Opinion Magazine
Number of visits: 9665842
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી, રામનામ અને રામરાજ્ય …

સોનલ પરીખ|Gandhiana|21 June 2024

સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું એ એમનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.  

ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે, ‘…હું ભૂત-પ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ મને રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં રામનામનો જપ શરૂ કર્યો. રામનામ આજે મારે સારું અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાએ રોપેલું બીજ ગણું છું.’ પિતા માંદગી દરમ્યાન રામાયણ સાંભળતા, તેનાથી ગાંધીજીને રામાયણ પ્રત્યે પ્રેમપૂર્ણ શ્રદ્ધા જાગી. તુલસીકૃત રામાયણને તેઓ ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણે છે. આધ્યાત્મિક, શારીરિક અને માનસિક ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર છે એવી શ્રદ્ધા ગાંધીજી એમના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમ જ રાજદ્વારી ક્ષેત્રે નવા ચીલાઓ પાડનાર એકાકી રાહદારી તરીકે એમને ભાગે આવેલા આત્મામંથનોમાંથી તેમને રામે જ પાર ઉતાર્યા. છેલ્લે તો તેઓ એમ કહેતા કે શરીરની વ્યાધિઓ મટાડવાનો ઈલાજ પણ રામનામ જ છે.

૧૯૩૬માં ‘હરિજનબંધુ’ના એક અંકમાં ગાંધીજી લખે છે, ‘રામનામના સૂર્યએ મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઇસુનું નામ લેતાં ને મુસાલમાનને અલ્લાના નામમાંથી મળે. માત્ર એ સ્મરણ પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણથી આવવું જોઈએ.’ વળી લખે છે, ‘રામનામ જેવુ રામબાણ ઔષધ લેવામાં સતત જાગૃતિ નહીં હોય તો રામનામ ફોગટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.’ ‘જે રામનામનો પ્રચાર કરવા ઈચ્છે તેને પોતાના હૃદયમાં રામનું સામ્રાજ્ય પહેલું સ્થાપવું. એ વસ્તુને જગત ઝીલી લેશે ને રામનામ જપશે. પણ જ્યાંત્યાં ને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડ ઉમેરીને રામનામને નિંદવાનું થયું.’

વાત હજી વધારે સૂક્ષ્મ બને છે. ૧૯૪૬માં એમણે લખ્યું, ‘મારો રામ આયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે. તે કદી જન્મ લેતો નથી. તેના પર સૌનો સરખો હક છે. કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોઈ શકે. હું બધાં નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી, શુદ્ધ સર્વવ્યાપક ચૈતન્યરૂપ રામને જોઉ છું; જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હૃદયનો મેલ સાફ કરે છે.’

એક તબક્કે ગાંધીજીએ પોતાને મુસલમાન તરીકે ઓળખાવ્યા. કહ્યું કે રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી અને મને કલમા પઢવામાં કશો વાંધો નથી ત્યારે રોષે ભરાયેલા લોકોએ સવાલોનો ધોધ વરસાવ્યો. ત્યારે ગાંધીજીએ શાંતિ અને ધૈર્યથી કહ્યું કે ‘હું સનાતની હિન્દુ છું અને માત્ર હિન્દુ ધર્મનો નહીં, સર્વ ધર્મોનો સાર સર્વધર્મસમભાવ છે. તેથી મારો દાવો છે કે હું એક સારો હિન્દુ છું તેથી એક સારો મુસલમાન છું અને સારો ખ્રિસ્તી પણ છું. બીજા કરતાં આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે.’

૧૯૪૭ના નવેમ્બર મહિનામાં એમણે કહ્યું, ‘આપણે દિવાળીની રોશની જોવા જઈએ છીએ પણ આજે માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. આજની ઘડીએ લાખો લોકો કારમી આફતમાં ઘેરાયા છે. શું તમારામાંથી એકેએક જણ હૃદય પર હાથ મૂકીને કહી શકશે કે આફતમાં મુકાયેલાઓમાં હિન્દુ છે કે શીખ છે કે મુસલમાન છે એ વાતની જરા ય પંચાત ન કરતાં અમે તે બધાને અમારાં ભાઈબહેન માનીએ છીએ? આ તમારી કસોટી છે. રામને છાજે એવી સેવા ન થતી હોય તો રામનામનું રટણ મિથ્યા છે.’

રામનામ કેવી રીતે લેવું એ વિષે તેમણે લખ્યું છે, ‘રામનામ અંતરના ઊંડાણમાંથી લેવું. પણ અંતરના ઊંડાણમાંથી લેવું એટલે શું? દેહ નાશવંત છે એમ જાણતા છતાં આપણે તેને જ પોતાનું સર્વસ્વ સમજીને વળગીએ છીએ અને અંતરમાં રહેલા અમર આત્માને વિસારી મૂકીએ છીએ. રામનામને માનનારો દેહને સર્વસ્વ ન માને, ઈશ્વરની સેવા કરવા માટે મળેલા ઉમદા સાધન લેખે તેને જાળવે. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો ત્યાં સુધી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. ન ભૂલશો કે જે દિલથી રામનું નામ રટે છે તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે.

ગાંધીજી હંમેશાં પ્રાર્થના પછી ધૂન ગવડાવતા : રઘુપતિ રાઘવ રાજારામ. આ ધૂનમાં ગાંધીજીએ ‘ઈશ્વર-અલ્લા તેરો નામ’ શબ્દો શા માટે ઘુસાડ્યા એવો પ્રશ્ન પૂછાય છે, પણ આ શબ્દો મનુબહેને દિલ્હીના એક મંદિરમાં ગવાતા સાંભળેલા અને નોઆખાલીમાં થતી પ્રાર્થનામાં એ શબ્દો ઉમેર્યા હતા. ગાંધીજીને આ ઉમેરો ગમી ગયો અને એનો ઉપયોગ ચાલુ રહ્યો.

૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ નવજીવનમાં ‘સ્વરાજ્ય અને રામરાજ્ય’ શીર્ષક સાથે લેખ લખ્યો હતો. તેમણે લખેલું, ‘સ્વરાજ્યના ગમે તેટલા અર્થ થતા હોય તો પણ મારા માટે સૌથી નજીકનો અર્થ એક જ છે. તે છે રામરાજ્ય. જો કોઈને રામરાજ્ય શબ્દ યોગ્ય ન લાગે તો હું કહીશ ધર્મરાજ્ય – સત્ય અને ન્યાયના પાયા પર રચાયેલું રાજ્ય. તેમાં ગરીબોની સંપૂર્ણ રક્ષા થશે, બધું જ કામ ધર્મપૂર્વક કરવામાં આવશે અને લોકમતનો હંમેશાં આદર સેવવામાં આવશે. રામરાજ્ય સ્થાપિત કરવા માટે પાંડિત્યની કોઈ આવશ્યકતા નથી. જે ગુણોની આવશ્યકતા છે તે છે સત્ય, અહિંસા, મર્યાદાપાલન, વીરતા, ક્ષમા, ધૈર્ય. જનતા ધર્મનિષ્ઠ અને વીર્યવાન બને ત્યારે જ એવું રાજ્ય સંભવ છે.’ તુલસીદાસે લખ્યું છે, ‘દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામરાજ્ય નહીં કાહુહિ વ્યાપા; સબ નર કરહિ પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.’

૧૬ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ એક વિશેષ સભામાં તેમણે કહ્યું, ‘હું હંમેશાં કહેતો આવ્યો છું કે જ્યાં સુધી તન અને મનથી શુદ્ધ સ્ત્રીઓ સાર્વજનિક જીવનને પવિત્ર નહીં કરે ત્યાં સુધી રામરાજ્ય અથવા સ્વરાજ્ય સંભવ નથી.’ વેદાંતીઓએ ગાંધીજીને કહ્યું કે, ‘તમારો દાવો સનાતની હિંદુ હોવાનો છે તો તમે વેદોને માનતા જ હશો, અને વેદોએ જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કર્યું છે.’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘વેદોના મારા અધ્યયન પ્રમાણે હું નથી માનતો કે તેમાં જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ જો જ્ઞાતિ-પ્રથાને વેદોનું સમર્થન હોય તો હું એ વેદોને માનવાનો ઇન્કાર કરું છું.’ ૨૬ ફેબુ્આરી ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં બાપુએ કહેલું, ‘જે માણસ માત્ર પોતાના સંપ્રદાય માટે જ કુરબાન થવા માગે છે તે પોતે તો સ્વાર્થી છે જ, સાથોસાથ પોતાના સંપ્રદાયને પણ સ્વાર્થી બનાવે છે.’

‘હરિજન યાત્રા’ દરમ્યાન દક્ષિણ ભારતમાં લોકોએ ગાંધીને ઘેરી લીધા, ‘હરિજનોને મંદિરમાં પ્રવેશ અપાય?  આ પ્રકારની હરકતથી તો હિંદુ ધર્મનો નાશ થઈ જશે.’ ગાંધીએ જવાબ આપ્યો, ‘હું જે કરી રહ્યો છું, તેનાથી તમારા હિંદુ ધર્મનો નાશ થતો હોય તો થાય. મને કોઈ ચિંતા નથી. હું હિંદુ ધર્મને બચાવવા નહીં, તેનો ચહેરો બદલવા આવ્યો છું.’ સામાજિક – ધાર્મિક કુરીતિઓ પર ભગવાન બુદ્ધ બાદ જો કોઈએ સૌથી ઊંડો, ઘાતક પણ રચનાત્મક પ્રહાર કર્યો હોય તો તે ગાંધી જ છે. અને આ બધું કરતા તેમણે ન તો કોઈ ધાર્મિક જમાત ઊભી કરી, ન તો કોઈ મતવાદ ઊભો કર્યો અને ન સ્વતંત્રતાનો સંગ્રામ શાંત પડવા દીધો.

એમણે કહ્યું હતું, ‘પોતપોતાના ઇશ્વરને સર્વોચ્ચ પ્રતિષ્ઠિત કરવાના દ્વંદ્વમાંથી જ યુદ્ધનો જન્મ થાય છે. મનુષ્યને મારીને અપમાનિત કરીને, તેને હીનતાના અંતિમ કિનારા સુધી પહોંચાડવાનું પાપ ઈશ્વરના નામે જ તો થાય છે.’ અને કહ્યું, ‘સત્ય જ ઇશ્વર છે. ધર્મ નહીં, ગ્રંથ નહીં, માન્યતાઓ – પરંપરાઓ નહીં, સ્વામી-ગુરુ-મહંત-મહાત્મા નહીં, સત્ય અને માત્ર સત્ય જ ઈશ્વર છે.’

સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું આ ગાંધીનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જાન્યુઆરી  2024

Loading

સ્ત્રી-રત્ન, ભાગીરથી મહેતા : કવયિત્રી, ‘જાહ્‍નવી’ – એક પ્રેરણાદાયી પાત્ર

સરયૂ મહેતા-પરીખ|Opinion - Opinion|20 June 2024

કવયિત્રી ભાગીરથી મહેતા ‘જાહ્નવી’ આ ઉપનામ, વિદૂશી વિમલા ઠકારે આપેલું. કવિ નાથાલાલ દવેનાં બહેન, પદ્મશ્રી મુનિભાઈ મહેતા (વડોદરા) અને સરયૂ મહેતા – પરીખનાં માતા. તેમની યાદમાં ૧૯૯૪થી ‘જાહ્નવી-સ્મૃતિ’ કવયિત્રી સંમેલન શિશુવિહાર, ભાવનગરમાં યોજાય છે.

ભાગીરથીબહેન મહેતા

મારી નજરે મારાં બા, એક પ્રભાવશાળી વ્યક્તિ હતાં.  એમના હાથથી કાગળ, પેન અને પુસ્તકો દૂર ન હોય. રસોઈ, ઘરકામ અને નોકરી ઉપરાંત, સાંજે જાણીતા સાહિત્યકારો ઘેર આવીને બેઠા હોય અથવા એમને કોઈને મળવાનું હોય. ઘણી વખત કવિ સંમેલનમાં કવિઓની વચ્ચે આ એક જ કવયિત્રી મંચ પર ઉપસ્થિત હોય. વહેલી સવારે ઘણીવાર બત્તી જલે ત્યારે ખબર પડે કે બાને કોઈ કવિતાએ જગાડી દીધાં.

બ્રિટિશ હકૂમતમાં, ૧૯૧૭માં, ભાગીરથીનો જન્મ ભુવા નામના ગામમાં થયો હતો. એક વર્ષની બાળકીની મા, કસ્તૂરબહેનનો બે દિવસની માંદગીમાં સ્વર્ગવાસ થયેલો. સંયુક્ત પરિવારમાં બાળકો વચ્ચે સૌથી નાની ભાગીરથી સચવાઈ ગઈ. ભુવાની ધૂળી નિશાળમાં કોઈક સાથે વાંધો પડતાં, “મારે નિશાળે નથી જઉં” તેવી જીદ પકડી.” ‘ચોથી ચોપડી મ્હાંણ ભણી’ એવું એમનાં કાકીમા કહેતાં. છોકરીને લખતાં વાંચતાં આવડ્યું એટલે બસ, એવા સામાજિક વિચારોના પ્રોત્સાહન સાથે ઘરકામ શીખવામાં પળોટાઈ ગયાં.

ભાગીરથીના પિતા, વૈદ ભાણજી દવેએ બ્રાહ્મણ કુટુંબના લોટ માગવાનાં અને ક્રિયાકાંડ કરવાનાં ચીલાચાલુ વ્યવસાયને તજી, વૈદ તરીકે ભુવા અને આસપાસના ગામોમાં આદરણીય પ્રતિષ્ઠા મેળવી હતી. ભાઈઓને ભાવનગર ભણવા મુક્યાં ત્યારે ભા’દેવાની શેરીમાં દસેક વર્ષની ભાગીરથી રસોઈ અને ઘરકામ કરવા માટે ભાવનગર આવીને રહી. પણ દીકરીને આગળ ભણાવીએ એવો કોઈ વડીલને વિચાર નહીં આવ્યો હોય.

પિતાશ્રી તેર વર્ષની દીકરીને આવીને કહે કે “ભાગીરથી, તારા લગ્ન કોટડા ગામમાં નક્કી કર્યા છે.” મોટાભાઈ નાથાલાલના વેવિશાળ માટે કોટડા ગામે ગયેલા અને ભાગીરથીનું લગ્ન હરિશંકર મહેતા સાથે નક્કી કરીને આવ્યા. એ વખતે રિવાજોની ક્રૂરતાનો સત્ય અનુભવ થયો. જ્યારે સાસરે ગયાં તો ત્યાંની રહેવાની રીત અને વહુને રાખવાની રીતથી થતી માનહાનિ સામે એમનો આત્મા બળવો ઉઠાવતો રહ્યો.

હરિશંકરભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરતા અને ભાગીરથી ઘર સંભાળતાં. ગરીબી અને અપમાનજનક રહેણીકરણીથી ભાગીરથીને અત્યંત સંતાપ થતો. પાંચ વર્ષના મનોમંથન અને ભાઈ નાથાલાલ દવે દ્વારા મળતાં પુસ્તકોના અભ્યાસથી એમને સમજાયું કે મારું ભવિષ્ય મારે જ બનાવવાનું છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારોનો પ્રભાવ તેમને માટે શક્તિ પ્રેરક બની રહ્યો. દરેક પ્રયત્નોમાં બન્ને કુટુંબોના વિરોધોનો સામનો કરતાં, અઢાર વર્ષની ઉંમરે, ભાવનગરમાં રહીને ભણવાનો નિશ્ચય કર્યો. પ્રવેશ પરીક્ષા માટે એક નિબંધ લખવાનો હતો. પરિણામે એમને દસમાં ધોરણમાં સીધા મુકવામાં આવ્યાં. હાઈસ્કૂલમાંથી ઉત્તીર્ણ થયાં પછી, પાંચ વિદ્યાર્થિનીઓ સાથે શરૂ થતા કર્વે કોલેજના વર્ગમાં ભણવાનું ચાલુ રાખ્યું. શેરીમાંથી નીકળી ક્લાસમાં જતાં હોય ત્યારે ઓટલે બેઠેલી બહેનો સંભળાવે, “એવો જમાનો આવશે કે ધન કમાશે બાયડી ને …”  એ જ બહેનોને લાચાર પરિસ્થિતિ આવતી ત્યારે ભાગીરથીની મદદ લેવા જઉં પડતું.

ભાગીરથીબહેન મહેતા

ગાંધીયુગની અસર તળે જ્યારે ભાગીરથીએ કહ્યું કે, “હવે હું ખાદીનાં જ કપડાં પહેરીશ. મારા માટે રંગબેરંગી મીલનાં કપડાં ન લાવશો.” ત્યારે એમના પિતાશ્રીની અસંમતિઓમાં એક વધારે કારણનો ઉમેરો થયો અને નારાજગીની માત્રા વધતી ગઈ, પણ મોટી ઉંમરે જ્યારે ભાગીરથીના વિચારોને સમજ્યા ત્યારે પિતા-પુત્રીમાં ભલો સુમેળ થયો.

ભાગીરથીને ભાવનગરમાં પિયરમાં રહીને ભણવાનું પણ રજાઓમાં કોટડામાં લાજ કાઢી સામાન્ય વહુવારુઓ સાથે હળીમળી રહેવાનું બનતું. જુનીઅર બી.એ.ની પરીક્ષા પછી પંદર દિવસમાં મુનિભાઈનો જન્મ થયો. માતા કે સાસુનો ઓથાર ન હોવાથી જવાબદારીઓ ઘણી વધી ગઈ. બાળકને સંભાળતાં બી.એ. થયાં. માજીરાજ કન્યાશાળામાં નોકરી તરત શરૂ કરી દીધી. પતિ હરિશંકરની બદલી ગામડેથી ભાવનગરની પ્રાથમિક શાળામાં એ અરસામાં થઈ શકી હતી. ચાર વર્ષના મુનિ અને નવજાત સરયૂને ઉછેરતાં, શાળા અને ઘરકામની ઘટમાળ શરૂ થઈ. જીવનના દરેક માઠાં અનુભવને, “મારા માટે એ જરૂરી હશે” એમ તટસ્થભાવે સ્વીકારી, સમજી, અંતરંગી બનતા રહ્યાં. આમ જ, ભાવુક ગૃહિણી સાથ સાથ લાગણીઓને શબ્દોનો આકાર આપી કવયિત્રી બની રહ્યાં.

તેર વર્ષની ઉંમરથી શરૂ કરેલ લાજ કાઢવાની પ્રથા સામે વિરોધ કરતાં, લગભગ ત્રીસની ઉંમરે તેમણે હિંમતથી, તેમના જ્યેષ્ઠને માનપૂર્વક કહ્યું, “મોટાભાઈ, હવેથી હું લાજ નહીં કાઢું, પરંતુ તમારા માટેના સન્માનમાં જરા પણ કસર નહીં છોડું.” આખા પરિવારમાં આશ્ચર્ય અને અણગમો ફેલાઈ ગયાં. પણ પછી ઘેર ઘેર ઘુમટા તણાતા બંધ થયાં. એ જ રીતે નાક-કાન વિંધાવવા જ પડે, અને પતિની હયાતીમાં શણગાર પહેરવા જ પડે, એ નિયમો પણ એમણે તોડ્યાં. સમાજમાં ઊંડાં મૂળ ખોતરેલા નિયમો સામે બળવો કરી અને સ્વજનોના ગુસ્સાનું નિશાન બની પોતાના વિચારોમાં અડગ રહ્યાં. તેમની અનન્ય પ્રતિભાની અસાધારણ અને અદ્દભુત અસર અનેક બહેનો, અને ખાસ કરીને ખીલતી કળી સમી વિદ્યાર્થિનીઓ પર જોવા મળી હતી.

ભુવા અને કોટડા ગામમાંથી પ્રથમ કોલેજ ગ્રેજ્યુએટ નારીનું માન તો વધી ગયું, પરંતુ સમાજમાં અને ઘરમાં સ્ત્રીનું સ્થાન નિયત છે, એ જ રહ્યું. ઘણી અવગણના વચ્ચે પણ બાનું રક્ષા કવચ બાળકોને છાવરી રહ્યું અને અસામાન્ય પુત્ર, પદ્મશ્રી મુનિભાઈ અને સરયૂ જેવાં સફળ અને સાલસ બાળકો ઉછેર્યાં.

ચારેક વર્ષ પછી, ૧૯૬૦માં ફરી તક મળતાં, બા સુરેન્દ્રનગરમાં આચાર્યા તરીકે ગયાં અને હું એમની સાથે રહી. મુનિભાઈ આઇ.આઇ.ટી મુંબઈની અગ્રગણ્ય કોલેજમાં ભણતા હતા. સુરેન્દ્રનગરની શાળામાં જાજરમાન અને પ્રગતિવાદી આચાર્યા તરીકે નાની વિદ્યાર્થિનીઓથી માંડી ઉપરી અધિકારીઓનું સન્માન ઘણા જ ઓછા સમયમાં પ્રાપ્ત કર્યું. એક ઘટના બની જેનાથી ભાગીરથી મહેતાની આંતરિક શક્તિનો પરિચય થયો. એમની શાળા માટે નવું મકાન મહિનાઓથી તૈયાર થઈ ગયું હતું. જે દાતાએ બંધાવી આપ્યું હતું, એ વૃદ્ધ મહાનુભાવની જીદ હતી કે કોઈ પ્રધાન મંત્રી આવી ઉદ્દઘાટન કરે પછી જ તે મકાનનો ઉપયોગ કરવો. મહિનાઓથી શિક્ષકો અને અધિકારીઓ પ્રયત્ન કરતા હતાં. બા તે મુરબ્બીને મળ્યા અને વાત કરી, પણ તેઓ જીદ છોડવા તૈયાર ન હતા. બાએ બે ચાર અનુભવી, સ્થાનિક વ્યક્તિઓને વિશ્વાસમાં લઈ, ૨૬ જાનુઆરીએ શાળાના નવા મકાનમાં ધ્વજવંદન માટે ભવ્ય કાર્યક્રમ રાખી ગામના લોકોને આમંત્રિત કર્યા. તેમાં પેલા દાતા તેમની પ્યારી પૌત્રી, જે શાળાની વિદ્યાર્થિની હતી, તેની સાથે હાજર હતા. ધ્વજ વંદન પછી બાએ દાતાની પૌત્રીને બોલાવીને કંઈક સમજાવીને કહ્યું. તેણી બાને પ્રણામ કરી, પૂજાની થાળી લઈ, નવા મકાનના દ્વાર પર ચાંદલો કરી, રેશમી રિબન ખોલી, બારણાં ખોલી બધાને આમંત્રણ આપતી ઊભી રહી. બધા લોકો ગભરાઈને દાદાની સામે જોઈ રહ્યા. પરંતુ દાદાએ આગળ આવી વ્હાલી પૌત્રીને આશિષ આપ્યા અને બાને અભિનંદન આપ્યા. જોનારાના ચિંતાભર્યા ચહેરા ખીલી ઊઠ્યાં. મહિનાઓ સુધી સુરેન્દ્રનગરમાં નવા આચાર્યાએ કરેલા ચમત્કારની ચર્ચા ચાલતી રહી.

જીવનમાં બાને પોતાના સિદ્ધાંતો માટે લડી લેતા ઘણીવાર જોયા છે. પોતાના અને પારકાને પ્રેમથી હિંમત આપતા પણ જોયા છે. એમના લાગણીભર્યા કવિ હ્રદયમાં અજબની દૃઢતા હતી. મુનિભાઈના લગ્ન શિશુવિહારના માનશંકરભાઈ ભટ્ટની પુત્રી, ઇલા, સાથે થઈ ગયા. પરંતુ જ્યારે સરયૂએ વણિક કુટુંબના દિલીપ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી ત્યારે, પતિના સખ્ત વિરોધ છતાં, સરયૂને બાએ સાથ આપ્યો. તેમનું માનવું હતું કે જાતિધર્મ કરતાં ઘણો ઊંચો માનવ ધર્મ છે, અને પાત્રની યોગ્યતા પ્રથમ જોવાની અને ત્યાર બાદ નાતજાત.

ગુરુની શોધમાં હંમેશાં વ્યાકુળ રહેતાં. જ્યારે તપસ્વિની વિમલાતાઈને મળ્યાં એ સમયે ભાગીરથીની તપસ્યા પરિપક્વ થયેલી હતી. ભાગીરથીના સમર્પણની સત્યતા જોઈ  વિમલાતાઈએ પોતાના નાના સમૂહમાં કવયિત્રી તરીકે સ્વીકાર્યા અને “જાહ્ન્વી” તખલ્લુસ આપ્યું. તે પહેલા ‘અખંડ આનંદ’ વગેરે સામાયિકોમાં કવયિત્રી ભાગીરથીનાં કાવ્યો અને બોધ કથાઓ “સાધના” ઉપનામથી પ્રકાશિત થતાં.

અનેક બહેનોમાં સાહિત્યપ્રેમ અંકુરિત કરે છે તે, “જાહ્‍નવી સ્મૃતિ” કવયિત્રી સંમેલન, શિશુવિહાર સંસ્થા, ભાવનગરમાં દર વર્ષે યોજાય છે, જેમા કોઈ પણ બહેન ભાગ લઈ શકે છે. ૧૯૯૪ની સાલથી શરૂ થયેલ ભાગીરથીના સ્નેહનું ઝરણું હજુ પણ અસ્ખલિત વહે છે. આજે બાને યાદ કરતા કલા રસિકોને જોઉં છું ત્યારે, એ દિવસોની યાદ આવે છે જ્યારે કવિતાની રજૂઆત કરવા બધી હિંમત ભેગી કરીને, સફેદ ખાદીની સાડી પહેરેલાં, જાજરમાન બહેન ભાગીરથી, બોલવા ઊભા થતાં …… 

ભાગીરથી મહેતાનાં પુસ્તકો શિશુવિહાર, ભાવનગરમાં ઉપલબ્ધ છે : “અભિલાષા”,  “સંજીવની”,  “ભગવાન બુદ્ધ”, — કાવ્ય સંગ્રહો. “સ્ત્રી સંત રત્નો”, સંત સ્ત્રીઓનાં જીવન ચરિત્ર. તેની ત્રણ આવૃત્તિઓ થઈ. અનુવાદ : “આત્મદીપ”, “સહજ સમાધિ ભલી”,   વિમલાતાઈ ઠકારના પ્રવચનોનો “આનંદલહર.” હનુમાનપ્રસાદ પોદાર.

——-

હળવેથી હાથ મારો હોઠે લગાડતી, મીઠી ચૂમીમાં મર્મજ્ઞતા; 
આવકાર, આભાર, ગદગદ એ વ્હાલથી, કહી દીધું સર્વ હાથ ચૂમતા.

અરવા આ બંધનને અશ્રુની અંજલી, સ્મરણો અસ્તિત્વને હસાવતાં,
છલછલ રે છલકે મમ જીવન સરોવર, મા મધુ બિંદુ રહ્યાં સિંચતા.

                                                                            ——– સરયૂ મહેતા-પરીખ  

(‘એક ચૂમી’ કાવ્ય)

Austin, Texas. USA

e.mail : saryuparikh@yahoo.com

Loading

રાજ કપૂર : ધ ગ્રેટેસ્ટ શોમેન

સોનલ પરીખ|Opinion - Opinion|20 June 2024

સફળતામાં પણ દિલ તૂટે છે, નિષ્ફળતામાં પણ; કેમ કે બંને વખતે તમે એકલા હો છો. એન આર્ટિસ્ટ ઈઝ અ હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ. પણ એક દિવસ સમજાય છે કે હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ હોવું એનો પણ એક અર્થ છે. કલ ખેલ મેં હમ હો ન હો – આપણે હોઈએ કે નહીં, જિંદગી ચાલતી રહે છે એ ઘટના સમજવા જેવી છે.

    — રાજ કપૂર

રાજ કપૂર

‘ફિલ્મ ઈઝ માય લાઈફ, માય સોલ, માય એક્ઝિસ્ટન્સ. ફિલ્મો ન બનવતો હોત તો હું આ સુંદર વિશ્વને આ રીતે જોઈ ન શક્યો હોત. આઈ લવ ફિલ્મ્સ.’ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મળ્યો ત્યારે લેવાયેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતના ગ્રેટેસ્ટ શો મેન, વન એન્ડ ઓનલી રાજ કપૂરે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. રાજ કપૂરની હસ્તી એક દંતકથારૂપ બની ગઈ છે. આજે રાજ કપૂર નથી, એનો આર.કે. સ્ટુડિયો નથી, એનો બંગલો નથી. ચાહકોના અંતરના ખાલી થઈ ગયેલા એક ખૂણાની શૂન્યતાને ભરવાની કોઈની તાકાત નથી.

ડિસેમ્બર મહિનામાં રાજ કપૂર અને દિલીપકુમારનો જન્મદિન છે અને દેવ આનંદની પુણ્યતિથિ. ખુશ કિસ્મત હતા ફિલ્મોના સુવર્ણયુગના એ પ્રેક્ષકો, જેમણે રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર જેવા ત્રણ દિગ્ગજ કલાકારોની યુવાનીની ફિલ્મો માણી હતી. તે વખતે ટી.વી.-મોબાઈલ ન હતા. ફિલ્મો મુંબઈમાં રિલિઝ થાય એ પછી ધીરે ધીરે દેશના જુદા જુદા ભાગોમાં પહોંચતી. દેશ નવો નવો સ્વતંત્ર થયો હતો. પ્રેક્ષકોનું સ્વપ્નશીલ, મુગ્ધ માનસ નવા પ્રવાહો માટે તૈયાર થતું આવતું હતું. લોકોના મન પર અસર કરવાની ફિલ્મોની તાકાતને સમજતા ફિલ્મસર્જકો માનવમૂલ્યોને ધ્યાનમાં રાખી સ્વચ્છ મનોરંજન આપતી, મોટેભાગે રોમેન્ટિક-સંગીતમય ફિલ્મો બનાવતા. 40ના દાયકામાં, ઉંમરમાં લગભગ સરખા આ ત્રણે ક્લાકારોએ સંઘર્ષ કર્યો, આગવી શૈલી વિકસાવી, સફળતાનાં શિખરો સર કર્યાં અને સ્પર્ધાને તંદુરસ્ત રાખી મૈત્રીપૂર્ણ સંબંધો કેળવ્યા.

23માં વર્ષે ‘આગ’ ફિલ્મ બનાવી રજ કપૂર સૌથી નાની ઉંમરનો ફિલ્મસર્જક બન્યો. ‘આગ’ કલાત્મક ફિલ્મ હતી, પણ ચાલી નહીં. પ્રેક્ષકોની નાડ પારખી પછીના વર્ષે તેણે રોમેન્ટિક મ્યુઝિકલ ‘બરસાત’ બનાવી. એ જમાનામાં એ ફિલ્મ 1 કરોડ(આજના લગભગ 100 કરોડ – ત્યારે સોનાનો ભાવ 100 રૂપિયા હતો)થી વધુ કમાઈ. બધા પૈસા રોકી તેણે ચેમ્બુરમાં આર.કે. સ્ટુડિયો ઊભો કર્યો. મહેબૂબ ખાનની ‘અંદાઝ’ પણ એ જ વર્ષે આવી. નરગિસ-રાજકપૂરની જોડી ઓનસ્ક્રીન-ઑફસ્ક્રીન બંને રીતે જામી ગઈ હતી.

‘આવારા’થી તેની ફિલ્મો નવી સામાજિક વિભાવનાઓથી મુખોમુખ થઈ. ‘આવારા’ના સામાજિક પરિસ્થિતિના શિકાર નાયકે પ્રેક્ષકોને ભારતીય ચેપ્લિન આપ્યો. ‘આવારા’ પહેલી ભારતીય ફિલ્મ હતી જેણે વૈશ્વિક અસર ઊભી કરી. 1954માં રાજ-નરગિસ રશિયા ગયાં અને અભૂતપૂર્વ સત્કાર પામ્યાં. ‘આવારા હૂં’ વિશ્વની ડઝનેક ભાષાઓમાં અનૂદિત થયું. રાજ કપૂરનાં રોમેન્ટિસિઝમ, સ્વપ્નશીલતા, માનવપ્રેમ અને સર્જનાત્મકતા એમનાં ગીતોમાં આબાદ ઝીલાયાં છે. ‘જીના ઈસીકા નામ હૈ’, ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘જીના યહાં’ કે ‘યે રાત ભીગી ભીગી’ કોણ ભૂલી શકે? ‘મારાં ગીતો પહેલાં મારામાં જન્મ લે છે.’ રાજ કપૂર કહેતા. મુકેશ તેમનો ‘વૉઈસ’ હતો અને ઍકૉર્ડિયન પ્રિય વાદ્ય. સંગીતના શોખીન રાજ કપૂરે પડદા પર ડફ (દિલ કા હાલ સુને દિલવાલા), વાયૉલિન (મુઝે કિસીસે પ્યાર હો ગયા), પિયાનો (મૈં દિલ હૂં એક અરમાનભરા), પિયાનો ઍકૉર્ડિયન (હર દિલ જો પ્યાર કરેગા), સારંગી (આંસુભરી હૈ), બેગપાઈપર (તેરે મન કી ગંગા), ટમ્બોરિન (કહતા હૈ જોકર), પેની વ્હીસલ (પ્યાર હુઆ ઈકરાર હુઆ), ફ્લૂટ (સુન બૈરી બલમ), ઢોલક (યે તો કહો કૌન હો તુમ), ટ્રમ્પેટ (મુડ મુડ કે ના દેખ) જેવાં વાદ્યો મસ્તીથી વગાડ્યાં છે.

એમની પ્રિય આર.કે. ફિલ્મ કઈ? રાજ કપૂરે કહ્યું છે, ‘મા સાત સંતાનોને જન્મ આપે ને પાળીપોષી મોટાં કરે, પણ એમની કિસ્મત તો ન લખી આપી શકે. બધી ફિલ્મો મારી જ હતી, પણ કોઈ બહુ ચાલી, કોઈ ન ચાલી. જો ચલતી હૈ, આગે બઢ જાતી હૈ. જો નહીં ચલતી, વહ દિલ કે કરીબ આ જાતી હૈ. જાગતે રહો, મેરા નામ જોકર ઐસી ફિલ્મેં હૈં.’

અને પ્રિય દૃશ્ય? ‘મેરા નામ જોકર ફિલ્મમાં સરકસના ભાગ રૂપે થોડા ડૉક્ટર એક જોકરનું હૃદય કાઢી લે છે. જોકર અભિનય કરતો પૂછે છે, “હેવ યુ સીન માય હાર્ટ?” પ્રેક્ષકોમાં તેણે ચાહેલી ને ગુમાવેલી ત્રણ સ્ત્રીઓ સીમી, પદ્મિની અને સાન્યા રિયાબિન્કિના છે. ચહેરા પર હાસ્યનું ચીતરામણ અને આંખોમાં ભીનાશ લઈ એ પૂછે છે, “હેઝ એનીબડી સીન માય હાર્ટ?” આ મારું પ્રિય દૃશ્ય છે.’

એની પ્રિય વિમેન ઈન વ્હાઈટમાં શિરમોર હતી નરગિસ. રાજ અને નરગિસની જોડી અફલાતૂન હતી. દસ વર્ષ અને અઢાર ફિલ્મો – નરગિસનું શ્રેષ્ઠ રાજ કપૂરે કાઢ્યું, નરગિસે પણ રાજની ફિલ્મોને, એની સર્જનાત્મકતાને શ્રેષ્ઠત્વ આપ્યું. ‘નરગિસ મારા અસ્તિત્વની ઊર્જા હતી; મારી સર્જનાત્મકતાનો પ્રાણ હતી, પણ મેં એક સીમા બાંધી હતી. માય એકટ્રેસ ઈઝ નોટ માય વાઈફ, માય વાઈફ ઈઝ નોટ માય એકટ્રેસ. કોઈએ કોઈને છેતર્યા નથી, કોઈ કોઈનો લાભ લઈ ગયું નથી. જે જ્યાં હતું, શ્રેષ્ઠ જ હતું,’ ‘જાગતે રહો’ ફિલ્મનું ઠોકરો ખાઈ શ્રમિત થયેલા, તરસ્યા રાજ કપૂરને પાણી પાતી નરગિસનું દૃશ્ય, રાજે નરગિસને આપેલી અંજલિ હતી. એમાં રાજ-નરગિસની કહાણીનો અર્ક હતો. પણ એ દૃશ્યથી માત્ર ફિલ્મનો નહીં, એક સંબંધનો, એક યુગનો અંત આવ્યો હતો. પછી નવી ફિલ્મો આવી, નવી હીરોઈનો આવી, પણ રાજ કપૂર જેનો આશક હતો, જેને દરેક કલાનું મૂળભૂત સત્ય કહેતો તે ‘આર્ટિસ્ટીક ઈરોટિઝમ’માંથી ત્યાર પછી ગ્રેસની બાદબાકી થઈ ગઈ.

રાજ કપૂર અત્યંત મૌલિક હતા. જીવન હોય કે ફિલ્મો, પોતાનો માર્ગ પોતે કંડારી એ એની ઉપર દમામથી ચાલ્યા. પ્રાપ્તિ હોય કે વિફળતા, દબદબાથી જીવ્યા. સૌથી ઘેરાયેલા છતાં એકલા અને એકલા છતાં ભર્યા ભર્યા રહ્યા. અનેક પ્રિય વ્યક્તિઓને વળાવી – માતાપિતા, મુકેશ, નરગિસ, શૈલેન્દ્ર, જયકિશન. કહેતા, ‘એવા લોકો નથી, જે ન હોવા છતાં હોય છે? પણ એક વૅક્યુમ રહી જાય છે. આ એક કિંમત છે જે કલાકાર ચૂકવે છે. એની પીડા જુદી છે, એનો પ્રેમ જુદો છે. એની નિર્ભયતા જુદી છે.’ ‘મારે જે બનવું હતું તે હું બની શક્યો નથી. પણ તેની નજીક પહોંચ્યો છું એમ કહી શકું. હું સ્વપ્નોથી સભર છું. જિંદગીના અંતથી ડરતો નથી.’ ‘સફળતામાં પણ દિલ તૂટે છે, નિષ્ફળતામાં પણ; કેમ કે બંને વખતે તમે એકલા હો છો. એન આર્ટિસ્ટ ઈઝ અ હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ. પણ એક દિવસ સમજાય છે કે હાઉસ ઑફ હાર્ટબ્રેક્સ હોવું એનો પણ એક અર્થ છે. કલ ખેલ મેં હમ હો ન હો – આપણે હોઈએ કે નહીં, જિંદગી ચાલતી રહે છે એ ઘટના સમજવા જેવી છે.’ સીમી ગરેવાલે દૂરદર્શન માટે રાજ કપૂર પર એક સુંદર ફિલ્મ બનાવી છે.

અનેક સન્માનો અને અવૉર્ડ રાજ કપૂરથી શોભ્યાં. આમ આદમી રાજ કપૂરમાં પોતાને, પોતાના સ્વપ્નોને જોતો. ‘આવારા’, ‘બરસાત’, ‘બૂટપૉલિશ’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’ હોય કે પછીની ‘મેરા નામ જોકર’, ‘પ્રેમરોગ’ કે ‘રામ તેરી ગંગા મૈલી’ એમની ફિલ્મોએ હિંદી સિનેમાને નવા આયામ આપ્યા.

દાદાસાહેબ ફાળકે અવૉર્ડ લીધો ત્યારે તેમની તબિયત ખૂબ ખરાબ હતી. એ વખતે એમણે કહેલું, ‘આ અવૉર્ડ મારા પિતાને મરણોત્તર મળેલો. તેમના વતી મેં સ્વીકાર્યો હતો. આજે બીજી વાર સ્વીકારીશ. આ સદ્દભાગ્યનો અધિકારી ફક્ત હું નથી. મારા સંગીસાથીઓનાં પરિશ્રમ અને ચેતના થકી જ આ શક્ય બન્યું છે. હું તો એમનો પ્રતિનિધિમાત્ર છું. જે આ દુનિયામાં છે, જે નથી, એ સૌ સાથીઓનો હું ઋણી છું. મિત્ર શૈલેન્દ્રના શબ્દો યાદ કરું છું, બહુત દિયા દેનેવાલેને તુઝકો, આંચલ હી ન સમાયે તો ક્યા કીજે.’ રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ એક જ દિવસે છે …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ડિસેમ્બર  2023

Loading

...102030...665666667668...680690700...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved