Opinion Magazine
Number of visits: 9457321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તક નિર્દેશ 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 March 2024

‘પ્રદ્યુમ્ન તન્ના’, સંપાદક : અભિજિત વ્યાસ, પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ, સૂરત, પાનાં 234, કિં. અમૂલ્ય

‘ચિત્રકળા અને સાહિત્યનો સંગમ’ એવું સમાંતર શીર્ષક ધરાવતું આ પુસ્તક અનોખા કવિ-ચિત્રકાર-છબિકાર અને ભારતીય લોકકલાઓના અભ્યાસી પ્રદ્યુમ્ન તન્ના (1919-2009) વિશેના સર્વસંગ્રહની નજીક પહોંચે છે.

ઈટાલીના ચિત્રકાર-ચિત્રશિક્ષિકા રોઝાલ્બા સાથે લગ્ન કરીને એ દેશમાં અરધી જિંદગી વીતાવનાર પ્રદ્યુમ્નભાઈના પ્રેમ-સંઘર્ષ-સર્જનથી તરબતર, કાલ્પનિક લાગે તેવા ઉત્કટ, ઉમદા જીવનનું વાચકને ઝળાહળાં કરી દેનારું પરિદૃશ્ય આ સ્મરણગ્રંથ આપે છે.

ચિત્રકારે દોરેલાં અનેક પ્રકારના બહુરંગી ચિત્રો અને તેમણે ઝડપેલા ફોટોગ્રાફ્સ, તેમના વિખ્યાત કાવ્યસંગ્રહ ‘છોળ’માંના રેખાંકનો, એકાકાર દંપતીના અંગ્રેજી-ઈટાલિયન કલાપુસ્તકોનાં મુખપૃષ્ઠો, ચૂંટેલી છબિઓ જેવી વિપુલ ચિત્રસામગ્રી પુસ્તકને અત્યંત મૂલ્યવાન બનાવે છે.

કવિની કેટલીક ગુજરાતી રચનાઓ અને એનો ઈટાલિયન સ્વાનુવાદ, તેમના સંસ્મરણાત્મક તેમ જ લલિત લેખો પણ વાંચવા મળે છે. ‘અમે બેઉ’, ‘ઓળખ’ અને ‘ઋણસ્મરણ’ એવા સ્વકથનોની સાથે કવિ યજ્ઞેશ દવેએ લીધેલી દીર્ઘ મુલાકાત કલાકારના સકલ રસમય જીવનની પ્રતીતિ કરાવે છે.

જયંત મેઘાણી, મકરંદ દવે, વિપુલ કલ્યાણી, રઘુવીર ચૌધરી અને સંપાદક ઉપરાંત કેટલાક અભ્યાસીઓ તેમ જ આપ્તજનોના સંતર્પક લેખો પુસ્તકનાં સો પાનાંમાં છે.

પુસ્તકને ઘરેણાં સમું બનાવાનો શ્રેય અનેકવિધ કલાઓના મરમી વિવેચક એવા સંપાદક અભિજિતભાઈને જાય છે. પ્રદ્યુમ્ન ‘હાંસિયામાં ધકેલી દેવાયેલા સર્જક’ કેવી રીતે છે તેની માત્ર અનેક વિગતો આપીને તેઓ અટક્યા નથી. તેમણે ‘વિશ્વભ્રમણ’ કરી ચૂકેલા ‘વિશ્વમાનવી’ ચિતારાની પ્રતિભાના અનેક પાસાં સૌંદર્યસભર રીતે લાવવાનું મહામૂલું કામ પણ કર્યું છે.  

* * * * * 

‘ઝાંઝવાનો મલક’, લે. : શૈલેષ પંચાલ, પ્ર. : લેખક પોતે, પાનાં 160, કિં. 250

કચ્છનાં નાનાં રણકાંઠે આવેલા સમી, શંખેશ્વર અને હારિજ તાલુકાના બનેલા વાઢિયાર પ્રદેશનું નિરૂપણ મુખ્ય ધારાના સાહિત્યમાં પ્રમાણમાં ઓછું છે. એ ભોમમાં વાચકને લઈ જવા એ આ સંગ્રહના ઘણાં લઘુનિબંધોની ઉપલબ્ધિ છે.

શ્રમજીવી પરિવારના લેખક અત્યારે પણ વતનના રાફુ ગામમાં રહે છે. આ ગામ અને આખા ય પંથક માટેનો અદમ્ય પ્રેમ તમામ 66 નિબંધોમાં ઓતપ્રોત છે.

ગામ-સીમ-રણકાંઠો, કુંવારકા નદી, ઋતુઓ, માન્યતાઓ-રિવાજો, ઉત્સવો-મેળાઓ, આંગણાં-ઘર-વાડા, ખેતર-પાદર એમ આખું ય તળપદ તેઓ હૃદયસ્પર્શી રીતે વર્ણવે છે. ‘જાળું’, ‘ડાગરો’,’થૂલી’, ‘બાંધલિયો’, ‘ઢુલા હેઠે ઓઢો’ નિબંધો શીર્ષકથી જાગેલું કૌતુક સંતોષે છે. 

* * * * * 

‘લોચા છે બૉસ !’ લે. : મન્નુ શેખચલ્લી, પ્ર. Zen Opus, પાનાં 190, કિં. 325 

સિનેમાને લગતા વિશિષ્ટ લેખો તેમ જ ધારદાર કટાક્ષ-વ્યંગના સર્જક મન્નુ શેખચલ્લીનો 38 હાસ્યકથાઓનો સંગ્રહ પ્રસન્નકારક છે. અહીં દરેક પાત્રને કંઈ ને કંઈ લોચા પડે છે. પ્રેમમાં, રોમાન્સમાં, લગ્નમાં, કરિયરમાં, ક્રાઇમમાં અને લોચા મારવામાં પણ લોચા પડે છે. દરેક કથાનું કેરિકેચર-ઠઠ્ઠાચિત્ર લલિત લાડ ઉર્ફે ખુદ મન્નુ શેખચલ્લીએ કર્યું છે.

* * * * * 

‘અલખ મલક અજવાળું’, લે. : વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’, પ્ર. ડિવાઇન, પાનાં :104, કિં.180

છોતેર રચનાઓના આ સંગ્રહમાં અનેક કૃષ્ણકેન્દ્રી ગીતોમાં ગોપીભાવની વિવિધ સ્થિતિઓ અને નવધાભક્તિ છે. પ્રકૃતિવિષયક ગીતોમાં કુદરતના વિવિધ રૂપોનો વિનિયોગ માનવભાવનાં અવલંબન રૂપે થયો છે. ગીતોમાં લયાવર્તનપ્રચૂર અભિવ્યક્તિ છે.

અછાંદસ અને ગઝલ સ્વરૂપની પણ સર્જકને ફાવટ છે. પુસ્તકના છેલ્લાં પાંચ પાનાં પર મુક્તકો છે. એક છે : ‘જ્યારે જ્યારે એકલતાએ સાદ કર્યો છે ઝરમરને / ગ્રંથાલયનાં પુસ્તક બોલ્યાં, ‘આવો આવો સ્વાગત છે !’  

* * * * * 

‘અમર બલિદાન’, લે. : વિમલકુમાર મોહનલાલ ધામી, પ્ર. નવયુગ, રાજકોટ, પાનાં 160, કિં. 240 

તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ આ ઐતિહાસિક નવલકથા પર આધારિત છે. તેની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે શત્રુંજયના દહેરાઓ પર અલ્લાઉદ્દીન ખીલજીના હલ્લાઓનો ભય છવાયેલો હતો ત્યારે તેના રક્ષણ માટે એક સમુદાયે આપેલા બલિદાનની ગાથા આ નવલકથામાં વણાઈ છે. 

1984 બાદ અત્યારે પુન:મુદ્રણ પામેલી આ નવલકથા ગુજરાતીમાં સાહિત્ય અને સિનેમા પર તુલનાત્મક અભ્યાસ માટેના વિષયમાં એક ઉમેરણ છે.

12 માર્ચ 2023 

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર : 98797 62263, (‘પ્રદ્યુમ્ન તન્ના’ પુસ્તક માટે ‘કલાતીર્થ ટ્રસ્ટ’, 9825664161)

[‘દિવ્ય ભાસ્કર’માં 10 માર્ચ 2024ના રવિવારે પ્રસિદ્ધ થયેલી પુસ્તક-નોંધો, પ્રકાશકોના નામના ઉમેરણ સાથે]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સામી ચૂંટણીએ જનતા મેનિફેસ્ટો : ‘પગડી સંભાલ જટ્ટા!’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 March 2024

શિવ છત્રપતિનું હિંદવી સ્વરાજ હોય કે ક્રાંતિકારીઓને વહાલું મુક્ત ભારત હોય, કિસાન આંદોલન એ સંદર્ભમાં ખાસું વૈચારિક ખાણદાણ લઈને આવે છે. બને કે વર્તમાન સત્તાવિમર્શ પરત્વે તે એક સંસ્કારક ભૂમિકા ભજવી શકે

પ્રકાશ ન. શાહ

અવરોધ પર અવરોધ અને એવો જ અનિરુદ્ધ પ્રતિરોધ : કિસાન આંદોલન જેનું નામ, થંભવાનું નામ જ લેતું નથી. બને કે કેન્દ્ર સરકાર તરતમાં ચૂંટણી જાહેરાત સાથે આચારસંહિતાનું નિમિત્ત પકડીને એમાં ઝોલો પાડવાની ફિરાકમાં હોય.

મારો રસ જો કે આ લખતી વેળાએ કિસાન આંદોલને હાલના સત્તાવાર રાજકીય વિમર્શમાં જે સંસ્કારક વિચાર પ્રક્રિયા(કરેક્ટિવ થોટ પ્રોસેસ)નાં ઈંગિત આપ્યાં છે એમાં છે. ગયે મહિને, ત્રીજી ફેબ્રુઆરીએ ક્રાંતિકારી અજિતસિંહના જન્મદિવસનો યોગ ઝડપીને એમણે ‘પગડી સંભાલ જટ્ટા’ (‘તારું સ્વમાન સંભાળ, ઓ ખેડુબાળ!) દિવસ મનાવ્યો.

‘પગડી સંભાલ’ એ લડાકુ પત્રકાર બાંકે દયાલની ઐતિહાસિક એટલી જ યાદગાર રચના છે જેનું પ્રથમ જાહેર પઠન લાયલપુરમાં 1907ની બાવીસમી માર્ચે થયું હતું. બસ, નવ દિવસ અને એને 117 વરસ થશે. બ્રિટિશ સરકારે કિસાન વિરોધી જુલમી કાયદાઓનું એલાન કર્યું એના પ્રતિકાર રૂપે આ રચના આવી હતી.

અહીં કાયદાની વિગતોમાં નહીં જતાં એટલું જ નોંધીશું કે ખેતી માટેનાં પાણી પર આકરા વેરા ઉપરાંત સવિશેષ તો મોટો પુત્ર કાચી વયે મૃત્યુ પામે ત્યારે જમીનની માલિકી પરબારી સરકાર હસ્તક ચાલી જાય એવીયે જોગવાઈ હતી.

બે શબ્દો અજિતસિંહ વિશે. જુલમી કાયદાઓ સામે પંજાબભરમાં એમણે ઝંઝાવાતી ઝુંબેશ ચલાવી હતી. એ ભગતસિંહના કાકા હતા એમ ઓળખાણ આપવી સહેલી પડે પણ તે અક્ષરશ: અપૂરતી બલકે સપાટ ઓળખ છે. ઉત્કટ દેશભક્તિવશ અજિતસિંહે સૂફી અંબાપ્રસાદ અને જિયા ઉલ્લાહ વગેરે સાથે મળીને ‘મહેબૂબાને વતન’(ભારતમાતા સોસાઈટી)ની સ્થાપના કરી હતી અને 1907માં 1857નાં પચાસ વરસ થતાં હતાં એની ઉજવણીનીયે યોજના કરી હતી. સ્વાતંત્ર્ય ચળવળના ભાગ રૂપે એમણે જલાવતન જિંદગી ગુજારી. 

સરદાર અજિતસિંહ (1881-1947)

શરૂનાં વરસોમાં અહીં કુટુંબને એમની ખાસ ભાળ નહોતી ત્યારે લાંબે ગાળે ભગતસિંહને એમના સમાચાર એગ્નીસ સ્મેડ્લીના પત્રથી મળ્યા હતા. આ એગ્નીસ એક આઝાદમિજાજ અમેરિકી પત્રકાર હતી અને હિંદની આઝાદી, રૂસી ક્રાંતિ, ચીની ક્રાંતિ યુદ્ધ વગેરેમાં હાથ બટાવવા ને કલમ ચલાવવામાં એણે પોતાનો ધર્મ જોયો હતો. બર્લિનના દિવસોમાં એ અને ચટ્ટો – સરોજિની નાયડુના ક્રાંતિકારી ભાઈ વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય સદૈવ સહચરવત્ હતાં.

દાક્તર સુમન્ત મહેતાએ એમને મળવાનું થયું તે પછી માર્મિક ટિપ્પણી કરેલી કે ભટકતાં રામસીતાને પરણવાની ફુરસદ નહોતી. આપણે ત્યાં જવાહરલાલના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ ત્યારે એમના વિશેષ પ્રયાસથી અજિતસિંહ જર્મનીની જેલમાંથી છૂટ્યા હતા અને દિલ્હીમાં નેહરુના મહેમાન તરીકે રહ્યા હતા. કથળેલી તબિયતે આરામ સારુ તેઓ ડેલહાઉસીમાં હતા ત્યારે 14-15 ઓગસ્ટની મધરાતે ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’નું ચિર યાદગાર સંબોધન રેડિયો પર સાંભળી ‘જયહિંદ’ના ઉરઘોષ સાથે એ ભાવસમાધિમાં સરી ગયા તે સરી જ ગયા.

અજિતસિંહ વિશે ને મિશે જરી લાંબે પને વાત થતાં થઈ ગઈ, પણ જે મુદ્દો હતો અને છે તે એ કે એમનું ક્રાંતિકારી રુઝાન રૂંવે રૂંવે કેવળ ભારતભક્તિમાં બદ્ધ નહોતું. એની સાથે ન્યાયી પરિવર્તનની દૃષ્ટિએ આર્થિક-સામાજિક કાર્યક્રમ અવિનાભાવ જોડાયેલો હતો. ‘પગડી સંભાલ જટ્ટા’ એ સંસ્થાનવાદ અને શોષણ સામેનું જનતાનું જાહેરનામું છે. આ લખતાં ભગતસિંહ થકી લોકપ્રિય બનેલો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ (લોંગ લિવ રેવોલ્યુશન) પણ સાંભરે છે. રામાનંદ ચેટર્જી ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’ ચલાવતા. કહે છે કે આ સામયિકની રાહ જોવામાં વાઈસરોય અને ગાંધીજી બેઉ હતા. એમાં ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા વિશેની ભગતસિંહની નુક્તેચીની એમનાં યાદગાર લખાણો પૈકી છે. જોગાનુજોગ કહી જ દઉં કે આ નારો મૂળે તો સ્વાતંત્ર્ય લડવૈયા શાયર મૌલાના હસરત મોહાનીની ભેટ છે. (હવે તો મોહાની જો કે ‘ચૂપકે ચૂપકે રાત-દિન આંસુ બહાના યાદ હૈ, હમકો અબ તક આશિકી કા વો જમાના યાદ હૈ’ થકી ગુલામ અલી અને ‘નિકાહ’ની કૃપાએ યાદ હોય તો હોય.)

કિસાન આંદોલને આ દિવસોમાં દિલ્હીની ભાગોળે 19મી ફેબ્રુઆરીએ શિવ જયંતી પણ વિશેષ રૂપે મનાવી. હિંદુ-મુસ્લિમ ચોકઠામાં શિવાજીની જે એક ઠાકરે આવૃત્તિ ચલણમાં છે તેથી ઉફરાટે શિવાજી ઘટના અને હિંદવી સ્વરાજનું એક વિશિષ્ટ ચિત્ર સૌની સામે આવ્યું અને જોતીબા ફૂલે સરખા ઝુઝારુ સુધારક શા સારુ ‘શિવાજી તો અમારા શુદ્રોના રાજા’ એવું ભાવભર્યું વિધાન કરતા હશે તે સમજાયું. મુઘલ સત્તાથી માંડી મરાઠા ઠકરાતો સાથે લડતાં એમણે કિસાનોને એમનો હક અપાવ્યો. કુલકર્ણી, પાટિલ, દેશમુખ એ ભૂમિ માલિકો ને જાગીરદારો પાસેથી આ હકનું કિસાનોમાં સંક્રાન્ત થવું એ છતી રાજાશાહીએ સામંતવાદના હ્રાસની ઘટના હતી. સ્વરાજકાળમાં આગળ ચાલતાં ઢેબરભાઈ હસ્તક સૌરાષ્ટ્રમાં ગિરાસદાર-નાબૂદીનો જે જગન મંડાવાનો હતો એની નાન્દી ઘટના પણ તમે એમાં જોઈ શકો.

વિદુષી પુષ્પા ભાવેનું માર્મિક અવલોકન છે કે એમની રાજવટમાં જે સરદારો અગ્રસ્થાને આવ્યા તે બધા ઓ.બી.સી. તબકાના હતા. શહીદ પાનસરેએ પણ શિવાજી થકી શક્ય બનેલ સંક્રાન્તિ રૂડી પેરે ઉપસાવી છે. કમનસીબે પેશવાઈએ આ બધું કોરાણે મેલ્યું. પરિણામે, શિવ પરંપરામાં આવેલા શાહુ મહારાજે પણ સંકુચિત શાસ્ત્રજ્ઞોની ખફગી વહોરવા વારો આવ્યો.

હાલના સત્તાવિમર્શ અને પ્રાયોજિત સોશિયલ મીડિયાના ચીસોટા પરત્વે તથ્યમંડિત એવી જે સંસ્કારક સોઈ આ આંદોલન નિમિત્તે આવી મળી છે એ જરૂર સ્વાગતાર્હ છે. કબૂલ કે એક કોયલે વસંત નથી થતી, પણ એકાદા કોયલટહૂકે એનાં વધામણાં અવશ્ય સંભળાય છે. દેશમાં એક નાનોયે તબકો તો છે ને, જેને મણિલાલ દેસાઈની ઉંબરે ઊભી નાયિકા પેઠે વાલમબોલ સંભળાય છે … પગડી સંભાલ જટ્ટા!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 માર્ચ 2024

Loading

મંદિર સામે બરફ

અનુવાદક : નંદિતા મુનિ|Poetry|12 March 2024

જાપાનીઝ કવિ તોમોત્સુને (14મી સદી)ના એક કાવ્યનો મારો અનુવાદ.  

મંદિર સામે બરફ.

મંદિરની સુશોભિત વાડને

નહીં વટાવું હું.

ચોક્કસ ભગવાનને પણ

વાંધો હશે

પગલાં પડે એનો,

આ તાજા બરફ  પર.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...632633634635...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved