Opinion Magazine
Number of visits: 9664938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—269

દીપક મહેતા|Opinion - Opinion|19 October 2024

તાતા ખાનદાનના વડલાના બીજરૂપ જમશેદજી નસરવાનજી તાતા     

તાતા–કથા ૧ : 

તાતા ખાનદાનના રતન જેવા નબીરા ૮૬ વરસની માતબર જિંદગી ભોગવી નવમી ઓક્ટોબરે આય ફાની દુનિયા છોડી ગયા. એવનની યાદમાં સુરુ કરીએ છીએ તાતા ખાનદાનની આય તાતા-કથા.   

જમશેદજી નસરવાનજી તાતાના પૂતળા પાસે રતન તાતા

એક તેર વરસની ઉંમરનો પોરિયો, નામ જમશેદ. ગાયકવાડી નવસારીમાં ૧૮૩૯ના માર્ચની તીજી તારીખે દસ્તૂર વાડના મોટા ફળિયાના ઘેરમાં જન્મેલો. તવંગર નહિ, પણ ખાનદાન હુતું બે પાનરે સુખી. મુંબઈ રહેતા બાવા નસરવાનજીએ જમશેદને નવસારીની પન્તોજીની નિશાળમાં ભણવા મૂક્યો. થોરા વખત પછી માલમ થિયું કે અહીં ભણીને કાંઈ દીકરાનું ભાયેગ ખુલશે નહિ. એટલે ૧૩ વરસનો થિયો તેવારે ૧૮૫૨માં પોતાની પાસે મુંબઈ બોલાવી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં ભરતી કીધો. ભલે આજના જેવું નહિ, પન એ વખતે બી મુંબઈ એટલે એક મોત્તું શેર. નવસારી જેવા ગામમાંથી – અરે, એ વેલાંએ તો એ ગામરું જ હુતું – આવેલો આ પોરિયો શુરૂમાં તો બાઘોચકવો થઈ ગિયો. પન ધીમે ધીમે ગોઠતું ગિયું આય શેરમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શુરૂઆત થઈ તારે જમશેદજીને તો કોડ હુતા આગળ ભણવાના. પણ બાવાજીએ કીધું કે હવે ઘણું ભણીયા. આપરી ઓફીસમાં કામે લાગી જાવ. 

જ્યાં જમશેદજીનો જન્મ થયો તે નવસારીનું ઘર

બીજા ઘન્ના પારસીઓની જેમ, નસરવાનજી સેઠનો વેપાર બી ચીન સાથે હૂતો, અફીનનો. વહાણમાં અહીંથી અફીણ જાય, અને કોટન ભરીને પાછું આવે. એવામાં અમેરિકામાં સિવિલ વોર ફાટી નીકલી એટલે કોટનના ધંધામાં તાતાની કંપનીને સોનાનાં નલિયાં થઇ ગિયાં. એ વખતે જમશેદજી વેપારના કામના સબબે હોંગકોન્ગમાં હુતા. તાબડતોબ મુંબઈ આયા. કોટનના વેપારને મદદ થાય એટલા સારુ લંડનમાં બેંક સુરુ કરવાનું ઠરાવિયું. એટલે લંડન ગિયા. પણ પછી બેંક તો સુરુ થઈ નહિ, એટલે જમશેદજીએ બધો વખત કોટનના વેપારને આપ્યો. તાતાની કંપનીમાં પૈસાની રેલમછેલ. પણ પછી સિવિલ વોર એકાએક પૂરી થઈ તે બધ્ધું કરરભૂસ! પણ એક લડાઈએ પાયમાલ કીધા તો બીજી લડાઈએ પાછા માલામાલ કીધા. 

ગ્રેટ બ્રિટનના બે એલચી કંઈ વાટાઘાટ કરવા એબિસીનિયા ગયા હુતા. પન તાંના રાજાએ તો બંનેને હેડમાં પૂર્યા! ગ્રેટ બ્રિટને તરત હુમલો કીધો અને તે માટેની ફોજ સર રોબર્ટ નેપિયરની સરદારી નીચે મુંબઈથી એબિસીનિયા મોકલી. કેહે છે ને એકુ તાવરી તેર વાનાં માગે! પન લશ્કરની તાવરી તો સેંકડો વાનાં માગે. એ બધી જણસો પૂરી પાડવાનો કન્ત્રાક તાતા કંપનીને મલિયો. સર નેપિયરે કીધું કે આય લડાઈ તો એક વરસ વેર ચાલસે. એટલે એક વરસ ચાલે એટલો માલસામાન મોકલો. એટલે તાતા કંપનીને તો ઘી-કેલાં થઈ ગિયાં. પન નેપિયર લશ્કર લઈને પૂગો તેની આગમચ રાજા થિયોડોરે પોતાનો જાન લીધો. વરસનાં સીધું-સામાન ભરેલાં તે બધાં ગિયાં પાનીમાં. પન તાતાની કંપની થઈ ગઈ માલામાલ. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટમાં ચર્ચા બી થઈ કે સરકારે નક્કામા આટલા બધા પૈસા પાનીમાં નાખિયા. એક મિલિયન પાઉન્ડની જગાએ અગિયાર મિલિયન પાઉન્ડનો ખરચ કીધો હૂતો સરકારે. બનાવો કમિટી. તેના રિપોર્ટમાં બતાવ્યું કે આમાં ભૂલ ગ્રેટ બ્રિટનની સરકારની લંડનની વોર ઓફિસની અને બોમ્બે ગવર્નમેન્ટની હુતી. તાતા કંપનીની નિ.

અમેરિકાની સિવિલ વોર ચાલુ હુતી તે વારનો જમશેદજીને વિચાર આવતો હુતો કે આપના દેશથી કોટન ઇન્ગ્લંડ જાય, ત્યાં માન્ચેસ્ટરની મિલોમાં તેમાંથી કાપડ તૈયાર થાય, એ કાપડ પાછું આપના દેશમાં આવે અને મોંઘે ભાવે વેચાય. એને બદલે આપને જ અહીં મિલો ઊભી કરીને કપડું કેમ નહિ બનાવીએ? એટલે એવન ગિયા માન્ચેસ્ટર. તાંની મિલો કઈ પેરે કામ કરે છ તે જોયું. તે વારે એક વાત સમજમાં આવી. કે જ્યાં કોટન ઊગતું હોય તે જગાથી આવી મિલ બને તેટલી નજદીક હોવી જોઈએ. એટલે પાછા આવીને નાગપુર પાસેની એકુ જાગો સસ્તા ભાવે ખરીદી. અને રાણી વિક્ટોરિયા જે દિવસે ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ બનિયાં તે જ દહારે —  ૧૮૭૭ના જાનેવારીની પેલ્લી તારીખે — નાગપુરમાં ‘ધ એમ્પ્રેસ મિલ’ શુરુ કીધી. 

સ્વદેશી મિલ, મુંબઈ

અને પછી જમશેદજીએ કીધી એક મોટ્ટી ભૂલ. મુંબઈમાં બંધ પડેલી ધરમસી મિલ ફક્ત સાડા બાર લાખ રૂપિયામાં ખરીદી. એ બાંધવા પાછલ પચાસ લાખ રૂપિયા ખર્ચાયેલા. એટલે એવનને હુતું હે થોરા પૈસા નાખીને મિલ ચાલુ કરી ડેવસ. પન પછી સમજિયું કે આય મિલને ચાલતી કરવા તો લાખ્ખો રૂપિયા નાખવા પરસે. દસ વરસ સુધી પૈસા નાખિયા, નાગપુરની મિલના સોનાની લગડી જેવા પોતાના શેર વેચીને પૈસા ઊભા કીધા. દિવસ-રાત કામ કીધું અને પછી પેલા ફિનિક્સ બર્ડની જેમ એ મિલને ઊભી કીધી, નવું નામ આપિયું ‘સ્વદેશી મિલ.’

આપરા દેશમાં મહાત્મા ગાંધીજીએ સ્વદેશીની ચલવલ ૧૯૦૫માં સુરુ કિધેલી. પણ જમશેદજી શેઠે ‘સ્વદેશી મિલ્સ કંપની લિમિટેડ’ નામ રજિસ્ટર કરાવ્યું હુતું ૧૮૮૬ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે. અને આજે આપરે ‘મેઈડ ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ઇન્ડિયા’ના નારા સાંભળિયે છ. પન જમશેદજી સેઠે એ જમાનામાં આય ‘સ્વદેશી’ નામ અને કામ સુરુ કીધેલું! જમશેદજીએ રાત દહારો મહેનત કીધી. ગાંઠનાં ગોપીચંદન કીધાં, જાણકારોની મદદ લઈ નવી મશીનરી લાવિયા અને સેવટે સ્વદેશી મિલ બી ધમધમટી થઈ. આજે બી આપરા મુંબઈમાં સ્વદેશી મિલ રોડ અને કમ્પાઉન્ડ બી છે. પણ અફસોસ! ત્યાં મિલ નથી. પણ જમશેદજી શેઠનાં બે સૌથી મોટ્ટાં કામ તો હવે થવાનાં હુતાં. આ બે મોટ્ટાં કામની વાત કરીશું હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 ઓક્ટોબર 2024

Loading

માણસ આજે (૯)  

સુમન શાહ|Opinion - Opinion|19 October 2024

સુમન શાહ

‘ધ બ્યુરો’ નામની કાફ્કાની એક અપૂર્ણ વાર્તા છે : એક ઉંદર જેવું અથવા badger જેવું પ્રાણી બખોલ (બ્યુરો) બનાવે છે, એવી કે, કોઈ અન્ય પ્રાણી કદી એને મારી શકે નહીં. તેમછતાં, એ સતત ભય હેઠળ જીવે છે બલકે ક્રમે ક્રમે બખોલ એને ભુલભુલામણી જેવી લાગે છે. પોતાનું એ સર્જન એને વ્યર્થ લાગે છે. 

માણસે સરજેલી એવી જ સર્વથા સલામત શાસન-પ્રણાલિ લોકશાહી છે, પણ આજે એની સાર્થકતા પ્રશ્નાર્થ હેઠળ છે. એ વાત હું યથાસમયે આગળ ચલાવીશ.  

+ +

આ અગાઉના લેખમાં મેં કહેલું કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય.

૧૮૫૭-ના ‘બળવા’-સમયની આસપાસ એવું કોઈ સંગઠન હતું નહીં, જેને માહિતી-જાળ કહી શકાય. પરન્તુ બ્રિટિશ શાસનના બળવાન પ્રતિકારનો પ્રારમ્ભ અવશ્ય થયો હતો. એ પ્રતિકારના મને બે વિભાગ સમજાયા છે : પહેલો વિભાગ, જે રાજા રામ મોહન રાયથી શરૂ થયો હતો, અને બીજો વિભાગ, જે ગાંધીજી દ્વારા વિકસ્યો હતો અને ૧૯૪૭-માં સ્વાતન્ત્ર્ય મળ્યું ત્યારે સમ્પન્ન થયો હતો. 

એ સંદર્ભમાં, બંગાળના ઉલ્લેખથી શરૂઆત કરવી જોઇશે. રાજા રામ મોહન રાય (૧૭૭૨-૧૮૮૩), દેબેન્દ્રનાથ ટાગોર (૧૮૧૭-૧૯૦૫), ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧), દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશવ ચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪) ઇત્યાદિ મહામનાઓનો નિર્દેશ કરવો જોઈએ. 

એ સૌએ જોયું-વિચાર્યું હશે કે જ્યાં લગી અજ્ઞાન તેમ જ રૂઢિઓ અને સમાજે લાદેલાં બન્ધનોથી પ્રજા મુક્ત નહીં થાય, ત્યાંલગી દેશનો ઉદ્ધાર શક્ય નથી. ગાંધીજીને પણ એવું જ સમજાયેલું કે જ્યાંલગી ગામડાં બેઠાં નહીં થાય, ત્યાંલગી આઝાદી શક્ય નથી.

હું ત્રણ મહામનાઓ વિશે ટૂંકી વાત કરું : 

રાજા રામ મોહન રાય —

તેઓ ઇન્ડિયન રેનેસાંસના, ભારતીય પુનર્જાગરણના, અગ્રયાયી કહેવાયા છે, અર્વાચીન ભારતના ઘડવૈયા ગણાયા છે. જાણીતું છે કે સામાજિક અને ધાર્મિક સુધારાના મુખ્ય હેતુથી એમણે ‘બ્રહ્મો સમાજ’-ની સ્થાપના કરેલી. એમનું મન્તવ્ય હતું કે ‘વિશદ ચર્ચા વડે જ સત્યને શોધી શકાય’. એમણે ‘બ્રહ્મનિકલ મૅગેઝિન’ તેમ જ ‘મિરાત-અલ-અખબાર’ અને ‘સંવાદ કૌમુદી’ નામનાં અઠવાડિક શરૂ કરેલાં. એમણે ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-ની સ્થાપના કરેલી. એમણે કહેલું કે મહિલાઓના શોષણને કારણે સમાજની પ્રગતિ રૂંધાઇ રહી છે. એમણે સતી અને બાળલગ્ન પ્રથાઓનો સખત વિરોધ કરેલો. લૉર્ડ બૅન્ટિકે સતી-પ્રથા વિરુદ્ધ કરેલા કાયદાના રખોપા માટે, જરૂરી વકીલાત માટે, મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ તરીકે, ૧૮૩૦-માં તેઓ ઇન્ગ્લૅન્ડ ગયેલા. તેઓ એકેશ્વરવાદના આગ્રહી હતા, તેમછતાં, એમણે વેદો આદિ હિન્દુ શાસ્ત્રોનું અને મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રન્થોનું ઊડું અધ્યયન કરીને પોતાનાં તુલનાત્મક મન્તવ્યો પ્રકાશિત કરેલાં. 

પરન્તુ નૉંધપાત્ર બાબત એ છે કે ‘બળવા’ પૂર્વે જ એમણે બ્રિટિશ શાસનની સિસ્ટમમાં જ સુધારો ઇચ્છ્યો હતો – સવિશેષે કેળવણી અને કાયદા બાબતે, તેમ જ સતી-પ્રથાની નાબુદી માટે. એમણે મર્યાદિત એવા સેલ્ફ-ગવર્નન્સની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. એમની માન્યતા હતી કે અંગ્રેજી કેળવણી ભારતીયોને દેશના વિકાસ માટે વધુ કાર્યક્ષમ બનાવશે. 

દેવેન્દ્રનાથ ઠાકુર (ટાગોર) —

ઘણાં વર્ષ તેઓ ઘરે રહીને ભણ્યા હતા પણ પાછળથી એમને રાજા રામ મોહન રાયની ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-માં દાખલ કરવામાં આવેલા. તેઓ રાજકારણમાં સક્રિય થયેલા. ૧૮૫૧-માં ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિએશન’-ની સ્થાપના થયેલી, એમાં એમની સૅક્રેટરી તરીકે નિમણૂક થયેલી, ગ્રામવાસી ગરીબોને ‘ચૉકીદારી ટૅક્સ’ ભરવો પડતો હતો, એ કાયદો દૂર કરાવવા તેમ જ ભારતની સ્વાયત્તતા માટે એમણે બ્રિટિશ પાર્લામૅન્ટ સાથે પત્રવ્યવહાર કરલો. 

દયાનંદ સરસ્વતી — 

સ્વામી દયાનંદ સરસ્વતી

પુનર્જાગરણમાં એમનું પણ યોગદાન મહત્ત્વનું ગણાય છે. જાણીતું છે કે હિન્દુ ધર્મમાં સુધારણા માટે એમણે ‘આર્યસમાજ’-ની સ્થાપના કરેલી. એમના ‘સત્યપ્રકાશ’-માં જોઇ શકાય છે કે વેદોના દર્શનને એમણે આત્મસાત કર્યું છે અને પોતાના દૃષ્ટિબિન્દુથી તેનાં નૂતન અર્થઘટન અને મૂલ્યાંકન કર્યાં છે. તેઓ કદાચ સ્વાતન્ત્ર્યની લડતમાં સીધા ન્હૉતા જોડાયા, પરન્તુ એમના વિચારોથી સ્વાતન્ત્ર્યના અનેક લડવેયાઓને બળ મળેલું. ‘સ્વરાજ’-ની સૌથી પહેલાં અહાલેક જગવનાર દયાનંદ છે, એથી ‘ભારત ભારતીયો માટે છે’ ભાવનાને વેગ મળેલો. જોઈ શકાય છે કે એ ભાવના લોકમાન્ય ટીળકના, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ સૂત્રથી વિકસી હતી.

આમ, આ મહામનાઓના આવા અથાગ પ્રયાસો, તેમનાં સ્વરચિત પુસ્તકો, ઉપરાન્ત, ‘મિરાત-અલ-અખબાર’ (૧૮૨૨), ‘ધ ઇન્ડિયન મિરર’ (૧૮૬૧), ‘અમૃત બાઝાર પત્રિકા’ (૧૮૬૮ ), ‘ધ હિન્દુ’ (૧૮૭૮) વગેરે માધ્થમોથી સરજાયેલા માહિતી-સંચયે બ્રિટિશ શાસનની ટીકાટિપ્પણીમાં તેમ જ પ્રજાકીય જાગૃતિમાં મોટો ભાગ ભજવેલો. કહી શકાય કે કૉલોનિયલ સિસ્ટમના પ્રતિકાર માટેની એક માતબર પૂર્વભૂમિકા રચાઇ હતી.

એ પૂર્વભૂમિકા દરેક પ્રાન્તમાં, ત્યાંના નેતાઓના નેતૃત્વ હેઠળ વિકસી હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં, લોકમાન્ય ટીળક (૧૮૫૬-૧૯૨૦), પંજાબમાં, લાલા લજપતરાય, વીર ભગતસિંહ (૧૯૦૭-૧૯૩૧), બાંગ્લા દેશમાં, બિપિન ચન્દ્ર પાલ (૧૮૫૮-૧૯૩૨), વગેરે વગેરે અનેકાનેક દૃષ્ટાન્તો સુવિદિત છે. 

‘બળવો’ ૧૮૫૭માં, દલપતરામનો સમય, ૧૮૨૦-૧૮૯૮. નર્મદનો સમય, ૧૮૩૩-૧૮૮૬. ત્યારથી શરૂ થયેલા સાહિત્ય-યુગને આપણે ‘સુધારક યુગ’ ગણીએ છીએ. પણ, જાણીતું છે કે એમાં સમાજની સુધારણા માટે જે પડકારો ઝિલાયા એવા કોઈ પડકારો બ્રિટિશ શાસન સામે ન્હૉતા સંભવ્યા. 

ગુજરાતમાં, દલપત-નર્મદના સમયમાં બ્રિટિશ શાસનની દેશ-વ્યાપી સિસ્ટમનાં પરિણામોથી જુદું પરિણામ ન્હૉતું આવ્યું. એ સમયે પ્રતિકાર કરવો પડે એવા શોષણ કે દમનના પ્રશ્નો પણ ગુજરાતમાં નથી નૉંધાયા. ગુજરાત ત્યારે બૉમ્બે પ્રૅસિડેન્સી હેઠળ હતું. લૉર્ડ ઍલ્ફિન્સ્ટન આદિ ગવર્નર નિમાયા હતા, અને ત્યારે જે કંઈ સ્થાપનાઓ થઇ હતી તે મુખ્ય તો વિદ્યાકીય હતી. ગુજરાતમાં ફારબસ અને દપલતરામના સહયોગથી સાહિત્ય લાભાન્વિત થયેલું. 

ખરો પ્રતિકાર તો ગાંધીજી ૧૯૧૫-માં દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે શરૂ થયો. ખેડૂતોના હક્કો માટેની ૧૯૧૭-ની ચમ્પારણ લડત, એ પછી, બારડોલી સત્યાગ્રહ, દાંડી-કૂચ, ગોળમેજી પરિષદ, ક્વીટ ઇન્ડિયા મૂવમૅન્ટ, ગાંધીજીને અનેક વાર જેલવાસ, એમ એક પછી એક સંભવેલી પ્રતિકારની ઘટનાઓથી અંગ્રેજ શાસકોને ગાંધીજીની પ્રભાવક વ્યક્તતિતાનો પરચો મળી ગયેલો. 

મોટો ફર્ક એ હતો કે ગાંધીજીનાં ખુદનાં લેખનો, ગાંધીજીના અન્તેવાસીઓનાં લેખનો, પુસ્તકો, વિદેશી ગ્રન્થોના અનુવાદો વગેરે માધ્યમોથી વિશાળ કદનો માહિતી-સંચય થયો હતો. 

બીજો ફર્ક એ હતો કે સ્વાતન્ત્ર્યની લડતમાં નવી પેઢી મોટી સંખ્યામાં જોડાઈ હતી અને લડતની પદ્ધતિ સવિનય કાનૂનભંગ અને અસહકારની હતી – ટૂંકમાં, પદ્ધતિ અહિંસક સત્યાગ્રહની હતી. ગુજરાતી સાહિત્યના ‘ગાંધી યુગ’-માં, સાહિત્યકારો અને અન્ય વિચારકો પર ગાંધીદર્શનની ઠીક ઠીક અસર પડી હતી, સવિશેષે, ગાંધીવિચારને પોષક સામાજિક ચિન્તન શરૂ થયું હતું અને સાહિત્યમાં ગ્રામજીવનનું વાસ્તવ પ્રતિબિમ્બિત થયું હતું.

માહિતી-સંચયને સ્વાતન્ત્ર્ય-સંગ્રામના સમગ્ર નેટવર્કનો અનિવાર્ય ભાગ ગણવો જોઈશે. ગાંધીજીના આગમન પછી, લડતને ઘણો વેગ મળ્યો હતો અને માહિતી-સંચયમાં ઘણી જ વૃદ્ધિ થઈ હતી. કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીના આગમન પછી એ જાળ સરજાઇ અને સ્વાતન્ત્ર્ય-પ્રાપ્તિ લગી વિકસતી રહી.

+ +

સ્વાતન્ત્ર્ય-સંગ્રામના એ સમગ્ર નેટવર્કથી જુદું પણ એના જેવું જ નેટવર્ક છે, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીયતા માટેનું નેટવર્ક – નેશનાલિઝમ. આજના વિશ્વમાં તીવ્ર પ્રશ્ન એ છે કે માણસ આજે રાષ્ટ્રપ્રેમી હોય એ પૂરતું છે કે એ વિશ્વપ્રેમી પણ હોવો જોઈએ …

= = =

(18Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શાંતિના વાવેતરને પાણી પાઈએ !

રમેશ સવાણી|Opinion - Opinion|19 October 2024

[‘ઝેર તો પીધાં જાણી જાણી’ / ‘સોક્રેટિસ’ના લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ની માત્ર 22 પેજની પુસ્તિકા છે : ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી – Master Key of World Peace.’ ‘અક્ષરનાદ’ના જિજ્ઞેશ અધ્યારૂને ધન્યવાદ ઘટે છે, જેમણે દર્શકની આ પુસ્તિકાને ઈ.બૂકમાં રજૂ કરી છે. ડાઉનલોડ કરીને (લિંક કોમેન્ટ સેક્શનમાં) વાંચો / સમજો. ઘરમાં સત્યનારાયણની કથા કરાવવાની જરૂર નથી; આ પુસ્તિકાનું વાંચન કરાવો ! આજના નફરત / ધૃણાના માહોલમાં આપણા બાળકો ધાર્મિક નારાઓ બોલવા રસ્તા પર દોડી ન જાય તેની સંભાળ લેવાની ખાસ જરૂર છે. જોઈએ થોડી પ્રસાદી -]

એક વખત બીરબલને રાજસભામાં આવતા મોડું થઇ ગયું. બાદશાહે પૂછ્યું : “અલ્યા, કેમ મોડો આવ્યો?” તો કહે, “જનાબ, છોકરાને રમાડતો હતો, તેમાં સમયસર ન નીકળાયું.”

“લે, એમાં શી મોટી ધાડ મારવાની હતી? ખાવાનું આપી દીધું હોત તો વાત પતી જાત.”

“ના, માલિક, એટલું સહેલું કામ એ નથી.”

બાદશાહ તો હઠે ચડ્યો. છોકરાં રમાડવાં તેમાં વળી શી વડાઈ? છેવટે નક્કી થયું કે બાદશાહ બને બાપ અને બીરબલ બને દીકરો. દીકરાને બાપ રમાડી જાણે તો જાણવું કે છોકરાં રમાડવાં સાવ સહેલાંસટ … અને શરત શરૂ થઈ.

બીરબલે તો શરૂ કર્યું. ‘એં એં … ‘ બાદશાહે પ્રેમથી પૂછ્યું “કેમ બેટા, કેમ રડે છે? શું જોઈએ  તારે?”

“ખાવું છે !”

“ઓહો, તેમાં શી મોટી વાત ? શું ખાવું છે?”

“શેરડી !”

“અલ્યા, શેરડી લઈ આવ !”

શેરડી આવી. નોકરને કહ્યું કે કાપી આપ. કાપી આપી, પણ છોકરો તો વળી પાછો એંએં એં કરવા લાગ્યો.

“અલ્યા, હવે તારે  શું જોઈએ?” “ના બાપુ, તમે શેરડી કાપી દ્યો.”

“લે બાપા, હું કાપી આપું”…. શેરડી આપી … પણ છોકરાએ તો શેરડીનો કયો ઘા !

“કેમ હવે શું જોઈએ?”

“મારે તો ઘોડા પર બેસવું છે !”

માથે હાથ દઈને બાદશાહ બોલ્યો, “અલ્યા એ ય, લાવ ઘોડો, બેસાડ આ કુંવરને!”

ઘોડો આવ્યો. પણ તોયે  ‘એં એં એં …’ તો ચાલું.  “હવે તારે શું બાકી રહ્યું છે દીકરા?”

“માલે તો તમે ઘોલો બનો અને એ ઘોલા પર માલે બેસવું છે.” બાદશાહ ઘોડો થયા અને બીરબલ એના પર બેઠા. પણ ત્યાં એં એં એં … શરૂ. બાદશાહ કહે, “અલ્યા, હવે શું છે તારે?”

“બાપા, આ ભાંગેલી શેરલી આખી કરી દ્યો.”

બાપા તો બરાડી ઊઠયા, “સાલા હરામખોર!”

અને શરતમાં  બીરબલ જીતી ગયો તે કહેવાની જરૂર છે? આ ભ્રમણા કેવળ બાદશાહને નહીં, આપણને સૌને આ ભ્રમ છે કે છોકરાં એટલે ગણતરીમાં નહીં લેવાની બાબત. પણ બાળકો સંભાળવાં તે અઘરામાં અઘરું કામ છે અને એ કામ તમે સૌ બહેનો કરી રહી છો, તે બદલ હું ધન્યવાદ આપું છું.

ભણાવવા કરતા ‘કેળવવા’ શબ્દ વધારે સારો છે. આપણા કોશમાંથી ‘ભણાવવું’ શબ્દ આપણે કાઢી નાખવો જોઈએ. આપણે બાળકોને કેળવવાં છે. ભણાવી શકાય તે ‘વિષય’ કવિતા, ગણિત, ઇતિહાસ ભણાવી શકાય. પણ આપણે તો બાળકોને કેળવવાં છે. આજકાલ તો મા બાપ છોકરાંને ભણાવી ધન્યતા અનુભવતાં થઈ ગયા છે. કોઈને ત્યાં જઈએ તો કહેશે, ‘અમારો બાબો બહુ હોશિયાર હો કે ! આવ તો બાબા, અહીં આવ. એ કોન્વેટમાં જાય છે હં કે ! અરે બાબા, પેલી તારીખ પોએમ સંભળાવને !’

હું ઘણું કીધા કરું કે ભાઈ, સંભળાવવાની કંઈ જરૂર નથી. એને રમવા દો. પણ પેલાં માબાપને તો એવું શૂરાતન ચઢ્યું હોય કે પ્રદર્શન વગર જાણે તેમને ચેન જ નહીં. બાળક તે જાણે સંગ્રહસ્થાનની કોઈ પ્રદર્શનીય ચીજ ! છેવટે પેલાને ગાયે જ છૂટકો ! Twinkle, Twinkle little stars ! શરૂ થાય અને હું માથે હાથ દઈને બધું નાટક સહન કર્યે જાઉં ! શું છે આ બધું? સાત વર્ષ સુધી ભણવાનું કેવું? ત્યાં સુધી તો કેવળ કેળવણી ચાલે. કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા આપવી તે. પછી એ ઊગશે તો આપમેળે જ. ગુલાબના છોડને ખાતર-પાણી દઈએ, નિંદામણ કરીએ, બાકી ગુલાબ એની મેળે ઊગશે. ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની. એની ભીતર બધું પડ્યું જ છે. આપણે તો ખાલી થોડી મદદ કરવાની છે… 

[ સૌજન્ય : ‘દર્શક’ મનુભાઈ પંચોળી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...518519520521...530540550...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved