Opinion Magazine
Number of visits: 9665172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઝલ

સિદ્દીક ભરૂચી|Opinion - Opinion, Poetry|16 June 2024

જિંદગીથી અતિ મહોબ્બત છે,

આદમીને સદા જરૂરત છે.

લોક તૂટી ગયા છે “મત” આપી,

સૌ મદારીને ખાસ રાહત છે.

મારા હિસ્સાનો એ ગળે તડકો,

આ એપાર્ટમેન્ટની કેવી આદત છે!

કંટકો કેમ આવે મારગમાં !

એક વાતે તો બન્ને સંમત છે.

તમને મળશે જરૂર એ મંઝિલ,

જેની પાછળ તમારી મહેનત છે.

“સ્મિત” તો જાહેરાત આંખોની,

દિલનો આજે સ્વભાવ કરવત છે.

ભરૂચ
e.mail : siddiq948212@gmail.com

Loading

દક્ષિણ ભારતનું રાજકારણ અને દિલ્હી સરકારઃ કિતને દૂર, કિતને પાસ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 June 2024

દક્ષિણ ભારતીય રાજ્યોમાં ધન વૈભવ, વિકાસ અને સારા વહીવટ છતાં ત્યાંના પ્રાદેશિક પક્ષોનો અભિગમ રાષ્ટ્રીય સ્તરે તેમને ધાર્યું મહત્ત્વ નથી અપાવી શકતો.

ચિરંતના ભટ્ટ

ચૂંટણીનાં પરિણામો આવી ગયાં, એક્ઝિટ પોલની ઐસીતૈસી પણ થઇ ગઇ અને જ્યાં જે અને જેને ગોઠવવાનાં હતાં એ બધું લગભગ લગભગ પાર પડ્યું છે. શપથ વિધિમાં દિપડો છે કે બિલાડી કે પછી કૂતરો એવી બધી ખબર પણ વાઇરલ થઇ અને બધું અંતે પત્યું. પણ અઢારમી લોકસભા ચૂંટણીમાં એવું ઘણું બધું થયું જે બહુ દેખીતા પરિવર્તનની શરૂઆત કહી શકાય. અહીં ભા.જ.પા.ના બહુમતની વાત નથી કે એ વાત પણ નથી કે અયોધ્યા અને રામ મંદિર વાળું પત્તું ધાર્યું પાર કેમ ન પડ્યું. અહીં આપણે આજે ફરી એકવાર દક્ષિણ ભારતનાં રાજકારણની વાત કરવાની છે. માળું દક્ષિણ ભારતનું રાજકારણ કોઇ એવા કોયડા જેવું છે જેના સાવ પ્રાથમિક લેવલ સુધી જવું પણ અઘરું છે. વળી દિલ્હીની બેઠક પર કોઇપણ બેઠું હોય, ત્યાંનું રાજકારણ દક્ષિણનાં રાજકારણમાં પોતાનો પગદંડો જમાવવામાં હંમેશાં પાછળ જ રહે છે. વળી દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં રાજકારણમાં બહુ ફેર છે એવી ચર્ચાઓ એક કરતાં વધુ વાર થઇ ચૂકી છે. તો આ વાતને નકારતા વિધાનો પણ આવ્યા છે જેમાં એમ દાવો કરાયો છે કે દક્ષિણ અને ઉત્તર ભારતનાં રાજકારણમાં કોઇ ફેર નથી. આખરે દક્ષિણનાં રાજકારણની એવી કઇ બાબતો છે જે ઉકેલવી કે સમજવી અઘરી છે?

ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં ઘુસવું બહુ જ અઘરું રહ્યું છે. લાંબા સમય સુધી દક્ષિણ ભારતે ભા.જ.પા.ને ઉત્તર ભારતીય પક્ષ તરીકે જ જોયો અને અથાક પ્રયત્નો પછી પણ કર્ણાટક સિવાય બીજે ક્યાં ય ભા.જ.પા.ને ધુસવા ન મળ્યું. 2019માં પણ દક્ષિણી રાજ્યોએ જ્યારે મોદી પ્રવાહમાં વહેવાનું ટાળ્યું ત્યારે ભા.જ.પા.ને તેની ગંભીરતા વધુ સારી રીતે સમજાઇ. આંધ્રને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળ્યાનો વાંધો તો હતો જ પણ તેની સામે કાઁગ્રેસે જગન મોહન રેડ્ડીના નેતૃત્વમાં એવી ગોઠવણ કરી કે બીજા કોઇ પક્ષ માટે કોઇ સંભાવનાઓ જ નહોતી. તમિલનાડુના દ્વવિડ પક્ષો સામે ભા.જ.પા.નું હિંદુત્વ ન ચાલ્યું અને સબરીમાલાના મુદ્દે કાઁગ્રેસને લાભ મળ્યો. જો કે 2024ની ચૂંટણીનાં પરિણામોમાં અમુક પરિવર્તનો નજરે ચઢ્યા.

પણ આ વખતે કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભા.જ.પા.નું પ્રદર્શન સારુ રહ્યું. યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટનો ગઢ કહેવાતા કેરળમાં પણ ભા.જ.પે. એક બેઠક જીતીને પંદર વર્ષથી જ્યાં જરા ય જગ્યા નહોતી મળતી એવા ગઢમાં કાંગરો તો ખેરવ્યો. જો તામિલનાડુએ ભા.જ.પા.ને બરાબરનો પડકાર આવ્યો. જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હોવા છતાં તામિલનાડુએ ભા.જ.પા. સામે જરા ઢીલું ન મુક્યું.

દક્ષિણી રાજ્યોમાં શિક્ષણ, વહીવટ, ભ્રષ્ટાચાર, સામાજિક શાંતિ અને સ્થિરતા અન્ય રાજ્યો, ખાસ કરીને ઉત્તર ભારત કરતાં બહેતર રહ્યા છે. દક્ષિણ અને ઉત્તરના બે મુખ્ય રાજ્યોની વાત કરીએ તો સાંઇઠના દાયકાથી તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ વચ્ચે આવકને મામલે ખાસ્સો ફેર રહ્યો છે અને આજ તફાવત દક્ષિણ અને ઉત્તરમાં પૂર્ણપણે પણ નોંધાયો છે.  દક્ષિણ ભારતીયો પોતાની ભાષાથી અલગ થવાનું પસંદ નથી કરતા એ એક ઉપરછલ્લું અવલોકન છે પણ તેનો ઊંડો અર્થ એ પણ થાય કે મૂળિયાં સાથે જોડાયેલા રહીને પણ વિકાસ, પરિવર્તન અને નવું કરવાની દિશામાં દક્ષિણ ભારતીય રાજ્યોએ પાછું વળીને નથી જોયું. આમ તો પિતૃસત્તાક માનસિકતા દક્ષિણમાં પ્રબળ છે છતાં પણ મહિલાઓમાં શિક્ષણ અને કારકિર્દીને મામલે દક્ષિણ ભારત ઉત્તર ભારત કરતાં વધુ ચઢિયાતું છે. સામાજિક પરિવર્તન હોય કે જ્ઞાતિવાદના પડકાર હોય એ બધાંની નાની-મોટી લડત સાથે દક્ષિણ ભારતનું યોગદાન હંમેશાં નોંધપાત્ર રહ્યું છે. વળી ઉત્તર ભારતીય રાજ્યોમાંથી કામ-ધંધા માટે જેમ લોકો મુંબઈ કે સુરત સ્થળાંતર કરતા હોવાનું નોંધાયું છે તે જ રીતે દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ સ્થળાંતર થયું છે. રાષ્ટ્રીય અર્થતંત્ર અને ટેક્સ રેવન્યુને મામલે દક્ષિણ ભારતનો ફાળો સારો એવો અને નિયમિત છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં આટલી સ્થિરતા, આર્થિક વિકાસ હોવા છતાં ય દક્ષિણ ભારતનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે એટલું પ્રભાવી નથી રહ્યું જેટલું હોવું જોઇએ. ભારતને સ્વતંત્રતા મળી એ પછીનાં વર્ષોમાં કે કામરાજ, સી.એન. અન્નાદુરાઇ, એમ.જી. રામચંદ્રન્‌, એન.ટી. રામા રાઓ અને આધુનિક સમયમાં કે કરુણાનિધિ, જે. જયલલિતા, પી. ચિંદમ્બરમ્‌, એચ.ડી. દેવગૌડા, એસ.એમ. કૃષ્ણા, વાય.એસ. જગમોહન રેડ્ડી, એન. ચંદ્રબાબુ નાયડુ, કે. ચંદ્રશેખર રાઓ જેવા નેતાઓએ પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકારણમાં કાઠું કાઢ્યું. છતાં પણ દક્ષિણ ભારત જાણે ખૂણો પાળીને પોતાના રાજકીય, સામાજિક અને આર્થિક વહીવટને બાકીનાં રાજકારણથી, ખાસ કરીને રાષ્ટ્રીય રાજકારણથી બચાવીને રાખવા માગતું હોય અથવા માગતું હતું એવું ચોક્કસ લાગે.

દક્ષિણ અને ઉત્તર ભારતનો ભેદ ઐતિહાસિક છે. દક્ષિણમાં દ્રવિડો તેમની ભાષા અને સંસ્કૃતિ રહ્યાં છે અને ઉત્તરમાં ઇન્ડો-યુરોપિયન ભાષા અને સંસ્કૃતિનો દબદબો રહ્યો છે. કમનસીબે એક વ્યક્તિ, એક વોટની ભારતીય રાજકીય ફિલસૂફીમાં સમૃદ્ધ દક્ષિણી રાજ્યોની રાજકીય સત્તા, ખાસ કરીને કેન્દ્રમાં ઓછી થઇ રહી છે. ઉત્તર ભારતમાં વસ્તી વધારે છે પણ આર્થિક શક્તિ પાંખી છે. દક્ષિણી રાજ્યોએ પહેલાં તો પોતાની પ્રાદેશિક ઓળખાણને કોટે વળગાડી રાખી પણ હવે આ રાજ્યોને એમ લાગે છે કે તેમનો વિકાસ અને શિક્ષણ સારા હોવા છતાં તેમને હાંસિયામાં ધકેલવામાં આવ્યા છે. જો કે આ બે ધારી તલવાર જેવું છે. પહેલાં ખૂણો પાળવો અ પછી કોઇ જોઇતું મહત્ત્વ ન આપે ત્યારે એમ કહેવું કે અમને કોઇ પૂછતું નથી એ પણ યોગ્ય તો નથી જ.

દક્ષિણમાં ભા.જ.પા.નું ઠીકઠાક પ્રદર્શન જે થયું તેમાંથી કોઇપણ રાષ્ટ્રીય પક્ષ ચાર બોધ લઇ શકે છે. સૌથી પહેલાં તો ઉત્તર ભારતીયો જે રીતે માને છે તેમ દક્ષિણ ભારત એક અલગ એકમ નથી. દરેક રાજ્યના પોતાના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિબળો છે જે મતદાન પર હંમેશાં પ્રભાવ પાડે છે અને તેને ગણતરીમાં લેવા અનિવાર્ય છે. આ કારણો મહત્ત્વનાં કારણ રહ્યાં જેને કારણે ભા.જ.પે. દક્ષિણના દરેક રાજ્યમાં વોટ શેર અને જીતના સંદર્ભે વિરોધાભાસી પ્રદર્શન કર્યું છે. વળી પ્રાદેશિક પક્ષો ભલેને ખોટું લાગાડીને બેઠેલી વહુ જેવો વેહવાર કરે પણ તેમની અવગણના કરવાનું કોઇપણ રાષ્ટ્રીય પક્ષને પોસાય એમ છે જ નહીં. TDP અને JS આ બન્ને પક્ષે આ વાત સિદ્ધ કરી છે. વળી જે નેરેટિવ આપવામાં ભા.જ.પા. નિષ્ણાત છે તે નેરેટિવથી કે રાજનૈતિક વિધાનો કરવાથી વોટ મળી જશે પણ એ વોટ બેઠકમાં ફેરવાશે એવી કોઇ ગેરંટી નથી હોતી. આ મામલો કેરળ અને તમિલનાડુએ ભા.જ.પ.ને બરાબર સમજાવી દીધો. એક સમયે દક્ષિણ ભારતમાં ફિલ્મસ્ટાર્સના ચેહરાઓથી ચૂંટણી જીતી શકાતી હતી એવું હવે નથી રહ્યું. આ બાબતના પુરાવા ભા.જ.પા.ને કેરળ અને આંધ્રમાં ફિલ્મસ્ટાર સાથે જોડાયા પછી મળ્યા. આ ચૂંટણી પરિણામો એ વાતની સાબિતી આપે છે કે  ભા.જ.પા. માટે દક્ષિણ ભારતમાં બારી તો ખૂલી છે પણ હજી દરવાજા નથી ખૂલ્યાં.

બાય ધી વેઃ 

આપણો દેશ સામાજિક ગોઠવણમાં બહુસ્તરીય છે અને માટે જ એક ભારતમાં અનેક ભારત વસે છે એ રીતે જ આપણે રાજકીય સંજોગો પણ નાણવા પડે. દરેક ભારતને પોતાનો હિસ્સો જોઇતો હોય તે સ્વાભાવિક છે પણ એને માટે જરૂર પડ્યે હાથ મિલાવવા પણ પડે. લાંબા સમય સુધી દક્ષિણી રાજ્યોએ એવો જ અભિગમ રાખ્યો કે તેમના રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વ નહીં મળે તો ચાલશે કારણ કે ઘર આંગણે તેમની પકડ સખત છે, પણ સમય બદલાયો છે અને તેમનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રીય રાજકારણમાં કેવી રીતે વધારવું એવો વિચાર દક્ષિણ ભારતીય રાજનેતાઓને રહી રહીને આવતો હોય તેવું લાગી રહ્યું છે.  પ્રાદેશિક પક્ષો પણ કેન્દ્રમાં પોતાની પકડ સાવ ઓછી થઇ જાય એવું તો ન જ ઇચ્છતા હોય. ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનું મહત્ત્વ કેન્દ્રમાં સંતુલિત રહે એ જે – તે શાસક પક્ષે પણ પોતાનું સિંહાસન ડોલતું અટકાવવા માટે ગણતરીમાં લેવી પડે એવી બાબત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 જૂન 2024

Loading

અત્યારે આખા જગતમાં સમુદ્રમંથન ચાલી રહ્યું છે અને તેના અંતે જાહેરજીવન, શાસનતંત્ર, લોકતંત્ર અને પત્રકારત્વ એમ ચારેય પરિષ્કૃત થશે. શરૂઆત થઈ ગઈ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 June 2024

રમેશ ઓઝા

આજે દરેકના મનમાં બે સવાલ છે. સામાન્ય નાગરિકો અને રાજકીય સમીક્ષકો સહિત દરેક આ બે સવાલ પૂછી રહ્યા છે. પહેલો સવાલ એ કે સ્પષ્ટ બહુમતી ગુમાવ્યા પછી શું નરેન્દ્ર મોદી મોરચાસરકાર ચલાવી શકશે? અને બીજો સવાલ એ કે હવે નવી સ્થિતિમાં ન્યાયતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, એકંદરે વહીવટીતંત્ર અને મીડિયા કરોડરજ્જુ બતાવી શકશે? બતાવશે? આ બે સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે.

પહેલો સવાલ પહેલાં હાથ ધરીએ. નરેન્દ્ર મોદીને ગુજરાતના વખતથી મિશ્ર સરકાર ચલાવવાનો અનુભવ નથી. તેમને એવી જરૂર ક્યારે ય નથી પડી. લોકસભાની વાત કરીએ તો ૨૦૧૪માં ભા.જ.પ.ને ૨૮૨ બેઠકો મળી હતી અને ૨૦૧૯માં ૩૦૩. તેમની કાર્યશૈલી એવી હતી જેમાં રાજનાથસિંહ અને નીતિન ગડકરી હાંસિયામાં હતા ત્યાં અન્ય પક્ષોના નેતાઓની શી વિસાત? કહેવા પૂરતી એ સરકાર નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની હતી, પણ વ્યવહારમાં એ એક વ્યક્તિની સરકાર હતી. ભારતીય જનતા પક્ષની પણ નહીં, માત્ર અને માત્ર એક વ્યક્તિની સરકાર. નરેન્દ્ર દામોદર મોદીની સરકાર. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દતમાં નરેન્દ્ર મોદીની હાજરી હજુ વધુ જોવા મળતી હતી અને તેમની તૈયારી એવી હતી કે ત્રીજી મુદ્દતમાં હજુ વધુ જોવા મળે. (તેમનો પોતાનો ચૂંટણીપ્રચાર અને ભા.જ.પ.નાં ચૂંટણીસાધનો; પોસ્ટર્સ, બેનર્સ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપનો, મેનીફેસ્ટો વગેરે પર નજર કરશો તો આની ખાતરી થશે.) ત્રીજી મુદ્દતમાં દરેકે દરેક હાજર હોવા છતાં ગેરહાજર જોવા મળે. નરેન્દ્ર મોદી અને કમળ સિવાય કોઈ ચીજ નજરે ન પડવી જોઈએ.

પણ સમયે પાટુ મારી અને વખત એવો આવ્યો છે કે જેને લાત મારી હતી તેમને ગળે મળવું પડે એમ છે. એક વખત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લોકસભામાં પાકિસ્તાન વિષે વાત કરતાં જાણીતા ઉર્દૂ શાયર બશીર બદ્રનો શેર ટાંક્યો હતો જે કહે છે :

દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઈશ રહે,

જબ કભી હમ દોસ્ત હો જાએં શર્મિંદા ન હોં.

વાજપેયીએ તો દેશના દુશ્મન ગણાતા પાકિસ્તાન સાથેના સંબંધોમાં પણ એક દિવસ શરમાવું ન પડે એટલી જગ્યા રાખવાની હિમાયત કરી હતી જ્યારે નરેન્દ્ર મોદીએ તો પોતાના સગા સાથીઓ અને પિત્રાઈ બંધુઓ સાથેના વહેવારમાં ફરી સંબંધ બાંધતા શરમાવું ન પડે એટલી જગ્યા પણ નહોતી રાખી. તો શું નરેન્દ્રભાઈ ઉચ્ચાસનેથી નીચે ઉતરી શકશે? બધાને સાથે રાખીને ચાલી શકશે? સાથીઓને સાંભળશે? પોતાની વાતનો સ્વીકાર ન થાય તો અસ્વીકાર સ્વીકારી શકશે? સામૂહિક નિર્ણયપ્રક્રિયા અપનાવી શકશે? કેમેરાની ફ્રેમમાં બીજાને આવવા દેશે?

આ બધા સવાલો સર્વત્ર પૂછાઈ રહ્યા છે અને તેનો ઉત્તર સમય જ આપી શકે. રાહ એટલા માટે જોવી પડે કે નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી નથી, નરેન્દ્ર મોદી છે. નેવાંનાં પાણી મોભે ચડાવવા જેવી કસોટી થવાની છે. રાહ એટલા માટે પણ જોવી જોઈએ કે મજબૂરી માણસને ઘણું બધું શીખવાડી દે છે અને માણસ શીખી લે છે.

બીજો સવાલ દેશ માટે અને દેશના લોકતંત્ર માટે વધારે મહત્ત્વનો છે. જે પોતાની પવિત્ર ફરજ ભૂલીને શરણે થઈ ગયા હતા એ પાછા ટટ્ટાર ઊભા રહેશે? પણ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તેઓ ડરી ગયા હતા કે વેચાઈ ગયા હતા? મારો અભિપ્રાય એવો છે (અને મને લાગે છે કે દરેકનો અભિપ્રાય એ જ હશે જે મારો છે) કે લગભગ ૯૦ ટકા લોકો વેચાઈ ગયા હતા. જે નથી ડર્યા એ નથી જ ડર્યા. ન્યાયતંત્રને, ચૂંટણીપંચ જેવી અન્ય બંધારણીય સંસ્થાઓને અને અભિવ્યક્તિના ક્ષેત્રમાં કામ કરતાં લોકોને (એટલે કે પત્રકારોને) બંધારણે સ્વતંત્ર રીતે કામ કરવાની સુરક્ષા આપી છે. કોઈ વાળ પણ વાંકો ન કરી શકે જો કરોડરજ્જુ હોય તો! હા, થોડી તો કિંમત ચૂકવવી પડે અને જો કિંમત ચૂકવવાની તૈયારી ન હોય તો રાષ્ટ્રીય જવાબદારી જેમાં સંકળાયેલી હોય એવાં કામ ન કરવાં જોઈએ. ટૂંકમાં જે લોકોએ સમાધાનો કર્યાં છે અને દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે એ લોકો વેચાયેલા હતા ડરેલા નહોતા.

પણ સત્ય એ છે કે વેચાનારા લોકો તો હજુ વેચાવા તૈયાર હોવાના જો કોઈ ખરીદનાર હોય તો. હા, નવી સ્થિતિમાં ખરીદનારાઓને તેમનો ખપ કેટલો હશે એ અલગ સવાલ છે. નરેન્દ્ર મોદીની સરકાર નહોતી આવી એ પહેલાં પણ અદાલતોમાં ચુકાદાઓ ખરીદી શકાતા હતા, સરકારી વહીવટી નિર્ણયો ખરીદી શકાતા હતા, પત્રકારોને ખરીદી શકાતા હતા બધું જ થતું હતું. મીડ નાઈટ નોટિફિકેશનનો એક યુગ હતો જેમાં અડધી રાતે ચોક્કસ લોકોને મદદરૂપ થાય એ રીતે નીતિઓ બદલાતી હતી. ફરક એ છે કે આ વખતે આ બધું ઊઘાડું હતું, વધારે જાડું હતું, વધારે અશ્લીલ હતું, ચીતરી ચડે એવું હતું.

આમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાની હાલત વધારે કફોડી થવાની છે. તેણે તો ગોળા સાથે ગોફણ પણ ગુમાવી છે. દસ વરસમાં મુખ્ય ધારાના ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાનું વજૂદ ગુમાવી દીધું છે અને એટલે તેનું વેચાણમૂલ્ય પણ ગુમાવી દીધું છે. એક અભ્યાસ મુજબ દેશમાં રોજ અંદાજે ૫૦ કરોડ લોકો યુ ટ્યુબ અને બીજા સોશ્યલ મીડિયાનાં માધ્યમોમાં જાય છે અને દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી મેળવે છે. આજે જેઓ સોશ્યલ મીડિયાથી પરિચિત નથી એવા વૃદ્ધો અને દેશપ્રેમનો ઘોંઘાટિયો નશો કર્યા વિના જેમને ઊંઘ નથી આવતી એવા ભક્તોને છોડીને કોઈ ટી.વી. ન્યુઝ જોતા નથી. એટલે તો લાખ પ્રયત્ન પછી પણ શાસક પક્ષની વાત લોકો સુધી પહોંચી નહીં અને યુ ટ્યુબરો દ્વારા વિરોધ પક્ષોની વાત છેક ગામડાં સુધી પહોંચી. ઊલટું તેમની વાત સાચી હોય તો પણ લોકો ભાટનું કથન છે એમ કહીને માનવા તૈયાર નથી હોતા. હિન્દી ભાષામાં રાજકીય વિશ્લેષણ કરનારા કેટલાક યુટ્યુબરોના દર્શકોની સંખ્યા ૫૦ લાખથી અઢી કરોડ સુધીની છે. દેશમાં કઈ એવી ન્યુઝ ચેનલ છે જે આટલા દર્શકો ધરાવે છે? આગળ કહ્યું એમ જો ખરીદનારા મળે તો વેચાવા માગનારા લોકો તો હજુ પણ બજારમાં બનીઠનીને ઊભા રહેશે, પણ હવે પછી ખરીદનારા મળશે કે કેમ એ સવાલ છે. તેમણે પોતે જ પોતાને અપ્રાસંગિક બનાવી દીધા છે. અને હા, એ ચાપલુસી કરનારા એન્કરોને ગાળો દેવાનો કે નફરત કરવાનો કે પછી ઠેકડી ઉડાડવાનો કોઈ અર્થ નથી. મુખ્ય વિલન માલિકો છે. માલિકોએ ખિસ્સા ભર્યા છે.

અત્યારે આખા જગતમાં સમુદ્રમંથન ચાલી રહ્યું છે અને તેના અંતે જાહેરજીવન, શાસનતંત્ર, લોકતંત્ર અને પત્રકારત્વ એમ ચારે ય પરિષ્કૃત થશે. શરૂઆત થઈ ગઈ છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જૂન 2024

Loading

...102030...669670671672...680690700...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved