Opinion Magazine
Number of visits: 9457302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વર અલ્લાહ તેરો નામ, ગાંધીનું આ નથી કામ

અંકિત દેસાઈ|Gandhiana, Opinion - Opinion|4 March 2024

અંકિત દેસાઈ

હમણાં ગાંધીને નાના, ભૂલ ભરેલા કે તદ્દન ખોટા એવા સાબિત કરવાની હોડ છે. હોડ શેની, વોટ્સેપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને ઈન્સ્ટાગ્રામ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ્સ યુવાનોમાં તો ગાંધીને ગાળો દેવી એ ટ્રેન્ડ છે. ગાંધી વિશે આમ બીજું કશું ય જાણતા નહીં હોય, પરંતુ એક સવાલ પહેલો કરશે, ‘તો પછી ગાંધીએ સરદાર પટેલને વડા પ્રધાન શું કામ નહીં બનવા દીધા?’ પણ એ સવાલ પૂછનારાઓ જ સરદારના અન્ય ગુણો, તેમનાં કાર્યો કે તેમની ગાંધીમાંની શ્રદ્ધા વિશે તસુભાર નહીં જાણતા હોય. અને જાણતા હોય તો માત્ર ને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી સીમિતપણે, જેટલી હાલના રાજકારણને જરૂર છે એટલા જ જાણતા હશે. દુઃખ એ બાબતનું હોય છે કે રાજકીય કારણોસર શું કામ કોઈને ધિક્કરવા કે પ્રેમ કરવા?

ગાંધીને ગાળો દેવાની ફેશન અંતર્ગત સોશિયલ મીડિયામાં ગાંધી વિરુદ્ધમાં અનેક બાબતો આપણને જોવા મળે. એમાંની કેટલીકને સાવ ખોટા સંદર્ભમાં સમજાવાઈ હોય તો કેટલીક વાતો મૂળમાં જ ખોટી હોય. જો કે ગાંધીજીએ જીવનમાં કોઈ ભૂલો જ નહીં કરી હોય એવું પણ ન બની શકે. ગાંધીએ ભૂલો કરી જ છે. રાધર, ગાંધીએ પોતે કહ્યું છે કે હું એક જ બાબત પર બે જુદાં જુદાં મંતવ્યો આપું તો મારું બીજું મંતવ્ય સાચું માનવું! અને ગાંધી જ શું, જાહેર જીવનમાં જીવતી સૌ કોઈ વ્યક્તિએ અમુક આક્ષેપો, અમુક ગાળો, અમુક ધિક્કારોનો સામનો કરવાનો જ હોય. એટલે ગાંધી કંઈ એમાં બાકાત ન રહી શકે. પણ એ જ રીતે ગાંધીની ભૂલોની સામે કંઈ તેમણે કરેલા અનેક સામાજિક, શૈક્ષણિક (કેળવણી) કે ઈવન આર્થિક (ખાદી, મેક ઈન ઇન્ડિયા!) કાર્યોને હાંસિયામાં ન ધકેલી શકાય. એને નાનાં સાબિત ન કરી શકાય. કે નહીં તો એ કાર્યોને અવગણીને આગળ વધી શકાય.

ગાંધીએ સરદાર પટેલની જગ્યાએ નહેરુને વડા પ્રધાન તરીકે પસંદ કર્યા અથવા જિદ્દ કરી એ જો તેમની ભૂલ હોય તો એ જ ગાંધીએ સરદાર પટેલ, નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, લાલ બહાદુર શાસ્ત્રી કે મોરારજી દેસાઈ જેવા અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓ અને પછીથી દેશના વહીવટદારો તૈયાર કર્યા એ આપણે ભૂલી જવાનું? એનીવેઝ, ગાંધી મહાન હતા તો કેટલા મહાન હતા કે ગાંધીએ ભૂલો કરેલી તો કેટલી મોટી કરેલી એવી કોઈ સાબિતીઓમાં હમણાં નથી પડવું. અહીં વાત કરવી છે એક મજાના ફેક્ટ વિશે.

વાત એવી હતી કે પાછલાં વર્ષોમાં રાજકીય સનાતનીઓ એવું કહી રહ્યા છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ…’ ભજનધૂનમાં ‘ઈશ્વરઅલ્લાહ તેરે નામ’ જેવું તૂત ગાંધીજીએ પરાણે ઘૂસાડી દીધું છે. આ આખી વાતને ખૂબ ચગાવવા માટે અને ગાંધી કેટલા ખોટા અને તુચ્છ હતા એવું બતાવીને નવી પેઢીનું બ્રેઈનવોશ કરવા માટે બાકાયદા એક વીડિયો બનાવવામાં આવ્યો, જેમાં એક નાનકડું છોકરુ તેના વડીલને કહી રહ્યું છે કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ભજનમાં ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઘૂસાડીને ગાંધીએ સનાતન ધર્મ સાથે બહુ મોટો દગો કર્યો છે! એ વીડિયો પાછો એક ચોક્કસ ઈકો સિસ્ટમ દ્વારા વ્હોટ્સેપ પર પૂરબહારમાં વાઈરલ પણ કરાયો. જે જોઈને નવી પેઢી તો ઠીક, પણ જેમના વડવાઓ ગાંધીથી પ્રેરાઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પડ્યા હશે એવા વડીલોએ પણ ગાંધીને પેટ ભરીને ગાળો દીધી!

હવે વાતાવરણ જ એવું બનાવાયું છે કે હિન્દુત્વને જો કોઈએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો એ ગાંધી છે! જો કે અમુક ચોક્કસ વર્ગના લોકોને અને હિન્દુત્વના કહેવાતા ઠેકેદારોને ગાંધી શું કામ પસંદ નથી કે તેમને ગાંધી શું કામ આંખોમાં કણાંની જેમ ખૂંચે છે એ જુદી ચર્ચાનો વિષય છે. કારણ કે આશ્ચર્યની વાત એ પણ છે કે ગાંધી જીવતા હતા, ત્યારે ય અને આજે ય જેમને ગાંધી સામે વાંધો હતો એમને ઝીણા સામે કોઈ વાંધો નથી. ગાંધીની હત્યાના અનેક પ્રયાસો કરનારાઓએ ઝીણાનો વાળ પણ વાંકો કરવાનો પ્રયત્ન નથી કર્યો. કારણ કે ઝીણાએ ક્યારે ય રાજકારણ અને અંધશ્રદ્ધા મુક્ત શુદ્ધ સનાતનની હિમાયત જ નથી કરી!

‘ઈશ્વર-અલ્લાહ તેરે નામ’ પર પાછા આવીએ. કહેવાની વાત એ છે કે ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એવું ગાંધીજીએ ઘુસાડ્યું નથી. હા, ગાંધીજી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના કરાવતા ખરા. વળી, ગાંધીજીની પરવાનગીથી એક મજાની ‘આશ્રમ ભજનાવલિ’ પણ તૈયાર થયેલી. વળી, ગાંધીજીની ઉપસ્થિતિમાં એવા પણ પ્રયોગો થયા છે કે મંચ પર ગાંધીજીની સાથે દરેક ધર્મના, ખાસ તો હિન્દુ અને મુસ્લિમ સમુદાયના એક એક પ્રતિનિધિઓ પ્રાર્થનામાં જોડાય. પરંતુ આશ્રમમાં વર્ષો સુધી ગવાયાં એ ભજનોમાં કે પછી ગાંધીજીના પ્રવાસો દરમિયાન સવાર-સાંજ ગવાતી પ્રાર્થનાઓમાં એકબીજાના શબ્દો કે વાક્યોની ક્યારે ય ભેળસેળ નથી કરાઈ.

ગાંધી આમેય કંઈ ભેળસેળિયા હિન્દુ નહોતા. તેઓ ગીતાનો પાઠ શીખીને ગીતા પર ભાષ્ય લખનારા હતા. રોજ સવારે અને સાંજે નિયમિત પ્રાર્થના કરનારા હતા. રામમાં અતૂટ શ્રદ્ધા ધરાવનારા હતા અને તેમના પ્રખર હિન્દુ (કટ્ટર નહીં) હોવાનો સૌથી મોટો પુરાવો તો એ કે ગોડસેએ તેમની છાતીમાં જ્યારે ગોળી ધરબી દીધી ત્યારે પણ ઉચાટ પામ્યા વિના જીવનની છેલ્લી અને સૌથી કપરી ક્ષણે ‘હે રામ’ કહેનારા હતા! હા, તેઓ સર્વધર્મ સમભાવની વાત જરૂર કરતા, પરંતુ એ સર્વધર્મ સમભાવની હિમાયતમાં તેમણે ક્યારે ય સનાતન બાબતોને તોડી મોરોડી નથી.

તો પછી આ ઈશ્વર અલ્લાહ તેરે નામ જેવા શબ્દો ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજનમાં ઘૂસ્યા કઈ રીતે? તો કે આતંકવાદી શહીદ સુહરાવર્દીએ કલકત્તામાં ડાયરેક્ટ ઍક્શનના આદેશ આપ્યા પછી કલકત્તામાં હિન્દુઓની કત્લ થયા પછી નોઆખલી સહિત દેશભરમાં જે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા, ત્યારે ગાંધીજી એકલપંડે કલકત્તા અને નોઆખલીના પ્રવાસે નીકળી પડ્યા હતા. એ પ્રવાસ દરમિયાન તેઓ બંગાળના અનેક ગામોમાં શાંતિ સ્થપાય એ માટે ફર્યા હતા. એ શાંતિયાત્રામાં તેઓ લગભગ રોજ એક દંગા પીડિત ગામમાં આંટો મારતા, ત્યાંના પીડિતોને મળતા, ત્યાંની નુકસાનીનો તાગ મેળવતા અને ખાસ તો ત્યાં પ્રવચનો અને પ્રાર્થનાઓ કરાવતા.

એ દરમિયાન ૨૨મી જાન્યુઆરી ૧૯૪૭ના દિવસે ગાંધીજીનો ઉતારો પનિયાલા નામના ગામમાં હતો. એ દિવસે કસ્તૂરબાની પૂણ્યતિથિ પણ હતી. ગાંધીનો સનાતન પ્રેમ જાણવો હોય તો અહીં એક ઉદાહરણ મળે છે. કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગાંધીજી અચૂક આખી ગીતાનું પારાયણ કરતા! કર્મકાંડ બાબતે રેશનલ કહી શકાય એવા ગાંધીજી કસ્તૂરબાની પૂણ્યતિથિએ ગીતાપાઠ કદાચ એટલે જ કરતા હશે કે ગીતાપાઠથી તેમને ધરપત મળી રહે અને કસ્તૂરબાનો અભાવ તેમને ઓછો પીડે! તો એ દિવસે સાંજની પ્રાર્થનામાં મનુબહેન ગાંધીએ ભજન ગાવાનું હતું. થયેલું પાછું એવું કે સાંજની પ્રાર્થના શરૂ થઈ ત્યાં જ વરસાદ તૂટી પડેલો, પણ પ્રાર્થનાનો નિયમ ચુસ્ત હોઈ, વરસાદમાં ન તો ગાંધીજી મંચ પરથી ઊઠ્યા કે નહીં પ્રાર્થનામાં આવેલા લોકો! મનુબહેન ગાંધી એમ પણ નોંધે છે ‘એ દિવસે પ્રાર્થનામાં મુસલમાન પુરુષોની સંખ્યા સારી એવી હતી.’

પ્રાર્થના ગાતી વખતે મનુબહેને ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ ભજન ઉપાડ્યું અને એમાં તેમણે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ ઉમેરીને ગાયું. એ ધૂન ગાતી વખતે મનુબહેનને ફડક હતી કે હું આવું ગાઉં છું તો મુસલમાન પુરુષોને અને બાપુને કેવું લાગશે? પરંતુ ધૂન ચાલતી હતી ત્યારે પ્રાર્થનામાં બેઠેલા લોકોએ પણ ધૂનને સરસ રીતે, આનંદ સાથે ઝીલી અને બાપુએ પણ પ્રાર્થના પછીના પોતાના પ્રવચનમાં ધૂનનાં વખાણ કર્યાં.

જો કે ‘ઈશ્વર અલ્લાહ તેરે નામ’ને મનુબહેને પણ કંઈ પોતાની રીતે ધૂનમાં સ્થાન આપ્યું નહોતું! એ તો પ્રાર્થના સ્થળેથી પાછા ફરતી વખતે ગાંધીજીએ મનુબહેનને પૂછ્યું કે તું ક્યાંથી શીખી? કે તેં જાતે બનાવી? ત્યારે મનુબહેને કહ્યું કે ‘પોરબંદરના સુદામા મંદિરના સભાગૃહમાં એક બ્રાહ્મણ મહારાજ પોતાની કથા પૂરી થયા પછી આ ધૂન ગવડાવતા. એ કથામાં દરેક કોમના લોકો ભાગ લઈ શકતા હતા. ત્યાં એ ધૂન સાંભળેલી, જે મને આજે સૂઝી!’

મનુબહેનની વાત સાંભળીને ગાંધીને બહુ રાજીપો થયેલો. તેમણે ખાસ તો એમ કહ્યું કે સુદામા મંદિરમાં અને તે પણ બ્રાહ્મણે અલ્લાહનું નામ બહુ સ્વાભાવિકતાથી લીધું એ ગમ્યું. આવું કલુષિત વાતાવરણ તો છેલ્લાં પાંચસાત વર્ષોમાં જ વધી ગયું છે. તું હમણાં આ ભજન રોજ ગાજે!’ જો કે ગાંધીજીને ખબર નહોતી કે તેમની હયાતીના છેલ્લાં પાંચસાત વર્ષોમાં કલુષિત થયેલું હંમેશાં કલુષિત જ રહેવાનું છે. એ તો ઠીક એ વાતાવરણ ભારતના રાજકારણનો મુખ્ય વિષય બની રહેવાનો છે. અને કલુષિતતામાં ને કલુષિતતામાં જ બંને તરફના લોકો માટે પોતાનો ધર્મ એ આચરણનો વિષય નહીં, પરંતુ શક્તિપ્રદર્શનનો રાજકીય વિષય બની રહેશે!

ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં ભારતની જ કોઈક પેઢી એવું પણ માનશે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે ગાંધીજી જવાબદાર છે. અને આ ગાંધીજીએ જ હિન્દુ સમાજને અન્યાય કર્યો છે. ગાંધીજીને એ પણ ક્યાં ખબર હતી કે આ રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરે નામ ભેળવીને ગાવામાં પણ તેમની ટીકા કરવામાં આવશે. બલકે ગાંધીજીને તેમની હત્યાના એક વર્ષ પહેલાં સુધી એ પણ ખબર નહોતી કે પોરબંદરના સુદામા મંદિરમાં આવું સરસ ભજન પણ ગવાય છે.

e.mail : ankitdesaivapi@gmail.com
ankitdesai.in
પ્રગટ : “નવનીત સમર્પણ”; જાન્યુઆરી 2024; પૃ. 89-92

Loading

પરીક્ષા જ જીવન છે અને જીવન પરીક્ષા સિવાય કૈં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભણવાનું થાય કે ન થાય, પરીક્ષા ચાલ્યા જ કરે છે. એડમિશન જોઈએ, તો પરીક્ષા. પીએચ.ડી. કરવું છે, તો એન્ટ્રન્સ ટેસ્ટ. નોકરી જોઈએ તો પરીક્ષા. નોકરીમાં પ્રમોશન જોઈએ તો પરીક્ષા, એમ ડગલે ને પગલે વ્યક્તિએ પરીક્ષાનો સામનો કરવાનો આવે છે. આ પરીક્ષાઓ આપનારા ગરબડ કરે એટલું પૂરતું નથી, પરીક્ષા લેનાર પણ છબરડા વાળે છે. એકને બદલે બીજા વિષયનું પેપર અપાઈ જાય કે એકને બદલે પરીક્ષાર્થી બીજું જ પેપર લખી આવે ને પાસ પણ થઈ જાય એની નવાઈ નથી. આ બધું અપવાદોમાં હોય તો પણ, કોઈક સ્તરે ગરબડ ન હોય એવું ભાગ્યે જ બને છે ને એનો વ્યાપ પ્રિ-પ્રાઈમરીથી લઈને યુનિવર્સિટી સુધીનો હોઈ શકે છે. એ તો ઠીક, પણ ખાતાકીય પરીક્ષાઓમાં કે યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) કે જી.પી.એસ.સી. (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષાઓમાં પણ ભારોભાર બેદરકારી જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે પરીક્ષા આપનાર કે લેનાર કોઈ વાતે ગંભીર કેમ નથી? કૈં પણ સારું હવે અકસ્માત ગણાય એવી સ્થિતિ છે. લગભગ તમામ સ્તરે ભ્રષ્ટતા, બેદરકારી ને બેફિકરાઈ વખતોવખત જોવા મળે છે. એમાં ક્યાંક પૈસાનો છાક પણ ભાગ ભજવતો હશે, પણ આ બધું એક વિધિ થઈને રહી ગયું છે.

શૈક્ષણિક પરીક્ષાઓમાં છબરડાની નવાઈ નથી, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં કયા પ્રકારની બેદરકારી ચાલે છે તેનું એક જાણીતા અખબારે 29 ફેબ્રુઆરી, 2024ને રોજ સંશોધન પ્રગટ કર્યું, તે ચોંકાવનારું છે. યાદ રહે કે આ જોખમ બીજે નહીં, પણ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં ઊભું થયું છે, જે કોઇની કેરિયરને દાવ પર લગાવી શકે છે. આમ તો ગુજરાતી જોડણી કોઈ છાપામાં સાચી લખાય તો આઘાત લાગે, પણ પરીક્ષાઓમાં સાચી જોડણીને લગતો સવાલ પુછાય છે, એમ જ જી.પી.એસ.સી.માં પણ પુછાયો. તેના જવાબમાં એક ઉમેદવારનો જવાબ સાચો ગણાયો ને બીજાનો એ જ જવાબ ખોટો ગણાયો. એવો જ એક સવાલ વિધાન વાક્યને પ્રશ્ન વાક્યમાં ફેરવવાનો હતો. તેમાં પણ, સાચા જવાબમાં, એકને સાચો ગણાયો ને બીજાને ખોટો ગણાયો. એક સવાલ કોઈ સામયિકના તંત્રીને શુભેછા પત્ર પાઠવવાનો હતો. તેનો જવાબ બરાબર લખાયો, પણ પેપર તપાસનારે તેને ઝીરો આપતા એવી નોંધ મૂકી કે ઉમેદવાર પ્રશ્નને સમજ્યો નથી ને નિબંધની માહિતી પ્રાસંગિક નથી, જ્યારે હકીકત એ છે કે પેપર ચેકર સાહેબ જ પ્રશ્ન સમજ્યા નથી ને પત્રને નિબંધ ગણીને સાચા જવાબને ઝીરો આપ્યો છે. એ પરીક્ષકને શું કહેવું જે લખાયેલ જવાબને જોતાં નથી અને ‘ક્વેશ્ચન નોટ એટેમ્પ્ટેડ’ જેવી વાહિયાત ટિપ્પણી કરે છે. એક ઉમેદવારે અંગ્રેજીના પેપરના સેકશન-એના જવાબમાં સેકશન બી-નો જવાબ લખ્યો તો એને ઝીરો આપ્યો ને સેકશન-બીના જવાબમાં સેકશન એ-નો જવાબ લખ્યો તો એનો જવાબ માન્ય ગણીને 10 માર્ક્સ આપ્યા. આવું કોઈ સાધારણ પરીક્ષક પણ, ભાનમાં હોય તો ન કરે. એક જ જવાબને એક જ પરીક્ષક, એક વિદ્યાર્થીને માટે સાચો ગણે ને બીજા વિદ્યાર્થીને માટે ખોટો ગણે એમાં ઘોર બેદરકારી સિવાય કૈં નથી. આવું એકથી વધુ કિસ્સામાં બને એ શરમજનક છે. આવા પરીક્ષક સામે તાત્કાલિક રીતે કાનૂની રાહે પગલાં ભરાવા જોઈએ. બન્યું તો એવું પણ છે કે જેનો ક્રમાંક આગળ હોય તેવા ઉમેદવારોને વધુ માર્ક્સ અપાયા છે.

જી.પી.એસ.સી.ની ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલકી સેવા વર્ગ-1,2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-1,2(2021)ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ લખેલ જવાબો તપાસવામાં ગંભીર બેદરકારી બહાર આવી છે. આ ઉમેદવારોનું મેરિટ મુખ્ય પરીક્ષાનાં પરિણામ અને ઇન્ટરવ્યૂ પરથી નક્કી થાય છે, એમાં પણ પરીક્ષામાં સારો દેખાવ ન હોય તો વાત ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચતી નથી, એ પરથી પણ આ પરીક્ષાઓ કેટલી મહત્ત્વની છે તે સમજી શકાય એમ છે, એવી પરીક્ષામાં એક એક માર્ક માટે તીવ્ર સ્પર્ધા હોય, ત્યારે પેપર ચેકર બેદરકારીથી પેપર તપાસે તો તે અપરાધ છે ને તેવા પરીક્ષકની સાથે તે જ રીતે વર્તવાનું રહે. ખરા જવાબના માર્ક ન અપાય ને ખોટાના અપાય તે બધી રીતે અક્ષમ્ય છે.

આ વાત કેટલાક ઉમેદવારોના ધ્યાને આવી અને ક્લાસ 1-2(મુખ્ય)ના 128 ઉમેદવારોએ ઉત્તરવહીઓ રજૂ કરીને પરિણામ જ હાઇકોર્ટમાં પડકાર્યું ને એમાં જે મેરિટમાં હતા તે ઉમેદવારોએ પણ ટેકો આપ્યો, એટલે કામ થોડું સરળ થયું. ઉમેદવારોએ સામેથી પોતાની ઉત્તરવહીઓ આપી ને એમ 600 ઉત્તરવહીઓ ભેગી કરવામાં આવી. ઉમેદવારોએ એસ.ઓ.પી.ની માંગ કરી ને મોડેલ આન્સર કીને આધારે પેપર તપાસાય તેવો આગ્રહ રાખ્યો. આર.ટી.આઇ. હેઠળ વિગતો માંગવામાં આવી તો જાણવા મળ્યું કે શિક્ષણ બોર્ડની જેમ જ જી.પી.એસ.સી. કે યુ.પી.એસ.સી.માં રિ-એસેસમેન્ટની વ્યવસ્થા નથી. મુખ્ય પરીક્ષા પછી ઉમેદવારોને આન્સર કી અપાય છે ને જે ઉમેદવારો પરિણામથી રાજી ન હોય તે અરજી કરી શકે છે. બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કી હોય છે, એવું જી.પી.એસ.સી.ની વર્ગ 1,2ની પરીક્ષામાં નથી. જી.પી.એસ.સી. કોઈ આન્સર કી તૈયાર કરતું નથી. આર.ટી.આઇ.ના જવાબમાં એવું પણ બહાર આવ્યું કે વર્ણનાત્મક પ્રશ્નપત્ર માટે કોઈ મોડેલ આન્સર કી તૈયાર કરવામાં આવતી નથી. જો બોર્ડની પરીક્ષામાં મોડેલ આન્સર કીથી પેપરોની ચકાસણી થતી હોય તો જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં મોડેલ આન્સર કી તૈયાર ન કરાય ને પરીક્ષકની મુનસફી પર ઉમેદવારને છોડી દેવાય એ બરાબર નથી – જો પરીક્ષક એક જ જવાબને, એકને માટે સાચો ને બીજાને માટે ખોટો ગણતો હોય ત્યારે તો ખાસ ! કમ સે કમ મોડેલ આન્સર કી-થી ઉમેદવારોનું મૂલ્યાંકન સરખી પદ્ધતિએ તો થાય. એમ થશે તો મૂલ્યાંકનમાં કોઈ પ્રકારનું સમાન ધોરણ જી.પી.એસ.સી. જેવી મહત્ત્વની પરીક્ષામાં જળવાશે.

એ અત્યંત દુ:ખદ છે કે જી.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પરીક્ષક પેપર ચકાસણીની બાબતે જરા પણ ગંભીર નથી. ઉમેદવારોનું ભવિષ્ય જેના પર અવલંબિત છે તેમને અન્યાય ન થાય એની કાળજી જી.પી.એસ.સી.ના આયોજકોએ લેવી જોઈએ. આ બધું મફતમાં થતું નથી. દરેક વખતે ફી ઉઘરાવાય છે. અનેક પ્રકારની ફોર્માલિટીસ પૂરી કરવામાં આવે છે. ઉમેદવારો ખેંચાઈ-તણાઈને દૂર દૂર પરીક્ષાઓ આપવા દોડે છે, એ આશાએ કે પરીક્ષામાં સફળતા મળે તો ઇન્ટરવ્યૂ નીકળે ને તેમાં દા’ડો વળે તો નોકરીનું ઠેકાણે પડે ને વર્ષોની મહેનત રંગ લાવે. આ બધું સાધારણ ઉમેદવાર માટે હાથવગું નથી. હવે તો ઉચ્ચ શિક્ષણનો ખર્ચ લાખોમાં આવતો હોય છે. એ ભણતર માટે લોન લેવાઈ હોય છે. એ ભરપાઈ કરવાની ચિંતા સાધારણ કુટુંબની ઊંઘ હરામ કરતી હોય છે. એમાં વળી એક ભય ઉંમર પુરાઈ જવાનો હોય છે. ઉંમર વીતી જાય તો નોકરીની તકો ઘટી જતી હોય છે. આખું કુટુંબ એ આશ પર બેઠું હોય છે કે દીકરા કે દીકરીને યોગ્ય નોકરી મળી જાય તો વર્ષોથી ઊંચો રહેલો જીવ હેઠો બેસે ને જી.પી.એસ.સી. જેવી પરીક્ષાના પરીક્ષકો ખરાને ખોટું ગણી માર્ક ન આપે ને ખોટાને ખરું ગણી માર્ક આપે તો જે લાયક છે તેનું જાણ્યે-અજાણ્યે કેવું અહિત કરે છે તેની તેમને કલ્પના જ નથી. એવા પરીક્ષકની સામે કડકમાં કડક પગલાં ભરવામાં જી.પી.એસ.સી.ના અધિકારીઓએ જરા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. એ તો સારું છે કે ઉમેદવારો એક થયા ને એમણે ઉત્તરવહીઓ ભેગી કરીને વાત હાઇકોર્ટ સુધી પહોંચાડી. એનો તો જે ચુકાદો આવવાનો હશે તે આવશે, પણ આવી વાતો ઘણુંખરું બહાર આવતી નથી ને આવે તો તેનો યોગ્ય નિકાલ થતો નથી.

એમ લાગે છે કે ઠેર ઠેર નાની મોટી વાતના દેખાડામાં જ પ્રજા એવી વ્યસ્ત થઈ ગઈ છે કે દેખાડો જ જીવન થઈ ગયું છે. જીવન ઉપરછલ્લું થઈ ગયું છે. લોકો જાણે ઉપર ઉપરથી જ જીવે છે ને ઊંડે ઊતરવાની કે સારું-ખરાબ જોવાની કે તેને લગતું ચિંતન કે ચિંતા કરવાની કોઈને પડી જ ન હોય એમ સૌ વર્તે છે. એક તરફ ટેકનોલોજી માણસ પર રાક્ષસી રીતે સવાર થઈ રહી છે ને બીજી તરફ માણસ વધુને વધુ બેફિકર, બેદરકાર અને બેજવાબદાર થઈ રહ્યો છે. આવામાં પણ એક વર્ગ જીવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. જીવનમાં સફળ થવા માટેની તેની કોઈ કારી ફાવતી નથી ને ચોતરફ અન્યાયનો ભોગ બનવાનું આવે છે. એ વર્ગ નાનો નથી ને સહાનુભૂતિની જરૂર એને છે. એને આંસુ આવે તો છે, પણ તે બતાવી શકતો નથી ને ધારો કે બતાવે તો એ જોવાની કોઈને ફુરસદ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 માર્ચ 2024

Loading

કેવી રીતે ઓલ ઇન્ડિયા રેડિયોના તઘલખી નિર્ણયે અમીન સાયાનીનું સર્જન કર્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 March 2024

રાજ ગોસ્વામી

આજના સોશિયલ મીડિયા, ટેલિવિઝન અને ઇન્ટરનેટના જમાનામાં, લોકો માટે એ કલ્પના કરવી મુશ્કેલ છે કે ભારતમાં એક સમયે લોકોએ એક અવાજને સાંભળવા માટે 42 વર્ષ સુધી સમય ફાળવ્યો હતો. શહેર હોય કે ગામડું, ઘર હોય કે દુકાન, લાખો લોકો દર બુધવારે રાતે 8 વાગે રેડિયો સામે બેસી જતા હતા અને ‘બહેનો ઔર ભાઈઓ’ના ઉદ્દબોધન સાથે શરૂ થતી અમીન સાયાની ફિલ્મી ગીતોની હિટ-પરેડ સાંભળવા ઉત્સુક રહેતા હતા. અવાજ સાથેનો લોકોનો એ રોમાન્સ અને રેડિયો સાથેની અમીન સાયાનીની એ લૌકિક સફર 21મી ફેબ્રુઆરીએ કાયમ માટે પૂરી થઇ ગઈ. 91 વર્ષના અમીન સાયાની હવે સ્વર્ગમાં તેમની બીજી પાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હશે!

બિનાકા ગીતમાલા, અમીન સાયાની અને રેડિયો સિલોન, ભારતના રેડિયો પ્રોગ્રામિંગની દુનિયામાં અમર નામ છે. ત્રણે એકબીજાનાં પૂરક છે, ત્રણે એક બીજા વગર અધૂરાં છે. એક વ્યક્તિ માત્ર તેના અવાજની બહેતરીન શૈલીથી લોકોનાં દિલ જીતી લે તેવું સંગીતની દુનિયામાં બન્યું છે, પરંતુ રેડિયો બ્રોડકાસ્ટિંગની દુનિયામાં અમીન સાયાની ના ભૂતો ના ભવિષ્ય જેવી ઘટના છે.

ત્યાં સુધી કે બિનાકા, જે મૂળે એક ટૂથપેસ્ટની બ્રાંડ હતી, તેનું નામ બદલાઈને સિબાકા કરવામાં આવ્યું હતું છતાં, લોકો અમીન સાયાનીને બિનાકા ગીતમાલાથી જ ઓળખતા રહ્યા હતા. 1989માં, બિનાકા ગીતમાલાને વિવિધ ભારતી પર શિફ્ટ કરવામાં આવી હતી, પરંતુ શ્રોતાઓ ક્યારે ય રેડિયો સિલોનના તેના સોનેરી દિવસોને ભૂલી શક્યા ન હતા.

શ્રીલંકા સ્થિત રેડિયો સિલોન, જે એશિયાનું પહેલું રેડિયો સ્ટેશન હતું, તેના ઇતિહાસમાં બિનાકા ગીતમાલા જેવો બીજો કોઈ લોકપ્રિય કાર્યક્રમ બનાવી શક્યું નહોતું. બિનાકા ગીતમાલા તેની હિન્દી સેવાનો હિસ્સો હતો અને જાહેરખબરના રૂપે તેને કરોડો રૂપિયાની આવક થઇ હતી. રેડિયો સિલોન, બિનાકા ગીતમાલા અને અમીન સાયાનીનો જાદૂ કેવી રીતે છવાયો તેની પણ એક દિલચસ્પ વાર્તા છે.

કેવું કહેવાય કે વડા પ્રધાનથી લઈને વડનગરવાસીઓ આજે અમીન સાયાનીને તેમની જે ફિલ્મી હિટ પરેડ માટે યાદ કરે છે, તેને ભારતમાંથી શ્રીલંકામાં ધકેલી મુકવામાં તત્કાલીન સરકારનો જ હાથ હતો! કેવી રીતે?

દેશની પહેલી નહેરુ સરકારમાં, બાલકૃષ્ણ વિશ્વનાથ કેસકર 1952થી 1962 સુધી માહિતી અને પ્રસારણ મંત્રી હતા. કાશી વિદ્યાપીઠમાં ભણેલા અને બનારસ સંસ્કૃત વિદ્યાપીઠમાં લેકચરર રહી ચુકેલા કેસકર એવું માનતા હતા કે મુસ્લિમ અને અંગ્રેજી શાસન હેઠળ ભારતમાં સંગીતની પડતી થઇ છે અને રેડિયોનું કામ શુદ્ધ શાસ્ત્રીય સંગીતનો પ્રચાર કરવાનું છે. 

તેમણે રેડિયો પર હિન્દી ફિલ્મ ગીતો, ક્રિકેટ કોમેન્ટ્રી અને હારમોનિયમ પર પ્રતિબંધ મૂકી દીધો હતો! તે માનતા હતા કે હિન્દી ગીતો અશ્લીલ બની ગયાં છે અને બ્રિટિશરોએ તેમની સાંસ્કૃતિક ગુરુતા સાબિત કરવા માટે ક્રિકેટને અને હારમોનિયમને ભારતમાં ‘ઘુસાડ્યું’ છે, જે તેમના ગયા પછી ભારતમાં આમ પણ જીવંત રહેવાનું નથી!

તે વખતનાં લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો, જેવાં કે તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે (ફિલ્મ બાઝી, 1951) અને મૂડ મૂડ કે ના દેખ(શ્રી 420, 1955)માં પશ્ચિમી ઓરકેસ્ટ્રા હતાં અને તેની ગાવાની શૈલી યુરોપિયન જીપ્સી સંગીતની હતી, કેસકરના સેન્સરમાંથી પાસ થયાં નોહતાં. તે માનતા હતા કે ગીતોમાં વાંસળી, તાનપુરા અને સિતારનો ઉપયોગ થવો જોઈએ!

સાંસ્કૃતિક સાફ-સફાઈના નામે તેમણે શરૂઆતમાં ઓલ ઇન્ડિયા રેડિયો પર ‘10 ટકાનું રેશનિંગ’ નાખ્યું. મતલબ કે રેડિયો પર પ્રસારિત થતાં તમામ ગીતોમાં, હિન્દી ફિલ્મોનાં ગીતોનો હિસ્સો 10 ટકા જ રહેશે. બીજું, એ તમામ ગીતોની ચકાસણી થશે અને ‘વાંધાજનક’ ગીતો રદ્દ થશે. ત્રીજું, મંજૂર થયેલાં ગીતોની ફિલ્મોનું નામ બોલવામાં નહીં આવે કારણ કે તેમાં ફિલ્મની જાહેરાત થાય છે. ખાલી ગાયક કલાકારનું નામ જ લેવામાં આવશે!

એમાં ફિલ્મ ઉદ્યોગે શિંગડાં ભરાવ્યાં. જે નિર્માતાઓએ ફિલ્મ ગીતોના હક્કો ઓલ ઇન્ડિયા રેડિયોને આપ્યા હતા, તેમણે તે પાછા ખેંચી લીધા. કદાચ, કેસકર આવું જ ઇચ્છતા હતા. ત્રણ જ મહીનામાં, રેડિયો પરથી હિન્દી ફિલ્મ સંગીત સદંતર અદૃશ્ય થઇ ગયું અને માત્ર શાસ્ત્રીય સંગીતના સૂરો જ રેલાવા લાગ્યા.

તે વખતે, ભારતના ટચુકડા પાડોશી શ્રીલંકામાં, રેડિયો સિલોન (16 ડિસેમ્બર, 1925ના રોજ કોલંબો રેડિયો તરીકે તેની શરૂઆત થઇ હતી) લોકપ્રિય થઇ રહ્યો હતો. તે વખતે, 1952માં, ડેનિયલ મોલિના નામનો એક અમેરિકન સાહસિક, મુંબઈમાં રેડિયો ઍડ્વર્ટાઇઝિંગ સર્વિસ ચલાવતો હતો. તેણે મુંબઈની બિનાકા ટૂથપેસ્ટ બનાવતી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ કંપની માટે રેડિયો સિલોન પર અંગ્રેજી ગીતોની હિટ પરેડ બનાવી હતી. આ શો હમિદ સાયાની નામના બ્રોડકાસ્ટર ચલાવતા હતા.

ડેનિયલને, હિન્દી ફિલ્મ ગીતોની લોકપ્રિયતાના ખભે ચડીને હિન્દી માર્કેટમાં બિનાકા ટૂથપેસ્ટનો પગ જમાવવાનો વિચાર આવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો પર આવો કાર્યક્રમ શક્ય નહોતો એટલે, હમિદ સાયાનીએ તેમના લઘુ બંધુને સૂચન કર્યું કે તું અંગ્રેજી જેવો જ કાર્યક્રમ હિન્દીમાં કર. એ લઘુ બંધુ એટલે અમીન સાયાની! સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તાજા જ ગ્રેજ્યુએટ થયેલા 20 વર્ષના સાયાની જીવનમાં શું કરવું તેની ગડમથલમાં હતા ત્યાં જ અ તક આવી પડી હતી.

બે વર્ષ પહેલાં, એક ઇન્ટરવ્યૂમાં અમીન સાયાનીએ તેને યાદ કરીને કહ્યું હતું, “જાહેરખબરની એજન્સી અઠવાડિયાના એક શો માટે મામૂલી 25 રૂપિયા આપવા તૈયાર હતી અને તેના માટે કોઈ તૈયાર થતું નહોતું એટલે હમિદભાઈએ મને એ કામ વળગાળ્યું. એ રીતે બિનાકા ગીતમાલાની શરૂઆત થઇ હતી.”

મખમલી અવાજના માલિક સાયાનીએ તે વખતના માહોલને ધ્યાનમાં રાખીને, હિન્દી-ઉર્દૂ મિશ્રિત હિન્દુસ્તાની જબાનમાં આ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને તેમાં તેમણે ‘સરતાજ’ અને ‘પાયદાન’ જેવા અસાધારણ શબ્દો વાપરવાનું શરૂ કર્યું હતું. 3જી ડિસેમ્બર 1952ના રોજ, સાત ગીતોની હિટ-પરેડ સાથે પહેલો શો પ્રસારિત થયો અને રાતોરાત હિટ થઇ ગયો. ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રતિબંધના કારણે, ‘ભૂખ્યા’ શ્રોતાઓ રેડિયો સિલોન પર તૂટી પડ્યા. એક જ વર્ષની અંદર, સાયાનીની મુંબઈ સ્થિત ઓફિસમાં દર અઠવાડિયે 65,000 પત્રોનો ઢગલો થઇ ગયો. ફિલ્મ સંગીતના ચાહકોના પત્રો વધ્યા તેમ ગીતો પણ વધ્યાં અને સાતમાંથી 16 સુધી પહોંચ્યાં.

બિનાકા ગીતમાલાની લોકપ્રિયતાની એક ઝલક આપતાં, અમીન સાયાનીએ, 2010માં, એક અન્ય ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “50 અને 60ના દાયકામાં, આખા એશિયામાં થઈને અંદાજે 20 કરોડ લોકો દર અઠવાડિયે બિનાકા ગીતમાલા સાંભળતા હતા. મને એ જાણીને આશ્ચર્ય થાય છે કે આજે પણ એવા હજારો લોકો છે જેમણે તેમની ડાયરીમાં વાર્ષિક કાર્યક્રમનાં ગીતો લખી રાખ્યાં છે એટલું જ નહીં, 46 વર્ષ પહેલાંના અઠવાડિક કાર્યક્રમની યાદી પણ નોંધી રાખી છે.”

ઇન્ટરવ્યૂના અંતે, સાયાનીએ આશાવાદી સ્વરે ઉમેર્યું હતું, “મારા કાર્યક્રમના માધ્યમથી, મેં એક સુખદ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દોસ્તી, એકતા, શાંતિ અને ન્યાય માટે અનુકૂળ હોય. હું એક એવી દુનિયા ઈચ્છું છું જે શાંતિપૂર્ણ, સ્વચ્છ, સ્વસ્થ અને સૌમ્ય હોય. તે મને કિશોર કુમારના ગીતની યાદ આપાવે છે – આ ચલ કે તુજે, મૈં લે કે ચલું, એક એસે ગગન કે તલે, જહાં ગમ ભી ના હો, આંસુ ભી ના હો, બસ પ્યાર હી પ્યાર પલે …”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...641642643644...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved