Opinion Magazine
Number of visits: 9457360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામની અયોધ્યા : 

વિવેક કુમાર [ગુજરાતી અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક]|Opinion - Opinion|27 January 2024

વિવેક કુમારના મૂળ હિન્દી લેખ અને નિવેદિતા મેનને કરેલા તેના અંગ્રેજી અનુવાદને આધારે આ ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે અને આ બંને લેખ ‘કાફિલા’ પર ઉપલબ્ધ છે. 

— મૈત્રેયી યાજ્ઞિક

 °°°

એક મુસ્લિમ જમીનદારે દાનમાં આપેલી જમીન પર બાંધવામાં આવેલું અયોધ્યાનું 300 વર્ષ પુરાણું આ રામ જન્મસ્થળ મંદિર, નવા વિસ્તૃત રામ મંદિર માટે જગ્યા કરી આપવા માટે, ઓગસ્ટ 2020માં તોડી પાડવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્ય : ‘ધ વાયર’)

એ લોકો કહે છે કે રામ અયોધ્યામાં જન્મ્યા; અયોધ્યામાં રમ્યા અને ભમ્યા, અયોધ્યામાં જ ઉછરીને મોટા થયા, ત્યાંથી જ તેમને વનવાસ અપાયો, અને પછી ત્યાં જ પાછા ફરીને તેમણે શાસન પણ કર્યું. રામના જીવનની ક્ષણેક્ષણની યાદમાં અયોધ્યામાં મંદિરો છે. જ્યાં રમ્યા ત્યાં ગુલેલા મંદિર. જ્યાં અભ્યાસ કર્યો ત્યાં વસિષ્ઠ મંદિર. જ્યાં બેસીને રાજ કર્યું ત્યાં મંદિર છે, તો જ્યાં ભોજન લીધું ત્યાં સીતા રસોઇ છે. જ્યાં ભરત રોકાયા હતા ત્યાં મંદિર છે. હનુમાન મંદિર છે, કોપ ભવન છે. સુમિત્રા મંદિર છે, દશરથ ભવન છે. આવા તો કંઈ કેટલાં ય મંદિરો છે અને એ બધાં લગભગ 400થી 500 વર્ષ જૂનાં છે. કહેવાનું તાત્પર્ય એ કે હિન્દુસ્તાનમાં મુગલોના શાસનકાળ દરમિયાન, મુસ્લિમોના શાસનકાળ દરમિયાન આ મંદિરો બાંધવામાં આવ્યાં હતાં.

ગજબ કહેવાય નહીં! મુસ્લિમોએ આ મંદિરો બનાવવાની મંજૂરી કેમની આપી હશે? એમને તો મંદિરો તોડી પાડવા માટે યાદ કરવામાં આવે છે. તેમના નાકની નીચે એક આખું ને આખું શહેર ધીમે ધીમે મંદિરોની નગરીમાં ફેરવાઈ ગયું અને તેઓએ કંઈ જ ન કર્યું! આ તે કેવા આતયાયીઓ હતા જે મંદિરો માટે જમીન આપતા જ રહ્યા હતા? ગુલેલા મંદિર જ્યાં છે તે જમીન મુસ્લિમ શાસકોએ જ આપી હતી એવું કહેનારા નક્કી જુઠ્ઠા હોવા જોઈએ. અને દિગંબર અખાડામાં રાખેલા એ દસ્તાવેજો, જેમાં લખેલું છે કે મંદિર બનાવવાના ચોક્કસ હેતુ માટે મુસ્લિમ શાસકોએ 500 વીઘા જમીન દાનમાં આપી હતી, એ ચોક્કસપણે નકલી હોવા જોઈએ. અને આજે નિર્મોહી અખાડો જ્યાં ઊભો છે એ જમીન નવાબ સિરાજ ઉદ-દૌલાએ આપી હતી એ વાત સાચી હોઈ જ ન શકે. ના, સત્ય તો માત્ર એક જ છે, અને એ છે બાબર અને એણે બનાવેલી બાબરી મસ્જિદ!

હવે તો એવું લાગે છે કે તુલસીદાસ પણ ખોટા હતા, તેઓ 1528ની આસપાસના અરસામાં જ થઈ ગયા, કારણ કે તેમનો જન્મ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1511માં થયો હતો. લોકોનું કહેવું છે કે 1528માં જ બાબરે, જ્યાં રામનો જન્મ થયો હતો તે સ્થળે આવેલ રામમંદિર તોડીને ત્યાં જ, બાબરી મસ્જિદ ચણી હતી. તેમના સમયમાં આ વાત તુલસીદાસના જોવા-જાણવામાં નક્કી આવી જ હોવી જોઈએ. રામના જન્મસ્થળે આવેલ મંદિર બાબર તોડી રહ્યો હતો ત્યારે પણ તુલસીદાસ લખી રહ્યા હતા, “માંગ કે ખાઈબો, મસીત મેં સોઈબો”–   ભીખ માંગીને ખાઉં છું ને મસ્જિદમાં સૂઈ રહું છું. અને પછી તેમણે લખ્યું રામચરિતમાનસ. રામમંદિર તૂટ્યાનો અને તેના જ ખંડિયેર પર બાબરી મસ્જિદ ચણાયાનો તુલસીદાસને જરા સરખો ય રંજ નહીં થયો હોય? તેમણે ક્યાંક તો એના વિશે કંઈક તો લખ્યું હશે ને?

અયોધ્યામાં સત્ય અને અસત્ય પોતાનો અર્થ ખોઈ ચૂક્યા છે.

પાંચ પેઢીઓથી મુસ્લિમોએ ત્યાં ફૂલો ઉગાડ્યાં છે. અને એ તમામ ફૂલો મંદિરોમાં, દેવતાઓને, રામને ચડતાં રહ્યાં છે.

કંઈ કેટલાં ય વર્ષોથી મુસ્લિમો ત્યાં લાકડાની ચાખડીઓ બનાવતા આવ્યા છે. મુસ્લિમોએ બનાવેલી આ ચાખડીઓ સાધુ- સન્યાસીઓ, ઋષિમુનિઓ, રામ ભક્તો, સૌ કોઈ પહેરતા આવ્યા છે.

સુંદર ભવન મંદિરનું સમગ્ર સંચાલન ચાર દાયકા સુધી એક મુસ્લિમના હાથમાં રહ્યું હતું. 1949માં તેના સંચાલનની જવાબદારી સાંભળનાર મુન્નુ મિયાં 23મી ડિસેમ્બર, 1992 સુધી તેના મેનેજર રહ્યા હતા. કેટલીકવાર એવું ય બન્યું હતું કે ભક્તો ઓછા હતા અને આરતી દરમિયાન મુન્નુ મિયાંએ પોતે તાલબદ્ધ રીતે કરતાલ બજાવી હતી, ત્યારે શું એમને વિચાર સરખો ય આવ્યો હતો કે શું છે અયોધ્યાનું સત્ય અને શું છે એનું જુઠ્ઠાણું?

અગ્રવાલ દ્વારા બંધાવવામાં આવેલા મંદિરની એકએક ઈંટ 786નો આંકડો કોતરેલો છે. આ મંદિર બનાવવા માટેની તમામ ઈંટો રાજા હુસૈન અલી ખાને આપી હતી. અહીં શું સાચું માનવું? મંદિર બનાવનાર અગ્રવાલનું મગજ ઠેકાણે નહોતું? કે પછી હુસૈન અલી ખાન પાગલ હતા કે મંદિર બનાવવા માટે ઈંટો દાનમાં આપી રહ્યા હતા? અહીં પ્રાર્થના કરવા ઊઠેલા હાથ હિંદુના કે મુસ્લિમના હાથ તરીકે ઓળખી શકાતા નથી, એ તમામ હાથ અહીં પૂજા કરવા ઊઠે છે, ઈબાદત કરવા ઊઠે છે. આ એક 786ના આંકડાએ આ મંદિરને બધાનું બનાવી દીધું હતું. શું માત્ર 6ઠ્ઠી ડિસેમ્બર, 1992 એ જ એક સત્ય છે?

6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 પછી અયોધ્યાના મોટાભાગનાં મંદિરોનો કબજો સરકારે લઈ લીધો. તમામ મંદિરોને તાળાં લગાવી દેવાયાં. આરતી બંધ થઈ ગઈ. લોકોએ ત્યાં જવાનું છોડી દીધું. શું બંધ દરવાજા પાછળ બેઠેલા દેવી-દેવતાઓએ એક ગુંબજ પર ચઢી જઈને રામને મુઠ્ઠીમાં કરી લેવાની મહત્ત્વાકાંક્ષા રાખતા લોકોને શાપ આપ્યો હશે?

શું અયોધ્યાનાં એ પ્રાચીન મંદિરોમાંથી રામના નામે અયોધ્યામાં અને ભારતભરમાં વહેલા એ લોહીની બૂ આવતી હશે?

અયોધ્યા એ કહાણી છે એક નગરની એક “સમસ્યા”માં ફેરવાઈ જવાની.

અયોધ્યા કહાણી છે એક આખી સંસ્કૃતિના મોતની.

e.mail : maitreyi.yajnik@gmail.com

મૂળ હિન્દી લેખ કાફિલા પર અહીં વાંચી શકાશે.

તેનો અંગ્રેજી અનુવાદ કાફિલા પર અહીં વાંચી શકાશે.

Loading

વિદેશોમાં ભારતના શ્રમિકોની માંગ : ગિરમીટ પ્રથાનું પુનરાગમન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 January 2024

ચંદુ મહેરિયા

લગભગ એક જ સમયગાળાના આ ત્રણ સમાચારોમાં રહેલું સામ્ય અને વિરોધ નોંધપાત્ર છે. દુનિયાના વિકસિત દેશોમાં શ્રમિકોની મોટી તંગી હોઈ તે દેશોમાં ભારતના શ્રમિકોને મોકલવા ભારત સરકાર દ્વિપક્ષીય સમજૂતી કરવાની છે. ભારતીય જનતા પક્ષના લોકસભા સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ વિદેશ મંત્રીને પત્ર લખી સાઉદી અરબમાં ફસાયેલા ૪૫ ઝારખંડી મજૂરોની મુક્તિ માટે વિનંતી કરી છે. આ કામદારો કામની તલાશમાં એજન્ટો મારફત ગયા હતા અને હવે ફસાઈ ગયા છે. તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને પાંચ માસનું વેતન મળ્યું નથી અને તેઓ દિવસમાં એક વાર માંડ ખાવાનું પામે  છે. ૩૦૩ ભારતીયોને લઈને નિકારાગુઆ જઈ રહેલું વિમાન ઈંધણ માટે ફ્રાન્સમાં રોકાયું ત્યારે ફ્રાન્સને માનવ તસ્કરીની શંકા લાગતા તપાસ કરતાં દલાલો આ ભારતીય પ્રવાસીઓને નિકારાગુઆના માર્ગે ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના હતા .. આ વિમાનમાં ઘણાં ગુજરાતીઓ હતા, ઓછું ભણેલા અને અર્ધ કુશળ હતા. તે સૌ મોટા વેતનના કામની ખોજમાં ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા.

દુનિયાના અમીર અને વિકસિત દેશોમાં કામદારોની તીવ્ર તંગી છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધને કારણે જે એકાદ લાખ પેલેસ્ટિની કામદારો ઈઝરાયલમાં હતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. યુદ્ધ પહેલાં ૨૦,૦૦૦ ભારતીય શ્રમિકો ઈઝરાયલમાં હતા. હવે તેને બીજા ૪૦,૦૦૦ કામદારોની જરૂર છે. ગ્રીસને ૧૦,૦૦૦, તાઈવાનને ૧,૦૦,૦૦૦, જર્મનીને ૨૪,૦૦,૦૦૦  કામદારોની જરૂર છે. ઈટલીને પણ ભારતીય કુશળ, અકુશળ મજૂરોની આવશ્યકતા છે. વિકસિત દેશોમાં કામદારોની અછતનું કારણ આ દેશોમાં કામને લાયક ન રહી હોય તેવી વૃદ્ધ વસ્તીનું મોટું પ્રમાણ છે.

ટ્રક, કેબ ડ્રાઈવર, હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્ટોરમાં કામદારો, ફુડ સર્વિસ, કૃષિ કામદારો, રસોઈયા, સુથાર, પ્લમ્બર, નર્સિંગ સર્વિસ, આરોગ્ય કર્મી, બાંધકામ અને  મેન્યુફેકચરિંગ , વૃદ્ધો, વિકલાંગો અને દર્દીઓની દેખભાળ તથા તે પ્રકારનાં બીજાં કામો માટે ભારતના કામદારોની વિદેશોમાં આવશ્યકતા છે. ભારતે દુનિયાના આશરે ચાળીસ દેશો સાથે કામદારોની સેવા માટે સમજૂતીઓ કરી છે.  ૨૦૧૫ થી ૨૦૨૩માં ભારતીય શ્રમજીવીઓની સેવા માટે વિકસિત અને જરૂરિયાતમંદ દેશો સાથે ૧૭ સમજૂતી કરી હતી. એમ્પલોયમેન્ટ મોબિલિટી એગ્રીમેન્ટ અને Flurry of mobility and migrantion agreement ને કારણે ભારતીય કામદારોને રક્ષણ મળે છે. ભારત સરકાર તેના વ્યાપાર ભાગીદાર દેશો સાથેની અન્ય સમજૂતીઓ વખતે કામદારોની આવજા અંગે પણ સ્પષ્ટતા કરે છે. હાલમાં ગ્રીસ, ડેન્માર્ક, સાઉથ કોરિયા, તાઈવાન અને નેધરલેન્ડ સાથે કામદારોની આવજા અંગેના એગ્રીમેન્ટ ચર્ચામાં છે.

છેલ્લા સરકારી શ્રમબળ (વર્કફોર્સ) સર્વેક્ષણ પ્રમાણે દેશમાં કોઈ અન્ય કામના વિકલ્પના અભાવે ટોટલ વર્કફોર્સના ૫૭ ટકા સ્વરોજગારમાં છે. ૨૧ ટકા હંગામી મજૂરો છે અને ૧૮ ટકા નાના ગૃહ ઉદ્યોગોના સહયોગી છે. દેશમાં ૧૮થી ૨૫ વરસની યુવા વસ્તી ૪૪ ટકા છે. આ વિશ્વનું સૌથી મોટું યુથ વર્ક ફોર્સ છે. વરસે સવા કરોડ યુવાનો રોજગારીને લાયક હોય છે. પરંતુ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનું જોબ પોર્ટલ સરકારી અને ખાનગી ક્ષેત્રની ખાલી નોકરીઓની સંખ્યા ૨.૨૦ લાખ દર્શાવે છે. જે રાજ્યોના સૌથી વધુ લોકો વિદેશોમાં કામની તલાશ કરે છે તે પૈકીના પંજાબમાં ૨૦થી ૩૦ વરસના ૨૮ ટકા યુવાનો બેરોજગાર છે. તેમાં ૬૧ ટકા શિક્ષિત બેકાર છે. આ સૌની નજર દેશમાં નહીં તો વિદેશમાં કામની ખોજ પર છે. એટલે જ્યારે વિકસિત દેશો સરકાર પાસે બાકાયદા શ્રમિકોની માંગ કરે તો તે રૂડો અવસર છે. કેમ કે ભારતમાં મોટાપાયે શિક્ષિતો બેરોજગાર છે તો અર્ધશિક્ષિત અને અકુશળ કે અર્ધકુશળ માટે રોજી મેળવવી ઓર કઠિન છે.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ પ્રમાણે ૯૦ લાખ ભારતીય કામદારો ખાડી દેશોમાં કામ કરે છે. કામની શોધમાં લેભાગુ દલાલો મારફત વિદેશોમાં જનારાની સંખ્યા ઘણી મોટી છે અને તેમને ઘણા ખરાબ અનુભવો થાય છે. ડોલરિયો દેશ અમેરિકા ઘણાંને આકર્ષે છે પરંતુ પ્રવેશ સરળ નથી એટલે ઘૂસણખોરીનો માર્ગ અપનાવે છે. એક અખબારી અહેવાલ પ્રમાણે નવેમ્બર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨૩ના અગિયાર મહિનામાં  અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ બદલ ૯૬,૯૧૭ ભારતીયો પકડાયા હતા. ખુદ વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે દાયકામાં રોજગારની શોધ બીજા દેશોમાં કરનારા ભારતીય નાગરિકોની સંખ્યામાં અનેક ગણી વૃદ્ધિ થઈ છે.

વિદેશોમાં કામની તલાશમાં જતાં લોકોને ઘી કેળાં છે એવું નથી. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે માર્ચ ૨૧થી ડિસેમ્બ ૨૩ સુધીમાં વેતન ન મળવું, વેતનની ચુકવણીમાં વિલંબ, પાસપોર્ટ રાખી લેવો, કામની અને રહેઠાણની ખરાબ સ્થિતિ, માલિકનો દુર્વ્યવહાર અને અત્યાચાર, કામના અમર્યાદિત કલાકો જેવી ૩૩,૨૫૨ ફરિયાદો સરકારને મળી હતી. હાલમાં જેની ચર્ચા છે તે સમજૂતી હેઠળ જે કામદારો વિદેશમાં જાય તેમની મુશ્કેલીઓનો હલ સરકાર માટે સરળ છે પરંતુ પોતાની મેળે કે દલાલો મારફત જતા કામદારોને મદદ કરવી અઘરી છે. દેશમાં મજૂરી નથી કે જે છે તે મજૂરીના દર ઓછા છે એટલે શ્રમિકોને વિદેશ જવું પડે છે. વિશ્વગુરુ બનવા મથતા કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જવાના બણાગાં ફૂંકતા શાસકો માટે ભારતીય શ્રમિકોની નિકાસ કલંક રૂપ છે.

ઘરઆંગણે રોજીના અભાવે લાચારીવશ બીજા દેશોમાં કામ માટે જતાં લોકોને ગિરમીટિયા કહેવાતા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, “ગિરમીટિયા એટલે પાંચ કે એથી ઓછાં વર્ષના મજૂરીના કરારનામામાં સહી કરીને હિંદુસ્તાનની બહાર મજૂરી કરવા ગયેલા મજૂરો.” (પૃષ્ઠ ૩૯૦) આ ગિરમીટ પ્રથાને ગાંધીજી ‘અર્ધ ગુલામગીરી’ ગણાવતા હતા. દેશની આઝાદી પછી ગિરમીટિયાઓને દેશમાં પરત ફરવા સરકારે યોજના ઘડી ત્યારે પણ મોટાભાગના પરત આવ્યા ન હોય એ બાબત ચિંતાજનક છે. આજે પણ તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભારત તેના નાગરિકોને રોજી અને પૂરતું વેતન આપતું નથી તેને કારણે વિદેશ વસવાટનો ક્રેઝ અને લાચારી છે તે સમજવાની જરૂર છે.

વિદેશોમાં આઈ.ટી. પ્રોફેશનલ્સની બોલબાલા છે. બીજા પણ કેટલાક  વ્યવસાયીઓને વિદેશોમાં ઊંચા પગારની સારી નોકરીઓ મળે છે. તેમને સહેલાઈથી વર્કિંગ  વિસા અને થોડા વરસે વિદેશી નાગરિકતા મળી જાય છે. ભારતીય ધનપતિઓ નાણાં ખર્ચીને ગોલ્ડન વિસા મેળવી લે છે. ૨૦૧૪થી ૨૦૧૮માં ૨૩,૦૦૦ ભારતીય કરોડપતિઓએ વિદેશમાં વસી જવું મુનાસિબ માન્યું હતું. આઝાદીના અમૃતકાળના વરસોમાં (૨૦૨૨માં) ૭,૫૦૦ અમીરોએ ભારતની નાગરિકતા ત્યાગી હતી. એટલે ગિરમીટ પ્રથાથી ગોલ્ડન વિસા સુધીની આપણી વિદેશ વસવાટની કહાણી છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

75મું પ્રજાસત્તાક પર્વ પ્રજા પર સટ્ટા રમવાનું પર્વ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 January 2024

રવીન્દ્ર પારેખ

આજે 75મો ગણતંત્ર દિવસ. આજે ભારતના મુખ્ય અતિથિ છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં. એક બીજો સંયોગ થયો તે કર્પૂરી ઠાકુરને, તેમની 100મી જન્મજયંતી ટાણે, મરણોપરાંત ભારત રત્નની જાહેરાત ! 26 જાન્યુઆરી, 1950ને રોજ આપણને ભારતીય બંધારણ મળ્યું. જગતમાં ભારતનું બંધારણ જ એવું છે, જેમાં અશોકથી અકબર અને રામ, કૃષ્ણ અને ગીતાના સચિત્ર ઉલ્લેખો પણ છે. વિશ્વનાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતનાં બંધારણીય ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સાથે સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ સ્મરણ થવું સહજ છે. અનેક દેશભક્તોએ, વીર જવાનોએ પ્રાણની આહુતિ આપીને આપણને ગણતંત્ર સુધી પહોંચડ્યાં છે, એ સૌ વિભૂતિઓને વંદન જ હોય. ભારતનું બંધારણ સર્વ ધર્મ સમભાવની કે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે, પણ એ મામલે પ્રમાણિકતા ઓછી જ છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસનમાં વાતો તો બિનસાંપ્રદાયિક્તાની જ થઈ, પણ એમાં બહુમતી હિન્દુઓની અવગણના અને લઘુમતીની મત મેળવતી ખુશામત કેન્દ્રમાં રહી. આજે ફેર એટલો પડ્યો છે કે બહુમતીની ગણના અને લઘુમતીની અવગણના કેન્દ્રમાં છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય લોકશાહીએ વૈશ્વિક સ્તરે પ્રગતિ અને વિકાસ સાધ્યાં છે.

ગઈ 22મી જાન્યુઆરી, 2024ને રોજ અયોધ્યામાં બાળ રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આખું વિશ્વ થોડી ક્ષણો માટે  અયોધ્યા કેન્દ્રી થયું, એ જ સૂચવે છે કે રામ ભારતના જ નહીં, વિશ્વના છે, પણ એ સાથે જ મીરામાર્ગ, મુંબઇમાં શાંતિ ડહોળવાનાં પ્રયત્નો પણ થયા. એક સમય હતો જ્યારે બહુમતી પીડિત હોવાનો અનુભવ કરતી હતી, એ સ્થિતિ હવે લઘુમતીની છે. બહુમતીની અવમાનના યોગ્ય ન હતી, તો લઘુમતીની પણ યોગ્ય નથી જ ! કેટલા ય મુસ્લિમોએ મંદિરોમાં સેવા આપી છે, કેટલા ય રામાયણ, રામચરિત માનસ, દર્શનનાં પંડિતો છે. એક તરફ આ સ્થિતિ છે તો, બીજી તરફ ઘણા મુસ્લિમ દેશો રામ મંદિરથી રાજી નથી. એ પણ વિચિત્ર છે કે બહુમતીની અવમાનના થતી હતી ત્યારે કોઈ દેશની એને માટે સહાનુભૂતિ ન હતી ને હવે લઘુમતીની ઉપેક્ષા થતી લાગે છે તો 57 મુસ્લિમ દેશોનું સંગઠન ઓ.આઇ.સી.એ. કહે છે કે બાબરી તોડીને મંદિર થયું છે તે સામે અમારો વિરોધ છે. એ સંગઠનને પૂછી શકાય કે બાબરી કોને તોડીને બંધાઈ હતી? એ પણ જવા દો, કાશી, મથુરા કે અન્ય સ્થળોની મસ્જિદોનો ઇતિહાસ તો જુઓ. સાચું તો એ છે કે કોઈ પણ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે, તેવું કોઈ પણ ધર્મ દ્વારા ન થવું જોઈએ, પણ એવું થાય છે ને તે ઠીક નથી.

દેશે ઘણી આર્થિક પ્રગતિ કરી છે ને તે દુનિયાની ઇકોનોમીમાં મોખરે પહોંચવા કોશિશ કરે છે, પણ ત્યાં પહોંચવા માટે જે માર્ગો સ્વીકારાય છે તેમાં સાધન શુદ્ધિનો અભાવ છે. પેટ્રોલ-ડિઝલનો જ દાખલો લઇએ, તો સાત એપ્રિલ, 2022થી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો થયો નથી. જુલાઈ, 2022માં જ ક્રૂડ ઓઇલ 114 ડોલર પ્રતિ બેરલ હતું. એ અગાઉ, 120 ડોલર ભાવ હતો, ત્યારે પણ પેટ્રોલ સો રૂપિયે લિટર વેચાયું ન હતું, પછી તો ભાવ આજે 80 ડોલરથી નીચે ગયો છે, પણ રૂપિયામાં પેટ્રોલનો ભાવ ઘટતો નથી. એનો અર્થ એ થયો કે ક્રૂડનો ભાવ ઘટે તો ભારતમાં ભાવ ઘટતો નથી, બલકે, ક્યારેક વધે પણ છે. કોરોનામાં નાગરિકોએ, એ અનુભવ્યું છે. આમ કરીને સરકારે પોતે આવક કરી છે ને સરકારની જ પેટ્રોલિયમ કંપનીઓએ નફો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ કંપનીનો 2023-‘24નો છેલ્લાં નવ મહિનાનો નફો 34,781.15 કરોડ છે. આ નફો, ક્રૂડના ભાવ ઘટવા છતાં ન ઘટાડીને, ડ્યૂટી/કમિશન વધારીને થયો છે. એમાંથી કે બીજેથી સોર્સિસ ઊભાં કરીને સરકાર આજ સુધી મફત અનાજ આપીને 80 કરોડ ગરીબોનું પેટ પાળતી રહી છે, તે માટે તેની પીઠ થાબડવી પડે, પણ સવાલ એ છે જ કે ગાયને દોહીને બકરીને પાવાનો અર્થ ખરો? અર્થ એટલે નથી લાગતો કે મોટા ભાગની ગરીબ પ્રજા મફત અનાજના લાભને કારણે કામધંધો ન કરતાં પ્રમાદી થઈ ગઈ છે. સરકારની આ અને જી.એસ.ટી.ની લાખો કરોડની આવક પ્રજાનાં શોષણનું જ બીજું નામ છે. સ્વતંત્રતા કે ગણતંત્રનાં 75 વર્ષ પછી પણ સરકારનો જ કારભાર પારદર્શી ન હોય તો પ્રજા પાસેથી એની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

આવું નફાખોર માનસ એટલે વકરી શકે કે સરકારને પડકારી શકે એવો મજબૂત વિપક્ષ જ નથી. કોઈ પૂછનાર જ ન હોય તો સારો માણસ પણ નફાખોર થઈ શકે. બીજી તરફ વિપક્ષો કેવળ પાંગળા છે. પક્ષનું હિત જોવામાં વિપક્ષો દેશહિત જોઈ શકતા નથી. વિપક્ષોએ મજબૂત થવા I  N D  I  A નામક 28 વિપક્ષોનું ગઠબંધન સર્જ્યુ, પણ તે નિરર્થક એટલે છે કે તેઓ એક થયા છે, પણ અનેક રહેવાનું ભૂલ્યા નથી. વડા પ્રધાન કોઈ એક જ થઈ શકે તે જાણવા છતાં, દરેક પક્ષને પોતાનો વડા પ્રધાન જોઈતો હોય તેમ તેઓ ભેગા થઇને કોઈ એક સર્વસંમત નામ આગળ કરી શકતા નથી. એ તો ઠીક, સૌ સાથે રહીને સામનો કરી શકે એવું પણ નથી. તૃણમૂલ કાઁગ્રેસનાં મમતા બેનરજી અને આમ આદમી પાર્ટીના ભગવંત માને કાઁગ્રેસ સાથે ન રહેવાનું જાહેર કર્યું છે. બ.સ.પા.નાં માયાવતીએ પણ અલગ રહેવાનું જ સ્વીકાર્યું છે. પ્રદેશ કક્ષાએ પણ ખેડા-આણંદ જિલ્લા કાઁગ્રેસમાં ભંગાણ પડ્યું છે, એ જ રીતે સાબરકાંઠા કાઁગ્રેસમાં પણ ગાબડું પડ્યું છે ને ઢગલાબંધ કાઁગ્રેસીઓએ લોકસભાની ચૂંટણી પૂર્વે ભગવો ખેસ પહેરી લીધો છે. એમ લાગે છે કે કેટલાક પક્ષોની વફાદારી, નફાદારીના દાખલા જ ગણે છે. પ્રજા એટલું જરૂર પામી ગઈ છે કે સત્તા પ્રાપ્તિ સિવાય વિપક્ષોનો કોઈ હેતુ નથી. લોકસભા ચૂંટણીમાં ભા.જ.પે. જીતવા માટે તીવ્ર સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ જ નથી, સિવાય કે કોઈ ચમત્કાર થાય !

આ સૌમાં આશ્વસ્ત કરનારી એક ઘટના તે ઇસરોનું ચંદ્રયાન-3 દ્વારા ચંદ્ર પર સંશોધનાત્મક પદાર્પણ ! ચંદ્ર પરનાં ભારતીય પગલાંએ એટલું તો પુરવાર કરી દીધું કે બ્રહ્માંડનાં રહસ્યો ખોલવામાં ભારત કોઇથી પાછળ નથી. વધારામાં એ જ ઇસરોએ આદિત્ય એલ-1ની ઉડાન દ્વારા સૂર્યમિશન આરંભ્યું એ પણ વહેલું અને પહેલું સાહસ છે.

ગણતંત્રને 75મું બેઠું, પણ આરોગ્ય, ઇલાજની સમસ્યાઓમાંથી મુક્તિ નથી. ગુજરાતમાં એકાએક એટેકોથી થતાં મૃત્યુની સંખ્યા વધતી જ આવે છે. એક વૈશ્વિક ચાલ એવી પણ છે કે લોકો સતત કોઈ વાયરસના ભયમાં જ જીવે. વિશ્વ આરોગ્ય સંસ્થાથી માંડીને ચીનની ઈચ્છા એવી લાગે છે કે કોઈ વાયરસ એવો વકરે કે લાખો માણસો એમાં સપડાય. બાકી હતું તે વિશ્વના આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો એવી આગાહી કરી ચૂક્યા છે કે કોઈ X મહામારી એવી આવવાની છે, જેમાં પાંચ કરોડ લોકો મરી જવાના છે. આગાહી કોઈ એવોર્ડની જેમ થાય છે. આ મહામારી કોરોના કરતાં વધુ ભયંકર હશે. આવું કહી કહીને લોકોને ડરેલાં રાખવાં ને પોતાના ઈરાદાઓ પાર પાડવા એવી જાણે કોઈ વૈશ્વિક રમત ચાલે છે. એ દ્વારા હેતુ ઇકોનોમીને છંછેડવાનું પણ ખરું.

આખું જગત કોઈને કોઈ કાવતરામાં વ્યસ્ત ને મસ્ત જણાય છે. શાંતિ ખપતી ન હોય તેમ યુદ્ધમાં કેટલાક દેશો સંડોવાયા છે. એમ લાગે છે કે વિશ્વના દેશો યુદ્ધને સહજ વ્યવહારમાં વણી લેવા માંગે છે, જેથી તેનો ભય જ ન રહે. એમાં થતો વિનાશ કોઠે પાડવાના પ્રયત્નો થાય છે. હવે અરેરાટીમાં નહીં, પણ સનસનાટીમાં સૌને રસ છે. બધાં જ વોર પ્રૂફ થઈ ગયા હોય તેમ કોઈ યુદ્ધ રોકવા ઉત્સુક નથી. આ સ્થિતિ હોય તો માનવું પડે કે જગત યુદ્ધથી શાંતિ સ્થાપવા માંગે છે. દેશની વાત કરીએ તો ચીન અને પાકિસ્તાન સરહદી છમકલાંઓથી ભારતને ત્રસ્ત રાખવાની ફિકરમાં છે, તો મણિપુરની હિંસા જાણે ભારતની ન હોય તેમ સરકાર તટસ્થ અને મૌન છે. માલદીવ્સનાં ભારત વિરોધી વલણની ત્યાંના જ વિપક્ષોએ એમ કહીને ટીકા કરી છે કે એ દેશનો વિકાસ રૂંધશે. કેનેડા સાથેના સંબંધોમાં ખટાશ ઉમેરાય એ બધું ઘણી રીતે ઉપદ્રવ કરનારું છે, પણ ભારતને અન્ડર એસ્ટિમેટ કરવામાં છેતરાવાનું થશે. એટલી શાખ તો ભારતે વૈશ્વિક સ્તરે અર્જિત કરી જ છે કે તે કોઈનાં સમર્થન વગર એકલું ન પડે.

ગુજરાતે યુવકોને આવેલા હાર્ટ એટેકમાં ઘણાં કુટુંબો નિરાધાર થતાં જોયાં છે. છેલ્લે છેલ્લે વડોદરામાં હરણી તળાવમાં માસૂમ બાળકોએ જળસમાધિ લીધી એ અત્યંત દારૂણ ઘટના છે. સરકાર વળતર આપીને ફરજ મુક્ત થઈ જાય છે, પણ જેનું બાળક ગયું છે એ કુટુંબ તો કેવી રીતે આશ્વસ્ત થાય? ભ્રષ્ટાચારને મામલે વડા પ્રધાન ભલે એમ કહેતા હોય કે ખાતો નથી, તે કબૂલ, પણ ખાવા દેતો નથી એ ધરાર ખોટું છે. કાલના જ સમાચાર છે કે તેલંગાણાના મેટ્રો રેલના પ્લાનિંગ અધિકારી બાળકૃષ્ણને ત્યાંથી 100 કરોડથી વધુની સંપત્તિ ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો(ACB)ને હાથ લાગી છે. હજી લોકર્સ તો ખૂલ્યાં નથી. તે ખૂલશે તો આંકડો મોટો થશે. અધિકારી કક્ષાની વ્યક્તિ આટલી સંપત્તિ ભેગી કરે તો કેટલી ગેરરીતિઓ થઈ હશે એનો અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી. આવાં તો ગણ્યા ગણાય નહીં એટલા છે, પછી નાનાં માણસો સુધી સરકારનો પૈસો પહોંચે જ કેવી રીતે?  એટલી હદે આ દેશ ભ્રષ્ટ થયો છે કે કોઈ વિકાસ વિશ્વસનીય નથી લાગતો. ગણતંત્ર દિનને પ્રજાસત્તાક દિન કહ્યો છે તે એ રીતે સાચું છે કે પ્રજા પર અનેક અધિકારીઓ, નેતાઓ સટ્ટા રમી રહ્યા છે ને બધું અપાય પણ કૈં ન મળે એવી અનુભૂતિ તીવ્ર બનતી આવે છે. શિક્ષિતોની બેકારી, સ્ત્રી શોષણ, AIનું માણસને વિકલ્પે વધતું આવતું વર્ચસ્વ … વગેરે એટલી બધી સમસ્યાઓ છે કે સત્તા અને સટ્ટા વચ્ચે બહુ ફરક રહ્યો નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જાન્યુઆરી 2024

Loading

...102030...680681682683...690700710...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved