Opinion Magazine
Number of visits: 9457180
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છેલ્લા દસકાની ‘અઘોષિત કટોકટી!’ એ વળી કયો કિસ્સો?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 July 2024

જૂનનું છેલ્લું અઠવાડિયું હજુ હમણે જ પસાર થયું. 25-26 જૂન, 1975થી માર્ચ 1977નો ગાળો આ લખનાર જેવા ઘણાને સારુ આઝાદીની લડાઈ નહીં લડી શક્યાના વસવસા સામે બીજી આઝાદીની લડાઈમાં જોડાઈ શક્યાની આનંદલાગણીનો પણ હશે.

એ દિવસો સાંભરે છે ત્યારે આજે લગભગ પાંચ દાયકાને અંતરે પણ કંઈક રોમહર્ષણ અનુભવાય છે. એ વાસંતી સંઘર્ષ દિવસોની યાદ લઈને આવતા સાહિત્યમાં વળી વળીને અવગાહન કરવાનુંયે મન થઈ આવે છે. છેલ્લાં વર્ષોમાં આ સંદર્ભે આવેલી નવી કિતાબ જ્ઞાનપ્રકાશ કૃત ‘ઈમરજન્સી ક્રોનિકલ્સ’ છે. વાતનો ઉઘાડ કરતાં જ્ઞાનપ્રકાશે જે પાત્રોનો પ્રવેશ કરાવ્યો છે એમાં એક પાત્ર પ્રબીર પુરકાયસ્થનું છે. કટોકટીકાળના કુખ્યાત પોલીસ અફસરો પૈકી એક, ભીંડર, જે.એન.યુ. કેમ્પસ પર ગયા હતા કોઈની શોધમાં અને એને બદલે એક ભળતીસળતી હસ્તી, આપણો પ્રબીર પુરકાયસ્થ, એને ધરાર ઝાલી લાવ્યા … જે ખાનાપૂર્તિ થઈ તે ખરી.

જ્ઞાનપ્રકાશની આ કિતાબ પ્રગટ થઈ તે પછીનો ઘટનાક્રમ પણ દેખીતો રસિક જો કે વસ્તુત: સૂચક ને ચિંતાજનક છે. હમણેના ગાળામાં આઝાદમિજાજ કામગીરી વાસ્તે ઠીક ઉભરેલ ‘ન્યૂસક્લિક’ સાથે સંકળાયેલ પુરકાયસ્થ સંદિગ્ધ આરોપોસર મોદી સરકારની તવાઈનો ભોગ બનેલ છે … પોતે કટોકટી સામે લડ્યાનો ચીપિયો પછાડતાં મોદી ભા.જ.પ. કદી થાકતો નથી, પણ અઘોષિત કટોકટીરાજ એની સ્થાયી ઓળખ બનવા લાગેલ છે.

આ બધું લક્ષમાં આવે ત્યારે આઝાદીની બીજી લડાઈ જેવા પ્રયોગો કવચિત્ ખાલી ખાલી ખખડતાં નહીં તો પણ કંઈક ખોડંગાતા, લથડાતા અનુભવાય છે. અલબત્ત, આ લાગણીનું પર્યવસાન નિરાશામાં નથી થતું. લડાઈ ચાલુ છે, ચાલુ રાખવાની છે એવી સમજમાં એથી નિખાર આવે છે અને સંકલ્પ ઓર સિંચાય પણ છે.

લખતાં લખતાં કટોકટીવાળા કોલામાંથી તારકુંડવાળું પુસ્તક લેવા ઊભો થયો ને સહસા હાથમાં આવ્યું ગૌરકિશોર ઘોષનું – લેટ મી હેવ માઈ સે. શું કરીશું ગુજરાતી એનું? છૂટ લઈને કહું તો મારે કહેવું છે તે મને કહેવા દો. કટોકટી સામે લડી જાણનાર અને જયપ્રકાશના આંદોલનમાં એક સાથે સહભાગી ને સમીક્ષક બેઉ બની રહેનાર વિરલ બૌદ્ધિક ગૌરકિશોરના આ પુસ્તકની પ્રસ્તાવના તારકુંડેએ લખી છે. અને હા, કિસ્સો બિલકુલ ત્રિવેણી તીર્થ શો છે – ગૌરકિશોર ઘોષની કિતાબ, તારકુંડેની પ્રસ્તાવના અને મૂળે ચંદ્રકાન્ત દરુ પર ઘોષ તરફથી ભેટ, સાઈન્ડ કોપી!

કેવાં વ્યક્તિત્વ હતાં આપણી વચ્ચે ત્યારે … જ્યુડિશિયરીમાં ઊંચી પાયરીએ બડકમદારી કરતા હોત એવા તારકુંડે સુપ્રીમ કોર્ટમાં વકાલત કરવાનો રાહ લીધો જેથી જાહેર હિતના, ખાસ તો નાગરિક સ્વાતંત્ર્યના પ્રશ્નો વણસમર્થ્યા ન રહે. દરુ સ્કૂલમાં શિક્ષક. વકીલી ભણતર લીધું ને બંધારણીય પાસામાં એક પ્રતિભા લેખે ઉભર્યા. ગુજરાત કટોકટીમાં સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું એ જે.પી. જનતા મોરચાનો વિશેષ હતો – પણ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ના કેસો દેશ આખામાં સેન્સરશિપ સામે દીપશિખા શા બની રહ્યા તે તો દરુ હોય નહીં ને બને નહીં.

આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે જેવી કટોકટી જાહેર થઈ ને અખબારી સમાચારો અંગે સેન્સરસંહિતા આવી ત્યારે તારકુંડે અને દરુએ મળીને એક નોંધ કરી હતી કે આ મર્યાદામાં રહીને પણ લોકતરફી શું શું પ્રગટ કરી શકાય છે. પણ મોટા ભાગનાં છાપાંએ અડવાણીના યાદગાર શબ્દોમાં ‘વેંત નમવાનું કહ્યું ને તમે ઘૂંટણિયે પડી ગયા’ જેવી ભૂમિકા ત્યારે સ્વીકારી લીધી હતી. છેલ્લા દસકાની ‘અઘોષિત કટોકટી’ વળી એક જુદો જ કિસ્સો છે.

પણ આ દરુ ને તારકુંડે તમે જુઓ. જનતા રાજ્યારોહણ પછી એમણે કોઈ સરકારી દાપાદરમાયાની દરકાર ન કરી. દરુની પ્રતિભા જોતાં હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જજ લગીનો દોમ દોમ રસ્તો ખુલ્લો હતો. એમણે સામી દરખાસ્તે ના પાડી. મેં એમને કહ્યું કે તમે ત્યાં ચોક્કસ ભૂમિકા ભજવી શક્યા હોત. ‘પણ લોક સારુ અદાલતમાં સીધી લડત આપી ન શકું, એનું શું?’ એમ કહી એમણે હળવેકથી ટમકું મેલ્યું, ‘જજસાહેબ થઈએ તે પછી ઓછા કંઈ રસ્તા વચ્ચે ઊભા રહી દોસ્તો સાથે મકાઈભુટ્ટો ખઈ શકવાના હતા!’

તારકુંડેને આંધ્રનું ગવર્નરું કૂટવાનું સત્તાવાર તેડું આવ્યું. એમણે ન સ્વીકાર્યું ને કહ્યું કે લોકમોઝાર છીએ તે ઠીક છે … અને પછી જુઓ, કવિન્યાય! આંધ્રમાં રાજકીય ગેરરીતિઓ સબબ ઉચ્ચ કક્ષાના તપાસ મિશન પર એ ગયા હતા.

થાય છે, વાતમાંથી વાત નીકળી જ છે તો તારકુંડે વિશે બે શબ્દો વધારે લખું? જોગાનુજોગ, આજે ત્રીજી જુલાઈએ એમનો જન્મદિવસ પણ છે. આપણી વચ્ચે હોત તો એ બરાબર 115ના હોત. મહારાષ્ટ્રમાં સાસવડના અસ્પૃશ્યતા વિરોધી બ્રાહ્મણ પરિવારમાં આખા મુંબઈ ઈલાકામાં (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, સિંધ) એ મેટ્રિકમાં પહેલા આવેલા. લંડનથી બેરિસ્ટર થઈને આવ્યા પણ સ્વરાજસંગ્રામના સાદે એમને એક પા કૃષિમાં રસ લેતા કર્યા તો બીજી પા કાઁગ્રેસ સમાજવાદી પક્ષમાં સક્રિય બનાવ્યા. એમની વિચારયાત્રા એમને એશિયા-અમેરિકા-યુરોપ-રશિયામાં ક્રાંતિકારી સંધાન થકી સમુત્ક્રાન્ત રોયવિચારમાં (રેડિકલ હ્યુમેનિઝમ કહેતાં મૂળગામી માનવવાદમાં) ખેંચી ગઈ અને સ્વાતંત્ર્ય કોઈ સુખવસ્તુ વિભાવના નથી પણ વ્યક્તિમાત્રના સર્વાંગી વિકાસની શરત છે એવી નીતરી સમજે એ લાંગર્યા. જયપ્રકાશ સાથેના એમના સંધાને એમને એક તબક્કે દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ચળવળની પિતૃપ્રતિમા શી ઓળખ આપી.

આ બધાનું મનોવિશ્વ જોતાં ભા.જ.પ. શાસન પરત્વે એમનો સંઘર્ષભાવ દુર્નિવાર જણાય છે : કાઁગ્રેસ સહિતનો વિપક્ષ આ ધોરણે જાતમાં ઝાંખતો રહેશે તો તે એમના ને દેશના લાભમાં હશે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 જુલાઈ 2024

Loading

સમસામયિક સમ્પાદનો વિશે 

સુમન શાહ|Opinion - Literature|2 July 2024

સુમન શાહ

આ લેખ સાહિત્યકારમિત્રોના હિતમાં લખી રહ્યો છું. હું જે હિત સમજ્યો છું તેને અનુસરીને જાહેરમાં લખું નહીં, તો પ્રજ્ઞાપરાધ થાય.

આપણે ત્યાં થતાં સમસામયિક સમ્પાદનો બાબતે આ હું જે લખી રહ્યો છું એને કવિઓ વાર્તાકારો તેમ જ નિબન્ધકારો અને વિવેચકો બરાબર સમજે અને વિવેકપૂર્વક આવશ્યક ચર્ચા કરે, એમ વિનન્તી છે.

અહીં હું સામયિકોના સમ્પાદકો વિશે નથી લખી રહ્યો એ સ્પષ્ટ છે.

દાખલા તરીકે, કોઈ સમ્પાદકને એક મુદ્દો સૂઝ્યો છે. એમ કે ‘ટૂંકીવાર્તામાં એકમેવ અસર’ -નું તત્ત્વ આજકાલ લખાતી ટૂંકીવાર્તાઓના સર્જકોની કૃતિઓમાં કલાત્મક રીતે અનુભવાય છે. એ મુદ્દાને એ પોતાનો સમ્પાદકીય આશય ગણે અને એવી કૃતિઓનું સમ્પાદન હાથ ધરે, તો સૌ પહેલાં એણે શું કરવું જોઈએ? ક્રમશ: આ પ્રમાણે —

૧ : સૌ પહેલાં એણે પ્રકાશક નક્કી કરવો જોઈએ. પ્રકાશક સાથે, લિખિત કરાર કરવો જોઈએ; તેમાં, પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકનું મૂલ્ય શું હશે, કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, એને કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે. પુરસ્કાર સમ્પાદકને પણ મળવો જોઈએ, કરારમાં એનો પણ નિર્દેશ હોવો જોઈશે.

૨ : ‘એકમેવ અસર’-નો સંદર્ભ ધરાવતા પોતાના એ સમ્પાદકીય આશયની પૂરી સ્પષ્ટતા સાથે એ સમ્પાદકે એ કૃતિઓના કર્તાઓને નિમન્ત્રણ આપવું જોઈએ અને પસંદ કરેલી કૃતિ માટે દરેક કર્તાની લિખિત સમ્મતિ માગવી જોઈએ. સમ્પાદકે પ્રકાશક સાથે થયેલા કરારની તમામ વીગતોથી કર્તાને અવગત કરવો જોઇએ.

૩ : સમ્પાદકીય આશય કે પસંદગી પામેલી કૃતિ કોઈ કર્તાને યોગ્ય ન લાગતાં હોય, તો તે વિશે તેની સાથે સમ્પાદકે જરૂરી વિચારવિમર્શ કરવો જોઈએ. એ પછી, જો બન્ને પક્ષે સર્વસમ્મતિ સધાય તો આગળ વધવું જોઈએ.

૪ : એ સર્વસમ્મતિ અનુસાર, સમ્પાદકે પ્રકાશકને તમામ કૃતિ-કર્તાની યાદી મોકલવી જોઈએ. પ્રકાશકે પણ કર્તાને વિધિસરનું નિમન્ત્રણ મોકલવું જોઇએ, અને તે નિમન્ત્રણ સાથે પ્રકાશકે પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકની કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે.

૫ : આ બધું થાય તેમ છતાં, કેટલીક ક્ષતિઓ થવાનો સંભવ છે. એ ક્ષતિઓ આ પ્રમાણે હોઈ શકે : 

— નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રકાશન ન થયું હોય.

— કર્તાને પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય.

— પુસ્તકમાં કોઈ કર્તાની કૃતિ ન છપાઇ હોય.

૬ : સંભવિત એવી કોઇપણ ક્ષતિ વખતે જવાબદાર કોણ? પ્રકાશક કે સમ્પાદક? આપણે ત્યાં સામાન્ય રીતે પ્રકાશકે કર્તા સાથે કરાર નથી કર્યો હોતો, તેથી જવાબદાર તો સમ્પાદક જ ગણાય. કર્તા સાથે સૌ પહેલો જોડાનાર સમ્પાદક છે. સમ્પાદકીય આશય એ બન્નેને જોડનારી કડી છે. એ હકીકત સૂચવે છે કે સમ્પાદક વ્યવહારુ તેમ જ નૈતિક ધોરણે કર્તા સાથે પૂરેપૂરો બંધાયેલો છે.

૭ : એ સંજોગોમાં, સમ્પાદકે જાહેર કરવું જોઈએ કે આવાં કારણોસર મૉડું થયું છે, કહેવું જોઈએ કે અમુક સમયે, પુસ્તક પ્રકાશિત થઈ જશે. પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય તો સમ્પાદકે પ્રકાશકને કહેવું જોઈશે. કોઈની કૃતિ ન છપાઈ હોય તો પ્રકાશકે તેમ જ સમ્પાદકે ક્ષમાપૂર્વક કહેવું જોઈશે કે પુનર્મુદ્રણ થશે તેમાં ઉમેરી લઈશું.

આ ૭ કલમો અનુસાર થનારું સમ્પાદન-પ્રકાશન આદર્શ ગણાય. 

પરન્તુ, આપણે ત્યાં આજકાલ, છેલ્લા દાયકા દરમ્યાન, સામાન્યપણે બને છે શું તે જાણવા જેવું છે.

અ : સમ્પાદકો કર્તાને આશયની સ્પષ્ટતા જવલ્લે જ કરે છે. વિધિવત પૂર્વસમ્મતિ નથી માગતા. ફોન કરી એટલું જ કહે છે – સમ્પાદનમાં તમારી વાર્તા લીધી છે, કાવ્ય લીધું છે, નિબન્ધ લીધો છે. કર્તાને સમ્પાદકની પસંદગી યોગ્ય ન લાગે, તો પોતાનો નિર્ણય બદલતા નથી, બહાનું બતાવે છે કે બધું પ્રેસમાં પ્હૉંચી ગયું છે. કોઈ કોઈ સમ્પાદકો તો એમ કહી દે છે કે કંઈપણ પ્રકાશકને પૂછો, મને નહીં. આ કારણે કહેવું પડે છે કે સમ્પાદકો પોતાને સમજે છે શું. તેઓ સાહિત્યસંસારમાંથી યથેચ્છ ચીજો ઉપાડી જાય અને કર્તાને સહાય કરવાને બદલે ઉપર હાથ રાખી મોટાઇ દાખવે? 

બ : પસંદગી પામેલ કેટલાક કર્તાઓ પણ હરખના માર્યા કશું જ પૂછતા નથી, ફુલાયા કરે છે.

ક : પુસ્તક નક્કી સમયે આવે નહીં, પુરસ્કાર કે નકલ મળે નહીં, ત્યારે કર્તા ઊંચોનીચો થાય છે ખરો, પણ પેલો ફુલારો એને ટાઢો પાડી દે છે. 

ડ : પોતાની કૃતિ સમ્પાદકે સ્વીકારેલી છતાં ન આવી હોય, તો, પેલા ફુલારામાં કાણું પડે છે, ને કર્તા ધૂંઆપૂંવા થવા માંડે છે. 

ઈ : મેં મારી દીર્ઘ કારકિર્દી દરમ્યાન જોયું છે કે આપણે ત્યાંની સમ્પાદનવિષયક દરેક ચર્ચામાં, એક જ મુદ્દો ટિપાય છે કે – આનું કેમ લીધું ને તેનું કેમ ન લીધું. સમ્પાદકીય આશય વિશે ભાગ્યે જ પૃચ્છા થાય છે, સમ્પાદકીય લેખ કે નૉંધમાં તો કોઈ નજરેય નથી નાખતું. કર્તા એટલી નજર નાખી લે છે કે લેખમાં પોતાનું નામ છે કે નહીં, નૉંધમાં વખાણ છે કે કેમ. 

આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ થવા માંડ્યાં છે તેથી સમ્પાદનો કે અન્ય પ્રકાશનો માટે નવેસર વિચારવું જરૂરી બને છે. 

એ વિશે, હવે પછી. 

(01/07/24: A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઘર જેવું ખાવાનું હવે બહાર મળે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 July 2024

રવીન્દ્ર પારેખ

ઘરનું ખાઈને કંટાળ્યા હોઇએ ને હોટેલવાળો કહે કે અહીં ઘર જેવું ખાવાનું મળે છે, તો મગજ જાય કે નહીં? આમ તો હોતું જ નથી, પણ ઘણાંને ગુમાવવા જેટલું મગજ તો મળી જ રહે છે. પતિ મગજ ગુમાવી શકે એટલે જ એને પત્ની આપી હોય છે ને પત્ની ફૂટેલાં નસીબનું રડી શકે એટલે પતિ કરમે ચોંટેલો હોય છે. પત્નીઓ ઘણી વાર જમે છે ખરી, પણ રાંધે છે પાર્ટ ટાઈમ જ ! હવે તે રસોડામાં બફાતી નથી. બધું જ સ્માર્ટ થઈ ગયું છે, તો તે પણ પાછળ શું કામ રહે? તે ય રોજનાં ઠોબલાં ઉતારીને કંટાળતી હોય છે, એટલે હવે આખું ખાનદાન લઈને તે ખાનપાન બહાર જ પતાવતી હોય છે. તેને પણ હવે હોટેલનું ખાવાનું ભાવતું થયું છે. એક જમાનામાં ઘરડાં ઘરનું ખાવાનો આગ્રહ રાખતાં, પણ હવે ઘરડાં જ ઘરડાં ઘરમાં પાર્સલ થયાં હોવાને લીધે એમની દખલ રહી નથી. એક જમાનામાં ઘરડાં ગાડાં વાળતાં, હવે ગાંડા વાળતાં હોય તો નવાઈ નહીં

હોટેલનું સુખ એ છે કે હવે જોઈતું ખાવાનું મેનુમાં જ દેખાઈ જતું હોય છે, એટલે પતિને ખર્ચે ને પત્નીને જોખમે કુટુંબ મનફાવે તેમ હોજરી ભરી લે છે. અત્યારે તો શનિ-રવિ જ બહાર ખાવાનું ચાલે છે, પણ બહાર જમવામાં હવે ફાઇવ ડેઝ વીક થાય એમ બને. શું છે કે હોસ્પિટલો બહાર છે તો ખાવાનું પણ બહાર થાય તેમાં કશું ખોટું નથી. હોટેલવાળાઓને એને લીધે જવાબદારીઓ વધી છે. ઘણાંનું અને ઘણું બધું રાંધવાનું એને થાય છે, એટલે હોસ્પિટલોની જેમ જ હોટેલો પણ ચોવીસ કલાક ચાલવી જોઈએ એવી માંગણીઓ ઊઠી છે. હવે સ્વાદ અને જથ્થો મુખ્ય છે અને ચોખ્ખાઈ ગૌણ છે. ચોખ્ખું કોઈને જ પરવડતું નથી, એટલે તેમાં બીજું ત્રીજું કૈં નાખવું જ પડે છે. એમ થાય તો ફૂડ ઈન્સ્પેકટરો તેને ભેળસેળ કહીને વગોવે છે એ બરાબર નથી.

ચોખ્ખું દૂધ તો હવે ગાય જ નથી આપતી, તો ડેરી ક્યાંથી આપવાની હતી? વારુ, ગાય ચોખ્ખી હોય તો પણ, દૂધ ચોખ્ખું હોતું નથી. દેશી ઘી દેશમાં મળે એટલે દેશી ગણાય, બાકી પામોલિન મેળવ્યા વગર ઘી ‘શુદ્ધ’ થતું નથી. ‘‘શુદ્ધ’ દેશી ઘીની દુકાન’માં શું શુદ્ધ હોય તે કલ્પી શકાય એમ છે. આજકાલ પનીરનો ઉપાડ વધુ છે, એને લીધે સ્ટાર્ચનો ઉપાડ પણ વધ્યો છે. તે એટલે કે એ ઉમેરવાથી પનીર ‘શુદ્ધ’ થાય છે. માખણમાં જ ‘માખ’ છે, તો એ કાઢી લઈએ તો સિલકમાં ‘ણ’ ફેણનો જ રહે કે બીજું કૈં? ઢોસા કે ભાજી બટરમાં કરાવીએ એટલે બટર જ આવે એની ગેરંટી નથી. એ તો લેબોરેટરીમાં ચેક થાય તો ખબર પડે કે બટર છે કે મટર ને એટલી રાહ જોઈએ તો ઢોસો, ડોસો જ થઈ જાય એમાં શંકા નહીં !

જો કે, છાપાં, ટી.વી., બીવી આપણને સતત ચેતવતાં રહે છે ને આપણે ‘ચેતતાં’ પણ રહીએ છીએ, પણ સાદી વાત એટલી છે કે ઘરમાં કૈં શુદ્ધ કે ચોખ્ખું ન આવી જાય એની કાળજી રાખવાની રહે જ છે. હવે ચોખ્ખું ખાવાથી ઘણાંનું પેટ બગડે છે. ખેતરમાં જંતુનાશક દવાઓ એટલી છંટાય છે કે શાકભાજી ધોવાં છતાં ય આપણું ‘ધોવાણ’ અટકતું નથી. ઘણીવાર તો એવું થાય છે કે જંતુનાશકો આપણાં પર છાંટીને જ જમવા બેસવું જોઈએ જેથી હોજરી ચોખ્ખી રહે. ડોકટરો પણ વગર ફીએ એટલું તો કહે જ છે કે બધું ધોઈ-જોઈને ખાવ, પણ એમ બધું ચકાસવાનું હોય તો ઘરમાં રસોડાને બદલે લેબોરેટરી નાખવી પડે. આમ તો ફૂડ ઈન્સ્પેકટરો જે દુકાનોમાંથી કૈં નથી મળતું, ત્યાંથી નમૂનાઓ લઈને લેબોરેટરીઓમાં મોકલી આપે છે. એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો ઘણા ગ્રાહકો એમની હોજરીનો રિપોર્ટ કઢાવવા હોસ્પિટલોમાં ગોઠવાઈ ગયા હોય છે. આજની ઘારીના નમૂનાઓની તપાસ થઈ રહે ત્યાં સુધીમાં કેટલી ય ઘારીઓ ખપી જાય છે ને સાહેબોને ‘ચંદની પડવો’ થતો રહે છે.

હવે હળદર પીળી એટલે પણ છે કે તે પીળી માટીમાંથી બને છે. ખરું તો એ છે કે ધાણાજીરુ હવે લાકડાના છોલ વગર સ્વાદ પકડતું નથી. આપણે એટલા સમજદાર છીએ કે તાંબામાં સોનું નથી ભેળવતાં, પણ સોનામાં તાંબું ઉમેરીએ છીએ. પામોલિનમાં ઘી નથી ઉમેરતાં, પણ ઘીમાં પામોલિન ભેળવીએ છીએ. ઈંટમાં મરચાંની ભૂકી નાખીએ તો ઘર તીખું થઈ જાય, એટલે મરચાંમાં ઈંટની ભૂકી ઉમેરીએ છીએ જેથી તીખાશ ઘટે. એ ન ઘટે તો પણ, માણસ ઘટે એની કાળજી તો રાખવી જ જોઈએ, કારણ કે હવે જીવને જીવાતથી પરિચિત કરવાની કોશિશો ચાલે છે. અત્યારે તો આ બધું પ્રાયોગિક ધોરણે ચાલે છે, પણ સમય જતાં યૌગિક ધોરણે ચાલે એમ બને. મૂળ હેતુ તો માણસની ઇમ્યુનિટી વધારવાનો છે. એ સાથે જ વેજ-નોનવેજ એવા ભેદ મટાડવાનો પણ છે. એક તરફ આપણે બધું સમાન કરવામાં માનતા હોઈએ, ત્યાં વેજ-નોનવેજ, મરચું-ઈંટ, ઘી-પામોલિન, હળદર-માટી એવા ભેદ રાખવાનો અર્થ નથી, એટલે જ કદાચ વેફરમાંથી મરેલો દેડકો નીકળે છે. એ તો સારું છે કે મરેલો નીકળે છે, કાલ ઊઠીને જીવતો નીકળે તો તેની પણ તૈયારી રાખવાની રહે.

શું છે કે આપણને ઘરના ‘ડોસા’ ફાવતા નથી, એટલે ઢોસા બહારથી મંગાવીએ છીએ કે બહાર જઈને ખાઈએ છીએ. બહારનો લાભ એ છે કે વાસણો આપણે ધોવાં પડતાં નથી. બહાર તે ધોવાય કે ન ધોવાય એ આપણો વિષય નથી. બીજું, કે ઘરમાં ઉંદર ફરતાં હોય તો પણ તે સંભારમાં પડવાનું જોખમ ન લે. એ સાહસ તો બહારનાં ઉંદરો જ કરવાના ને એનો લાભ આપણને ગ્રાહકોને મળતો હોય છે. આપણને કૈં પણ ખાવાની છોછ ન રહે એટલે જુદાં જુદાં જીવજંતુઓ વડે સરપ્રાઈઝ આપવામાં આવે છે ને એની વધારાની કોઈ પ્રાઇસ લેવામાં આવતી નથી એ ઉપકાર જ છે કંપનીઓનો.

તમે ચવાણું લાવો ને પેકેટમાંથી ગરોળી નીકળે તો મોઢું મચકોડતાં પહેલાં એટલું જરૂર વિચારો કે કેટલી મહેનતે પેકેટમાં ગરોળી ઘૂસાડાઈ હશે ને એ ન ભૂલો કે એ લાભ કૈં બધા કસ્ટમરોને મળતો નથી. એવા વીરલા તો વિરલ જ ! આ વીરત્વ બદલ ગૌરવ અનુભવવાને બદલે તમે કંપનીને વીરગતિ અપાવવા નીકળો તો એનો માણસ સામેથી તમને જ ચોંટે કે એમ ગરોળી ઘૂસાડવાનું સસ્તું નથી, એ તો તમે જ કંપનીને બદનામ કરવા ખેલ પાડ્યો છે ને પછી કંપની તમારા પર દાવો ઠોકે તો ટાંટિયાં ભાર ઝીલે એમ છે? તમે ફૂડ વિભાગને કમ્પ્લેઇન કરો ને એ તપાસ પણ કરે ને એમાં ગરોળી નપાસ થઈ એવું શોધી પણ કાઢે કે કંપનીને સીલ મારી દેવાય તો પણ, એક ગરોળીએ શહીદી વહોરી એ અંગે તમારે કૈં કહેવાનું નથી?

એટલું સમજી લો કે બહારનું ખાવા-પીવાનું આ રીતે જ બને છે. ઉપકાર માનો કે આ બધું તમને એકસ્ટ્રા ચાર્જ વગર મળે છે. ખમણ સાથે ચટણી કોઈ મફત આપે, પણ કોઈ જીવાત ન આપે. એ નસીબ વગર ન મળે. જરા તો વિચારો કે ઓનલાઈન આઇસક્રીમ કોન મંગાવો ને એમાંથી કોઇની આંગળી નીકળી આવે તો એ નસીબ વગર શક્ય છે? બીજાને નહીં ને તમને જ કેમ આંગળી મળી? ને તમે આંગળી આપતાં પહોંચું પકડો તો આઇસક્રીમવાળો તમારી જ આંગળી મરડે કે એ આંગળી સાથે આખો એક કારીગર હતો, તે ક્યાં છે? તો, લોહીનું પાણી એનું નહીં, તમારું થશે. સમજો કે આ બધી સરપ્રાઈઝ ગિફ્ટ છે. કોઇની થાળીમાંથી સાપ નીકળે કે કોઈને જીવતો કોબ્રા પાર્સલ થાય તે ગમ્મત નથી. એ રિસ્કી છે, પણ સરપ્રાઈઝ છે એ ન ભૂલો. ચોકલેટ સિરપમાં ઉંદર ઉતારવાનું સહેલું નથી. હજારો ફૂટની ઊંચાઈએ ઊડતાં વિમાનમાં તમને ભોજન પીરસાય અને એ મોંમાં મૂકતાં બ્લેડ ચવાવા લાગે તો ઉપરવાળાનો ઉપકાર જ માનવાનો રહે કે બ્લેડ તૂટી, પણ ડાચું અકબંધ રહ્યું. એવી જ રીતે કોલ્ડ ડ્રિંકની બોટલ મોઢે માંડતાં ખબર પડે કે અંદર કાનખજૂરો છે કે માઝાની બોટલમાં મંકોડો હલે છે, તો એનો આનંદ લો કે આટઆટલું વીતવા છતાં સહીસલામત છો. કૈંક તો છે જે બહારનું આટલું ઝાપટવા છતાં ઘરમાં લાવે છે, તમને –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જુલાઈ 2024

Loading

...102030...516517518519...530540550...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved