Opinion Magazine
Number of visits: 9456869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓનાં જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતાએ …

કેતન રૂપેરા|Gandhiana, Opinion - Literature|2 August 2024

સંપાદકીય

કેતન રુપેરા

1945નો એ સમય હતો. રવીન્દ્રનાથ ટાગોરના અવસાન (1941) પછી તુરત ગાંધીજી શાંતિનિકેતન જઈ શક્યા નહોતા. એટલે એ પછીની એમની શાંતિનિકેતનની આ પહેલી મુલાકાત હતી. સાંજના વખતે ગાંધીજી શાંતિનિકેતન પહોંચ્યા. સાંજે પ્રાર્થના પછી ગાંધીજીનું ટૂંકું પ્રવચન થયું. બીજા દિવસે પણ ગાંધીજીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પ્રવચન કરવાનું થયું. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછાયા. ગાંધીજીએ એના જવાબો પણ આપ્યા. આમ ‘ગુરુદેવના ગયા પછીના શાંતિનિકેતનને’ જોવા-જાણવાની તેમને સારી તક મળી.

ગાંધીજીની આ મુલાકાત દરમિયાન પ્રશ્નોત્તરીમાં ટાગોરનાં ભત્રીજીએ એક પ્રશ્ન પૂછ્યો. જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ગાંધીજીને શાંતિનિકેતનથી નીકળવાનો સમય થઈ ગયો હતો. માટે એ સવાલનો જવાબ ત્યાં ને ત્યાં ન આપી શક્યા, પણ આ પ્રશ્ન તેમના મનમાં ઘોળાતો રહ્યો. કલકત્તા (હાલનું કોલકાતા) પહોંચ્યા પછી તેમણે તેનો ઉત્તર લખી મોકલ્યો. પ્રશ્ન આમ હતો : “અહીં (શાંતિનિકેતનમાં) આગળ નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”

ભારતીય શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત, પશ્વિમી રાગ અને પારંપરિક લોકસંગીતના સમન્વયસમા સંગીત – જે રવીન્દ્રસંગીત તરીકે ઓળખાયું–ના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરની ખુદની સ્થાપિત વિદ્યાપીઠમાં, તેમની જ ભત્રીજી પૂછી રહી છે કે શાંતિનિકેતનમાં નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? “અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”

કળા અને સૌંદર્યના આશક ગુરુદેવની વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દેખીતી રીતે જેનાથી સામેના ધ્રુવનાં ગણાય એવાં સાદગી અને સત્યાગ્રહના સાધક ગાંધીજીને પ્રશ્નો પૂછે, ગાંધીજી તેના જવાબો આપે અને તેનાથી એ વિદ્યાર્થીઓને સંતોષ પણ થાય … અત્યારના માહોલમાં આપણને આ જરા અજાયબ ભરી ઘટના લાગે, પણ ત્યારે તેમ થતું, બહુ સહજપણે થતું. સત્ય સુધી પહોંચવા માટે સંવાદ (DISCOURSE) ચાલુ રહેતો …

હા, તો ગાંધીજીએ આપેલો એ પ્રશ્નનો જવાબ : “મને શંકા રહી છે ખરી કે ત્યાં આગળ જીવનને માટે જરૂરી હોય તેના કરતાં સંગીત વધારે પ્રમાણમાં છે. … અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. ચાલવાનું, કૂદમકૂદનું, આપણી દરેક હિલચાલનું અને હરેક પ્રવૃત્તિનું સંગીત શાને ન હોય? … મને લાગે છે કે આપણાં છોકરાછોકરીઓને કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, ટૂંકમાં, જીવનનું પ્રત્યેક કાર્ય કેવી રીતે કરવું, એ બરાબર આવડવું જોઈએ. સંગીતની મારી કલ્પના આવી છે.” ટાગોરનાં ભત્રીજીની શંકાને સાચો ઠેરવતો ગાંધીજીનો આ જવાબ હતો.

ગાંધીજીની વાત અહીં પૂરી થાય છે. આપણી વાત, એટલે કે ‘ગાંધીજી વિશેની આપણી વાત’ હવે શરૂ થાય છે. ગાંધીજી, જેઓ સાબરમતીના આશ્રમમાં સંગીતમય પ્રાર્થના અને બાળકોમાં સંગીતની કેળવણી માટે પંડિત નારાયણ મોરેશ્વર ખરેને તેમના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર પાસેથી માગીને (1918) લઈ આવ્યા હતા. એટલું જ નહીં, બાળકોને ભણતરમાં રસ જન્મે એટલા માટે કવાયત, ઉદ્યોગ, આલેખનની સાથે સાથે સંગીત પણ શિખવવું જોઈએ એમ માનતા હતા. તેઓ જીવનના સંગીત પર અવાજનું સંગીત હાવી ન થવું જોઈએ એ મુદ્દેય એટલા જ સ્પષ્ટ છે. એમને મન સંગીત એ મૂળે આ સૃષ્ટિનું સંગીત છે, આ સૃષ્ટિના સંગીતમાં તાલ મેળવીને જીવવાનું સંગીત છે.

સંગીતનું આ ઉદાહરણ આપણાં જીવનનાં બધાં જ ક્ષેત્રોને સમાનપણે લાગુ પડે છે. જેમ અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે તે જ રીતે ભાષણો, કથાઓ, પ્રવચનો, જાહેરાતો, વિજ્ઞપ્તિઓ, સભાઓ, સંમેલનો… ટૂંકમાં, દરેક પ્રકારનાં પ્રચારપ્રસારના સંગીતમાં, આચારનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. આપણી આસપાસ અને વિશ્વના કોઈ પણ ખૂણે નજર કરીએ તો આમ જ થઈ રહ્યું જણાશે!

પ્રામાણિકતા અને પારદર્શિતાની વાતો થાય છે, અનુભવાતી નથી. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરનાં સેમિનાર થાય છે, પણ આ ભૂમંડલના નિવસનતંત્ર(Ecosystem)ની સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. મેદસ્વીતા અને ડાયાબિટીસ અંગે જેટલાં સંશોધનો અખબારોમાં અને સોશિયલ મીડિયામાં આપણી નજરે ચઢે છે, એટલો જ તેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સ્ત્રી-પુરુષ જન્મપ્રમાણ અને શાળામાં ડ્રોપઆઉટ રેશિયો જાણવા મુદ્દે આપણે જેટલા જિજ્ઞાસુ બની રહ્યા છીએ, એટલો જ એ આંક ચિંતા જન્માવતી હદે વધી રહ્યો છે. અને આટલાથી હૈયે ધરવ ન થતો હોય એમ, આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે વર્ષોથી બધા દેશો એક થઈ લડવાની વાત કરે છે, પણ આતંકવાદ તેની સીમા વિસ્તારી જ રહ્યો છે. દેશથી લઈને દુનિયા આખીમાં, શાંતિ માટે ગાંધીજીનો અહિંસાનો માર્ગ અપનાવ્યા સિવાય હવે છૂટકો નથી એવાં નિવેદનો અપાય છે ને સામે પક્ષે વિશ્વ આખામાં વિવિધ પ્રકારની હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. … ઉદાહરણો અનેક મળી આવે એમ છે, અર્ક માત્ર એક જ લીટીમાં છે—પ્રચારપ્રસારના સંગીતમાં આચારનું સંગીત લુપ્ત થઈ રહ્યું છે. “આચરણ એ સારામાં સારું ભાષણ છે અને સારામાં સારો પ્રચાર છે.” (ગાં. અ. 25 : 429) એવા ગાંધીજીના વિચારમાંથી આપણે શ્રદ્ધા ગુમાવી રહ્યા છીએ ને નક્કર કાર્ય કરવાને બદલે કહેવા-સાંભળવામાં જ વધારે વખત વેડફી રહ્યા છીએ.

આ બધાંને કારણે ચિંતા જન્માવતી બાબત એ છે કે બાળકો પણ એવું જ શીખી રહ્યાં છે, બાળકો આપણે કહીએ એ નહીં, આપણે કરીએ એમ કરે છે એ વર્ષોથી કહેવાતું આવ્યું છે, ત્યારે એમની સમક્ષ સલાહો-સૂચનો, પ્રવચનો-ભાષણો નહીં, પોતાના આચરણનાં દાખલા મૂકવાની જરૂર છે. અને એની શરૂઆત આપણે શિક્ષકે કરવાની છે. પ્રલય અને નિર્માણવાળી, ક્યારેક નોટબુકમાં નોંધેલી ચાણક્યની ઉક્તિ આજના જમાનામાં બહુ મહત્ત્વાકાંક્ષી લાગે, તો ય એટલી હકીકત સ્વીકારવી જ પડે કે જીવનમાં મળેલા કેટલાક ઉત્તમ શિક્ષકોના કારણે જ સારાં પુત્ર / પુત્રી, માતા / પિતા, ભાઈ / બહેન, પતિ / પત્ની, મિત્ર અને આખરે સારાં શિક્ષક / શિક્ષિકા કે વ્યાપકપણે નાગરિક તરીકે નિખર્યાંનું આપણું ઘડતર છે. ઉત્તમ શિક્ષકોએ નિભાવેલી એ જવાબદારી આપણે પણ આપણા વિદ્યાર્થીઓ માટે નિભાવવાની છે. નિરર્થક ભાષણો, સભાઓ, સંમેલનોથી નહીં, વ્યક્તિગત આચરણથી દાખલો બેસાડવાનો છે.‘લર્નિંગ નોન-વાયોલન્સ’ કાર્યક્રમ હેઠળ ‘અ’ અહિંસાનો ‘અ’ એ આ માર્ગે ચાલવા માટેનો આપણો પ્રકલ્પ છે. બાળપણમાં જ આચરણનું બીજ વાવીને બાળકોનું સમગ્ર જીવન મંગળમય બનાવવાનો આ પ્રકલ્પનો ઉદ્દેશ છે.

જેમ ‘સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા’ (પ્રસ્તાવના, મંગળપ્રભાત, કાકાસાહેબ કાલેલકર, નવજીવન) જણાતા ગાંધીજીએ યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને પત્રો લખી મોકલ્યા હતા એમ આપણી શાળાનાં બાળકોનાં જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતાએ ગાંધીઆશ્રમ-સાબરમતી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-થલતેજના સંયુક્ત ઉપક્રમે રમતાં રમતાં જીવનશિક્ષણની આ આનંદપોથી તૈયાર કરી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓમાં રમતાં રમતાં કેટલાક ગુણોની કેળવણી થાય અને અહિંસા તરફ એમનો સહજપણે જ ઝુકાવ થાય એવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. જે આપ સૌ શિક્ષકોને જરૂર પસંદ આવશે. પ્રવૃત્તિ કરાવતાં કરાવતાં ધ્યાન પર આવેલાં આપનાં અવલોકનો આવકાર્ય છે.

Email: ketanrupera@gmail.com

પુસ્તક વિશે વધુ વિગત—

પુસ્તક-પરિચય સ્વરૂપે… 

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

-.-.-.-

Loading

રાંડ્યાં પછીનું ડહાપણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 August 2024

રવીન્દ્ર પારેખ

રાવ આઇ.એ.એસ. કોચિંગ સેન્ટરમાં અચાનક પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની, અને નેવીન ડાલ્વિનનાં મોત થયાં ને સંસદમાં પણ તેને લઈને ભારે હોબાળો થયો. જવાબદારીઓની ઢોળાઢોળ થઈ. દિલ્હીમાં આપનું શાસન છે એટલે તેને માથે ઠીકરું ફોડાયું ને આપે ઉપ-રાજ્યપાલને જવાબદાર ઠેરવી જવાબદારી કેન્દ્રની છે એમ કહી હાથ ઊંચા કરી દીધા. એ ભવાઈ ચાલ્યા કરશે ને બીજી કોઈ ઘટના બનશે કે આ વાત અભરાઇએ ચડી જશે, ત્યાં સુધીમાં થોડી ખરી ખોટી ધરપકડ થશે ને એકાદને ભેરવીને કથાવાર્તા પૂરી થશે. અત્યારે તો થાર ગાડીના ડ્રાઇવરને ભેરવવાની વાત છે. તેનો વીડિયો વાઇરલ થયો છે. તેણે ઝડપથી કાર હંકારી ને પાણી કોચિંગ સેન્ટરમાં ભરાયું. એ વીડિયો જોનારને ખ્યાલ આવે એમ છે કે કારની એવી સ્પીડ નથી કે એના ફોર્સને લીધે બારણું તોડીને પાણી સેન્ટરમાં ભરાય, પણ આ તો રાજા, વાજા ને વાંદરા છે, કોઇની પણ ગરદન ઝાલી શકે, તેમ અત્યારે ડ્રાઈવર શૂળીએ ચડાવાય એમ બને. વાત તો એવી પણ છે કે ગટરો સાફ ન થઈ, એટલે પાણી ભરાયાં. ઇસ્યુ પાણી ભરાયાં એનો આગળ કરાય છે, પણ કોઈ માઈનો લાલ ગળું ખોંખારીને કહેતો નથી કે બેઝમેન્ટમાં આઇ.એ.એસ.ના વર્ગો ચલાવી શકાય જ નહીં. બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય? પણ દિલ્હીમાં આઇ.એ.એસ.ના વર્ગો વર્ષોથી આ રીતે જ ચાલે છે ને એને 19 દિવસ પહેલાં જ ફાયર એન.ઓ.સી.નું સર્ટિફિકેટ્ પણ ઇસ્યુ થયું છે. વર્ગો ચલાવનારા અને એ રીતે ચાલવા દેનારા પૈસા માટે મરવા પડતા હોય છે. એમની પૈસાની ભૂખ એટલી છે કે રાક્ષસની ભૂખ તો કદાચને મટે, પણ આ વરુઓની ભૂખ મટે એમ નથી. ઇતિહાસનો લાભ એ છે કે એમાંથી કોઈ બોધપાઠ હવે લેવાનો રહેતો નથી, જેથી વિકૃતિઓનો નવો ઇતિહાસ આપોઆપ જ રચાતો આવે.

આગ લાગે ને ચોથે માળેથી વિદ્યાર્થીઓ ભડકો થઈને નીચે પડે કે નવો નકોર પુલ ખુલ્લો મુકાય ને 130થી વધુ લોકો લાશ થઈને પાણી પર તરે કે ગેમ ઝોનમાં પેટ્રોલની જ્વાળાઓમાં બાળકો સહિત થોડી લાશો એવી પડે કે એનાં અવશેષો પણ ના જડે. થોડાંક બાળકો તરવરાટ સાથે હોડીમાં બેસે ને લાશ થઈને જ તરી નીકળે … આવી તો એટલી ઘટનાઓ છે કે ગણતાં પાર ન આવે. આમાં એ જ વાત બહાર આવે છે કે ઇતિહાસમાંથી કૈં ન શીખવું અને નવો ઇતિહાસ રચાવા દેવો. માણસ છીએ તો જાણી લેવું કે આપણે જોવા માટે ને મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ છીએ. એથી વધુ સંવેદનશીલ ન હોઈએ તો ચાલે.

આપણાં તંત્રો એટલાં સંવેદનશીલ છે કે કોઈ પણ ઘટના બને તે પહેલાં મરી ગયાં હોય એટલાં નિષ્ક્રિય હોય છે, પણ જેવું કૈં બને છે અને થોડી લાશો પડે છે તો એમનામાં જીવ આવી જાય છે ને અળસિયાંની જેમ આમથી તેમ દોડાદોડી કરી મૂકે છે, તે એવું બતાવવા કે તંત્ર એલર્ટ પર છે. કોચિંગ ક્લાસમાં પણ એમ જ થયું. એકાએક ધરપકડો કરી લેવામાં આવી. ધડાધડ આદેશો અપાયા. કોઈને બરખાસ્ત કરવાનું તો કોઈને સસ્પેન્ડ કરવાનું ચાલ્યું. સંસદમાં ટેબલ ટેનિસ રમાઈ ને પાણી વલોવવા જેવું જે થઈ શકે તે બધું જ આરોપ-પ્રત્યારોપને નામે ચાલ્યું. આ એવી ઘટના નથી કે પહેલી વખત જ બની હોય ને તંત્રને ગતાગમ જ ન પડે, બલકે, તંત્રોને અગાઉનો અનુભવ હોય ત્યારે તેને ગતાગમ વધારે જ નથી પડતી.

દિલ્હીનું જૂનું રાજેન્દ્ર નગર અને મુખર્જી નગર એવા ઇલાકા છે જે આઇ.એ.એસ. કોચિંગ હબ તરીકે અગાઉથી જાણીતાં છે. કેવી ઈમારતોમાં આ વર્ગો ચાલે છે ને વિદ્યાર્થીઓ કેવા સંજોગોમાં દૂર દૂરથી આવીને અભ્યાસ કરે છે તે કોઈથી છાનું નથી. અગાઉ આગ લાગવા જેવી ઘટનાઓ બની ચૂકી છે, પણ કોઈ પગલાં સાવચેતીનાં ન લેવાં એ તંત્રોનાં લોહીમાં ઊતરી ગયું છે. તંત્રો એટલાં સંવેદનહીન અને રીઢાં થઈ ચૂક્યાં છે કે તેમને જરા જેટલી પણ કોઈ વાત સ્પર્શતી નથી. આવી બીજી ઘટના થશે ત્યારે પણ તંત્રો આટલાં જ નીંભર અને નિર્લજ્જ થઈને બહાર આવશે. રાજકીય પક્ષો પણ કોઈએ તો જવાબદારી લેવી પડશે એવું કહે છે, પણ એમાં પોતાની જવાબદારી બનતી નથી એ મામલે તેઓ એકદમ સ્પષ્ટ છે.

ખુલાસો તો એવો પણ થયો છે કે આ સંસ્થાએ જ પૂરી ડ્રેનેજ સિસ્ટમ એવી રીતે બ્લોક કરી કે વરસાદ વધે તો પાણી બેઝમેન્ટમાં ભરાય. એમાં સુરક્ષા અને બચાવની કોઈ વ્યવસ્થા પહેલેથી જ ન હતી. સંસ્થાના સંચાલકો એટલા અમાનવીય છે કે લાખો રૂપિયા ફી વસૂલ્યા પછી પણ, બેઝમેન્ટની લાઇબ્રેરીનો ઉપયોગ કરનાર પાસેથી દર મહિને 4થી 5 હજાર વધારાના વસૂલાય છે. જે પણ રીતે પૈસા વસૂલી શકાય તે બધી જ રીતોથી આ બેશરમો વસૂલતા હોય છે. અહીં સવાલ એ થાય કે આ રીતે એન.ઓ.સી. આપવામાં તંત્રો કોઈ તપાસ કરે છે કે એમ જ સર્ટિફિકેટ આપી દેતાં હોય છે? હવે ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી મર્યાં તો એમ.સી.ડી.એ નવ કોચિંગ સેન્ટર્સ સામે પગલાં ભર્યાં છે ને બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે. ઉપ-રાજ્યપાલે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે તો કોચિંગ હબ બનાવવાની વાત પણ કરી છે, નાળાંની સફાઇ પણ થઈ ગઈ છે. કોચિઁગને લગતો કાયદો કરવાની વાત પણ છે. આ બધું ઘટના પહેલાં બનવું જોઈતું હતું, પણ તે થોડી લાશો પડે પછી થાય છે. એને રાંડ્યાં પછીનું ડહાપણ કહેવાય. જો કે, એ પણ ઓછું જ છે, કારણ રંડાવાનો તંત્રોને બહોળો અનુભવ છે. આમ તો આ બધું ખાતર પર દિવેલ જેવું છે. જે બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે તે નાટકથી વધારે કૈં નથી. થોડા સમય પછી સીલ તૂટશે ને ફરી બધું ધમધમતું થશે. સવાલોનો સવાલ એ છે કે લાખોની ફી વસૂલતાં સેન્ટર્સ બેઝમેન્ટમાં હોવાં જ શું કામ જોઈએ? બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય, સેંકડો વિદ્યાર્થીઓ સાંકડી જગ્યામાં આવજા કરતાં હોય, ત્યાં તમામ બેઝમેન્ટનો સફાયો થવો જોઈએ, તેને બદલે સીલ કરવામાં આવે એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. ખરેખર તો વિદ્યાર્થીઓએ જ એનો બહિષ્કાર કરવો જોઈએ. ગૂંગળાઈ મરાય એવી જગ્યાનો  એમણે સાર્વત્રિક બહિષ્કાર કરવો જોઈએ. કોઈ જ બેઝમેન્ટમાં ન બેસે તો સંચાલકો પથરાને શિખવવાના હતા !

સંસ્થાઓ સીલ કરવાનાં નાટકો તો ચાલતાં જ રહેવાનાં છે. ગેમઝોનમાં આગ લાગી તો ગુજરાતમા ફાયર એન.ઓ.સી.નું નાટક ચાલ્યું ને ઘણી સ્કૂલો સીલ કરવામાં આવી. વિદ્યાર્થીઓનું ભણતર અટકી પડ્યું. હાઇકોર્ટે દખલ કરવી પડી કે ફાયર એન.ઓ.સી.નો અર્થ સ્કૂલો બંધ કરાવવાનો નથી, પણ અણઘડ તંત્રો ભાગ્યે જ અક્કલ વાપરવામાં માનતાં હોય છે. દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં સ્પષ્ટ કર્યું છે કે બઝમેન્ટની ઘટના અધિકારીઓની મિલીભગતનું પરિણામ છે.

આ અને આવી ઘટનાઓ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર ને હરામની કમાણી કરવાની દાનતે માનવીય મૂલ્યોનો સર્વનાશ કર્યો છે. માણસ મરે ને મરતો જ રહે તો અરેરાટી પણ નથી થતી. માણસો પણ એટલા નિષ્ઠુર થયા છે કે આવું બધું તો બન્યા કરે, રોજ મરે તેને કોણ રડે – એવી માનસિકતા થતી આવે છે. એને હવે અનુભવાતું નથી. રોબોટને સંવેદન હશે, પણ માણસને ન હોય તેમ તે નિસ્પૃહી થઈ ગયો છે. એને આંખો છે, પણ આંસુ નથી. હૈયું ધબકે છે, પણ ધબકાર અનુભવાતો નથી. આ સ્થિતિ ઈચ્છવા જેવી નથી. અકસ્માતોમાં લાશ પડે તે સરકારી વળતર માટે નથી. એ અત્યંત દુ:ખદ છે કે આપણું રૂંવાડું ય ફરકતું નથી, કારણ ચામડી જ બચી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑગસ્ટ 2024

Loading

જાતિ જનગણના, બારણે ટકોરા : બહુ બહુ ઠેલ્યું વિષમતા નિર્મૂલન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2024

પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરનાં હીન વચનોની બચકાના અનુમોદનામાં છલકાતું સત્તામાનસ તળિયાઝાટક તપાસ માંગે છે … ઇનફ ઇઝ ઇનફ !

પ્રકાશ ન. શાહ

જાતિગણનાનો મુદ્દો હમણેની લોકસભાની ચૂંટણીમાં ઠીક ગાજ્યો હતો અને ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો પર સમાજવાદી પક્ષ ને કાઁગ્રેસ ભા.જ.પ.ને પરાસ્ત કરી શક્યા તેમાં પિછડે-દલિત-અલ્પસંખ્યક(પી.ડી.એ. ફોર્મ્યુલા)ની અસરકારક ભૂમિકા રહી હતી. પચીસ-ત્રીસ વરસ રહી હતી. પચીસ-ત્રીસ વરસ પર ભા.જ.પ.ના મંદિર મુદ્દા સામે વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલાસ્ત્ર ઉગામી કેટલાક સમય માટે એની કૂચ રોકી હતી. હાલના વડા પ્રધાને જ્યારે દિલ્હી નીમ્યા દંડનાયક તરીકે ગુજરાતનો હવાલો સંભાર્યો ત્યારે પોતાના અધિકૃત પરિચયની સત્તાવાર યાદીમાં પોતે પછાત સમુદાયમાંથી આવે છે એ ઉપસાવવાની ખાસ કાળજી લીધી હતી અને મંદિર-મંડલ મિલાવટની અક્સીર રાજનીતિ ખેલી જાણી હતી. વિકાસના વરખ સોતી આ રાજનીતિ એમને ફળી તેનું પ્રમાણ 2014થી 2024ના દસકા થકી સૌને મળી પણ રહ્યું છે.

છેલ્લા ત્રણ દાયકાની ભારતીય રાજનીતિના ટૂંકા ચિત્રણથી અહીં શરૂઆત કરી એની પાછળ લાગેલો ધક્કો અલબત્ત મંગળવારે અને બુધવારે જે રીતે જાતિગણનાના પ્રશ્ને લોકસભાને માથે લીધી છે એનો છે. અંદાજપત્રની સાથે, વસ્તુતઃ દેશના એકંદર અર્થકરણ અગર અનર્થકારણ સાથે, આ પ્રશ્ન ગાઢપણે સંકળાયેલો છે. વિકાસનાં ફળ અને વિકાસની તક નીચે સુધી ઝમતાં નથી અને બધી જ વિકાસજોગવાઈઓ કોઈની જશમાં કોઈની જંધામાં અટવાઈ જઈ સરવાળે ક્રિમી લેયરમાં મોક્ષ પામે છે. તાજેતરનાં વર્ષોમાં આપણા અર્થકારણે કેટલા અબજપતિઓ પેદા કર્યા એ સમાચારથી રાજાના મહેલના દીવા જોઈ જમનાની ઠંડીમાં ગરમી અનુભવવાની કોશિશ કરનાર આમ આદમી પેઠે રાજી થવાની નિયતિ આ દેશના જનસાધારણની રહી છે.

સમજવાનો મુદ્દો અહીં એ છે કે આ વિષમતામાં આપણા હાડમાં પડેલી જાતિપ્રથાનુંયે ચોક્કસ યોગદાન છે. ખેડૂતોને ટેકાના ભાવ ધોરણસર ને સમયસર માટે એ માંગ દિલ્હી દરબારની ભાગોળે ટુંટવાઈને પડી છે, તો ખેતમજૂરોનું ખુદનું શું એવો પ્રશ્ન આપણને થાય એ ય સ્વાભાવિક છે. ભાઈ, આ ખેતમજૂર એ તો રૂપાળું નામઝભલું છે. તે ઘણુંખરું દલિત હોય છે એ સાદી વાત આપણા ખયાલમાં જ નથી આવતી.

નહીં કે સમાનતા માટેની, ખરું જોતાં જો કે, વિષમતા ઘટાડવાની, કોઈ હિલચાલ થઈ જ નથી. લોહિયાએ અસરકારકપણે આ મુદ્દો ઉચક્યો હતો અને જયપ્રકાશના આંદોલન આસપાસ કર્પુરી ઠાકુરથી માંડી મુલાયમ ને લાલુ જેવાના પ્રવેશે એનાં કંઈક ઇંગિત પણ આપેલાં છે. માયાવતી મુખ્ય મંત્રીપદે પહોંચી શક્યાં એમાં દલિત અગ્રતાપૂર્વકની સર્વસમાજ ફોર્મ્યુલાનો હિસ્સો પણ ઇતિહાસદર્જ છે.

અલબત્ત, આ બધી રાજકીય ઘડભાંજ છતાં, જૂના વારાનો પ્રયોગ તાજો કરીને કહીએ તો આપણી જે ‘પોલિટિકલ ઇકોનોમી’ છે તે એક નાનકડા વર્ગનો માલિકીભોગવટો બની રહેલ છે. રાહુલ ગાંધીએ મંગળવારે ચિત્રાત્મક રીતે લોકસભામાં કહ્યું તેમ આ આખી અવસ્થા એટલે કે અનવસ્તા ચક્રવ્યૂહ સરખી, અને એને ભેદવા સારુ જાતિગણનાનો 2010નો સંસદીય નિર્ધાર, જેમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. સહિત સૌ સામેલ હતા, અમલમાં મૂકવાની તાકીદ છે. ક્યાં કોને કેટલું મળે છે અને મળવું જોઈએ તેની વાસ્તવિક ગણતરી વગર ‘સબકા વિકાસ’નું સૂત્ર ખાલી ખાલી ખખડે છે.

મુશ્કેલી એ છે કે, જાતિની વાત નીકળે એટલે સમાજમાનસ અને સત્તામાનસ અકળાઈ ઊઠે છે – કારણ, વિનોબા કહેતા તેમ, જાતિ વો હૈ જો જાતી હી નહીં! આ જાતિ જતી નથી એનું કમનસીબ પ્રમાણ લોકસભાની ચર્ચામાં પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરના એ હીણા ઉદ્દગારોથી મળ્યું કે જેમની જાતિના કોઈ ઠેકાણાં નથી (કોઈ જાણતું નથી) તેવા લોકો જાતિગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરની રજૂઆતને એક્સ વાટે સર્વોચ્ચ સત્તાસ્થાનેથી અનુમોહના મળી રહી તે આ કમનસીબીને કરપીણ બનાવે છે.

વાસ્તવિકતા એ છે 1881 અને 1931 સેન્સસમાં જાતિગણના ઠેલાતી રહી છે. વિકાસનાં ફળ બધે પહોંચે તેને માટે અનિવાર્ય જરૂરતો પૈકી આ એક પાયાની જરૂરત છે ત્યારે તું કયા કુળનો એ જીર્ણ માનસિકતા ખંખેરી આગળ વધવાની તાકીદ સાફ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024

Loading

...102030...479480481482...490500510...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved