.ડી.એ.માંથી ઘણાં સાથીઓ છૂટા પડી ગયા છે. ભા.જ.પા.નો સાથ છોડનારાઓ અંગે પક્ષનું કહેવું છે કે એની અસર ભા.જ.પા.ની પોતાની ગણતરી પર પડવાની નથી. પ્રાદેશિક પાર્ટીઓ સામે ટકવું ભા.જ.પા. માટે મુશ્કેલ છે એ તો પાર્ટી અંદરખાને સારી પેઠે જાણે જ છે પણ થપ્પડ મારીને ગાલ લાલ ન રાખે તો રાજકારણી શાના? ખેલનું પરિણામ જલદી જ આપણી સામે હશે અને મતદારો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશે ત્યારે દરેકને સમજાશે કે દાવા કરવા રાજકારણીઓનું કામ છે પણ એને સાચા પાડવાની તાકાત મતદારોના હાથમાં જ છે. મંદિરના મુદ્દાએ ખડો કરેલો જુવાળ શમી ગયો છે, દર વખતે ચૂંટણીમાં એકનાં એક ભાવનાત્મક મુદ્દાઓનું સરખું વળતર નથી મળી શકતું, તેમ જ છ અઠવાડિયા ચાલેલો ચૂંટણી પ્રચાર, કાળઝાળ ગરમીમાં થયેલું મતદાન શાસક પક્ષને ફાયદો જ કરાવી જ આપશે એમ માની લેવાનું કોઇ કારણ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2024

Loading

હિન્દુત્વ એટલે હિંદુ સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2024

રમેશ ઓઝા

૨૦૧૪માં નરેન્દ્ર મોદી બીજેપીને ૨૮૨ બેઠકો સાથે એકલા હાથે સત્તા સુધી પહોંચાડી શક્યા ત્યારે મને એક સંભાવના નજરે પડતી હતી કે જો સ્પષ્ટ બહુમતી સાથે બી.જે.પી. હિન્દુત્વ પ્લસ વિકાસલક્ષી શાસન (સબકા સાથ સબકા વિકાસ) પ્લસ સંસ્કારી તેમ જ ગરિમાપૂર્ણ શાસન આપશે, તો કમ સે કમ ૨૫ વરસ સુધી બી.જે.પી.નું રાજ નક્કી છે. નરેન્દ્ર મોદી પોતે ત્રણ મુદ્દત મેળવીને જવાહરલાલ નેહરુની પંક્તિમાં સ્થાન મેળવી શકે અને પછી બીજી બે મુદ્દત તેમના અનુગામીનું શાસન રહે. અત્યાર સુધી દેશની જનતાને પૂર્ણ બહુમતીવાળા હિંદુ શાસનનો અનુભવ નહોતો. કેટલાક સમાજશાસ્ત્રીઓ એમ માનતા હતા કે કોમી હુલ્લડો, રામમંદિર વગેરે એકલા હાથે સત્તા સુધી પહોંચવા માટેનાં સાધનો છે. એકવાર તેઓ સત્તા સુધી પહોંચી જશે એ પછી રાજકીય મજબૂરી તેમને મધ્યમમાર્ગે લઈ આવશે, જે રીતે સામ્યવાદીઓની બાબતમાં બન્યું હતું. બી.જે.પી.ને દક્ષિણમાં પહોંચવું છે, ઉદારમતવાદી સેક્યુલર નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે અને વિશ્વદેશોને પણ ખાતરી કરાવવાની છે કે હિન્દુત્વ કોમવાદી, પક્ષપાતી, અસંસ્કારી, માથાભારે અને લોકશાહી વિરોધી નથી. હિન્દુત્વ એટલે હિંદુ સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ, કારણ કે ભારતીય સંસ્કૃતિનો પાયાનો પત્થર હિંદુ સંસ્કૃતિ છે. હિન્દુત્વવાદીઓને મન હિન્દુત્વ એ જ ભારતીયત્વ અને હિંદુ સાંસ્કૃતિક સમૃદ્ધિકરણ એ જ ભારતીય સાંસ્કૃતિક સમૃદ્ધિકરણ.

આમ જ થશે એની ખાતરી નહોતી, પણ સંભાવના લાગતી હતી. ખાતરી નહીં હોવાનું કારણ એ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારે ય તેના હિંદુ રાષ્ટ્રની વિભાવના કે રૂપરેખા ચોખ્ખા શબ્દોમાં લખીને દેશ સમક્ષ રજૂ નથી કરી. સો વરસમાં ક્યારે ય નહીં. ક્યારેક આમ બોલે અને ક્યારેક તેમ બોલે. તેઓ જ્યારે ભેદભાવરહિત, લોકતાંત્રિક પણ હિંદુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરતા ત્યારે ઉપર કહી એવી સંભાવના નજરે પડતી હતી, પરંતુ એ સાથે જ તેઓ પક્ષપાતયુક્ત અને હિન્દુસ્તાનમેં રેહના હો તો … એવી દાદાગીરીની ભાષામાં પણ બોલતા હતા એટલે ખાતરી નહોતી. આ સિવાય સીતારામ ગોયલ, રામ સ્વરૂપ, ગિરિલાલ જૈન, એક સમયે અરુણ શૌરી જેવા વૉઈસ ઑફ ઇન્ડિયા જૂથના કેટલાક વિદ્વાનો સંઘ અને હિન્દુત્વવાદીઓની મદદમાં ઉતર્યા હતા અને તેઓ એમ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે હિંદુ રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને તે સેક્યુલરિઝમ અને લોકશાહી વિરોધી નથી. ઊલટું કાઁગ્રેસનું અને બીજા કેટલાક પક્ષોનું મુસલમાનોનું તુષ્ટિકરણ કરનારું રાજકારણ સેક્યુલરિઝમની વિરુદ્ધ છે અને એ રીતે કોમવાદને પુષ્ટિ આપનારું છે. આ સિવાય હિંદુ હોવા માટે ગર્વ લેનારા પણ બીજાનો દ્વેષ નહીં કરનારા  અનેક હિંદુઓ હતા જે એમ માનતા હતા કે અવિરોધી હિંદુ હોઈ શકે છે અને જો અવિરોધી હિંદુ હોઈ શકે તો અવિરોધી હિંદુ રાષ્ટ્ર શા માટે ન હોઈ શકે?

ટૂંકમાં ત્રણ કારણે સભાવના નજરે પડતી હતી. એક તો એ કે સંપૂર્ણ બહુમતી સાથે ભા.જ.પ. સત્તામાં આવશે એ પછી શાસનમાં ટકી રહેવા માટે વ્યવહારુ માર્ગ અપનાવશે અને મધ્યમમાર્ગે આવી જશે. લોકશાહીની આ ખૂબી છે. બીજું, સંઘ/ભા.જ.પ.ના નેતાઓ સમયે સમયે વિશ્વાસ કરવાનું મન થાય એવી ડાહીડાહી વાતો કરતા હતા અને ત્રીજું કારણ એ કે આમ તો સંઘની બહારના કેટલાક સંઘમિત્ર વિદ્વાનો સંઘ વતી સધિયારો આપતા હતા. આમ તેઓ સ્વતંત્ર રીતે કરતા હતા કે સંઘ વતી એ આપણે જાણતા નથી અને ક્યારે ય જાણી શકવાના પણ નથી. સીતારામ ગોયલ, રામ સ્વરૂપ અને ગિરિલાલ જૈન હયાત નથી અને અરુણ શૌરી આ વિષે બોલે એમ લાગતું નથી.

તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી અને કેન્દ્રમાં એકલા હાથે સરકાર રચી ત્યારે એવી એક સંભાવના નજરે પડતી હતી કે કદાચ નવા શાસકો હિન્દુત્વ પ્લસ સબકા સાથ સબકા વિકાસવાળું વિકાસલક્ષી શાસન પ્લસ માણસાઈવાળું ગરિમાયુક્ત શાસનનો માર્ગ સ્વીકારશે. અને જો તેમ બનશે તો ૨૫ વરસ તેઓ સહેજે શાસન કરી શકશે. બી.જે.પી. ખરા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ બની જશે. પશ્ચિમના લોકશાહી દેશોમાં આવું બન્યું છે. ત્યાનાં એક સમયના ઝનૂની જમણેરી પક્ષો જમણેરી રહીને પણ સેક્યુલર ડેમોક્રેટિક પક્ષ તરીકે રાજકારણ કરે છે અને તેમાં કોઈ પ્રજા ભય નથી અનુભવતી. એમાં વળી બી.જે.પી. પાસે તો કાર્યકર્તાઓની ફોજ છે, જ્યારે કાઁગ્રેસ નેતાઓની પાર્ટી છે, એટલે બી.જે.પી.ની ઇનિંગ લાંબી નીવડી શકે છે.

પરંતુ આમ બન્યું નહીં. ઊલટું તેનાથી વિરુદ્ધ દિશાનું શાસન મળ્યું. જે વાતનો ડર હતો એ સાચો સાબિત થયો. ઉપર ગણાવ્યા એવા સંઘમિત્ર વિદ્વાનોમાંથી એકમાત્ર અરુણ શૌરી આજે હયાત છે અને તેઓ નરેન્દ્ર મોદીના શાસનની આકરી નિંદા કરી રહ્યા છે. મને ખાતરી છે કે રામ સ્વરૂપ, સીતારામ ગોયલ અને ગિરિલાલ જૈન આજે હયાત હોત તો તેઓ પણ ટીકા કરતા હોત. જે લોકો વૉઈસ ઑફ ઇન્ડિયા જૂથની લાઈન અપનાવીને અખબારોમાં કે સામયિકોમાં લખતા હતા એ લોકો મૂંગા થઈ ગયા છે અને લજવાય છે.

પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જે માર્ગ અપનાવ્યો, જે આર્થિક નીતિ અપનાવી, જે રાજકીય શૈલી અપનાવી, જે રાજકીય સભ્યતા અને સંસ્કૃતિ અપનાવી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કબૂલ છે? જો નાકબૂલ હોય તો કોઈ બોલતું કેમ નથી? કે પછી બોલતા ગભરાય છે? સો વરસની તપશ્ચર્યા પર પાણી ફરી રહ્યું છે, પણ ડરના માર્યા ચૂપ છે એમ સમજવાનું? કે પછી તેમને આવું જ શાસન કબૂલ છે? હિંદુ રાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. સંસ્કાર, માનમર્યાદા, સભ્યતા અને માણસાઈની ઐસીતૈસી. આ સિવાય ચીતરી ચડે એ રીતની આત્મઘેલછા. હિંદુ ધર્મ મહાન, હિંદુઓ મહાન, ભારત દેશ મહાન, આપણો ઇતિહાસ મહાન, ભારતનું ભવિષ્ય મહાન જેવી વાતો કરવાની અને વર્તમાનમાં કશું જ નક્કર કરવાની જગ્યાએ મહાનતાના તાયફાઓ યોજવાના. વિકાસના નામે ભાઈબંધોનો વિકાસ કરવાનો અને તેમના વિકાસનું જે વળતર મળે એમાંથી અનુકૂળતા ખરીદવાની અને વિરોધીઓને કચડી નાખવાના. ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ઇવેન્ટો યોજવાની અને ચૂંટણીઓ લડવાની. ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી એવા પહેલા વડા પ્રધાન છે જે દસ વરસથી ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણી જ લડે છે અને ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી પોતાનું વજન (વગ) માપ્યા કરે છે. સત્તાની ભૂખ તેમને ભયમાં રાખે છે. ભયના કારણે તેઓ સભ્યતા અને મર્યાદા સાથે બાંધછોડ કરે છે અને વધારે દુ:શ્મનો પેદા કરે છે. વધારે દુ:શ્મનો વધારે ભય પેદા કરે છે અને વધારે ભય સત્તાની ભૂખ પેદા કરે છે. અત્યારે સત્તા તેમના માટે લોકકલ્યાણનું સાધન બનવાની જગ્યાએ સ્વરક્ષાની ઢાલ બની ગઈ છે.

આના માટે, આવા “મહાન” હિંદુ રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વરસ ખર્ચ્યા? કાં તો તેઓ સહન કરે છે અથવા તેમને આ જ અભિપ્રેત હતું. પણ કલ્પના કરો કે ભેદભાવરહિત અને વિકાસલક્ષી, માણસાઈયુક્ત અથવા માનવીય, અને એ સાથે જ હિંદુઅસ્મિતા માટે ગર્વ ધરાવનાર અને તેને સમૃદ્ધ કરનાર હિંદુ શાસનનો માર્ગ અપનાવ્યો હોત તો? તો પ્રારંભમાં કહ્યું તેમ ૨૫ વરસ તેઓ સહેજે શાસન કરી શકત. હસતા હસતા, પ્રેમથી અને મુસલમાનોના પણ મત મેળવીને. સો ટકા આમ બનવાનું હતું. પણ તેની જગ્યાએ આજે શું જોવા મળે છે? ૬૦ ટકા ભારત નફરત કરે છે, નિંદા કરે છે, તિરસ્કારે છે અને તેને માટેનાં તમામ કારણો તેમણે પોતે જ આપ્યાં છે. ચૂંટણી પલટાઈ ગઈ છે અને હારવાનો ડર લાગે છે. ખબર નથી, બી.જે.પી.નો પરાજય થશે કે નહીં, પણ સવાલ તો છે સો વરસનો થવા આવેલ સંઘ માટે. આને માટે સો વરસનું તપ કર્યું હતું? તેઓ હિંદુઓનાં કલ્યાણ માટે હિંદુઓને સંગઠિત કરતા હતા કે તેમને અસંસ્કારી અને માથાભારે બનાવવા માટે? સો વરસની ઉમંરે પહોંચેલા સંઘની દયા આવે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2024

Loading

ગઝલ 

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion|1 June 2024

જગતમાં લાવવામાં આવ્યો છે,

પછી અજમાવવામાં આવ્યો છે.

કરીને યાદ મુજને કો’ પ્રસંગે,

લખીને ભૂસવામાં આવ્યો છે.

અપેક્ષાઓના ‘સીટીમોલ’ લઈ જઈ,

મને લલચાવવામાં આવ્યો છે.

કરાવીને પરિચય મારો જ્યાં ત્યાં

કવિ દર્શાવવામાં આવ્યો છે.

ગઝલનો એક હુનર આપીને ‘સિદ્દીક’,

બધે ગવડાવવામાં આવ્યો છે.

e.mail : siddiq948212@gmail.com

Loading

...102030...686687688689...700710720...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved