Opinion Magazine
Number of visits: 9456864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હૉસ્ટેલ વિહોણી : ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓ !

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 August 2024

કૉલેજોનું પહેલું સત્ર શરૂ થયે દોઢ મહિનો વીતી ગયો છે. ઘણી વિદ્યાશાખાઓના પહેલાં વર્ષ સહિતના બધાં વર્ષોના વર્ગો શરૂ થઈ ચૂક્યા છે. પણ અમદાવાદની ગુજરાત કૉલેજ નજીક આવેલી સરકારી કન્યા છાત્રાલય હજુ સુધી ખૂલી નથી.

ગુજરાત સરકારની આ હૉસ્ટેલ ચાર માળની છ ઇમારતોમાં સાડા ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસની ક્ષમતા ધરાવે છે. અહીં એક સત્રની ફી એક હજાર રૂપિયા જેટલી છે (અનામત વર્ગ માટે ફી મુક્તિ છે).

ફીની રકમમાં અહીં સાતેય દિવસ બે ટંક ધોરણસરનું જમવાનું પણ આવી જાય છે. મધ્યમ કદના અને હવા-ઉજાસવાળા બે/ત્રણ વિદ્યાર્થિનીઓ માટેના ઓરડા છે. તેમાં દરેક વિદ્યાર્થિનીને એક પલંગ, એક કબાટ અને એક-એક ટેબલ-ખુરશી મળે છે. હૉસ્ટેલની સ્વચ્છતા અને સુરક્ષાવ્યવસ્થા ધોરણસરની છે.

આટલી વ્યવસ્થાવાળી હૉસ્ટેલમાં ગુજરાત સરકારની અકાર્યક્ષમતાને કારણે અત્યારે એક પણ વિદ્યાર્થિની રહી શકતી નથી. ગયા શૈક્ષણિક વર્ષના અંતથી એટલે કે મે મહિનાથી અહીં સમારકામ જ ચાલુ છે ! 

pastedGraphic.png

તો આ છાત્રાલયની વિદ્યાર્થિનીઓ ક્યાં રહે છે ?

કેટલીક વિદ્યાર્થિનીઓ પી.જી. (પેઇન્ગ ગેસ્ટ) નિવાસ વ્યવસ્થામાં, કેટલીક શહેરમાં વસતાં સગાંને ત્યાં રહે છે. કેટલીક છોકરીઓ ઘરે જ રહે છે અને અભ્યાસમાં નુકસાન વેઠે છે.

પી.જી. મોંઘી વ્યવસ્થા છે. તેમાં દર મહિને છથી દસ હજાર રૂપિયા ભાડું હોય છે, એક રૂમમાં ચાર-પાંચ જણ રહે છે. વૉશરૂમ યુનિટ મોટે ભાગે એક કે બે જ હોય છે. રહેનારાંની સંખ્યા જેટલી ઓછી, જેટલી સગવડ, જેવો વિસ્તાર, જેટલું બસ સ્ટૅન્ડ અને જીવનજરૂરિયાતનું બજાર નજીક તેટલું ભાડું વધારે.

યુવતીઓ માટેનાં પી.જી. ઓછાં અને કંઈક વધુ મોંઘાં છે. તેનું પહેલું કારણ આપણા સમાજના મોટા હિસ્સાનો સ્ત્રીઓ તરફ જોવાનો નજરિયો જે સ્ત્રી-વિરોધી, કે સ્ત્રીને સાથ કે ટેકો ન આપનારો અને પુરુષ-પ્રધાન છે.

સમાજના આવા નજરિયાને કારણે સોસાયટી/એપાર્ટમેન્ટ્સમાં યુવતીઓને પી.જી. મળવામાં ઘણી મુશ્કેલી પડે છે. પી.જી.નો વ્યવસાય કરનારા રોકાણકારો મહિલા પી.જી.માં ઓછા પડે છે. એટલે યુવતીઓનાં પી.જી. સરખામણીએ ઓછાં છે. માગ વધુ, પુરવઠો ઓછો, એટલે ભાવ વધુ.

કૉલેજમાં ભણતી યુવાન વ્યક્તિને સગાંને ત્યાં – એમાં ય અમદાવાદ જેવાં શહેરમાં – રહીને ભણવું એ સામાજિક-આર્થિક-વ્યવહારુ રીતે અનુકૂળ વિકલ્પ બંને પક્ષે ભાગ્યે જ બને (સંયુક્ત કુટુંબનો મહિમા આમાં ઓછો કામ કરે છે). એમાં ય આ તો છોકરીને પોતાને ત્યાં રાખવાની વાત (આમ ભલે આપણે ‘દીકરી .. દીકરી’ની દુહાઈ દેતા હોઈએ)!

જે વિદ્યાર્થિનીઓ માટે આ બંને વિકલ્પ બંધ છે તેઓ અભ્યાસમાં નુકસાન વેઠી રહી છે. કૉલેજમાં વર્ગની હાજરીના નિયમને કારણે તેમને મુશ્કેલી પડે તેમ પણ બને.

સમર્પિત સંગઠન ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગેનાઇઝેશન (ડી.એસ.ઓ.) પાસેથી એમ પણ જાણવા મળે છે કે ઉપરોક્ત છાત્રાલયનો એકાદ બ્લૉક તો ઘણાં સમયથી બંધ જ છે, અને હવે ખંડિયેર થતો જાય છે.

અન્ય ત્રણ સરકારી કન્યા છાત્રાલયો (અને કુમાર છાત્રાલયો પણ) સુધ્ધાં વર્ષોથી મોડાં શરૂ થાય છે. આ અંગે સંગઠનની રજૂઆતો પછી તેમાં નજીવો ફેર પડ્યો છે. કાર્યકર્તાઓએ આ હૉસ્ટેલની અનેક પ્રકારની અગવડોને લગતી રજૂઆતો તરફ પણ તંત્રએ ભાગ્યે જ ધ્યાન આપ્યું છે.

ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એ પણ છે કે અમદાવાદની સરકારી હૉસ્ટેલોમાં રહેતાં યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના મધ્યમ વર્ગના, ગરીબ કે શ્રમજીવી વર્ગનાં છે.

તેમાંથી ઘણાં એવા અંતરિયાળ ગામોમાં રહે છે કે જ્યાં દિવસમાં એક-બે બસો જ જતી હોય. સરકારી હૉસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે મેરિટ, અનામત અને અનુદાનિત કૉલેજોમાં અભ્યાસ એ પૂર્વશરતો છે.

અમદાવાદ, વડોદરા અને સૂરત જેવા શહેરોમાં કૉલેજ શિક્ષણ માટે ગુજરાતભરમાંથી ધસારો રહે છે. જે યુવાઓને સરકારી, પોતાની કૉલેજની કે જ્ઞાતિની હૉસ્ટેલ્સમાં પ્રવેશ મળતો નથી તેમાંથી થોડાંક રૂમ ભાડે રાખીને રહે છે.

બાકીનાં મોટા ભાગના હવે પી.જી.માં રહે છે, જે બધાં મા-બાપને પોષાતો હોતું નથી.પી.જી. એ શહેરોમાં ધીખતો ધંધો છે. 

pastedGraphic.png

ગુજરાતમાં શિક્ષણમાં ડ્રૉપ–આઉટ રેટ : 

પ્રખર અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ અંગે માહિતી આપે છે. સરકારી આંકડા ટાંકીને તેઓ કહે છે કે 2012માં ગુજરાતમાં પહેલાં ધોરણમાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા.

તેમાંથી 2024માં બારમાની બોર્ડની પરીક્ષા સુધી માત્ર 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓ પહોંચ્યા. તેમાંથી આખા ગુજરાતમાં બધી શાખાઓમાં થઈને 3 લાખ 10 હજાર વિદ્યાર્થીઓએ કૉલેજોમાં પ્રવેશ લીધો.

તેઓ ઉમેરે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના આંકડા પ્રમાણે કૉલેજમાં અભ્યાસમાં જોડાનારા દેશના વિદ્યાર્થીઓનો આંકડો 100માંથી 26 છે, જ્યારે ગુજરાતમાં તે 100માંથી 22 છે.

ભણતર છોડી દેવાની (કે આપવા ખાતર શિક્ષણ આપવાની) આ પ્રક્રિયામાં કન્યાઓનો પહેલો ભોગ લેવાય છે એ વાત તો જાણીતી છે. ગુજરાતમાં કન્યાશિક્ષણનો તાજેતરનો ડ્રૉપ આઉટ રેટ સેકન્ડરી કક્ષાએ 15.9% છે એવી માહિતી 13 ફેબ્રુઆરી 2023 તારીખે લોક સભામાં શિક્ષણ વિભાગે પૂરી પાડી હતી એ વિગત ડી.એસ.ઓ.એ પૂરી પાડી છે.

સંગઠને એમ પણ માહિતી આપી છે કે રાષ્ટ્રીય કક્ષાએ હાઇસ્કૂલ લેવલે કન્યાશિક્ષણમાં સરેરાશ ડ્રૉપઆઉટ 14.6% છે, જે ગુજરાતમાં 23.3% છે. આ આંકડા Journal for Reattach Therapy and Developmental Diversitiesમાં 2021માં ગૂજરાત વિદ્યાપીઠના ડૉ. હિતેશ જાગાણીએ નોંધી છે.

ગુજરાતમાં ગયાં છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ પક્ષની સરકાર નથી. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર એક મહિલા છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ભા.જ.પ. સરકારનું જ સૂત્ર છે. આ બધાં છતાં ય ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણની અવદશાનો ઉપરોક્ત કન્યા છાત્રાલય માત્ર એક દાખલો છે.

નેતા આવવાના હોય ત્યારે ઊભા મોલ વાઢીને પણ હેલિપેડ રાતોરાત બની જાય છે. વાઇબ્રન્ટ સમિટના દેશવિદેશના માલેતુજારો માટે ઝટકામાં ઝાડ કાપીને ચકચકાટ રસ્તા ઝડપભેર બની જાય છે.

પણ આપણા નિંભર શાસક વર્ગને સામાન્ય માણસની કિંમત નથી, તેમાં મહિલાઓની તો ખાસ નહીં.

અન્યથા મુઝફ્ફરનગર, ઉન્નાઓ કે હાથરસની પીડિતાઓ કે બિલ્કીસ બાનુ કે જાતીય સતામણી સામે મોરચો માંડનાર વીનેશ અને તેમનાં સાથીઓ ન્યાય માટે રઝળે ?

આ સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ-વિહોણી રહે ?

(Picture collage : Prajakta)
14 ઑગસ્ટ 2024 
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ

સુમન શાહ|Opinion - Literature|13 August 2024

૨૦૧૨માં, સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વરા પ્રકાશિત “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” સમ્પાદક : સુમન શાહ : પુસ્તકમાંથી પુન:શ્ચ, કેટલાક અંશો —

મારો દયારામભાઇને વિશેનો વિશિષ્ટ ભાવ તો એ કારણે કે હું પણ ડભોઇનો છું. મારા એ વતનમાંથી મને જે કંઇ મળ્યું છે તેમાં દયારામ નામનું મૉંઘું રતન પણ છે.

મારા દાદા કૃષ્ણભક્ત હતા. ડભોઇમાં એમણે ભજનિક તરીકે નામ કાઢેલું. મળસ્કાના જાગી જતા. અગાશીમાં જઇ ફળિયાવાળાંઓની દરકાર રાખ્યા વિના કરતાલ સાથે મુક્ત મને ભજનો ગાતા. ઓરડામાં ખૂણે સેવાનું મન્દિર સજાવેલું. ભજન-મંડળોમાં કે ધર્મસભાઓમાં જઇ જાહેરમાં પણ ગાતા, એટલું જ નહીં, નાચતા ! મેં એમને ઉત્કટતાની પળોમાં કૃષ્ણછબિ સામે ઊભા થઇ જતા અને નાચવા મંડી પડતા અનેકવાર જોયેલા. ત્યારે કરતાલ છોડી દે અને બન્ને હથેળીઓની આવેશભેરની તાળીઓ સાથે મન મૂકીને નાચે. પછી થાકે ત્યારે ઢળી પડે. હાથ જોડી કૃષ્ણચરણમાં ક્યાં ય લગી નતમસ્તક પડ્યા રહે. મને એમનાં વહાલાં ભજનો યાદ નથી રહ્યાં તેનો રંજ છે; પણ એમાં દયારામની કોઇ કોઇ રચનાઓ જરૂર હતી એમ ચોક્કસ કહી શકું છું.

એક બીજો અનુબન્ધ મારા પિતાજી સાથે છે. એ એમના જમાનાના એમની રીતના થોડા કવિ હતા. જાણીતા જરા ય નહીં અથવા સાવ જ ઓછા. એક રચના એમણે દયારામ પર પણ કરેલી. મને એની પહેલી અને એક જ કડી યાદ રહી છે : ‘રસઝરતી લેખિની એની હળવી : એનું નામ અમર દયારામ કવિ …’ ‘રસઝરતી’ પ્રયોગ મને સ્થૂળ લાગ્યો છે છતાં, દયારામની લેખિનીનું એ વિશેષણ મને અનુચિત નથી લાગ્યું. અને એનું ‘હળવી’ વિશેષણ તો સર્વથા ઉચિત લાગ્યું છે. ખરેખર તો એ કેટલું બધું સાચું છે કે  દયારામની અમરતાનું રહસ્ય  એ બે ગુણ-વિશેષોમાં છે !

એક ત્રીજો અનુબન્ધ એ છે કે ડભોઇમાં કવિનો જન્મદિવસ વરસો સાલથી ઉજવાતો આવ્યો છે. કિશોરાવસ્થાથી મારા ચિત્ત પર એ ઉજવણાંની ગાઢ છબિ અંકાયેલી છે. ત્યારે કવિની ગરબીઓને અને એમનાં પદોને એમના જ મૂળ ઢાળોમાં સાંભળવાનું બનેલું. એવું ગાનારાંઓમાં અરુણા બક્ષીનાં માતુશ્રી સવિતાબે’ન ભાદુવાળાની અસ્સલ દયારામ-ઢબની હલક મને કાયમ માટે યાદ રહી ગઇ છે. પછી તો, મારા સાઠોદરા નાગર મિત્રો પણ હતા. પછી તો, અમે પણ દયારામને ગાતાં હતાં. ત્યારે, શી ખબર, પણ કવિના મૂળ ગોપીભાવ સાથે મારો કિંચિત્ તાર સધાઇ જતો. એ ખરું કે ગાવાના એ દિવસો ક્રમે ક્રમે સંતાઇ-છુપાઇને ક્યાંક ચાલી ગયા છે, પણ દયારામને વિશેના મારા કોઇપણ વિચારનાં મૂળ એવા ભીના સ્મૃતિલોકમાં છે. દયારામ મને હમેશાં સૂરોમાં આવે છે.

પહેલેથી મને દયારામની કાવ્યસૃષ્ટિને વર્તુળોમાં મૂકીને જોવાનું સલાહભર્યું લાગ્યું છે :

ગોપીની પ્રેમભક્તિ સૂચવતી રચનાઓ : પહેલું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને કૃષ્ણ છે, ગોપીની પ્રેમભક્તિ છે. ‘મોહનમાં મોહિની’-થી માંડીને ‘ડહાપણ રાખોજી!’ લગીની રચનાઓ એમાં આવે. 

(આ અને અહીં ઉલ્લેખિત રચનાઓના જિજ્ઞાસુઓએ એ પુસ્તક, “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” જોવું.)

વાંસલડીપરક રચનાઓ : બીજું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે. ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓ એમાં આવે. 

કવિ સ્વયંના ભક્તિભાવને રજૂ કરતી રચનાઓ : ત્રીજું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામ અને દયાપ્રીતમ પ્રભુ શ્રીકૃષ્ણ છે. કવિએ સ્વયંના ભક્તિભાવને આકાર્યો છે. ‘રૂડા દીસો છો રાજેશ્વર !’-થી માંડીને ‘પ્રેમ’ લગીની રચનાઓ એમાં આવે.

અન્ય રચનાઓ : ચોથું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામની અન્ય કાવ્ય-સર્જકતાને જોઇ શકાય છે. ‘તિથિઓ : પ્રેમ અગમપંથ’-થી માંડીને ‘ગરબે રમવાને’ લગીની રચનાઓ એમાં આવે.

પહેલા અને બીજા વર્તુળની રચનાઓ કવિની, ગોપીની તેમ જ કોઇપણ ભક્તની કૃષ્ણને વિશેની અનર્ગળ ભક્તિ સૂચવે છે. એ મુખ્યત્વે પ્રેમલક્ષણા ભક્તિ છે. 

એ બન્ને વર્તુળની રચનાઓ પછી તરત મેં ચોથા વર્તુળની રચનાઓ મૂકી છે. અને છેલ્લે, ત્રીજા વર્તુળની રચનાઓ મૂકી છે. ત્રીજા વર્તુળની રચનાઓ મુખ્યત્વે કવિની ઉત્તરાવસ્થા સૂચવે છે. એમાં પ્રેમલક્ષણાભક્તિનું દાસ્યભાવમાં સમુચિત પર્યવસાન છે. કૃષ્ણ-ગોપીના ભેદને સ્થાને એમાં હું-તું-ના અભેદની આરત વધારે છે અને તે માટેની શરણાગતિ છે. 

જરૂરી વિવરણથી દરેક વર્તુળને સમજીએ :

(ક્રમશ:) 
(12 Aug 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણી અને SEBI: શોર્ટ સેલર્સના આક્ષેપોના આપણે કેટલા ગંભીરતાથી લેવા જોઇએ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 August 2024

અદાણી જૂથમાં બધું ચકાચક આરસ જેવું સાફ છે એવું નથી, પણ હિન્ડનબર્ગના રિપોર્ટને હવે કોઇ બહુ લાંબો વખત સુધી ગંભીરતાથી નહીં લે. સીધું કારણ એ છે કે હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સ તકસાધુઓ છે

ચિરંતના ભટ્ટ

હિન્ડનબર્ગ રિસર્ચ, યુ.એસ.એ.ની એક એવી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે જે આર્થિક ગોટાળાઓ ઉઘાડા પાડે છે. પહેલાં પણ અદાણી જૂથને માથે માછલાં ધોવાયા, માર્કેટ પર તેની અસર થઇ અને લોકોને ચર્ચા કરવા માટે અધધ મુદ્દા પણ મળ્યા. એ વાતને 17 મહિના થયા અને છેલ્લા કેટલાક વખતથી હિન્ડનબર્ગ રિસર્ચ ફરી કંઇક ધડાકો કરશે, એવી વાત વહ્યા કરતી હતી. શનિવારે હિન્ડનબર્ગે રિપોર્ટ રિલીઝ કર્યો જેમાં SEBIના વડાં માધબી પુરી બૂચ અને તેમનાં પતિ પર આક્ષેપ મુકાયો છે કે તેમણે પણ એવી ઑફશોર કંપનીમાં રોકાણ કર્યા છે જેની કડી અદાણી જૂથ સાથે જોડાયેલી છે. રિપોર્ટમાં દાવો છે કે આ કારણે જ SEBIએ હિન્ડનબર્ગનાં પહેલાંના એટલે કે જાન્યુઆરી 2023ના, રિપોર્ટ પછી પણ અદાણી જૂથ સામે કોઇ પગલાં ન લીધા. આ રિપોર્ટ અનુસાર માધબી બૂચની SEBIમાં નિમણૂંક થઇ તે પહેલાં આ રોકાણો કરાયા હતા અને પછી આ રોકાણો તેમના પતિ, ધવલ બૂચને નામે ટ્રાન્સફર કરાયા હતા જેથી કરીને કોઇપણ પ્રકારની ચકાસણી કે તપાસમાં ફસાતા બચી શકાય. માધબી બૂચ અને ધવલ બૂચ, બન્નેએ આ આક્ષેપોને પાયા વગરનાં ગણાવ્યા છે.

હિન્ડનબર્ગના રિપોર્ટ્સ અંગે સોશ્યલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું, રવિવારની સાંજ આર્થિક વિશેષજ્ઞો અને માર્કેટ ગુરુઓએ આ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરવામાં વિતાવી. એક આખો વર્ગ એમ માને છે કે હિન્ડનબર્ગ રિસર્ચના આ રિપોર્ટ્સ બહુ વિચારીને કરાયેલા અને પૂર્વઆયોજિત આક્ષેપો છે. ઇન્ફોસિસના પૂર્વ સી.એફ.ઓ., મોહનદાસ પાઇએ તો સાફ શબ્દોમાં એવા અર્થની વાત કરી કે સનસની ફેલાવવાના આશયથી હિન્ડનબર્ગ જેવા એક વલ્ચર ફંડે ચારિત્ર્ય હનન કરીને છેલ્લા પાટલે બેસવાવાળી કરી છે જેને ગંભીરતાથી ન લેવું જોઇએ. હિન્ડનબર્ગ રિસર્ચના આક્ષેપોનું સ્તર, પહેલાં હતું તેના કરતાં હવે નીચે ઉતરી ગયું છે એવી લાગણી ધરાવતા ભારતીય વિશેષજ્ઞોને લાગે છે કે એક સમયે જે ગંભીર આક્ષેપો હતા તે હવે ટી.વી. સિરિયલના સસ્તાં ષડયંત્રો જેવા થઇ ગયા છે. તેમના પહેલા રિપોર્ટથી તેમને ધાર્યું પરિણામ ન મળ્યું અને અદાણી જૂથનું ઇન્દ્રાસન એટલું ડોલ્યું નહીં જેટલું એ ચાહતા હતા એટલે હવે જ્યારે કામ નથી બગાડી શકાયું તો ચાલો નામ જ બગાડી દઇએ જેથી જો લોકોનો તેમની પરથી વિશ્વાસ ખસી જશે ધંધા પર અસર થઇ જ જવાની છે. હિન્ડનબર્ગ રિસર્ચ પોતે શોર્ટ સેલર્સની ફર્મ છે અને તેમના અનેક લક્ષ્ય – ટાર્ગેટ -ની માફક અદાણી જૂથ પણ તેમનું એક ટાર્ગેટ બન્યું પણ તેઓ પોતાની ધારણા મુજબ તેના ભાવ ગગડાવી ન શક્યા. અદાણી જૂથની અચાનક થયેલી પ્રગતિને કારણે તે હિન્ડનબર્ગની યાદીમાં આવ્યું અને જે થાય છે તે થઇ રહ્યું છે. શૅર માર્કેટ આમ પણ રિપોર્ટ્સ પર નહીં લોકોની લાગણીના આધારે બદલાઇ શકે છે અને તેમણે આ જ હકીકતનો લાભ લઇને પોતાના બિઝનેસ માટે ચાલ ચાલી છે. આમાં હિન્ડનબર્ગ રિસર્ચને અદાણી જૂથ સાથે કોઇ અંગત અદાવત નથી, તેમને માટે તો બજાર નીચું હોય ત્યારે શૅરના ખરીદ-વેચાણમાં પૈસા નાખવામાં રસ છે.

અત્યારસુધી હિન્ડનબર્ગના જે પણ રિપોર્ટ્સ આવ્યા છે તેમાં કરાયેલા દાવા અનુસાર અદાણી જૂથે સ્ટૉક્સ સાથે ચેડાં કર્યા છે અને દાયકાઓ સુધી છેતરપિંડી ચલાવી છે. તેમણે અદાણી જૂથને ફેમિલી બિઝનેસનું લેબલ આપી કહ્યું છે કે તે કોઇ વ્યવસાયી કોર્પોરેશન નથી. કરચોરીથી માંડીને મની લૉન્ડરિંગના આક્ષેપો પણ આ રિપોર્ટ્સમાં છે. ‘ધી ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીના સામ્રાજ્યના 145 બિલિયન ડૉલર્સ ધોવાઇ ગયા અને વિશ્વના 100 ધનિકોની યાદીમાંથી પણ ગૌતમ અદાણી બહાર થઇ ગયા. આખરે સરકારી તંત્રમાં પલટો થયો અને સહકાર મળતાં બધું થાળે પડતાં અદાણી ફરી જોરમાં આવ્યા. આ બધાંની વચ્ચે રાજકીય આક્ષેપોનો ખેલ ચાલતો રહ્યો.

અદાણી જૂથમાં બધું ચકાચક આરસ જેવું સાફ છે, એવું નથી પણ હિન્ડનબર્ગના રિપોર્ટને હવે કોઇ બહુ લાંબો વખત સુધી ગંભીરતાથી નહીં લે. સીધું કારણ એ છે કે હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સ તકસાધુઓ છે અને ભલે તેમણે મોટા માથાઓને ભોંય ભેગા કર્યા હશે પણ ટ્વિટરને મામલે હિન્ડનબર્ગે કરેલા હોબાળાનું કંઇ ન વળ્યું. હકીકત એ છે કે હિન્ડનબર્ગ પણ કંઇ દૂધે ધોયેલી કંપની નથી. વુલ્ફ ઑફ વૉલસ્ટ્રીટની માફક હિન્ડનબર્ગ જેવા શોર્ટ સેલર્સને ઝડપથી પૈસા બનાવવામાં જ રસ હોય છે. ભાવ ગગડે એટલે તેમની લે-વેચની ચોપાટ ખેલાય. આ શોર્ટ સેલર્સ રાજકીય પ્રવાહોને આધારે પણ પોતાના ટાર્ગેટ નક્કી કરતા હોય છે. કમનસીબે આ શોર્ટ સેલર્સની કોઇ નક્કર ઉત્પાદન ક્ષમતા પણ નથી હોતી અને ન તો તેઓ કોઇ મોટા કોર્પોરેટ હાઉસની માફક મિલકતો ખડી કરી શકે તેમ છે. ભારતીય મૂડીવાદ અને લોકશાહીને બચાવવા કૂદી પડેલા આ શ્વેતવર્ણી લોકો મૂળે પોતાનો સ્વાર્થ જોઇ રહ્યા છે.

હિન્ડનબર્ગ રિપોર્ટમાં સિરિયલોના ષડયંત્ર પ્રકારના આક્ષેપો ન હોત અને નક્કર સવાલો હોત જેની પાછળ તેમનો પોતાના લાભ કે ગણતરીઓ ન હોત તો તેમની વાહવાહી કરવાનું ગમત. બીજી તરફ અદાણી જૂથ હિન્ડનબર્ગથી ભલે ન ગભરાય પણ ‘લાલા કંપની’ પ્રકારના માનસિકતા ન રાખીને, ગોટાળાઓથી દૂર રહી સ્વચ્છ બિઝનેસનું પ્રમાણ વિસ્તારવું જોઇએ. સમય અને કર્મ કોઇનાં ય દોસ્ત નથી એ યાદ રાખીને ભારતીય કોર્પોરેટે પોતાની કામગીરીમાં જરૂરી સુધારા કરી લેવા જોઇએ. બાકી વિશેષજ્ઞોના મતે હિન્ડનબર્ગ રિસર્ચના તાજા દાવાઓને પગલે માર્કેટ્સમાં થોડી ઘણી અસર તો દેખાશે જ પણ માર્કેટ જલદી બેઠી પણ થઇ જશે કારણ કે આ વખતના આક્ષેપો કોઇ ચોક્કસ પ્રભાવ વગરના દાવા જ લાગે છે. ટૂંકમાં આ આક્ષેપોને પગલે કોઇ લાંબા ગાળાની દેખીતી અસરો નહીં પણ શરૂઆતી પ્રત્યાઘાત પૂરતી અસર જ માર્કેટમાં વર્તાશે.

પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑગસ્ટ 2024

Loading

...102030...469470471472...480490500...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved