Opinion Magazine
Number of visits: 9457141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“If On a Winter’s Night a Traveler” વિશે — 7

સુમન શાહ|Opinion - Literature|12 May 2024

નિવેદન – સુ૦

આ નવલના ત્રણ વાચક છે : 

૧ : કાલ્વિનોની આ નવલકથા વાંચનારા આપણે સૌ – હું, અમે, તું, તમે, તે, તેઓ. 

૨ : બીજો વાચક છે, ‘તમે’- you. કથકે એને સ્પષ્ટપણે સમ્બોધ્યો છે, બોલાવ્યો છે, કથામાં બેસાડ્યો છે. ક્રમે ક્રમે એ બીજાં બધાં પાત્રો જેવું એક પાત્ર બની ગયો છે – વિચારે છે, બોલે છે, વર્તે છે, અનુભવે છે, વગેરે. 

૩ : ત્રીજો વાચક છે, કથકે જેને ‘અન્ય વાચક’ કહ્યો છે – other reader. એ છે, લુદ્મિલા. 

— કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ‘તમે’ અને લુદ્મિલાનો એકબીજાં સાથેનો વાચકસમ્બન્ધ, માનવીય સમ્બન્ધ અને પ્રેમસમ્બન્ધ પણ વિકસતો રહે છે. છેલ્લે બન્ને પરણી જાય છે.  

— આ ત્રણેય વાચકોનું એક પ્રકારના સર્વસામાન્ય વાચક-રૂપમાં નિસ્યન્દન થઈ જાય છે – ડિસ્ટિલેશન. 

= પરિણામ શું? એ કે પુસ્તકવાચનને વિશેની સભાનતા કે જાગૃતિ વિકસે. સરવાળે, વાચનનો સર્જન કે લેખન જેટલો જ મહિમા થાય. 

= એટલું જ નહીં, વાચક, વાચન, કથાસાહિત્ય માગે એ વાચનરીતિ, સાહિત્યકલાનો રાજ્ય સમાજ સભ્યતા કે સંસ્કૃતિ સાથેનો પરોક્ષ અનુબન્ધ, વગરે સમ્પ્રત્યયોનું જ્ઞાન જનમે; એ દિશાની સમજદારીનો વિકાસ થાય. 

= ઉપરાન્ત, અધ્યાપક અને અધ્યેતા બન્નેમાં, કથાસાહિત્યનું અધ્યાપન અને અધ્યયન કેમ કરવું જોઈએ એ વિશેની સૂઝબૂઝ આવે. સાહિત્યનું પ્રાગટ્ય-સ્થાન જો પ્રકાશનસંસ્થા છે તો એના ઉછેરનું સ્થાન યુનિવર્સિટી છે. 

પ્રકરણ -7 : (સાર-સંક્ષેપ)

લુદ્મિલા તમને (you) મળવાની છે પણ એને મૉડું થઈ રહ્યું છે. એટલે, એની રાહ જોવામાં તમારાથી આગળ વંચાતું નથી. એટલામાં, કાફેનો એક નોકર આવી તમને જણાવે છે કે તમારા માટે ફોન આવ્યો છે. લાઈન પર લુદ્મિલા હતી. એ તમને એના ઘરે આવવાનું નિમન્ત્રણ આપે છે, જો કે પોતે હજી ઘરે પ્હૉંચી નથી.

તમે લુદ્મિલાના ઘરે જાઓ છો, પૂછી પણ લો છો કે એ એકલી રહે છે કે કેમ, જો કે ઝાઝી પડપૂછ નથી કરતા. કેટલીક તમારી વધુ વીગતો આપવાના આશયથી કથક કથાને અટકાવે છે. અત્યાર સુધીમાં કથકે વાચક વિશે બહુ ઓછી વીગતો આપી છે, હા, એ ખરું કે એણે એટલું જણાવ્યું છે કે વાચક પુરુષ છે. એથી (નવલના) પુરુષ વાચકો એની સાથે તાદાત્મ્ય અનુભવી શકે છે. એણે પહેલેથી જાણી જોઈને વાચકને you કહ્યો છે, નામ પણ નથી જણાવ્યું, પણ એથી કરીને લુદ્મિલાનું પાત્ર નક્કર અનુભવાય છે; વળી, લુદ્મિલાને નામ પણ છે, ઉપરાન્ત એને થર્ડ પર્સનમાં રાખી છે. 

થોડા સમય માટે, કથક પરિપ્રક્ષ્ય બદલે છે – લુદ્મિલાને ‘તમે’ – you કહે છે અને તમને થર્ડ પર્સનમાં ‘વાચક’ રૂપે નિરૂપે છે. લુદ્મિલાના ઘરમાં પુસ્તકોને આગવા સ્થાને સુચારુ રીતે રાખવામાં આવ્યાં છે. એથી એમ સૂચવાય છે કે એણે બહારની દુનિયાને દૂર રાખી છે. એનું રસોડું જોતાં લાગે કે એ નિયમિત રાંધે છે અને એના સ્વાદ સુરુચિપૂર્ણ છે. 

લુદ્મિલાના ઘરની આસપાસ વાચક કેવી રીતે જોઈ રહ્યો છે એ વસ્તુ કથક થર્ડ પર્સનમાં વર્ણવે છે. લુદ્મિલાનું રાચરચીલું સૂચક છે, એને વિશે ઘણું સૂચવાય છે. તેમછતાં, એનું ઘર એના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં સંતાડી રહ્યું છે. એનાં પુસ્તકો એમ સૂચવતાં જણાય છે કે લુદ્મિલા એક-ની-એક વસ્તુ વારંવાર વાંચનારા વાચકોમાંની નથી.

કથક હવે પોતાનો મૂળ પરિપ્રેક્ષ્ય અપનાવે છે. એટલે, જ્યારે એ ‘તમે’ – you – કહે છે ત્યારે એ વાચકને સમ્બોધે છે, લુદ્મિલાને નહીં. તમે જાણ્યું એ ફરીથી જાણો કે લુદ્મિલા પાસે ઘણાં પુસ્તકો છે. પરન્તુ વાચન એક વ્યક્તિનો વિષય છે, અને તેથી એમ સૂચવાય છે કે લુદ્મિલાના જીવનમાં એકે ય પુરુષ પ્રવેશ્યો નથી. 

બારણું ખોલવાને, તમે એક ચાવી ફરતી સાંભળો છો અને જુઓ છો કે લુદ્મિલા નથી પણ કો’ક બીજો છે. સ્પષ્ટ એમ થાય છે કે એ ઇર્નેરિયો છે. ઇર્નેરિયો કહે છે કે લુદ્મિલા ભલે નથી પણ પોતે એક પુસ્તક લેવા આવ્યો છે. પુસ્તક એને વાંચવું નથી પણ પોતાના આર્ટ પ્રૉજેક્ટ માટે વાપરવું છે. તમે જોતા રહી જાઓ છો કે લુદ્મિલાની શેલ્ફમાંથી પુસ્તક એ કેટલી આસાનીથી લઈ પાડે છે. બાકી સમજો, શેલ્ફ તો એક દીવાલ છે, આક્રમણખોરો પ્રવેશી શકે જ નહીં.

તમને અચરજ થાય છે કે ઇર્નેરિયો (જે કદી વાંચતો જ નથી) અને કયાં લુદ્મિલા (પાક્કી વાચક) ! “In the network of lines”-ને ઇર્નેરિયો પોતાના પ્રોજેક્ટ માટે લઈ જવા માગે છે પણ તમે નથી ઇચ્છતા કે લઈ જાય, એટલે, તમે એને “In the network of lines”-ના જેવું દેખાતું એક બીજું પુસ્તક પકડાવો છો. જો કે તમને સમજાય છે કે એ પુસ્તક તો “In a network of lines that enlace”-ને મળતું આવે છે, એટલું જ નહીં, એ તો સિલાસ ફ્લૅનરીએ લખ્યું છે. ઇર્નેરિયો ખુલાસો કરે છે કે તમે આપેલું પુસ્તક લુદ્મિલાનું નથી. 

ઇર્નેરિયો તમને (You) એક નાના સ્ટોરેજ રૂમમાં લઈ જાય છે, ત્યાં ટેબલ પર એક ટાઈપરાઈટર છે. તમે જુઓ છો કે ટાઇપરાઇટર પર એક કાગળ છે, જે પર વંચાય છે – ‘ટ્રાન્સલેશન બાય એર્મિસ મારન’. પાછું તમને થાય છે કે મારનના પત્રોમાં છે એ સ્ત્રીઓ હમેશાં તમને લુદ્મિલાની યાદ આપે છે. તમે ઇર્નેરિયોને પૂછો છો – અહીં મારન રહેતો’તો? ઇર્નેરિયો કહે છે – મારનને જવું પડે એમ હતું; એ હતો એટલો સમય લુદ્મિલા બેચેન રહેતી’તી ને કશુંય વાંચી શકેલી નહીં. મારનની એક રીત એવી છે જેથી ખરી વસ્તુઓ પણ ખોટી લાગે.

બરાબર એ જ વખતે લુદ્મિલા ઘરમાં પ્રવેશે છે. ઇર્નેરિયોને જોઈને ખુશ થાય છે. એ પછી, તમે લોકો ચા-પાણી કરતાં હોવ છો એ દરમ્યાન, ઇર્નેરિયો અદૃશ્ય થઈ જાય છે. લુદ્મિલા જણાવે છે કે કશું કહ્યા વિના નીકળી જવાની ટેવ છે એને. લુદ્મિલાને તમે એના મુલાકાતીઓના બારામાં પૂછો છો ત્યારે, એ તમને સામું પૂછે છે – આર્યુ જૅલસ? તમે કહો છો – જૅલસ થવાનો મને શો હક્ક છે! એટલે, લુદ્મિલા તમને એવા ભાવિ સંજોગની કલ્પના કરવા કહે છે, જેમાં તમને જૅલસ થવાનો હક્ક સાંપડ્યો હોય.  

કથક હવે ‘તમે’ -you-ને બહુવચનમાં પ્રયોજે છે, કેમ કે એ ‘તમને’ -you-ને અને ‘અન્ય વાચક’-ને (લુદ્મિલાને) સમ્બોધવા માગે છે; એટલા માટે કે વાચક અને અન્ય વાચક પથારીમાં ભેગાં સૂતાં છે – ‘બે મસ્તકવાળી એક વ્યક્તિ’-ની અવસ્થામાં. પરન્તુ કથકના ધ્યાનમાં આવે છે કે, વ્યાકરણ અનુસાર, બન્ને વાચકને બહુવચનમાં ‘તમે’ કહેવા કરતાં, દરેક વાચકને એકવચનમાં રાખીને વાત કરવી યોગ્ય ગણાય. પથારીમાં ‘વાચક’ અને ‘અન્ય વાચક’ એકબીજાંનાં શરીરને ‘વાંચે’ છે. 

હવે કથક વાચકને પાછો ‘તમે’ -you- કહે છે. તમે વાંચતા હતા એ પુસ્તકની લુદ્મિલાને તમે વાત કરો છો, લુદ્મિલાને એ પુસ્તક તરત વાંચવું હોય છે, એટલે તમે પથારીમાંથી ઊઠીને પુસ્તક લેવા જાઓ છો, પણ નથી મળતું – કેમ કે પોતાના આર્ટ પ્રોજેક્ટ માટે ઇર્નેરિયો લઈ ગયેલો. છતાં, એ પુસ્તકની એક બીજી નકલ લઈને તમે લુદ્મિલા પાસે પ્હૉંચો છો. લુદ્મિલા કહે છે, એ નકલ તો એને સિલાસ ફ્લૅનરીએ સ્વયં આપેલી છે. 

પણ વાત એમ બને છે કે તમે લાવ્યા એ પુસ્તક તમારી અપેક્ષા અનુસારનું ન્હૉતું. લુદ્મિલા ખુલાસો કરે છે કે એર્મિસ મારન હમેશાં એની જોડે જુક્તિઓ કરે છે, ખાસ તો, વસ્તુઓને ખોટી પાડે; ખાસ તો એ કારણે કે એની અને લુદ્મિલા વચ્ચે કોઈ હરીફ આવે, એનો એને ડર છે : વાચનને વિશેની લગન. તમારા હાથમાં છે એ પુસ્તકને તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એ “In a network of lines that enlace” તો નથી જ, બલકે એ “In a network of lines that intersect” નામનું એક બીજું જ પુસ્તક છે.

કથકને એમ થાય છે કે વ્યાવસાયિક નિર્ણયો કરવામાં પોતાને અરીસા મદદ કરી શકે. એટલે એ કૉલિડોસ્કોપ પ્રયોજે છે. પરિણામે, કથકને પોતાની વિચારણાને મદદ કરે એવા વિધ વિધના અરીસા દેખાય છે અને સરવાળે એને ફાયદાકારક વ્યવસાય જડી આવે છે; એટલે અનેક સોદા કરે છે, બરાબરનો સંડોવાય છે, અને હરીફોથી ગભરાય છે પણ ખરો. 

પોતાનું અપહરણ થઇ જશે એ બીક ટાળવાને, અપહરણકારો ગેરરસ્તે દોરવાય એવી એક યુક્તિ કરે છે. પોતાની કાર જેવાં જ પાંચ મર્સિડિઝ વાહનો પોતાની વિલાના એકદમ સુરક્ષિત દરવાજા આગળ રાખે છે, જેથી પોતે ક્યાં છે એની અપહરણકારોને ખબર ન પડે. એને એ ડર પણ છે કે એની પત્ની એલ્ફ્રીડા જેવા લોકો ડીવૉર્સી લોર્ના સાથેના એના લગ્નેતર સમ્બન્ધો વિશે જાણી જશે તો? એટલે, વિચારે છે કે જાતને બચાવવા પૂરતો ઉપાય કરવો જોઈશે. અને, એટલે જ, અપહરણનું નાટક કરેલું – જેથી લોકો આઘા રહે.

કથક અપહરણનું નાટક તો ચલાવે છે પણ પાછો અપહરણકારો માટે ઇન્સ્યૉરન્સ કમ્પનીઓ ઊભી કરે છે. પેલાઓ જેવા ક્લેઇમ મૂકે, પકડાઈ જાય. પણ એક દિવસ, નાટક દરમ્યાન, ઊંધું બને છે : કથક પોતાના ઘરના મિરરરૂમમાં પોતાને ભાળે છે અને સ્તબ્ધ રહી જાય છે. એને થાય છે, પોતાનું અપહરણ પોતે જ કર્યું ! મિરરરૂમની વચ્ચે લોર્ના છે, કોઈએ બાંધી દીધી છે. 

મિરરરૂમમાં એલ્ફ્રીડા આવે છે અને કહે છે કે સ્વબચાવ માટે એણે કથકનું અપહરણ કર્યું છે. પણ એલ્ફ્રીડા પૂછે છે કે મિરરરૂમમાંથી બહાર કેવી રીતે આવું, પણ એ અંગે કથકને કશી ય ખબર નથી. એને સમજાતું નથી કે પોતે શું છે અને પોતાનું પ્રતિબિમ્બ શું છે.

તારણ :

૧ :

જોઈ શકાશે કે કથામાં પાત્રો અને તેમની સ્થિતિ-પરિસ્થિતિનાં નિરૂપણ વધી રહ્યાં છે, ઘટનાઓ વિકસી રહી છે, કલ્પી શકાય છે કે સમગ્ર કથા તો કેટલી રસપ્રદ હશે.

૨ :

વાચકને ‘તમે’ -you- એમ સૅકન્ડ પર્સનમાં સમ્બોધવાથી પ્રશ્ન એ ઊભો થાય કે એ પુરુષ છે કે સ્ત્રી; ઉપરાન્ત, ‘તમે’ એકવચનમાં છે કે બહુ વચનમાં. આ પ્રકરણમાં એનો ખુલાસો મળે છે. 

૩ :

એટલું જ નહીં, કથકને એટલે કે કાલ્વિનોને, સૅકન્ડ પર્સનને ફર્સ્ટમાં ને વળી સૅકન્ડમાં જવાની જરૂર વરતાતી હોય છે, અને એવા વારાફેરા અહીં થયા છે.

એ તમામ સંદર્ભોમાં આ મહત્ત્વનું પ્રકરણ છે. 

= = =

(05/11/24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વડાપ્રધાનની નવી સોગઠીઃ  ચૂંટણી પ્રચારમાં અંબાણી-અદાણીને ખેંચી લાવીને કોને ગુંચવવાનો ઇરાદો?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 May 2024

ઉદ્યોગપતિઓ અંબાણી અને અદાણી ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને તેમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી

ચિરંતના ભટ્ટ

છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પ્રચારમાં બીજા બધાં કરતાં સૌથી વધારે ચર્ચા થઇ હોય તો એ છે મૂકેશ અંબાણી અને ગૌતમ અદાણીનાં નામોની. વડા પ્રધાને તેલંગાણાની પ્રચાર રેલીમાં કોણ જાણે કયા મિજાજમાં બોલવાનું નક્કી કર્યું હશે? જે બે ઉદ્યોગપતિઓની સાથે હંમેશાં સારાસારી રાખવાની સાવચેતી રખાઇ છે, એમને કાઁગ્રેસ વિરોધી ભાષણમાં ઘસડી લાવ્યા અને કહ્યું કે, ‘ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસના શહેઝાદા(રાહુલ ગાંધી)એ અંબાણી અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે? શા માટે? હું કાઁગ્રેસના શહેઝાદાને પૂછવા માગું છું કે તેમણે અદાણી અને અંબાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે? કોથળા ભરીને કાળું નાણું ભેગું કર્યું છે? કાઁગ્રેસ પાર્ટીને તે ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી માટે કેટલા પૈસા મળ્યા છે?’ ભા.જ.પા. સરકાર, ખાસ કરીને મોદીના નેતૃત્વ હેઠળની સરકાર કેન્દ્રમાં આવી એ પછી આ બન્ને ઉદ્યોગપતિઓને કાયમ ટેકો મળ્યો હોવાના દાવા વિરોધપક્ષે એકથી વધુ વખત કર્યા છે – એ હદે કે એવી ટિપ્પણી સુદ્ધાં કરવામાં આવી છે કે મોદીએ તો આ બન્ને જણને દેશ વેચી માર્યો છે. આ વાતમાં કેટલો દમ છે એની વાત આગળ જતાં કરીએ, પણ ગયા અઠવાડિયે મોદી જે પણ બોલ્યા એ પછી રાહુલ ગાંધીએ પ્રતિભાવ આપ્યો. રાહુલ ગાંધીએ એમ કહી પાડ્યું કે આ બોલ્યા પછી તમે ગભરાઇ ગયા હશો કારણ કે પહેલીવાર તમે અદાણી-અંબાણી વિશે પહેલીવાર જાહેરમાં બોલ્યો. તમે એમ પણ કહ્યું કે તેઓ ટેમ્પોમાં પૈસા આપે છે, શું આ તમારો અંગત અનુભવ છે? સી.બી.આઇ. અને EDને તેમની પાસે મોકલાવો અને તપાસ કરાવો, વગેરે.

હવે સૌથી પહેલાં તો નરેન્દ્ર મોદીના એ દાવાનું ખંડન કરવું પડે જેમાં તે બોલે છે કે ચૂંટણી જાહેર થયા પછી કાઁગ્રેસ અને રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેવાનું બંધ કરી દીધું છે. હજી 24મી એપ્રિલે જ કાઁગ્રેસના મલ્લિકાર્જુન ખરગે બોલ્યા હતા કે આ દેશમાં બે ખરીદનારા છે અને બે વેચનારા છે. ખરીદનારા મોદી અને શાહ છે તો વેચનારા અદાણી અને અંબણી છે. વળી 12 એપ્રિલે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં જે એ પહેલાં પણ બોલી ચૂક્યા છે એ વાત મૂકી હતી કે નરેન્દ્ર મોદી અને અદાણી નીતિને કારણે બે ભારત બન્યા છે, એક ગરીબોનું ભારત અને બીજું કરોડપતિઓનું ભારત. ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ એવી ટિપ્પણીઓ કરી હતી કે મોદીના રાજમાં ધનિકો વધારે ધનિક બને છે વગેરે. હવે આ તો ચૂંટણી પ્રચારના પરફોર્મન્સ છે અને આ આરોપ-પ્રત્યારોપ તો પ્રચારમાં થવાના જ છે. અહીં વિચારવું એમ જોઇએ કે દેશના જ નહીં પણ એશિયાના બે મોટા બિલિયોનર્સને વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ચૂંટણી પ્રચારમાં જે રીતે વારંવાર ખેંચી લવાય છે એ કેટલું યોગ્ય છે? અંબાણી કે અદાણી બેમાંથી એકેય આ અંગે પોતાના પ્રતિભાવ આપવા નવરા નથી અને આપવાના પણ નથી. મૂકેશ અંબાણીના સામ્રાજ્યની વાત કરીએ તો વાસ્તવિકતા એ છે કે કોઇપણ સરકાર આવે એમને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતા આવડે છે. નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ મૂકેશ અંબાણી પોતે તો દેશના ઉદ્યોગ જગતનું મોટું માથું હતા જ કારણ કે એ શરૂઆત તો છેક 70ના દાયકામાં ધીરુભાઇ અંબાણીના સમયથી થઇ ગઇ હતી. આ કહેવાનો અર્થ એમ નથી કે મૂકેશ અંબાણી, જેમના ઉદ્યોગનો વિસ્તાર બધે જ છે તેમને સરકારી સહકારની જરૂર ન હોય પણ જેટલો ફાંકો આ રાજકારણીઓ બતાડે છે, એટલી તો મૂકેશ અંબાણીને તેમના નામની હેડકી સુધ્ધાં નહીં આવતી હોય. સરકાર સહુલિયત કરી જ આપતી હોય છે જેથી કામ બરાબર થઇ શકે પણ છતાં પણ કોને કોની કેટલી ગરજ હોઇ શકે છે એ સમજવા માટે આપણે થોથાં ઉથલાવીને શાસ્ત્રી થવાની જરૂર નથી. ગૌતમ અદાણીનું કદ મોટું હતું પણ જે હદે તે છેલ્લાં દસ વર્ષમાં પોતાના ઉદ્યોગનો વિકાસ કરી શક્યા છે એટલું બધું પહેલાં નહોતું પણ એ તો કહેવું પડે કે ટેકો મળે તેનો પૂરા જોશથી ઉપયોગ કરીને પોતાનું કદ આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને મજબૂત કરવામાં તો અદાણીએ પણ ભારે મહેનત કરી છે. વળી અંબાણી અને અદાણીની છાપ દેશભરમાં એક કરતાં વધુ ક્ષેત્રમાં છે. ટેલિકોમ, એનર્જી, રિટલ્ટી, એરપોર્ટ્સ, ડિજિટલ કનેક્ટિવિટી, કલ્ચરલ સંસ્થાન, મીડિયા – આ તો બસ તેમની પહોંચની બહુ નાની ઝલક છે બાકી અંબાણી અને અદાણીનો વિસ્તાર કેટલો છે એ જોવા બેસીશું ત્યાં સુધીમાં નવી સરકાર આવી જશે.

અંબાણી અને અદાણીના વિકાસની વાત થાય ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને અમેરિકાના જ્હોન ડી રોકફેલર સાથે સરખાવાય છે. 19મી સદીમાં રોકફેલર યુ.એસ.એ.ના સૌથી પહેલાં અબજોપતિ બન્યા અને એ ત્રણ દાયકામાં અમેરિકામાં માળખાંકીય સુવિધાઓથી માંડીને નવા કારખાનાઓ વગેરે સડસડાટ બન્યું અને સાથે ફ્રિક, એસ્ટર, કાર્નેગી અને વેન્ડરબિલ્ટ જેવા ઉદ્યોગપતિઓની પકડ મજબૂત બની. અત્યારે ભારત પણ કંઇક એવા જ તબક્કામાં છે અને વિકાસશીલ રાષ્ટ્રો જ્યારે ઝડપી વિકાસના તબક્કામાંથી પસાર થતા હોય ત્યારે ટોચના માણસો પાસે વધતું ધન, આર્થિક અસમાનતા સાથે રાજકાણીઓ – ઉદ્યોગપતિઓ વચ્ચેની સાંઠગાંઠને કારણે પેદા થતો મૂડીવાદ સપાટી પર આવે જ છે અને ભારત અત્યારે એવા જ તબક્કામાં છે.

લોકોને મોદી સરકારની આ બે ઉદ્યોગકારો સાથેની સાંઠગાંઠ અંગે સવાલ થાય તે સ્વાભાવિક છે કારણ કે છેલ્લા દાયકામાં આ બન્નેનો વિકાસ રોકેટ વેગે થયો છે. અદાણી સામે તો શોર્ટ સેલ હિંન્ડબર્ગનો રિસર્ચનો રિપોર્ટ પણ આવ્યો હતો, પણ એમાં કોઇ નોંધપાત્ર કાર્યવાહી ન થઇ. વળી અદાણી જૂથ વિશે સવાલ કરનારા તૃણમૂલ કાઁગ્રેસનાં મહુઆ મોઇત્રા સંસદની બહાર છે તો રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે અદાણી જૂથ વિશે તેમણે ટિપ્પણી કરી હોવાથી તેમને પણ થોડો સમય માટે સંસદની બહાર કરાયા અને તેમની પર બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો.

હવે મોદીએ ભાષણમાં જે કહ્યું એનું કારણ એ નથી કે એમને અદાણી-અંબાણી સાથે કંઇ વાંકું પડ્યું હશે. મૂળે ધાર્યા કરતાં મતદાન ધીમું, ઓછું થયું હોવાથી તેમણે પોતાના પ્રચારની રીતમાં ફેરફાર કર્યા. મતદાનના પહેલા તબક્કા પહેલાં આર્થિક વિકાસની વાતો થઇ અને હવે વિરોધીઓને મુસલમાન તરફી બતાડીને અને કાળું નાણું વાપરનારાનું લેબલ આપીને પ્રચાર કરવાની શરૂઆત કરાઇ. ભા.જ.પા.નું રાજકારણ ‘વાર્તા રે વાર્તા’ પર ઘડાયેલું છે ખાસ કરીને 2014 પછી. એક ‘નેરેટિવ’ ન ચાલે એટલે બીજું ‘નેરેટિવ’ આપવું પડશે, એવું આ સરકાર બહુ સારી પેઠે જાણે છે. રાહુલ ગાંધીના મતદારો ગુંચવાય એ માટે મોદીએ નવો રસ્તો લીધો અને લોકોને કંઇ બીજા રવાડે ચઢાવી દીધાં. આવું બધું કરવામાં આપણા વડા પ્રધાન આમેય માહેર છે.

બાય ધી વેઃ

એક જાણીતું વાક્ય છે કે જ્યારે તમે કોઇને તમારી વાત મનાવી ન શકો ત્યારે તેમને ગુંચવી નાખો (When you can’t convince them, confuse them). લોકો તથ્યો ભૂલે અને વાર્તામાં લપેટાઇ જાય એ પ્રમાણે પ્રચાર કરવામાં ભા..જપા. નિષ્ણાત છે. મોદીને સારી પેઠે ખબર છે કે અંબાણી અને હવે તો અદાણી પણ (આ બીજા મામલે સરકારની મહેર વધારે છે જ એ તો કહેવું જ પડે. 2014માં તો પ્રચાર માટે મોદીએ અદાણીના ખાનગી એરક્રાફ્ટનો ઉપયોગ પણ કર્યો હતો.) ભારતના વિકાસની નક્કર ઓળખ છે અને એમની સાથે છેડો ફાડવાનું જરા ય પોસાય એમ નથી. સત્તા પર મોદી હશે કે નહીં હોય પણ અંબાણી અને અદાણી તો પોતાના સામ્રાજ્યના શહેનશાહ રહેવાના જ છે. તેમની સફળતા મતદાન પર આધારિત નથી. વળી મોદીની ટિપ્પણી રાજકીય માહોલની ગરમા-ગરમીમાં કરાઇ છે, એવું બન્ને ઉદ્યોગપતિઓ પણ સારી પેઠે સમજતા જ હોય એટલે એ પણ આ દેકારાને ગંભીરતાથી લેવાના નથી. જો કે ભારતને મજબૂત બનાવવા માટે માત્ર બે ઉદ્યોગપતિઓથી નહીં ચાલે એ પણ એટલી જ સાચી વાત છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2024

Loading

આ વ્યંગ નથી. કાકલુદી છે. પ્રાર્થના છે. કહો હિંદુ રાષ્ટ્ર કેવું હશે?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2024

રમેશ ઓઝા

ગમે એટલી તાકાત એકઠી કરી હોય, ગમે એટલી રાજકીય લડાઈને અસમાન અને એકતરફી કરી હોય, ગમે એટલા રાજકીય દુ:શ્મનને નિરસ્ત કર્યા હોય; વિજય ત્યાં સુધી મળતો નથી જ્યાં સુધી સામાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિઓના લોકો સાથ ન આપે. ગાંધીજીનું ભારતમાં આગમન થયું એ પહેલાં અંગ્રેજોની તાકાત બેશુમાર હતી. શું નહોતું તેમની પાસે! શાસકીય સંસ્થાઓ તેમની પાસે અને તેમના કબજામાં હતી, કાયદાઓ તેમની તરફેણમાં હતા, અંગ્રેજી મીડિયા તેમની સાથે હતા, ભારતીયોની બનેલી પોલીસ તેમની પાસે હતી, ભારતની ૪૦ ટકા ભૂમિ પર રાજ કરનારા રાજવીઓ તેમના ગુલામ હતા અને રાજકીય જાગૃતિ તેમ જ પરિવર્તનને રોકવામાં અંગ્રેજો કરતાં પણ વધારે આતુર હતા વગેરે બધું જ હતું. આ બાજુ ભારતનું રાજકીય નેતૃત્વ એવા લોકોના હાથમાં હતું જેમનો છેલ્લી પંક્તિઓના લોકો સાથે કોઈ સંબંધ જ નહોતો. ‘સર’નો તાજ ધરાવનારા દીવાન બહાદુરો તેમ જ રાય બહાદુરો અને ધીકતી પ્રેક્ટીસ ધરાવનારા સફળ વકીલો દેશનું નેતૃત્વ કરતા હતા. તેમની પાસે સમય નહોતો, લોકોની ભાષા તેઓ બોલતા નહોતા, અદના આદમી માટે એવી કોઈ હમદર્દી પણ નહોતી અને જો હમદર્દી હતી તો તેમની પીડાના સ્વરૂપની કોઈ સમજ નહોતી. આ સિવાય તેમનાં હિતો હતાં અને એ હિતો ન જોખમાય તેની ચિંતા કરતા હતા.

ગાંધીજીએ સ્થિતિ બદલી નાખી. તમારું ધ્યેય, તમારું સપનું, તમારાં અરમાન, તમારી કલ્પના જ્યાં સુધી છેલ્લી પંક્તિઓના લોકો ન અપનાવે અને એ કલ્પનામાં ભાગીદાર ન બને ત્યાં સુધી તમે સફળ ન નીવડી શકો અને જો એમાં સફળ નીવડ્યા તો પછી દુ:શ્મનની તાકાત ગમે એટલી પ્રચંડ હોય એ ઓછી પડે. ગાંધીજીએ આ વાત સમજાવી અને માત્ર ભારતની પ્રજાને નહીં, વિશ્વભરની ગુલામ પ્રજાને આ વાત શીખવી. ગાંધીજીના સત્યાગ્રહ સામે અંગ્રેજોની તાકાત ઓછી પડવા લાગી કારણ કે આઝાદ ભારતનાં સપનાંમાં ભાગીદારો વધી ગયા અને ભાગીદારી છેવાડાના માણસ સુધી પહોંચી ગઈ. સ્ત્રીઓ રસોડામાંથી બહાર આવી અને ખેડૂતો ખેતરમાંથી બહાર આવ્યા. અંગ્રેજોને સમજાઈ ગયું કે ભારતમાં આઝાદીનાં સપનાએ રાષ્ટ્રીય સ્વરૂપ પકડી લીધું છે એટલે હવે અંગ્રેજી રાજ ટકાવી રાખવું હોય તો બે જ વિકલ્પ બચે છે; એક તો ભારતની પ્રજાને સમજાવવામાં આવે કે આઝાદીમાં કોઈ લાભ નથી. સામાન્ય પ્રજાના હિતની એક વળતી કલ્પના (કાઉન્ટર નેરેટિવ) વિકસાવવામાં આવે અને લોકો સુધી પહોંચાડવામાં આવે અને એ જો શક્ય ન હોય તો બર્બરતાપૂર્વક પ્રજાને કચડી નાખવામાં આવે. પહેલો વિકલ્પ શક્ય નહોતો અને બીજો વિકલ્પ શક્ય તો હતો પણ બ્રિટિશ રાજને મોંઘો પડે એમ હતો. છેવટે અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય લીધો હતો.

જો કે ભારતની તમામ પ્રજાને આઝાદીનાં સપનામાં ભાગીદાર બનાવવામાં ગાંધીજીને સંપૂર્ણ સફળતા મળી હતી એમ ન કહી શકાય. આઝાદ ભારત કેવું હશે અને તેમાં અમે ક્યાં હોઈશું એ પહેલાં કહો. મુસલમાનોએ આ સવાલ કર્યો હતો, દલિતોએ આ સવાલ કર્યો હતો, બહુજન સમાજે આ સવાલ કર્યો હતો, દક્ષિણની દ્રવીડી અસ્મિતાવાદીઓએ આ સવાલ કર્યો હતો, મજૂરોએ આ સવાલ કર્યો હતો, રાજવીઓએ આ સવાલ કર્યો હતો એમ સવાલોની ઝડી વરસી હતી અને ગાંધીજીએ દિવસરાત ખુલાસાઓ કરવા પડતા હતા. ગાંધીજી જેવા વિરાટ નેતા માટે પણ રસ્તો આસાન નહોતો. જો કે એમાં એક વાત સારી હતી કે એવા સવાલો કરનારા જે તે સમાજના કે વર્ગના નેતાઓ હતા અને એ નેતાઓની પાછળ તેમની પ્રજા નહોતી. એ વર્ગ અને સમાજની પ્રજા મહદ્ અંશે ગાંધીજીની સાથે હતી.

આઝાદીનાં આંદોલનની આટલી લાંબી પૃષ્ઠભૂમિ આપવા પાછળ પાછળનું કારણ એ કે જો હિન્દુત્વવાદીઓ અત્યાર સુધી જે સર્વસ્વીકાર્ય લાગતું હતું તે ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતા હોય તો તેમણે પણ ગાંધીજીની માફક તેમની કલ્પનાને છેવાડાની પંક્તિઓમાં જે લોકો છે તેમના સુધી આ વાત પહોંચાડવી પડે. તેમને હિંદુ રાષ્ટ્રના સપનામાં ભાગીદાર બનાવવા પડે. આ કેવળ મુસલમાનોનો ડર બતાવીને કે બદનામ કરીને નહીં થાય. ગાંધીજીએ અંગ્રેજોનો ડર નહોતો બતાવ્યો. ગાંધીજીએ અંગ્રેજોની દિવસરાત નિંદા નહોતી કરી. એવી જરૂર જ નહોતી. “આઝાદી”, “સ્વતંત્રતા”, “સ્વ-રાજ”, “ઇન્કલાબ”ની તેમણે અને બીજા ભારતીય નેતાઓએ રાખેલી કલ્પના જ એટલી રોમાંચક હતી કે લોકોને ઉત્તેજિત કરવા માટે એ પૂરતી હતી. ગાંધીજીએ તો માત્ર એ કલ્પનાને છેવાડાના લોકો સુધી પહોંચાડી અને તેમાં તેમને ભાગીદાર બનાવ્યા હતા. જે લોકો સપનાંનાં ભારતમાં અમે ક્યાં હોઈશું એવો સવાલ પૂછતા હતા તેમને સંતોષ થાય એવા ખુલાસા આપવામાં આવતા હતા. એ પછી પણ બધાને સંતોષ થતો જ હતો એવું નથી.

ટૂંકમાં કોઈ પ્રજાને નિશાન બનાવવાથી, તેમને દિવસરાત ગાળો દેવાથી, તેમનો ડર બતાવતા રહેવાથી અને હિંદુ રાષ્ટ્રમાં અમે ક્યાં હોઈશું એવા પ્રશ્નોથી ભાગવાથી હિંદુ રાષ્ટ્ર સાકાર થવાનું નથી. હા, હિંદુઓ રાજ કરે અને હિંદુઓ માથાભારે થઈને ફરે એ જ જો તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર હોય તો જૂદી વાત છે. પણ એ તો તેમનો સ્વાર્થ થયો, તેઓ હિંદુઓને ડરાવીને અને મુસલમાનોની નિંદા કરીને સત્તા ભોગવશે, તેમાં અદના હિંદુને શું મળવાનું છે?

માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને તેની શતાબ્દી ટાણે સવાલ પૂછવો જોઈએ કે અમે ભારતીય રાષ્ટ્રને તિલાંજલિ આપવા તૈયાર છીએ, પણ એ પહેલાં હિંદુ રાષ્ટ્રની કલ્પના સ્પષ્ટ કરો. સો વરસ થવા આવ્યાં હજુ સુધી તમે બ્લેક એન્ડ વ્હાઉટમાં તમારી હિંદુ રાષ્ટ્રની કલ્પના લોકોની સમક્ષ રજૂ કરી નથી. કોઈ વાંધો નહીં હવે કરો. ડર અને નિંદા સિવાય એમાં કોઈક રચનાત્મક તત્ત્વો પણ હશે જ. બની શકે કે અમે તેને માથે લઈને નાચીએ, ગરીબ હિન્દુનાં ઝૂંપડાં સુધી પહોંચાડીએ, આખા દેશને ભગવો કરી નાખીએ પણ કહો તો ખરા કે આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે? ભારતીય રાષ્ટ્રની કલ્પના તો ઊઘાડી હતી અને તેને લોકોની સહભાગીદારીમાં ક્રમશઃ વિકસાવવામાં આવી હતી. હિંદુ રાષ્ટ્રની કલ્પના પણ ઊઘાડી કરો અને આપણે લોકોની ભાગીદારી સાથે હજુ વધુ તેને વિકસિત કરીશું. અરે, હિંદુ રાષ્ટ્રને એવો નિખાર આપશું કે જગત જોતું રહશે. માત્ર હિંદુઓ જ આ કરી શકે એમ કહીને જગત આભું બની જાય! બતાવો આપણું હિંદુ રાષ્ટ્ર કેવું હશે!

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 12 મે 2024

Loading

...102030...570571572573...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved