Opinion Magazine
Number of visits: 9774042
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાબાલિ

પ્રહ્લાદ જોશી|Opinion - Short Stories|6 May 2013

અતિ ઝડપે વિકસી રહેલું એ શહેર સૌરાષ્ટ્રનું એક તાલુકા મથક હતું. એની બણબણતી બજારમાં, ચા નાસ્તાની એક રેકડી હતી. વજુભાઈ પકોડાંવાળાની દુકાન એટલે નગરના કોઠાકબાડિયાઓનો ચોરો જ હતી. પોલિસ સ્ટેશન પાસે જ હતું. પોલિસોને આપવાના હપ્તાઓ વજુભાઈને જમા કરાવાતા. કોર્ટ પણ નજીકમાં જ હતી, અને વકીલો પણ ત્યાં બેઠક જમાવતા. ઉપરાંત શાક બજારના વેપારીઓ અને કાછિયા પણ સવાર સાંજ ત્યાં ભેગા થતા. લોકોની અવરજવર જ એટલી હતી કે વજુભાઈ કોઈ મોટા રેસ્ટોરન્ટના માલિકને ઈર્ષા થાય એટલી ઘરાકી કરતા. વજુભાઈ ધંધો ચલાવવામાં જ ધ્યાન દેતા. એમના બે દીકરાઓ ધંધામાં કામ કરતા. ઉપરાંત બેએક નોકર રાખ્યા હતા. 

ત્યારે હું તેરચૌદ વર્ષનો હતો. મારાં ફઈનો દીકરો હિતેશ અને હું ગામમાં આંટો મારવા નીકળ્યા હતા. એ મને વજુભાઈનાં પકોડાં ચખાડવા લઈ ગયો. હિતેશ તાલુકા પંચાયતમાં 'મોકાની' જગ્યાએ કામ કરતો. એટલે કોન્ટ્રાક્ટરો, વકીલો, પોલિસો, બધા એને ઓળખતા. અને એ પહેલાંથી પણ એના આનંદ મિજાજ સ્વભાવના લીધે, ગામ આખામાં પ્રિય હતો જ. ચાવાળાઓ અને રિક્સાવાળાઓ મૈત્રીભાવે એની પાસેથી પૈસા પણ ન લેતા.

અમે સાઈકલ પાર્ક કરી, ત્યાં વજુભાઈએ ઘરાકોની એકધારી અવરજવર છતાં, ‘આવ, હિતેશ, આવ. ક્યાંના મે'માન છે!’ એમ કહી, નોકરને સાદ કર્યો, ‘એ ઢૂબા, મે'માનને બેસવાની જઇગા કરી દે, ને ચા પાણી પીવરાવ.’ ઢૂબાએ હાથમાંના એંઠા પ્યાલા રકાબીનો થપ્પો વાસણ ધોવાના ઓટલે મૂકી, એના ખભે રાખેલાં કપડાંથી એક ટેબલ સાફ કર્યું, ખુરશીઓ પર પડ્યા અન્નકણો ઝાપટી, અમને ઈશારાથી બેસવા વિનંતી કરી. અમે બેઠા, પછી ધોયેલા બે પ્યાલા અને તાજાં પાણીનો જગ અમારી સામે મૂકી ગયો, અને બીજા ટેબલ પરથી એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ ભેગાં કરી, ધોવાના ઓટલે લઈ ગયો અને ડહોળું પાણી ભરેલા એક ટબમાં નાંખ્યા. જરાતરા ધોઈ, એ બધાં એનાથી જરાક ચોખ્ખા એવાં બીજાં પાણીમાં નાંખ્યાં, સિંદરીથી બાંધેલી એક ખાટલી પર નિતરવા ઊંધાં મૂકી દીધાં, અને પછી કામે વળગી ગયો.

એ હતો ઢૂબો. ત્યારે દસેક વર્ષનો હશે. સાવ નિસ્તેજ દેખાતો હતો. શબ્દ તો એના મોઢે સાંભળવા જ મળતો ન હતો. વજુભાઈ, કે એમના દીકરા, કાંઈ કરવા કહેતા તો એ બસ એમ કરી નાંખતો. હોંકારો  પણ નહીં. ચહેરો પણ સાવ ભાવશૂન્ય.

અમારી સામે ગરમ પકોડાં અને ચટણી મૂકી ગયો.

તે દરમિયાન, એક ખુલ્લી જીપ આવી, વજુભાઈની દુકાન સામે રસ્તાને કાંઠે ઊભી રહી. આગલી પેસેન્જર સીટ પર ધોળા ઝભ્ભા લેંઘા અને કાળાં ચશ્માં પહેરેલો એક જણ, ડાબો પગ ગાડીમાં ચડવાના પગથિયા પર રાખી બેઠો હતો. વજુભાઈએ મોટેથી આવકાર્યો, ‘એ આવો આવો, વસ્તાભાય! આવો.’ ઢૂબો પાણીના પ્યાલા ને જગ લઈ એની પાસે પહોંચી ગયો. વસ્તાએ ‘કાં દીકરા!’ કહી, લગભગ તમાચો જ કહેવાય એવી, 'ટપલી' ઢૂબાના ગાલ પર મારી. ઢૂબાના ચહેરા પર ભાવોમાં કાંઈ જ ફેર ન પડ્યો. એ ટપલી એણે ચુપચાપ ગાલ પર ઝીલી લીધી.

હિતેશે કહ્યું કે વસ્તો એક ખૂની હતો, પણ મારનારનાં કુટુંબને ફરિયાદ ન કરવા ગમે તેમ કરી મનાવી લીધા હતા, અને મરણનું કારણ આત્મહત્યા તરીકે ખપાવી દેવામાં આવ્યું હતું. સ્થાનિક રાજકારણીઓ સાથે ય વસ્તાને સારા સંબંધ હતા.

થોડી વારમાં એની આસપાસ ટોળું થવા માંડ્યું. વસ્તાએ જીપમાં બેઠાં બેઠાં જ પાન ખાધેલા મોઢામાંથી ગંદા થૂંકની પિચકારી કરી. અડધો ગંદવાડ એક ટેબલ પર અને અડધો ખુરશી પર પડ્યો. એના એક ચમચાએ બૂમ પાડી ‘એ દીકરા, આ સાફ કરી નાંખ તો, વજુભાઈનાં ટેબલ ખુરશી એમ ન બગડવા દેવાય.’ ઢૂબો ચુપચાપ આવ્યો. ગમો કે અણગમો કાંઈ પણ રાખ્યા વગર જ, એ સાફ કરી નાંખ્યું, અને કામે લાગ્યો.

પણ મને નવાઈ લાગી. પહેલાં વસ્તાએ એને દીકરો કહ્યો હતો, ત્યારે તો એમ લાગ્યું હતું કે સાચા ખોટા વ્હાલથી એમ કહ્યું હશે, પણ આ તો જાણે એનું નામ હોય, એ રીતે એને દીકરો કહી બોલાવવામાં આવ્યો હતો. બીજા એક જણે ફરી બૂમ પાડી ‘એ દીકરા, વસ્તાભાઈ સારુ કોફી ને અમારા સારુ ચા લઈ આવ તો!’ એક જણે એ બૂમ પડનારને કહ્યું ‘એલા, ઈ તારો દીકરો કેદુનો થ્યો!’  આખું ટોળું હસી પડ્યું.

શૂન્યમનસ્ક ઢૂબાએ કોઈની સામું જોયા વગર, ચાની કીટલી ભરી, રકાબીઓ અને પ્યાલાનો થપ્પો લઈ, ટોળાને પીરસવા આવ્યો. જીપના બોનેટ પર એ બધું મૂકી, પ્યાલા ભરી, રકાબીઓમાં મૂકી, એક પછી એક બધાને આપવા લાગ્યો. એક જણે એના માથે દૂર સુધી સંભળાય એવા જોરથી ટપલી મારી, અને ગાળ જ દઈ બોલ્યો, ‘ભડવીના, વસ્તાભાઈને કોફી આઈપા વગર અમને ચા રેડવા લાગ્યો છ!’ ઢૂબાએ, તો પણ, એની સામું ન જોયું. વસ્તાને કોફી આપવા વજુભાઈ પોતે આવ્યા.

થોડી વારમાં, ભારતીય પોલિસનું ચિહ્ન (P) ચીતરેલા મડ ગાર્ડવાળી બુલેટ મોટરસાયકલ પાર્ક કરી, મોટી ફાંદવાળો એક પોલિસવાળો ઉતર્યો અને ટોળામાં ગયો. ‘આવો વાઘેલા બાપુ’, કહેતાં વસ્તાએ બેઠે બેઠે જ હાથ લાંબો કર્યો. એણે 'જય માતાજી' કહી હાથ મેળવ્યો. ઢૂબો હજુ આ લોકોના પ્યાલાઓમાં ચા રેડતો હતો. પોલિસવાળાએ એને કહ્યું ‘જા તો, દીકરા, પાણી ભરી આવ તો!’ ઢૂબો, એ પ્યાલો ભરાઈ ગયો એટલે, જમાદાર માટે પાણી ભરી આવ્યો. જમાદારે પૂછ્યું, ‘એલા, તારો બાપ ખટારા ભેગો છે કે ઘેરે આવી ગયો છે?’ ઢૂબાએ માથું ધુણાવી જ ના કહી, અને બીજા ગ્રાહકોના એંઠા પ્યાલા રકાબી ને પ્લેટ્સ વીણવા જતો રહ્યો.

એવું લાગ્યું કે એને ઈરાદાથી જ દીકરો કહી બોલાવવામાં આવી રહ્યો હતો. એક વજુભાઈ એને ઢૂબો કહી બોલાવતા, એ પણ એનું સાચું નામ તો નહીં જ હોય. મારી ઉત્કંઠા વધી. મેં હિતેશને પૂછ્યું કે કેમ બધા એને દીકરો કહી બોલાવતા હતા.

હિતેશે કહ્યું, ‘આપણે અહીંથી વહેતા થાઇએ. આ બધા ભેગા થયા છે, એટલે બહુ બેસવામાં માલ નથી. કોકને તાલુકા પંચાયતનું કાંઈ યાદ આવશે તો મારી પત્તર ખાંડશે.’ અને ઊભો થઈ ગયો. સાથે હું પણ ઊભો થયો, અને અમે અમારી સાયકલો પર સવાર થઈ રવાના થઈ ગયા. પછી હિતેશે જે વાત કરી, એ યાદ આવતાં પણ કંપી જવાય છે. જયારે એ સાંભળી ત્યારે સમજણ જુદી હતી, અત્યારે જુદી છે. અત્યારે બુદ્ધિ પરિપક્વ હોય કે નહીં, પણ એ વખતે તો અપક્વ જ હતી. એ વખતે દરેક વાતના જુદા અર્થ થતા હતા.

ઢૂબાની મામાં કુદરતે સધારણ કરતાં વધારે કહેવાય એવો કામાવેગ મુક્યો હતો. હકીકત એ કે કુદરતે એના શરીરને માતૃત્વ માટે ભારોભાર ફળદ્રુપ બનાવ્યું હતું. આવી સ્ત્રીઓ એમના વર્તનથી ઓળખાઈ આવે છે. એમની ચાલમાં પણ નર્તનનું લાસ્ય હોય છે, અને નર્તનમાં લાવણ્ય. એમની આંખોનો ઉછાળ એમનો જ હોય છે, અને નકલ કરવાથી આવડતો નથી. એમના સ્વભાવમાં પણ અસામાન્ય પારદર્શકતા, પરિપક્વતા હોય છે અને દંભનો હોય છે અભાવ. જીવનપ્રેમી હોય છે અને જીવનની મધુરતા માણનારાઓની ઈર્ષા એમને નથી હોતી. તેઓ અજાણ્યા સાથે પણ તરતમાં મૈત્રી બાંધી શકે છે, અને મિત્રો માટે એમના જેવું પ્રોત્સાહન બીજું કોઈ નથી હોતું. આ છોકરીઓ-સ્ત્રીઓ કપટી નથી હોતી, પણ જરૂર પડ્યે અન્યોનાં રહસ્યો  અંતરના અનંત ઊંડાણમાં કાયમ માટે ધરબી દઈ શકે છે. પણ, આવી સ્ત્રીઓ માટે આપણા સમાજમાં સારો અભિપ્રાય નથી. એમને સારા શબ્દોથી પણ નથી યાદ કરાતી. પ્રચલિત બોલીમાં એમના માટે ચાલુ, શિથિલ ચારિત્ર્ય, વંઠેલી, છિનાળ, હલકી, રખડેલ, એવા એવા શબ્દો વપરાય છે.

ઢૂબાની મા ગરીબ ઘરમાં જન્મેલી આવી એક સ્ત્રી હતી. નાનપણથી જ એની મા ભેગી લોકોના ઘરે ઠામ ઉટકવાં, કપડાં ધોવાં, ને કચરા પોતાં કરવાં જતી. તરુણાઈના હજુ તો મોર બેઠા હતા, અને એ ખેરવવા કાંકરીચાળા શરૂ થઈ ગયા હતા. બારેક વર્ષની તો માંડ હશે, કદાચ 'દૂર બેસતી' પણ નહીં થઈ હોય, અને યૌનભૂખ્યા છોકરડાઓની બૂરી દાનતનો શિકાર બનતી. છોકરાઓ એને અવાવરુ જગ્યાએ બોલાવતા અને એક પછી એક વારા લેતા. આને ય બિચારીને મજા આવતી. એ મજાની શું કિંમત હોય, એ પણ એને ભાન નહીં. પણ ભાન થતાં બહુ વાર નહીં લાગી હોય. અપક્વ ઉંમરે યૌન સક્રિયતાએ એના શરીરનો વિકાસ વધારી દીધો. એની આંખો મદમસ્ત વિશાળ હતી. નમણાશ તો જાણે એની જ પાસે હતી. શરીર ભરાવદાર અને પુષ્ટ બન્યું. સ્તનો પણ કોઈ પણની નજર ચોંટાડી રાખે એવા ઉન્નત થયા. એનો એક વાંક એ પણ, કે શરીરની કામતૃષ્ણાને ગૂંગળાવી દેવાના બદલે એણે તૃપ્તિનો માર્ગ પસંદ કર્યો હતો.

પણ સાથે એનું શોષણ પણ વધ્યું. ગામના સીમાડે ઝૂંપડામાં રહેતાં માબાપને મન, એને હાઇ સ્કૂલમાં ભણાવવાનો કો અર્થ નહીં હોય, કે આને મન કાંઈ મહત્ત્વ નહીં હોય, એટલે એની માની જેમ, લોકોના ઘરોમાં વાસણ, કપડાં ધોવાં, અને કચરા પોતાં કરવાને પૂર્ણ સમય વ્યવસાય બનાવી લીધો. એક ટંક ખાવા તો લોકોના ઘરે જ મળી જતું. પણ, લોકોના ઘરે સાધનો, અને સગવડો જોઈ, એ પણ ભોગવવા મન થતું. સારાં કપડાં પણ પહેરવા મન થતું, જે પારખી લઈ, એ જે ઘરોમાં કામ કરવા જતી, એના માલિકોએ નાની મોટી વસ્તુઓની લાલચ આપી, એને યૌન શોષણનું સાધન બનાવી. લોકોનાં કામ કરવા સિવાય બીજી કોઈ આજીવિકા પણ નહીં, કદાચ એટલે એણે પોતાનું શોષણ થવા પણ દીધું.

માબાપને સાપનો આ ભારો ઝટ ઉતારવો હશે, એટલે અઢારની માંડ થઈ હશે, ત્યારે બેંતાલીસ વર્ષના અડધા બોખા એક બીજવર સાથે પરણાવી દીધી. દારૂડિયો અને માયકાંગલો એ એક ટ્રકનો ક્લીનર હતો. એની લાયકાત કરતાં ઘણી વધારે સુંદર સ્ત્રી એને મળી હતી, એટલે એના તાળીમિત્રોમાં છાની ઈર્ષા અને ગંદી મજાકોનું પાત્ર બનતો. એ રીસ એ ઘરે આવી બાયડી પર કાઢતો. એને મારતો, પગ દબાવડાવતો. ઘણીવાર ટ્રક સાથે લાંબી યાત્રાઓ પર જતો રહેતો, અને ઘરે બે કે ત્રણ મહિને પાછો આવતો.

એ પરણીને પતિગૃહે આવી પછી, પણ એની 'સુવાસ' પ્રસરતાં વાર ન લાગી. સાસરું શહેરના 'સારા' વિસ્તારમાં હતું, જ્યાં એ 'સારા' ઘરોમાં ઠામ, લૂગડાં, સંજવારી ને પોતાં કરવા જતી. યૌન ભૂખ્યા પુરુષો માટે કામોર્જાથી ધગધગતા લોહસ્તંભ જેવું એનું શરીર છાનું ન રહી શક્યું; અને શરૂ થયો એના શોષણનો એક નવો દોર. એના માટે સ્ત્રીઓ કહેતી કે ‘એને તો દૂર જ રાખવી, આપણા પુરુષોને બગાડે એવી છે.’ એ ગર્ભવતી થઈ, પુત્રને જન્મ આપ્યો. છોકરો પડોશમાં રમતો થયો, અને ક્યારે એનું નામ ઢૂબો પાડી ગયું, એ પણ ખબર ન નહીં. બધા એને ઢૂબો જ કહી બોલાવતા.

નિશાળમાં એ છોકરાઓની મજાકનું પાત્ર બનતો. બધાને ખબર હતી કે એનો બાપ માયકાંગલો છે ને કાંઈ કરી શકવાનો નથી, એટલે એને મન ફાવે એમ ચીડવતા. માસ્તરો પણ એના માબાપને લઈ મજાક કરી લેતા. ઢૂબાને કાંઈ ખબર નહીં કે એની મજાકો કેમ થાય છે. એ પ્રાથમિક શાળાનું પણ શિક્ષણ પૂરું ન કરી શક્યો. એનું કોઈ માન ન હતું. એને શિક્ષણની જરૂર છે, એમ એના શિક્ષકોને પણ ન લાગતું. એ રોજ માર ખાતો; કોઈ વાર શિક્ષકોનો, કોઈ વાર સહાધ્યાયીઓનો. દારૂ પીને પાંસળીઓ દેખાતા ઉઘાડા શરીરે, ખાટલી પર બેસી, બીડીઓ ફૂંકતા બાપને ફરિયાદ કરતો તો બમણો માર પડતો, કારણ કે દીકરાની ફરિયાદો એને ભાન કરાવતી કે દીકરાને રક્ષવાની એનામાં તેવડ ન હતી. એ ગુસ્સો, હતાશા એ એને મારીને ઉતારતો. કંટાળેલા, હારેલા ઢૂબાએ ભણતર પડતું મુક્યું અને વજુભાઈ પકોડાંવાળાની રેકડીએ મજૂરી કરવા લાગી ગયો. ત્યારે માંડ દસ વર્ષનો હશે.

ત્યાં કોઈએ સૌરાષ્ટ્રની ખાસિયત પ્રમાણે વજુભાઈને પૂછ્યું કે ‘કેનો દીકરો સે?’ ત્યારે એમણે એની ઓળખાણ એની માની આપી,  કારણ કે ઢૂબાના બાપ કરતાં એની મા વધુ 'ખ્યાતિ પ્રાપ્ત' હતી. પૂછનાર દુષ્ટતાપૂર્વક હસ્યો, ‘તો તો એમ જ ને, કે એની માની તો તમને ખબર છે પણ બાપ કોણ છે, એ તો એની માને ય ખબર નહીં હોય.’ હાજર હતા એ બધા હસ્યા. નીચ વૃત્તિના માણસો ત્યાં આવીને આવી મજાકો કરતા, ‘કાંઈ કહેવાય નહીં, એ દીકરો તારો ય હોય ને કદાચ મારો ય હોય.’ ઢૂબો કાંઈ ન બોલી શકતો. કાંઈ સમજતો ય નહીં.

વજુભાઈને ઢૂબા પર સહાનુભૂતિ હતી, પણ ઘરાકોને નારાજ કરવા પોસાશે નહીં, એમ વિચારી, એમને કાંઈ ન કહેતા, અને ઢૂબાને સાંભળ્યું ન સાંભળ્યું કરી નાંખવા કહેતા. ઢૂબાએ 'ન સાંભળવું' શરૂ કર્યું. જાણે બહેરો જ હોય એવું વર્તન થઈ ગયું. લોકોની મજાકો અને અપમાનો જાણે અસર કરવા બંધ થઈ ગયાં. હજુ એને ખબર તો ન જ પડતી, કે કેમ આટલા બધા લોકો એને દીકરો કહી બોલાવે છે. એને દીકરો કહી બોલાવવાવાળાઓમાં એ લોકો પણ હતા, જેમણે એની માનું શોષણ કર્યું હતું, એવાઓ પણ હતા, જે એને દીકરો કહી, બીજાઓ સામે એવી છાપ ઊભી કરવા માંગતા, કે એવી સુંદર સ્ત્રીને તેઓ પણ ભોગવી ચુક્યા હતા. પોતે કાંઈક ઊંચા છે, એવો ભ્રમ તેઓ ઢૂબા સામે નીચ નજરે જોઈ મેળવતા.

હિતેશે જે વાત કરી હતી, એનું આ મારું હાલનું અર્થઘટન છે. એ વખતે ‘પુરુષો સાથે અવૈવાહ્ય સંબંધ રાખનારી સ્ત્રીને જો શિથિલ ચારિત્ર્ય કહેવાય, તો અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવામાં નિપુણ પુરુષોને તમે શા માટે ખેલાડી કહો છો!’ એવું પૂછી શકવાની બુદ્ધિ હજુ આવી ન હતી.

આ વાતના ત્રણ વર્ષ પછી ફઈના ઘરે ગયો હતો. હું અને હિતેશ ફરી ત્યાં ગયા. ઢૂબો ત્યાં જ હતો, એ જ કામ કરતો હતો, જે એને પહેલાં કરતો જોયો હતો. યંત્રવત્. પણ, આ વખતે એક ફેર જોયો. ઢૂબો પહેલાં જેવો નિસ્તેજ નહોતો દેખાતો, તેજસ્વી પણ નહીં. પહેલાં ભાવશૂન્ય હતો, આ વખતે પણ પ્રફુલ્લિત તો નહીં જ. પહેલાં બાળક હતો, હવે કુમારતા ઓસરી રહી હતી, અને તારુણ્ય પ્રગટી રહ્યું હતું. મા પાસેથી વારસામાં મળેલી મોટી મોટી આંખો પહેલાં દયામણી લાગતી, પણ આ વખતે એમાં ભારોભાર વ્યાકુળતા ભરી હતી.

કોઈ એને દીકરો કહી બોલાવતું તો આંખો ફરિયાદ કરી ઉઠતી, પણ ફરિયાદ કરવા એની પાસે શબ્દો ન હતા, કે ન હતું એના અપમાનનો વિરોધ કરવાનું સામર્થ્ય. એકધારું કામ કર્યે રાખતો, પણ એના નમણા ચહેરા પર એક સરખી વિકળતા દેખાઈ રહેતી. ઢૂબાને સમજણ પડવી શરૂ થઈ ગઈ હતી કે ચાલુ, વંઠેલ, શિથિલ ચારિત્ર્ય, હલકટ, રખડેલ, સ્ત્રી લોકો કોને કહે છે, અને એનો અર્થ શું થાય. એને ખબર પડી ગઈ હતી કે શા માટે આટલા બધા લોકો એની નીચ મજાક 'દીકરો' કહીને કરે છે. બાપ તો મરી ગયો હતો, મા હતી, જેને એ પોતાની અપમાનપાત્ર પરિસ્થિતિ માટે કારણભૂત માનતો. મા માટે એના મનમાં નફરત રોપાઇ ચુકી હતી. પણ, સમાજની કઈ વિડંબનાનો ભોગ એની મા બની હતી, એ સમજણ બિચારામાં આવી ન હતી. એને શું ખબર, કે એની મા કુદરતે જેવી ઘડી હતી એવી જ બની હતી, એમાં એનો શું દોષ! 

ઢૂબો કડવાં અપમાન ઘૂંટડે ઘૂંટડે ઉતારતો જ ગયો. વિરોધ કરતાં તો શીખ્યો જ ન હતો. સામું બોલતાં જ શીખ્યો ન હતો. એને તો આવડતું હતું અપમાન સહન કરતાં, માર ખાઈ લેતાં.

આ વાત મારા માસિયાઈ ભાઈ અભયને કરી, ત્યારે એણે કહ્યું હતું કે એ છોકરો એવો તો ગુનેગાર બનશે કે જેની ક્રૂરતા વર્ણવતાં કોઈને નહીં આવડે, અને જો ગુના કરવાની હિંમત એનામાં નહીં હોય તો એ આપઘાત કરીને મરશે.

ઢૂબાએ ઉંદર મારવાનું ઝેર વાટીને પી લીધું. ચત્તોપાટ પડી ગયો. કોઈએ જોઈ લીધો. દવાખાને લઈ ગયા. બચી ગયો. મા રોતી કકળતી દીકરા પાસે આવી. નર્સે ભૂકો કરી, પ્યાલામાં પાણી સાથે મેળવી આપેલી દવાઓ પોતાના હાથે દીકરાને પાવા પ્રયાસ કર્યો, તો દીકરાએ એના મોઢા પર જ કોગળો કર્યો; અને ત્રાડ નાંખી બોલ્યો ‘સાલી છિનાળ, તારા થકી હું કોઈને ઈજ્જતથી મોઢું ય દેખાડી શકતો નથી.’

મા ડઘાઈ ગઈ. ત્યાંથી ઊઠી ચાલતી થઈ. રાત્રે ઢૂબો હોસ્પિટલેથી ભાગ્યો. જીવનનો અંત જ કરવો હતો. આ વખતે એણે અકસીર ઉપાય વિચાર્યો હતો. સવારે ગામની સીમમાં રેલવે ટ્રેક પર એના શરીરના કટકા મળ્યા.

પણ મરતાં પહેલાં એને એ ખબર ન હતી કે સાંજે હોસ્પિટલથી નીકળી એની મા પણ ઘરે નહતી પહોંચી. એનું પણ શરીર એ જ સવારે એક કૂવામાં તરતું મળ્યું હતું.  

[Thursday, 2 May 2013]

સૌજન્ય : https://www.facebook.com/notes/prahlad-joshi/જાબાલિ/574384095928132  

Loading

શૂન્યારંભી શિક્ષણ

ચેતન શાહ|Opinion - Opinion|6 May 2013

આંતરરાષ્ટ્રીય શાળામાં ભણતી મારી પુત્રીએ, તેના મધ્ય પૂર્વમાંના પાંચ વર્ષનાં રોકાણ દરમ્યાન, તેના ધર્મ વિશે ઘણી વખત ઠઠ્ઠા સહન કરી છે. તેની શાળાની કેમ્પસ ઇકોલોજી પાશ્ચાત્ય છે, તેનાં પાઠ્યપુસ્તકો પાશ્ચાત્ય છે, શિક્ષકો પાશ્ચાત્ય અને અભિગમ પણ પાશ્ચાત્ય છે, અને સહ વિદ્યાર્થીઓનો સંઘ પાશ્ચાત્ય, આરબ અને એશિયન છે. અન્યથા BFF (best friends forever) ગણાતા તેના આરબ અને પાકિસ્તાની સહપાઠીઓ તેને પૂછતા હોય છે, ‘તમે ગાયની પૂજા કરો છો?’ તેઓ, અલબત્ત, આ પ્રશ્ન ઉપાલંભમાં પૂછતા હોય છે, નહિ કે તેનો ઉત્તર જાણવા.

ઘણો સમય આ બાબત ટાળ્યા પછી, છેલ્લે, તેણે મને આવા અનુભવની જાણ કરી. મેં તેને પૂર્વના દર્શન અને સંસ્કૃિતમાં પ્રાણીઓ અને વનસ્પતિનું વૈશિષ્ઠ્ય અને આજના યુગની આધુનિક પરિકલ્પનાઓ જેમ કે carbon footprint, global warming અને PETA (People for Ethical Treatment of Animals) જેવી સંસ્થાઓ સાથે પૂર્વના આ જુગજૂના વિચારોની સંગતતા વિષે વાત કરી. પૂર્વીય પરંપરાઓ (વૈદિક, બૌદ્ધ, જૈન) અને અબ્રાહમિક (યહૂદી, મુસ્લિમ, ખ્રિસ્તી) પરંપરાઓમાં ભગવાન અને ધર્મ વિશે સામાન્ય અને વિરોધાભાસી વિચારોની અમે વાતો કરી. મેં તેને બાંહેધરી આપી કે તે ધર્મ-શ્રદ્ધા, ધાર્મિક પુસ્તકો અથવા માતા પિતાના શિક્ષણ આ બધામાંથી ફક્ત તેની બુદ્ધિને માફક આવે તે જ સિદ્ધાંતો સ્વીકારી, તેના તર્કને અમાન્ય તેવી બધી વાતો ફેંકી દેવા સમર્થ છે. તે આસ્તિકતા અને નાસ્તિકતા અથવા કઈ ત્રીજું અપનાવવા પણ મુક્ત છે. આ સંવાદ પછી તેણે તેનો નિર્ણય લીધો, એ છૂટ સાથે કે તેના નવા અનુભવો અને વિકસતી બુદ્ધિ સાથે તેના નિર્ણયો પણ બદલાશે.

જો કે, આ વાત મારી ટીનેજર પુત્રી વિશે નથી. આ વાત એ તાલીમની છે, જે એક સાંકડી દૃષ્ટિ દ્વારા આ વિવિધતાપૂર્ણ બ્રહ્માંડને જોવા માટે મનુષ્યના માનસ પર ઠોકી બેસાડવામાં આવતી હોય છે. આપણા સંસ્કાર એમ કહેતા હોય છે કે મારા માર્ગથી અલગ બધું ખોટું જ હોવું જોઈએ ! મારાથી અલગ દરેક વ્યક્તિ અજ્ઞાની જ હોવી જોઈએ !

બ્રહ્માંડ અનેક રંગો, લક્ષણો અને દ્રષ્ટિકોણો સાથે બનેલું છે અને તેની વિપુલતા દર ક્ષણે વધતી જાય છે. તેને બનાવનાર જો તેની રચના એકરંગી કરવા માગત તો બ્રહ્માંડ આવું નવરંગી ના હોત ને! કરોડો જીવો, વિવિધ ચહેરા અને રંગોવાળી પ્રજા, અને વિવિધ પરમાણુઓ, વિવિધ ગ્રહો અને વાયુઓ, વિવિધ ભાષાઓ, વિવિધ ખોરાક, કલા અને સંસ્કૃિતઓ ના હોત ને !

લોકો શા માટે આ વિશાળ અને અમર્યાદ બ્રહ્માંડનું અર્થઘટન એવું કરતાં હોય છે, જેમ એક બાળક તળિયેથી પર્વતની ટોચનું વર્ણન કરતુ હોય ? શા માટે મનુષ્ય કોઈ નૂતન દર્શન અને નૂતન સંસ્કૃિત ને પોતાના કથિત સત્ય અને કથિત ધર્મના ત્રાજવામાં તોળતો હોય છે  ? શા માટે આપણે આપણા જરી પુરાણા સત્યોને પડકાર નથી ફેંકતા, જેથી જ્ઞાનની સીમાઓ વિસ્તૃત થાય ?

ગોઠણીયાભેર નિર્દોષ અને અજ્ઞાન બાળકની જેમ શા માટે આપણે નવા સ્વાદ અને સ્પર્શની  શોધમાં નીકળી નથી પડતા ? શા માટે આપણા બંધ બારીના ઓરડા જેવા જ્ઞાનના ભાર તળે દબાઈ આશ્ચર્ય અનુભવીએ છીએ કે ગાય તે કદી પૂજાય ?

શા માટે આપણે ‘હું અને મારી માન્યતા’ને બાજુ પર મૂકી ‘તું બ્રહ્માંડ અને તારું અમર્યાદ દર્શન’ને નથી અપનાવતા ?

શા માટે આપણે શૂન્યથી શરૂ થતું શિક્ષણ નથી ઇચ્છતા ?

Loading

સંગીતમાં રાગ અને રસ

અારાધના ભટ્ટ|Opinion - Opinion|6 May 2013

'રસ' શબ્દની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે, જેનો આસ્વાદ કરી શકાય તે 'રસ'.  'आस्वाद्यते इति रसः'. રસ શબ્દમાં મુખ્ય ત્રણ ભાવો નિહિત છે : રસ એ અનુભવનો વિષય છે, રસ એ અર્ક કે સત્વ છે, અને રસ અસ્થાઈ, ગતિશીલ છે. ભરતમુનિના પ્રબંધ-ગ્રંથ 'નાટ્યશાસ્ત્ર'માં રસનિષ્પત્તિ, 'વિભાવ’(ઉદ્દીપક પરિસ્થિતિ), 'અનુભાવ’ (ભૌતિક પરિણામ કે અભિવ્યક્તિ – જેમ કે અભિનય)' અને 'વ્યભિચારી’(અશાશ્વત મનોભાવ) એ ત્રણ પરિબળોને આધારે હોવાનું જણાવાયું છે. આ ત્રણેનો સમન્વય થતાં જે અનુભૂતિ થાય છે તે 'આસ્વાદનીય' છે. ભરતમુનિના 'નાટ્યશાસ્ત્ર' વિષયક ભાષ્ય 'અભિનવભારતી'ના સર્જક, સંગીતશાસ્ત્રજ્ઞ અને સૌન્દર્યશાસ્ત્રજ્ઞ અભિનવગુપ્તના મતાનુસાર રસ, શ્રોતા કે રસિકના મનમાં સ્થિત હોય છે. કળાકાર દ્વારા રજૂ થતી કળા, એ રસને માટે ઉદ્દીપક બને છે. એટલેકે સંગીતમાંથી કે અન્ય કોઈ પણ કળામાંથી આનંદ મેળવવો એ સંસ્કારગત બાબત છે.

તૈતરીય ઉપનિષદકાર રસાનુબોધ કરાવતાં કહે છે : रसो वै सः , બ્રહ્મ એ જ રસ છે. પછી એ કહે છે रसं हि एव अयं  लब्ध्वा आनंदी भवति. જ્યારે માનવીને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે જાણવું કે એને રસની પ્રાપ્તિ થઈ છે. જેમ બ્રહ્મ એ જ રસ છે તેમ આનંદ એ જ બ્રહ્મ છે. બ્રહ્મ આનંદસ્વરૂપ છે, સત, ચિત અને આનંદ એ બ્રહ્મનાં લક્ષણો છે . તૈતરીય ઉપનિષદ એમ પણ કહે છે 'यदि आकाशे आनंदों न स्यात, कः प्राण्यात कः अन्यात. ' જો આકાશમાં (એટલે કે જગતમાં) આનંદ ન હોત તો કોઈ મનુષ્ય કે પ્રાણી કઈ રીતે જીવિત રહી શકે? આમ રસનો સંબંધ માત્ર કલાઓ કે સૌંદર્યશાસ્ત્ર પૂરતો સીમિત નથી, પણ આપણાં શાસ્ત્રોએ એને ‘બ્રહ્મ’નું ઉચ્ચતમ સ્થાન આપ્યું છે.

રસ એ વ્યક્તિના અંતઃકરણની સમૃદ્ધિ છે. માનવીનું મન એના ઇન્દ્રિયબોધ અનુસાર સુખ-દુ:ખ અનુભવે છે. ઇન્દ્રિયોની સહાયથી મન નિરંતર આનંદની શોધ કરતું હોય છે. માનવીના અંતઃકરણની વિશિષ્ટ ભાવનાઓના ઉત્કર્ષને શાસ્ત્રોમાં 'રસ' કહેવાય છે. બીજી રીતે કહીએ તો કોઈક સાધારણ ઘટના,અનુભવ કે વસ્તુ, મનમાં અસાધારણ નવીનતા ઉત્પન્ન કરે ત્યારે એને 'રસ' કહે છે. મનુષ્ય-હૃદયમાં  સ્થાયીભાવો સદા વિદ્યમાન છે. એ ભાવોના ઉદ્દીપનથી રસ ઉત્પન્ન થાય છે અને રસમાંથી કળાજન્ય સૌન્દર્યની ઉત્પત્તિ થાય છે. આને જ સૌન્દર્યશાસ્ત્ર કે એસ્થેટિક્સ કહે છે. જીવનને સ-રસ કે નિ-રસ બનાવવામાં ભાવકનું ભાવવિશ્વ અધિકાંશ ભાગ ભજવે છે.

સાહિત્યના સંદર્ભે રસ-શાસ્ત્રમાં નવ રસ ગણાવાયા છે. ભારતના નાટ્યશાસ્ત્રમાં આઠ રસોનો ઉલ્લેખ છે અને પછી અભિનવગુપ્તએ નવમા રસ તરીકે શાંત રસનો ઉમેરો કર્યો.
श्रुंगारहास्य करुणरौद्र वीर भयानका:I
बिभत्सोद्भुत इत्यष्टौ रस शांतस्तथा मत: II
શ્રુંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, અને શાંત આ નવ રસ ઉપરાંત મનુષ્ય ભાવજગતમાં તેત્રીસ ‘વ્યભિચારી ભાવો’ છે, જે મૂળ નવ રસમાંથી ઉદ્દભવે છે. જેમ એક રંગની અનેક અાભાઓ અને છાયાઓ હોય તેમ એક જ રસમાં અનેક ભાવો સમાયેલા છે. ઉદાહરણાર્થે શૃંગાર રસ લઈએ તો એમાં હર્ષ, આનંદ, ઉન્માદ, વિસ્મય, મોહ, ઈરોટીસીઝમ – લૈંગિકતા, સ્વાર્પણ, આરાધના, વગેરે ભાવો નિહિત છે.

પરંતુ સંગીતમાં, શૃંગાર, હાસ્ય, કરુણ, અને શાંત – એ ચાર રસોમાં નવેનવ રસ હોવાનું મનાય છે. આપણું શાસ્ત્રીય સંગીત રસલક્ષી છે. મતંગની બૃહદ્દેશીમાં રાગ-વિમર્શ કરતાં રાગની વ્યાખ્યા આ પ્રમાણે અપાઈ છે:  ‘योयं ध्वनी विशेषस्तु स्वर-वर्ण विभूषित:, रंजको जनचित्तानाम स रागः कथितो बुधै:’ સ્વરોનો એવો સૌંદર્યસભર સમૂહ જે રંજક હોય (અને અન્ય કેટલાક શાસ્ત્રીય નિયમોને અનુસરે) તેને રાગ કહે છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ પણ 'અભિનવ રાગમંજરી'માં રાગની વ્યાખ્યા કરતાં રંજકતાને રાગનો ગુણધર્મ ગણાવ્યો છે. રંજકતા એ મનનો વિષય છે, તેથી એ સામાન્યજનોના ઉપયોગનું સાધન છે. પરંતુ સ્થૂળ રંજકતાથી ઉપર ઊઠીને સૂક્ષમમાં પ્રવેશ કરતાં રસનો સંચાર થાય છે, મનને ચિત્તનું પદ પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ યોગનો વિષય છે અને યોગિઓ આવી ચિરંતન સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જનસામાન્ય માટે સંગીત અથવા અન્ય ઉત્તમ કલાઓ એને આવી ઊર્ધ્વ અનુભૂતિ કરાવી શકે. સ્થળ, કાળ, સંબંધ, સ્થિતિ બધું ભૂલીને વ્યક્તિ જ્યારે અનિર્વચનીયના પ્રદેશમાં પ્રવેશે ત્યારે એના હૃદયમાં જે આનંદનો અવિર્ભાવ થાય છે એને રસાનુભૂતિ કહે છે. સૌન્દર્યબોધ અથવા રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવક સંગીતના મર્મજ્ઞ હોવા જરૂરી નથી. માત્ર સહૃદય વ્યક્તિને જ આ અનુભવ થઈ શકે છે, કારણ કે સંગીત એ  સમજવાનો  નહીં પરંતુ અનુભવનો વિષય છે. શબ્દ સમજવાનો હોય છે, પણ સ્વર અનુભવવાનો હોય છે.

આપણી સંગીત પરંપરામાં રાગોની પ્રકૃતિ હોવાનું આપણે માનીએ છીએ. કેટલાક રાગો ચંચળ પ્રકૃતિના છે તો કેટલાક ગંભીર. રાગોની પ્રકૃતિના આ વિશાળ વર્ગીકરણને આગળ લઈ જતાં રાગોને જુદા જુદા રસો નિષ્પન્ન કરનાર તરીકે વર્ગીકૃત થાય છે. રાગોનું વર્ગીકરણ એના સ્વરોની સંખ્યા પ્રમાણે, એમાં આવતા સ્વરોના પ્રકાર (શુદ્ધ, કોમળ કે તીવ્ર)ના આધારે જુદી જુદી રીતે થાય છે. રાગોની પ્રકૃતિ પ્રમાણે એમના ગાયન કે વાદનનો સમય પણ શાસ્ત્રોમાં જણાવાયો છે. પંડિત ભાતખંડે લિખિત 'હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ'માં તેમણે રસ પ્રમાણે રાગોને ત્રણ વિભાગમાં વહેંચ્યા છે : ધ (ધૈવત) કોમળવાળા સંધિપ્રકાશના રાગો શાંત અને કરુણ રસના, ધ શુદ્ધવાળા રાગો શૃંગાર રસના, અને ગ (ગાંધાર) તથા નિ (નિષાદ)કોમળવાળા રાગો વીર રસના સંવાહક છે એવું તેમણે દર્શાવ્યું છે.

જેમ રાગોને રસ સાથે જોડવામાં આવ્યા છે, તેમ આપણા પ્રાચીન ગ્રંથકારોએ સ્વરને પણ રસ સાથે જોડ્યા છે. ૧૩મી સદીના સંગીતશાસ્ત્રી શારંગદેવે સંગીતશાસ્ત્રની તેમની મહાન કૃતિ – ‘મેગ્નમ ઓપાસ’ – 'સંગીત રત્નાકર'માં જુદાજુદા સ્વરોને વિવિધ રસો સાથે પ્રથમ વાર સાંકળી લીધા. સા અને રે, વીર, રૌદ્ર અને અદ્દભુત રસોના, ધ બિભત્સ અને ભયાનકનો, ગ અને નિ કરુણ રસના, અને મ તથા પ હાસ્ય અને શૃંગાર રસના પોષક છે. જો કે દરેક સ્વરને કોઈ એક રસસૃષ્ટિ સાથે જોડી શકાય એવું વાસ્તવમાં લાગતું નથી. રસનિષ્પત્તિ એ સ્વર-સમૂહો અને તેમાં સ્વરોનું પ્રયોજન, સ્વરોની ચાલ, અને સંગીતકારની પોતાની રસાનુભૂતિ અને સજ્જતા વગેરે અનેક પરિબળોનું સામુહિક પરિણામ જ હોઈ શકે. ૨૦મી સદીના સંગીતજ્ઞ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ મત જાહેર કર્યો કે કોઈ એક રાગને એક રસ સાથે જોડી શકાય નહીં, માનવમનની અને સંગીત કળાની સૂક્ષ્મતાને જોવાની એ બહુ પ્રાથમિક દૃષ્ટિ છે. તેમણે સંગીતના સૂરોને જ નહીં, પણ એમાં લય, તાલ વગેરે અનેક પાસાઓને રસનિષ્પત્તિ સાથે સાંકળી લીધા.

રસ નિષ્પત્તિ સાથે સંકળાયેલું સંગીતનું એક મહત્ત્વનું અંગ તે રાગોનું સમયચક્ર. દિવસના અને રાત્રિના પ્રહારોમાં ગવાતા રાગોની વર્ગીકરણ પદ્ધતિ આપણી પરંપરામાં સ્વીકૃત છે. રાગોમાં પ્રયોજતા સ્વરોમાંથી ખડા થતા વાતાવરણને અને દિવસ-રાત્રિના સમયચક્રના કોઈક અકળ સંબંધ સાથે રસ-સિદ્ધાંતને સંબંધ છે. તે જ રીતે  હિન્દુસ્તાની સંગીતમાં ઋતુઓના રાગો ગવાય છે. વસંત, બહાર, મલ્હાર જેવા રાગો વસંતઋતુ અને વર્ષાઋતુના રાગો છે. શાસ્ત્રીય સ્વરાયોજન અનુસાર કોઈ એક ઋતુના યોગ્ય વાતાવરણમાં, શ્રોતાઓની માનોભાવનાઓને સમજીને, કોઈ રાગ છેડવામાં આવે, તો રસની ઉત્પત્તિ જરૂર થાય છે. તાનસેન, બૈજુ બાવરા, અને તાનારીરીની રાગ દીપક અને મલ્હારવાળી કથા સર્વવિદિત છે. જ્યારે રાગો કોઈ વાદ્ય ઉપર વગાડવામાં આવે ત્યારે, એમાં શબ્દો ન પ્રયોજાતા હોવા છતાં, માત્ર સ્વરો પણ રસોત્પત્તિ કરવાની ક્ષમતા ધરાવે છે.

કલાકારનું લક્ષ્ય શ્રોતાના સ્થાયીભાવોને જગાડી એને રસમાં તન્મય કરવાનું હોય છે અને એ જ કલાકારની નિપુણતાનું દ્યોતક છે. સંગીતકાર એની સૌંદર્યસાધના, સ્વર, તાલ, લય અને કાકુભેદ દ્વારા કરવા પ્રયત્ન કરે છે. સ્વરોના વિશિષ્ટ લગાવને ‘કાકુ’ કહે છે, જેમાં સ્વરોની ગતિ એનું ઊંચા-નીચાપણું વગેરે કલાકૌશલનાં વિવિધ પાસાંઓનો સમાવેશ થાય છે. એટલે, એક ઉદાહરણરૂપે, પ્રાતઃકાલીન રાગ લલિતમાં ગવાતી બંદિશ 'રૈન કા સપના ..' એ શબ્દસમૂહને જુદાજુદા સ્વરો લઈને ગાવાથી ગાયક કલાકાર શ્રોતાના ચિત્તને રસાન્વિત કરવામાં સફળ થાય છે. સંગીતમાં થતી રસનિષ્પત્તિમાં ગાયન-વાદનની શૈલીઓ એટલે કે પરંપરાગત ઘરાનાઓ પણ કેટલેક અંશે ભાગ ભજવે છે. કેટલાક પ્રકારનું સંગીત સામાન્યજનને વધુ 'ભાવવાહી' લાગે છે. કેટલાક ગાયકો કે વાદકોની શૈલી વધુ ભાવવાહી હોવાનું સંગીત સમીક્ષકો માને છે. અથવા તો કોઈ જ બુદ્ધિગમ્ય કારણ વિના કોઈ સંગીત વધુ સ્પર્શી જાય એવું લાગતું હોય છે. કોઈક ગીત કે રાગ સાંભળીને કોઈ ભાવક પોતાના રૂવાં ખડાં થઈ ગયાંનું વર્ણન કરે તો કોઈ આશ્રુની ધારા વહેવાની વાત કરે. 'ભાવ'નો આ સ્પર્શ તે કદાચ 'રસ' નું પ્રાથમિક સ્વરૂપ.

સંગીત એ રંગમંચની કળા છે. તેથી રસનિષ્પત્તિના શાસ્ત્રોક્ત વિમર્શ કરતાં વ્યવહારમાં સંગીતકાર  રસનિષ્પત્તિનું પોતાનું ધ્યેય કઈ રીતે સિદ્ધ કરે છે એ મહત્ત્વનું છે. સંગીતકાર પોતે, જે તે રસને  તીવ્રપણે  અનુભવે, કહો કે, એ રસમાં પોતે ખૂંપી જાય તો જ એના સ્વરો એ રસના વાહક બની એના ભાવકોને સ્પર્શશે. આપણા સંગીતનો વારસો સદીઓથી ગુરુ-શિષ્ય પરંપરાની તાલીમ દ્વારા જળવાયો છે. બધી જ શાસ્ત્રીય નિપુણતા પ્રાપ્ત કરીને સાધનારત શિષ્ય જ્યારે ગુરુના આશિષ મેળવે, ત્યારે સાચા અર્થમાં ગુરુનું જ્ઞાન સંપાદન કરવાનો એ અધિકારી બને છે અને ત્યારે એ સંગીતની દિવ્ય અનુભૂતિ કરી શકે છે. સંગીતકારને રસની આવી તીવ્ર અનુભૂતિ માટે ગુરુના આશીર્વાદ, કલાની સાધના, અને અખૂટ શ્રદ્ધા જરૂરી છે. જ્યારે પોતાનો અંતર્ગત  રસ એ એના ભાવકો સુધી પહોંચાડી શકે અને બધા એ  રસમાં તરબોળ  થયાનો  અનુભવ  કરે  ત્યારે રસ-શાસ્ત્રમાં એને રસનું 'સાધારણીકરણ' કહે છે. રસાનુભૂતિ માટે શ્રોતા કે ભાવકની સહૃદયતા અનિવાર્ય ગણાઈ હોય અને બુદ્ધિ કે સંગીતના જ્ઞાનને ભલે ગૌણ ગણાયું હોય, સંગીતની રજૂઆત કરનાર કલાકાર પોતાની તાલીમ અને શાસ્ત્રીય નિયમોને આધીન રહીને સંગીતની રજૂઆત કરતો હોય છે. એની રજૂઆતમાં ચમત્કારિતા માટે એ વૈચિત્રીકરણ, ગણિત વગેરે સાધનોનો વિચારપૂર્વક વિનિયોગ કરે છે. સૌન્દર્યની ચરમ સીમાના આકાશને આંબવા મથતા કલાકારે સતત શાસ્ત્રોક્ત નિયમ અને તાલીમની ધરતી ઉપર સ્થિર રહેવાનું છે.

ગાનસરસ્વતિ કિશોરી આમોણકર કહે છે કે તેઓ જ્યારે કાર્યક્રમ આપવા કાર્યક્રમના સ્થળે જઈ રહ્યાં હોય છે ત્યારે અંદર એક વાતાવરણ હોય છે. અંતરતમની એ ખૂબ નાજુક સ્થિતિ છે, અંદરના એ વાતાવરણને તેઓ ખૂબ જતનથી સાચવીને રાખે છે. ઈશ્વર જાણે કે સ્વરોના સ્વરૂપે અવતરવા તૈયાર થઈ રહ્યા હોય એવી એ અનુભૂતિ હોય છે. જુદાજુદા સંગીતકારો આ અનુભૂતિને પોતપોતાની રીતે વર્ણવે છે. કેટલાક સંગીતકારો પોતાના કાર્યક્રમો પૂર્વે મૌન રાખે છે, એનો હેતુ પણ કદાચ અંતરમનમાં આકાર લઈ રહેલી રસોર્મિઓનું સંવનન કરાવાનો હશે.  

સંગીતનું રસ-સૌન્દર્ય બુદ્ધિથી પર છે. બધી કળાઓ પૈકી ફક્ત સંગીત એક એવી કળા છે જેનું સ્વરૂપ ચોક્કસ નાદબિંદુઓ (સ્વરો) ઉપર આધારિત છે. એટલે એ રીતે જોઈએ તો સંગીતનું સૌન્દર્ય સ્વયંસ્ફુિરત છે, કારણ કે જગત આખું નાદાધીન છે. રસનું ઉદ્દીપન કરનાર તત્ત્વ અશાશ્વત હોય પણ રસાનુભૂતિ જેને આનંદભાવ પણ કહેવામાં આવે છે તે ભાવકના ચિત્ત ઉપર ચિરંતનકાળ સુધી અંકિત થઈ એને પરમની પાસે લઈ જાય છે. ઓગણીસમી સદીના અંગ્રેજી ‘રોમેન્ટિક’ કવિ શેલીની પંક્તિઓ આપણા સંગીત અને રસ-શાસ્ત્ર માટે પણ એટલી જ પ્રસ્તુત છે : Music, when soft voices die, vibrates in the memory. 



e.mail : aradhanabhatt@yahoo.com.au

Loading

...102030...4,1804,1814,1824,183...4,1904,2004,210...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved