Opinion Magazine
Number of visits: 9664854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેટવે ઓફ ઇન્ડિયા: જે દરવાજેથી અંગ્રેજો આવ્યા એ જ દરવાજેથી ગયા 

દીપક મહેતા|Opinion - Opinion|4 December 2024

તારીખ: ગુરુવાર, ચોથી ડિસેમ્બર, ૧૯૨૪  

આજે આખું મુંબઈ શહેર અરબી સમુદ્રની જેમ હિલ્લોળે ચડ્યું છે. વહેલી સવારથી શહેરમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. હિન્દુસ્તાનના વાઇસરોય માર્ક્વેસ ઓફ રીડિંગની પધરામણી મુંબઈમાં થઈ ચૂકી છે. સાંજે જે ભવ્ય સમારંભ થવાનો છે તેની તૈયારી પર ગવર્નર લેસ્લી વિલ્સન જાતે નજર રાખી રહ્યા છે. કારણ આજનો સમારંભ માત્ર બોમ્બે પ્રેસીડન્સી માટે જ નહિ, આખા હિન્દુસ્તાન માટે અનોખો છે. લાલ જાજમો પથરાઈ ગઈ છે. તેના પર સોફા-ખુરસી ગોઠવાઈ ગયાં છે. સેંકડો પોલીસ તહેનાતમાં ખડા છે. લશ્કરનું બેન્ડ કેટલા ય દિવસોથી પ્રેક્ટીસ કરતું હતું. આજે તે પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. લોકોનાં ટોળેટોળાં રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યાં છે. અને એ બધાં એક જ દિશામાં જઈ રહ્યાં છે. પણ કેમ? કારણ આજે અહી એક ભવ્ય ઈમારતનું ઉદ્ઘાટન થવાનું છે, વાઈસરોય સાહેબને હાથે. પણ એ ઈમારત વિષે વાત કરતાં પહેલાં આપણે કાળની કેડીએ ભૂતકાળની સફર કરવી પડશે.     

ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયા પહેલાનું પાલવા બંદર

લોકોનાં ટોળાં જે દિશામાં જઈ રહ્યાં હતાં એ દિશા તે કઈ? પાલવા બંદર, કહેતાં એપોલો બંદર. આજે હવે આ નામ ભૂલાઈ ગયું છે, પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં શહેરના મોટા ભાગના ‘દેશી’ લોકો આ જ નામ વાપરતા. ઘણી વાર તો ‘બંદર’ પણ નહીં, ફક્ત ‘પાલો’ કે પાલવા’ જવાનું છે એમ જ બોલતા. વહાણવટાની પરિભાષામાં ‘પાલ’ એટલે શઢ, અને તેથી ‘પાલવ’ કે ‘પાડવ’ એટલે શઢવાળું વહાણ. જ્યાં આવાં વહાણો નાંગરતાં તે પાલવા બંદર. પણ અંગ્રેજોને આ ‘પાલ’ કે પાલો’ શબ્દ પલ્લે પડ્યો નહીં. એટલે તેમણે એનું નામ કરી નાખ્યું એપોલો બંદર. એટલે કે હકીકતમાં એપોલો બંદરને ગ્રીકોરોમન દેવ એપોલો સાથે સનાનસૂતકનો ય સંબંધ નથી.

જ્યારે અંગ્રેજોએ મુંબઈનો કિલ્લો બાંધ્યો ત્યારે તેના ત્રણ મુખ્ય દરવાજા રાખ્યા. કિલ્લાની બહાર આવેલ ‘દેશી’ઓની બજાર તરફ જવા માટે બજાર ગેટ, કિલ્લાની અંદર આવેલા સેન્ટ થોમસ કેથીડ્રલ તરફ લઈ જાય તે ચર્ચગેટ, અને એપોલો બંદર તરફ લઈ જાય તે એપોલો ગેટ. અને આ ત્રણ ગેટ સાથે જોડાયેલા ત્રણ રસ્તાને નામ આપ્યાં બજારગેટ સ્ટ્રીટ, ચર્ચગેટ સ્ટ્રીટ, અને એપોલો સ્ટ્રીટ. આજે હવે એ ત્રણેનાં સત્તાવાર નામ બદલાઈ ગયાં છે, પણ લોકજીભે તો હજી એ જૂનાં નામ જ વસે છે. પાલવા બંદરનું એક ત્રીજું નામ પણ છે, પણ તે ક્યારે ય વ્યવહારમાં વપરાતું થયું નથી. એ છે વેલિંગ્ટન પિયર. 

પૂંઠાના ગેટવે આગળ રાજા–રાણીનું સન્માન

એપોલો બંદર નજીક આવેલી બે ઇમારતો દેશમાં જ નહિ, દુનિયામાં જાણીતી છે, પણ એ બંને વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં બંધાયેલી છે, જ્યારે પાલવા બંદર કંઈ નહિ તો ૧૮મી સદી કરતાં જૂનું છે જ. આ બે ઈમારતમાંની પહેલી તાજ મહાલ પેલેસ હોટેલ, જે સર જમશેદજી તાતાએ બંધાવેલી. તેનું ઉદ્ઘાટન ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે થયું હતું. ૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે ગાંધીજી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી પાછાં આવ્યાં ત્યારે આ એપોલો બંદર પર જ સ્ટીમ લોન્ચમાંથી ઊતર્યાં હતાં. ત્યારે તાજ મહાલ હોટેલની ઈમારત ઊભી હતી, પણ બીજી ઈમારતનું અસ્તિત્વ જ નહોતું. આ બીજી ઈમારત તે ગેટવે ઓફ ઇન્ડિયા. 

હા, જી. આ તાજ મહાલ હોટેલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં વધુ જૂની છે. ૧૯૧૧મા પાંચમા કિંગ જ્યોર્જ અને ક્વીન મેરી દિલ્હી દરબાર જવા માટે હિન્દુસ્તાન આવવાનાં હતાં અને દરિયાઈ માર્ગે આવીને મુંબઈના એપોલો બંદરે ઉતરવાનાં હતાં. તેમના માનમાં અને તેમની યાદગીરીમાં એપોલો બંદર પર એક ભવ્ય દરવાજો બાંધવાનું સરકારે નક્કી કર્યું. પણ પથ્થર અને કોન્ક્રિટનો દરવાજો કાંઈ રાતોરાત બંધાય? છતાં મુંબઈના ગવર્નર લોર્ડ સિડનહામને હાથે ભૂમિપૂજન તો કરાવવામાં આવ્યું. ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે રાજા-રાણી એપોલો બંદર પર ઊતર્યાં ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બંધાયો નહોતો. માત્ર પૂંઠાનો ગેટવે ઊભો કરી દેવામાં આવેલો. અને તેની આગળ એક સ્ટેજ બાંધીને શાહી દંપતીનું સ્વાગત કરવામાં આવેલું. 

ગેટવે બંધાતો હતો ત્યારે

રાજા-રાણી તો આવીને ગયાં પણ ખરાં. સરકારી તંત્ર – શું આજનું, કે શું એ વખતનું, ગોકળગાયની જેમ જ ચાલે. એટલે આ ગેટવે ઓફ ઇન્ડિયા બાંધવાની દરખાસ્તને મંજૂરી મળી છેક ૧૯૧૪માં. પણ આ દરવાજો બાંધી શકાય એટલી જમીન તો ત્યાં હતી નહિ. એટલે દરિયો પૂરીને જમીન મેળવવાનું કામ શરૂ થયું. પણ ૧૯૧૪માં જ પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. તાજ મહાલ હોટેલનો સરકારે કબજો લઈ લીધો અને તેનો ઉપયોગ લશ્કર માટે કર્યો. આવા સંજોગોમાં જમીન મેળવવાનું કામ છેક ૧૯૧૯માં પૂરું થયું.

બ્રિટિશ ઇન્ડિયાની ટપાલ ટિકિટ

જનરલ પોસ્ટ ઓફિસનું મકાન, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમનું મકાન અને ગેટ વે ઓફ ઇન્ડિયા – આ ત્રણે ઇમારતો બારીક નજરે જોતાં તેમાં ક્યાંક ને ક્યાંક થોડું સરખાપણું લાગશે. કારણ? કારણ આ ત્રણે ઈમારતોની ડિઝાઈન એક જ સ્થપતિએ બનાવેલી. એનું નામ જ્યોર્જ વિટેટ. તેના પ્લાન પ્રમાણે બંધાયેલી ઇમારતોમાં પશ્ચિમની સ્થાપત્ય શૈલી સાથે હિન્દુસ્તાની – જેમાં હિંદુ અને મુસ્લિમ બન્ને શૈલીનો સમાવેશ થાય છે – તેનો સુમેળ જોવા મળે છે. ગેટવે ઓફ ઇન્ડિયાની ઊંચાઈ છે ૮૫ ફૂટની. અને એનો મુખ્ય ઘુમ્મટ ૫૦ ફૂટ પહોળો છે. આખા ગેટનું બાંધકામ પીળા પથ્થર અને સિમેન્ટ કોન્ક્રીટ વડે થયું છે. ઘણી મુસ્લિમ ઈમારતોની જેમ અહીં બારીક કોતરણીવાળી જાળીઓનો ઉપયોગ થયો છે. મુખ્ય ઘુમ્મટની ચાર બાજુ ચાર નાના ઘુમ્મટ આવેલા છે. 

ગેટવે ઓફ ઇન્ડિયાના સ્થપતિ જ્યોર્જ વિટેટ

આ ઇમારત બાંધતાં કુલ ૨૧ લાખ રૂપિયાનો ખરચ થયો હતો. પણ તે બાંધવામાં જ બજેટમાંના બધા પૈસા વપરાઈ ગયા એટલે મૂળ યોજનામાં ગેટવે સામે જે ભવ્ય રાજમાર્ગ  બાંધવાની યોજના હતી તે રસ્તો બાંધવાનું પડતું મૂકવું પડ્યું હતું! આજે પણ ગેટવેની બરાબર સામે રસ્તો જ નથી. તેની આસપાસના દરિયા કિનારામાં થોડો ફેરફાર કરીને જે પ્રોમોનેડ બંધાયો તે જ અવરજવર માટે વાપરવો પડે છે. મૂળ યોજનામાં ગેટવે સામેના રસ્તાની વચ્ચોવચ રાજા પંચમ જ્યોર્જનું કાંસાનું પૂતળું મૂકવાનું ઠરાવ્યું હતું. ભલે રાજમાર્ગ ન બંધાયો, પણ તે પૂતળું તો મૂકવામાં આવ્યું જ. આઝાદી પછી શહેરમાંનાં બીજાં બ્રિટિશરોનાં પૂતળાં કાઢી નાખવામાં આવ્યાં તેમ આ પૂતળું પણ ખસેડાયું અને તેની જગ્યાએ ૧૯૬૧ના જાન્યુઆરીની ૨૬મી તારીખે છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહી પૂતળું મૂકવામાં આવ્યું. 

કહે છે ને કે 

સમય સમય બલવાન હૈ, 

નહિ પુરુષ બલવાન,

કાબે અર્જુન લૂંટિયો,

વહી  ધનુષ વહી બાણ.

ગેટવે ઓફ ઇન્ડિયાની બાબતમાં પણ કૈંક આવું જ થયું. જેના સામ્રાજ્યમાં સૂરજ ક્યારે ય આથમતો નથી એમ કહેવાતું એ બ્રિટિશ રાજ્યનો સૂરજ બીજા વિશ્વયુદ્ધ પછી આથમવા લાગ્યો. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારત આઝાદ થયું. ૧૯૪૮ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખ. ગેટવે ઓફ ઇન્ડિયા પર લશ્કરના બેન્ડના સૂરો ફરી એક વાર રેલાયા. પણ બ્રિટિશ લશ્કરના બેન્ડના નહિ, આઝાદ હિન્દુસ્તાનના લશ્કરના બેન્ડના સૂરો. એ સૂરો વિદાય આપતા હતા અંગ્રેજ લશ્કરની છેલ્લી ટુકડી સમરસેટ લાઈટ ઇન્ફનટ્રીની પહેલી બટાલિયનને. આઝાદ ભારતના લશ્કરે વિદાયની ભેટ તરીકે એ ટુકડીને ગેટવે ઓફ ઇન્ડિયાની ચાંદીની બનેલી નાનકડી પ્રતિકૃતિ ભેટ આપી. એ સાંજે પૂંઠાની પ્રતિકૃતિથી શરૂ થયેલી ચાંદીની પ્રતિકૃતિ સુધીની ગેટવે ઓફ ઇન્ડિયાની સફર પૂરી થઈ. અને એ સાથે જ ભારતના આકાશમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો. 

XXX XXX XXX

 પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ડિસેમ્બર 2024 
E.mail : deepakbmehta@gmail.com

Loading

મૂલ્ય પ્રસિદ્ધિનું

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|4 December 2024

દીપક હોસ્પિટલમાં બેડમાં પડ્યો, પડ્યો લાઇવ ટી.વી. ટેલિકાસ્ટ જોઈ રહ્યો હતો. તેને આ ભવ્ય સમારંભમાં બેસ્ટ ચિત્રકારનો એવોર્ડ આપવામાં આવવાનો હતો. પણ પોતે તો સખત બીમાર હતો. એવોર્ડ લેવા જઈ શકે તેમ નહોતો, એટલે એવોર્ડ તેના વતી તેનો ભાઈ પ્રભાત સ્વીકારવાનો હતો. સમારંભમાં સેંકડો માણસ ભેગા થયા હતા. તેની પાસે તો ફક્ત તેનાં માતા-પિતા હતાં. દીપક વિચારતો હતો કે ‘પ્રસિદ્ધિ પણ પરપોટા જેવી છે.’ પિતાજીની વાત સાચી હતી. મારાં ચિત્રોનું પ્રદર્શન થતું ત્યારે સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સનો મારો બોલતો હતો. હજારો લાઇક્સ મળતી હતી. એટલા જ ફોન કૉલ્સ આવતા હતા. પ્રશંસકો ટોળે વળીને ઘેરી લેતા હતા. જ્યારે આજે, સમારંભમાં સેંકડો લોકો હતાં ને મારી પાસે માતા-પિતા. મેં પ્રસિદ્ધિ માટે બહુ મોટું મૂલ્ય ચૂકવ્યું હતું. દીપક સામે વિતી ગયેલી જિંદગી એક ફિલ્મની જેમ દોડી રહી હતી.

દીપકના પિતાજી પણ સારા ચિત્રકાર હતા. દિપકે ત્રણ વર્ષની ઉંમરે કાગળ ઉપર પેન્સિલથી મોર દોરીને પિતાજીને બતાવ્યો, ત્યારે એ ખુશીથી પાગલ થઈ ગયા હતા. તેણે દીપકમાં છુપાયેલી ચિત્રકળાની ખૂબીને પારખી લીધી હતી. પોતાના જ્ઞાન સાથે દીપકને સારી સંસ્થામાં મૂકીને ચિત્રકળાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. દીપક આગળ વધતો ગયો, તેમ તેમ પ્રશંસા અને ભાવકોમાં ડૂબતો ગયો. તેને મનમાં એક નિશ્ચય કર્યો, ‘મારે એવી ઊંચાઈએ પહોંચી જવું છે, જ્યાં બીજાને પહોંચવું મુશ્કેલ થઈ જાય.’ એક વખત દીપકને તેના પિતાજીએ કહ્યું હતું,

“બેટા સંતાન ખૂબ આગળ વધે એ દરેક માતા-પિતાની ઇરછા હોય, પણ સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બેટા, તું એ બાબતને અવગણી રહ્યો છે. હવે આ ભાગદોડ બંધ કર. તે ખૂબ નામના કમાઈ લીધી છે. હવે ધીમે ધીમે આગળ વધે તો સારું. કારણ કે, પ્રસિદ્ધિ એક પાણીના પરપોટા જેવી છે. જેમ પરપોટો મોટો થાય, તેમ, તેની ફૂટી જવાની શક્યતા વધતી જાય છે. તેવું જ કોઈપણ કાર્યક્ષેત્રમાં બની શકે છે. વળી તે મૂડ જાળવવા માટે સિગારેટ પણ પીવાની શરૂ કરી છે. એ તારા  સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એ વ્યસન વહેલી તકે છોડી દેજે. એમાં જ આપણા સૌની ભલાઈ છે.”

દીપકે ત્યારે પ્રસિદ્ધિના નશામાં પિતાજીની કોઈ વાત ઉપર ધ્યાન આપ્યું નહોતું. ધીમેધીમે દીપક ચેઇન સ્મોકર બની ગયો. સતત કામ અને ભાગદોડથી સ્વાસ્થ્ય ઉપર અસર થવાની શરૂઆત થઈ ગઈ હતી.

ડૉક્ટર સાહેબના મતે દીપક ટી.બી.ના ફર્સ્ટ સ્ટેજમાં હતો. ડૉક્ટર સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે હવે કામ ના કરો. તબિયત ઉપર ધ્યાન નહીં આપો તો જીવન ઉપર જોખમ ઊભું થશે.” પણ દીપકે પ્રશંસકોના આગ્રહને વશ થઈ ડૉક્ટર સાહેબની સૂચનાને સતત અવગણી હતી. જેના પરિણામે આજે એવોર્ડ સમારંભમાં હાજર હોવાના બદલે હોસ્પિટલમાં હતો.

દીપકને સમારંભનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ આંખમાં આંસુ આવી ગયાં. તેનાં માતા-પિતા, આંખમાં આવેલાં ઝળઝળિયાંને પરાણે રોકીને બેઠાં હતાં.

“પિતાજી ,તમારી વાત સાચી હતી. જીવનમાં પ્રસિદ્ધિ જ સર્વોત્તમ નથી. સાથે સાથે જીવનનું મૂલ્ય પણ સમજવું એટલું જ જરૂરી છે. નહીંતર મળેલ પ્રસિદ્ધિ બહુ મોંઘી પડે છે અને ત્યારે ચૂકવાઈ ગયેલ મૂલ્ય, કોઈપણ કિંમતે પાછું મળતું નથી.”

“હા બેટા! પણ જ્યારે આપણે પ્રસિદ્ધિના દરિયામાં તરતા હોઈએ છીએ, ત્યારે સ્વાસ્થ્યની અવગણનાની ઊંડાઈના માપની આપણને ખબર નથી હોતી કે આપણે તે તરફ કેટલા બેદરકાર હોઈએ છીએ.”

પ્રભાત, એવોર્ડ ટ્રોફી લઈને રૂમમાં દાખલ થયો. દીપક મુક્ત મને રડી પડ્યો. આજે તેને ટ્રોફીનું મૂલ્ય સમજાઈ ગયું હતું.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

કયાં પરિબળો મહિલાઓને વર્કફોર્સની બહાર ધકેલે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 December 2024

ચંદુ મહેરિયા

વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જો કે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે. પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.

આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નનાં કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વર્લ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’ પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.

લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.મસામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારનાં કામો માટે પુરુષોને અને ઘરનાં કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.

શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્ત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પદ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામનાં સ્થળો દૂર આવેલાં હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી. પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી. સગવડયુક્ત માળખાંકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.

કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઊભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.

સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે. એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃદ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઊભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃદ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જી.ડી.પી.નો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન(ઈ.સી.સી.ઈ.)માં ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે. ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃદ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.

કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ જેવાં પગલાં લઈ શકાય. સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરનાં અને બહારનાં કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.

કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું  રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવાં કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડનાં અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ. મહિલાઓનાં કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.

E.mail :  maheriyachandu@gmail.com

Loading

...102030...469470471472...480490500...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved