Opinion Magazine
Number of visits: 9741298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેગિંગનું દૂષણ કેમ ડામી શકાતું નથી?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 July 2024

ચંદુ મહેરિયા

૨૦૨૪-૨૫ના નવા શૈક્ષણિક વરસની શરૂઆત થઈ ગઈ છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પછી સત્ર શરૂ થતાં જ રેગિંગના સમાચારો પણ આવવા માંડશે. રેગિંગ આમ તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતાં નવાં વિદ્યાર્થીઓને જૂના વિદ્યા ર્થઓ દ્વારા આવકારવાની પ્રથા છે, પરંતુ આવકારની તેમની રીત પરપીડાથી ક્રૂર આનંદ મેળવવાની છે. રેગિંગને કારણે નવા દાખલ થતા વિદ્યાર્થીઓના મનમાં માનસિક ડર, ભય  અને આશંકા જન્મે છે. તેમણે શારીરિક ઈજા, પરેશાની અને હેરાનગતિ સહન કરવી પડે છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાંથી રેગિંગનો ડર જીવનભર જતો નથી. ક્યારેક તેમને અભ્યાસ છોડી દેવો પડે છે. ઘણીવાર રેગિંગને કારણે થતી સતામણી એ હદની હોય છે કે ભોગ બનેલ ગંભીર ઈજા કે મૃત્યુ પણ પામે છે. કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરે છે. રેગિંગ એટલે તો સિનિયર્સ દ્વારા જુનિયર્સની થતી નિર્દોષ મજાક – મશ્કરી અને ધમાચકડી છે. પણ વાત ઈજા, મૃત્યુ અને આત્મહત્યા સુધી પહોંચતા હવે રેગિંગ કુખ્યાત પ્રથા બની ગઈ છે, કાયદેસર ગુનો છે અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.

રેગિંગ મૂળે તો પશ્ચિમની અવધારણા છે. યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં તે આરંભાઈને વિશ્વભરમાં પ્રસરી છે. ભારતમાં બ્રિટિશકાળમાં તે શરૂ થઈ હતી અને તેના મૂળિયાં એટલાં તો ઊંડા છે કે આખી દુનિયામાં રેગિંગનું સૌથી ખરાબ અને ક્રૂર સ્વરૂપ ભારતમાં જોવા મળે છે. જો માનવીની કલ્પનાને કોઈ સીમા ન હોય તો તેની વિકૃત કલ્પના જ્યારે સીમા કે મર્યાદાહીન બને, હાનિરહિત મનોરંજન કે હસી-મજાકનો રેગિંગનો ઉદ્દેશ અમાનવીય અને યાતનાપૂર્ણ બને, શાલીનતા, શિસ્ત અને નૈતિકતાને તડકે મૂકે ત્યારે તે કેટલું ભયાનક હોઈ શકે તેનો અનુભવ રેગિંગપીડિત ભારતીય યુવાઓને વરસોવરસ થાય છે.

કોલેજો અને યુનિવર્સિટીઓમાં જુનિયર્સને સિનિયર્સ દ્વારા માથામાં તેલ નાંખી વિચિત્ર હેરસ્ટાઈલ અને કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા કહેવું, અશ્લીલ શબ્દો કે ફિલ્મી ડાયલોગ બોલાવવા, ગામઠી કે અન્ય વસ્ત્રો પહેરવા, પુરુષને સ્ત્રીના કે સ્ત્રીને પુરુષનાં વસ્ત્રો પહેરાવવા, સિનિયર્સને અપમાનજનક ભાષામાં બોલાવવા, જૂના વિદ્યાર્થીના કપડાં ધોવા, કપડાંને ઈસ્ત્રી કરવા, હોસ્ટેલના તેમના રૂમની સફાઈ કરવા, જર્નલ્સ કે એસાઈમેન્ટ લખવા કહેવું, ફિલ્મી કલાકારોની મિમિક્રી કરાવવી, જૂના ભજનો ગવડાવવા જેવા થોડા સહ્ય કે જુનિયર્સને અસહજ લાગે તેવાં કામો કરાવવામાં આવે છે અને બધા સાથે મળી આનંદ માણે છે. પરંતુ ઘણીવાર તેમાં મર્યાદા ભંગ થાય છે અને જુનિયર્સને શરાબ કે નશીલી ચીજોનું સેવન કરાવવામાં આવે છે , મારવામાં આવે છે અને અસહ્ય યાતના આપવામાં આવે છે ત્યારે રેગિંગનું સૌથી ભયાનક સ્વરૂપ સામે આવે છે.

તમિલનાડુના કોઈમ્બતુરની પી.એસ.જી. કોલેજ ઓફ ટેકનોલોજીના એન્જિનિયરીંગના આઠ સિનિયર્સે રેગિંગમાં એક જુનિયર્સ પાસે દારુ પીવા પૈસા માંગ્યા. પેલાએ ના આપ્યા તો તેને બેલ્ટ વડે સખત માર્યો. એનું માથું અસ્ત્રાથી મૂંડી નાંખ્યું, હોસ્ટેલના રૂમમાં તેને કલાકો સુધી ગોંધી રાખ્યો. પીડિત વિદ્યાર્થી માટે આ પીડા અસહ્ય હતી. એટલે તેણે પોલીસ ફરિયાદ કરી. રેગિંગ કરનારા છાત્રોએ માફી માંગી ભૂલ સ્વીકારી અને આવી ભૂલ ફરી ક્યારે ય નહીં કરવાનું વચન આપ્યું. નવેમ્બર-૨૦૨૩ના આ બનાવની મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. વેંકટેશે આરોપી યુવાનોને કહ્યું કે જો ઈજનેરીનું ભણતા છાત્રો આવા ઘૃણિત કાર્યોમાં લિપ્ત હોય તો તમે અભણ રહોને, ભાઈ. તમારા ભણવાનો શું અર્થ છે.

ભારતીય દંડ સંહિતા અને કેટલાક રાજ્યોના રેગિંગ વિરોધી કાયદા પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓને  સજા અને દંડ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા ઘડી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિયમો બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓ પર માઠી અસર કરનાર રેગિંગના દૂષણ અંગે પ્રવેશ ફોર્મમાં જ સ્પષ્ટતા કરવા સુપ્રીમે જણાવ્યું છે. રેગિંગમાં ન જોડાવા વિદ્યાર્થી અને વાલી પાસે લેખિત ખાતરી પણ માંગવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓને તેના વડાના અધ્યક્ષસ્થાને એન્ટી રેગિંગ કમિટી બનાવવી ફરજિયાત છે. તેમાં જૂના-નવા વિદ્યાર્થી, વાલી, સંસ્થાના શૈક્ષણિક, બિનશૈક્ષણિક સ્ટાફના પ્રતિનિધિઓ સભ્યો હોય છે. રેગિંગ સંસ્થાની પ્રતિષ્ઠાને ખરડે છે અને તેની છાપ બગડે છે તેથી સંસ્થાઓ પણ રેગિંગ અટકાવવા માટે પૂરતા સાવચેતીના પગલાં લે તે જરૂરી છે.

કેન્દ્ર સરકારનો પ્રિવેન્શન ઓફ રેગિંગ એકટ , ૧૯૯૭ અને તેમાં સુધારા, અડધો ડઝન રાજ્ય સરકારોના કાયદા અને ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર મૂકેલ પ્રતિબંધ છતાં આ દૂષણને ડામી શકાયું નથી. કેનેડા અને જાપાનમાં રેગિંગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયું છે. દુનિયાના ઘણા દેશોમાં પણ તે હયાત નથી. પરંતુ ભારત અને શ્રીલંકામાં આજે ય રેગિંગ તેના ભયાનક રૂપે યથાવત છે. માર્ગદર્શિકાઓ અને કાયદા છતાં તે અટક્યું નથી. ઉચ્ચ શિક્ષણની મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજોમાં તે સવિશેષ જોવા મળે છે.

છત્તીસગઢમાં ૫ વરસની, ત્રિપુરામાં ૪ વરસની, કેરળ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કાયદામાં ૨ વરસની  કેદ અને રૂ.૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ના દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રેગિંગ વિરોધી કાયદો તો ઘડાયો નથી, પરંતુ તે અંગેની ગાઈડલાઈનમાં ૨ વરસની કેદ અને ૧૦ હજારના દંડની જોગવાઈ છે. ગુજરાતની ગાઈડલાઈનમાં રેગિંગનો ભોગ બનનાર જો ફરિયાદ ન કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વિચિત્ર જોગવાઈ પણ છે. ગયા વરસે અમદાવાદના મણિનગર વિસ્તારની નરેન્દ્ર મોદી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. તેમાં ચાર સિનિયર ડોકટર્સે ચાર જુનિયર ડોકટરોનું રેગિંગ કર્યું હતું. આઘાતજનક બાબત એ છે કે ભોગ બનનારા અને સતામણી કરનારામાં મહિલાઓ સામેલ હતી!

દેશની સૌથી પ્રખ્યાત અને શિસ્તમાં ટોચે ગણાતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ થાય છે. દેશનો કોઈ ખૂણો કે રાજ્ય રેગિંગના દૂષણથી મુક્ત નથી. એટલે તેને અટકાવવા માટેના માત્ર કાયદાકીય પગલાં જ પર્યાપ્ત નહીં બને. વિદ્યાર્થીઓ,  તેમાં પણ તબીબી-ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ, કેમ આવું વર્તન કરે છે તેના સાચા કારણો શોધવાની જરૂર છે. રેગિંગમાં સંડોવાયેલા પર પ્રવેશથી પરીક્ષા સુધીના પ્રતિબંધના પગલાં કારગર નીવડ્યાં નથી. રેગિંગમાં સિનિયર્સની હક – અધિકાર કે સત્તાની ભાવના કે નવા પર ધાક જમાવવાની અને પ્રભુત્વ સ્થાપિત કરવાની ભાવના કઈ રીતે દૂર કરી શકાય તે વિચારવું રહ્યું. ભોગ બનેલ નવો વિદ્યાર્થી  પછીના વરસોમાં રેગિંગથી દૂર રહેવાને બદલે વધુ ક્રૂર રેગિંગ ટાસ્ક આપતો હોય તો તેમાં પ્રતિશોધ કે બદલાની ભાવના છે. તેનો હલ શોધવાનો છે. પરપીડાના આનંદ અને સંતોષની લાગણી, ભીડનો ભાગ બની જવાની વૃત્તિ કે જો આ બધામાં ભાગ નહીં લે તો એકલા પડી જવાનો ડર પણ રેગિંગ માટે જવાબદાર હોય છે. આખરે આ દેશનો યુવાન કેમ અશિસ્ત્ભર્યું, ઉગ્ર અને છાટકું વર્તન કરે છે તે શોધી શકાય તો તેને ડામવાના માર્ગો હાથ લાગે. આ થોડાક બદમાશ કે તોફાની વિદ્યાર્થીઓનું કૃત્ય હોય છે અને તેમાં બહુમતી વિદ્યાર્થીઓ સામેલ હોતા નથી તેવો આત્મસંતોષ લેવાને બદલે એકાદ વિદ્યાર્થી પણ કેમ આવું વિચારે છે તે દૃષ્ટિએ વિચારીને ઉપાય શોધી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

શિક્ષણની અંતિમવિધિનો યશ શિક્ષણ વિભાગને જ ઘટે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 July 2024

રવીન્દ્ર પારેખ

સૌથી વધારે અખતરા શિક્ષણ વિભાગ શિક્ષણમાં કરે છે, પરિણામે ખતરા વધે છે ને વિદ્યાર્થીઓની અનિશ્ચિતતા પણ વધતી જ રહે છે. એવા દિવસો બહુ ઓછા જાય છે, જ્યારે કોઈ ફતવા બહાર ન પડ્યા હોય. 42,000 કાયમી શિક્ષકોની ઘટનો આંકડો હવે વધે નહીં એવું એટલે લાગે છે કે 24,700 શિક્ષકોની ભરતીના સમાચાર સરકારે આપ્યા છે. આ સમાચારથી એમ લાગ્યું છે કે મોડે મોડે પણ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરવાને મામલે ગંભીર થઈ છે, પણ 9 જુલાઇના છાપાંએ વધામણી ખાધી કે કોમ્પ્યુટર, વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની ભરતી કરવા અંગે ગાંધીનગરનાં જૂના સચિવાલય પાસે ઉમેદવારો ભેગા થયા તો પોલીસે દરમિયાનગીરી કરીને તેમને વિખેરવા પડ્યા. આ આંદોલનકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે કાયમી શિક્ષકોની ભરતીનું જે કેલેન્ડર જાહેર કર્યું એમાં અન્ય વિષયના શિક્ષકોની ભરતીની વાત છે, પણ કોમ્પ્યુટર, વ્યાયામ કે ચિત્ર શિક્ષકોની ભરતીની વાત નથી. સરકારે વર્ષોથી કોમ્પ્યુટર શિક્ષણની જાહેરાત કરી છે, ડિજિટલ ઇન્ડિયાનો ઢંઢેરો પણ પીટ્યો છે ને વર્ષોથી કોમ્પ્યુટર લેબમાં શિક્ષકો વગર જ એ વિષય ભણાવાય છે, તેની પરીક્ષાઓ લેવાય છે ને વિદ્યાર્થીઓ પાસ પણ થાય છે, પણ હકીકત એ છે કે બાર વર્ષથી કેટલી ય સ્કૂલોમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે કે તેનો ઉપયોગ બીજા જ કરે છે.

એવું જ વ્યાયામનું છે. એક ઉમેદવારના જણાવ્યા મુજબ વ્યાયામની સૌથી વધુ જરૂર પ્રાથમિકના બાળકોને હોય છે, પણ છેલ્લાં 17 વર્ષથી પ્રાથમિકમાંથી વ્યાયામનો વિષય જ કાઢી નાખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વ્યાયામ શિક્ષકોની પરીક્ષાઓ લેવાય છે, પણ વ્યાયામ શિક્ષકોની ભરતી થતી નથી. એ જ રીતે ચિત્ર શિક્ષકોની ભરતી પંદર વર્ષથી અટકી છે. રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા વર્ષોથી રજૂઆત થાય છે, પણ ભરતીનું ઠેકાણું પડતું નથી. એ જ હાલત સંગીત શિક્ષકોની ભરતીની પણ છે. જે વિષયોમાંથી સર્જનાત્મકતા વિકસે એવા વિષયો હાંસિયામાં ધકેલી દેવાય ને જે તે વિષયની ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરી હોય એવા ઉમેદવારોની વર્ષોથી ભરતી જ ન થાય એ શરમજનક છે. જો કે, સરકારને એનો કોઈ હરખશોક નથી. એ તો એની રીતે જ વર્તે છે. જતે દિવસે શિક્ષકો વગર જ સ્કૂલો ચાલે ને બધા એકલવ્યો જ પાકે એ દિશામાં સરકાર પ્રવૃત્ત છે. ભણતર વગર પણ મંત્રી થઈ શકતા હોય તો ભણીને કે ભણાવીને શું કરવું છે એવું કદાચ સરકારના મનમાં હોય તો ખબર નથી. ભણીને સામે શિંગડાં કરતાં થાય એનાં કરતાં અભણ રહે તો છાનાં તો રહે ! એ અત્યંત દુ:ખદ છે કે સરકાર જ શિક્ષણની અંતિમવિધિ કરવા મથી રહી છે.

સરકારે સૌથી વધુ દાટ વાળ્યો હોય તો પ્રાથમિક શિક્ષણનો, તે એટલે કે સરકારને શિક્ષણ કર જોઈએ છે, પણ શિક્ષણનો ભાર જોઈતો નથી. કદાચ ભાર વગરનાં શિક્ષણમાં માને છે એટલે હશે ! સરકારે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ચાલુ કરી છે. એમાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ જો સ્કૂલ ઓફ એક્સલન્સમાં એડમિશન મેળવે તો તેને 6થી 10 ધોરણ સુધી દર વર્ષે 20,000 રૂપિયાની સ્કોલરશિપ મળે. એટલે કે પ્રાથમિકમાં ભણતો હોય તે વિદ્યાર્થી જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં આવે તો તેણે સરકારે જે ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એકસેલેન્સ જાહેર કરી છે, તેમાં એડમિશન લેવું પડે. બીજા શબ્દોમાં તેણે પ્રાથમિક શાળા છોડવી પડે, ન છોડે ને પ્રાથમિકમાં જ રહે ને મેરિટમાં આવ્યો હોય તો તેને 20,000ને બદલે 5,000ની જ સ્કોલરશિપ મળે.

સ્કોલરશિપની આખી યોજના જ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવા ને પ્રાથમિકને અવગણવા થઈ હોય એવું નથી લાગતું? એવું ન હોત તો સ્કોલરશિપમાં ભેદ રખાયો ન હોત. જો પરીક્ષામાં ભેદ નથી, મેરિટમાં કોઈ કન્સેશન નથી, તો સ્કોલરશિપમાં આટલો મોટો તફાવત કેમ? તે એટલે કે 20.000 મેળવવા પ્રાથમિક સ્કૂલ છોડવા વિદ્યાર્થી લાચાર બને? આ બરાબર છે? સ્કૂલની ફી ને બીજા ખર્ચ વાલી ન કરી શકે તો વધારે સ્કોલરશિપ મેળવવા વિદ્યાર્થીએ ન પરવડતું હોય તો પણ ખાનગીમાં પ્રવેશ લેવાનો? ગાંધીનગરના એક અધિકારીનું કહેવું છે કે ખાનગીમાં ન જવું હોય તો કોઈ દબાણ નથી. કબૂલ, પણ ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ તો ઘટવી ન જોઈએને ! એક જ પરીક્ષાની સ્કોલરશિપ ખાનગીમાં 20,000 ને સરકારીમાં 5,000, એવું તો ન હોયને? ખાનગીનો એક વિદ્યાર્થી મેરિટમાં આવે ને બીજો પણ મેરિટમાં એનાથી આગળ હોય, પણ તે ખાનગીમાં ન જાય તો સ્કોલરશિપ સીધી પંદર હજાર ઘટી જાય ને તે 6, 7 અને 8માં ઘટેલા ભાવે જ મળે, એ કેવું? પ્રાઈમરીનો એ જ વિદ્યાર્થી  હાઇસ્કૂલમાં ધોરણ 9-10માં ભણે તો ભાવ એ જ ચાલુ રહેતાં બીજા બે વર્ષ તેણે 30,000ની ખોટ ખાવાની? આમ 6 થી 10 સુધીમાં તેણે વધુ યોગ્યતા છતાં, માત્ર પ્રાથમિકમાં હોવાને કારણે 75,000ની ખોટ ખાવાની? આ અન્યાયકર્તા છે. એક ગરીબ વિદ્યાર્થીને તેના કોઈ વાંક વગર આટલી ખોટમાં નાખવામાં માણસાઈ છે? અહીં પ્રશ્ન એ થાય કે સરકારને ખાનગીની આટલી તરફેણ કરવાનું કારણ શું છે? કારણ એક જ, ખાનગીને ઉત્તેજન આપવું ને સરકારી સ્કૂલોનો મોહ ઘટાડવો. આમ થાય તો જતે દિવસે બધાં જ ખાનગી તરફ વળે ને સરકારી સ્કૂલો બંધ થતાં તેનો બોજ સરકારને માથેથી જાય. કોઈ નફાખોર વેપારી પણ ન વિચારે એવી યુક્તિ સ્કોલરશિપ કે ગ્રેડ સિસ્ટમને નામે શિક્ષણ વિભાગ વિચારે છે. આ કોઈ કાવાદાવાથી જરા ય ઓછું નથી.

પ્રાથમિકમાં આમે ય શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ ખાનગી સ્કૂલોમાં યોગ્યતા વિનાના શિક્ષકો ભણાવે છે, ત્યારે ખાનગી સ્કૂલો ફી કલેક્શન સેન્ટરથી વિશેષ નથી જણાતી. એકલા અમદાવાદમાં જ 105 સ્કૂલો એવી છે, જેમાં 348 શિક્ષકો લાયકાત વગરના છે. એવું જ અન્ય શહેરોમાં ય હશે. ખાનગીમાં લાયકાત વગરના શિક્ષકો છે ને લાયકાતવાળા નોકરી વગર અટવાય છે, ત્યારે પ્રશ્ન થાય કે લાયકાત વગર જ બધે ચલાવવાનું છે? જો લાયકાત વગર જ ચલાવવાનું હોય તો નીટ-નેટ, ટેટ-ટાટ અને બીજી બધી પરીક્ષાઓ લેવાનો અર્થ છે? તે એટલે લેવાય છે કે એમાં પાસ થનારને નોકરી અપાઈ ન જાય ને એ આખો લૉટ નોકરી વગરનો જ રહે? બધો સર્વનાશ શિક્ષણમાં જ કેમ? નીટની પરીક્ષા સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમે પણ કબૂલ્યું છે કે પેપર ફૂટ્યું છે. એક તરફ પરીક્ષાઓ લેવાયે જ જાય છે ને બીજી તરફ ચોરી કરાવવાના, પેપર ફોડવાના લાખો રૂપિયા પડાવાય છે. પરીક્ષાઓ દ્વારા ફી ઉઘરાવવાનો આશય તો પૂરો થાય છે, પણ તેની વિશ્વસનીયતા અંગે કોઈ ખાતરી ક્યાંયથી મળતી નથી. એમાં જે સિન્સિયર છે ને આત્મબળે પ્રમાણિકતાથી કૈં કરવા માંગે છે તેનો મરો થાય છે ને અપ્રમાણિક અમીરો કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે.

રાજસ્થાનના એક વિધાયકે વિધાનસભામાં આક્રોશ સાથે બળાપો કાઢતા કહ્યું કે બિલ પાસ કરવાથી કૈં થવાનું નથી. પરીક્ષાનાં પેપરો ફોડવામાં કોચિંગ ક્લાસવાળાઓનો હાથ છે. એ લોકો ક્લાસમાં વધુ વિદ્યાર્થીઓ આવે એટલે પૈસા વેરીને પેપરો ફોડે છે ને એ પછી કલાસમાં વેચી-વહેંચીને 100 ટકા રિઝલ્ટ આવ્યાની જાહેરાતો છપાવે છે. એને લીધે વિદ્યાર્થીઓ મોંઘી ફી ભરીને કોચિંગ ક્લાસમાં જોડાય છે. આવું જ જાહેર પરીક્ષાઓના કોચિંગ કલાસોમાં પણ થાય છે ને એમ એ બધાનો ધંધો પૂર જોશમાં ચાલે છે. એ જ વિધાયકે આગળ એમ પણ કહ્યું કે સરકારી નોકરીઓ અમીરોને આપી દેવાઈ છે. આની તપાસ કરવામાં આવે તો અડધી નોકરીઓ ખોટી અપાઈ હોવાનું બહાર આવે એમ છે. આ સ્થિતિ રાજસ્થાનની જ છે એવું નથી. ગુજરાત પણ એમાં ક્યાં ય પાછળ નથી. ગોધરામાં નીટની પરીક્ષામાં પૈસા લઈને પાસ કરાવવાનું કૌભાંડ હજી ઉકલ્યું નથી. ગુજરાતમાં પણ કોચિંગ ક્લાસીસની તળિયા ઝાટક તપાસ થાય તો તેનાં ઊંચા પરિણામો કેવી રીતે આવે છે એનો પર્દાફાશ થાય એમ છે.

એક સમય હતો જ્યારે ખાનગી ટ્યૂશન હીણું ગણાતું. હવે એ જ ઉત્તમ ગણાય-ગણાવાય છે. સ્કૂલો ફી ભરવા માટે ને કોચિંગ ક્લાસીસ ભણવા માટે છે. સ્કૂલમાં શિક્ષક હોય કે નયે હોય, કોચિંગ ક્લાસમાં ભણાવનાર કોઈ તો છે ! આવી સ્થિતિ હોય ત્યાં કોચિંગ ક્લાસીસનો મહિમા વધે એમાં નવાઈ નથી. સુરતમાં જ બોગસ સ્ટડી સેન્ટરો ચાલે છે, જે વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પરીક્ષા આપવા લઈ જાય છે ને એનો કારોબાર નકલી ડિગ્રી સર્ટિફિકેટ આપવા સુધી વિસ્તરેલો છે. એક સાદું સીધું શિક્ષણ મેળવવાનું કેટલું ગૂંચવાડાવાળું ને પ્રદૂષિત થઈ ગયું છે તે આના પરથી સમજાય એવું છે. શિક્ષણ જેવી પવિત્ર બાબત માટે ચોમેર લુચ્ચાઈ, બદમાશી ને હરામખોરીનો જ મહિમા થઈ રહ્યો છે ને એમાં સરકાર પણ પાછળ નથી, ત્યારે ગરીબ ને હોંશિયાર વિદ્યાર્થી માટે સ્વબળે આગળ વધવાની ખાસ જગ્યા જ બચી નથી એ કેવી મોટી કરુણતા છે …

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (5)

દીપક મહેતા|Opinion - Opinion|11 July 2024

૫

ફાર્બસના અમદાવાદ સાથેના સંબંધનો પહેલો તબક્કો ૧૮૫૦માં પૂરો થયો. એ વર્ષના માર્ચમાં તેમને મુંબઈ હાજર થવા સરકારે જણાવ્યું. દલપતરામ અને તેમનું કુટુંબ પણ ‘સાહેબ’ સાથે મુંબઈ ગયા. બધાએ પહેલાં અમદાવાદથી ખંભાત સુધીનો પ્રવાસ બળદ ગાડામાં કર્યો, અને પછી ખંભાતથી મુંબઈની મુસાફરી વહાણમાં કરી. અમદાવાદથી મુંબઈ પહોચતાં તેમને છ દિવસ લાગ્યા. પણ ત્યાર બાદ થોડા જ વખતમાં ફાર્બસની બદલી સુરત કરવામાં આવી. ૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે તેમણે સુરતના અસિસ્ટન્ટ જજ અને સેશન્સ જજ તરીકેની જવાબદારી સંભાળી લીધી. અમદાવાદમાં જેવાં કામો કર્યાં હતાં તેવાં જ સુરતમાં પણ કરવાનો ફાર્બસે પ્રયત્ન કર્યો. તેમણે ‘સુરત અષ્ટાવિંશતિ સોસાયટી’ની સ્થાપના કરી અને તેના પહેલા સેક્રેટરી બન્યા. બેજનજી પાલનજી કોટવાળ અને દુર્ગારામ મંછારામની મદદથી ફાર્બસે સુરતનું પહેલું અખબાર ‘સુરત સમાચાર’ શરૂ કર્યું. ‘પારસીપ્રકાશ’(ખંડ ૧, ભાગ ૬, ૧૮૮૧, પા. ૫૩૯)માં જણાવ્યા પ્રમાણે તેનો પહેલો અંક ૧૮૫૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે પ્રગટ થયો હતો. તે અઠવાડિયામાં બે વખત પ્રગટ થતું. મુકુન્દરાય મણિરાય તેના પહેલા તંત્રી હતા. પણ કેટલાક લોકો આવી ‘અંગ્રેજી વસ્તુઓ’ના વિરોધી હતા. કોઈક બહાના હેઠળ તેમણે મુકુન્દરાયને કોર્ટમાં ઘસડ્યા. તેમના પર બનાવટી સહી કરવા અંગેનો અને બદનક્ષીનો દાવો માંડ્યો. એ વખતે ફાર્બસે મુકુન્દરાયને પૂરેપૂરો ટેકો આપ્યો, અને છેવટે તેઓ નિર્દોષ છૂટ્યા. પાછળથી આ બનાવ અંગે લખતાં મુકુન્દરાયે કહ્યું કે ફાર્બસનો પૂરેપૂરો ટેકો હતો એટલે જ હું આ આકરી કસોટીમાંથી પાર પડી શક્યો. જો  કે, તે પછી, આ અખબાર ઝાઝું જીવ્યું નહિ.

૧૮૫૦ના જુલાઈની પહેલી તારીખે સુરતની પહેલવહેલી લાયબ્રેરી એન્ડ્રુઝ લાયબ્રેરીની સ્થાપના થઇ. સુરતના એક ન્યાયાધીશનું નામ તેને આપવામાં આવ્યું હતું. સુરતની આ પહેલવહેલી લાયબ્રેરીને બેજનજી પાલનજી કોટવાળે ૬૦૦ જેટલાં પુસ્તકો ભેટ આપ્યાં હતાં. સંસ્થાના પહેલા પ્રમુખ ફાર્બસ બન્યા હતા. (માહિતી ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ કૃત ‘સૂરત સોનાની મૂરત, પા. ૧૯૪ને આધારે.)

સુરતમાં ફાર્બસને માથે એક કપરી કામગીરી આવી પડી. સરકારે ટાઉન્સ ઈમ્પ્રુવમેન્ટ એક્ટ (૧૮૫૦નો ૨૬મો કાયદો) લાગુ કરવાનું નક્કી કર્યું. આ કાયદા હેઠળ શહેર સુધરાઈને ઓકટ્રોય કર ઉઘરાવવાની સત્તા મળતી હતી. પણ આથી સુરતના લોકોના મનમાં ધ્રાસકો પડ્યો કે આ તો અગાઉની રાજાશાહીમાં જેમ મન ફાવે તેમ કરવેરા ઉઘરાવતા હતા તેમ હવે કંપની સરકાર પણ કરશે. લોકોના મનમાં ધૂંધવાતો અગ્નિ ક્યારે જ્વાળા બની સળગી ઊઠે એ કહેવાય તેમ નહોતું. લોકોને સમજાવીને તેમનો વિરોધ ભભૂકી ન ઊઠે તે જોવાની જવાબદારી ૧૮૫૧માં સરકારે ફાર્બસને સોંપી. તેમણે ચોરે ને ચૌટે લોકોની નાની નાની સભાઓ (આજની સ્ટ્રીટ કોર્નર મિટિંગ) ભરવાનું શરૂ કર્યું. દલપતરામ અને દુર્ગારામ મહેતાજીને તેઓ સાથે રાખતા અને તેઓ લોકોને આ નવા કાયદાના ફાયદા સમજાવતા. કેટલીક વાર આવી સભાઓમાં વિરોધીઓ સાથે તડાફડી પણ થતી. એવે વખતે ફાર્બસ શાંતિથી તેમની સાથે વાત કરતા, તેમના વાંધા-વચકાઓના ખુલાસા આપતા. છેવટે તેઓ સુરતના લોકોને ગળે સરકારની વાત ઉતરાવી શક્યા, અને કશા વિરોધ વગર સરકાર એ કાયદાનો અમલ કરી શકી. પરિણામે ૧૮૫૨ના એપ્રિલની ૨૩મી તારીખથી સુરતમાં મ્યુનિસિપાલિટી અસ્તિત્વમાં આવી. આ આખી વાતમાં ફાર્બસે જે ભાગ ભજવ્યો તે માટે સરકારે તેમનો ખાસ આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૫૧ના જુલાઈની ત્રીજી તારીખે લખાયેલા ૨૨૭૧ ક્રમાંક ધરાવતા પત્રમાં સરકારે લખ્યું હતું : “આ નાજુક કામ તમે જે કૂનેહ અને વિવેક પૂર્વક પાર પાડ્યું છે તે માટે સરકાર વતી તમારો આભાર માનવાનું મને જણાવવામાં આવ્યું છે.”૭

જો કે આ પત્ર લખાયો તે પહેલાં જ ફાર્બસની બદલી સુરતથી અમદાવાદના ફર્સ્ટ અસિસ્ટન્ટ કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે થઇ ચૂકી હતી. ત્યાર બાદ જુલાઈમાં તેમને ધોળકા અને વિરમગામ જિલ્લાનો વહીવટ સોંપવામાં આવ્યો. ૧૮૫૨ના ઓગસ્ટમાં તેમને મહીકાંઠા એજન્સીના પોલિટિકલ એજન્ટ બનાવવામાં આવ્યા. તેમાં ૧૨ દેશી રાજ્યોનો સમાવેશ થતો હતો. તેમાં સૌથી મોટું ઇડરનું રાજ્ય હતું. એજન્સીના પ્રદેશનો અડધા કરતાં વધુ હિસ્સો આ રાજ્યના તાબા હેઠળ હતો. તાલુકદારોના છોકરાઓને ભણાવવા માટે ફાર્બસે સાદરામાં એક સ્કૂલ શરૂ કરી. આ સ્કૂલ અને તેની બાજુમાં આવેલ બજાર, બંને ફાર્બસ સ્કૂલ અને ફાર્બસ બજાર તરીકે ઓળખાતાં હતાં.

૧૮૪૬માં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારથી દલપતરામની મદદથી તેમણે ગુજરાતનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય, વગેરેને લગતી હસ્તપ્રતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. જો શક્ય હોય તો તેઓ હસ્તપ્રત ખરીદી લેતા, અને નહિતર લહિયા પાસે તેની નકલ કરાવી લેતા. આ કામ માટે તેઓ અવારનવાર મુસાફરીઓ પણ કરતા. ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત મેળવવા માટે તેમણે પાટણ જઈને જૈન દેરાસરોની મુલાકાત લીધી. કોઈ પણ ધાર્મિક સ્થળમાં પ્રવેશ કરતી વખતે ફાર્બસ પોતાના જોડા બહાર ઉતારતા. તેમને બેસવા માટે ખુરસી આપવામાં આવે તો પણ તેઓ શેતરંજી પર ઘૂંટણ વાળીને બેસતા. જૈન ધર્મ અને ૨૪ તીર્થંકરો અંગેની ફાર્બસની જાણકારીથી દેરાસરના આચાર્ય પ્રસન્ન થયા. તેમણે ‘દ્વયાશ્રય’ની હસ્તપ્રત ફાર્બસને જોવા તો આપી, પણ તેની નકલ કરાવવા માટે ફાર્બસને તે પ્રત ઉછીની આપવા તૈયાર ન થયા. ત્યારે ફાર્બસે કહ્યું કે આપ મને તેની નકલ કરાવી મોકલી આપો. નકલ કરવા માટે લહિયાને સાધારણ રીતે ૧૦૦ શ્લોકના બે રૂપિયાના દરે મહેનતાણું ચૂકવાતું. તેને બદલે ફાર્બસ સામે ચાલીને અઢી રૂપિયા આપવા તૈયાર થયા.

એક વાર ફાર્બસ વલ્લભીપુર ગયા હતા ત્યારે તેમણે ગરબા જોવાની ઈચ્છા બતાવી. તે માટે પત્ની સાથે તેઓ રાત્રે કોળીવાડામાં ગયા. થોડા ગરબા જોયા પછી ફાર્બસે કહ્યું કે હવે મારે મલ્હારરાવનો ગરબો જોવો છે. પણ તેમાં અંગ્રેજ અફસરોની મશ્કરી કરવામાં આવી હતી અને અંગ્રેજ સરકારની ટીકા કરવામાં આવી હતી. આથી કોળી સ્ત્રીઓ એ ગરબો ગાતાં અચકાતી હતી. પણ દલપતરામની મદદથી ફાર્બસે સ્ત્રીઓને એ ગરબો ગાવા સમજાવી. તો ઇડરની મુલાકાત દરમ્યાન ફાર્બસે આસપાસના ગામોમાંથી ભાટ-ચારણોને બોલાવ્યા. દિવસ દરમ્યાન સરકારી કામ કરતા અને ફૂરસદને વખતે એક-એકને બોલાવી તેમની પાસેથી કવિત સાંભળતા. વિદાય વખતે દરેકને રિવાજ પ્રમાણે કંઈ ને કંઈ શરપાવ આપતા.

૧૮૫૩મા એક્ટિંગ જજ અને સેશન્સ જજ તરીકે ફાર્બસ ફરી અમદાવાદ આવ્યા. કોઈ પણ કેસમાં ચુકાદો આપતી વખતે કાયદાની સાથે સાથે તેઓ સ્થાનિક રીતરિવાજનો પણ ખ્યાલ રાખતા. ‘દેશી’ઓની ખૂબીઓ અને ખામીઓથી પણ ફાર્બસ સારી પેઠે વાકેફ હતા. ફાર્બસે કેટલાક ચુકાદાઓ કેવી કૂનેહપૂર્વક આપ્યા હતા તેની વાત દલપતરામે પોતાની લેખમાળામાં કરી છે. ફાર્બસ ૧૮૫૩માં ફરી અમદાવાદ આવ્યા પછી થોડા જ વખતમાં સરકારે રખડતા કૂતરાઓને મારી નાખવા અંગેનો હુકમ જાહેર કર્યો. કેટલાક વધુ પડતા ઉત્સાહી પોલીસોએ હિન્દુઓનાં ઘરોની બહાર જ તલવારથી કૂતરાઓને મારી નાખ્યા. જોતજોતામાં આખા શહેરમાં વાત પ્રસરી ગઈ અને જાતજાતની અફવાઓ ફેલાઈ. નગરશેઠ હિમાભાઈએ દલપતરામને કહ્યું કે તમે જઈને સાહેબને સમજાવો. દલપતરામની વાત સાંભળ્યા પછી ફાર્બસે કહ્યું કે હિંદુ વેપારીઓને કૂતરા મરે એનું દુ:ખ થાય છે, પણ એ જ કૂતરા કરડવાથી જે બાળકો મરી જાય છે તેમના માટે દુ:ખ થતું નથી. પછી તેમણે કહ્યું કે હિંદુઓ જો ખરેખર કૂતરાઓને બચાવવા માગતા હોય તો દરેક હિન્દુએ એક-એક કૂતરાને પાળવાની જવાબદારી લેવી જોઈએ. તેમણે કૂતરાને સાંકળ પહેરાવવી જોઈએ અને તેને છુટ્ટા રખડવા દેવા ન જોઈએ. શહેરમાં રખડતાં કૂતરાંની સંખ્યા કરતાં તેમાં વસતા હિન્દુઓની સંખ્યા વધુ મોટી છે. એટલે જો દરેક હિંદુ એક એક કૂતરો પાળે તો શહેરમાં એક પણ રખડતો કૂતરો જોવા મળશે નહિ. અને તો પછી રખડતા કૂતરાઓને મારી નાખવાનો પ્રશ્ન જ રહેશે નહિ. દલપતરામે જ્યારે ફાર્બસની વાત હિમાભાઈને અને બીજા વેપારીઓને જણાવી ત્યારે તેમણે કહ્યું કે આમ કરવું તો અમારે માટે શક્ય નથી. અમે તો માત્ર પૈસા આપી શકીએ. એટલે શહેરની પાંજરાપોળને તેમણે લોઢાની બે હજાર સાંકળો ભેટ આપી. જે લોકો કૂતરા પાળવા માગતા હોય તેમને એ મફત આપવામાં આવશે એવી જાહેરાત કરી. બે કલાકમાં તો બધી સાંકળ ઉપડી ગઈ. કારણ જાહેરાત થતાં વેંત જ આસપાસમાં રહેતાં કુટુંબોમાંથી એક કરતાં વધુ સભ્યો આવીને સાંકળ લઇ ગયા. એટલે ઘણા લોકોને તો ખાલી હાથે પાછા જવું પડ્યું. પણ પછી દલપતરામ ઉમેરે છે : પણ તે પછી ભાગ્યે જ કોઈ ઘરમાં પાળેલો કૂતરો જોવા મળ્યો હતો. ઘણાખરા લોકોએ એ સાંકળ ભંગારમાં વેચીને થોડા પૈસા ઊભા કરી લીધા હતા. 

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...669670671672...680690700...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved