Opinion Magazine
Number of visits: 9557411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દેશ, એક ચૂંટણીઃ બંધારણીય ફેરફાર અને ખર્ચાના સંતુલન સાથે પડકાર સંહિતા બનશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 September 2024

અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે

ચિરંતના ભટ્ટ

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ‘એક દેશ એક ચૂંટણી’ને મંજૂરી આપી છે. દેશમાં બધી જ ચૂંટણી એક સાથે યોજાય તે માટે ભા.જ.પા.ની કવાયત બહુ લાંબા સમયથી ચાલતી હતી અને આખરે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં બનેલી સમિતિના સૂચનોને સ્વીકારી લેવાયા. કેન્દ્ર સરકારનો દાવો છે કે આમ થશે તો ચૂંટણીની આખી પ્રક્રિયા, પરિણામ તમામમાં મોટા સુધારા આવશે. નરેન્દ્ર મોદીની સરકારને 100 દિવસ પૂરા થયા અને તેને ચિન્હિત કરવાના આશયથી 100 દિવસ પછીની પહેલી કેબિનેટમાં આ નિર્ણય લેવાયો. આ નિર્ણય પાછળની મહત્ત્વાકાંક્ષા અને તેની સારી માઠી અસરોને નાણવી અનિવાર્ય છે.

1951થી 1967 સુધી આખા દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થતી હતી. પહેલીવાર એ ક્રમ ત્યારે તૂટ્યો જ્યારે કેરળમાં વર્ષ 1957ની ચૂંટણીમાં ઇ.એમ.એસ. નંબૂદરીપાદની ડાબેરી સરકાર બની. જો કે ત્યારે આ સરકારને તત્કાલિન સરકારે કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન અમલમાં મૂકીને રદ્દ કરી, હટાવી અને પછી 1960માં કેરળમાં ફરી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી. એ પછી 1999માં લૉ કમિશનના અહેવાલમાં ફરીવાર એ સૂચન કરાયું કે આખા દેશમાં એક સાથે ચૂંટણી થવી જોઇએ જેથી વિકાસની કામગીરી પણ એક સાથે થાય. ત્યારે એવો તર્ક કરાયો હતો કે ચૂંટણી એક સાથે થાય તો અધધધ ખર્ચો ન થાય વગેરે અને પછી એ વાત ફરી નેવે મુકાઈ ગઇ.

ભા.જ.પા. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી તો લાંબા સમયથી ‘એક દેશ, એક ચૂંટણી’ની તરફેણ કરી રહ્યા હતા, 2019માં પણ આ ચર્ચા છેડાઇ હતી. ભા.જ.પા. સરકાર પણ 1999ના અહેવાલમાં જે કારણો અપાયા હતા તેને જ આગળ કરે છે.  તેમના મતે ભારતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે, અલગ અલગ તબક્કામાં યોજાતી આવી છે જેને કારણે વિકાસના કાર્યો ખોટકાય છે, વહીવટી કામો પર અસર પડે છે કારણ કે સરકારી કર્મચારીઓ ચૂંટણીની ડ્યૂટી પર હોય છે. આ બધાં કારણોને ગણતરીમાં લઇને જો ચૂંટણી એક સાથે થાય તો સમય અને પૈસા બન્નેની બચત થાય. મતદારોની સંખ્યા વધે કારણ કે વારેવારે અલગ અલગ ચૂંટણી માટે મત આપવા નહીં જવાનું હોય તો લોકો મત આપવામાં રસ લેશે. વળી એક દેશ એક ચૂંટણીની વ્યવસ્થામાં પ્રશાસન અને સુરક્ષા દળોની કામગીરી એક જ વારમાં પૂરી થઇ જશે, દર થોડા વખતે આખું તંત્ર એ દિશામાં દોડતું નહીં થાય. આ તો સત્તાપક્ષની પોતાની ધારણા છે, પણ ભારતમાં એવું તે છે નહીં કે કેન્દ્રમાં ભા.જ.પા.ની સત્તા હોય તો બધા જ રાજ્યોમાં પણ ભા.જ.પા.ની જ સરકાર હોય – આવા સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચૂંટણી ટાણે સુમેળ સાધવો અઘરો જ હોય તે સ્વાભાવિક છે.  કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે જે ઘર્ષણ થાય એને ખાતર પણ વ્યવહારિક રીતે એક દેશ એક ચૂંટણીનો વિચાર યોગ્ય નથી. સીધી વાત છે કે ધારો કે અચાનક જ એક દેશ એક ચૂંટણી જાહેર થઇ જાય તો જે રાજ્યોમાં બીજા પક્ષની સરકાર હોય ત્યાંની વિધાનસભા ભંગ કરવી પડે અને અશાંત સંજોગો ન હોય તો પછી કેન્દ્ર ચૂંટણી ખાતર વિધાનસભા ભંગ ન કરી શકે. વળી એક સાથે ચૂંટણી થાય તો જ્યાં જ્યાં બીજા પક્ષોની વિધાનસભા હોય એ ભંગ થઇ જાય. કોઇપણ રાજ્યની વિધાનસભાને નક્કર કારણ વગર કાર્યકાર પહેલાં જ ભંગ કરાય તો બંધારણ કી ઐસી તૈસી કરી નાખી હોય એવી સ્થિતિ ખડી થાય. વગર કારણ બંધારણીય સંકટ ઊભું ન કરવું જોઇએ. વળી બધી ચૂંટણી એક સાથે વાળી સ્થિતિમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીનું શું થાય? – એ કામ તો રાજ્ય સ્તરના ચૂંટણી પંચનું છે જે કેન્દ્ર કરતાં તદ્દન જુદું પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અધિકારોને લઇને ચોક્કસ વિવાદ થાય. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના સો દિવસની અંદર જ આ ચૂંટણીઓ કરાવવાનો પ્રસ્તાવ કરાયો છે.

ચૂંટણી એક સાથે કરવા માટે ઘણાબધા ફેરફાર કરવા પડે તે સ્વાભાવિક છે. ધારો કે લોકસભાની ચૂંટણી થઇ જાય પછી અઢી વર્ષે – બરાબર મધ્યકાળે કેન્દ્ર સરકાર પહોંચી હોય ત્યારે જો રાજ્યમાં ચૂંટણી થાય તો લોકો પોતાની નારાજગી કે હરખ બન્ને મત આપીને દર્શાવી શકે અને જો રાજ્ય સરકાર – વિધાનસભામાં નવો પક્ષ આવે તો તેમણે પાંચ વર્ષ નહીં પણ જેટલી ટર્મ બાકી હોય એટલો સમય જ રાજ્ય કરવાનું અને પછી ફરી ચૂંટણીનો મોકો મળે. પાંચ વર્ષ સુધી એક જ સત્તા રાજ્ય સ્તરે પણ બેઠેલી રહે અને લોકોમાં અસંતોષ ફેલાય તો અરાજકતા સર્જાઈ શકે છે. ગમે ત્યારે કોઇપણ સરકાર ભંગ થાય તો આખો દેશ ફરી ચૂંટણી લડવા બેસશે? આપણે ત્યાં ચૂંટણી યોજવા માટેની તકનિકી મશીનરીમાં જો અત્યારે પણ મર્યાદા નડતી હોય તો એક સાથે ચૂંટણી થાય ત્યારે પણ એ નડવાની જ. મશીન, પ્રિસાઇડિંગ ઑફિસર, સુરક્ષા દળો બધું જ મોટી સંખ્યામાં હોય તો જ આખા દેશમાં એક સાથે ચૂંટણી યોજાઇ શકે.

મોદી સમર્થકો અને નરેન્દ્ર મોદી પોતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય એવું ઇચ્છે છે કારણ કે તેમના મતે ‘મોદી લહેર’ના ફાયદો રાજ્ય સ્તરે મેળવી શકાશે. વિરોધપક્ષોને તેની જ ચિંતા છે કે જો આવું થયું તો ભા.જ.પા. વગર કારણનો લાભ ખાટી જશે. વળી એક સાથે ચૂંટણી થાય તો લોકો રાજ્યોના મુદ્દાને બદલે રાષ્ટ્રીય પ્રશ્નોને મહત્તા આપે અને આવામાં રાજકીય સ્તરનો વહીવટ ખાડે જાય. વળી લોકશાહીની ચિંતા કર્યા વિના એક દેશ એક ચૂંટણીના મુદ્દાની ચર્ચા થઇ જ ન શકે. મતદારોને પોતાના અણગમા, અસંતોષ, રોષ બધું જ દર્શાવવા માટેની નિયમિત તક મળે એ જરૂરી છે. એક વાર સરકાર આવી ગઇ પછી જો પાંચ વર્ષ ચૂપચાપ એ જ સરકારને ચલાવી લેવાની હોય અને પછી સત્તાના મદમાં સરકાર નાગરિકોનું હિત નેવે મૂકે તો જનતા બિચારી ક્યાં જાય? લોકશાહીના રક્ષણ કાજે પણ બહુ વિચારીને જ આ ફેરફાર કરવા જોઇએ નહીંતર પછી સત્તા સામે કોઇ ચું કે ચાં નહીં કરી શકે.  પ્રાદેશિક પક્ષો એક દેશ, એક ચૂંટણીનાં પક્ષમાં નથી.

બંધારણીય ફેરફાર કરવા સહેલા નથી કારણ કે જે અમુક પક્ષને ઠીક લાગશે તે બીજાઓને અયોગ્ય લાગે એવી પૂરી શક્યતા છે એટલે બે સભાઓમાં બે તૃતિયાંશ બહુમતીની મંજૂરી મળવામાં લાંબો સમય લાગે. અત્યારે કેન્દ્ર સરકારનો ઇરાદો છે કે 2029ની ચૂંટણીમાં એક સાથે થાય પણ આ થાય એ માટે કેટલી બધી વિધાનસભાઓએ પોતાની ટર્મ જતી કરવી પડશે અને પાંચ વર્ષ પૂરાં થાય એ પહેલાં ચૂંટણીમાં જોડાવું પડશે. 2025માં દિલ્હી અને બિહાર બન્ને રાજ્યોમાં ચૂંટણી થવાની છે તો આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં 2026માં રાજ્યોએ ચૂંટણી યોજવાનો વખત આવશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર જેવા રાજ્યોમાં 2027માં લોકસભાની ચૂંટણી થશે તો એક દેશે એક ચૂંટણીને પગલે તેમને માત્ર બે વર્ષ સુધી સત્તા કરવા મળશે અને પછી નવેસરથી ચૂંટણી કરવી પડશે. વળી હિમાચલ પ્રદેશ, મેધાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને તેલંગાણામાં વિધાનસભાની ટર્મ 2028માં પૂરી થવાની છે તો ચૂંટણી કર્યા વિના આ રાજ્યો વહીવટ ન કરી શકે તે પણ સ્વાભાવિક છે. આ સંજોગોમાં ભારતીય ચૂંટણી પંચ કઇ રીતે રાજ્યના ચૂંટણી પંચ સાથે તાલ બેસાડશે એ જોવું રહ્યું – આ બાબતોનું અમલીકરણ જટિલ છે.

બાય ધી વેઃ 

મોટાભાગના પક્ષોનું માનવું છે કે એક દેશ એક ચૂંટણી જેવા વિચારનો લાભ ભા.જ.પા. અને કાઁગ્રેસ જેવા પક્ષોને વધારે મળે જ્યારે નાના પક્ષો માટે એક સાથે રાજ્યોમાં, સ્થાનિક સ્તરે અને લોકસભા માટેનો પ્રચાર કરવાનું મુશ્કેલ થઇ જશે. બંધારણનો અભ્યાસ કરીને ફેરફારનું સૂચન કરવું એક બાબત છે પણ તે લાગુ થાય એ માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે કારણ કે આખરે આ બંધારણમાં ફેરબદલ કરવાની વાત છે. વળી ભલે કેન્દ્ર સરકાર ખર્ચો ઘટાડવાની વાત કરે છે પણ ચૂંટણી પંચે 2024માં જો એક સાથે ચૂંટણી થાય તો 5,100 કરોડનો વધારાનો ખર્ચ થાય તેવો સંકેત આપ્યો હતો. 2029માં એક દેશ એક ચૂંટણીને નાતે 8,000 કરોડે આ ખર્ચ પહોંચી શકે છે. જો કે લોકશાહીમાં લોકોની ઇચ્છા વિના કંઇ ન થઇ શકે. અહીં ચૂંટણી ખર્ચ કરતાં તેમાં પારદર્શિતા અને ન્યાયી પદ્ધતિ વધુ અગત્યની બાબતો છે. મતદાર પર પાંચ વર્ષ સરકાર બેસાડી દેવી અને તેમને પોતાનો અસંતોષ રજૂ કરવાની તક ન મળે તો એ લોકશાહીની વિરુદ્ધ છે. વિદેશમાં તો રાજ્ય સ્તરે મતદારો ચૂંટાયેલી સરકાર પાછી ખેંચી લેવાની માંગ કરી શકે છે પણ શું આપણા સત્તાધીશ આવી લોકશાહી સાંખી શકશે? અરે હા, જ્યાં ભા.જ.પા.ની સરકાર છે એવા રાજ્યોના મુખ્ય મંત્રી પણ પોતાની વિધાનસભા ટર્મ પહેલાં ભંગ કરવા નથી માગતા ત્યારે સવાલ એ છે કે ભા.જ.પા. આ મુદ્દે પોતાના જ બધા સભ્યોને સંમત નથી કરી શકી તો બીજા પક્ષોને આ વાત કેવી રીતે મનાવશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનું શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ

રમેશ ઓઝા|Opinion - Opinion|22 September 2024

રમેશ ઓઝા

૨૦૧૦ પછી પહેલીવાર એવી સ્થિતિ પેદા થઈ હતી કે જો કોઈ પક્ષ પાસે દૃષ્ટિસંપન્ન અને કર્તુત્વવાન નેતૃત્વ હોય તો તે કાઁગ્રેસને રાજકીય પરિદૃશ્યમાંથી કાયમ માટે નહીં તો પણ દાયકાઓ સુધી દૂર ધકેલી શકે. કાઁગ્રેસથી જનતા નારાજ હોય અને કાઁગ્રેસને રાજ્યોમાં અને કેન્દ્રમાં પરાજીત કરી હોય એવા અનેક પ્રસંગ બન્યા છે, પરંતુ કાઁગ્રેસ સામે જનતાનો આટલો ગુસ્સો પહેલીવાર જોવા મળ્યો. અભૂતપૂર્વ. એટલે તો કાઁગ્રેસ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૪૪ બેઠકો સુધી નીચે આવી ગઈ. કાઁગ્રેસને કાયમ માટે અથવા દાયકાઓ સુધી દૂર ધકેલી શકાય એમ હતી એનું બીજું કારણ કાઁગ્રેસ પક્ષની સ્થિતિ હતી. નેહરુ-ગાંધી પરિવારની વગ તળિયે હતી અને પક્ષમાં એવો કોઈ નેતા નહોતો જે પક્ષને પાછો બેઠો કરી શકે. પક્ષને પાછો બેઠો કરવો હોય તો ઓછામાં ઓછા બે દાયકા દિવસરાત મહેનત કરવી પડે, પરંતુ જ્યાં સત્તા જ એકમાત્ર લક્ષ્ય હોય ત્યાં એ કોણ કરે અને શા માટે કરે?

ટૂંકમાં કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી બહાર ફગાવી દેવા માટેનો અપૂર્વ અવસર હાથ લાગ્યો હતો, પરંતુ એમાં એક શરત હતી. કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર ધકેલવા માગનારાઓએ અને તેની જગ્યા લેવા માગનારાઓએ પહેલાં એ સમજી લેવું જોઈએ કે આખરે જનતા કઈ વાતે કાઁગ્રેસથી નારાજ છે? તેમને શું જોઈએ છે અથવા નથી જોઈતું? અને જનતાને જે જોઈએ છે એ આપવામાં નહીં આવે તો જનતા તેમને પણ દરવાજો બતાવી શકે છે.

અરવિંદ કેજરીવાલ

પહેલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ આવ્યા. તેમને એમ લાગ્યું કે જનતા ભ્રષ્ટાચારથી નારાજ છે એટલે તેમની સામે ઉચ્ચ શિક્ષિત, ત્યાગી, બુદ્ધિમાન, કોઈ પ્રકારનો અંગત સ્વાર્થ નહીં ધરાવનાર, પવિત્ર અને સ્વચ્છ હોવાની ઈમેજ લઈને જશું તો બેડો પાર થઈ જશે. અમે ભ્રષ્ટાચારની બાબતે કોઈની સાડીબાર નહીં રાખનારા નો નોનસેન્સ લોકો છીએ અને સ્વચ્છ વ્યવસ્થાનો અમારી પાસે અકસીર ઈલાજ છે. તેમને સફળતા મળી ન મળી ત્યાં નરેન્દ્ર મોદી મેદાનમાં આવ્યા. તેમને એમ લાગ્યું કે ભારતની પ્રજાને નવા યુગમાં જવું છે. તે નિરાશ છે અને એટલી હદે નિરાશ છે કે હવે પ્રજાએ સપનાં જોવાનું બંધ કરી દીધું છે. તેમને એવો કોઈ શાસક જોઈએ છે જે નવા યુગમાં લઈ જાય અને અનેક તકોનો ઢગલો કરે. અરવિંદ કેજરીવાલની તુલનામાં નરેન્દ્ર મોદીએ વધારે આશા જગાડી, આવતીકાલના ભારતનું વધારે આશાસ્પદ ચિત્ર આપ્યું. તેમણે જનતાની નારાજગીનું વધારે સાચું કે સચોટ નિદાન કર્યું હતું. આ સિવાય સફળતાના પર્યાય તરીકે રજૂ કરવામાં આવેલું કહેવાતું ગુજરાત મોડેલ કર્તુત્વના પ્રમાણ તરીકે તેમની પાસે હતું અને સંઘ પરિવારની વિશાળ સાંગઠનિક તાકાત તેમની પાસે હતી.

૨૦૧૧થી ૨૦૧૪ સુધીનાં એ સમુદ્રમંથનના વર્ષોમાં નરેન્દ્ર મોદી અંતિમ વિજેતા નીવડ્યા. અરવિંદ કેજરીવાલ પણ સાવ ફેંકાઈ નહોતા ગયા. ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ બતાવી આપ્યું કે તેઓ ગણનાપાત્ર રાજકીય અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી માટે સાવ મોકળો માર્ગ નથી.

નરેન્દ્ર મોદી

કસોટી હવે શરૂ થઈ. નરેન્દ્ર મોદી એ વાત ભૂલી ગયા કે જનતા કાઁગ્રેસથી નરાજ નહોતી, પ્રચંડ નારાજ હતી અને નારાજ હોવા માટે તેમની પાસે પ્રચંડ કારણો હતાં. તેમણે જનતાની નારાજગીનો રાજકીય ઉપયોગ તો કર્યો, પણ એ નારાજગીની પ્રચંડતાની ઉપેક્ષા કરી. એ તેમની સૌથી મોટી ભૂલ હતી.

નરેન્દ્ર મોદીએ જે કારણે જનતા કાઁગ્રેસથી નારાજ હતી એ કારણોનો ઉપાય કરવાની જગ્યાએ કાઁગ્રેસ માટેની નારાજગી નફરતમાં ફેરવાય એ માટેનાં પ્રયત્નો શરૂ કર્યા. કાઁગ્રેસને બદનામ કરો, કાઁગ્રેસના નેતાઓને બદનામ કરો, કાઁગ્રેસ શાસકોએ કરેલી કે ન કરેલી ભૂલોને દેશ સાથેના અપરાધ તરીકે રજૂ કરો, ઐતિહાસિક તથ્યો સાથે તોડમરોડ કરો, તેમને ભ્રષ્ટ અને નમાલા તરીકે ચીતરો. રાહુલ ગાંધીને પપ્પુ તરીકે, એક જોકર તરીકે સ્થાપિત કરો. ગોદી મીડિયા, પક્ષનો આઈ.ટી.સેલ અને આજકાલ જેને ગોદીવૂડ તરીકે ઓળખવામાં આવે છે એ સિનેમાવાળાઓ આ કામે લાગી ગયા. દસ વરસથી આ ઉદ્યોગ ધમધમે છે. બીજો માર્ગ તેમણે  કાઁગ્રેસની રાજ્ય સરકારોને તોડવાનો, કાઁગ્રેસનાં રાજ્ય એકમોમાં ફૂટ પાડવાનો, કેટલાક નેતાઓને જેલમાં નાખવાનો, કેટલાકને ડરાવીને રાખવાનો અને સૌથી વધુ તો કાઁગ્રેસને મળતી નાણાંકીય સહાયના સ્રોત બંધ કરી દેવાનો અપનાવ્યો. કાઁગ્રેસને અને કાઁગ્રેસના નેતાઓને એટલી હદે બદનામ કરો કે જનતાની નારાજગીમાં ઘટાડો થવાની વાત તો બાજુએ રહી, પ્રજા નફરત કરતી થાય. નારાજગી હજુ પણ ઘટી શકે, પણ નફરતને દૂર કરવી એ અઘરું કામ છે. અને પક્ષ જો બચ્યો જ ન હોય તો નફરતને દૂર કરવાનું કામ કોણ કરવાનું! એને માટે તો જાત ઘસવી પડે. ગણતરી એવી હતી આ દ્વારા કાઁગ્રેસ કાયમ માટે ખતમ થઈ જશે. લાંબો સમય કે ટૂંકા સમયનો પ્રશ્ન જ નથી, કાયમ માટે કાઁગ્રેસ ખતમ થઈ જશે. વિકલ્પ જ નહીં રહેવા દેવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

આ સિવાય હિન્દુત્વ તો છે જ. હિંદુઓને ડરાવીને અને રડાવીને બાંધી રાખી શકાશે.

આમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકા બી ટીમ તરીકેની હતી. જો બાબત આર્ટીકલ ૩૭૦ જેવી મોટી હોય તો નરેન્દ્ર મોદીની સરકારના નિર્ણયોને સમર્થન આપવાનું. બાબત થોડી ઓછી, પણ મહત્ત્વની હોય તો મૂંગા રહેવાનું. અને ક્ષુલ્લક બાબતોએ વિરોધ કરવાનો એટલે જેમને મધ્યમમાર્ગી સેક્યુલર વિરોધ પક્ષની યાદ આવે તો તે માટે કાઁગ્રેસના વિકલ્પે હાજર રહેવાનું. આયોજન એક દમ ગણતરીપૂર્વકનું હતું. બદનામ કરો, કાઁગ્રેસની જમીન આંચકી લો અને તેની જગ્યાએ અરવિંદ કેજરીવાલનો ટાપુ આપો એટલે લોકોને એમ ન લાગે કે વિરોધ કરવાવાળું અને વધારે સારા વિકલ્પનો દાવો કરનારું કોઈ જ નથી.

પણ કટક ઉતાર્યું હોવા છતાં કાઁગ્રેસ ખતમ તો ન થઈ, પણ પાછી બેઠી થઈ રહી છે અને એ પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં. જેને જોકર તરીકે બદનામ કર્યો હતો તેના નેતૃત્વમાં. આવું કેમ બન્યું?

રાહુલ ગાંધી

આનું કારણ આગળ કહ્યું એમ નારાજગી પાછળ રહેલાં પ્રચંડ કારણોની કરવામાં આવેલી ઉપેક્ષા હતું. લોકોને નવા યુગમાં પ્રવેશવું હતું, નવું ભારત જોઈતું હતું, નવી તાજગી જોઈતી હતી અને કાઁગ્રેસ એ કરવા અસમર્થ હતી એ લોકોની નારાજગીનું પ્રચંડ કારણ હતું. બીજા શબ્દોમાં આશા પ્રચંડ હતી એટલે નારાજગી પ્રચંડ હતી. નરેન્દ્ર મોદીએ માત્ર લોકોની નારાજગી જોઈ અને એ નારાજગીને નફરતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો અને લોકોની અંદર જે પ્રચંડ આશા હતી, નવા યુગમાં પ્રવેશવાનાં અરમાન હતાં તેની ઉપેક્ષા કરી.

જો કોઈ ચીજની આવશ્યકતા હોય તો શૂન્યાવકાશમાંથી પણ એ પેદા થાય. કલ્પના ન કરી હોય ત્યાંથી ગાંધી અને ભગતસિંહ પેદા થાય. કાઁગ્રેસને પ્રાસંગિક બનાવવાનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે એનાં કરતાં ઘણો વધુ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.

આની વધુ ચર્ચા હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2024

Loading

ઓસ્કાર શિન્ડલર? એ વળી કોણ?

સોનલ પરીખ|Opinion - Opinion|21 September 2024

બીજા વિશ્વયુદ્ધમાં થયેલા યહૂદી નરસંહાર દરમ્યાન ઓસ્કાર શિન્ડલર નામનો એક જર્મન વેપારી સૈન્ય માટેની સામગ્રી બનાવતો અને તગડો નફો રળતો. યહૂદીઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા …

કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા. યુદ્ધની વાતો રમ્ય હશે, યુદ્ધ રમ્ય હોતું નથી એવા અનુભવ છતાં માણસ યુદ્ધ વિના કદી રહી શક્યો નથી. યુદ્ધ જો અનિવાર્ય હોય તો તેને જાણી લેવું જોઈએ અને યુદ્ધના ઇતિહાસમાંથી શીખ લેવી જોઈએ. યુદ્ધનો ઇતિહાસ કહે છે કે યુદ્ધ ચોક્કસ ભયંકર છે, પણ દેશપ્રેમ, બલિદાન, શૌર્ય, હિંમત, નિર્ભયતા, પરાક્રમ, ખેલદિલી, સાહસ જેવા ઉદાત્ત ગુણો યુદ્ધના સમયે વધુ નીખર્યા હોવાના દાખલા ઓછા નથી.

પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ-સલામતી જાળવવા માટે અને ફરીથી માનવસંહાર ન થાય તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી; તેમ છતાં વીસ જ વર્ષમાં બીજું વિશ્વયુદ્ધ થયું, જે છ વર્ષ ચાલ્યું અને માનવ-ઇતિહાસનું સૌથી ભયાનક યુદ્ધ સાબિત થયું. તેમાં વિશ્વના પાંચેય ખંડોના 47 દેશો સંડોવાયા હતા. આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા.

ઓસ્કાર શિન્ડલર

બીજા વિશ્વયુદ્ધનાં બે પ્રકરણો કદી ભુલાવાનાં નથી – ભુલાવા જોઈએ પણ નહીં – હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ અને યહૂદી નરસંહાર. વાત કરવી છે એક નરબંકાની જેણે પોતે જર્મન હોવા છતાં હોલોકાસ્ટ દરમિયાન અનેક યહૂદીઓની જિંદગી બચાવી હતી. એ પહેલેથી યહૂદીઓનો હમદર્દ હતો એવું નહોતું; પણ યહૂદીઓ પર વિના વાંકે અને પદ્ધતિસર થઈ રહેલા અમાનુષી અત્યાચારો જોઈ એનું મનુષ્યત્વ એવું ખળભળી ઊઠ્યું કે તેણે જીવનું જોખમ લઈ, સર્વસ્વ હોડમાં મૂકી એક હજારથી વધારે યહૂદીઓના પ્રાણ બચાવ્યા. એનું નામ ઓસ્કાર શિન્ડલર.

ઓસ્કાર શિન્ડલરનો જન્મ ૨૮ એપ્રિલ ૧૯૦૮માં. મોરવિયાના ઝ્વીટાઉ પ્રાંતમાં તે ઉછર્યો અને નાઝી જર્મનીની ઇન્ટેલિજન્સ સર્વિસમાં જોડાયો. ૧૯૩૮માં જર્મનોએ ઝેકોસ્લોવાકિયા પર કબજો કરવા માંડ્યો તે પહેલાથી શિન્ડલર જર્મન સરકારને રેલવે અને સૈન્યની અવરજવર વિષે માહિતી ભેગી કરી આપતો. ઝેક સરકારે તેને પકડ્યો પણ હતો, પણ એ વર્ષે મ્યુનિચ કરાર થયા એટલે છોડી મૂક્યો. સપ્ટેમ્બર ૧૯૩૯માં જર્મનોએ પોલેન્ડ જીતી લીધું. પોલેન્ડના પૂર્વ ભાગમાં વસતા યહૂદીઓને ક્રાકોવ નામના એક મોટા શહેરમાં આવી જવાનો આદેશ આપવામાં આવ્યો. રોજ ૧૦,૦૦૦થી પણ વધુ યહૂદીઓ ક્રાકોવમાં એકઠા થવા લાગ્યા. કમાણીની તક જોઈ શિન્ડલરે એક ખાલી પડેલી ફેક્ટરીમાં સૈન્ય માટે જરૂરી ધાતુની વસ્તુઓ બનાવવા માંડી.

યુદ્ધ આગળ વધતું ગયું, શિન્ડલરની સંપત્તિ વધતી ગઈ. જોતજોતામાં તે કરોડપતિ બની ગયો. યહૂદીઓ પરનો અત્યાચાર વધતો જતો હતો. ધંધાધાપા છીનવી લઈ, પોતાના વિશાળ ઘરોમાંથી ખેંચી કાઢી તેમને ઊંચી દીવાલોથી ઘેરાયેલા ‘ઘેટો’માં ધકેલી દેવામાં આવ્યા. વિરોધ કરનાર કે બીમાર-કમજોર ગોળીનો શિકાર બનતા. બચેલા યહૂદીઓ જર્મનોના ગુલામો તરીકે કામ કરવા લાગ્યા. નાના કારણથી કે કારણ વિના પણ તેમના પર ગોળીઓ વરસાવાતી. કોઇપણ જર્મન ચાહે ત્યારે એમને ગોળી મારી શકતો. એમણે ખતમ કરવા એક આખું તંત્ર કામે લાગ્યું હતું જે ‘એસ.એસ.’ તરીકે ઓળખાતું.

શિન્ડલરની ફેક્ટરીમાં શરૂઆતમાં બિન-યહૂદી કામદારો વધુ હતા. સમયાંતરે ઘેટોના અધિકારીઓ યહૂદીઓને મજૂરી કરવા મોકલવા લાગ્યા. એમને ઓછું વેતન આપવાનું, વળતર વગેરેની બલા નહીં. શિન્ડલરે પોતાનો ફાયદો જોઈ યહૂદી કામદારો વધારવા મંડ્યા. બે જ વર્ષમાં ૧૫૦ યહૂદી કામદારોન સંખ્યા ૧૫૦માંથી ૧,૧૦૦ થઈ ગઈ.

૧૯૪૩માં ક્રાકોવના યહૂદીઓને ઘેટોમાંથી લેબર કેમ્પમાં લઈ જવાયા. લેબર કેમ્પથી શિન્ડલરની ફેક્ટરી ઘણી દૂર હતી. માઈલો ચાલી યહૂદીઓ કામ કરવા આવે અને ૧૨ કલાક કામ કરે. શિન્ડલરે લેબર કેમ્પનો સબકેમ્પ પોતાની ફેક્ટરીમાં ખોલવાની પરમિશન માંગી, કે મજૂરોની શક્તિ બચે ને કામ વધુ થાય. દલીલ અને લાંચ બંને કામ કરી ગયાં. ફેક્ટરીમાં સબકેમ્પ ખૂલ્યો. જર્મન સૈન્યને જરૂરી ચીજો ધમધોકાર બનવા લાગી. આ કેમ્પમાં પણ કાંટાળા તાર અને વૉચ-ટાવર્સ હતા, પણ ખાવાનું વધારે સારું હતું.

૧૯૪૪ની શરૂઆતમાં મૂળ કેમ્પ એસ.એસ.ના કબજામાં ગયો અને કોન્સન્ટ્રેશન કેમ્પ બન્યો. થોડા મહિનામાં જર્મની યુદ્ધમાં હારવા લાગ્યું. ક્રાકોવ છોડતા પહેલા બચેલા યહૂદીઓને પતાવી દેવા, એવો આદેશ છૂટ્યો. શિન્ડલરે પોતાની ફેક્ટરીના અને બને તો અન્ય યહૂદીઓને પણ બચાવવા કમર કસી. યહૂદી કામદારોની જરૂર છે તેમ કહી તેણે જર્મન અધિકારીઓ જેમાંના અનેક તેના મિત્રો પણ હતા, તેમને ભેટો, લાંચ આપી એક એક યહૂદીની મોટી કિંમત ચૂકવી ૧,૧૦૦ યહૂદીઓને ખરીદ્યા. એમાં  વિજ્ઞાનીઓ, ઇતિહાસકારો, વેપારીઓ, બાળકો અને મહિલાઓ હતાં. જર્મન સેના હારતી ગઈ તેમ તેમ ફેક્ટરીનું કામ ઘટ્યું, પણ શિન્ડલરે પોતાની ફેક્ટરી ચાલુ બતાવી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો ત્યાં સુધી અધિકારીઓને તગડી લાંચ આપી આપીને પોતાના કામદારોને રક્ષ્યા. યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં ખાવાનું ખરીદવામાં અને લાંચ આપવામાં તેની બધી સંપત્તિ ખર્ચાઈ ગઈ.

જે દિવસે જર્મન સેનાએ આત્મસમર્પણ કર્યું એ રાતે બાર વાગ્યા સુધી તે આ યહૂદીઓ સાથે હતો. વિદાય વખતે તેમાંથી એક યહૂદીએ શિન્ડલરને એક વીંટી ભેટ આપતાં કહ્યું, ‘હિબ્રુ ભાષામાં કહેવત છે, “જેણે એક જીવન બચાવ્યું, તેણે એક દુનિયા બચાવી”. આ ૧,૧૦૦ લોકોની આવનારી અનેક પેઢીઓ તમારી દેન હશે.’ એ પળે શિન્ડલર વિચારતો હતો – આ ગાડી, કોટમાં ભરાવેલી સોનાની પીન વેચ્યાં હોત તો બીજા થોડા માણસો બચી જાત – તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં, ‘હું હજી થોડું વધારે કરી શક્યો હોત!’ યહૂદીઓ ભીની આંખે તેને ભેટી પડ્યા.

બીજા વિશ્વયુદ્ધના યહૂદી નરસંહારમાં ૬૦ લાખ યહૂદીઓને મારી નાખવામાં આવ્યા હતા. પોલેન્ડમાં યુદ્ધ પહેલા ૩૫ લાખ યહૂદીઓ હતા જેમાંથી માત્ર ત્રણથી ચાર હજાર બચ્યા હતા. શિન્ડલરે બચાવેલા ૧,૧૦૦ યહૂદીઓની સંખ્યા આજે ૭,૦૦૦થી પણ વધારે છે. તેઓ અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલમાં વસે છે. તેમને ‘શિન્ડલરજુડાન’ કહેવામાં આવે છે.

યુદ્ધ પછી શિન્ડલર યહૂદી રિલિફ ઓર્ગેનાઇઝેશનની મદદથી પશ્ચિમ જર્મની ગયો. ખર્ચાયેલા નાણાંનું થોડું વળતર મળતાં તેણે આર્જેન્ટિનામાં ખેતી કરી, થોડા નિષ્ફળ ધંધા કર્યા. ૯ ઓકટોબર ૧૯૪૭માં ૬૬ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું. જેરુસલેમમાં તેને દફનાવાયો. નાઝી પક્ષના કોઈને આવું માન મળ્યું નથી.

આ ભવ્ય ઘટના પર ફિલ્મ બનાવવાના પ્રયત્નો થાય જ. ૧૯૫૧ અને ૧૯૬૦માં પ્રોજેક્ટો શરૂ થયા, પણ કોઈ ને કોઈ કારણથી અટકી પડ્યા. ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયન લેખક થોમસ કેનલી યુરોપના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયા ત્યાં તેમને શિન્ડલરની વાત જાણવા મળી. ૧૯૬૪માં જે ફિલ્મ બનાવવાનો હતો તે પેફરબર્ગે કેનલીને ઘણી માહિતી આપી. આ માહિતી, સંશોધન અને શિન્ડલરજુડાનની મુલાકાતો પછી કેનલીએ ‘શિન્ડલર્સ લિસ્ટ’ નવલકથા લખી. સ્ટીવન સ્પીલબર્ગે તરત ફિલ્મ બનાવવાના રાઇટ્સ લઈ લીધા, પણ પોતે ઇમોશનલી અને પ્રોફેશનલી તૈયાર નથી એવું લાગ્યા કર્યું એટલે ‘શિન્ડલર્સ લિસ્ટ’ ફિલ્મ દસેક વર્ષ પછી, ૧૯૯૩માં બની. તેને શ્રેષ્ઠ ફિલ્મ સહિત સાત ઓસ્કાર મળ્યા. ફિલ્મ શ્વેતશ્યામ છે – સ્પીલબર્ગનું માનવું હતું કે ‘હોલોકાસ્ટને કોઈ રંગ ન હોઈ શકે’. તેમાં શિન્ડલર એક નાની છોકરીને વારંવાર માણસોની ભીડ વચ્ચે જુએ છે. એક દિવસ તેનો અર્ધો દટાયેલો મૃતદેહ જોઈ તે ખળભળી જાય છે અને યહૂદીઓને બચાવવા કટિબદ્ધ થાય છે. આખી ફિલ્મમાં માત્ર આ લાલ કોટવાળી બાલિકા રંગીન બતાવાઈ હતી.

૧૯૯૯માં શિન્ડલરના ઘરમાંથી એક સૂટકેસ મળી, જેમાં ૧૩ પાનાંનું પીળું પડી ગયેલું મૂળ લિસ્ટ, ફોટા, દસ્તાવેજો મળ્યાં તેના પરથી ‘શિન્ડલર્સ સૂટકેસ : રિપોર્ટ્સ ફ્રોમ ધ લાઈફ ઑફ અ લાઈફસેવર’ નામનું પુસ્તક બન્યું છે. એમાં એક વેધક સવાલ પૂછાયો છે, ‘ઈઝ બ્રાઈબરી ઑલવેઝ બેડ?’ સવાલમાં જ જવાબ સમાયેલો નથી?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 એપ્રિલ  2024

Loading

...102030...516517518519...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved