Opinion Magazine
Number of visits: 9665001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનો સમાજવાદ

સોનલ પરીખ|Gandhiana|17 December 2024

“મારા સમાજવાદમાં નિરાધાર, દીન, હીન સર્વનો સમાવેશ થાય છે, બલકે એમનો સૌ પહેલાં સ્વીકાર અને સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગાં અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. પશ્ચિમના લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે.”

સમાજવાદ શબ્દ આપણે ભણીએ છીએ, સાંભળીએ છીએ, વારંવાર વાપરીએ છીએ, પણ તેનો અર્થ બરાબર જાણીએ છીએ ? સમજીએ છીએ ? સમાજવાદ એક રાજકીય અને આર્થિક વિચારસરણી છે. સમાજવાદ ઉત્પાદનનાં તમામ સાધનોની પેદાશ, સર્જન, વહેંચણી તથા વિનિમય પર સમગ્ર સમાજની સામૂહિક માલિકીની તરફેણ કરે છે. એક વ્યક્તિ કે વર્ગને નહીં પણ સમાજની પ્રત્યેક વ્યક્તિને સમાન ન્યાયના ધોરણે સ્થાન મળવું જોઈએ એવું સમાજવાદ માને છે. તેનો જન્મ કાર્લ માકર્સની રાજકીય વિચારધારામાંથી થયેલો હોવાથી તેને માકર્સવાદ પણ કહેવામાં આવે છે.

સમાજવાદ એ મૂડીવાદની વિચારસરણીની વિરોધી વિચારધારા છે. મૂડીવાદમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી તથા તેના ઉપયોગ અને વિનિમય પરનો કાબૂ વ્યક્તિ કે સંસ્થા હસ્તક હોય છે જ્યારે સમાજવાદમાં તે રાજહસ્તક હોય છે. બીજું, મૂડીવાદમાં આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ નફો કમાવાનો હોય છે અને એમ કરવા માટે મૂડીપતિઓ સંપૂર્ણપણે સ્વતંત્ર હોય છે, જ્યારે સમાજવાદમાં સાધનોની માલિકી રાજ્યની હોવાથી અને રાજ્ય એ સમાજકલ્યાણના ધ્યેયને વરેલી સંસ્થા હોવાથી આર્થિક પ્રવૃત્તિઓનો હેતુ સામુદાયિક કલ્યાણ સાધવાનો હોય છે. એટલા માટે જ મૂડીવાદમાં ખાનગી મિલકતના અધિકારો અબાધિત હોય છે, જ્યારે સમાજવાદમાં તેમના પર અંકુશો મૂકવામાં આવતા હોય છે. મૂડીવાદમાં સંપત્તિના કેન્દ્રીકરણ પર કોઈ મર્યાદાઓ હોતી નથી, જ્યારે સમાજવાદમાં રાષ્ટ્રીય આવકની ન્યાયી વહેંચણી પર ભાર મૂકવામાં આવતો હોય છે.

આમ છતાં, સમાજવાદ એ એક સંદિગ્ધ ખ્યાલ છે અને તેના અર્થ અંગે વિચારકોમાં ઘણાં મતમતાંતર જોવા મળે છે. જુદા જુદા વિદ્વાનોએ તેની જુદી જુદી સેંકડો વ્યાખ્યા આપી છે. બધી સાચી છે, પણ અધૂરી છે. પાશ્ચાત્ય વિચારક સી.ઈ.એમ. જોડ તો એટલે સુધી કહે છે કે ‘સમાજવાદ એ એક એવી પાઘડી છે જે બધા જ પહેરતા હોવાથી તેનો કોઈ ચોક્કસ આકાર રહેલો નથી.’ સમાજવાદનો ખ્યાલ સમજવામાં બીજી મુશ્કેલી એ છે કે સમાજ શબ્દનો કોઈ ચોક્ક્સ અર્થ પકડી શકાતો નથી. જેમ કે ઉત્પાદનનાં સાધનોની માલિકી સમગ્ર સમાજની હોય છે એમ કહીએ તો કયો સમાજ અથવા તો તેના કયા ઘટકો ? વિશ્વના જુદા જુદા સમાજવાદી દેશોમાં તેની જુદી જુદી પેટર્ન જોવા મળી છે.

સમાજનાં હિતની વાત હોય એટલે ગાંધીજીએ એ વિષે વિચાર્યું જ હોય અને ગાંધીજીના વિચારનું પહેલું લક્ષણ એની મૌલિકતા છે. ગાંધીજીનો સમાજવાદ શું છે તે સમજવાનો અહીં પ્રયત્ન કરીએ.

ગાંધીવાદી સમાજવાદની વિચારધારા ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ અને ‘મારા સપનાનું ભારત’ પુસ્તકોમાં જોવા મળે છે. એમાં તેઓ આદર્શ સમાજનું વર્ણન કરે છે – જેમાં કોઈ શ્રીમંત કે ગરીબ ન હોય, જ્યાં સંસાધનોની સરખી વહેંચણી હોય અને કોઈ પણ શોષણ કે હિંસા વિના અર્થતંત્ર આત્મનિર્ભર હોય. આમ, ગાંધીવાદી સમાજવાદ પશ્ચિમી સમાજવાદથી જુદો પડે છે. ગાંધીવાદી સમાજવાદની મુખ્ય ત્રણ લાક્ષણિકતાઓ છે. એક તો રાજકીય અને આર્થિક શક્તિનું સંયોજન, બીજું ટેકનોલોજી, આધુનિકીકરણ અને મોટા પાયે થતા ઔદ્યોગિકીકરણ પ્રત્યે પરંપરાગત વલણ અને ત્રીજું સ્વ-રોજગાર અને આત્મનિર્ભરતા પર ભાર. ગાંધીજીના મતે રાષ્ટ્રની નૈતિક સુખાકારીને નુકસાન પહોંચાડનારું અર્થશાસ્ત્ર પાપી છે.

ગાંધીવાદી સમાજવાદના મૂળમાં આર્થિક-સામાજિક ન્યાય છે. ગાંધીવાદી સમાજવાદ સ્વ-રાજની આસપાસ કેન્દ્રિત છે. સ્વ-રાજ આર્થિક સ્વતંત્રતામાંથી ઉદ્ભવે છે. આર્થિક સ્વતંત્રતા સ્વાવલંબન અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. ગાંધીવાદી સમાજવાદ દરેકને તેના શ્રમનો યોગ્ય હિસ્સો મળે એવા આર્થિક વર્ગો વિનાના સમાજની હિમાયત કરે છે. ગાંધીજી જેને સર્વોદય કહેતા તે આ જ છે. સર્વોદયના જ્યોતિર્ધરો વિનોબા અને જયપ્રકાશ નારાયણ કહેતા કે રાજકીય સત્તા સમાજના બૌદ્ધિક, આર્થિક અને માનસિક સ્તરની ઉન્નતિ માટે હોય છે. બૌદ્ધિક ઉન્નતિ માટે શિક્ષણ છે, આર્થિક ઉન્નતિ માટે ઉત્પાદન અને વહેંચણીની પ્રક્રિયાઓ છે. શિક્ષણ, ઉત્પાદન અને વહેંચણીની યોગ્ય પ્રક્રિયાઓ, સમાજની માનસિકતાને ઊંચી લાવે છે.

‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું ૧૯૦૪માં, જ્યારે રસ્કિનનું પુસ્તક Unto This Last ગાંધીજીના હાથમાં આવ્યું ત્યારે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ મૂળ દર્શનના મુખ્ય સિદ્ધાંતો એમણે આ રીતે તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું અને પરિશ્રમયુક્ત ખેડૂતનું જીવન જ સાચું જીવન છે.

બીજા દિવસથી જ એમણે પોતાના જીવનને વળાંક આપવાનું શરૂ કરી દીધું. દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ શહેર છોડી ગ્રામવિસ્તારમાં જઈ ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. ત્યાં તેમની ગહન ને ઉદાત્ત જીવન-સાધના ચાલી. ગાંધીજીએ રસ્કિનના શબ્દને પ્રત્યક્ષ જીવનમાં નાણી જોયો, માણી જોયો. ધરતીને ખોળે સાદું ને પરિશ્રમયુક્ત જીવન જીવી જોયું. રસ્કિનની સ્વનિયમનની વાતને વ્યક્તિગત તેમ જ સામુદાયિક કાર્યમાં ઉતારી જોઈ. આમ, રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું. એક જીવન-દર્શનરૂપે જ્યારે એ પરિપક્વ થયું, ત્યારે ‘સર્વોદય’ના મંત્રરૂપે પ્રગટ થયું.

ગાંધીજી કહે છે, “આ દેશમાં જેમને હું સમાજવાદી તરીકે ઓળખું છું તેમણે સમાજવાદ અંગીકાર કર્યાનું જાહેર કર્યું તે અગાઉથી હું પોતે સમાજવાદી હોવાનો દાવો કરતો આવ્યો છું. પણ મારો સમાજવાદ મારામાં સ્વાભાવિકપણે વિકસ્યો છે, ગ્રંથકિતાબોમાંથી ગ્રહણ કરેલો નથી. અહિંસા વિષેની મારી અવિચળ શ્રદ્ધામાંથી તે આવ્યો છે. કોઈ પણ માણસ સક્રિય અહિંસાની સાધના કરતો હોય તે સામાજિક અન્યાય સામે માથું ઊંચક્યા વિના રહી જ ન શકે, પછી એવો અન્યાય ગમે ત્યાં થતો હોય. મેં હંમેશાં માન્યું છે કે હિંસા વડે નાનામાં નાના અને નીચામાં નીચલા સ્તરનાને સામાજિક ન્યાય અપાવવાનું અશક્ય છે. મેં વધુમાં એમ પણ માન્યું છે કે, સૌથી નીચલા સ્તરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેનામાં પોતાનાં દુ:ખો ફેડવાની અને અન્યાયોની સામે લડવાની તાકાત આવે. એ માર્ગ અહિંસક અસહકારનો છે. આપણા સમાજવાદી બિરાદરો અને મારી પદ્ધતિમાં આ ચોખ્ખો ભેદ છે.

“મારા સમાજવાદમાં નિરાધાર, દીન, હીન સર્વનો સમાવેશ થાય છે, બલકે એમનો સૌ પહેલાં સ્વીકાર અને સમાવેશ થાય છે. અજ્ઞાન અને આંધળાં, મૂંગાં અને બહેરાં વગેરે અપંગોને ભોગે, તેમની રાખ પર મારે મારી વ્યવસ્થા ઊભી કરવી નથી. પશ્ચિમના લોકોના સમાજવાદની વ્યવસ્થામાં આ બધાનું કદાચ કશુંયે સ્થાન નહીં હોય. દુનિયાની ભૌતિક સાધનસંપત્તિ મેળવવામાં આગળ રહેવું, એ તેમની એકમાત્ર નેમ છે.

“દાખલા તરીકે, અમેરિકાની નેમ પોતાના એકેએક વતનીને મોટરગાડી મેળવી આપવાની છે. મારી એવી નેમ નથી. મારી નેમ મારો, મારા વ્યક્તિત્વનો પૂરેપૂરો વિકાસ સાધવાની ને તેને વ્યક્ત કરવાની છે. આકાશમાં ઝગમગતા વ્યાધના તારા સુધી નિસરણી ઊભી કરવાની મારી મરજી હોય, તો તેમ કરવાની મને છૂટ હોવી જોઈએ. એનો અર્થ એવો નથી કે, મારે એવું કશુંક કરવા માંડવું છે. પશ્ચિમી પ્રકારના સમાજવાદમાં વ્યક્તિને કોઈ જાતની સ્વતંત્રતા કે છૂટ નથી. તેમાં તમારું પોતાનું એવું કશું નથી, તમારું શરીર પણ તમારું નથી.”

સામાજિક સુધારણા અને ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રે પ્રસિદ્ધ રાષ્ટ્રપ્રેમી અને સામાજિક ચિંતક ગોખલેજીનાં નિવેદનોને ગાંધીજી ઘણી વાર ટાંકતા : આજે દેશની મુખ્ય જરૂરિયાત શિક્ષણ છે. અહીં હું શિક્ષણનો અર્થ કેવળ પ્રાથમિક કે ઔપચારિક શિક્ષણ નથી કરતો, બલકે તેનો અર્થ આપણા અધિકારોના જ્ઞાન અને તેની સાથે સંકળાયેલી આપણી જવાબદારીઓ તથા ફરજોની સમજ એવો કરું છું.

ગાંધીજીનો સમાજવાદ એક જીવનશૈલી બની શકે. સામાજિક અને આર્થિક સમસ્યાઓ તરફનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ બની શકે. અસ્તુ.

[પ્રગટ : “જન્મભૂમિ”, તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 20-21

Loading

નવજાત

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|17 December 2024

આમ તો જસપ્રીતને હજી હમણાં જ આઠમો મહિનો પૂરો થઈને નવમો બેઠો હતો એટલે સુખવીંદર બે દિવસ માટે શહેરમાં પોતાનું કામ પતાવવા જાય તો કંઈ વાંધો આવે એમ નહોતું. મા તો એને ટોણા માર્યા જ કરતી. “કા કરેગા તૂ લુગાઈ કે પાસ બેઠકે ? ઘર પે મૈં હૂં, તેરી દાદી, બુઆ સબ જનાનીયાં હૈ. ને બચ્ચે કો અપને હાથોંમેં સબ સે પહેલે લેનેવાલી ચંપાદાઈ ને તો બોલ કે રખ્ખા હૈ કે જબ ભી જરૂરત પડે મુજે આવાજ દઈઓ. મૈં દોડ કે આ જાઉંગી. તો બહુરિયા કી ફિકર છોડ ઔર અપના કામ કર.” કમને સુખવીંદર શહેરમાં જવા નીકળ્યો ત્યારે એકાંત મેળવીને જસપ્રીતને કહેતો ગયો હતો, “જલદી મતિ કરિયો. મૈં બસ યું ગયા ઔર યું આયા.”

પણ જનમ અને મરણનો સમય ક્યાં કોઈના હાથમાં હોય છે? બીજે દિવસે સવારથી જસપ્રીતને ઠીક નહોતું. વડીલોની મર્યાદા સાચવવા મોઢામાંથી હરફ ન નીકળી જાય એનું ધ્યાન રાખવા છતાં બે ત્રણ વખત એના મોંમાંથી ‘ઊઈ મા, મૈં મર ગઈ …’ એવી ચીસ નીકળી ગઈ ત્યારે ચંપાને બોલાવી. એની પારખુ નજરે તરત જ જોઈ લીધું. “દેખો બાઈજી, મૈં તો બોલું કે અબી ટેમ ગવાના નૈ ચાહિએ. ફિર ઐસા ન હોવે કે જચ્ચા કી જાન કો ખતરા હો જાવે.”

સર્વાનુમતે નિર્ણય લેવાયો કે, ભલે સુખી હાજર ન હોય પણ દાયણને સુવાવડ કરાવવાની હા કહી જ દેવી. પછી તો ચૂલા પર ગરમ પાણીનું તપેલું મુકાયું, ઘરમાંથી જૂના ગાભા કાઢીને ચંપાને અપાયા અને અધ્ધર જીવે સૌ રાહ જોવા લાગ્યાં. બધાંના મનમાં એક જ વાત રમતી હતી, ‘પહેલી બાર મેં તો બેટા હી હોના ચાહિયે. ચંપા બહાર આ કે બધાઈ દેગી તો ઉસે ચાંદી કા છલ્લા દેકર ખુશ કર દેંગે.’ પણ ચંપાએ આવીને જે સમાચાર આપ્યા એ સાંભળીને બધાંયનાં મોં જાણે કાળી સાહી ઢોળાઈ હોય એવાં થઈ ગયાં.

દાદીએ મહાપરાણે આપતાં હોય એમ ચંપાના હાથમાં સો રૂપિયા મૂક્યા ને સાથે સાથે કહી દીધું, “દેખ, છોરી કે આનેપે ઈસ સે જ્યાદા કોઈ નૈ દેતા. જો દેતી હૂં વહી ગનીમત સમજ ઔર નીકલ લે.” ચંપાના ગયા પછી સ્ત્રી વર્ગ એવો ગુમસુમ થઈને બેઠો કે, જાણે કંઈ અજુગતું બની ગયું હોય! સુખીના આવવાનો સમય નજીક આવતો હતો એમ ઘરનું વાતાવરણ ભારે થતું જતું હતું. એને આ દુ:ખદ ખબર કોણ આપશે એની ચર્ચા કર્યા પછી છેવટે નક્કી થયું કે, ઘરની વડીલ સ્ત્રી હોવાને નાતે દાદી વાત કરે એ યોગ્ય છે.

ઘરમાં પગ મૂકતાંની સાથે અધીરા થઈ ગયેલા સુખીએ પૂછ્યું, “કા હુઆ, સબ ખૈરિયત તો હૈ? ઔર જસપ્રીત કહાં ગઈ? વો દિખાઈ નહીં દેતી!”

“સબર કર પુત્તર, ઐસી ભી ક્યા જલ્દી? જરા મુંહ-હાથ તો ધો લે!” પણ સુખી સબર કરી શકે એમ નહોતો.

“મુજે હાથ-મુંહ નૈ ધોણા. પેલ્લા બતાઓ, જચ્ચા-બચ્ચા દોનોં ઠીક તો હૈ ન?”

નાક પર ઊતરી આવેલાં ચશ્માં સરખાં ગોઠવતાં દાદીએ ગળગળા અવાજે કહ્યું, “કા બતાયે પુત્તર, છોરી જનમી હૈ. તૂ શહેર સે ભૂખા-પ્યાસા આયા ઔર તુજે યે મનહૂસ ખબર સૂનાની પડ રહી હૈ.”

સાંભળીને સુખીનો ચહેરો તંગ થઈ ગયો. એના કપાળની નસ ઊપસી આવી. ત્યાં તો અત્યાર સુધી માંડ ચૂપ બેઠેલી બુઆએ પોતાનું દુ:ખ વ્યક્ત કરવા માંડ્યું, “મુજે તો થા કિ, લડકા હોગા તો ભાઈ કે ઘર સે અચ્છા ખાસા નેગ લેકર જાવાંગી પર તેરે સાથ મેરા ભી નસીબ મારા ગયા.” એનો કકળાટ સાંભળીને સુખીનો ચહેરો હતો એનાથી ય વધુ તંગ થઈ ગયો. કશું બોલ્યા વિના એ જસપ્રીતના ઓરડામાં ગયો. નવપ્રસૂતાને સૂતાં સૂતાં બહાર ચાલી રહેલી વાતચીત સંભળાતી હતી. પહેલા ખોળે કુળદીપક ન આપી શકવાને કારણે એ પોતાની જાતને ગુનેગાર તો સમજતી જ હતી એમાં પતિને સામે જોયા પછી એ રડવું ખાળી ન શકી “માફ કર દો, મુજે માફ કર દો” બોલતાં બોલતાં સુખીની નજરનો સામનો ન કરવો પડે એટલે ભીની આંખે પડખું ફરી ગઈ.

સુખીને લાલચોળ ચહેરા સાથે અંદર જતાં જોઈને મા ગભરાઈ ગયેલી. પોતાની સાસુ અને નણંદને ઠપકો આપતાં એ કહેવા લાગી, “ક્યા જરૂરત થી યે સબ બોલને કી? બેચારા ખુદ ભી જાનતા હૈ કે અબ તો જુતિયાં ઘીસ જાયેગી, લડકા ઢૂંઢતે ઢૂંઢતે. કિતને નિકમ્મે લોગોં કે પૈરોં મેં પઘડી રખની પડેગી. પર અબ્બી જ યે સબ સૂનાને કી ક્યા જલદી થી? મૈં ચુપ રહી ન? બોલી કુછ?” મહિલા વર્ગમાં આવી બધી ચર્ચા ચાલી રહી હતી ત્યાં સુખી ધમધમ કરતો ઓરડામાંથી બહાર નીકળ્યો ને કોઈની સામે જોયા વિના બજારના રસ્તા તરફ ચાલવા લાગ્યો.

ડગુમગુ થતાં દાદીમા લાકડીના ટેકે આવ્યાં અને વહુને પૂછ્યું, “કિથ્થે ચલા ગયા સુખી?”

“મૈંનુ કી પતા? બતાકે થોડે હી ગયો હૈ?” થોડી નારાજગી બતાવતાં એણે કહ્યું.

અડધોએક કલાક થયો હશે ત્યાં સંતુ ઢોલીના ઢોલનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ વિચારવા લાગ્યા કે, આ ઢોલક ક્યાં વાગે છે? આખા મહોલ્લાના લોકોએ જોયું કે, સૌથી આગળ સુખી જલેબીનો ટોપલો લઈને ચાલી રહ્યો છે. જે મળે એને આગ્રહથી જલેબી ખવડાવી રહ્યો છે અને પાછળ ગળામાં ઢોલ લટકાવીને સંતુ આવી રહ્યો છે.

ઘરે આવીને સુખીએ પોતે લગ્ન પ્રસંગે પહેરતો એ પાઘડી કબાટમાંથી કાઢીને પહેરી. જસપ્રીતના ઓરડામાં જઈને એણે નવજાત દીકરી સામે પ્રેમથી જોઈને સોની નોટ કાઢીને એને માથેથી ઓવારીને એની નજર ઉતારી. ધીમેથી એ બોલ્યો, “મેરી રાજકુમારી.”

બહાર જોરથી ઢોલ વાગી રહ્યો હતો, ‘તીક ધૂમ ધૂમ …’ આ વખતે જસપ્રીતે આંખમાં આવેલાં આંસુ લૂછવાની કોશિશ ન કરી.

(રામેશ્વર કંબોજની હિંદી લઘુકથાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2024; પૃ. 24

Loading

વડીલોનું જ્ઞાનઘર

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|17 December 2024

“અખિલ બેટા, તું આપણી બાજુની જમીનમાં આવડું મોટું મકાન શા માટે બનાવે છો? હવે આપણે નવા મકાનની શું જરૂર છે?”

 અખિલે મમ્મી સામે જોઈને પૂછ્યું, “મમ્મી, તમે વૃદ્ધાશ્રમ જોયું છે?”

“ના, બેટા. આપણે શું કામ હોય કે ત્યાં જઈએ ? આપણા કોઈ વડીલો વૃદ્ધાશ્રમમાં નથી રહ્યાં; મોટા ઘર હોય, સુખ, સંપત્તિ હોય અને બાળકોનો પ્રેમ હોય, પછી વૃદ્ધાશ્રમમાં શું કામ રહે. તારી વાત મને સમજાઈ નહીં.”

 “પણ મમ્મી, મેં જોયું છે.”

“અમારે અત્યાર સુધી વૃદ્ધાશ્રમમાં નથી જવું પડ્યું તો તારે શું કામ જવું પડ્યું.”

“મમ્મી, થોડા દિવસ પહેલાં પપ્પા કામમાં હતા. પપ્પા જઈ શકે તેમ નહોતા એટલે તેના બદલે મીટિંગમાં હાજરી આપવા માટે વૃદ્ધાશ્રમ ગયો હતો. મારે તો કંઈ કરવાનું નહોતું. ખાલી પપ્પાને બદલે મીટિંગમાં હાજરી આપવાની હતી.

પણ મેં ત્યાં જે જોયું, એ પરિસ્થિતિએ મને વિચાર કરતો કરી દીધો છે. મમ્મી, ત્યાં સંપૂર્ણપણે વડીલોનું ધ્યાન રાખતી અને પૂર્ણ સગવડ આપતી વ્યવસ્થા છે. છતાં પણ વડીલોના મોઢા નિષ્તેજ હતા, શૂન્યમનસ્ક હતા.”

 “તે હોય જ ને, બેટા. જે પોતાના ઘરથી, પોતાનાથી તરછોડાયેલા હોય, તેને સુકુન કે સુખ ક્યાંથી હોય. બેટા, તું કેમ આ બધું વિચારે છે ? અત્યારે  તારે આ બધી બાબત વિચારવાનો સમય નથી. તારા પપ્પા એટલે તો વૃદ્ધાશ્રમ સાથે સતત જોડાયેલા રહે છે. દરેક બાબતનું ધ્યાન રાખે છે.”

“મમ્મી મીટિંગ પૂરી થયા પછી હું ત્યાં કેટલા ય વડીલોને મળ્યો. તેમાં કોઈ કવિ, લેખક, સાહિત્યકાર, શિક્ષક, ભજનીક, વિવેચક, કંઈ કેટલીયે પ્રતિભા ત્યાં છે; કે જે તેના સુવર્ણકાળમાં આભા પ્રસરાવતી હતી. તેના નામના સિક્કા પડતા હતા. આજે એ બધી પ્રતિભામાં આભાનું તેજ છે, જ્ઞાનનો પ્રકાશ છે. પણ પરિસ્થિતિની થપાટથી એ લોકોનું તેજ ક્ષિણ થઈ ગયું લાગે છે. મેં ઘણાં વડીલો સાથે વાત કરી તો તેઓને મનમાં રંજ છે. એ લોકો એમ માને છે કે એ લોકોમાં હજી કૌવત છે. હજી કંઈક કરવાનું ઈચ્છા છે. પરિસ્થિતિએ મજબૂર કરી દીધા છે; છતાં દીકરા કે દીકરીનાં તિસ્કૃત થઈને વૃદ્ધાશ્રમનાં આધારે જીવવું પડે છે. આ તે લોકોનાં દુ:ખનું મુખ્ય કારણ છે. હજી પણ એ લોકો એવા મતના છે કે પોતે પોતાનો રોટલો રળી શકે એટલા તો સક્ષમ છે. છતાં નિરાધાર થઈને જીવવું પડે છે.”

“મેં એ બધાં સાથે વાત કરી. બધાં હજી કંઈક ને કંઈક કરવા સક્ષમ છે અને કામ કરવા માટે તૈયાર પણ છે, જો યોગ્ય તક મળે તો. મારો એવો વિચાર છે કે વડીલો જે કંઈ પ્રવૃત્તિ કરશે તેમાંથી થતી આવક, વૃદ્ધાશ્રમને પ્રેમથી જે કંઈ ડોનેશન મળશે. કવિ, લેખકોએ લખેલ પુસ્તકોને આપણે પ્રકાશિત કરીશું તેની જે કંઈ રોયલ્ટી આવશે, આ સિવાયના બાકી વડીલોમાં કોઈ વકીલ, ડોક્ટર, કે બિઝનેસમેન છે. તેમને તેમની કાર્યદક્ષતા અને જ્ઞાન પ્રમાણે કામ આપશું. ટૂંકમાં દરેક વડીલને કોઈને કોઈ કામ આપશું. જે કંઈ રકમ એકઠી થશે એ બધાં વડીલોની વચ્ચે તેમની સેવા માટે પુરસ્કાર રૂપે વહેંચી દઈશું, એટલે વડીલોને પણ તેમનાં બાળકો પાસેથી અહીયાં રહેવા માટેનો ખર્ચ નહીં માગવો પડે. વૃદ્ધાશ્રમનો તમામ વહીવટી ખર્ચ અને ખૂટતી રકમ આપણે પૂરી કરી દઈશું. આમે ય આપણે વૃદ્ધાશ્રમમાં ડોનેશન માટે ઘણા પૈસા આપીએ છીએ. અત્યારે જે વૃદ્ધાશ્રમનું મકાન છે એ નાનું પડે છે અને જૂનું હોવાથી જર્જરિત થઇ ગયું છે. એ બધાંને નવા મકાનમાં ફેરવી નાખશું. મમ્મી, મારો પ્લાન કેવો લાગ્યો. મેં મારી યોજના વિષે હજી વડીલો સાથે વાત નથી કરી; પણ એ લોકો ચોક્કસ સહમત થશે જ.”

“તેં વાત કરી એ બરોબર છે, પણ તારી યોજનાને અમલમાં મૂકવા માટે તારો પ્લાન શું છે? હું ને તારા પપ્પા તારા અભિયાનમાં સાથે છીએ. તારો વિચાર ખૂબ સુંદર છે. સૌને હક્નો રોટલો વધારે ભાવે.”

“મમ્મી, હું આ બધી વિભૂતિઓને તેની કાર્યદક્ષતા અને કાર્યકૌશલ્ય પ્રમાણે કામ કરવાની સગવડ ઊભી કરવા માગું છું. કવિને, લેખકને લેખન માટેની વ્યવસ્થા; જે લોકોમાં શિક્ષણને લાગતું જ્ઞાન છે અને બાળકોને ભણાવી શકે છે તેમ છે એ લોકો માટે જરૂરિયાતવાળાં બાળકો માટે ખૂબ જ ઓછી ફીથી શિક્ષણવર્ગ ચાલુ કરીશ, જેમાં વડીલ શિક્ષકો તેનું જ્ઞાન પીરસરશે, જેથી જરૂરિયાતવાળાં બાળકો અને શિક્ષક/વડીલો બંનેને ફાયદો થશે. લેખકો, કવિઓ કે અન્ય વિભૂતિઓનાં પુસ્તકો વગેરે છપાવી સમાજમાં વધારાનું જ્ઞાન પિરસીશુ. સાર્વજનિક દવાખાનું ખોલીશું જેથી જરૂરિયાતવાળા દર્દીને યોગ્ય દવા અને સલાહ સૂચન મળી શકે. આ પદ્ધતિથી બધાં જ માટે જુદું જુદું પણ તેમનું મનગમતું કાર્યક્ષેત્ર ઊભું કરવા માગું છું. જેનાથી સમાજને પણ કોઈ ને કોઈ રીતે ફાયદો થાય અને જે તે પ્રભુતાવાળા વડીલને સમય પસાર કરવા સાથે કંઈક કર્યાનો સંતોષ મળે. મમ્મી, જે મકાન બની રહ્યું છે તેમાં મેં આ બધી બાબતોને આવરી લીધી છે અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવી છે.”

“તારા પપ્પા સાથે વાત થઈ?”

“મેં પપ્પાની સંમતિ થી જ આ પ્રોજેક્ટ હાથમાં લીધો છે.”

“વાહ, બેટા, મને તારા માટે ગૌરવ છે. તારી આ યોજનાથી વડીલો પણ જીવન પર્યંત સ્વમાનથી જીવ્યાંનો સંતોષ લઈ શકશે. વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે એ દુઃખ અને વ્યથા ભૂલી જશે. આ ઉપરાંત બાળકોથી તિરસ્કૃત થઈને રહેવું પડે છે, એવું પણ નહીં લાગે. બેટા, જો તારી જેમ આ નવી પેઢી વડીલોનાં સામર્થ્યનો ઉપયોગ કરે તો કદાચ વૃદ્ધાશ્રમમાં વેઈટિંગ લીસ્ટના બદલે વૃદ્ધાશ્રમને બંધ કરવાનો સમય આવે.”

“મમ્મી, મને નામ શું રાખવું એ સૂઝતું નથી. મારે વૃદ્ધાશ્રમ કે એવું કંઈ નામ નથી રાખવું. એ નામ સમાજ માટે કલંકરૂપ લાગે છે.”

“તો બેટા, ‘વડીલોનું જ્ઞાનઘર’ એવું નામ રાખ. તારી યોજના પણ વડીલોને તેના જ્ઞાનનો ઉપયોગ કરવા માટે મદદરૂપ થાય એવી છે. દરેક વડીલ તેના જ્ઞાનથી સમાજનાં ઉત્થાનમાં ફાળો આપી શકશે. “

“મમ્મી, ખૂબ સરસ નામનું સૂચન છે”. તો ચાલો નવા મકાનનું નામ….”વડીલોનું જ્ઞાનઘર રાખશું.”

“હા, બેટા, આ નવા મકાનનું નામ “વડીલોનું જ્ઞાનઘર”. અખિલના પપ્પાએ પણ ઘરમાં દાખલ થતા નામ અને વાતને અનુમોદન આપી દીધું.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...455456457458...470480490...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved