Opinion Magazine
Number of visits: 9457407
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એવિયેશનના ઈકારસ નરેશ ગોયેલ : જેટલા ઊંચા ગયા, એટલા જ નીચે પછડાયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2024

રાજ ગોસ્વામી

એક સમયે દેશની સૌથી મોટી અને સૌથી કાર્યક્ષમ એવિયેશન કંપની જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા અઠવાડિયે, મુંબઈની કોર્ટમાં બે હાથ જોડીને તેમને મરવા દેવાની ‘વિનંતી’ કરી, તે આ દેશની એવી અનેક સફળ કહાનીઓ પૈકીની એક કહાની છે, જે અધવચ્ચે અટવાઈ ગઈ હતી.

કેનેરા બેંક સાથે 538 કરોડની છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની એક વિશેષ અદાલતમાં હાજર થયા હતા. તેમણે અદાલતને કહ્યું, “મેં મારા જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત ઘણી બગડી ગઈ છે. જેલમાં મરી જવું વધુ સારું છે.” એવું કહીને નરેશ ગોયલે વિશેષ જજ સામે હાથ જોડ્યા હતા.

તેમણે કહ્યું હતું, “હું મારી પત્ની અનિતાને ખૂબ યાદ કરું છું. તે કેન્સરના છેલ્લા તબક્કામાં છે.” જજે તેમને સધિયારો આપતાં કહ્યું હતું તમે અસહાય નથી, તમને પૂરતી મદદ મળી રહેશે. નરેશે વિશેષ ન્યાયાધીશ એમ.જી. દેશપાંડે સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. તેમણે તેમની શારીરિક-માનસિક તકલીફોનું વર્ણન કરીને જજને વિનતી કરી હતી કે તેમને રાજ્ય નિર્ધારિત જે.જે. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં ના આવે કારણ કે તે આર્થર રોડ જેલથી હોસ્પિટલ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. “તેના બદલે મને જેલમાં જ મરવા દેવામાં આવે.” એમ તેમણે કહ્યું હતું.

ગોયલ પર કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇ.ડી.)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં નરેશ ગોયલની ધરપકડ કરી હતી.

ઉડ્ડયનની ગતિશીલ દુનિયામાં, જ્યાં વિમાનની જેમ, આંખના પલકારા સાથે નસીબ બદલાઈ શકે છે, ત્યાં નરેશ ગોયલની વાર્તા અર્શ સે ફર્શ સુધીની અનેક કથાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જેટલી ઝડપે તેજસ્વી શરૂઆત કરી હતી, તેમનો અંત એટલો જ ઝડપી પણ અંધકારભર્યો હતો.

ઉડ્ડયન ઉદ્યોગમાં 40 વર્ષથી વધુના અનુભવ સાથે, ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં પોતાનું નામ સ્થાપિત ગોયલ પંજાબના સંગરૂરમાં જન્મ્યા હતા. ગોયલના શરૂઆતનાં વર્ષો આર્થિક સંઘર્ષોથી ઘેરાયેલા હતાં. 18 વર્ષની ઉંમરે તેમણે તેમના એક કાકાની ટ્રાવેલ એજન્સીમાં કેશિયર તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાંથી જે તેમને ટ્રાવેલ બિઝનેસની જટિલતાઓ શીખવા મળી હતી. 1974માં, તેમની માતા પાસેથી 52,000 રૂપિયા ઉધાર લઈને સ્વતંત્ર ધંધો શરૂ કરનારા ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરીને સત્તાવાર રીતે ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

વ્યકિતત્વનાં અનેક પાસાં ધરાવતા ગોયલે દેશની અમલદારશાહી તેમ જ રાજકીયણને બહુ હોંશિયારીથી સંભાળ્યું-પંપાળ્યું હતું. તેમને પૂરા પ્રોફેશનાલિઝમ સાથે ચાલતી એક એરલાઈન ઊભી કરવાનું સપનું હતું અને તેમણે જેટએરના નામે દેશના સ્થાનિક પ્રવાસીઓઓને કોઈ વિકસિત દેશની એરલાઈન જેવો અનુભવ કરાવ્યો હતો.

જેટ એરવેઝ ઝડપથી ઉડ્ડયન ઉદ્યોગમાં એક ખમતીધર ખેલાડી બની ગઈ હતી. તેની પાસે આધુનિક વિમાનોનો કાફલો હતો. 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં પાસે એક સમયે 100થી વધુ વિમાનો હતાં, અને કંપની હવાઈ મુસાફરીમાં વૈભવી અને કાર્યક્ષમતાનો પર્યાય બની ગઈ હતી.

બીજી બાજુ ગોયલે ફોર્બ્સની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અગ્રણી સ્થાન મેળવ્યું હતું. ગોયલના નેતૃત્વમાં એરલાઇન અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી હતી અને તેણે તીવ્ર સ્પર્ધાત્મક ભારતીય ઉડ્ડયન બજારમાં સરકારી માલિકીની એર ઇન્ડિયાને પણ પડકાર ફેંક્યો હતો. જેટ એરવેઝની વાર્તાને ગોયલનાં સપનાંને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતાના પુરાવા તરીકે જોવામાં આવી હતી.

ગ્રીક દંતકથાઓમાં ઈકારસની વાર્તા છે. તેના કારીગર પિતાએ તેના માટે મીણની પાંખો બનાવી હતી, પણ ચેતવણી આપી હતી કે બહુ ઊંચે ના ઉડતો. ઈકારસને ઉડવાની મજા આવી અને આત્મવિશ્વાસ પણ વધી ગયો. એ આકાશમાં બહુ ઊંચે ગયો. ત્યાં સૂરજની ગરમીથી તેની પાંખો ઓગળી ગઈ અને તે સમુદ્રમાં પડીને મરી ગયો.

આના પરથી બિઝનેસની દુનિયામાં “ઈકારસ પેરાડૉક્સ”ની ધારણા આવી છે. તેમાં જે ઝડપે સફળતા મળી હોય, એટલી જ ઝડપથી નિષ્ફળતા પણ મળે છે. સ્વભાવની જે ખાસિયત ઊંચાઈ પર લઈ ગઈ હતી, તે જ ખાસિયત પતન તરફ પણ લઈ જાય છે (જેમ કે ઈકારસને જે પાંખો આકાશમાં લઈ ગઈ હતી, તે જ સમુદ્રમાં પણ લઈ ગઈ). 

જીવનના કોઇપણ ક્ષેત્રમાં, સફળતા રેસકોર્સ પર દોડતા ઘોડાના ડાબલા જેવી હોય છે. તે આજુબાજુમાં દેખાતું બંધ કરી દે છે. જેમ જેમ સફળતા મળતી જાય, તેમ તેમ એવો વિશ્વાસ વધતો જાય કે હું જે કરું છું તે બરાબર છે. હું જે કરું છે તે બરાબર છે તેવો વિશ્વાસ જેટલો વધુ, આપણામાં બદલાવની સંભાવના ઓછી. બદલાવની સંભાવના જેટલી ઓછી, બદલાતી દુનિયામાં પાછળ રહી જવાની શકયતા વધુ.

અંગ્રેજીમાં તેના પરથી એક કહેવત આવી હતી – ધ હાયર યુ ફ્લાય, ધ હાર્ડર યુ ફોલ (જેટલા ઊંચે ઊડો, એટલા ઊંચેથી પછડાવ). તમે એક સ્ટૂલ પરથી પડો તો ઓછું વાગે, પણ ધાબા પરથી પડો તો હાડકાં તૂટી જાય. એટલા માટે સ્ટૂલ પર ચઢ્યા પછી બહુ સાવધાની રાખવાની જરૂર નથી પડતી, પરંતુ ધાબા પર ચઢીને ત્યાં સલામત રહેવાની ચિંતા વધી જાય છે. જે લોકો ધાબા પરથી પડે છે તેમની ભૂલ એટલી જ હોય છે કે તે ધાબાને પણ સ્ટૂલ સમજી લે છે.

નરેશ ગોયલના કિસ્સામાં પણ એવું જ થયું હતું. તેઓ જે મહેનત કરીને સફળ થયા હતા તેમાંથી જ તેમનો આત્મવિશ્વાસ બંધાયો હતો કે મારી મહેનત ફાયદો કરાવે છે. એટલે તેઓ જેમ જેમ ઉપર ગયા તેમ તેમ રિસ્ક લેતા ગયા. 2019 સુધીમાં તો જેટ એરવેઝમાં દેવાં એટલા વધી ગયાં હતાં કે બધી ફ્લાઈટોને જમીન પર ઉતારી દેવામાં આવી હતી. એ તેના અંતની શરૂઆત હતી. કર્મચારીઓ બીજી કંપનીઓમાં અને મુસાફરો બીજા વિમાનોમાં ચાલ્યા ગયા.

જેટ એરવેઝનું પતન અહીંથી અટક્યું નહોતું. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)એ અન્ય એરલાઇન કિંગફિશર એરલાઇન્સના પતન સાથે સંકળાયેલી ₹ 538 કરોડની છેતરપિંડીના આરોપમાં ગોયલની ધરપકડ કરી. ત્યાર પછીની કાનૂની લડાઈ એ સમયથી તદ્દન વિપરીત હતી જેમાં જ્યારે જેટ એરવેઝને સફળતા તરફ દોરી રહ્યા હતા. હવે તેઓ ખુદનું જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

નરેશ ગોયલની વ્યાવસાયિક યાત્રા વ્યાપાર જગતની અસ્થિરતા અને અનિશ્ચતાની યાદ આપાવે છે. એક સાધારણ ટ્રાવેલ એજન્સીના કેશિયરથી શરૂ કરીને જેટ એરવેઝના માલિક બનવા સુધીની અસાધારણ ઊંચાઈને સર કરવાની તેમની સિદ્ધિ અને પછી ત્યાંથી તેમનું નાટકીય પતન, કાનૂની આંટીઘૂંટીઓ અને હવે 70 વર્ષે શારીરિક-માનસિક પડકારો સફળતા અને સમૃદ્ધિની ચંચળતાને સાબિત કરે છે.

ગોયલનું જીવન એવા હજારો ઉદ્યોગસાહસિકો માટે એવા સાવચેતીભર્યા સૂરનું કામ કરે છે કે સતત પરિવર્તનશીલ આર્થિક વાતાવરણમાં નાણાંકીય ડહાપણ અને અનુકૂલનશીલતા શીખવી બહુ જરૂરી છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેટલું જોઈએ ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

જગતમાં કેટલુંક સારું છે, હજી પણ છે, પણ તે ક્યાં સુધી ને કેટલું રહેશે તેની ચિંતા છે. બધું જાણે અંતિમો પર છે ! સારું પણ ને નબળું પણ ! એક તરફ અનેક સગવડો અને ટેક્નોલોજીથી ભરપૂર જીવન છે ને બીજી તરફ માનવીય સંવેદનાનો દુકાળ વર્તાઇ રહ્યો છે. બધું જ જાણે વધુ ને વધુ કમાણી માટે છે. કમાણી કમ્ફર્ટ માટે છે, પણ જે ઉત્તમ ને મહત્તમ થાય છે તે તો પૈસો મેળવવા ! સગવડો પૈસા માટે, ટેકનોલોજી પૈસા માટે, માણસો પૈસા માટે. પૈસા માણસ માટે, પૈસા ટેકનોલોજી માટે, પૈસા સગવડો માટે. એમાં લાગણી પૈસા માટે ને પૈસા લાગણી માટે થયા છે, ત્યારથી સંબંધો સ્પષ્ટ અને નિર્દોષ નથી. ઘણાં એકબીજાનો મદદને બહાને ઉપયોગ પણ કરી રહ્યાં છે. આખા ય વિશ્વમાં ઘણું બધું થાય છે, કેટલીક સિદ્ધિઓ પણ છે, પણ કોઈ પણ ઉપકરણ કે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ પૈસા કેમ ભેગા થાય તે માટે જ થાય છે. પૈસા જરૂરી છે તેની ના નથી, પણ માત્ર આંકડાઓ મોટા દેખાડવા જે થઈ રહ્યું છે તેનાથી આનંદ થતો નથી. આપણને દેખાડાની ટેવ પડી છે. નાનાંથી, ઓછાથી પણ જીવી શકાય છે, તે તરફ આપણે કદાચ જોવા જ નથી માંગતા. કેટલાક વિરાટ પ્રોજેક્ટ્સ જરૂરી છે, પણ બધા જ જરૂરી છે કે તેનું લક્ષ્ય અમર્યાદ કમાણીનું નથી એમ માનવાનું મુશ્કેલ છે. કૈં પણ, કેવળ મોટું જ નહીં, વિશ્વ વિક્રમી પણ હોય ને એ દ્વારા કેવી રીતે પૈસા બનાવી શકાય તે જ હેતુ બચ્યો છે.

મૂર્તિ થોડી નાની ને કલાત્મક હોઈ શકે, પણ વિશ્વવિક્રમી હોય તો ટિકિટ રાખીને વર્ષો સુધી કમાણી કરવાનો હેતુ શુદ્ધ નથી. તેમાં ભવ્યતા હશે, પણ કલાત્મકતા વિષે શંકા રહેવાની. કોઈ પણ સ્ટેડિયમ, હેતુ જળવાઈ રહે એટલું હોય તો ચાલે, પણ સૌથી મોટું જ કરવાની ગણતરી હોય તો નફો ને કાળાબજાર વધારવાનો હેતુ અપ્રગટ રહેતો નથી. મોટું, વિરાટ, ભવ્ય કૈં હોય તો તેનો વાંધો શો હોય, પણ હેતુ દેખાડાનો, કમાણીનો, ધંધાનો જ હોય તો તે ચિંત્ય છે. રસ્તા બને તે સારી વાત છે, પણ ટોલ ટેક્સને નામે પછી લૂંટ અટકે જ નહીં, તો ત્યાં મદદ ઓછી ને નફો વધારે છે. આ બધું જ મનુષ્યના ઉત્કર્ષ માટે હોય તો ક્ષમ્ય છે, પણ ઇરાદો કમાણી અને શોષણનો જ હોય તો ફરિયાદનો પણ શો અર્થ રહે?

એ સાચું કે સુખ સગવડો માટે યંત્રો જરૂરી હતાં, તેથી વિકાસ ઝડપી બન્યો, પણ યંત્રો માણસને જ યંત્ર બનાવે તો એવા વિકાસનો અર્થ ખરો? બિગ બેન થિયરી મુજબ આ બ્રહ્માંડ 1,380 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું ને આપણી પૃથ્વી બન્યાને 450 કરોડ વર્ષ થયાં. પૃથ્વી પર માનવ હતો ત્યાં વિકાસ થયો. અગ્નિ, ધાતુ, યંત્ર વગેરેએ માનવ માટે એવી એવી સુવિધાઓ ઊભી કરી કે તે આજે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધી આવી પહોંચ્યો છે ને અહીં પણ અલ્પ વિરામ તો નથી જ ! બીજું ઘણું અવતરવા માટે તત્પર છે ને એ રોક્યું રોકાય એમ નથી.

રોબોટ્સ માણસનાં કામ કરવા લાગ્યા છે, પણ AIને તો માણસ વગર પણ ચાલે એમ છે. માણસે AIનું સર્જન કર્યું, પણ તે એવું અદ્ભુત થયું કે માણસનું જ વિસર્જન થાય એવી સ્થિતિ આવી ઊભી છે. આજે તો AI, OI (ઓરિજિનલ ઇન્ટેલિજન્સ) પર હાવી છે. AI માણસને રિપ્લેસ કરવા તત્પર છે, એવું જે નફાખોર માનસને લાગ્યું છે, તે માણસને બદલે AIનું શરણું સ્વીકારવા તૈયાર છે. માણસને તો પગાર પેન્શન આપવાં પડે ને AI એના કરતાં તો કિફાયતી જ છે. AI દ્વારા મશીનોને બૌદ્ધિક બનાવવાની વાત છે, જેથી તે માનવ જેવું જ કાર્ય વધુ ક્ષમતાથી કરી શકે ને ભવિષ્યમાં એવી ક્ષમતાથી કરે કે માણસની જરૂર જ ન રહે. અત્યારના AI કેટલાં સક્ષમ છે, તે તો નથી ખબર, પણ તે જો સેલ્ફ પ્રોડક્ટિવ થઈ શકે, તો નવાં AI પણ એની મેળે જ ઉત્પન્ન થઈ શકે. AI માણસને વિકલ્પે સક્રિય થાય તો માણસો ફાજલ પડે. એ સંદર્ભે એવું જોખમ વર્તાય છે કે 2030 સુધીમાં દુનિયામાં 300 મિલિયન લોકો નોકરી ગુમાવે. તાજી વાત એવી છે કે દુનિયાની 40 ટકા નોકરીઓ AI ખાઈ જશે. આ કારણે AIને ઘણાં નકારે છે. જો કે AI હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી છે. AI સ્કેન શરીરની નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે એમ છે. એ રીતે AI સ્વાસ્થ્ય વિષયક તકલીફોમાં પણ ઉપયોગી થઈ શકે. AI આધારિત રોબોટિક સર્જરી વધુ ઉપયોગી થાય એમ બને, પણ ઉપયોગમાં વિવેક ક્યારે જળવાયો છે કે આમાં જળવાય?

ભારતની વાત કરીએ તો લાખો માણસો શિક્ષિત હોવા છતાં બેકાર છે, ત્યારે AI દ્વારા નોકરીની તકો છીનવવાનો કોઈ અર્થ ખરો? માણસની બુદ્ધિ એટલી સતેજ થઈ કે તેણે કૃત્રિમ બુદ્ધિ-AI વિકસાવી અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મશીનો બુદ્ધિશાળી થઈ રહ્યાં છે ને માણસની બુદ્ધિને લૂણો લાગ્યો છે. મશીનો ઉત્પાદનનો અને માણસો નિરુત્પાદનનો ભાગ ને ભોગ બનવા લાગ્યા છે. જેમ મશીનો વધુ પૈસા કમાવી આપે એમ જ, માણસો પણ વધુને વધુ પૈસા કમાવી આપે એટલો જ અર્થ તેનો બચ્યો છે. તેને માટે તેણે માનવ સંબંધો, સંવેદનો, જીવંતતા વગેરેને દાવ પર લગાવ્યા છે. એક સવાલ દરેકે પોતાને પૂછવા જેવો છે કે કોઈ વાતે દુ:ખ થતું નથી એવું ખરું? સંપત્તિ, સત્તા ને સંચય સિવાય બીજું કૈં સૂઝતું જ નથી એવું થાય છે? બીજાનો આનંદ જોઈને આંખોમાં ઝેર વ્યાપે છે? જો આનો જવાબ ‘હા’માં આવે તો સમજવું કે આપણામાં અને રોબોટમાં એક જ ફરક રહ્યો છે ને તે એ કે રોબોટને શ્વાસ નથી ને આપણને છે. ટૂંકમાં, આપણે જીવંત રોબોટ જ છીએ.

તાજેતરમાં જ સૂચના શેઠ નામક 39 વર્ષની એક AI સંબંધિત CEOએ ચાર વર્ષનાં સગા દીકરાની હત્યા કરી. આવી જ ઘટના ઇંદ્રાણી મુકરજી નામની બીજી એક CEOએ પણ કરેલી. આવી ઘટનાઓ ભવિષ્યમાં અપવાદરૂપ ન રહે એમ બને. ‘ઘર’ ઘટી રહ્યાં છે ને ઓફિસો વધી રહી છે. ‘ઘર’ કરતાં ઓફિસોમાં રહેવાનું અને તે દ્વારા કમાણી કરવાનું વધ્યું છે. કુટુંબ પણ જાણે આવક-જાવકની ગણતરીઓ માટે જ ખપનું છે. ગમ્મત એ છે કે લગ્ન કરતાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. લગ્નના વિકલ્પો અંગત લાભ સિવાયના દાખલા ઓછા જ ગણે છે. લગ્નેતર સંબંધોનું વધતું પ્રમાણ, ઘરેલુ હિંસા, હત્યા ને આપઘાતના આંકડાઓ મોટા ને મોટા કરતું રહ્યું છે. બાળકો ઘોડિયાંઘરમાં અને વડીલો ઘરડાંઘરમાં ઊછરે છે, પરિણામે કૌટુંબિક સંબંધોની હૂંફ નામશેષ થઈ રહી છે. હૂંફ ઘટતાં વ્યક્તિ સંવેદનહીન બની છે. માતાને સંતાન વહાલું જ હોય ને તેને માટે તે જીવ પણ આપી દે એ સ્થિતિ બહુ રહી નથી. તે પણ જીવ લેતી થઈ છે, ભલે પછી તે સગા દીકરાનો જ કેમ ન હોય ! આવનારા સમયમાં રોબોટ્સ સંવેદનશીલ હોય ને વ્યક્તિ સંવેદનહીન હોય, એ AI શક્ય બનાવે તો આઘાત ન લાગે. વ્યક્તિ જેમ ઉચ્ચ સ્થાન પર તેમ તે સૌથી નિમ્ન સ્થાન પર બેસી શકે એ શક્ય છે. વ્યક્તિનું લક્ષ્ય કેવળ કમાણીનું જ રહી ગયું હોય એમ લાગે છે.

આખું જગત જાણે છે કે જીવવા માટે પૈસા જરૂરી છે, પણ પેટ નોટોથી ભરાતું નથી, તે અનાજથી ભરાય છે. ગરીબને પેટ ભરવા પૈસા મળતા નથી ને અમીર પાસે પૈસા છે, પણ પેટ ભરવા જેટલી ય ફુરસદ નથી. વગર પૈસે ગરીબ ટાઢમાં ઊંઘી શકતો નથી ને અમીર વધુ કમાવાની લ્હાયમાં ઉજાગરા કરે છે. એટલું છે કે પૈસા નથી તો પણ ઊંઘ નથી ને છે તો પણ નથી. પૈસા જરૂરી ખરા, પણ કેટલા જરૂરી?

જરૂરી હોય તેનાથી દસ ઘણા પૈસા સુધી સંપત્તિ લોભ કૈંકે ક્ષમ્ય, પણ તેથી ય વધુ ભેગું કરીને ક્યાં જવાનું? આખી પૃથ્વી નામે થઈ જાય તો પણ ધરવ ન થાય એટલો લોભ આજે સંપત્તિનો, મિલકતનો છે. કેટલી ય રકમ બેન્કોમાં ન ધણિયાતી હાલતમાં સડ્યા કરે છે. કેટલી ય તિજોરીઓ માત્ર નોટો ભેગી કરવા ને કદી બહાર ન આવવા જ હોય છે. કેટલી ય સંપત્તિઓનાં વાલીવારસ નથી. મિલકતો માટે એટલા ઝઘડા થાય છે કે નફો ડોકટરો અને વકીલોને પહોંચે છે. એ બધાંને અંતે પ્રાપ્તિ શું, તો હતાશા સિવાય કૈં હાથમાં આવે એમ નથી. દુનિયા એ રીતે નોટો ભેગી કરવામાં પડી છે કે કાલ ઊઠીને મૃત્યુ વખતે નોટો લઈ જવાની છૂટ કોઈ આપે તો સ્વર્ગ કે નરકમાં નોટો લઈ જવાનું ભાગ્યે જ કોઈ ચૂકે.

જો કે, આજની વ્યવસ્થા એવી છે કે મર્યાં પછી, શ્વાસ સાથે લઈ જવાતા નથી, તો રૂપિયાનો સિક્કો પણ સાથે લઈ જવાનો તો સવાલ જ પેદા નથી થતો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 21 જાન્યુઆરી 2024

Loading

દલપતરામ વિશે, અને દીપક મહેતાના તેમના પરના નવા પુસ્તક વિશે

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|21 January 2024

કવીશ્વર દલપતરામની આજે જન્મજયંતી છે. દલપતરામ મારે મન ઓગણીસમી સદીના ‘સકલ પુરુષ’ છે. આ Renaissance man, આ પ્રગતિશીલ સમાજ-સાક્ષર અત્યારના ગુજરાતમાં ખૂબ પ્રસ્તુત છે. પ્રકાશ ન. શાહનું એક યાદગાર નિરીક્ષણ છે : ‘દલપતરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગમાંથી રેનેસાંમાં – નવજાગૃતિમાં પ્રવેશવું.’

કવીશ્વર દલપતરામ (1820-1898) ગુજરાતના જાહેરજીવનનું એક વિશાળ, પ્રેમાળ અને પ્રગતિશીલ વ્યક્તિત્વ હતા. ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના જુલાઈ 1855ના પોતાનાં પહેલાં જ તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘આપણા દેશના સુધારા અર્થે મારા તન-મન-ધનથી હું ખૂબ મહેનત લેવા ઇચ્છું છું.’

એ મુજબ ખરેખર સદાકાળ તેમણે પોતાની સાહિત્યશક્તિને જનહિત માટે મનોરંજક રીતે, અભિનિવેશ વિના ઉપયોગ કર્યો. તેમણે સભાનપણે રૂડી ગુજરાતી વાણીનાં આદર-કદર કરી જાણ્યાં.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી અમદાવાદ અને ગુજરાતના લોકો લાઇબ્રેરીઓમાં જતાં થયા; અખબાર વાંચતાં, દીકરીઓને ભણાવતાં, ભાષણો સાંભળતા થયા તેમાં લોકહિતચિંતક દલપતરામનો મોટો ફાળો છે.

તેમણે બાળકોને મજાની કવિતાઓ આપી અને  પહેલવહેલી વાર કવિઓને છંદ શીખવ્યા. તેમને કારણે કવિતાની ચોપડીઓ છપાવા-વેચાવા લાગી અને કવિસંમેલનો ભરાતાં થયાં. તેમણે લખાણો, ભાષણો તેમ જ કાર્યો થકી, અભણ, વહેમી, રુઢિચુસ્ત જનતાને શિક્ષણ, સાહિત્ય અને સદાચાર-પ્રેરિત સંસ્કારી જીવન તરફ વાળી.

નાતજાતના ભેદ, જ્યોતિષનાં ભ્રમ અને ભૂતપ્રેતના વહેમમાંથી લોકોને બહાર કાઢવા માટે નિબંધો લખ્યા. અમદાવાદ અને ગુજરાતમાં 1820ની સાલ સુધીમાં પાકા થયેલાં અંગ્રેજોના રાજમાં શરૂ થયેલા સમાજસુધારાને ગતિ આપવામાં દલપતરામે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ઉદ્યમ અને યુરોપમાંથી આવેલ હુન્નર કહેતાં યંત્રઉદ્યોગ દેશની પ્રગતિ માટે કેટલાં જરૂરી છે તેની પિછાણ તેમણે લોકોને ‘હુન્નરખાનની ચઢાઈ’ જેવી વાર્તારૂપ કવિતા અને બીજાં લખાણો થકી કરાવી. અમદાવાદ શહેરની સ્વચ્છતા અને તેનાં આયોજન તરફ લેખો દ્વારા ધ્યાન દોર્યું.

પુરાણકથાનો આધાર લઈને રચેલાં ‘વેનચરિત’ નામનાં આખ્યાનકાવ્યમાં વિધવાઓની હાલતનો ચિતાર આપીને બાળલગ્નનો વિરોધ અને વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું.

દલપરામ ઓગણીસમી સદીમાં કાર્યરત દુર્ગારામ મહેતા, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ કે બહેરામજી મલબારીની હરોળના ઍક્ટિવિસ્ટ-સુધારક કદાચ ન લાગે. પણ તેમની પાસે સુધારા માટેની સમ્યક દૃષ્ટિ હતી.

તેમનાથી તેર વર્ષ નાના નર્મદની જેમ જોસ્સા અને કેફ સાથે ‘યાહોમ કરીને પડો’ એવી તેમની વૃત્તિ નહીં, ‘ધીરે ધીરે સુધારાનો સાર’ લોકોને ગળે ઊતારવો એ તેમની પદ્ધતિ હતી.

********

દીપક મહેતા

દલપતરામને મેં જેટલા વાંચ્યા છે તેટલા મને ગમ્યાં છે. મારે એવું દીપક મહેતાની બાબતમાં પણ છે. ચોર્યાંશી વર્ષે પણ સાક્ષરજીવનમાં સતત સક્રિય એવા ગ્રંથજ્ઞ – bookman છે. ગ્રંથસંશોધન ક્ષેત્રે, અને ખાસ તો ઓગણીસમી સદીનાં પુસ્તકોમાં, તેમનું  પ્રદાન અનન્ય છે. ‘મિડ-ડે’ દૈનિકમાં તેમની લેખમાળા ‘ચલ મન મુંબઈ નગરી’ લાંબા સમયથી ચાલી રહી છે. તેનું પુસ્તક ગુજરાતી ભાષા-ઇતિહાસ-સંશોધનનું એક ઘરેણું છે. સાહિત્યિક પત્રકારત્વ, વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ તેમણે પ્રદાન કરેલું છે. ઓગણીસમી સદી તેના ઐતિહાસિક અને સમાજશાસ્ત્રીય મહત્ત્વ છતાં સાંપ્રત ગુજરાતના વિચારજગતમાં એકંદર ઉપેક્ષિત હોવાની, અને તે જ રીતે તે કાળખંડ પર દીપકભાઈએ કરેલું કામ પણ ઉપેક્ષિત હોવાની મારી છાપ છે.

દીપકભાઈનું ‘દલપતરામ એટલે…’ નામનું નવું પુસ્તક હમણાં પંદર દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને યોજેલા પુસ્તક મેળામાંથી મળ્યું. એટલે મારા માટે જાણે સોનામાં સુગંધ ભળી. એક પ્રિય પ્રશિષ્ટ સાક્ષર વિશે સાંપ્રત આદરણીય ગ્રંથશીલે લખેલું પુસ્તક મળ્યું.

ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલાં ઉપરોક્ત પુસ્તકના 31 માર્ચ 2023ના રોજ લખેલા નિવેદનમાં દીપકભાઈ જણાવે છે : ‘આ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખોમાં કવીશ્વર દલપતરામના જીવન અને લેખનને જરા હટકે જોવાનો અને નિરૂપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.’

પુસ્તકના તમામ તેર લેખો તાજગીસભર, માહિતીપ્રદ, આધારપૂર્ણ અને વાચનીય છે. તેમના શીર્ષક આ મુજબ છે :

(1) દલપતરામ અને ફાર્બસ (2) દલપતરામ અને ‘સોસાયટી’ (3) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ (4) દલપતરામ અને ‘રાસમાળા’ (5) દલપતરામ અને ‘હોપ વાચનમાળા’  (6) દલપતરામનું પહેલું પુસ્તક (7) દલપતરામનું વિરહકાવ્ય (8) ધીરે ધીરે સુધારાનો સાદ સંભળાવતું ‘વેનચરિત્ર’ (9) દલપતરામની નાટ્યાત્મક કૃતિઓ (10) દલપતરામ અને મુંબઈ (11) દલપતરામ : ‘જેણે મુંબઈ જોઈ નહીં અફળ ગયો અવતાર’ (12) દલપતરામ અને શેરબજાર (13) દલપરામ એટલે …

દીપકભાઈએ પુસ્તકના પરિશિષ્ટમાં જે લખાણો મૂક્યાં છે તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલા અને આજ સુધી અગ્રંથસ્થ રહેલાં છે એમ તેમણે નોંધ્યું છે. તેઓ ઉમેરે છે : ‘હકીકતમાં ‘બુદ્ધિપ્રકાશ’ના બધા જ અંકોને ઝીણા આંકે ચાળીને આજ દિન સુધી નજર બહાર રહી ગયેલી દલપતરામની ગદ્યકૃતિઓને પુસ્તક રૂપે સંગ્રહી લેવાની જરૂર છે.’ દીપકભાઈના આ નિરીક્ષણનો અર્થ એ થયો કે અકાદમીએ અનેક ખંડોમાં પ્રસિદ્ધ કરેલી દલપત ગ્રંથાવલીમાં આ કૃતિઓ નથી. ‘ગુજરાત વિદ્યાસભા’ના એકસો પંચોતેરમા વર્ષ નિમિત્તે અકાદમીએ આ કામ સંપન્ન કરવું જોઈએ.

પરિશિષ્ટમાં દલપતરામની જે અગ્રંથસ્થ કૃતિઓ મૂકવામાં આવી છે તે આ મુજબ છે :

(1) મુંબઈ વિશે (2) વડોદરા વિશે (3) રાસમાળાની વાત (4) અભિમાની રતુંધો (5) વંશપાળ અને ધર્મરાજ (6) ‘મિથ્યાભિમાન’ નાટકનાં ગીતો

ગુજરાતની નાજાગૃતિના અગ્રદૂત દલપતરામને વંદન. ગુજરાતી રાણી વાણીના વકીલના વકીલને અનેક ધન્યવાદ.

‌‌‌‌——–

‘દલપતરામ એટલે …’ (2023), પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પાનાં 108, રૂ.220/- 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, 98797 62263  

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...685686687688...700710720...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved