Opinion Magazine
Number of visits: 9665749
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડે છે ત્યારે સઘળું પડે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 June 2024

રવીન્દ્ર પારેખ

રાજકોટનાં ગેઇમ ઝોન પર રાખ વળી ગઈ, પછી પણ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. સરકાર તો થોડાક લાખની ખેરાત કરીને કે આશ્વાસનનાં શબ્દો બોલીને કામે લાગી ગઈ છે. ભા.જ.પ. જીતે તો ગુજરાતમાં ક્યાં ય વિજય સરઘસ નહીં કાઢે એવું જાહેર થયું છે, એ પરથી લાગે છે કે રાજકોટની જ્વાળાઓથી આખું ગુજરાત દાઝ્યું છે. ગુજરાતમાં રાજનેતાઓની, તંત્રોની અને અધિકારીઓની ગુનાહિત બેદરકારીથી છ વર્ષમાં 228 મોત થયાં છે. ગેઇમ ઝોન સાથે સંકળાયેલાઓની જ વાત કરીએ તો જે પ્રકારનો આર્થિક વ્યભિચાર બહાર આવ્યો છે તે જાણે નિર્દોષોનાં કોલસા પાડવાનું કાવતરું જ લાગે છે. એ ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય કે સાંસદ કે પોલીસ, નર્યો ભ્રષ્ટાચાર કરીને અમર્યાદ સંપત્તિ ભેગી કરનારા ગુનેગારો છે. પગાર હોય એના કરતાં અનેક ગણી સંપત્તિ ધરાવતાં હોય તો એ બધું હરામનું ભેગું થયું છે, એમાં શંકા નથી. ફાયર NOC મેળવવા સિત્તેર હજાર ચૂકવાયાનો ખુલાસો ખુદ સાંસદ કરે તો થાય કે બધાં જ પાપ આ એક ગેમ ઝોનમાં જ થયાં છે? વારુ, રાજકોટમાં 2019થી કેટલાક વેપારીઓએ ફાયર NOC માટે અરજી કરી છે, પણ તેમને તે મળ્યું નથી ને હવે ફાયર NOCની ઉઘરાણી નીકળી છે ને બધું ધડાધડ સીલ થઈ રહ્યું છે, તેમાં ઘણાંનો મરો થઈ રહ્યો છે. લાગે છે એવું કે જેમણે પૈસા દબાવ્યા તેમનું કામ થયું છે ને બાકીના ટલ્લે ચડ્યાં છે. પૈસાની આ ભૂખ નથી, હવસ છે. આમ તો એ જ પૈસા એમને બચાવે ને કોઈ નિર્દોષને ફસાવે એમ બને, પણ એવું આખું ગુજરાત ઈચ્છે છે કે આમાં જે જવાબદાર છે તે ધુમાડાયા વગર ન રહે.

ક્યાંક કૈંક સારું પણ હશે, પણ અત્યારે તો ગુજરાત અનેક પ્રકારના ભ્રષ્ટાચારોથી ખદખદી રહ્યું છે. એક ફોટો એવો જોવામાં આવ્યો, જેમાં સ્કૂલનાં બાળકો સ્કૂલવાનમાં સી.એન.જી.ના બાટલા પર બેઠાં છે. આ રીતે રોજ સવા લાખ બાળકો સી.એન.જી.ના બાટલા પર બેસી સ્કૂલે જાય છે. એના પર પણ રોક લાગવી જોઈએ, પણ કોઈ દુર્ઘટના નહીં ઘટે ત્યાં સુધી ફેર નહીં પડે. આવું વર્ષોથી સહજ રીતે ચાલે છે, પણ રાજકોટમાં ગેમ ઝોનની રાખ પડી તો સત્તાધીશો, નીતિનિયમો, કાયદાઓ લોકોને બતાવવા મેદાને પડ્યા. આ રાંડ્યા પછીનું ડહાપણ છે તે નિયમો કે કાયદા પળાવનાર ને પાળનાર જાણે છે. એ પહેલાં થયું હોત તો આટલો ભડકો જ થયો ન હોત. ગેમ ઝોનમાં 3,000 લિટર જ્વલનશીલ પ્રવાહી જોખમી છે એવું કોઈ મૂર્ખ પણ જાણે છે, એક્ઝિટ ને એન્ટ્રી એક જ હોય તો કે કામચલાઉ બાંધકામ હોય તો તે જોખમી બને … આ બધાં જાણતાં હોય છે, પણ માલિકો કે સંચાલકો ખર્ચ ન કરવામાં અને લોકોને લૂંટવામાં માનતા હોય છે, એટલે આખું કોળું દાળમાં જાય છે.

કોઈ દુર્ઘટના ઘટે છે કે તંત્રો કામચલાઉ ધોરણે દરમાંથી બહાર નીકળી આવે છે. એ ન્યાયે હવે ઠેર ઠેર બધું સીલ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. દુકાનો, મકાનો, થિયેટરો, શોપિંગ મોલ, ઓફિસો બધા પર ફાયર સેફટીને મામલે પસ્તાળ પડી છે. સુરતમાં હજારેક બિલ્ડિંગો સીલ કરવામાં આવી છે. 100થી વધુ હોસ્પિટલો, 200 જેટલાં શૈક્ષણિક સંકુલો સહિત લગભગ સાડી પાંચસો બિલ્ડિંગો પાસે BU જ નથી. 175થી વધુ બિલ્ડિંગો પાસે NOC જ નથી. આમને આમ ચાલશે તો આખું શહેર સીલ થાય એમ બને. ઘણાંના ધંધા ઠપ થયા છે. સંસ્થાઓ નવરી પડી ગઈ છે. જો કે, એમાં પક્ષપાત પણ થાય છે. પાલમાં એક ફૂડ કોર્ટને સીલ તો માર્યું, પણ તે ભા.જ.પ.નું હતું એટલે ત્રીજે જ દિવસે ફરી ધમધમતું થઈ ગયું. ટ્યૂશન ક્લાસમાં આગ લાગે તો તે બંધ કરાવી દેવાય. બોટ ડૂબે તો બોટ પર તવાઈ આવે, ગેઇમ ઝોન સળગે તો તે BU, NOC પર મંડી પડાય એ બરાબર છે? આફત આગોતરી વરદી નોંધાવીને આવે છે? આગ લાગે, તો બીજી કોઈ આફત ત્રાટકે જ નહીં, એવું ક્યાં ય લખેલું છે? એટલે એક ઘટના બને, પછી એ જ તરત બનવાની હોય તેમ, જે રીતે શહેરોને બાનમાં લેવાય છે, તે વાજબી નથી. આદર્શ સ્થિતિ તો એ હોય કે કોઈ પણ આફત માટે તંત્ર અગાઉથી જ સજ્જ હોય, પણ તે સજ્જ તો કોઈ આફત પછી જ થાય છે. દુ:ખદ એ છે કે સરકાર ફરી આવું નહીં થાય એવા વાયદા કરે છે, પણ તેને યાદ રહેતા નથી. સુરતમાં તક્ષશિલા ટ્યૂશન ક્લાસની આગની ઘટના પછી આગથી કોઈ નહીં મરે એવી વાત સરકારે કરેલી, પણ ગેઇમ ઝોનની ઘટના બની જ ! આવી ઘટનાનાં બે પરિણામો આવે છે – તંત્રોની ભ્રષ્ટતા અને નિર્દોષનાં મૃત્યુ !

વારુ, લોકો પાસે જે અપેક્ષાઓ રખાય છે એવી અપેક્ષાઓ તંત્રો પોતાને પક્ષે પૂરી કરે છે? બધી સરકારી કચેરીઓમાં BU, NOC છે? કેટલાં ગેરકાયદે બાંધકામો શહેરમાં છે તે કોર્પોરેશનને ખબર નથી? પોલીસને ખબર છે ક્યાં ગોરખધંધા ચાલે છે ને કોની રહેમ નજરથી ચાલે છે? આ ચાલતું નથી, ચાલવા દેવાય છે. આ તપાસ, રેડ, સીલિંગ ન થવું જોઈએ એમ કહેવાનું નથી, પણ થવું જોઈએ ત્યારે નથી થતું, રડવાનું એનું છે. લોકો સ્વાર્થી છે, બેદરકાર છે, તકવાદી છે એ ખરું, પણ તંત્રો પણ કૈં દૂધે ધોયેલાં નથી. લોકો પર પસ્તાળ પાડતાં તંત્રો પોતે કેટલાં બેદરકાર છે એનો એક નમૂનો જોઈએ.

કોઈ પૂછે કે ગટરનું ઢાંકણું કેટલામાં પડે તો તેનો જવાબ વધારેમાં વધારે થોડા હજાર સુધી જાય, પણ ગટરમાં પડેલું ઢાંકણું દોઢ કરોડનું પડે એમ કોઈ કહે તો તમ્મર આવેને? પણ, આ સાચું છે. ગટરમાં પડેલું ઢાંકણું કાઢવાનાં વડોદરા મહાનગરપાલિકાને એક બે લાખ નહીં, પણ દોઢ કરોડ થયા. બન્યું એવું કે વાઘોડિયા રોડ પર ડ્રેનેજ ચોકઅપની ઢગલો ફરિયાદો આવતાં વડોદરા કોર્પોરેશન તપાસમાં લાગ્યું તો તેનો છેડો 2006 સુધી લંબાયો. અઢાર વર્ષ પહેલાં રોડ બનાવવાની કામગીરી દરમિયાન ઢાંકણું મેઇન હોલમાં પડી ગયેલું. થોડા દિવસ પર જ ખબર પડી કે 2006માં ઢાંકણું ગટરમાં પડી ગયેલું તેથી લાઇન ચોકઅપ થઈ છે. કામગીરી શરૂ થઈ. રોડ ખોદાયો. ડ્રેનેજ ચેમ્બરમાંથી ઢાંકણું મળ્યું. ઢાંકણું કાઢતાં 20 ફૂટ સુધી ભરાયેલું ચેમ્બર 2 કલાકમાં ખાલી થઈ ગયું. ગટર લાઇનમાં ઢાંકણું પડ્યું છે, એની રજૂઆત તે વખતે કોઈકે વોર્ડ કચેરીને કરી હતી, પણ અધિકારીઓએ ધ્યાન ન આપ્યું. છેલ્લાં એક વર્ષથી ડ્રેનેજ લાઇનમાંથી પાણીને, પંપ મારફતે વરસાદી ગટરમાં ઠાલવવામાં આવતું હતું ને તેને માટે પંપ અને જનરેટર 24 કલાક કામે લગાડાયાં હતાં. એ બધાંનો ખર્ચ ફક્ત દોઢ કરોડ થયો. કેટલાક સરકારી લલ્લુઓ તો એમ પણ દાખલો ગણશે કે 216 મહિનાને હિસાબે દોઢ કરોડ તો બહુ મામૂલી રકમ ગણાય. એ લલ્લુઓ એમ નહીં વિચારે કે જે કામ થોડા કલાકોમાં થઈ શકતું હતું, તે કરતાં 18 વર્ષ થયાં હતાં.

આ તો તંત્રોનું ઉદાહરણ થયું, પ્રજા તરીકે આપણે ય કૈં ઓછી માયા નથી. રાજ્યમાં ડ્રગ્સ પકડાયાના સમાચાર છાશવારે છપાતા રહે છે ને ગૃહ મંત્રી તંત્રની બહાદુરીથી છાતી ફુલાવતાં ફરે છે, પણ એ નથી જોતાં કે ડ્રગ્સ ગલીઓમાં પહોંચ્યું છે. આ ડ્રગ્સ કોણ પહોંચાડે છે? એ તો લોકો જ છેને જે બાળકો-યુવાનોનું ભવિષ્ય નરક કરી રહ્યા છે. કાલના જ સમાચાર છે કે બેંગકોકથી સુરત કુરિયરમાં LSD ડ્રગ્સ મંગાવવાના રેકેટનો પર્દાફાશ થયો. SOGએ કેટલીક સોસાયટીઓમાં દરોડા પાડ્યા તો ઘરોમાંથી 42 લાખનું LSD ડ્રગ્સ અને 65 હજારનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયાં. આ વાત સુરતની જ નથી, અમદાવાદમાં પણ વિદેશથી રમકડાંની આડમાં 1.16 કરોડનો ગાંજો પકડાયો છે. વિદેશથી 18 પાર્સલ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યાં હતાં ને એ મંગાવનારા શ્રીમંત પરિવારના યુવક-યુવતીઓ છે. ગયા શનિવારે અમદાવાદના શીલજ બ્રિજ પાસેથી કારમાં એક યુવક દારૂની 595 બોટલો અને બિયરનાં 144 ટીન સાથે પકડાયો. આમાં મહિલાઓ ય પાછળ નથી. એર ઇન્ડિયાની એક એર હૉસ્ટેસ પ્રાઇવેટ પાર્ટમાં કિલો સોનું છુપાવીને લાવતાં ઝડપાઇ છે. દારૂ મોંઘો પડે છે એટલે નશા માટે સુરતના કેટલાક નબીરાઓ કફ સિરપની આખી બોટલ ગટગટાવી જાય છે. કફ સિરપનો ઉપાડ એટલો વધ્યો છે કે 100 રૂપિયાની બોટલ 200 રૂપિયામાં વેચાય છે.

તો, આ પણ એક બાજુ છે, જેમાં તંત્રો નહીં, પ્રજા સંડોવાયેલી છે. એમ લાગે છે કે બાળકો અને યુવાનો ટાર્ગેટ કરવામાં આવે છે. ગેમ ઝોન અકસ્માતોથી, ડ્રગ્સ-ગાંજાથી, શરાબ કે શરાબના વિકલ્પથી યુવા શક્તિને ખતમ કરવાનું કોઈ રેકેટ ચાલતું હોય એવો વહેમ પડે છે. આ અકસ્માત જ હોય તો તે બાળકો કે યુવાનો સાથે જ કેમ થાય છે તે વિચારવાનું રહે. એ સાથે જ પૈસાની લાલચે રાજનેતાઓ, અધિકારીઓ અને તંત્રો સાગમટે કોઈ પણ પાપ કરવામાં જરા ય અચકાતા નથી, કરુણતા એ છે કે આવું પાપ કરનારાઓને ખાસ કૈં થતું નથી, જે રાખ પડે છે તે તો નિર્દોષોની !

ખરેખર, પડે છે ત્યારે સઘળું પડે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જૂન 2024

Loading

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ ‘એ.વી.યુ.ટી.’નો માર્ગ અપનાવવો જોઇએ

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2024

રમેશ ઓઝા

આજે સુરેન્દ્ર પ્રતાપ સિંહની યાદ આવે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ (એસ.પી.) હિન્દી ભાષાના એક મોટા ગજાના પત્રકાર હતા. હિન્દી ભાષાના અત્યાર સુધીના દસ શ્રેષ્ઠ પત્રકારોમાં તેઓ અચૂક સ્થાન પામે એટલા મોટા પત્રકાર. મને યાદ છે કે ૧૯૯૦-૯૧નાં વરસોમાં તેઓ ‘નવભારત ટાઈમ્સ’ના તંત્રી હતા અને મેનેજમેન્ટ સાથે એડિટોરિયલ પોલીસી બાબતે મતભેદ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને તેમની સાથે બીજા અનેક પત્રકારોએ રાજીનામાં આપી દીધાં હતાં. તેમના નામની એક પત્રકારત્વકીય સ્કૂલ હતી અને અનેક લોકો તેમને ગુરુ માનતા હતા. તેમની સ્કૂલના પત્રકારોમાંથી કેટલાકને હું સામે પ્રવાહે તરતા જોઉં છું અને એકાદ-બે એવા પણ છે જે આજકાલ જે ગોદી મીડિયા તરીકે ઓળખાય છે એના માટે કામ કરે છે. દરેકની કરોડરજ્જુ એક સરખી નથી હોતી.

‘નવભારત ટાઈમ્સ’માંથી છૂટા થયા પછી એસ.પી. ‘ઇન્ડિયા ટુડે’ જુથમાં જોડાયા હતા અને તેમણે ‘આજ તક’ નામની ચેનલ શરૂ કરી હતી. “તો યે થીં ખબર આજ તક, ઇંતજાર કીજિએ કલ તક” એ તેમનું છેલ્લું વાક્ય લોકજીભે બેસી ગયું હતું. તેમણે ‘આજ તક’ દ્વારા હિન્દી ટી.વી. પત્રકારત્વનો માર્ગ તેમણે કંડારી આપ્યો હતો, પરંતુ એ માર્ગે તેઓ પોતે લાંબી મુસાફરી કરી શક્યા નહોતા.

આજે તેમની યાદ આવે છે એક દુર્ઘટનાને કારણે. ૧૩મી જૂન ૧૯૯૭ના દિવસે દિલ્હીમાં ઉપહાર સિનેમામાં આગ લાગી હતી જેમાં ૫૯ જીવનો ભોગ લેવાયો હતો. જીવ ગુમાવવા માટે કોઈ કારણ નહોતું, કોઈ ગુનો નહોતો, સાવ નિર્દોષ હતા એ બધા દર્શકો અને ઊલટું ઉપહાર સિનેમા ગૃહમાં ચાલી રહેલી ‘બોર્ડર’ નામની ફિલ્મ જોઇને તેઓ પોતાના દેશપ્રેમની સાહેદી પૂરાવતા હતા. એ દિવસની રાતનું ‘આજ તક’નું ન્યુઝ બુલેટિન મારી આંખ સામે તરે છે. સુરેન્દ્ર પ્રતાપ સિંહ વિહવળ હતા, દુઃખી હતા અને કેમેરાની સામે ભાવુક બની ગયા હતા. તેમણે કટ લીધા વિના પત્રકારની અંદર રહેલા માણસને કેમેરા સામે પ્રગટ થવા દીધો હતો. એ ઘટનાએ તેમણે એટલી હદે અસ્વસ્થ કરી મૂક્યા હતા, કેમેરા સામે તેઓ રડી પડ્યા હતા. એ પછી એક દિવસ તેમને હાર્ટએટેક આવ્યો અને ૨૭મી જૂને તેઓ ગુજરી ગયા.

આજે રાજકોટની દુર્ઘટનાને અખબારો, ટી.વી. ચેનલો જે રીતે હાથ ધરી રહ્યા છે એ જોઇને માથું શરમથી ઝૂકી જાય છે. એક દાયકામાં સંવેદનશીલતાનો જાણે કે દુકાળ પડ્યો છે. કેટલાક પત્રકારો રાજકોટની દુર્ઘટનાને માટે જવાબદાર લોકોનો અને ખાસ તો પ્રશાસનનો બચાવ કરી રહ્યા છે. મોરબીની દુર્ઘટના વખતે પણ આવું જ જોવા મળ્યું હતું. ઘડિયાળ બનાવતી કંપનીને પુલ બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં તેની કોઈ એક્સપર્ટીઝ નહોતી. પણ શો ફરક પડે છે? થોડા દિવસ પહેલા પૂનામાં એક બિલ્ડરના તરુણ પુત્રે વહેલી સવારે બેફામ ગાડી ચલાવીને એક યુવક અને યુવતીના પ્રાણ લીધા હતા. તેની સામે કોઈ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો અને બિલ્ડરના વંઠેલ પુત્રને બચાવવા સવારના છ વાગે શિવસેના(શિંદે જૂથ)નો ધારાસભ્ય પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો ને એ યુવકને છોડાવીને લઈ ગયો હતો. પોલીસે ત્રણસો શબ્દોમાં એક નિબંધ લખાવીને એ છોકરાને જવા દીધો હતો.

અહીં સુરેન્દ્ર પ્રતાપ સિંહને યાદ કરવા પાછળ એક બીજું કારણ પણ છે. તેમના દિલને હચમચાવી મૂકનારા રિપોર્ટીંગ તેમ જ ફોલોઅપના કારણે દિલ્હીના મૃતકોના પરિવારના લોકોને બળ મળ્યું હતું. તેમણે લડી લેવા કમર કસી હતી. કોઈ પણ ભોગે અને પૂંઠ પકડીને ન્યાય મેળવવા માટે તેમણે એક મંચની રચના કરી હતી અને સતત દસ વરસ લડીને તેમણે ન્યાય મેળવ્યો હતો. તેમની અથાક મહેનત પછી ઉપહાર સિનેમા ગૃહના માલિકોને બે વરસની જેલની સજા થઈ હતી અને મૃતકોના પરિવારને ૨૫ કરોડ રૂપિયા વળતર તરીકે આપવા પડ્યા હતા. કેસ સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો પણ લડનારા લોકો ન્યાય મેળવીને રહ્યા હતા. એ મંચનું નામ હતું ‘એસોસિએશન ઓફ ધ વિકટીમ્સ ઓફ ઉપહાર ટ્રેજેડી’ (AVUT). તેમનાં પ્રયત્નોનાં કારણે તેમને માત્ર ગુનેગારોને જેલ અને વળતરરૂપી ન્યાય નહોતો મળ્યો, પણ દિલ્હી વહીવટીતંત્ર પાસે જ્યાં લોકો જમા થતા હોય એવી જગ્યાએ ફાયર સેફટી માટે નિર્દેશો તૈયાર કરાવ્યા હતા અને તેનું પાલન થાય એ રીતની જોગવાઈ કરાવી હતી. જ્યારે પૈસાભૂખ્યા વેપારીઓ અને પ્રશાસન વચ્ચે સાંઠગાંઠ રચાય અને પ્રશાસન તેમ જ પત્રકારો નીંભર બની જાય ત્યારે નાગરિક સમાજે આગળ આવવું જોઈએ અને ન્યાયની લડત હાથમાં લઈ લેવી જોઈએ. એ લડત થકવી દેનારી હોય છે, અક્ષરસઃ નીચોવી દેનારી હોય છે, પણ એક દિવસ ન્યાય જરૂર મળતો હોય છે. એ.વી.યુ.ટી.ના પ્રયત્નોનો આ ધડો છે.

રાજકોટમાં બાળકોનાં મા-બાપાઓએ દિલ્હીનો એ.વી.યુ.ટી.નો માર્ગ અપનાવવો જોઈએ. ખુશીની વાત એ છે કે ઉપહાર સિનેમામાં માર્યા ગયેલા લોકો માટે લડનારા સગાંસંબંધીઓ ન્યાય મેળવ્યા પછી ચૂપ નથી બેઠા, પણ આવી માનવસર્જિત દુર્ઘટનાઓનો ભોગ બનેલા લોકોને ન્યાય માટેની લડતમાં માર્ગદર્શન કરવાનું કામ પણ કરે છે. ગૂગલ પર સર્ચ કરશો તો એ.વી.યુ.ટી.નું નામ સરનામું અને ટેલિફોન નંબર મળી રહેશે. આ દેશમાં માત્ર ઊહાપોહ કરવાથી ન્યાય નથી મળતો, ન્યાય માટે લડત આપવી પડે છે. ગુનેગારોએ બચવા માટે પોલીસ અને જજોને પણ ખરીદ્યા હતા. એક સમયે તો લડનારાઓને એવું પણ લાગવા માંડ્યું હતું કે કશું જ હાથ નથી આવવાનું, પણ તેઓ નિરાશ નહોતા થયા. આમાં રાજકોટની દુર્ઘટના તો દિલ્હીની ઘટના કરતાં પણ કંપાવનારી છે. માટે લડી લેવું એ જ માર્ગ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—250

દીપક મહેતા|Opinion - Opinion|2 June 2024

જ્યારે મુંબઈમાં પૈસાની રેલમછેલ હતી ત્યારે ફોર્ટ કેમ તોડી નખાયો?  

કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત–પ્રાંગણેઃ

સાગર હિલ્લોળે, વન ડોલે,
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે
ધરતીનું દિલ ખોલે.

કવિ પ્રહ્લાદ પારેખનું આ ગીત બોમ્બેના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે(૧૮૧૫-૧૮૮૪)એ તો ક્યાંથી સાંભળ્યું હોય? પણ તેઓ ૨૪ એપ્રિલ,૧૮૬૨ના દિવસે બોમ્બેના પહેલવહેલા તાજનિયુક્ત ગવર્નર બન્યા અને એક પછી એક બંધ દરવાજા ખોલવા જ નહિ, તોડવા માંડ્યા. એક રીતે જુઓ તો માથાભારે માણસ. લંડનમાં બેઠેલા બડેખાંઓની પણ સાડીબારી ન રાખે. ગવર્નરના સિંહાસન પર બેઠા અને તરત નક્કી કર્યું કે આ મુંબઈ શહેરને વધુ સ્વચ્છ, નિરોગી, સોહામણું, ધબકતું બનાવવું છે. પણ શું કરવું, કેટલું કરવું, એ નક્કી કેમ કરવું? એટલે અધિકારીઓને પૂછ્યું : મું’બઈ શહેરની વસતી કેટલી?’ ‘એ તો ખબર નથી, સાહેબ.’ ‘કેમ? અહીં વસતી ગણતરી નથી થતી?’ ‘ના સાહેબ, આજ સુધીમાં ક્યારે ય થઈ નથી’. ‘તો આપણે કરાવીએ.’ મુંબઈ સરકારે આ અંગે ઠરાવ કરી દિલ્હી નામદાર વાઈસરોયને મોકલી આપ્યો. થોડા વખતમાં મંજૂરી મળી ગઈ. પણ સાથે લખેલું કે આ અંગેનાં કાગળિયાં લંડનના હાકેમોને જાણ ખાતર મોકલીએ છીએ.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

ગવર્નર જનરલની મંજૂરી મળી કે તરત વસતી ગણતરીની તૈયારીઓ શરૂ. એક  જ દિવસમાં ભીતરકોટ અને બહારકોટમાં રહેતા લોકોની ગણતરી કરી લેવી એવું નક્કી થયું. વસતી ગણતરી માટેનાં સાધનો, માણસો, બધું નક્કી. વસતી ગણતરીના ઠરાવેલા દિવસને આઠ-દસ દિવસ બાકી હતા અને દિલ્હીથી વાઈસરોયનો સંદેશો. લંડનના હાકેમોએ તમારી દરખાસ્ત નામંજૂર કરી છે, એટલે વસતી ગણતરીનું કામ બંધ. તરત જ ફ્રેરેએ અધિકારીઓને બોલાવ્યા. વાત જણાવી. અધિકારીઓ કહે : ‘તો આજથી બધી તૈયારી બંધ કરી દઈએ ને?’ ‘ના. લંડન જે કહે છે તે મુંબઈ સરકારને બંધનકર્તા છે. પણ કોઈ ખાનગી કંપની કે સંસ્થા તો વસતી ગણતરી કરી શકે ને? એ કાંઈ રાજદ્રોહી કામ નથી કે આપણે કોઈને તે કરતાં અટકાવી શકીએ.’ અને નિર્ધારિત તારીખે, નિર્ધારિત રીતે પહેલી વાર મુંબઈની વસતી ગણતરી થઈ. હા, એ સરકારે નહોતી કરાવી, એક ‘ખાનગી સંસ્થા’એ કરાવેલી.

આ ગવર્નરસાહેબને એક ટેવ. પરદુઃખભંજન રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : ભીતરકોટ એટલે કે કોટ કહેતાં ફોર્ટની અંદરનું મુંબઈ, જ્યાં મોટે ભાગે અંગ્રેજો અને થોડા બહુ માલેતુજાર પારસીઓ રહે. બીજું મુંબઈ તે ‘બહારકોટ,’ એટલે કે કોટ કહેતાં ફોર્ટની બહારનો વિસ્તાર, જ્યાં રહે ‘દેશી’ લોકો. કેટલાક અંગ્રેજોના લખાણમાં એને માટે ‘બ્લેક ટાઉન’ શબ્દો પણ વપરાયેલા જોવા મળે છે.

આવી નગરચર્યા દરમ્યાન બહારકોટનું એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. હજી તો ચાર-પાંચ મહિના પહેલાં ત્રણ-ચાર માળનું હતું. અને આજે સાતમો માળ ચણાતો હતો. ગયા એ મકાનમાં, અને મળ્યા માલિકને. પૂછ્યું : ‘તમને એવી તે શી જરૂર પડે છે કે ત્રણ માળના મકાન પર આજે સાતમો માળ ચણાવો છો? જવાબ મળ્યો : ‘નામદાર, અહીં નીચે કેટલી ગંદકી છે, જીવજંતુનો ત્રાસ છે એ તો તમે જાણો જ છો. એને કારણે આજ સુધીમાં મારાં ત્રણ બાળકો નાની ઉંમરમાં જ મરી ગયાં. હવે ફરી મારી ઘરવાળીને સારા દિવસ છે. આ બાળકને નીચેની ગંદકી અને રોગચાળાથી બને તેટલું દૂર રાખવા માગું છું, એટલે આ સાતમો માળ બંધાવું છું. મને આશા છે કે આ વખતે મારો છોકરો બચી જશે.’

આ સાંભળીને ફ્રેરેસાહેબ તો સડક થઈ ગયા. પણ પછી તરત વિચાર્યું : આ ગંદકી અને રોગચાળાનું કારણ છે કોટ ફરતી બાંધેલી ખાઈ. તેમાં વાસી, ગંદુ,ગંધારું પાણી ભરાઈ રહે છે. જેને લીધે રોગચાળો ફેલાય છે. એટલે પહેલી વાત એ કે આ ખાઈ હવે પુરાવી દેવી. પણ ખાઈ તો હતી કોટની દીવાલોની આસપાસ. એ દીવાલો … અને તેમના મનમાં બત્તી થઈ : માત્ર ખાઈ નહિ, આ આખો કોટ કહેતાં ફોર્ટ હવે જર્જરિત, નક્કામો અને બિનઉપયોગી થઈ ગયો છે. હવે એણે કોઈના હુમલાથી રક્ષણ કરવાનું નથી, કારણ હવે આ મુંબઈ પર હુમલો કરવાનો વિચાર કોઈને સપનામાં પણ આવી શકે તેમ નથી.

પણ કેમ વારુ? આ કોટ એવી રીતે બંધાયો હતો કે જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે થતા હુમલાનો સામનો કરી શકે. આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ અને અંગ્રેજો જેને ‘સિપોય મ્યુટિની’ કહેતા એ ૧૮૫૭ની ઘટના પછી આખા દેશમાં કોઈ એવી સત્તા રહી નહોતી જે જમીનમાર્ગે મુંબઈ પર હુમલો કરવાનું સપનામાં પણ વિચારી શકે. અને યરપમાં પણ ગ્રેટ બ્રિટનનો ડંકો વાગતો હતો. મહારાણીના રાજ્યની ઓળખ ‘જ્યાં સૂર્ય કદિ આથમતો નથી’ એવા સામ્રાજ્ય તરીકે અપાતી હતી. એટલે કોઈ યુરોપીય સત્તા દરિયાઈ માર્ગે આક્રમણ કરી શકે તેમ નહોતું. અમેરિકા તો પોતે જ આંતર વિગ્રહમાં સપડાયેલું હતું.

અને ગવર્નર ફ્રેરેએ નક્કી કરી નાખ્યું : ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી. પહેલાં કોટ તોડો. પછી એનો કાટમાળ વાપરી ખાઈ પૂરો. પણ સરકારી અમલદારો હંમેશાં સાત ગળણે ગાળીને પાણી પીએ. કહે : ‘સાહેબ, પણ આ માટે લંડનની મંજૂરી? અગાઉ આ કોટ અને ખાઈ બાંધતી વખતે કેવો પાઈ પાઈનો હિસાબ લંડને મુંબઈ પાસે માગ્યો હતો! આ બધું કામ કરવાનો ખરચ?’ ગવર્નર કહે : ‘જુઓ, પહેલી વાત એ કે એ વખતે વેપારી કંપનીની સરકાર હતી. હવે તાજની સરકાર છે. એટલે આ સરકાર ફક્ત નફા-નુકસાનનો વિચાર કરી ન શકે. લોકોનું હિત પણ જોવું જ પડે. બીજું, આ બંને કામ માટે આપણે સરકારી તિજોરીનો એક પાઉન્ડ પણ વાપરશું નહિ.’ ‘તો કામ કઈ રીતે થશે?’ ‘કોટ પાડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, ઘણી જમીન છુટ્ટી થશે. એ જમીન આપણે વેચી દેશું. મને ખાતરી છે કે બધો ખરચ બાદ કર્યા પછી પણ આપણી પાસે પૈસા વધશે. એટલે તાજના રાજનો તો એક રૂપિયો પણ વપરાશે નહિ.’

અગાઉ ડોંગરીના કિલ્લાને તો ડાઈનેમાઇટ ચાંપીને એક દિવસમાં ફૂંકી માર્યો હતો. પણ અહીં એમ થઈ શકે તેમ નહોતું. કારણ કોટની અંદર અને બહાર, લોકોની પુષ્કળ વસતી, અને તેમની માલમિલકત. જે.સી.બી. અને બુલડોઝર જેવાં સાધનો એ વખતે નહિ. એટલે મજૂરો રોકી, પાવડા-કોદાળી વડે કોટ તોડવાનું ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૬૪માં પૂરું થયું. કાટમાળથી ખાઈ પણ પૂરાઈ ગઈ. આજે તો હવે મુંબઈના આ ફોર્ટની એકાદ ઈંટ પણ ક્યાં ય જોવા મળતી નથી. હા, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના કમ્પાઉંડમાં આવેલી એક દીવાલને ઘણા ટુરીસ્ટ ગાઈડ મુંબઈના કોટની દીવાલ તરીકે ખપાવી દે છે. પણ એ દીવાલ તો આપણે ગયે વખતે જેની વાત કરેલી એ ફોર્ટ જયોર્જની છે. અને હા, છૂટી થયેલી જમીન ખરીદવા માટે તો પડાપડી જ થઈ. અને કેમ ન થાય? એ વખતે મુંબઈમાં પૈસાની અભૂતપૂર્વ રેલમછેલ હતી, અમેરિકન આંતરવિગ્રહણે પ્રતાપે.

માન્ચેસ્ટરની કપડાની મિલો

હેં? અમેરિકન આંતરવિગ્રહને અને મુંબઈને શું લાગેવળગે? વાત જાણે એમ છે કે એ વખતે કોટન મિલ્સની દુનિયાનું પાટનગર હતું ગ્રેટ બ્રિટનનું માન્ચેસ્ટર. મુખ્યત્વે અમેરિકાથી રૂ માન્ચેસ્ટર જાય. ત્યાંની મિલોમાં કાપડ વણાય. અને જાય હિન્દુસ્તાન સહિત અનેક દેશોમાં. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે અમેરિકન આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે માન્ચેસ્ટરને અમેરિકાથી મળતું રૂ બંધ. પણ એટલે કાંઈ મિલો તો બંધ કરાય નહિ. એટલે મગાવો રૂ હિન્દુસ્તાનથી. અગાઉ પણ આપણા દેશનું રૂ બ્રિટન જતું, પણ બહુ ઓછું. પણ હવે તો મુંબઈમાં રૂના ભાવ આસમાને ગયા. કહે છે કે મુંબઈના લોકોએ ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડી ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. રૂના વેપારીઓને નાણાં ધીરવા માટે રાતોરાત નવી નવી બેંકો ફૂટી નીકળી. ઊંચા વ્યાજે આડેધડ લોન આપવા લાગી. નફો ઘણો, એટલે બેન્કોના શેરના ભાવ આસમાને. સાથોસાથ આખું શેરબજાર ઊંચકાયું. મુંબઈમાં પૈસાની રેલમછેલ. બેન્કોની સાથોસાથ ‘રેકલમેશન કંપની’ઓ ફૂટી નીકળી. મુંબઈના જુદા જુદા ભાગોમાં દરિયો પૂરીને જમીન નવસાધ્ય કરવા માટે. લોકોએ આંખ મીચીને એમાં પણ પૈસા રોક્યા.

હવે તમે જ કહો, આખું મુંબઈ પૈસાથી ફાટફાટ થતું હોય, વેપારધંધા માટેની જગ્યાની માગ વધતી જતી હોય, ત્યારે જરીપુરાણા કોટની દીવાલો વચ્ચે આ સોનાપરી જેવી નગરી કઈ રીતે પૂરાઈ રહે? એટલે જ્યારે કોટની દીવાલો પાડી, ખાઈ પૂરી, ત્રણ દરવાજા માટીમાં મળ્યા ત્યારે મુંબઈના લોકો તો કવિ નર્મદની પેલી પંક્તિ ગણગણતા હતા : ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

ફુવારાના એનગ્રેવિંગ પર છાપેલું નામ: ફ્રેરે ફાઉન્ટન

 અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ માત્ર કોટ તોડાવ્યો એટલું જ નહિ. બને તેટલી મદદ બેન્કોને કરી, રેકલમેશન કંપનીઓને કરી, નાનામોટા વેપારીઓને કરી. એ વખતના શેરના સટ્ટાના બેતાજ બાદશાહ તરીકે જાણીતા શેઠ પ્રેમચંદ રાયચંદને ગવર્નર સાથે ઘરોબો. એટલે બેન્કોને, શેર બજારને, રૂના વેપારીઓને સીધી નહિ તો ય આડકતરી મદદ કરી ગવર્નરે. જે જગ્યાએ કોટનો ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો એ જ સ્થળે એક સરસ મજાનો ફુવારો બનાવવાનું નક્કી થયું, એ ચર્ચગેટની યાદગીરીમાં. અને કોટનાં બંધન તોડીને મુંબઈને મુક્ત કરાવનાર ગવર્નર સર બાર્ટલ ફ્રેરે પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે એ ફુવારાને ‘ફ્રેરે ફાઉન્ટન’ નામ આપવાનું નક્કી થયું. એ ફુવારો બની ગયા પછી ૧૮૭૧માં બ્રિટનમાં પ્રગટ થયેલા એના એનગ્રેવિંગમાં નીચે ‘ફ્રેરે ફાઉન્ટન’ એવું નામ પણ છાપ્યું છે. પણ ફુવારાની નીચે જે તકતી મૂકેલી છે તેમાં નથી ફ્રેરેનું, કે નથી ફ્લોરાનું નામ. માત્ર This Fountain એટલું જ લખ્યું છે.

ફુવારા નીચે ચોડેલી તકતી પર નથી ફ્રેરેનું નામ કે નથી ફ્લોરાનું નામ, લખ્યું છે માત્ર ‘ધીસ ફાઉન્ટન’

એ તકતીમાં જણાવ્યા પ્રમાણે આ ફુવારો બાંધવાનો ખરચ ૪૭,૦૦૦ હજાર રૂપિયા, જેમાંના ૨૦,૫૦૦ શેઠ ખર્શેદજી ફરદુનજી પારેખ નામના પારસી વેપારીએ આપેલા. પણ પછી કોઈક કારણસર ફ્રેરેનું બન્યું ફ્લોરા. આ ફાઉન્ટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લો મૂકાયો ત્યારે સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર નહોતા. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે તેઓ સ્વદેશ પાછા ગયા હતા.  મુંબઈનો કોટ ભલે પડ્યો, પણ કોટ પડ્યા પછી પણ આજ સુધી એ આખો વિસ્તાર ઓળખાય છે ફોર્ટ કે કોટના નામે જ. પણ પેલો કોયડો તો વણઉકેલ્યો રહે જ છે : આ ફુવારાનું નામ ફ્રેરે ફાઉન્ટનને બદલે ફ્લોરા ફાઉન્ટન કેમ પડ્યું? છે કોઈ વાચકમિત્ર પાસે આ કોયડાનો જવાબ? તો લખી મોકલજો.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 જૂન 2024)

Loading

...102030...685686687688...700710720...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved