Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુવામતદાર નોંધણીમાં ઉદાસીન, ચાલુ મતદાર મતદાનમાં ઉદાસીન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2024

એક યક્ષ પ્રશ્ન

હવે કેટલાંકમાં કંગના રણાવત પેઠે સ્વાતંત્ર્ય સંવતનો નિરીહ ઉત્સાહ ટક્યો નથી તો કેટલાયે નવતરુણો વાસ્તવચિત્ર જોતાં લોકશાહી પ્રક્રિયામાં વિધિવત જોડાવાથી વિમુખતા અનુભવે છે. ‘મધર ઑફ ડેમોક્રસી’ની ગોદમાં એમને સારુ જાણે જગ્યા જ નથી.

પ્રકાશ ન. શાહ

બે દોરમાં થઈને લોકસભાની 190 બેઠકો સારુ મતદાન થઈ ગયું છે. ચૂંટણીપંચ તરફથી આંકડા ધીમે ધીમે હપતાવાર મળ્યા એ સાચું, પણ અંતિમ આંકડા પ્રમાણે પણ 2019 કરતાં મતદાનની ટકાવારીમાં કંઈક ઘટાડો જરૂર થયો છે. એથી પણ વધુ ગંભીર વિગતમુદ્દો તો કદાચ એ છે કે જે નવતરુણો મતાધિકારને પાત્ર છે તે પૈકી ઘણા ઓછા લોકોએ મતાધિકાર સારુ રજિસ્ટર થવાની જરૂર જોઈ છે.

આ ઉદાસીનતાને કેવી રીતે ઘટાવશું ? જેમણે 2014 અને 2019માં ઉત્સાહથી મત આપ્યા એમના એક હિસ્સાએ 2024માં કેમ નિરુત્સાહ દાખવ્યો હશે, આ સવાલના જે બે વૈકલ્પિક જવાબ જડે છે તે મોદી ભા.જ.પ.ને કેન્દ્રમાં રાખીને આપણી સામે આવે છે. એક જવાબ એ છે કે જેમણે બદલાવ માટે લાગટ બે વાર મોદી ભા.જ.પ.ની સાથે રહેવાપણું જોયું – કંગના રણાવતના નિરીહ ઉત્સાહથી 2014ને સ્વાતંત્ર્ય સંવત તરીકે વધાવવાપણું જોયું – એમના પૈકી કેટલાક ટકાને હવે ત્રીજી વાર આ હઇસોજંબે અગર તો પરિવર્તન યજ્ઞમાં જોડાવાપણું અનુભવાતું નથી. બીજો જે જવાબ જડે છે તે એ કે લગભગ બધાં જ પ્રચારતંત્ર પરના એકાધિપત્ય વાટે મોદી ભા.જ.પે. જમાવેલી હવાને કારણે સ્વાભાવિક જ જેમને પરિણામ પૂર્વનિશ્ચિત જણાય છે એમને પોતાનો એક મત પડ્યો તો પણ શું અને ન પડ્યો તો પણ શું એવું થાય છે. તેઓ મોદી ભા.જ.પ. તરફે હોઈ શકે, પણ પરિણામ સારુ એ હદે આશ્વસ્ત હોય કે મતદાનની તસ્દી લેવાની જરૂર નયે જણાતી હોય.

આ બંને જવાબનાં પોતપોતાનાં લૉજિક છે, અને ચોક્કસ બેઠક પણ હોઈ શકે છે. પરંતુ નિર્ભ્રાન્તિવશ અગર આશ્વસ્તિવશ, એમ કોઈ પણ ભૂમિકાએ સુસ્ત રહેવાનું વલણ પથ્ય જણાતું નથી. કારણ, મોદી ભા.જ.પ.નાં સઘળાં બિનલોકશાહી વલણો સામે શીર્ષ સત્તાસ્થાનેથી મોટે અવાજે લેવાતી ઉચ્ચ ભૂમિકા આપણે ‘મધર ઑફ ડેમોક્રસી’ છીએ એ તરજ પર સતત સંભળાય છે. વિશ્વના માતૃલોકતંત્રમાં સત્તાપક્ષના મતદારનું કોઈ પણ છેડેથી ઉદાસીન હોવું એ ઇષ્ટ નથી તે નથી.

હવે પ્રશ્ન રહ્યો નવયુવા મતદારોનો. તેઓ શા સારુ વિધિવત્ મતદાર નોંધણીથી વિમુખ રહે છે ? વીર નર્મદે ફરિયાદ કરેલી કે આપણે ગુજરાતીઓ રાજકારણની વાતમાં લગારે મોં ઘાલતા નથી, એટલી એક સાદી જ વાત એની પૂંઠે ન હોઈ શકે. કારણ, તે પછી તો દેશસમસ્તે એક પ્રજા તરીકે જે રીતે વ્યાપક સહભાગિતાપૂર્વકનો સ્વાતંત્ર્યસંગ્રામ ખેડ્યો એ એક પ્રતિમાન રૂપ ઇતિહાસવિગત છે. આજકાલ ક્રાન્તિકારીઓને જરી વિશેષ રીતે આગળ કરવાની – અને એ માનપત્ર તો છે જ અને રહેશે – હિલચાલ વૈકલ્પિક વિમર્શરૂપે અને ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટી જેને પ્રતિનિધિત કરે છે તે લોકચળવળના કંઈક અવમૂલ્યનરૂપે ચલાવાય છે તે ભલે ચાલતી, પણ સ્વરાજલડતની વ્યાપક સહભાગિતાએ લોકશાહી સારુ ભૂમિકા સરજી તે ઇતિહાસવસ્તુ હતી, છે અને રહેશે.

વ્યાપક સહભાગિતાના આ અભિગમપૂર્વક સ્તો રાજીવ ગાંધીએ તરુણ વય મતાધિકારની પ્રતિષ્ઠા અઢાર વરસના આગ્રહ સાથે કરે. 2019 સુધી તો માનો કે એવા અઢાર વરસના મતદારો આવ્યા જેમને સારુ આગલાં સિત્તેર વરસ કશું નહોતાં. હવે મોદી વરસોમાં જેઓ આઠમેથી અઢારમે પહોંચ્યા એમણે જે કંઈ જોયું, ખાસ તો ભેંકાર બેરોજગારી, એ પછી ‘કોઈ સાગર દિલ બહલાતા નહીં’ એવી મનઃસ્થિતિમાં હશે ? ન જાને. 4 જૂનના ચિત્ર પછી વધુ વિગતે વિચારવું રહેશે, એ સાચું, પણ અત્યારે ભલે પ્રાથમિક રૂપે ય જે સમજાય છે તે પ્રમાણે ચિંતાને સારુ કારણ જરૂર છે. એક નોંધપાત્ર પ્રજાવર્ગ, એમાં પણ ઉભરીને આવતા તરુણોનો નોંધપાત્ર હિસ્સો લોકશાહી પરંપરા અને પ્રક્રિયાઓથી પરહેજ કરવા ભણી વળે તો એ આપણા લોકતંત્રને કાં તો થોડાંક લોકોની બપૌતી એવી ક્રિપ્ટોક્રસીમાં ફેરવી નાખે કે પછી વાસ્તવિક લોકશાહીને લંગડાતી ને લકવાયેલી બનાવી મેલે. મોહનિદ્રા સારુ નહીં પણ પ્રેરણાની તાજગી વાસ્તે એક નવ્ય કથાનકની કદાચ તાકીદ છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024

Loading

સલામત રહીએ આપણે બધાં.

પલ્લવી ત્રિવેદી [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|30 April 2024

આજે પલ્લવી ત્રિવેદીના એક કાવ્યનો અનુવાદ. અઠંગ પ્રકૃતિપ્રેમી કવિને તમે અહીં પણ વાંચી શકશો : kuchehsaas.blogspot.com 

•

કીડી અનાજ ભેગું કરે છે

ઊંટ પાણી સંઘરે છે 

પાઈ પાઈ કરીને ગૃહિણી ભેગા કરે છે સિક્કા 

અને પ્રેમિકાઓ એકઠો કરે છે 

પ્રેમીની આંખોમાંથી ઝરતો સ્નેહ, પોતાના કઠિન સમય માટે.

પૃથ્વી યુક્તિઓ કરે છે થોડીક લીલપ બચાવી રાખવાની

આકાશ થીગડું દેવાની કારીગરી શીખે છે

એના પહેરણના એક મોટા કાણાને રફૂ કરવા માટે

સૌથી ખરાબ દિવસો માટે હું પણ

એક લાલ ડબ્બીમાં એકઠી કર્યે રાખું છું

થોડીક વસ્તુઓ

જેમ કે પક્ષીના ગાનનો કલરવ, સપ્તરંગી હાસ્ય બાળકોનું ,

કોમળ સ્પર્શ ખિસકોલીના પંજાનો, ઘેરી ઉદાસીભરી સંધ્યાઓ

કોઇ થાબડતું હોય એવું સંગીત

કલેજું ચીરી નાખતા વ્યાકુળ પોકાર

અને યાદો, એ લોકોની.

જેમની પાસેથી ક્ષમા અને પ્રેમ મળ્યા, 

બિનશરતી.

ખરાબ સમયની વ્યાખ્યાઓ તો ઢગલાબંધ છે

દરેકનો ખરાબ સમય બેહદ પોતીકો હોય છે.

જ્યારે પણ મારી અંદરની માનવતાને શ્વાસ ભરાવા લાગે છે

ત્યારે શરૂઆત થાય છે મારા ખરાબ સમયની.

બહુ ઉમદા હવાઈ છત્રી છે મારી લાલ ડબ્બી

કાયમ અણીના સમયે ખૂલી જ જાય છે

ને એવી રીતે દર વખતે હું બચી જાઉં છું

ને આ પૃથ્વી પણ. 

ડબ્બીઓ આવી ભરેલી રહે,

સલામત રહીએ આપણે બધાં.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘તમામ મોસમના વિચારક’ સુધીર કક્કડને અલવિદા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2024

રાજ ગોસ્વામી

માનવ મન અને તેની તાકાતમાંથી પેદા થયેલી, સારી અને ખરાબ, અનેક ચીજો સદીઓઓથી વિસ્મય અને અભ્યાસનો વિષય રહી છે. એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સની અભૂતપૂર્વ સર્વગ્રાહી પ્રગતિ છતાં, કોઈ એક ક્ષેત્ર રહસ્યમય રહી ગયું હોય, તો તે છે માણસનું મન. પગના નખથી લઈને માથાના વાળ સુધીનું શરીરતંત્ર કેવી રીતે કામ કરે છે, તેનાં તમામ રહસ્યોનો વિજ્ઞાને તાગ મેળવી લીધો છે, પરંતુ મન-મગજ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બે વ્યક્તિ કે બે સમુદાયોનાં મન અલગ પડે છે, કેવી રીતે અમુક બાબતો પૂરી માનવજાતની માનસિકતામાં એક સરખી છે અને કેવી રીતે અમુક ચીજો અત્યંત ભિન્ન છે તે સમજવા માટે વિજ્ઞાનીઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે.

જ્યારે વિજ્ઞાનનો, અને ખાસ કરીને માનસ વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે, માણસના વિચાર અને વ્યવહારને સમજવાનું કામ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકો કરતા હતા. માણસના કોઇ પણ વર્તનનું મૂળ તેના શરીરની અંતરિક રચનામાં છે, એટલે, ઋષિ-મુનિઓ અને દાર્શનિકોએ માણસના અંતરઆત્મા પર ફોકસ કર્યું હતું જેથી તેની એક પેટર્ન સમજી શકાય અને તેનું નિયંત્રણ કરી શકાય.

પશ્ચિમમાં, પૃથ્વી પરના પ્રાકૃતિક જગતને સમજવા માટે નેચરલ સાયન્સનો વિકાસ થયો ત્યારે, બાયોલોજીની સાથે સાથે સાઈકોલોજીની અલગ વિદ્યા અમલમાં આવી હતી, જે માનવીય મન અને તેના વ્યવહારોનો ફોડ ફાડી શકે. તેના કારણે જ ધર્મશાસ્ત્રીઓ અને દાર્શનિકોનું પ્રભુત્વ ઘટી ગયું.

જીવનની દરેક બાબતને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જ સમજવાના આગ્રહના કારણે પશ્ચિમમાં છેલ્લાં 200 વર્ષમાં મનોવિજ્ઞાનમાં જબરદસ્ત તરક્કી થઇ છે અને અવ્વલ દરજ્જાના મનોવિજ્ઞાનીઓને જન્મ આપ્યો છે, જેમણે એકલ મનની ગહેરાઈની તલાશ કરી છે એટલું જ નહીં, સમાજ અને સંસ્કૃતિના વિકાસની વિશેષતાઓને પણ મનોવૈજ્ઞાનિક ઢબે સમજી છે.

ભારતમાં એવું કામ સુધીર કક્કડે કર્યું હતું. ગઈ 23મી એપ્રિલે, 85 વર્ષના મનોવિશ્લેષક અને લેખક સુધીર કક્કડનું નવી દિલ્હીમાં 85 વર્ષની વયે કેન્સરમાં અવસાન થયું, ત્યારે, કેનેડા સ્થિત ઈરાનિયન ફિલોસોફર અને શિક્ષણશાસ્ત્રી રમિન જહાનબેગલૂએ, તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખના મથાળામાં સુધીર કક્કડને ‘ધ થિંકર ઓફ ઓલ સિઝન્સ’ (તમામ મોસમના વિચારક – સર્વકાલીન વિચારક) ગણાવ્યા હતા.

તેમાં તેઓ લખે છે, “સુધીર એક બહુઆયામી અને બહુ-દૂરદર્શી વિચારક હતા, જેમણે મિથકો, રિવાજો, મેલી વિદ્યા, ડોકટરો, સપનાં, હિંસા અને ભારતીય માનસ વિશે ઘણું લખ્યું હતું. તેમને ભારતીયોની ભારતીયતા અને તેઓ કેવી રીતે રહે છે, વિચારે છે અને એકબીજા સાથે જોડાયેલા રહે છે તેમાં વિશેષ રસ હતો.” 

સુધીર માત્ર મનોવિજ્ઞાની જ નહીં, ઇજનેર અને અર્થશાસ્ત્રી પણ હતા. તેમણે સ્નાતકની પદવી અને બાદમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમ જ ઘણી વિદેશી કોલેજોમાં ભણાવ્યું હતું. તેમને ભારતીય સમાજનું અર્થઘટન કરવામાં રસ હતો. તેમને ધર્મ અને રાજકારણની સાથે રાજકીય સંબંધોમાં પણ રસ હતો.

કક્કડ સાંસ્કૃતિક મનોવિજ્ઞાન અને ધર્મના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્વાન હતા. તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં લેક્ચરર, હાર્વર્ડ ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં સિનિયર ફેલો અને શિકાગો, મેકગિલ, મેલબોર્ન, હવાઈ અને વિયેના યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રોફેસર હતા.

કક્કડે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હીમાં પણ ભણાવ્યું છે. તેમણે નોન-ફિક્શનનાં 20 પુસ્તકો લખ્યાં હતાં, જેમાં જેમાં ધ ઈન્ડિયન્સઃ પોર્ટ્રેટ ઓફ અ પીપલ (વેન્ડી ડોનિગર સાથે) અને ધ ક્રિમસન થ્રોનનો સમાવેશ થાય છે, જેને 2010ના ક્રોસવર્ડ બુક એવોર્ડ ફોર ફિક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

ભારતીયતા એટલે શું? આપણે તેને ઇતિહાસ, પરંપરા, ધર્મ અને ભૌગોલિકતાથી વ્યાખ્યાયિત કરીએ છીએ. સુધીર કક્કડે તેના કેન્દ્રમાં અનુકંપા મૂકી છે. દરેક સંસ્કૃતિ વિશ્વને અને તેમાં મનુષ્યના સ્થાનને પોતપોતાની રીતે જુએ છે. તે દૃષ્ટિ પછી જે તે સંસ્કૃતિના રહેવાસીઓના માનસને ઘડે છે. આપણી સંસ્કૃતિ દુનિયાને અનુકંપાથી જુએ છે, તેવી સુધીર કક્કડનો મત હતો.

તેમણે લખ્યું હતું કે બુદ્ધ, કબીર, નાનક, તુકારામ, બાસવા, ટાગોર અને ગાંધી જેવા અનેક યુગપુરુષોનો સૂર હતો કે આપણે માત્ર મનુષ્યો જ નહીં, તમામ જીવો સાથે અનુકંપાના ભાવથી જોડાઈએ છીએ. ટાગોર અને ગાંધી બંને આધ્યામિકતાને બંધુત્વની ભવનાથી માપતા હતા. “આપણે જો તમામ જીવો સાથે લગાવ મહેસૂસ ન કરી શકીએ તો આપણી તમામ પ્રાર્થનાઓ અને અનુસરણ નિરર્થક છે,” એમ ગાંધીજીએ લખ્યું હતું.

સુધીર કક્કડે અનુકંપાને એક પહાડ સાથે સરખાવી હતી, જેને ચડતી વખતે માણસ અનેક છાવણીઓ પાર કરે છે. જેમ કે તેના બેઝ કેમ્પમાં સહિષ્ણુતા છે, જેમાં તમારાથી ભિન્ન લાગણીઓ, માન્યતાઓ અને આદતો ધરાવતી વ્યક્તિનો સ્વીકાર કરવાનો ભાવ છે. તેનાથી ઉપર જાવ તો કરુણાની છાવણી આવે છે, જેમાં બીજાની પીડા માટે દયાનો ભાવ છે. અનુકંપાનું ત્રીજુ અને સૌથી છેલ્લું શિખર સહાનુભૂતિનું છે, જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિની સંવેદનાઓને પોતીકી મહેસૂસ કરે છે. સહાનુભૂતિ આસપાસના જીવન અને પ્રકૃતિ સાથે એકાત્મનો ભાવ છે.

સુધીરે કહ્યું હતું કે એક સાધારણ ભારતીયથી લઈને એક સંત કે મહાપુરુષ અનુકંપાના આ પહાડના યાત્રીઓ છે. અમુક તળિયે છે અને અમુક ઉપર ચડી રહ્યા છે અથવા શિખર પર છે. તેમની ફરિયાદ હતી કે અનુકંપા અને પ્રેમની આ ભારતીય પરંપરા, પશ્ચિમમાંથી આપણે ઉછીના લીધેલા સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એ મૂલ્યોમાં, બંધુત્વની ભાવનાનું સ્થાન છેલ્લે છે એટલું જ નહીં વર્તમાન સમયમાં અધિકારોની લડાઈમાં તે હાંસિયામાં પણ ધક્લાઈ ગઈ છે.

સમાનતાના અધિકારની લડાઈ દેશના કમજોર વર્ગ માટે જરૂરી છે, પરંતુ તે ન્યાયની લડાઈ બનીને સત્તાનો સંઘર્ષ બની જાય છે અને એમાં બંધુત્વની સહાનુભૂતિ ખોવાઈ જાય છે. “અમે અને તમે”નું આ વિભાજન અનુકંપાના પહાડને કમજોર બનાવે છે.

સુધીર કક્કડ કહેતા હતા કે ભારતમાં વિવિધ સમુદાયોના લોકોની ધાર્મિક ઓળખ માતા-પિતાની પેઢીમાંથી આવે છે. બાળકનો કોઈ ઇતિહાસ નથી હોતો, પણ તેનાં પેરેન્ટ્સ તેને જે વાર્તાઓ કહે છે, જે રિવાજોનું પાલન કરાવે છે, જે વિચારો અને માન્યતાઓ સમજાવે છે તેમાંથી તેની ધાર્મિક ઓળખ નક્કી થાય છે. 

આ વ્યક્તિગત ધાર્મિક ઓળખની સાથે સાથે તેની બીજી એક ઓળખ પણ વિકસિત થાય છે, જે તેના સમુદાયમાંથી આવે છે અને જેને સાંપ્રદાયિક ઓળખ કહે છે. આ સામૂહિક સાંપ્રદાયિક ઓળખ તેને અન્ય કરતાં વિશિષ્ઠ, અસહિષ્ણુ અને ક્યારેક હિંસક બનાવે છે. 

તેઓ કહે છે કે ધર્મ જ્યાં સુધી વ્યક્તિગત રહે છે, અથવા ઘરની ચાર દીવાલો વચ્ચે રહે ત્યાં સુધી શાંતિપૂર્ણ હોય છે, પરંતુ તે જ્યારે એક સમૂહની ઓળખ તરીકે બહાર આવે છે ત્યારે તે હિંસા અને સંઘર્ષમાં પરિણમે છે. સુધીર કક્કડ કહેતા હતા કે જ્યાં સુધી આપણાં બાળકોને માનસને શિક્ષણ અને કળા-સાહિત્ય મારફતે સાંપ્રદાયિકતાની નકારાત્મકતા પ્રત્યે જાગૃત કરવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય સમાજની અમુક બીમારીઓનો ઈલાજ થવાનો નથી. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 28 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...581582583584...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved