Opinion Magazine
Number of visits: 9741284
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત, પાકિસ્તાન, બાંગલાદેશમાં ભજવાતું ફારસ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2024

રમેશ ઓઝા

મોહનદાસ કરમચંદ ગાંધી ભલે દાવો કરતા હોય, ભારતમાં ભારતીય રાષ્ટ્રવાદ જેવી કોઈ ચીજ નથી, જે છે એ ધર્મ આધારિત કોમી રાષ્ટ્રવાદ છે અને તે પરસ્પર ભિન્ન છે. એક છે હિંદુઓની રાષ્ટ્રીયતા અને બીજી છે મુસલમાનોની રાષ્ટ્રીયતા. તે બેની વચ્ચે સમાનતા નહીંવત્ છે અને જે છે એ પણ ગૌણ છે. માટે આ બે પ્રજા સાથે રહી શકે એમ નથી. હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૩૭ની સાલમાં પક્ષના અમદાવાદ અધિવેશનમાં આમ કહ્યું હતું અને ૧૯૪૦માં મુસ્લિમ લીગના નેતા મહમ્મદ અલી ઝીણાએ લીગના લાહોર અધિવેશનમાં આમ કહ્યું હતું. આમ એટલે અદ્દલ એક સરખી ભાષામાં ડીટ્ટો. બન્ને ઠરાવો ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો.

એ પછી જે થયું એ ઇતિહાસ છે. ભારતનું ધર્મના નામે વિભાજન થયું અને મુસ્લિમ અથવા ઇસ્લામની રાષ્ટ્રીયતા આધારિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે રાષ્ટ્રવાદની જે પહેલી શરત હોય છે બહુમતીની તો એ બહુમતીની શરત પૂરી થતી હતી. પણ પાકિસ્તાન હજુ અસ્તિત્વના બે દાયકા પણ હજુ તો પૂરા કરે એ પહેલાં તેની અખંડતા સામે પડકારો પેદા થવા લાગ્યા. મુખ્ય પડકાર પૂર્વ પાકિસ્તાનમાંથી પેદા થયો હતો. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને એમ લાગવા માંડ્યું હતું કે પશ્ચિમ પાકિસ્તાનના શાસકો તેમની કલ્પનાનો ઇસ્લામ, તેમની કલ્પનાનું ઇસ્લામિક શાસન, તેમની કલ્પનાની ઇસ્લામિક જીવનપદ્ધતિ, ભારતીય ઉપખંડના મુસલમાનોની તેમની કલ્પનાની કહેવાતી કોમી મઝહબી ભાષા એટલે કે ઉર્દૂ પૂર્વ બંગાળના મુસલમાનો પર લાદી રહ્યા છે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને વિશેષ કરીને લશ્કરી શાસકોએ પૂર્વ પાકિસ્તાનને એક સંસ્થાન બનાવી દીધું છે. અંગ્રેજોના સંસ્થાન તરીકે મુક્તિ મેળવીને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બન્યું. ઊલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોને થવા લાગ્યો.

પાકિસ્તાનના શાસકો બેખબર હતા અને જો ખબર હતી તો મુસ્તાક હતા. આ મુસ્તાકી ખતરનાક સાબિત થતી હોય છે. બેખબરને ખબરદાર બનાવી શકાય, પણ મુસ્તાકને કોઈ વારી ન શકે, એ પડે ત્યારે જ સમજે અને જ્યારે સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાનના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા ગયા હતા. પૂર્વ પાકિસ્તાનની એ તેમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી. ઢાકાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે દરેક દેશને પોતાની પ્રજાને જોડનારી એક ભાષા જોઈએ એટલે અમે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. મહમ્મદ અલી ઝીણાના આશ્ચર્ય વચ્ચે ત્યાંને ત્યાં જ તેમની સામે વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષાનો વિરોધ કર્યો હતો અને માગણી કરી હતી કે ઉર્દૂની સાથે બંગાળીને પણ રાષ્ટ્રભાષા બનાવવામાં આવે. એક પાકિસ્તાન, એક ધર્મ, બે પાંખ અને બે ભાષા. ઝીણાએ ભારતમાં બે ધર્મના સહઅસ્તિત્વને નકાર્યું અને પાકિસ્તાનમાં બે ભાષાના એક સમાન દરજ્જાને અથવા સહઅસ્તિત્વને નકાર્યું.

અહીં વિરોધાભાસ ધ્યાનમાં આવ્યો? ૧૯૪૦થી ૧૯૪૭ સુધી દલીલ કરવામાં આવતી હતી કે ઇસ્લામ મુસલમાનોને જોડનારી પ્રબળ કડી છે. ૧૯૪૭ પછી કહેવામાં આવ્યું કે બહુમતી પ્રજા એક જ ધર્મને માનતી હોય એ પૂરતું નથી, તેમની એક (અને માત્ર એક જ) ભાષા પણ હોવી જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું કે એક ભૂમિમાં બે ધર્મ પાળનારાઓનું સહઅસ્તિત્વ શક્ય નથી અને પછી તરત કહેવામ આવ્યું કે બે ભાષાનું સહઅસ્તિત્વ શક્ય નથી. અને એનાથી મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે અવિભાજિત પાકિસ્તાનમાં જેટલા મુસલમાન હતા તેનાથી વધારે મોટી સંખ્યામાં મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું જેમને ઇસ્લામ સિવાયના બીજા ધર્મો સામે અને ઉર્દૂ સિવાયની બીજી ભાષાઓ સામે કોઈ વાંધો નહોતો. અને તેની સંખ્યા પણ પાછી ડઝનોમાં હતી. ભારતના ઇતિહાસમાં પાકિસ્તાન એક ફારસરૂપ નાટક હતું અને એ ફારસને હિન્દુત્વવાદી હિંદુઓનો ટેકો હતો. તેઓ પણ એવું એક ફારસ ભજવવા માગતા હતા અને અત્યારે તેઓ તે ભજવી રહ્યા છે.

ખેર, પાકિસ્તાનના વિભાજનની શરૂઆત પાકિસ્તાનની સ્થાપના પછી છ મહિનામાં ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણાની નજર સામે શરૂ થઈ ગઈ હતી. ઢાકાની યુનિવર્સિટીમાં જે છાત્રોએ ઝીણાનો વિરોધ કર્યો હતો એ છાત્રોનું નેતૃત્વ કરનારા છાત્રનેતા હતા શેખ મુજીબુર રહેમાન. પાકિસ્તાન હજુ તેની સ્થાપનાની રજતજયંતી ઉજવે એ પહેલાં તેનું બંગાળી ભાષાને નામે વિભાજન થયું. ભાષાની અસ્મિતાએ ઇસ્લામની અસ્મિતાને પરાસ્ત કરી. પણ ફારસનો હજુ અંત આવવાનો નહોતો.

પૂર્વ પાકિસ્તાનમાંથી ઇસ્લામના અને ઇસ્લામિક તેહઝીબના ઠેકેદારો ગયા અને તેમની જગ્યા બંગલા અસ્મિતાના ઠેકેદારોએ લીધી. બંગાળી ભાષા બંગલાદેશને જોડનાર એકમાત્ર અંતિમ પરિબળ છે અને જે કોઈ તેનો વિરોધ કરે છે એ બધા દેશદ્રોહી છે. શેખ મુજીબુર રેહમાનના વખતથી ડરાવવાનું શરૂ થયું. ઠેકેદારોને દુશ્મન વિના ચાલતું નથી. બંગાળી ભાષા કરતાં ઇસ્લામ વધારે મહત્ત્વ ધરાવે છે એમ માનનારા અનેક બંગાળી મુસલમાનો બંગલાદેશમાં અસ્તિત્વ ધરાવે છે. એનો અર્થ એવો નથી કે તેઓ બંગાળી અસ્મિતાની વિરુદ્ધ છે. બંગલાદેશમાં મુસલમાનોની જીવનશૈલી પર હિંદુઓનો મોટો પ્રભાવ છે અને તેમણે તે છોડીને ઇસ્લામિક જીવનશૈલી અને રીતિરિવાજ અપનાવવા જોઈએ એમ માનનારા મુસલમાનો પણ મોટી સંખ્યામાં છે, ભારતમાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. ઈરાની મુસલમાનો પર ઝોરોસ્ટ્રીયન સંસ્કારોનો પ્રભાવ છે એમ માનનારા ઈરાની મુસલમાનો છે. બંગલાદેશમાં બંગલા અસ્મિતાના ઠેકેદારોએ તેમને દુશ્મન તરીકે ઓળખી બતાવ્યા અને તેમને સતાવવાનું શરૂ કર્યું. શેખ હસીનાની સરમુખત્યારશાહી આના પર નિર્ભર હતી.

જો હું સત્તામાં નહીં હોઉં તો આ બંગલા અસ્મિતાના દુશ્મનો તમારા પર ચડી બેસશે. હું છું તો તમે સુરક્ષિત છો. આગળ કહ્યું એમ આ ફારસ છે જે ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં ભજવવામાં આવી રહ્યું છે. ભજવનારાઓ અલગ અલગ છે, ફારસ એક સરખું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2024

Loading

સાદગી, સંઘર્ષ, પ્રામાણિકતા, પારદર્શિતા અને બૌદ્ધિકતાનું પ્રતીક મધુ દંડવતે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|8 August 2024

માર્ચ ૧૯૭૭.

ચંદુ મહેરિયા

ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વી.પી. હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો. કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં?-ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માંની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચર્ય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા, ‘ચૂંટણીમાં  બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયાં હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો.’ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.

મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે(૨૧ જાન્યુઆરી ૧૯૨૪ – ૧૨ નવેમ્બર ૨૦૦૫)નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે.  રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ  તેને  બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્ત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ, ‘અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ’નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.

મધુ દંડવતે

મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમ.એસસી. કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિદ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા.  અઢાર વરસની વયે  ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં  મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી, અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.

સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલાં કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતાં. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન  દંડવતે દંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે, પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?

દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં. આંબેડકરે નાતજાતના ધોરણે નહીં, પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું,’ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?

સિદ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દૃઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો. આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે. એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદૃષ્ટિની ઝલક જોવા મળે.”

જેમ દંડવતેની બૌદ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્ત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જો કે વી.પી.સિંઘની વડા પ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “હું તો તાઉ જ ભલો” એમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતેએ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “જીવન જૈસા જિયામાં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે, ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ.” (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?

૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી. એટલે ૧૯૭૧થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડા પ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઊગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાન મંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.

એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.

e.mail : maheriyachandu@gmail.com

Loading

હું કેવળ કવિ છું, હું નથી તત્ત્વજ્ઞાની, નથી …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2024

આજે ઑગસ્ટની સાતમી તારીખ છે : 1941માં આ તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી : 

‘સંમુખે શાંતિ પારાવાર

ભાસાઓ તરણી હે કર્ણધાર…’ 

(‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’

કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું. પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું.

ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચાલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે.

કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે. 1905માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ.

સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે – અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે. એ રીતે 1920-21માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં 1930માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઇંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે.

તો, સંમુખે શાંતિ પારાવાર છે. સિત્તેરમે 1931માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે : ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’

જો કે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? 1937ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’

ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે.

‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ …’

સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જો કે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે :

‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, 

જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત–દિવસ 

વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી,

વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે,

કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને 

દિશાએ દિશાએ સતત સહસ્રવિધ સફળતા પ્રતિ ધસે છે,

તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારનાં ઝરણાંને ગ્રસી લીધું નથી, 

અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી,

જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે,

ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી 

હે પિતા, તું ભારતને જગાડ.’

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024

Loading

...102030...639640641642...650660670...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved