Opinion Magazine
Number of visits: 9557426
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રદ્ધા

અનિલ વ્યાસ|Opinion - Short Stories|11 October 2024

અનિલ વ્યાસ

પરાશર માટે લતાબહેને પાંચેક છોકરીઓ પસંદ કરી હતી. પરાશર એન્જિનિયર થઈ ભારતની મોટી ઓઇલ કંપનીમાં જોડાયો ત્યારથી એને પરણાવવા એ ઉતાવળા થયાં હતાં. ઉતાવળ સાથોસાથ મોટા દીકરા વિવેકની પત્ની રક્ષાના અનુભવથી મન પાછું પણ પડતું હતું. રક્ષા ભણેલી ગણેલી અને વાણી વર્તનમાં ખૂબ જ હોશિયાર હતી. મળતાવડીએ ખાસ્સી, પણ લગ્ન પછી સાતેક વર્ષ સુધી સંતાન ન થયું.  રક્ષાની તબીબી તપાસમાં ભાગ્યે જ જોવા મળે એવા ગર્ભાશયના રોગનું નિદાન થયું.  એ માતા બનવા સક્ષમ નથી એ જાણ્યા પછી એના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું હતું.  હવે એ ઓછું બોલતી. મોટે ભાગે કશું વિચાર્યા કરતી હોય એમ ફરતી. ઘણીવાર એવી બે-ધ્યાન હોય કે એને બે વાર બોલાવીએ તો જવાબ આપે. લતાબહેનને એ ગમતું નહીં. આખો દિવસ શું સોગિયું ડાચું લઈને ફરતી હશે! દીકરાનો સંસાર ન બગડે એટલે રક્ષાનું આવું તોછડું વર્તન એ જોયું ન જોયું કરી દેતાં.

ધ્રુમનબહેન શ્રદ્ધાની દરખાસ્ત લાવ્યા ત્યારે કહે,

‘લતા, છોકરી પરાશર કરતાં બે વર્ષે નાની, નમણી, સપ્રમાણ ઊંચાઈ અને સરસ બાંધો છે.’ પછી ચાની ચુસ્કી લેતાં ઉમેર્યું,

‘છોકરી સહેજ ભીનેવાન છે પણ પરાશર માટે આનાથી સારું સગું નહિ મળે. એના કુટુંબની ખાનદાની, વાણીમાં વિવેક અને પરગજુ સ્વભાવ તારા કુટુંબને તારી દેશે.’

‘હું સમજુ છું પણ પરાશરને તો રૂપાળી અને ગોરી છોકરી જોઈએ છે.’

‘તે એને શીખવાડ કે ધોળા તો ગધેડા ય હોય છે.’ બબડતાં ધ્રુમનબહેન ઊભાં થયાં. લતાબહેનના ખભો દબાવતાં બોલ્યાં, ‘પરાશર મારી આંખ સામે નાનેથી મોટો થયો છે એટલે એ શેમાં સુખી થશે એ હું બરાબર જાણું છું.’

‘તારી વાત સાચી છે પણ છોકરાઓ મોટા થાય પછી આપણે એમના આગ્રહને માન આપવું પડે છે. છતાં તે કહ્યું છે એટલે હું પ્રયત્ન કર્યા વગર તો નહીં રહું.’

લતાબહેને શ્રદ્ધા વિશે વાત કરતાં પરાશરને કહી દીધું કે ‘જો ભાઈ છોકરી સ્હેજ શ્યામ છે.’

‘તો પછી આપણે જોવાની શું જરૂર?’

‘જો બેટા, એના વિશે બહુ ઊંચા અભિપ્રાય મળ્યા છે. વળી તારી ધ્રુમનમાસીની પસંદગી છે એટલે તું છોકરીને મળ એની સાથે વાતચીત કર, પછી નિર્ણય લેજે.’

‘હું એવી કાળી છોકરીને હા નહીં પાડું એ નક્કી છે.’ કહી પરાશર ઉંબરો ઓળંગી ગયો.

એક સાંજે શ્રદ્ધાને મળવાનું નક્કી થયું. વાતચીતની ઢબ અને વિલક્ષણ જવાબો જોઈ પરાશરને છોકરી સારી લાગી. દેખાવે ય કંઈ સાવ કાઢી નાખ્યા જેવી નથી, પણ આવી શ્યામલા તો નહીં ચાલે. એમ મનોમન નક્કી કરી મીઠું મલકાતાં એ ઊભો થયો.

રાત્રે ઘરમાં ચર્ચા ઉકલી ત્યારે પડોશમાં રહેતી પરાશરની ખાસ મિત્ર યામિનીએ નાક ચઢાવતાં કહ્યું, ‘એવી કાળી બિલાડી તારી જોડે? જો પરિયા મારી ના છે.’

સાંભળી, મોટાભાઈ વિવેકે તટસ્થપણું દાખવતાં કહ્યું, ‘જો, બરાબર વિચારી લે. એમ લાગતું હોય તો હજી એક વાર મળી જો.’

પરાશરે જવાબ ન આપ્યો. બે દિવસ પછી મોટીબહેન વંદના સાસરેથી આવી ત્યારે પરાશરને આદેશ આપતી હોય એમ બોલી.

‘ભાઈ, તને મારી વાત પર ભરોસો છે ને?’

‘હાસ્તો. કેમ મોટી એવું પૂછે છે?’

‘તો શ્રદ્ધા માટે હા પાડી દે. તારા બનેવીએ બરાબર તપાસ કરાવી છે. છોકરી સો ટચનું સોનું છે.’

પરાશર કશું બોલ્યા વગર ઊભો થઈ ગયો ત્યારે લતાબહેને વંદનાને કહ્યું, ‘આ ગાંડીઆને કોણ સમજાવે?’

એ પછી બે ત્રણ મહિના સુધી શ્રદ્ધા વિશે કોઈ ચર્ચા ન થઈ. એ દરમિયાનમાં પરાશરે બીજી ચાર છોકરીઓ જોઈ. એના મનમાં જે રૂપનો ખ્યાલ હતો એમાં બંધ બેસે એવી કોઈ ન  લાગી.

વારંવાર ‘ના’ સાંભળતા લતાબહેનનો અવાજ સહેજ પલળી ગયો. એમની ડબ ડબ આખો જોતા પરાશરથી બોલાઈ ગયું,

‘તને કેમ ઓછું આવે છે, હજુ મારી ઉંમર જ શું છે, મમ્મી?’

‘સવાલ ઉંમરનો નહીં બેટા, સમજણનો છે.’

‘એટલે તું જ્યાં કહે ત્યાં મારે હા પાડી દેવાની?’

‘તારા મનમાં જે હોય એમ કર. તારા પપ્પાના ગયા પછી ક્યાં કોઈ મારું સાંભળે છે? વંદનાએ જીદપૂર્વક પ્રેમ લગ્ન કર્યા, આ વિવેકને એક બાળક દત્તક લેવા કહું છું પણ એને ય સાંભળવું નથી, હવે તું પણ એ જ રસ્તે.’ બોલતાં અવાજ ડૂસકામાં ફેરવાઇ ગયો. એ પાલવના છેડાથી આંખો લૂછતાં હતાં.

એમના આંસુ જોઈ પરાશરથી બોલાઈ ગયું,

‘તું આમ રડીશ નહિ મને … એનો સ્વર કરપાઇ ગયો, આગળ ન બોલી શક્યો. થોડીવારે  નિશ્ચય કરતો હોય એમ કહે, ‘હવે તું  જ્યાં નક્કી કર તેની જોડે પાકું.’

‘મશ્કરી નથી કરતો ને બોલે બંધાયા પછી ફરાશે નહીં.’

‘તારા સમ. નહીં ફરું, બસ’.

‘તો શ્રદ્ધા માટે હા પાડી દે. મને એ છોકરી મનમાં વસી ગઈ છે.’

સાંભળી એક ક્ષણ પરાશરનું મોઢું પડી ગયું. એ જોઈ લતાબહેને કહ્યું,

‘તને ફરી જવાની છૂટ છે. એમ કંઈ હું મરી જવાની નથી.’

‘મરવાની વાત શું કામ કરે છે? હા તો પાડી’ સહેજ ફીકુ હસીને બોલ્યો, ‘તું આટલો આગ્રહ કરે છે એટલે નક્કી એનું નહીં જ ગોઠવાયું હોય.’

એના સ્વરમાં ભરેલો ઉપાલંભ જોઈ લતાબહેનને ખચકાટ થયો. પણ ઈશ્વરની મરજી હશે એ જ થશે એમ નક્કી કરી એમણે શ્રદ્ધાના ઘેર ફોન જોડ્યો.

ત્રણેક મહિના પછી ’હા’માં જવાબ આવ્યો એ સાંભળી શ્રદ્ધા ચમકી. કશું આડુ અવળું તો નહીં હોય ને? એણે ભરતભાઈને કહ્યું, ‘પપ્પા, હું પરાશરને એકવાર મળી લઉં પછી તમે નક્કી કરો તો સારું.’

એમ જ થયું.

પરાશરને મળ્યા પછી શ્રદ્ધાને એવું લાગ્યું નહીં કે એને કશો વાંધો હોય. છતાં એણે પૂછી લીધું, ‘તમને હું પસંદ છું ને?’ પરાશરે પહેલીવાર એની આંખોમાં જોયું. એ કશું બોલ્યો ન હતો પણ શ્રદ્ધાને એટલું સમજાયું કે પરાશરની ના નથી.

લગ્ન પછી ઘણીવાર પરાશરનો અતડો વ્યવહાર જોઈ શ્રદ્ધાને હ્રદય ચિરાતું અનુભવાતું. જો કે, એ કોઈને કળાવા દેતી નહોતી પણ જે પ્રેમાળ દાંપત્યની એણે મનમાં કલ્પના કરી હતી એ ચિત્ર લગ્ન પછી સાવ ઝાંખું ભાસતું હતું.

શ્રદ્ધા નવરાશનો સમય પુસ્તકો વાંચવામાં ગાળતી. કોઈ વાર થતું મારા હાથમાંનું પુસ્તક કદાચ પરાશરને મારાથી દૂર રાખતું હશે? બન્ને સાંજે ચાલવા ગયાં હોય ત્યારે પરાશર ડાબી તરફના ઢોળાવો ઉપર પથરાયેલું ઘાસ જોયા કરતો. ચાલતાં ચાલતાં એ કોઈ વાર શ્રદ્ધાનો હાથ પકડી લેતો અને વળતી જ પળે કોઈ ભૂલ થઈ ગઈ હોય એમ છોડી દેતો. શ્રદ્ધા એનો હાથ ફરી પકડવા પ્રયત્ન કરતી ત્યારે અસ્વસ્થ કરી મૂકે એવું જોતો. શ્રદ્ધાને એ જોઈ બહુ જ અકળામણ થતી, પરાશરને એ સમજતી નથી કે શું?

શરૂઆતના મહિનાઓના એ કઠિન સમયમાં સૌથી વધુ સધિયારો રક્ષાભાભીનો હતો. એ ચૂપચાપ શ્રદ્ધાની વાતો સાંભળતાં. ‘પરાશર એકદમ સાલસ છે, તું ધીરજ રાખ.  એમ બેચાર મહિનામાં પ્રેમ ના થઈ જાય.’ એવું સમજાવતાં. આમ તો રક્ષાભાભી જેઠાણી પદનું વજન ઉપાડતાં હોય એમ મોટે ભાગે ભારમાં જ રહેતાં. વળી ક્યારે સાવ સુક્કા સ્વરે કશું બોલી બેસે એનું નક્કી નહીં. એકલી શ્રદ્ધા નહિ, લતાબહેન, વિવેકભાઈ કે પરાશર સાથે પણ એ  ખપ પૂરતું જ બોલતાં.

શ્રદ્ધાને સારા દિવસ રહ્યાનું જાણ્યા પછી અચાનક એમના સ્વભાવમાં એક પ્રકારનું અળગાપણું વર્તાયું. બળાપો કાઢતા હોય એમ વાસણો પછાડતાં, વોશીંગ મશીન બે કે ત્રણ વાર ફેરવતાં. મોટેભાગે એ શ્રદ્ધાની સામે આવવાનું ટાળતાં. પછી તો એનું મોઢું જોવું જ ના હોય એમ એ સામે આવે તો અવળા ફરી જતાં. પોતાને ચૂપચાપ સધિયારો આપતાં રક્ષાભાભીના બદલાયેલા વ્યવહારથી કંટાળીને એણે પરાશરને વાત કરી.

‘ભાભી કેમ મારી જોડે આવું વર્તન કરે છે?’

‘તારી વાત સાચી છે. મને  ય બહુ નવાઈ લાગે છે. હમણાંથી સાવ ચીડિયા થઈ ગયાં છે.’

‘હું એમને બોલાવું તો વાત કરવા ય ઈચ્છતા ન હોય એવું કરે છે.’

કોઈ અવઢવમાં હોય એમ પરાશર થોડી વાર બારી બહાર જોઇ રહ્યો. પછી ધીમા અવાજે બોલ્યો,

‘કદાચ તું મા બનવાની છે એ એમનાથી નહીં સહન થતું હોય.’

‘કેમ એવું બોલો છો?’

‘તને કદાચ ખબર નહીં હોય,’ કહી પરાશરે રક્ષાભાભીની ગર્ભાશયની તકલીફ વિશે વિગતે જણાવ્યું.

એ પછી શ્રદ્ધાએ રક્ષાભાભીની વર્તણૂક તપાસવી શરૂ કરી અને એની સાયકોલોજિસ્ટ મિત્ર સુનિતા સાથે તે અંગે ચર્ચા કરી.

આ દરમિયાન એક વસ્તુ સારી બની કે એ માતા બનવાની છે એ જાણ્યા પછી પરાશર એની વધુ નજીક આવ્યો હતો. શ્રદ્ધાને એ બહુ જ સારું લાગતું હતું.

સુનિતાએ કહ્યું એ પ્રમાણે બારીકાઈથી રક્ષાભાભીના વર્તનને જોતાં શ્રદ્ધાને સમજાયું કે પોતે માતા બનવા સક્ષમ નથી એ ઊણપને ભાભી ચીડ અને ગુસ્સાથી ઢાંકવા મથે છે. એમના મૂળ સ્વભાવની ઋજુતા ડોકાઇ ન જાય એમ એને છણકા છાંકોટા પાછળ ઢબુરી દે છે.

‘ભાઈ ભાભી કોઈ સંતાનને તો દત્તક લે તો?’

‘મમ્મીએ પણ એમને સૂચવ્યું હતું, ધ્રુમનમાસીએ પણ કહ્યું. ખબર નહિ એ બંને જણ આ બાબતે થોડું જક્કી વલણ ધરાવે છે.’

શ્રદ્ધા ચૂપચાપ પરાશરને ખભે માથું ટેકવી બેસી રહી.

પરાશરને કહેવું હતું : તને એવું લાગે કે ભાભીનું વર્તન તારી પ્રત્યે ઓરમાયું છે પણ એમની તોછડાઈને તું મનમાં ના લઈશ. એ નાળિયેર જેવાં છે …. પણ એ પ્રગટપણે કશું બોલી શક્યો નહીં.

અઠવાડિયા પછી સોનોગ્રાફીમાં જોડિયા બાળકો છે એમ જાણ્યું ત્યારે પડખે બેઠેલા પરાશરે શ્રદ્ધાની હથેળીઓ અપાર સ્નેહથી ભીંસી  લીધી હતી. પહેલીવાર શ્રદ્ધાને એનો પતિ પોતાનો હોવાનો અનુભવ થયો.

ખોળો ભરીને પિયર જવાના સમયે વાહનમાં બેસવા માટે ટેકો કરતાં રક્ષાભાભીની ભીની આંખો જોઈ શ્રદ્ધાનું હૈયું ભરાઈ આવ્યું. એ જોઈ રક્ષાભાભીએ શ્રદ્ધાને માથે હાથ મૂકી સાંત્વન આપવા હાથ લંબાવી પાછો ખેસવી લીધો ત્યારે શ્રદ્ધા આંસુ ન રોકી શકી.

પ્રસૂતિ પછી ભાભી હોસ્પિટલે આવ્યાં ત્યારે પારણાંમાં સુતેલા બંને દીકરાઓ સામે જોયું ન જોયું કરી એ પરાશર સાથે વાતે વળગ્યા હતાં. જો કે બહાર નીકળતાં પહેલાં પારણાં પાસે અટકી ગયેલા પગ ઉપાડતાં થયેલો ખચકાટ શ્રદ્ધાએ નોંધ્યો હતો.

બાળકોના જન્મના ત્રણ મહિના પછી રવિવારે શ્રદ્ધા સાસરે પરત આવવાની હતી. આગલી સાંજે પરાશર એને મળવા આવ્યો ત્યારે સહેજ ખોવાયેલો ખોવાયેલો લાગતો હતો. શ્રદ્ધાને થયું કે નક્કી એ કશીક અવઢવમાં છે. ચાનો કપ મુકતા પરાશર બોલ્યો,

‘તો હું નીકળું, કાલે મુહૂર્તના સમયે આવી જઈશ.’

શ્રદ્ધાએ ઊભા થવા જતાં પરાશરનો હાથ પકડીને એને પલંગમાં બેસાડ્યો.

‘શું થયું છે કો‘ને?’

‘કશું થયું નથી, કેમ એવું પૂછે છે?’

‘મને એવું લાગે છે કે તમારે કશું કહેવું છે પણ તમે બોલી શકતા નથી.’

‘ના હવે. ભ્રમ છે તારો.’

શ્રદ્ધાએ પરાશરની નજીક આવી પરાશરનો હાથ ખોળામાં સુતેલા દીકરાને માથે મૂકાવ્યો.

‘શું થયું છે, હવે બોલો.’

‘સાચુ કહું? કહેવાની હિંમત ચાલતી નથી.’

શ્રદ્ધા થોડીવાર પરાશરની હથેળી પંપાળતી રહી. પરાશર નીચું જોઇ બોલ્યો,

‘તને કદાચ મૂર્ખામી જેવું લાગશે પણ મને વિચાર આવ્યો’ એ અટક્યો. શ્રદ્ધાએ ટેકો આપતી નજરે પરાશર સામે જોયું.

સ્હેજ ખોડંગાતા અવાજે એણે કહ્યું, ‘ભગવાને આપણને બે દીકરા આપ્યા છે. આપણે એક દીકરો ભાભીને આપી શકીએ?’

‘આટલી જ વાત? અરે, એક હોત તો ય આપી દેત.’ શ્રદ્ધાએ દીકરાના માથે મૂકાયેલા પરાશરના હાથ પર હાથ મૂક્યો. ‘લ્યો, આ ક્ષણથી આ દીકરો રક્ષાભાભીનો, બસ.’

પરાશરની આંખે એકદમ ઝાંખપ આવી ગઈ. એણે શ્રદ્ધાના ખભાનો ટેકો લઈ લેવો પડ્યો. પરાશરની આંખોના ભાવ પૂરા સમજી શકાય એમ નહોતા. ઓશિંગણ ભાવ સાથે છલક છલક પ્રેમ કે ધન્યતા? શ્રદ્ધાએ સાડલાના છેડાથી પતિની આંખો લૂછી છતાં બંને રડતાં હતાં. પરાશરને થયું કે એ કશુંક બોલે પણ પછી થયું શું બોલે? બસ, આમ જ શ્રદ્ધાને જોયા કરે.

ભાભીએ ચાંદલો કરી ગૃહ પ્રવેશ કરાવ્યો ત્યારે પગે લાગવા વાંકા વળતા પહેલાં શ્રદ્ધાએ દીકરો ભાભીના હાથમાં મુક્યો અને લતાબહેનને પગે લાગી. પછી પરાશરે તેડેલા દીકરાને લઈ ઉંબરો ઓળંગી ઘરમાં પગ મૂક્યો.

‘ભાભી તમારા હાથમાં છે, એ મોટો. એની મકર રાશિ છે અને આ સુલય, દસ મિનિટ પછી જન્મયો એટલે એની કુંભ રાશિ આવી.’

‘આનું શું નામ પાડ્યું છે?’

‘અમે શું કામ પાડીએ? જેના હાથમાં હોય એ પાડે.’

‘એટલે?’ કહેતાં લતાબહેને દીકરાને લેવા હાથ અંબાવ્યાં.

‘બા, ભગવાને બે દીકરા એટલે આપ્યા કે ઘરમાં બે મા છે. એકની મા ભાભી ને એકના આપણે, લો તેડો તમારા કુંવરને.’

રક્ષા બોલવા ગઈ પણ ફાવ્યું નહીં, એટલે એક પળ શ્રદ્ધા તો બીજી પળે અવાચક ઊભેલા વિવેક સામે જોઈ રહી. સુલયને છાતી સરસો રાખી ઊભેલાં લતાબહેન માન્યામાં ન આવતું હોય એમ હળવેથી ભોંયે બેસી પડ્યાં. એક ન સમજાય એવું વિસ્મય આખા ઘરમાં પ્રસરી રહ્યું.

કલાકેક પછી રક્ષા દીકરાને શ્રદ્ધાના રૂમમાં મૂકી રસોડામાં આવી. થોડી વારે એના રડવાનો અવાજ આવ્યો. શ્રદ્ધાએ ઇરાદાપૂર્વક છોકરાને રડવા દીધો. રડવાનો અવાજ છેક રસોડા સુધી પહોંચ્યો એટલે રક્ષાએ બૂમ પાડી, ‘શ્રદ્ધા, જોતો આ કેમ આટલું રડે છે?’ શ્રદ્ધા સુલયને તેડી બહાર આવી, ‘મારો તો આ રહ્યો ભાભી, તમારો છોકરો રડે છે. જાવ દોડો.’

‘હે ભગવાન, આ તો નરદમ નકટી અને નફકરી છે.’ કહેતાં રક્ષાભાભી ઉતાવળે અંદર ગયાં અને દીકરાને છાતીએ વળગાડ્યો.

ચોથા દિવસે દીકરાનું નામ પાડ્યું, જૈમિન. પછી તો જૈમિન ક્યારે ‘તમારો છોકરો’ મટી રક્ષાનો છોકરો થઈ ગયો એ ન લતાબહેન ને સમજાયું કે ના પરાશરને અને વિવેકની વાત રક્ષા જાણે.

થોડા દિવસો પછી ચાલવા ગયાં ત્યારે અચાનક વરસાદ તૂટી પડ્યો. બન્ને એક છજા નીચેની દીવાલને ટેકે ઊભાં રહ્યાં. વાતવાતમાં પરાશરે શ્રદ્ધાને કહ્યું, ‘તારા માટે મમ્મીએ મારી પાસે દબાણપૂર્વક હા પડાવી હતી એ ખબર છે તને?’

‘મને વહેમ તો હતો જ, હજુ મોડું નથી થયું, હું તમને કાળી લાગતી હોઉં તો આપણે અવળા ફેરા ફરી લઈએ.’

પરાશરે શ્રદ્ધાના મોં પર હાથ મૂકી દીધો. થોડીવાર એમ જ રહેવા દીધો. એ પાછી ખસવા ગઈ પણ ન ખસાયું. ચહેરા પર વરસતો વરસાદ આંખોમાંથી વરસવા લાગ્યો.

*     *     *     *     *

પ્રગટ : “અખંડ આનંદ”; સપ્ટેમ્બર 2024; પૃ. 16-20
8, Carlyon Close, Wembley, Middlesex Greater London- HA0 1HR
e.mail : anilnvyas@yahoo.co.uk

Loading

પલ્લી પરિવર્તનના અણનમ પ્રહરી લંકેશ ચક્રવર્તી 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|11 October 2024

હાડોહાડ રૅશનાલિસ્ટ કર્મશીલ લંકેશ ચક્રવર્તી તેત્રીસ વર્ષથી, રૂપાલ નામના ગામે, દાયકાઓથી, ધર્મને નામે નવરાત્રિની નવમી રાત્રે ચાલતા ઘીના વેડફાટની કુપ્રથાને બદલવા માટે મથામણ કરી રહ્યા છે.

તેમની ઝુંબેશનું નામ ‘પલ્લી પરિવર્તન અભિયાન’ છે. તેના અનેક તબક્કામાં નિસબત ધરાવતા નાગરિકોનો ટેકો મળતો રહ્યો છે, પણ દરેક વખતે પહેલ અને મહેનતનો ઘણો હિસ્સો લંકેશનાં હોય છે. એ અર્થમાં અઠ્ઠાવન વર્ષના લંકેશ એકલવીર છે. અંધશ્રદ્ધાના બીજાં રૂપો સામેની તેમની લડતમાં તેમને કેટલીક સફળતા મળી છે.

ગાંધીનગરથી પંદર જ કિલોમીટર પર આવેલા રૂપાલ ગામની પલ્લી એટલે વરદાયિની માતાની એક પ્રકારની પાલખી કે લાકડાનો એક માંચડો, કે જેની ગામના રસ્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે.  તેની પર ગામના સત્યાવીસ ચોકમાંથી દરેકમાં ચખ્ખું ઘી રેડવામાં આવે છે. દર વર્ષે મળતા અખબારી આંકડા મુજબ અહીં ચાર-પાંચ લાખ લીટર જેટલું ઘી માટીમાં મળી જાય છે, જેની કિંમત કંઇક કરોડ રૂપિયા થાય છે. પલ્લી પૂરી થયા બાદ રસ્તા પર વહેતું ઘી ગામના ગરીબ દલિત વાલ્મિકી પરિવારો એકઠું કરે છે, અને તેને ખાવા લાયક બનાવે છે.

તસવીરોમાં ડાબી બાજુથી : લંકેશ, પલ્લીમાં ઘીની નદી, પલ્લી પર ઘી, ઘી ભરેલી ટ્રૅક્ટરની ટ્રૉલિ, રસ્તા પરનું ઘી એકઠું કરતા વાલ્મિકી ભાઈઓ

ઘીનું અર્પણ માત્ર પ્રતિકાત્મક રહે અને ઘી અથવા તેની કિંમત જેટલી માટેની રકમ વિકાસના કામોમાં આવે તે માટે લોકજાગૃતિ લાવવી એ લંકેશના પલ્લી પરિવર્તન અભિયાનનું ધ્યેય છે. લંકેશે રચેલા ‘વહેમ અને અંધશ્રદ્ધા વિરોધી મંચ’ના નેજા હેઠળ ચાલતા અભિયાનના કેટલાંક ઉપક્રમોમાં અત્યારે પણ ફોટોગ્રાફસનું ફરતું પ્રદર્શન છે. જેમાં વ્યાવસાયિક ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર લંકેશે ઝડપેલી પલ્લીની પચાસેક બોલકી તસવીરો છે. તેની સાથે આ બધાં વર્ષો દરમિયાન અભિયાને બહાર પાડેલા પોસ્ટરો પણ જોવા મળે છે. આ પ્રદર્શન લંકેશ શિક્ષણ સંસ્થાઓમાં, સ્વૈચ્છિક સંગઠનો(એન.જી.ઓ.)ના કાર્યક્રમોમાં અને જ્યાં તક મળે ત્યાં યોજતા રહ્યા છે. કમનસીબે હવે તકો ઓછી  થતી જાય છે. જો કે ગયા અઠવાડિયે આ પ્રદર્શન અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજમાં યોજાયું હતું.

પ્રદર્શનની સાથે શક્ય હોય ત્યાં ઑક્ટોબર 1997માં બનેલી પંદર મિનિટની ચોટદાર ફિલ્મ ‘પાગલ પરંપરાને પગલે ધૂળ ચાટતી માનવતા’ પણ બતાવવામાં આવે છે. આ ફિલ્મની પહેલી વર્ઝનનું નામ ‘રૂપાલની પલ્લી : પરિક્રમા કે પરાકાષ્ટા’ હતું. બંનેમાં કર્મશીલો અને માધ્યમકર્મીઓનો સહયોગ છે. આ ફિલ્મ માટેનું શૂટિંગ ખુદ લંકેશે કર્યું હતું.

પલ્લીના બગાડનો પરચો લંકેશને 1991માં મળ્યો. થોડુંક ઘી ચઢાવવા જનાર મિત્ર સાથે લંકેશ ત્યાં ગયા. લંકેશ યાદ કરે છે : ‘મેં ત્યાં જે જોયું તેણે મારા મગજનો કબજો લઈ લીધો, રાત-દિવસ એ જ યાદ આવે.’ પલ્લી જોતાં, કે તેના વિશે વાંચતાં કે તેના પરની ફિલ્મ જોતાં કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને લાગતો આઘાત લંકેશને કંઈક વધારે જ લાગ્યો. એટલા માટે કે 1982થી એક અનુભવ બાદ તેઓ નાસ્તિક બની ગયા હતા અને 1986થી રૅશનાલિસ્ટ ચળવળ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. તેના કાર્યક્રમો અને અધિવેશનોમાં જોડાતા હતા, તેનું સાહિત્ય વાંચતા હતા. ચળવળના પાયાના એક પથ્થર સમા ચતુરભાઈ ચૌહાણ કે જેમના પ્રભાવ હેઠળ તેઓ ચળવળમાં જોડાયા તેમની સાથે તેઓ અંધશ્રદ્ધા વિરોધી નાટકોની સેંકડો ભજવણીઓમાં વિજ્ઞાનયાત્રીનું પાત્ર ભજવીને બાવા-ભૂવાઓના કરતૂતોને ખુલ્લાં પાડતા હતા.

બીજી બાજુ ફોટોગ્રાફી પર લંકેશનો હાથ બેસી રહ્યો હતો. ભૂવાલડી ગામના નાના ખેડૂતના આ દીકરાએ રસને અભાવે બારમા ધોરણમાં ભણવાનું છોડી દીધું. પણ કામ અને કમાણી માટે તે અમદાવાદમાં ખાડિયા વિસ્તારના એક સ્ટુડિયોમાં નાનાં-મોટાં કામ માટે મહિને ત્રણસો રૂપિયાના પગારે નોકરીએ લાગ્યો. એટલે ફોટોગ્રાફીમાં રસ પડ્યો અને લંકેશ એકસો ચોર્યાંશી રૂપિયાનો ભરોસા વિનાનો સ્નૅપર કૅમેરો ખરીદીને સગાં-સબંધીઓ, ગામના લોકો, તેમના પ્રસંગોના ફોટા પાડતા થયા, જેનાથી થોડીઘણી આવક થતી. એવામાં પલ્લીના ફોટા પાડ્યા અને સુધારાની ધખના સાથે ‘સમકાલીન’ દૈનિકમાં આપ્યા. તે સરકારી કર્મચારી તેમ જ જાણીતા વાચક-લેખક ડંકેશભાઈ ઓઝાના પલ્લી વિશેના લેખ સાથે 26 જાન્યુઆરી 1992ની ‘વેરાઇટી’ પૂર્તિમાં છપાયા. આ પહેલાં લંકેશ અને ડંકેશ 1991ની પલ્લીમાં જ મળ્યા હતા. પલ્લીની રૂબરૂ મુલાકાતને આધારે ડંકેશભાઈએ લખેલો લેખ સપ્ટેમ્બર 1991ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. પલ્લી વિશે એક કરતા વધુ વખત લખવા ઉપરાંત ડંકેશ અભિયાનમાં સક્રિય હતા. લંકેશ ફોટા અને ઢગલાબંધ વિગતો માધ્યમોને પહોંચાડવાનું કામ ઇન્ટરનેટ અને મોબાઈલ પહેલાંના સમયમાં ચાલતા કે સાયકલ પર ફરીને લગભગ એકલપંડે છાપાંને પહોંચાડતા રહ્યા. દેશભરના અખબારી આલમને અને તે થકી લાખો લોકોને પલ્લીની કુપ્રથા વિશે જાણ થઈ તેનો યશ મોટે ભાગે લંકેશને આપી શકાય. અલબત્ત, ભૂતકાળના જૂજ નોંધપાત્ર અપવાદો પલ્લીના કવરેજમાં ઘણાં માધ્યમો ચઢતા દરે પલ્લીનું ગૌરવ કરી રહ્યાં છે, જે ખૂબ ચિંતાજનક છે.

લંકેશ અને સાથીઓનું 1990ના દાયકામાં બીજું મહત્ત્વનું માધ્યમ હતું તે પત્રિકા અને પોસ્ટર. વારંવાર હજારોની સંખ્યામાં તે છપાવીને લોકોમાં વહેંચવાનું અને જાહેર જગ્યાઓ પર ચોંટાડવાનું કામ લંકેશે એકાદ સાથીની મદદથી કે એકલા અનેક વખત કર્યું છે.

લંકેશને ખુદ પત્રિકાઓ વહેંચીને પલ્લીમાંથી ઉચાળા ભરવા પડ્યા હોય, ધમકીઓ મળી હોય, ‘રાતોરાત ગાંધીનગરનું આખું એસ.ટી. સ્ટૅન્ડ અને પલ્લી તરફ જતી બસો ચીતરી મારી’ હોય એવી યાદો અનેક છે. ટેકેદારો સાથે મામલતદારથી મંત્રીઓ સુધી રજૂઆતો બેઠકો કરી. નાગરિક સમાજના પીઠબળે બેઠકો અને ધરણા-દેખાવ કર્યાં. ફિલ્મ બનાવી. પાંચમી ઑક્ટોબર 1997ના દિવસે પલ્લી પરિવર્તન માટે સંમેલન યોજ્યું જેમાં રાજ્યની સાઠ સંસ્થાઓનો ટેકો હતો. રૂઢિચુસ્તોએ વિરોધ પણ ઘણો કર્યો. એક નિવેદન એવું પણ આવ્યું જેમાં લંકેશ અને પૂર્વ શિક્ષણ મંત્રી નવલભાઈ શાહના નામ સાથે અભિયાનવાળાને ધમકી હતી : ‘રૂપાલમાં આવીને ત્રાગાં કરશો તો સમગ્ર ગુજરાતની પ્રજા તમને નાગા કરીને ફેરવશે એમાં બેમત નથી.’ લંકેશ અને જાણીતા રૅશનાલિસ્ટ એડવોકેટ પીયૂષ જાદુગરે 1998માં વડી અદાલતમાં જાહેર હિતની અરજી પણ કરી. 29 સપ્ટેમબરે કોર્ટે એ મતલબનું કહ્યું કે ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ ન થઈ શકે.

પલ્લી પરિવર્તન અભિયાનની 1991 સપ્ટેમ્બરથી નાનામાં નાની વિગતો સહિતની દસ પાનાંની તવારીખ લંકેશે તૈયાર કરી છે. તદુપરાંત બધાં વર્ષોમાં માધ્યમોમાં આવેલા લખાણોના લગભગ તમામ કતરણો, સંખ્યાબંધ ફોટા, પત્રવ્યવહાર, આવેદનપત્રો જેવી વિવિધ સામગ્રીની મસમોટી ફાઇલો તેમણે બનાવી છે.

પ્રખર રૅશનાલિસ્ટ લંકેશે અંધશ્રદ્ધા હટાવવામાં કે તેને ખુલ્લી પાડવામાં જે સફળતા પણ મેળવી છે તે અલગ લેખનો વિષય છે. પૂર્વ પટ્ટીની આદિવાસી મહિલાઓ પર શામળાજી પાસેના નાગધરા કુંડમાં ભૂતપ્રેત કાઢવાના નામે થતા અમાનુષી શારિરીક અત્યાચારને તેઓ એક સમયે અદાલતી હુકમથી લાવી શક્યા હતા. વેજલપુરના મકાનમાં થતા ચમત્કાર, દહેગામમાં છોકરીની આંખમાંથી મોતી નીકળવાની બીના, મહુધા પાસે મીનાવાડામાં દશામાનું પ્રાગટ્ય, બાપુનગરમાં ઘરે ઘરે કંકુના થાપા જેવા બનાવો પાછળના વહેમને ખુલ્લાં પાડવાનાં અનેક કામ લંકેશે રૅશનાલિસ્ટ સહયોગીઓ તેમ જ જૂજ પત્રકારોના સહકારથી પાર પાડ્યા છે. કાળી ચૌદસે અમદાવાદના સ્મશાનોમાં જવાના રૅશનાલિસ્ટોના કાર્યક્રમને બહોળો પ્રતિસાદ સાંપડતો જાય છે. લંકેશ અમદાવાદથી પંદર કિલોમીટર પર આવેલાં તેમના વતન ભૂવાલડી ગામમાં જાહેર ગ્રંથાલય ઊભું કરી રહ્યા છે. તેનું નામ છે – રમાબાઈ ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ જોતીરાવ ફુલે પુસ્તકાલય અને દેહદાતા ગંગાબહેન મૂળજીભાઈ સોલંકી વાચનાલય’. સંભવત: ગુજરાતનાં પહેલાં દેહદાતા ગંગાબહેન લંકેશના માતુશ્રી. ગ્રંથાલય માટે મદદ આવતી જાય તેમ ચણતરનું કામ ચાલતું  રહે છે.

અત્યારે લંકેશ ફોટો અને ફિલ્મ પ્રદર્શન ઉપરાંત પલ્લીની બદી સામે લોકજાગૃતિ કેળવવા માટે ગુગલ ફૉર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. રૅશનાલિસ્ટ  અસોસિયેશન કે અન્ય નેજા હેઠળ યોજાતા’ ચમત્કારોનો પર્દાફાશ’ની મંચ-રજૂઆતોમાં પીયૂષ જાદુગર સાથે અચૂક હોય છે.

પહેલાંની સરખામણીમાં પરિવર્તન અભિયાન મંદ પડ્યું છે એ અંગેના સવાલના જવાબમાં લંકેશ એકંદરે ખુદની અર્થિક પરિસ્થિતિને જવાબદાર ગણાવે છે. આવક અને પૈસા ઓછા છે : ‘સામેથી મદદ માગવાનો મારો સ્વભાવ નથી – એ મારી ખામી છે’. આમ કહેનારા લંકેશ તેમને ઝુંબેશમાં અને જીવનમાં મદદ કરનારા સંખ્યાબંધ મિત્રોનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરતા જ રહે છે. અભિયાનમાં તેમના પ્રંચડ વ્યક્તિગત યોગદાનનો ઉલ્લેખ તેઓ અનિવાર્ય લાગે ત્યારે જ, ધીમા અવાજે અને અલ્પોક્તિ રૂપે કરે છે. પણ સાથીદારોના સંખ્યાબંધ નામ યાદ કરી કરીને જણાવે છે. લંકેશનું આખું ય વ્યક્તિત્વ નિષ્ઠાવાન શ્રમજીવી કાર્યકર્તાનું છે. તેમની બાજુમાં ઊભી હોય તે વ્યક્તિને સહેજેય ખ્યાલ ન આવે કે તે આપણા સમયનો એક ખૂબ હિમ્મતવાળો સમાજસુધારકની બાજુમાં છે.

પલ્લી પરિવર્તન વિશેના પચાસેક લખાણોના લંકેશે સંપાદિત કરેલા સંચયની, મોટા કદના ડબલ કૉલમના સવાસો પાનાંની, કાચી નકલ મહત્ત્વનો દસ્તાવેજ છે. તે પુસ્તક તરીકે છપાય અને હજારો સુધી પહોંચે, પુસ્તકની પી.ડી.એફ. બને અને નવી પેઢીમાં વંચાય એ ખૂબ જરૂરી છે. એ કામ પૈસાના અભાવે અટક્યું છે.

સામાજિક દૂષણો સામે લડનારા લંકેશ એકલા નથી, પણ ગુજરાતમાં જે થોડાક છે તેમાંના એ એક છે. આવા અવિરત, અડગ, અણનમ કર્મશીલોને લીધે માણસાઈમાં વિશ્વાસ ટકી રહે છે, સમાજ પૂરેપૂરી પડતીથી બચતો રહે છે.

તસવીરો : લંકેશ અને વિજય જાદવ  
કોલાજ સૌજન્ય : પાર્થ ત્રિવેદી  
આભાર : ચંદુ મહેરિયા
11 ઑક્ટોબર 2024
[1200 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

માણસ આજે (૭)

સુમન શાહ|Opinion - Opinion|11 October 2024

સુમન શાહ

હરારીના “Nexus” પુસ્તકમાંથી પસાર થતાં, મને ગુજરાતી સાહિત્યમાં મેં વાંચેલાં ચિન્તનાત્મક પુસ્તકોમાંનાં બે ખાસ યાદ આવે છે, કિશોરલાલ મશરૂવાળા-લિખિત, “સમૂળી ક્રાન્તિ” (૧૯૪૮) અને ગો.મા.ત્રિ.-લિખિત “સાક્ષરજીવન” (૧૯૧૯). 

યાદ આવવાનું કારણ એ છે કે બન્ને પુસ્તકોમાં રજૂ થયેલો વિચારપક્ષ અઘરો છે, ગમ્ભીર છે, ગભીર અથવા ગહન પણ છે. પરન્તુ બન્ને લેખકોએ પોતાના વિચારપક્ષને તર્કસરણીએ વિકસાવ્યો છે, અને તેથી તેમાં જરૂરી વિષય-વિભાજનોની ચૉક્કસ વ્યવસ્થા ઊભી કરી છે. પરિણામે, સમગ્ર રજૂઆત વિશદ અને પારદર્શક બની આવી છે. રજૂઆતની એ ગુણવત્તાઓને કારણે તેમાં વાચકનો પ્રવેશ સરળ અને સુખદ બન્યો છે. ‘સુખદ’ એટલે, બધું છે ગમ્ભીર ગહન અને અઘરું, પણ સમજી શકાય એવું સરળ છે, અથવા સમજી શકાય એવું સરળ છે, પણ છે ગમ્ભીર ગહન અને અઘરું. 

કિશોરલાલ સમૂળી ક્રાન્તિનો વિચારપક્ષ લઈને આવ્યા છે. તદનુસાર, સમૂળી ક્રાન્તિ માટે માનવજીવનમાં અનિવાર્યપણે સંકળાયેલાં ધર્મ, અર્થ, રાજ્ય, કેળવણી એ ચાર ક્ષેત્રોમાં ક્રાન્તિ થવી જરૂરી છે. કિશોરલાલના લેખનની વિશેષતા એ છે કે દરેક ક્રાન્તિ માટે એમણે પૂરતી વિચારણા કરી છે, અને અ-પૂર્વ રોચક વિધાનો કર્યાં છે : જેમ કે, ધર્મોને ‘નિષ્પ્રાણ’ કહ્યા છે. આર્થિક ક્રાન્તિ માટે તેમાં ‘ચારિત્ર્ય’-ને ઉમેર્યું છે. લોકશાહીને સ્થાને ‘સુરાજ્ય’-નો પ્રકલ્પ દર્શાવ્યો છે. શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ‘ભેદ’ આગળ કર્યો છે. વગેરે. 

ગોવર્ધનરામ સાક્ષર અને તેના જીવનનો, એટલે કે, તેની પુરુષાર્થભરી કારકિર્દી વિશેનો, પોતાનો વિચારપક્ષ રજૂ કરે છે. લેખક સાક્ષરજીવનના પ્રકારથી વાત શરૂ કરીને, શુક, બાલ, લક્ષણ, એ ત્રણ દૃષ્ટાઓનાં સ્વરૂપ અને કાર્યપદ્ધતિ વીગતે સમજાવે છે. નૉંધપાત્ર વિશેષતા એ છે કે ગોવર્ધનરામ સાક્ષરત્વના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત રજૂ કરે છે. વિસ્તૃત પરિશિષ્ટ સહિતના ૨૫૪ પાનનો આ અપૂર્ણ ગ્રન્થ એ રીતે પૂર્ણ દીસે છે કે લેખકે એમાં અનેક જીવનકથાઓ, ઘટનાઓ અને દૃષ્ટાન્તો વડે તેમ જ લગભગ પાને પાને સંસ્કૃત અને અંગ્રેજી અવતરણો વડે પોતાનાં મન્તવ્યો પુષ્ટ કર્યાં છે. એ અર્થમાં સાક્ષરજીવનવિષયક વિચારપક્ષને ચૉક્કસ આધાર મળ્યો છે, આકાર મળ્યો છે. વગેરે.

બન્ને પુસ્તકોમાં પર્યાપ્ત વિચારવિમર્શ રજૂ થયો છે, પણ તેની વીગતોમાં ઊતરવાનું હાલ અહીં કારણ નથી. 

+

કિશોરલાલ અને ગોવર્ધનરામનાં એ પુસ્તકોનાં અધ્યયનમાં અને અધ્યાપનમાં મને આનન્દ તો આવેલો, પણ એ બન્ને મહાનુભાવોના એ વિચાર-ચિન્તનનો આપણે ત્યાં કશો દેખીતો પ્રભાવ કે વૈચારિક સાતત્ય જોવા નહીં મળેલાં, તેથી અફસોસ પણ થયેલો. 

હરારીના વિચારો સંદર્ભે એ પ્રકારનો અફસોસ થવો મને અસંભવિત નથી લાગતો. મેં કહેલું કે હરારી પોતાના વાચકને વિચારો વડે અને વિચારો સાથે ઉત્તેજિત કરવા ચાહે છે. તેઓ “Nexus”-માં, વિવિધ માહિતી-જાળથી રચાનારા સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય આવિષ્કારો વિશે, ખાસ તો, નુક્સાનો વિશે, પોતાના વાચકને જાગ્રત કરવા માગે છે. મજાકમાં કહું કે તેઓ ભારતીય રાજકારણી નથી, નહિતર ઢંઢેરો પીટત અને કહેત કે પ્રતિપક્ષી કો માર હટાવો, વિજય હમારા નિશ્ચિત હૈ … 

+ +

હરારીનાં બધાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ એવી જ ગુણવત્તાઓ હાજર છે. આપણે જોઈ શકીએ છીએ કે હરારી માહિતી-જાળના ઇતિહાસને તેનાં મૂળ અને વ્યાપ સહિત પુસ્તક સમગ્રમાં રજૂ કરી રહ્યા છે. વળી, એમાં પણ વિષય-વિભાજન તેમ જ ઐતિહાસિક ઘટનાઓ, કથાઓ અને દૃષ્ટાન્તોના આધારો સાથેની સુચારુ વ્યવસ્થા છે, અને હરારીએ પોતે જ વાચકો માટે એ વ્યવસ્થાને, કહો કે, ફ્રૅન્ડલિ બનાવી આપી છે. પોતે પુસ્તકના દરેક ભાગમાં અને તેનાં પ્રકરણોમાં મુખ્ય શું અને કેમ પીરસ્યું છે અને ગૌણને કેમ ટાળ્યું છે, શું કહેવું પોતાને અભિપ્રેત છે અને પોતાની મર્યાદામાં રહીને શેને વિશે ચૂપ રહેવું છે, તે પૂરી વ્યવસ્થાની વાત એમણે વીગતે કરી છે, જુઓ :

પહેલા ભાગમાં, વિશાળ કદ-માપની વિવિધ માહિતી-જાળની તપાસ માટે એમણે બે જરૂરી સિદ્ધાન્તોનો ઉલ્લેખ કર્યો છે : માયથોલૉજિ અને બ્યુરોક્રસી. પ્રકરણ ૨ અને ૩ – માં, દર્શાવ્યું છે કે બ્યુરોક્રેટ્સ અને મિથમેકર્સમાં પ્રાચીન રાજાશાહીને ભરોસો હતો, વર્તમાન રાજ્યોને પણ છે. પ્રકરણ ૪ -માં, માહિતીની પુષ્કળતાના પ્રશ્નની તેમ જ સૅલ્ફમિકેનિઝમના લાભાલાભની ચર્ચા કરી છે. પ્રકરણ ૫ -માં, ડિસ્ટ્રબ્યુટેડ અને કેન્દ્રીકૃત જાળની ચર્ચા છે.

બીજા ભાગમાં, હરારીએ દર્શાવ્યું છે કે આપણો વર્તમાન AI જેવી મનુષ્ય વડે સરજાયેલી વિવિધ માહિતી-જાળથી ખચિત છે, જેનાં પરિણામોને આપણે નથી વિચાર્યાં, જેની આપણે ચિન્તા નથી કરી. એનો અર્થ એ કે આપણે ઑર્ગેનિકથી ઇન્ઑર્ગેનિક માહિતી-જાળની દિશામાં સરકી રહ્યા છીએ. રોમન ઍમ્પાયર, કૅથોલિક ચર્ચ કે યુ.ઍસ.ઍસ.આર. માહિતીની પ્રક્રિયા માણસના મગજ પર કરતાં, જેને હરારી ‘કાર્બન-બેઝ્ડ બ્રેઇન’ કહે છે. પણ હવે એ પ્રક્રિયા જે પર થાય છે, એને તેઓ ‘સિલિકોન-બેઝ્ડ’ કહે છે.

ત્રીજા ભાગમાં, ઇન્ઑર્ગેનિક માહિતી-જાળનાં જોખમ, પડકાર અને પ્રૉમિસિસની ચર્ચા છે. પ્રકરણ ૯ -માં દર્શાવ્યું છે કે એની સાથે લોકશાહી કેવુંક પાનું પાડી શકે. પ્રકરણ ૧૦ -માં, દર્શાવ્યું છે કે એની સાથે એકહથ્થુસત્તાવાદ કેવુંક પાનું પાડી શકે. અન્તિમ પ્રકરણ ૧૧ -માં, દર્શાવ્યું છે કે નવ્ય માહિતી-જાળ લોકશાહી અને એકહથ્થુસત્તાવાદ વચ્ચે કેવાક સ્વરૂપે સત્તાનું સંતુલન રચી શકે.

હરારીએ પ્રકરણોને શીર્ષકો અને પેટા શીર્ષકોથી વધારે સૂચક બનાવ્યાં છે. 

આ ફ્રૅન્ડલિ વ્યવસ્થાની એક આડ-સગવડ એ છે કે માત્ર આ વિષય-વિભાજન વ્યવસ્થા વાંચીને પણ કોઈ પલ્લવગ્રાહી પણ્ડિત કહી શકે કે પોતે પુસ્તક સમગ્ર વાંચ્યું છે, પોતે એનો જ્ઞાતા છે!

+ +

સાહિત્યકાર, સાહિત્યરસિક મિત્ર, અધ્યાપક કે વિદ્યાર્થીને મેં પહેલેથી મારો વાચક ગણ્યો છે — ટાર્ગેટ રીડર. મેં જ્યારે પણ પશ્ચિમના સાહિત્ય વિશે લખ્યું હતું, અને આમ, હરારી સંદર્ભે લખી રહ્યો છું, મારો મૂળ આશય એ રહ્યો હોય છે કે ગુજરાતી સાહિત્યના હિતાર્થે એ વાચકને સમ્બોધીને કશુંક ઉપકારક ઉમેરવું.

ઓછામાં ઓછાં ૫૦ વર્ષથી પશ્ચિમના સાહિત્યવિચારમાં મોટું પરિવર્તન આવ્યું છે – તે છે, એનું અનેક સાહિત્યેતર વિદ્યાશાખાઓ સાથેનું જોડાણ. જેમ કે, ‘ન્યૂ ક્રિટિસિઝમ’-ના અસ્ત પછી સાહિત્યવિચાર સાથે સ્ટ્રકચરાલિઝમ, ડીકન્સ્ટ્રકશન કે પોસ્ટ-મૉડર્નિઝમ વગેરે જોડાયાં એને પરિણામે, પરમ્પરાગત સાહિત્યવિચારનું સ્વરૂપ બદલાઇ ગયું; એ હવે સર્વાંગી થયું છે, હોલિસ્ટિક. એટલે, અપેક્ષા ત્યારે એ હતી કે વાચક પાસે નૃવંશવિજ્ઞાન કે સમાજવિજ્ઞાનનું જ્ઞાન હોય, કંઇ નહીં તો, એના સાથસંગાથમાં ફિલસૂફી અને ભાષાવિજ્ઞાન તો હોવાં જ જોઈએ.  

હરારીનાં માહિતી-જાળ વિશેનાં મન્તવ્યો અને સમીક્ષા સમજવા માટે મારા એ વાચક પાસે ગુજરાત, ભારત અને વિશ્વના સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય પરિદૃશ્યનું ઓછામાં ઓછું જ્ઞાન, નહિતર, માહિતી તો હોવાં જ જોઈશે. પણ સ્વીકારી લઈએ કે, મારા એ વાચક પાસે આજે એ નથી. એટલે, અપેક્ષા એ રહે છે કે કંઈ નહીં તો, ઇતિહાસ, સમાજવિજ્ઞાન, રાજનીતિશાસ્ત્ર કે ભાષાવિજ્ઞાનના આપણા ન-સક્રિય વિદ્વાનો એમાં જોડાય. પણ મને ખાતરી છે કે એ અપેક્ષા થોડી જ વારમાં ઓલવાઇને મરી જવાની છે. 

તો પ્રશ્ન એ થાય કે હરારી પાસે જઈને શું કરીશું. એ કે આપણી આ એકાંગી અને માંદલી વિદ્યાકીય / સાહિત્યિક સંસ્કૃતિ વિશે નિરાંતે પુનર્વિચાર કરી શકીશું. જો કે, એ માટે કેટલાક પ્રશ્નો કરવા મને જરૂરી લાગ્યા છે :

આપણી પાસે ગુજરાતી, ભારતીય કે વૈશ્વિક સાહિત્ય વિશે ભૂતકાળમાં કેવીક માહિતી હતી અને આજે કેવીક છે? એથી આપણને સાહિત્યકલાનું કેવા સ્વરૂપનું જ્ઞાન લાધ્યું છે? આજે આપણે કઈ માહિતી અને કયા વિચારોની આપ-લે કરીએ છીએ? આજે આપણી પાસે કયો કેન્દ્રવર્તી સાહિત્યવિચાર છે? બઝવર્ડ છે, જે આપણને સૌને ઝંકૃત કરતો હોય? એ ભૂતકાલીન કે સમકાલીન માહિતી-જાળ જે લાભાલાભ પ્રગટાવે છે તેની કડક સમીક્ષા કરીને આપણે સાહિત્યવિચારપરક સમૂળી ક્રાન્તિ ઇચ્છીએ છીએ? સમસામયિક ગુજરાતી સાહિત્યકારના સાક્ષરત્વને તેના ઇતિહાસમાં જઈને તપાસવા ઇચ્છીએ છીએ? 

અને જો એમ કરવા નીકળીએ તો આપણે આપણને પૂછીશું કે કેવાંક છે એ ભૂતકાલીન અને સમકાલીન નેટવર્ક્સ, જેણે આપણી વિદ્યાકીય / સાહિત્યિક સંસ્કૃતિના સ્વસ્થ વિકાસમાં ઉપકારક પ્રદાન કર્યાં છે પણ રુકાવટો ય ઊભી કરી છે. 

(ક્રમશ:)
(10Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...485486487488...500510520...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved