Opinion Magazine
Number of visits: 9741379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગલાદેશમાં ખરેખર દંગા પાછળનો મુદ્દો શું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વાઝેદ માટે લગભગ દોઢ દાયકાની સુખશાંતિ પછી બંગલાદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી અનામતની જોગવાઈના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે અને કહેવાની જરૂર નથી કે આંદોલનકારીઓ યુવાનો છે. તાત્કાલિક અને નિમિત્ત કારણ છે અનામતની જોગવાઈ. બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે. એક છે ઇનામી કે કદરદાની અને બીજી છે ન્યાયલક્ષી. ૩૦ ટકા જોગવાઈ ઇનામી કે કદરદાની પ્રકારની છે જે ત્રીજી પેઢીને પણ વારસામાં મળી રહી છે. બીજી ૨૦ ટકા જોગવાઈ એવા લોકો માટે છે જેઓ વિકાસની સીડી પર નીચે છે અને ઉપર ચડાવવા જેમનો હાથ પકડવો જરૂરી છે અથવા જેમનો અવાજ બુલંદ નથી. એમાંની દસ ટકા વાંશિક લઘુમતીઓ માટે છે (જેમ કે ચટ્ટગાંવના પહાડી પ્રદેશના બૌદ્ધ ચકમા) અને દસ ટકા આર્થિક રીતે પછાત જિલ્લાઓ માટે. એક ટકો બેઠકો શારીરિક રીતે વિકલાંગો માટે છે. કુલ મળીને ૫૬ બેઠકો અનામત છે.

આંદોલનકારીઓના નિશાન પર છે, કદરદાનીની ૩૦ ટકાની જોગવાઈ. ૧૯૭૧માં બંગલાદેશ પાકિસ્તાનથી અલગ થઈને આઝાદ થયું એ પછી ૧૯૭૨માં બંગલાદેશના પહેલા વડા પ્રધાન અને એ સમયના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા (જેમને અત્યારે બંગલાદેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે) શેખ મુજીબુર રેહમાને કહ્યું હતું કે જે લોકો જોખમ ઉઠાવીને અને અંગત ભોગ આપીને બંગલાદેશની મુક્તિ માટે લડ્યા હતા તેમની કદર કરવી જોઈએ. ત્યારે એક કાયદો કરીને તેમને માટે અને તેમનાં સંતાનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી હતી.

દેશ લોહી વહાવીને તાજો આઝાદ થયો હતો એટલે મુક્તિબાહિનીમાં જોડાઈને જે લોકો લડ્યા હતા તેમના માટે લોકોના મનમાં એક આદર હતો. તેમની કદર કરવામાં આવે એ વાતનો ત્યારે કોઈએ વિરોધ નહોતો કર્યો. પણ દરેક વાતનો એક અંત હોય છે અને કદર ક્યાં સુધી કરવાની? વંશજોની પણ કદર કરવાની? પહેલી બે પેઢીની તો કરી, હવે ત્રીજી પેઢીની પણ કરવાની? બીજું બંગલાદેશની આઝાદીની લડત ભારતની આઝાદીની લડત કરતાં સાવ અલગ હતી. ભારતમાં એ લોકોને સ્વાતંત્ર્ય સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે લોકોએ કમ સે કમ છ મહિનાની જેલ ભોગવી હોય અને જેલનો રેકર્ડ હોય. બીજું, કદરદાની રૂપે માત્ર તામ્રપત્ર, મફતમાં રેલવે મુસાફરી કરવાનો પાસ અને આજીવન નાણાંકીય પેન્શન આપવામાં આપતાં હતાં. જેલોનો બ્રિટિશકાલીન રેકર્ડ લાવવો જરૂરી હતો એટલે બોગસ સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા ઓછી હતી. સામે કોઈ મોટા લાભ પણ નહોતા. આની સામે  બંગલાદેશમાં લાભ મોટો આપવામાં આવ્યો અને કોણ મુક્તિ બાહિનીમાં હતું અને કોણ નહોતું એનો કોઈ રેકર્ડ જ નથી. એમાં પાકિસ્તાનના લશ્કરના આજી-માજી જવાનો હતા, પોલીસદળના આજી-માજી લોકો હતા, આઝાદી માટે લડનારા યુવાનો અને તરુણો હતા વગેરે. રેકોર્ડ કોઈ પ્રકારનો નહોતો. ૧૯૭૨માં જ્યારે પહેલીવાર અનામતની જોગવાઈ આપવામાં આવી ત્યારે જ હોબાળો મચ્યો હતો. મેં ભી ડીચની માફક દરેક પોતાને આઝાદીના લડવૈયા બતાવીને તેમાં ઘૂસવા લાગ્યા હતા. હવે જો આવો કદરદાનીનો સંદિગ્ધ વારસો પચાસ વરસ સુધી, એ પણ ત્રીજી પેઢી સુધી અને એ પણ ઓછો નહીં, ૩૦ ટકા સુધી આપવામાં આવે તો વિરોધ થાય કે ન થાય!

શેખ હસીના વાઝેદ

બંગલાદેશમાં અનામતની જોગવાઈનો જે વિરોધ થઈ રહ્યો છે એ કદરદાનીવાળી જોગવાઈનો વિરોધ થઈ રહ્યો છે, ન્યાયનિષ્ઠ અનામતની જોગવાઈનો વિરોધ નથી થઈ રહ્યો. અલબત્ત થોડા લોકો એવા પણ છે જે બાકીની ૨૧ ટકાની ન્યાયલક્ષી જોગવાઈનો પણ વિરોધ કરી રહ્યા છે. પણ તમે જોયું હશે કે ભારતનાં ગોદી મીડિયા એવી રીતે બંગલાદેશના આંદોલનને રજૂ કરી રહ્યા છે કે જાણે બંગલાદેશમાં સમૂળગી અનામતની જોગવાઈનો વિરોધ થઈ રહ્યો હોય. તેમનો ઉદ્દેશ ભારતમાં અનામતવિરોધી હવા પેદા કરવાનો છે. સાચું કહું, નરેન્દ્ર મોદીને આજ સૌથી વધુ નુકસાન ગોદી મીડિયા પહોંચાડી રહ્યા છે, જે તેમણે પોતે પેદા કર્યા છે. જો બી.જે.પી.ને ચારસો બેઠક મળશે તો તે બંધારણ બદલશે અને અનામતની જોગવાઈ હટાવશે એવી એક ધારણા બની હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માર પડ્યો હતો. પણ ગોદી મીડિયાને તો ખિસ્સા ભરવા સાથે સંબંધ છે.

પાંચ દાયકાથી સંદિગ્ધ લોકોને ૩૦ ટકા અનામત નોકરીઓ આપવામાં આવી રહી છે તેની સામે લોકોનો અસંતોષ છે. બંગલાદેશની હસીના વાઝેદની સરકારે યોગ્ય રીતે જ ૨૦૧૮ની સાલમાં સ્વાતંત્ર્ય સૈનિકો માટેની અનામતની જોગવાઈ રદ્દ કરી હતી. એ પછી બન્યું એવું કે કેટલાક લોકોએ તે નિર્ણયને અદાલતમાં પડકાર્યો અને રાજશાહીની વડી અદાલતે સરકારના નિર્ણયને ગેર બંધારણીય ઠરાવીને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી લાગુ કરી. આની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી અને સર્વોચ્ચ અદાલતે અનામતનું પ્રમાણ ઘટાડીને પાંચ ટકા આઝાદીના લડવૈયાઓના ત્રીજી પેઢીનાં સંતાનો માટે, એક ટકો વાંશિક લઘુમતી કોમ માટે અને એક ટકો વિકલાંગ માટે એમ કુલ સાત ટકા અનામતની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પ્રમાણ ઘટાડ્યું હોવા છતાં પણ આંદોલન શમતું નથી, કારણ કે આઝાદીના લડવૈયાઓની ત્રીજી પેઢીના સંતાનો માટેની પાંચ ટકાની જોગવાઈ પણ બેહુદી છે. હવે તેનો સમૂળગો અંત આવવો જોઈએ.

એની વચ્ચે ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશમાં ત્યાંની લોકસભાની ચૂંટણી યોજાઈ. હવે એ તો તમે જાણતા જ હશો કે બંગલાદેશમાં લોકતંત્ર નામનું છે, દેખાવ પૂરતું છે અને લગભગ એકપક્ષીય છે. બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાનો બંગલાદેશ નેશનાલિસ્ટ પક્ષ લગભગ ખતમ થઈ ગયો છે. આ સિવાય બેગમ ઝિયા બીમાર છે, પુત્ર વંઠેલ છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારના સાબિત થઈ ચૂકેલા ગુના માટે જેલ ભોગવી ચુક્યાં છે. આનો લાભ અત્યારના શાસક પક્ષને મળી રહ્યો છે. શેખ હસીના વાઝેદ ૨૦૦૯ની સાલથી બંગલાદેશનાં વડાં પ્રધાન છે અને ગયા જાન્યુઆરી મહિનામાં ચોથી વાર તેમની સરકાર બની છે. જો કોઈ મોટું વિઘ્ન નહીં આવે તો વીસ વરસનો લાંબો તેમનો કાર્યકાળ નીવડશે.

પણ વિઘ્નો છે અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ કદાચ એ વિઘ્નનું પરિણામ છે. પ્રારંભમાં કહ્યું એમ અનામત તો એક નિમિત્ત છે. બંગલાદેશમાં એક વર્ગ એવો છે જે ઈસ્લામને વરેલો છે અને તે એમ માને છે કે બંગાળી અસ્મિતા કરતાં ઇસ્લામની અસ્મિતા સર્વોપરી છે. ઇસ્લામ એક સંપૂર્ણ ધર્મ છે અને બંગાળી હોવાપણું તેમાં સમાહિત છે. ૧૯૭૧માં બંગલાદેશ મુક્તિ સંગ્રામ ચાલતો હતો ત્યારે મોટી સંખ્યામાં ઇસ્લામવાદી બંગાળીઓ સ્વતંત્રતાનો વિરોધ કરતા હતા અને પાકિસ્તાનને મદદ કરતા હતા. ઇસ્લામ સારુ પાકિસ્તાનની રચના થઈ અને બંગાળી ભાષા અને બંગલા અસ્મિતા માટે પાકિસ્તાનનું વિભાજન થાય એ તેમને સ્વીકાર્ય નહોતું. તેમણે પાકિસ્તાનના લશ્કરને મદદ કરી હતી અને એ મદદ કરનારાઓ ત્યારે રઝાકાર તરીકે ઓળખાતા હતા. રઝાકાર અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે, સ્વયંસેવક જે કોઈ ઉદ્દેશ માટે સામેથી વગર વેતને મદદ કરે. હૈદરાબાદના નિઝામે ભારતમાં જોડવા બાબતે આડોડાઈ કરી ત્યારે હૈદરાબાદના કહેવાતા ઇસ્લામિક રાજ્યને ટકાવી રાખવા નિઝામને મદદ કરવા કેટલાક મુસલમાનો આગળ આવ્યા જે રઝાકાર તરીકે ઓળખાતા હતા.

હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે રઝાકાર નેતાઓ ડરીને પાકિસ્તાન ભાગી ગયા અને બાકીના રઝાકાર મુસલમાનો સમય વર્તીને શાંત થઈ ગયા, પરંતુ બંગલાદેશમાં એવું નથી થયું. ત્યાં આજે પણ ઇસ્લામવાદીઓ સક્રિય છે અને તેઓ એમ ઈચ્છે છે કે બંગલાદેશ બંગાળી દેશ નહીં, પણ ઇસ્લામિક દેશ હોવો જોઈએ. છેલ્લાં વર્ષોમાં તેમની પ્રજાની અંદર સ્વીકૃતિ વધી રહી છે અને આજે જે મઝહબી સ્વીકૃતિ છે એ આવતીકાલે રાજકીય સ્વરૂપ પણ લઈ શકે છે. શેખ હસીનાને આ વાતનો ડર છે. એટલે જ્યારે સાવ નાબૂદ કરવામાં આવેલી અનામતની જોગવાઈને પાંચ ટકા કરીને સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી એ જોઇને શેખ હસીના ગેલમાં આવી ગયાં હતાં. એક તો ચૂંટણીમાં ત્રીજી વાર વિજય અને ઉપરથી અનામતની જોગવાઈને મળેલી મંજૂરી. વિરોધીઓને ભૂંડા લગાડવા તેમણે કહ્યું કે “દેશને આઝાદી અપાવનારા નરબંકાઓનાં સંતાનોને અનામત નહીં આપી એ તો શું રઝાકારોના સંતાનોને આપશું?”

આપણે ત્યાં જેમ હિન્દુત્વવાદીઓ હિંદુઓનું દેશપ્રેમી અને દેશદ્રોહી એવું વિભાજન કરે છે એમ બંગલાદેશમાં શેખ હસીના બંગાળીઓનું સાચા બંગાળી અને રઝાકાર બંગાળી એવું વિભાજન કરે છે. ૨૦૦૯થી જ્યારે પણ મોકો મળે ત્યારે રઝાકારોને નીંદવાનો અને દંડવાનો મોકો તેઓ ચૂકતા નથી. બંગલાદેશ આઝાદ થયું એ પછી ચાલીસ વરસે રઝાકારોને મૃત્યુદંડ આપવાની ઘટના પણ બની છે. પણ આ વખતે રઝાકારની રમત ઊંધી પડી રહી છે. ક્યાં સુધી ડરાવીને રાજ કરશો? ક્યાં સુધી કોઈના પર ગદ્દારીના લેબલ ચોડીને રાજ કરશો? ક્યાં સુધી ઠેકેદાર બનીને રાજ કરશો? દરેક રમતનો અંત હોય છે અને શેખ હસીનાનાં બંગાળી અસ્મિતાના રાજકારણનો પણ કદાચ અંત આવી રહ્યો છે.

રોજગારી વિનાની બંગાળી અસ્મિતા શા કામની? યુવાનોનો આ સવાલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—258

દીપક મહેતા|Opinion - Opinion|27 July 2024

સિદ્ધાર્થ નામનો અર્થ સિદ્ધ કરનાર એક ‘કોલની’વાસીની આપકથા         

લક્ષ્મણ ભગાજી પારધે

નામ, લક્ષ્મણ ભાગાજી પારઘે. ભણતરને નામે અલ્લાયો! ગામડામાં મજૂરીના પણ સાંસા. બૈરી અને ચાર છૈયાં-છોકરાંને લઈને મુંબઈ આવ્યા, કામની શોધમાં. વાંદરા(ઇસ્ટ)ના શાસ્ત્રી નગરમાં એક સગાનું ઘર. વાંદરા સ્ટેશનથી ગોઠણ સમાણા કાદવમાં ચાલીને એ ઘરે પહોચ્યા. થોડા દિવસ ત્યાં જેમતેમ કાઢ્યા. પણ એક દિવસ યજમાન સાથે ઝગડો થયો અને સાંજને વખતે જ એ ઘર છોડ્યું. ઉપર આભ અને નીચે ધરતી. શેરીના કૂતરા ભસતા ભસતા પાછળ પડ્યા. બધાના પેટમાં કૂકડા બોલે. પણ ખિસ્સાં ખાલી. એક રડીખડી ઉડુપ્પી હોટેલ નવી શરૂ થયેલી. મફતમાં ખાવાનું તો ન જ આપે, પણ દયા આવી હશે એટલે પીવાનું પાણી આપ્યું. બીજી આગ પાણીથી ઠરે, પણ પેટની આગ? અને વળી માથે છાપરું નહિ. એક ચોકમાં, ખુલ્લામાં બધાંએ રાત વિતાવી, ભૂખ્યા પેટે.

એ જમાનામાં રાતે સાડા નવ વાગ્યા પછી ભીખારીઓ વાંદરાના રસ્તાઓ પર ભીખ માગવા નીકળી પડે. કેમ આવા ઓતાડા ટાઈમે? કારણ એ વખતે અહીં મધ્યમ વર્ગ, કે તેનાથી નીચલા વર્ગની વસતી. કોઈના ઘરમાં ફ્રિજ ભાગ્યે જ હોય. એટલે ઘરનાં બધાં જમી લે પછી વધ્યું-ઘટ્યું હોય તે ગૃહિણીઓ આ ભીખ માગનારાઓને આપી દે. બીજી રાતથી શરૂ કર્યું આ રીતે પેટનો ખાડો પૂરવાનું. થોડા દિવસ પછી કોઈએ લક્ષ્મણને કહ્યું કે અહીં વાંદરા ઇસ્ટમાં જ એક નવી કોલોની બંધાઈ રહી છે. ત્યાં જૈન શેઠને મળી જો. કદાચ કામ મળી જાય. બીજે દિવસે સવારે જ પહોંચી ગયા. જોયું તો હજી બાંધકામ તો શરૂ પણ થયું નહોતું. કાદવ-કીચડવાળી ખરાબાની જમીનમાં ભરણી કરવાનું કામ ચાલતું હતું. બાજુમાં એક મોટો પથ્થર. તેના પર બેસીને રાહ જોવા લાગ્યા. કોઈકે કહ્યું કે આખા દિવસમાં ગમે ત્યારે એક વાર શેઠ અહીં આવે છે. એટલે ભૂખ-તરસની પરવા કર્યા વિના પથ્થર પર બેસી રહ્યા.

છેક સાંજે શેઠ આવ્યા. કોઈએ કહ્યું કે એક માણસ સવારથી તમારી રાહ જોઈને એક પથરા પર બેસી રહ્યો છે – ખાધાપીધા વગર. શેઠે લક્ષ્મણને બોલાવ્યો. એક નજર તેના મહેનતથી કસાયેલા શરીર પર ફેરવી. અને કહ્યું : ‘કાલ સવારથી કામ પર આવી જજે.’ પગાર? દિવસના પાંચ રૂપિયા! લક્ષ્મણ અને તેના કુટુંબ માટે તો સોનાનો સૂરજ ઊગ્યો. થોડા દિવસ પછી જ્યાં આ નવી ઈમારતો બંધાતી હતી ત્યાં એક ઝૂંપડું બાંધીને રહેવાની છૂટ આપી કોન્ટ્રેકટરે. અને લક્ષ્મણ પારઘેનું કુટુંબ આ બંધાયા વગરની કોલોનીનું પહેલું રહેવાસી કુટુંબ બન્યું!  આ કોલોની તે સાહિત્ય સહવાસ. અને એ જ લક્ષ્મણનો એક દીકરો, નામે સિદ્ધાર્થ પારઘે, આજે મરાઠી ભાષાના એક જાણીતા-માનીતા લેખક તરીકે પોતાના ફ્લેટમાં હક્કપૂર્વક આ સાહિત્ય સહવાસના ‘ફૂલરાણી’ મકાનમાં રહે છે. જાણે નાટકની ‘મંજુળા’નો પુરુષદેહી અવતાર! તેમની આત્મકથા ‘કોલની’ સાથોસાથ ‘સાહિત્ય સહવાસ’ કોલનીની પણ આપકથા બની રહી છે.

કોન્ડાબાઈ પારધે

લક્ષ્મણે શરૂઆત કરેલી ગાર-માટીનાં તગારાં ઉપાડનાર ‘બેગારી’ તરીકે. પછી જેમ જેમ મકાનોનું બાંધકામ આગળ વધતું ગયું તેમ તેમ કામ બદલાતું ગયું. કડિયા કામ, સુતારી કામ, પ્લમર (જેનો આપણે ખોટો ઉચ્ચાર કરીએ છીએ, ‘પ્લમ્બર.’), રંગારી કામ, વગેરે. કોલોનીની વચમાં બગીચો બનાવવા માળી બન્યા. પછી ઝૂંપડાને બદલે નવા બંધાતા મકાનમાં વારાફરતી રહ્યા. સ્લેબ પડી ગયા પછી કંતાનની કનાત બાંધીને તેમાં રહેવાનું. પહેલું મકાન બંધાઈને તૈયાર થયું તે ‘ઝપુર્ઝા.’ કેટલાંક કુટુંબો તરત રહેવા આવી ગયાં. પણ હજી પાણીની લાઈન તો આવી નહોતી. લક્ષ્મણે પખાલી બનીને ઘેર ઘેર પાણી પહોચાડ્યું. લક્ષ્મણની પત્ની કોન્ડાબાઈએ એ ઘરોમાં કપડાં-વાસણ-ઝાડુ-પોતાંનું કામ શરૂ કર્યું.

કોલનીનાં બધાં મકાન બંધાઈ રહ્યાં. હવે?  કોન્ટ્રેકટર ઉપરાંત રહેવા આવેલાં કુટુંબોને પણ લક્ષ્મણ પર પૂરો વિશ્વાસ બંધાઈ ગયો હતો. એટલે તેને વોચમેનની નોકરી આપી, પગાર મહિને ૧૦૦ રૂપિયા! પણ હવે અહીં રહેવાય તેમ તો હતું જ નહિ. અને ઘર લેવાના તો પૈસા નહિ. કોલનીમાં રહેતાં બૈરાંઓએ ઉઘરાણી કરીને ૭૦૦ રૂપિયા ભેગા કરી કોન્ડાબાઈને આપ્યા. (જે પછીનાં વરસોના પગારમાંથી વાળી લીધા હતા.) કોલની પાછળ આવેલી હનુમાન નગર નામની ઝૂંપડપટ્ટીમાં ‘ઘર’ લીધું. પછીથી એ જ જગ્યાએ ડ્રાઈવ-ઇન થિયેટર બંધાયેલું. હવે તો એ ય રહ્યું નથી.

સિદ્ધાર્થનાં આઈ-વડીલ બંને નિરક્ષર. પણ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. કોલોનીનાં રહેવાસીઓએ પણ બનતી મદદ કરી. કોઈએ ફી માટે થોડા પૈસા આપ્યા, કોઈએ ચોપડીઓ આપી. કોઈએ પોતાનાં જૂનાં કપડાં આપ્યાં. સિદ્ધાર્થ તેના પુસ્તકમાં લખે છે : “ખરું કહું? આજે પણ નવાં નક્કોર કપડાં પહેરતાં મારો જીવ નથી ચાલતો. મારા જન્મ દિવસે કે દિવાળીમાં મારી પત્ની કે મારો દીકરો મારે માટે કપડાં લઈ આવે ત્યારે દિવસો સુધી – બને તો મહિનાઓ સુધી, હું એ નવાં કપડાં પહેરવાનું ટાળું છું.”

અને પછી એક દિવસ હનુમાન નગરની ઝૂંપડપટ્ટી પાસે પહેલાં પોલીસો ખડકાયા. પછી મજૂરો અને ખટારા. જોતજોતામાં આખી ઝૂંપડપટ્ટી હતી ન હતી થઈ ગઈ. રહેવાસીઓને ખટારામાં ખડકી માલવણના કેમ્પમાં ધકેલી દીધા. પણ સિદ્ધાર્થને બારમા ધોરણની પરીક્ષા માથે તોળાઈ રહી હતી. હવે કરવું શું? પણ કહે છે ને કે એક બારણું બંધ થાય ત્યારે બીજું કોઈ બારણું ખૂલી જાય છે. આવું એક બારણું સિદ્ધાર્થ માટે ખૂલ્યું. બીજે ક્યાં? કોલનીમાં. પણ એની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 જુલાઈ 2024] 

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૬)

સુમન શાહ|Opinion - Literature|26 July 2024

સુમન શાહ

ખરા સાહિત્યકારો આધુનિક કે અનુ-આધુનિક કારિકાઓ – ફૉર્મ્યુલાઓ – પ્રમાણે સર્જન જવલ્લે જ કરતા હોય છે.

પરન્તુ વાચકો સાહિત્યિક સર્જનોને આધુનિક કે અનુ-આધુનિક દૃષ્ટિમતિથી વાંચી શકે છે જરૂર.

એટલું જ નહીં, સાહિત્યમાં સદા સર્વદા જીવન સમગ્ર હોય છે તેથી અને સાહિત્ય પૂર્ણપણે મનુષ્યના જીવનને વસ્તુજગતમાં મૂકીને નિહાળે છે તેથી, કોઈપણ વાચન-ભૂમિકાએથી સાહિત્યને વાંચી શકાય છે. એ ભૂમિકા કોઈપણ અભિગમ, વિચારસરણી કે દૃષ્ટિભંગિ અનુસારની હોઈ શકે છે.

જુઓ, આપણે અમુક સાહિત્યને ક્લાસિકલ કે રોમૅન્ટિસિસ્ટ કહીએ છીએ. પણ ત્યારે કેવા અભિગમથી, કઈ દૃષ્ટિએ, એમ કહેતા હોઈએ છીએ? આપણા એવા વાચનની ભૂમિકા શી હોય છે? જવાબ એ છે કે ત્યારે એ કૃતિ / કર્તાને આપણે ક્લાસિસિઝમ કે રોમૅન્ટિસિઝમના વિચારો-વિભાવોની દૃષ્ટિએ વાંચતા હોઈએ છીએ. આપણાં સાહિત્યિક નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો એ વાચન અનુસારનાં હોય છે.

જેમ કે, “શાકુન્તલ”-ને હું કલાસૌન્દર્યની દૃષ્ટિએ રસમીમાંસાની ભૂમિકાએ વાંચું; નર અને નારી વચ્ચે ઉદ્ભવતી પ્રીતિ અને વફાદારીની દૃષ્ટિએ પ્રેમમીમાંસાની ભૂમિકાએ વાંચું; પણ એને હું રાજા-પ્રજાના સમ્બન્ધની દૃષ્ટિએ રાજનીતિશાસ્ત્રની ભૂમિકાએ પણ વાંચી શકું.

જેમ કે, “ભગવદ ગીતા”-ને અધ્યાત્મદર્શન માટે કે કર્મ-ફળ સિદ્ધાન્તની સમજ મેળવવા વાંચું, પણ હું એને એક સર્વજ્ઞાતા પુરુષ અને પરાક્રમી વીર પુરુષ વચ્ચે રણાંગણમાં થયેલા દીર્ઘ પ્રશ્નોત્તર સંદર્ભે, સંવાદકલાની – આર્ટ ઑફ કૉન્વર્સેશનની – ભૂમિકાએ પણ વાંચી શકું.

આપણો કોઈ લેખક આપણને અનુ-આધુનિક લાગતો હોય, તો એમ લાગવાનું કારણ એ સ્વરૂપે થયેલું એની સૃષ્ટિનું આપણું વાચન છે. એ કારણે, કોઈની વાર્તાને કોઈકે આધુનિક ગણી હોય એ જ વાર્તાને કોઈક બીજો અધ્યેતા અનુ-આધુનિક ગણી શકે અથવા કોઈકને અનુ-આધુનિક લાગી હોય એ જ વાર્તાને કોઈક બીજો આધુનિક ઠેરવી શકે.

પરન્તુ મારા વાચનમાં મારી રુચિ, મારા ગમા-અણગમા, ભેદભાવ, વગેરે સબ્જેક્ટિવ ઍલિમૅન્ટ્સ ઘૂસી ગયાં હશે તો મારી એ વાચનભૂમિકા વિશ્વસનીય નહીં ઠરે. એથી મળેલાં પરિણામોને ચોખ્ખાં નહીં કહેવાાય. એને દૂષિત ગણવાં જોઇશે. એટલું જ નહીં, સામાવાળાઓ પોતાના ગમા-અણગમા જાહેર કરશે, એટલે ચડસાચડસી થશે, ટંટોફિસાદ થશે, પક્ષાપક્ષી થશે, અને તેથી એક જાતનું દુ:ખદ રાજકારણ પણ સરજાશે.

દાખલા તરીકે, હું સમાજશાસ્ત્રનું ભરપૂર જ્ઞાન ધરાવતો હોઉં એટલે મારું વાચન ઘણું ઉચિત હોય અને તેથી કૃતિ સાથેનો મારો મુકાબલો મારા માટે સાનુકૂળ હોય. મારાં એ સમાજશાસ્ત્રીય લેખાંજોખાં અનુસાર કૃતિ મહાન ઠરે. પરન્તુ જો એ કૃતિ મને મારા ગુજરાતી લેખકમિત્રની હોવાથી મહાન કે ઉત્તમ લાગી હોય, તો મારા એ મૂલ્યાંકનને ચોખ્ખું ન કહેવાય. અને, જો કોઈ કૃતિ ન-મિત્રની કે દુશ્મનની હોવાથી નિ:સામાન્ય લાગી હોય, તો પણ મારા એ મૂલ્યાંકન ચોખ્ખું નહીં કહેવાય.

હું રાજનીતિશાસ્ત્રનો પ્રકાણ્ડ પણ્ડિત હોઉં અને બીજા કોઈપણ શાસ્ત્રમાં મારી રુચિ હોય જ નહીં, અને હું “શાકુન્તલ” વાંચું, તો “શાકુન્તલ” મને નિ:સાર લાગે. પણ “સરસ્વતીચન્દ્ર”-માં ‘બુદ્ધિધનનો કારભાર’ કે ‘રત્નનગરીનું રાજ્યતન્ત્ર’ વાંચું તો એમાં મને ઘણો સાર વરતાય. એ જ રીતે, હું જો રોહિન્તન મિસ્ત્રીકૃત નવલકથા “એ ફાઇન બૅલેન્સ” વાંચું તો? કથામાં છે એ ચાર અજાણ્યા જન અને ૧૯૭૦-ના દાયકાની એ રાજદ્વારી ઊથલપાથલની નિરૂપણા મારી રાજનીતિપરક રુચિને ગમી જાય.

એ જ રીતે, હું જો ક્રાઇમ-ઇન્વેસ્ટર હોઉં કે ફૉરેન્સિક-નિષ્ણાત, તો જગવિખ્યાત મૂવી “ધ ગૉડફાધર” અને એ જ શીર્ષક ધરાવતી મારિયો પુઝોની નવલકથા પણ મને ગમી જાય. પાવરફુલ માફિયાઓ કેવું તો સમાન્તર રાજ ચલાવતા હોય છે, કેવું તો આગવું અર્થતન્ત્ર ગૂંથતા હોય છે, મને મજા પડે. અને ઘડીભર સમજો કે હું રીઢો ક્રિમિનલ હોઉં તો? તો તો એ સૃષ્ટિ જોઈને હું વારી જઉં, રાજીનો રેડ થઈ જઉં.

આ લેખના મારે ૪ સાર અંકે કરવા છે :

૧

આખા મામલામાં, નિર્ણાયક હોય છે, અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ. 

હું આજે અનુ-આધુનિક લાગું કે ગઈ કાલે આધુનિક હતો, એમ ગણીએ છીએ ત્યારે, એ મામલમાં વાચનની આપણી ભૂમિકા જ નિર્ણાયક હોય છે.

૨

મારો અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ, વાચન-ભૂમિકા નબળાં કે સબળાં હશે તો સંભવ છે કે મારું વાચન પણ નબળું કે સબળું હશે. એ સંજોગમાં હું આધુનિક સાહિત્યને કે અરે, અનુ-આધુનિક સાહિત્યને પણ ન્યાય નહીં આપી શકું બલકે હાનિ પ્હૉંચાડી બેસીશ.

૩

એક હકીકત અંકે કરવાજોગ છે : કોઈ કૃતિ મૂળે આધુનિક કે અનુ-આધુનિક હોય જ નહીં, તો એ આપણી વાચન-ભૂમિકાને નહીં ગાંઠે, આપણે ભૉંઠા પડી જઈશું. આપણી આધુનિકતાવાદી કે અનુ-આધુનિકતાવાદી વાચનભૂમિકા વ્યર્થ પુરવાર થશે, આપણે કશું લાભીએ નહીં.

૪

આપણને હંમેશા સવાલ થવો ઘટે કે અનુ-આધુનિક કૃતિ / કર્તા વિશેનાં આપણાં નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો અનુ-આધુનિક વિચારધારા અનુસારનાં ઑબ્જેક્ટિવ છે કે તેમાં ભેદભાવોથી લિપ્ત સબ્જેક્ટિવિઝમ પ્રવર્તે છે? 

સવાલ સાફ શબ્દોમાં થવો જોઇએ કે અનુ-આધુનિક સાહિત્યને આપણે આધુનિકતાને વિશેના દ્વેષભાવથી તો નથી વાંચતા ને? નારી અને દલિત તત્ત્વોવિષયક અનુ-આધુનિક સાહિત્યને આપણે ઉચ્ચાવચ લિન્ગભેદ અને ઉચ્ચાવચ વર્ણભેદની દૃષ્ટિએ તો નથી વાંચતા ને? 

કેમ કે ઉચ્ચાવચ લિન્ગભેદ સદીઓથી દૃઢ થયેલી પૈતૃક સત્તાની દેણગી છે અને વર્ણભેદ હીન અને કલંકિત વર્ણવ્યવસ્થાનું દુષ્ટતમ ફળ છે. એ બન્ને ભેદ આપણા લોહીમાં ભળી ગયા છે, ખરું કે નહીં?

= = =

(25 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...648649650651...660670680...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved