Opinion Magazine
Number of visits: 9665173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (14)

દીપક મહેતા|Opinion - Opinion|20 July 2024

૧૪

એ જમાનાના ગુજરાતના સાહિત્ય અને સંસ્કારો ઉપર રાસમાળાનો જે પ્રભાવ પડ્યો હતો તેનો ખ્યાલ આજના વાચકને આવવો મુશ્કેલ છે. ૧૮૫૬ સુધી ગુજરાતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાનો ભાગ્યે જ કોઈ પ્રયત્ન થયો હતો. ન તો કોઈ અંગ્રેજ લેખકે આવો પ્રયત્ન કર્યો હતો, કે ન તો કોઈ સ્થાનિક અભ્યાસીએ આવો પ્રયત્ન કર્યો હતો. આજે આપણને રાસમાળામાં ઘણાં દોષો અને ઊણપો હોવાનું લાગે, પણ ગુજરાતનો ઇતિહાસ લખનાર ફાર્બસ પહેલા લેખક હતા, અને તે પણ મુખ્યત્વે સ્થાનિક સાધનોને આધારે. રાસમાળામાંથી પ્રેરણા લઈને ઘણા લેખકોએ ગુજરાતીમાં નવલકથા, વાર્તા, નાટક વગેરે લખ્યાં હતાં. મૂળ અંગ્રેજી પુસ્તક પ્રગટ થયું ત્યારે જ તેને એક સીમાચિહ્નરૂપ ગ્રંથ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. પણ તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો તે પછી તે વધુ બહોળા વર્ગ સુધી પહોંચી શક્યું હતું. ‘કરણઘેલો’ (૧૮૬૬) નવલકથા લખતી વખતે નંદશંકર મહેતા રાસમાળાના પ્રભાવ તળે આવ્યા હતા. જો કે આવા પ્રભાવની વાત નંદશંકરે પોતે કરી નથી, પણ તેમના સમકાલીન મહીપતરામ નીલકંઠે કરી છે. મહીપતરામે પોતે લખેલી બે ઐતિહાસિક નવલકથા ‘સધરા જેસંગ’ (૧૮૮૦) અને ‘વનરાજ ચાવડો’ (૧૮૮૧) પર પડેલા ‘રાસમાળા’ના પ્રભાવની નિખાલસતાથી કબૂલાત ‘વનરાજ ચાવડો’ને અંતે મૂકેલા લખાણમાં કરી છે. તેઓ કહે છે : “એ.કે. ફાર્બસસાહેબે મનોરંજક રાસમાળા રચી પ્રસિદ્ધ કરી ત્યાર પહેલાં ગુર્જર રાજ્યનો ઇતિહાસ વાંચવામાં આવતો નહિ … ભાટ લોક એ રાજાઓને છેક ભૂલી ગયા ન હતા, પણ આપણા કવિઓએ કશી તજવીજ કરેલી જણાતી નથી. અંતે ગુજરાતના મિત્ર ફાર્બસસાહેબે આપણા જૂના આર્ય, આપણા સ્વદેશી, સ્વજાતી રાજપૂત રાજ્યની ખોળ કરી આપણા ઉપર મોટો ઉપકાર કર્યો. આ ભલા વિદ્વાને આપણા દેશનું ધન ખોદી કાઢી ગુર્જરોને વાપરવા આપ્યું. કરણઘેલાના અને વીરમતી નાટકના કર્તાઓએ એમાંથી થોડું દ્રવ્ય લઈને તેમાં પોતાની કલ્પનામાંથી ઉમેરો કરી રસિક ગ્રંથો રચ્યા. આ પુસ્તકમાં પણ એમ કર્યું છે … ભૂવડ, જયશિખર, સુરપાળ, રૂપસુંદરી, વનરાજ, શીલગુણસુરી, વગેરે સંબંધી રાસમાળામાં છે તે લીધું છે, અને બાકીનું સઘળું કલ્પેલું છે.”

ફાર્બસની ‘રાસમાળા‘થી પ્રભાવિત બે નવલકથાકારો : નંદશંકર મહેતા અને મહીપતરામ નીલકંઠ 

ઓગણીસમી સદીમાં પ્રગટ થયેલી બીજી કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પર પણ વધતે ઓછે અંશે રાસમાળાનો પ્રભાવ જોવા મળે છે. આવી કેટલીક નવલકથા : રાજપૂત વીરરસ કથા (૧૮૭૮) લે. રુસ્તમ ઈરાની, રાણકદેવી (૧૮૭૮) લે. અનંતપ્રસાદ વૈષ્ણવ, શૂરવીર જયમલ (૧૮૮૭) લે. નારાયણ બારથી ગોસાઈ,  જયદેવ પરમાર (૧૮૯૩) લે. હરિવલ્લભદાસ ભાઈદાસ, સોરઠી સોમનાથ (૧૮૯૩) લે. ભવાનીશંકર કવિ, યશસ્વી ખતરી પુત્ર જગદેવ પરમાર (૧૮૯૫) લે. મહાશંકર ભટ્ટ, મહારાજા રાવ નવઘણ (૧૮૯૭) લે. અમૃતલાલ વકીલ અને ડાહ્યાભાઈ દવે, સોમનાથની પવિત્ર મૂર્તિ (૧૮૯૮) લે. જીજીભાઈ કાપડિયા, અને સિદ્ધપુરની રાજકુમારી (૧૯૦૦) લે. રામચંદ્ર બલવન્તરાય. ઓગણીસમી સદીના અંત સુધીમાં તો ઐતિહાસિક નવલકથા એ લેખક-પ્રિય તેમ જ વાચક પ્રિય સાહિત્ય પ્રકાર બની ગયો. ઓગણીસમી સદીમાં આ બધી નવલકથાઓએ જે પાયો નાખ્યો તેના પર કનૈયાલાલ મુનશીએ પોતાની ઐતિહાસિક નવલકથાઓની ભવ્ય અને સમૃદ્ધ ઈમારત રચી. ‘વિરમતી’ નાટકના લેખક નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ પણ નિખાલસતાથી કહ્યું છે કે તેમનું નાટક રાસમાળામાંની જગદેવ પરમારની કથા પર આધારિત છે. 

જર્નલ ઓફ ધ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના જે અંક (JBBA No. XXIII)માં ફાર્બસને અપાયેલી અંજલિઓ પ્રગટ થઇ હતી તે જ અંકમાં ફાર્બસનો Puttun Somnath (પાટણ સોમનાથ) નામનો ઠીક ઠીક લાંબો લેખ પણ પ્રગટ થયો હતો. અગાઉ ૧૮૬૪ના એપ્રિલની ૧૪મી તારીખે ફાર્બસે આ લેખ સોસાયટીના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. સોમનાથ પાટણની મુલાકાત દરમ્યાન ફાર્બસે પોતે લીધેલા કેટલાક ફોટા પણ લેખને અંતે મૂકવામાં આવ્યા છે. પોતે પાટણની મુલાકાત દરમ્યાન મંદિર અને તેની આસપાસના પરિસરનો અભ્યાસ કર્યો હતો અને પછીથી તેને આધારે આ લેખ લખ્યો હતો. તેઓ કહે છે :

“થોડા વખત પહેલાં આ સ્થળની મુલાકાત લેવાની મને તક મળી હતી. અલબત્ત, તેના નિરીક્ષણ માટે હું પૂરતો સમય મેળવી શક્યો નહોતો, કારણ ડુંગરોમાંના (વાઘેરોના) બળવાને કારણે અને તળેટીમાંના (રાજાઓના) કાવાદાવાને કારણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને નિરાંતનો ઝાઝો વખત મળે તેમ નહોતું. છતાં મારા બે પુરોગામીઓ (ટોડ અને કિટ્ટો)એ ત્યાંના સ્થાપત્યનો જેટલો અભ્યાસ કર્યો હતો તેના કરતાં વધુ અભ્યાસ હું કરી શક્યો હતો. આથી તેમણે જે કહ્યું છે તેમાં હું ભલે થોડો, પણ ઉમેરો કરી શકું એમ છું એમ કહું તો તેને આપવડાઈમાં નહિ ખપાવવામાં આવે એવી આશા રાખું છું.”૩૧     

સોમનાથના મંદિરનો ફાર્બસે લીધેલો ફોટો

લેખની શરૂઆતમાં ફાર્બસ મંદિરની આસપાસના પરિસરનું વર્ણન કરે છે. પાટણ શહેર અને વેરાવળ બંદર પોતે જેવાં જોયાં તેવાં તેમણે વર્ણવ્યાં છે. સોમનાથ પાટણને તેમણે ખંડેરો અને કબરોના શહેર તરીકે ઓળખાવ્યું છે. શહેરને વિંટળાઈને રહેલા કિલ્લાનું પણ તેમણે વર્ણન કર્યું છે. (આજે એ કિલ્લો હયાત નથી.) ત્યાર બાદ તેમણે સોમનાથના મંદિરનું વિગતવાર વર્ણન આપ્યું છે. આ વર્ણન વધુ મહત્ત્વનું એટલે બની રહે છે કે આજે એ મંદિર રહ્યું નથી. ૧૯૫૦માં દેશ પ્રજાસત્તાક બન્યો તે પછી જે નવું મંદિર બંધાયું તેને માટે જગ્યા કરવા એ જૂના મંદિરને તોડી પાડવામાં આવેલું. હિંદુ તેમ જ મુસ્લિમ શિલ્પ-સ્થાપત્યની પરંપરા દર્શાવી તેના પ્રકાશમાં એ મંદિરને જોયા પછી ફાર્બસ આવા તારણ પર આવે છે : 

“આજે ખંડેર રૂપે આ જે મંદિર હયાત છે તેની મહંમદે મુલાકાત લીધી હોય તે સંભવિત નથી. એ મંદિર અહીંના સ્થાનિક લોકો જે જગ્યાને હીરા કોટ તરીકે ઓળખે છે તે જગ્યાએ હોય એવો સંભવ વધુ છે. જો કે મને એ જગ્યા જોવાની તક મળી નહોતી.”૩૨  

મંદિરના સ્થાપત્યની પણ ફાર્બસે વિગતવાર ચર્ચા કરી છે અને તેને આધારે પોતાના કેટલાક પુરોગામીઓના તારણોનું તેમણે ખંડન કર્યું છે. ફાર્બસ કહે છે : 

“ગુજરાતમાંની હિંદુ કલાના સુવર્ણયુગ સમાન સોલંકી વંશના સમયનું આ મંદિર છે એમાં શક નથી. તેમાંનાં સુશોભનો સમૃદ્ધ તેમ જ નાજુક છે. અગાઉના સ્થાપત્યના નમૂનાઓની સાદાઈ અહીં જોવા મળતી નથી. તેમ જ આ શૈલીની અવદશા થઇ તે વખતે જે ખરબચડાપણું પ્રવેશ્યું હતું તે પણ અહીં જોવા મળતું નથી.”૩૩  

આબુ અને કુંભારિયાનાં મંદિરોની મુલાકાત લઈને અને તેના ફોટા લઈને તેની સાથે સોમનાથના મંદિરના સ્થાપત્યની તુલના કરવાની ફાર્બસ હિમાયત કરે છે. તેવી જ રીતે સિદ્ધપુર, મોઢેરા, ડભોઇ વગેરેમાં જોવા મળતી ઇમારતો સાથે પણ આ મંદિરની તુલના કરવી જોઈએ એમ ફાર્બસ કહે છે. અંતે ફાર્બસ કહે છે : 

“સુલતાન મહંમદે જે મંદિર ભાંગ્યું હતું તે આ મંદિર નથી. પણ એ મંદિર ભાંગ્યા પછી ભીમદેવ પહેલાએ જે મંદિર બંધાવ્યું હતું તે આ મંદિર. પાછળથી સુલતાન મુઝફ્ફર પહેલાએ આ મંદિર ભાંગ્યુ હતું.”૩૪ 

આ લેખ જેટલો મહત્ત્વનો છે તેટલા જ મહત્ત્વના તેને અંતે છપાયેલા આઠ ફોટા પણ છે. આ બધા ફોટા ફાર્બસે મુલાકાત દરમ્યાન લીધા હતા. પછીથી તોડી પડાયેલા એ મંદિરના બહુ ઓછા ફોટા આજે ઉપલબ્ધ છે તેથી આ આઠ ફોટા સવિશેષ મહત્ત્વના બની રહે છે. અહીં તેમાંનો એક ફોટો મૂક્યો છે.

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), સંવિધાન દિવસ (26 નવેમ્બર) : આવા સકારાત્મક અભિગમને બદલે આમ નકારાત્મક ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2024

સંવિધાન હત્યા દિવસ 

ઘડિયાં લગન પેઠે આવી પડેલી ગેઝેટબદ્ધ જાહેરાતમાં એક પક્ષને નિશાન બનાવવાની, ગણતરી સાફ દેખાય છે; જો કે તે અંગે સત્તાપક્ષ ખુદનો દસ વરસનો રેકર્ડ લગારે વિશ્વાસપાત્ર નથી.

પ્રકાશ ન. શાહ

એન.ડી.એ. સરકારનો ત્રીજો કાર્યકાળ એક પા જો એની સ્વીકૃતિ પરત્વે સવાલિયા નિશાન સાથે શરૂ થયો છે તો બીજી પા એણે ઘડિયાં લગન પેઠે ગેઝેટેડ પેચપવિત્રાનુંયે રાજકારણ શરૂ કર્યું છે.

દેશે પ્રજાસત્તાક સ્વરાજ લગી પહોંચવાનો મુકામ હાંસલ કીધો તે નિમિત્તે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક અગર તો ગણરાજ્ય દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય લડતમાં પૂર્ણ સ્વરાજ (મુકમ્મલ આઝાદી)નો દિવસ 26 જાન્યુઆરી 1930નો હતો. 26મી જાન્યુઆરી તો માનો કે રૂઢ થઈ ગયેલી ઉજવણી છે, એનાં મૂળિયાં એ લડતમાં પડેલાં છે જેને અંગે હાલના સત્તારૂઢ પક્ષપરિવારનું વલણ કંઈક અંતરનું રહેલું છે.

એથી હોય કે અન્યથા એન.ડી.એ. સરકારે 2014માં સત્તારૂઢ થયા પછી 2015થી 26મી નવેમ્બરે વળી બંધારણ દિવસની ઉજવણી શરૂ કરી છે. બંધારણના ઘડતરમાં અગ્રભૂમિકા ભજવનાર આંબેડકરના 125મા જયંતી વર્ષનો હવાલો આપી આ શરૂઆત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી છતાં અમારો એક આગવો દિવસ, એવી છૂપી માનસિકતા એની પૂંઠે કામ કરતી હશે?

ગમે તેમ પણ હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ખરી મૂંઝવણ કદાચ જુદી હોઈ શકે. એ નહોતું રાષ્ટ્રીય લડત સાથે કે નહોતું બંધારણ ઘડતરની પ્રક્રીયા સાથે. ‘મનુસ્મૃતિ’નો વારસો છતાં આવું બંધારણ કેમ, એવી ફરિયાદની રીતે આ પક્ષપરિવારનાં તત્કાલીન પ્રકાશનો ત્યારે પેશ આવતાં હતાં.

માનો કે 26મી નવેમ્બરના બંધારણ દિવસની એની 2015થી શરૂ થયેલી પ્રણાલિકાનો આશય પોતાના મૂળ ઉછેર વારસામાં જે બધું નહોતું તેની સાથે અનુકૂલન સાધવાના સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક ખેંચાણવશ હોય. વળી, એન.ડી.એ. શાસનની તાસીર ઇવેન્ટ પે ઇવેન્ટ તરેહની રહી છે એ રીતે પણ આ ચેષ્ટાને જોઈ શકાય.

હવે આપણી સામે બંધારણ અગર તો સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત એલાન આવે છે. દસ વરસના શાસનમાં બંધારણીય ધારાધોરણથી વિપરીત જે બધાં વલણો જોવા મળ્યાં એથી વિપક્ષે આ ચૂંટણીમાં બંધારણનો મહિમા મુખ્ય મુદ્દાની જેમ ઉઠાવ્યો એની સામેનો આ એક મનોવૈજ્ઞાનિક બેત છે તે સમજી શકાય એમ છે.

વાત પણ સાચી કે 25મી જૂન 1975ના રોજ જે બન્યું તે આપણી લોકશાહી તવારીખ પર એક બટ્ટો જરૂર હતો અને છે. તે માટે જવાબદાર પક્ષને માર્ચ 1977માં જનતાએ શિકસ્ત અને નસિયતનો પાઠ આપ્યો જ છે. જો કે જેની જોડે બંધારણ પરત્વે હત્યા દિવસની ઓળખ જોડવાનો ગેઝેટબદ્ધ અભિગમ છે તે મૂળ પ્રક્રિયા વિલક્ષણ રીતે બંધારણીય જોગવાઈ મુજબની હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી તો પુત્રીએ 26મી જૂન આપી, એવી બેબાક ટીકા ત્યારે આ લખનાર સહિત અનેકે કરી પણ છે. શાહ તપાસ પંચના હેવાલની વિગતો કોઈ પણ લોકશાસનને જેબ આપે એવી મુદ્દલ નથી. પણ તમે જુઓ, લોકસભાની વધારેલી મુદ્દત પૂરી થાય તે પૂર્વે ચૂંટણી આપી અને ચુકાદાની રૂખ પ્રમાણે કટોકટી ઉઠાવી પણ ખરી. નિર્ભીક પત્રકાર વર્ઘીઝે ત્યારે પ્રતિવર્ષ 23મી માર્ચને કટોકટી ઊઠ્યાના દિવસ તરીકે યાદ કરીએ એવી હિમાયત કરી હતી એ આ લખતા સાંભરે છે.

હવે જે સૂચન છે તે 26મી જાન્યુઆરી, 26મી નવેમ્બર કે 23મી માર્ચ જેવું સકારાત્મક નથી પણ હત્યા દિવસનું છે. એની પાછળનું મનોગણિત ઉઘાડું છે – કાઁગ્રેસને નિશાન પર લેવી. આ મુદ્દે વિપક્ષી જમાવડામાં પણ કંઈક મનોવૈજ્ઞાનિક તાણ ને ફાટફૂટને અવકાશ મળી રહે એવીયે ગણતરી ખરી.

જો કે, છેલ્લાં દસ વરસની ચોક્કસ વિગતો જોતાં હાલનો સત્તાપક્ષ બંધારણ વિશે બડકમદારીની નૈતિક પાત્રતા કેટલી ધરાવે છે એ સવાલ છે. વસ્તુતઃ સ્વરાજની પહેલી લડાઈ (1947) અને બીજી લડાઈ (1975-1977) એવો ભેદ અનુભવે કરીને બરાબર લાગતો નથી. 1977 પછી આવેલી હર સરકાર સાથે નાગરિક છેડેથી લોકશાહી સવાલો રહ્યા છે. આ સંજોગોમાં ખરો મુદ્દો લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની દૃષ્ટિએ સત્તાપક્ષ અને વિપક્ષ બેઉ પરત્વે નાગરિક છેડેથી સ્વરાજની ચાલુ લડાઈનો છે અને રહેશે. કથિત હત્યા દિવસ આ પાયાની વાતને પાટેથી ઉતારી દે, એવી શક્યતા સવિશેષ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (13)

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2024

૧૩

“મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.”

(અંગ્રેજી રાસમાળાની ૧૮૫૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનાના અંશનો અનુવાદ)

*

“છેલ્લે દિવસે રાસમાળાનાં અસલ દલપત લખ્યાં ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફાર્બસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ.એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફાર્બસ રાસમાળા લખાઈ ને છપાઈ.”

(કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ / નાનાલાલ દલપતરામ કવિ, પા. ૧૧૨-૧૧૩) (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

*

જો આપણે શબ્દો ગળી જનારા નહિ, પણ ચાવીને વાંચનારા હોઈએ તો સવાલ થયા વગર ન રહે કે ફાર્બસ અને નાનાલાલ, બેમાં કોણ સાચું? કોણ નહિ? ફાર્બસની રાસમાળા તેમની મૌલિક કૃતિ, કે દલપતરામની ગુજરાતી કૃતિનો અનુવાદ માત્ર? રાસમાળા એક કે બે? રાસમાળાના ફાર્બસ લેખક કે અનુવાદક? દલપતરામની મહેનતનો જશ ખાટી જવાનો પ્રયત્ન ફાર્બસે કર્યો? કે ફાર્બસની કૃતિ દલપતરામના ખાતામાં જમા કરાવવાની મહેનત નાનાલાલે કરી છે?

ફાર્બસે દલપતરામની સહાય વિષે જે લખ્યું તેનું મૂળ જાત-માહિતીમાં રહેલું છે. નાનાલાલે જે લખ્યું તેનો આધાર? ફાર્બસના અવસાન પછી ‘બુદ્ધિપ્રકાશ’ના ઓક્ટોબર ૧૮૬૫ના અંકથી દલપતરામે ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની પોતાની લેખમાળા છાપવાનું શરૂ કર્યું હતું. તેમાં ફાર્બસ સાથેની પોતાની છેલ્લી મુલાકાત વિષે લખતાં દલપતરામ કહે છે: “એક કામ ઘણી જરૂરનું બાકી છે. તે એ કે રાસમાળામાં હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું તે ગોઠવીને છપાય તો હું જાણીશ કે મારાં બધાં કામ પૂરાં થયાં … એમ કહીને કેટલાંક પ્રકરણો મને સોંપ્યાં. વળી કહ્યું કે અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના સાહેબને હું લખીશ, કે તેઓ આ પુસ્તક તમારી મારફતે રચાવીને છાપે.” પણ પછી આગળ જતાં આ જ લેખમાળામાં દલપતરામ આખી વાતને જૂદો જ વળાંક આપે છે : “ફારબસસાહેબના ફરમાવ્યા પ્રમાણે રાસમાળાનાં કેટલાંક અશલ પ્રકરણો ગોઠવીને તેનું પુસ્તક કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં તૈયાર કરીને મેં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના શેક્રેટરી સાહેબને આપ્યું, તથા તે છાપવા સારૂ આશરે રૂ. ૨૦૦)ના કાગળો ફારબસસાહેબે મોકલેલા તે પણ સાહેબ મોસુફને મેં સોંપ્યા. અને એ પુસ્તક રચતાં જે ખરચ થયું તે સોસાયટીએ આપ્યું. તે પુસ્તક સોસાયટીએ મુંબઈની ફારબસ ગુજરાતી સભામાં મોકલ્યું છે.”

દલપતરામે ઉપરોક્ત લેખમાં જે લખ્યું કે ‘હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું’ તેનાથી નાનાલાલ કાં ગેરમાર્ગે દોરવાયા છે, અથવા તેમની પિતૃભક્તિ તેમને દલપતરામના શબ્દોનું જૂદું (અને ખોટું) અર્થઘટન કરવા પ્રેરે છે, અથવા તો એક પિતૃશોકમાં ડૂબેલા કવિની આ અહોભાવપ્રેરિત કલ્પના છે. તેને હકીકતો સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ‘અસલ પ્રકરણો’ એટલે જે ગુજરાતી હસ્તપ્રતોમાંથી દલપતરામે ઉતારા કરેલા તે, ‘રાસમાળા’નાં અસલ ગુજરાતી પ્રકરણો નહિ. આ બે ચોપડા ૧૮૬૮માં સોસાયટીએ મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલ્યા, પણ તેમાંનો ફક્ત કેટલોક જ ભાગ એ સભાએ છેક ૧૯૩૩માં પ્રગટ કર્યો. પોતાના આ ‘પુસ્તક’ની પ્રસ્તાવના પણ દલપતરામે લખી રાખી હતી અને તેમાં તેને ‘ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવ્યું હતું. પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ એ નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે એમાંનો કેટલોક ભાગ પ્રગટ કર્યો. એટલે કે, ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી આ ચોપડા છપાયા નહોતા. જે બે ચોપડાનો ઉલ્લેખ દલપતરામ, નાનાલાલ, અને અંબાલાલ કરે છે તે બે ચોપડા (ક્રમાંક ૪૮-૩-૬ અને ૪૮-૧૧) સારે નસીબે આજ સુધી ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે, પણ અત્યારે તે અત્યંત જીર્ણ અવસ્થામાં છે. એ જોતાં સ્પષ્ટ જણાય છે કે આ ચોપડામાં જે છે તે રાસમાળા માટે એકઠી કરેલી કાચી સામગ્રી છે. એને કોઈ રીતે ગુજરાતી કે અસલ રાસમાળા તરીકે ઓળખાવી શકાય તેમ નથી.

કવીશ્વર દલપતરામના હસ્તાક્ષરમાં તેમના ચોપડાનું એક પાનું

આ બંને ચોપડા ૧૮૫૬ અને ૧૮૬૫ની વચમાં ક્યારેક, એટલે કે અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ તે પછી, અને ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયું તે પહેલાં લખાયા છે. કારણ, તેમાં અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં પ્રગટ થઈ તેનો ઉલ્લેખ છે. તો બીજી બાજુ મૂળ લખાણ શરૂ કરતાં પહેલાં “સાહેબને પૂછવાનું” એવા મથાળા નીચે ૧૦ મુદ્દા નોંધ્યા છે. તેમાંનો પહેલો મુદ્દો આ છે : “ગુજરાતી ગ્રંથ બને તેનું નામ સું પાડવું?” એટલે કે, આ ચોપડો લખાયો ત્યાં સુધી ‘ગુજરાતી રાસમાળા’ નામ નક્કી થયું નહોતું. વળી, ‘રાસમાળા’નો ઉલ્લેખ કરીને દલપતરામ કહે છે : “તેમાં જે અસલ પુસ્તકો પરથી પ્રકર્ણાદિ દાખલ કરેલાં છે તેમાના કેટલાએક પ્રકર્ણો મને સોંપીને કહ્યું જે આટલા પ્રકરણોનું એક પુસ્તક ગુજરાતીમાં છપાવીને પ્રગટ કર્યું હોય તો ગુજરાતી વાચનારાઓને ઘણું ઉપયોગી થઈ પડે.” એટલે કે, આ ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ કરવા અંગેની વાત એ મરણપથારીએ પડેલા ફાર્બસની ‘છેલ્લી ઈચ્છા’ નહોતી, એ અંગે અગાઉ પણ તેમણે દલપતરામ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, ‘ગુજરાતી રાસમાળા’ની બીજી એક હસ્તપ્રત (ક્રમાંક ૭૩૮) પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાઈ છે. તે હસ્તપ્રત ૪૮-૧૧ની ૧૯૩૦માં કરાવેલી નકલ છે. ફાઉન્ટન પેનથી, ઝીણા, પણ અત્યંત સુવાચ્ય અક્ષરે આ નકલ લખાયેલી છે. તેનું લેખન ૧૯૩૦ના નવેમ્બરની ૩૦મી તારીખે વિલેપાર્લેમાં પૂરું થયું છે. મૂળ હસ્તપ્રત આજે અડતાં પણ બીક લાગે એવી દશામાં છે ત્યારે આ નકલ ઘણી મહત્ત્વની બની જાય છે. વળી એને સ્કેન કરીને પણ સાચવી લીધી છે.  

પોતાના અનુવાદના પહેલા ભાગની પ્રસ્તાવનામાં રણછોડભાઈએ નોંધ્યું છે કે રાસમાળાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થાય એવી ફાર્બસની પોતાની જ ઇચ્છા હતી અને તેમણે યોગ્ય અનુવાદકનું નામ સૂચવવા સર ટી.સી. હોપને વિનંતી કરી હતી. એ વખતે તેમણે રણછોડભાઈનું નામ સૂચવ્યું હતું, પણ તે માટે મુંબઈ જઈ ફાર્બસને મળવું જરૂરી હતું, જે એ વખતે રણછોડભાઈ માટે શક્ય નહોતું. એટલે અનુવાદ થઈ શક્યો નહિ. ફાર્બસના અવસાન પછી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ અનુવાદનું કામ માથે લીધું અને તે માટે એ વખતની રીત પ્રમાણે અનુવાદના નમૂના મોકલવા જાહેર અપીલ કરી. આ રીતે આવેલા નમૂના ચકાસવા માટે એક સમિતિની નિમણૂક કરી. તેણે રણછોડભાઈનો નમૂનો પસંદ કર્યો અને તેથી અનુવાદનું કામ તેમને સોંપાયું.  

એ પણ નોંધવું જોઈએ કે આ ‘ગુજરાતી રાસમાળા’ની વાત ફાર્બસના અવસાન પછી જ વહેતી થઈ. ૧૮૫૬માં અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ ત્યારથી ૧૮૬૫ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. અગાઉ જે બે ચોપડાનો ઉલ્લેખ કર્યો છે તેમાં પણ ક્યાં ય આવો દાવો દલપતરામે કર્યો નથી. 

પણ દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’ના પ્રકાશન અંગેની સૌથી વધુ ચોંકાવનારી માહિતી તો ‘બુદ્ધિપ્રકાશ’ની જૂની ફાઈલો ફંફોસતાં અણધારી રીતે મળી આવી છે. દલપતરામ, ફાર્બસ અને ‘રાસમાળા’ અંગે આજ સુધીમાં ઘણાંએ લખ્યું છે, ઘણું લખ્યું છે, પણ નવાઈની વાત એ છે કે આજ સુધી કોઈનું એ તરફ ધ્યાન જ ગયું નથી. ફાર્બસની અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં લંડનથી પ્રગટ થઈ. આ પુસ્તક લખવા માટે ફાર્બસ લાંબી રજા લઈને સ્વદેશ ગયા હતા. પુસ્તક પ્રગટ થયું તે પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની બેવડી જવાબદારી સંભાળી. અને ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૮ના માર્ચ અંક(પાનું ૪૦)થી દલપતરામ ‘રાસમાળાની વાત’ હપ્તાવાર પ્રગટ કરવાનું શરૂ કરે છે. એ વખતે બીજાં ઘણાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ આખા વરસના અંકોના સળંગ પાના નંબર અપાતા. ૧૮૫૮ના પાંચમા વર્ષમાં પાના નંબર ૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩, ૧૨૯, ૧૫૨, ૧૬૭, અને ૨૦૯ ઉપર ‘રાસમાળા’ કે રાશમાળા’ શીર્ષક સાથે દલપતરામનું લખાણ પ્રગટ થયું છે. ૧૮૫૯માં પણ પાના નંબર ૩૦ અને ૪૪ ઉપર તે ચાલુ રહે છે. છેલ્લા હપ્તાને અંતે ‘અધૂરું’ લખ્યું છે, પણ તે પછી કોઈ હપ્તો છપાયો નથી. કશી ચોખવટ કર્યા વગર પ્રકાશન આ રીતે અધવચ્ચે કેમ અટકાવી દેવું પડ્યું હશે એ એક કોયડો છે. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા અને પોતાનું દરેક લખાણ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’માં છાપતા. ફાર્બસ સાથેનો તેમનો સંબંધ જોતાં ફાર્બસે એ પ્રકાશન અટકાવવા કહ્યું હોય એમ માનવું મુશ્કેલ. એક અનુમાન સૂઝે છે : ૧૮૫૩થી ૧૫ વરસ સુધી ટી.બી. કર્ટિસ સોસાયટીના સેક્રેટરી હતા. ફાર્બસના અવસાન પછી તેમણે દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’નું પ્રકાશન એ છાપવા માટે ફાર્બસે ૨૦૦ રૂપિયાના કાગળ મોકલ્યા હોવા છતાં સોસાયટી દ્વારા ન કરતાં દલપતરામના બે હસ્તલિખિત ચોપડા મુંબઈ ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલી દીધા હતા. તો ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી લેખમાળાનું પ્રકાશન તેમણે અટકાવ્યું હોય? નહીંતર દલપતરામ પોતાની લેખમાળાનું પ્રકાશન અધવચ્ચે પડતું શા માટે મૂકે?

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘જયસીખરી ચાવડાની વાત’

એવી જ રીતે આ લેખમાળાની શરૂઆત પણ ગૂંચવણ ભરેલી છે. પાંચમા પુસ્તકના ૪૦મા પાના પર પહેલી વાર ‘રાસમાળાની વાત’ મથાળાથી લખાણ છપાયું છે. પણ તેને મથાળે લખ્યું છે : ‘ગયા ચોપાનિયાના પૃષ્ટ ૧૬મેથી સાંધણ. ભાગ ત્રીજો.’ પણ ૧૮૫૮ના પહેલા અંકમાં પાના ૧૩-૧૬ ઉપર ‘રાસમાળા’ મથાળા નીચે નહિ, પણ સ્વતંત્ર રીતે ‘જયશિખરી ચાવડાની વાત’ લખાણ છપાયું છે. અને તેને મથાળે છાપ્યું છે ‘ગયા પુસ્તકમાંના પૃષ્ટ ૧૬૪મેથી સાંધણ.’ ‘ગયું પુસ્તક’ એટલે ૧૮૫૭નું (ચોથું) પુસ્તક. એ વરસના ૧૫૫થી ૧૬૪મા પાના સુધી ‘જયસિખરી ચાવડાની વાત’ છપાઈ છે. એ પહેલાંના કોઈ અંકમાં તેનું પુરોસંધાન જોવા મળતું નથી. એના પરથી અનુમાન કરવું રહ્યું કે ‘જયસિખરીની વાતના’ બે હપ્તાને પછીથી દલપતરામે ‘રાસમાળા’ના પહેલા બે હપ્તા ગણીને નામ બદલીને ‘રાસમાળાની વાત’ કર્યું હશે. એટલે કે, અંગ્રેજી ‘રાસમાળા’ના પ્રકાશન પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા તે જ વરસે દલપતરામે તેની કાચી સામગ્રી ફાર્બસનો, કે તેની રાસમાળાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું! 

એટલે, ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ થાય એવી ખુદ ફાર્બસની જ ‘છેલ્લી ઇચ્છા’ હતી, એ ઇચ્છા પૂરી કરવા દલપતરામ આતુર હતા, પણ તેમની હયાતિમાં એ પૂરી થઇ નહિ, એવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી. વળી એવો સવાલ પણ કરી શકાય કે જો આ બે ચોપડા ૧૮૫૭-૫૮-૫૯માં દલપતરામ/સોસાયટી પાસે હતા (એ વગર હપ્તાવાર પ્રકાશન શક્ય ન બન્યું હોય) તો તે પાછા ફાર્બસ પાસે ક્યારે અને શા માટે ગયા? કારણ દલપતરામ કહે છે કે ફાર્બસના અવસાનના થોડા દિવસ પહેલાં મુંબઈમાં થયેલી છેલ્લી મુલાકાત વખતે ફાર્બસે તે પોતાને આપ્યા હતા.     

જેમ દલપતરામના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે તેમ ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ચાર મોટા, લેજર સાઈઝના ચોપડા પણ સચવાયા છે. તેમાંથી બે નંબરના ચોપડામાં ‘પ્રબંધચિંતામણી’નો ફાર્બસે કરેલો અંગ્રેજી અનુવાદ છે, જે આજ સુધી અપ્રગટ રહ્યો છે. પાંચ નંબરના ચોપડામાં શત્રુંજયવર્ણન (સંસ્કૃત), દશેરા બનાવ (ગુજરાતી), જેવી કેટલીક પ્રકીર્ણ કૃતિઓ તથા મૌખિક પરંપરામાંથી ભેગી કરેલી કથાઓ છે. છ નંબરના ચોપડામાં પૃથુરાજરાસો (ગુજરાતી) અને દ્વયાશ્રય (સંસ્કૃત) જેવી કૃતિઓના વિગતવાર સારાંશ અંગ્રેજીમાં લખ્યા છે. આઠ નંબરના ચોપડામાંની સામગ્રી પ્રકીર્ણ પ્રકારની છે. તેમાં કેટલાંક કથા, કિસ્સા, વંશાવળી, શિલાલેખો અને તામ્રલેખોના અનુવાદ જોવા મળે છે. આ સામગ્રી જોતાં લાગે છે કે મોટે ભાગે આ છેલ્લો ચોપડો હશે. એક, ત્રણ, ચાર, અને સાત નંબરના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ના સંગ્રહમાં જોવા મળતા નથી. દેશના કે વિદેશના બીજા કોઈ પુસ્તકાલય પાસે એ હોય એવી માહિતી હજી સુધી મળી નથી, પણ શોધ ચાલુ છે. 

એટલે, ‘રાસમાળા’ ફાર્બસની જ કૃતિ. તેને માટેની કેટલીક કાચી સામગ્રી દલપતરામે ભેગી જરૂર કરી આપેલી. અને એ અર્થમાં તેઓ ફાર્બસના સહાયક પણ ખરા. પણ ‘રાસમાળા’ એ મૂળ દલપતરામની કૃતિ, અને ફાર્બસ તો તેના માત્ર અનુવાદક, કે મહેનત બધી દલપતરામની અને જશ મળ્યો ફાર્બસને તેવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

...102030...628629630631...640650660...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved