Opinion Magazine
Number of visits: 9697788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકતંત્ર સામે ઊભા થયેલા નવા પડકારો

સનત મહેતા|Samantar Gujarat - Samantar|27 March 2013

ગઠબંધનની મજબૂરી: પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ રાષ્ટ્રને જોખમમાં મૂકે છે

વિશ્વમાં રાજાશાહી અને સામંતવાદનો અંત આવ્યો અને લોકતંત્રનો ઉદય થયો. એ ઐતિહાસિક ઘટનાએ સામાન્યમાનવીના યુગનો આરંભ કર્યો. લોકતંત્રના વિકાસના કારણે જ દરેક પુખ્ત માનવીને સ્ત્રી કે પુરુષને ધર્મ, જાતિ, રંગ કે ભાષા એવા કોઈ ભેદભાવ વગરનો હિ‌સ્સો, મતાધિકારને કારણે મળ્યો. જેમ જેમ લોકતંત્ર મજબૂત બનતું ગયું એમ માનવજાતને એના વાણી, લેખન, વિચારની સ્વતંત્રતા વધુને વધુ ચોક્કસ સ્વરૂપે મળતી થઈ. હવે આગળ ચાલીને એને શિક્ષણ, આરોગ્ય, માહિ‌તી, અન્નનો અધિકાર મળવા લાગ્યો છે.

ભારત દોઢસો વરસ, સામ્રાજ્યનું ગુલામ બનીને જીવ્યું અને ભારતને એમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા એક નવા પ્રકારનું અહિંસક હથિયાર મહાત્મા ગાંધીએ આપ્યું અને અહિંસાના રસ્તે ભારત આગળ વધ્યું પણ ૧૯૩૯ના બીજા વિશ્વયુદ્ઘ સમયે ધીરજ ખૂટી અને આવા અહિંસા અને સત્યને વરેલા ગાંધીએ પણ કહેવું પડયું 'બ્રિટિશો-હવે ભારત છોડો’ 'કવીટ ઇન્ડિયા’ અંગ્રેજોએ બહુ દલીલો કરી કે 'તમે ભારત સંભાળી નહીં શકો’ ત્યારે પણ ભારત વતી ગાંધીએ કહેવું પડેલું 'તમે ટળો અમને અમારા ભાગ્ય પર છોડી દયો’ જતાં જતાં અંગ્રેજ મુત્સુદ્દીગીરીએ ભારતના ભાગલાનો પાસો ફેંકયો. ગાંધીની અનિચ્છા છતાં ભાગલા પડયા. ૧૯૪૬-૪૭ના રક્તપાતના દિવસો જોતાં એમ લાગતું હતું કે ભારતમાં હિ‌ન્દુ-મુસ્લિમ એકબીજા આપસમાં કપાઈ મરશે. પણ ચમત્કાર બન્યો. ભારતની ખુદ રાજધાનીમાં ગાંધીની ગોળી મારી હત્યા કરાઈ.

ગાંધીની વિશાળ છાતીમાં લાગેલા ગોડસેની ગોળીના ત્રણ ઘામાંથી વહેલા 'નિર્દોષના રક્તે’ બધા વેર-ઝેર જાણે ધોઈ નાખ્યાં. કાલની ઘડીને આજનો દિવસ આજે ૬પ વરસથી ભારતનું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર એવું ન એવું ધબકે છે. ઊલટું ૬પ વરસે વિશ્વમાં એવું, જ્યાં વંચિતો વધુ વસે છે ત્યાં લોકતંત્ર મજબૂત છે અને જ્યાં અમીરો આજસુધી વધુ વસ્યા તે યુરોપ, જાપાન, અમેરિકા જેવાં રાષ્ટ્રો આજે નર્બિળ બની રહ્યાં છે. વિશ્વભરના અર્થશાસ્ત્રીઓને આજે હવે વિશ્વ, 'નવોદય-એમર્જિંગ’ રાષ્ટ્રોના હાથમાં છે એમ કબૂલવું પડયું છે. સમાનતાની અહાલેક જગાડનાર સોવિયેટ રૂસ ડઝનથી વધુ રાષ્ટ્રોમાં વિઘટન થઈ લોકતંત્રને વિસારે પાડી ચૂક્યું છે. ખુદ આરબ અને મુસ્લિમ દેશોમાં આરબ વસંતની લોકતાંત્રિક લહરીઓ ફેલાઈ રહી છે. આ લાંબો ઇતિહાસ બતાવે છે કે ભારતના લોકતંત્રને વિશાળ ગરીબી ઉની આંચ પહોંચાડી શકી નથી. પણ રાજકીય પક્ષો તરફથી અજમાવાઈ રહેલી રાજનૈતિક ચાલબાજી અને સત્તાની ભૂખ લોકતંત્ર માટે ગંભીર પડકારો પેદા કરી રહી છે.

કારણ, સાવ સાદું, સીધું છે- ભારતની સ્વતંત્રતાનાં ૪૦ વરસ સુધી લોકતંત્ર લગભગ બે કે ત્રણ- ચાર પક્ષીય ઢબનું રહ્યું. દેશનું નેતૃત્વ રાષ્ટ્રીયકક્ષાના આગેવાનોના હાથમાં રહ્યું. આ નેતૃત્વ રાષ્ટ્રીય રંગે રંગાયેલ અને રાષ્ટ્રીય ભાવનાથી સરભર હતું. પોતાનો કે પોતાના રાજ્ય કે પોતાના ધર્મ કે જાતિ કે ભાષા બધાથી ઉપર રાષ્ટ્રનો વિચાર પ્રથમ થતો. ધીમે ધીમે રાષ્ટ્ર ઘડતરના આ પ્રવાહો મંદ પડતા રાષ્ટ્રસ્તરના નેતાઓની જગા રાજ્ય કે પ્રદેશસ્તરના આગેવાનો લેવા માંડયા છે. પ્રારંભનાં વરસોમાં વિરોધપક્ષે જયપ્રકાશ નારાયણ, રાજગોપાલાચારી, આંબેડકર કે જ્યોતિબસુ કે ડાંગે જેવા આગેવાનો હતા.

કોંગ્રેસ પક્ષે, ૧૯૯પમાં સો વરસ પૂરાં કર્યાં. સ્વાભાવિક જ આટલો જૂનો પક્ષ એવા સ્તરનું રાષ્ટ્રીય નેતૃત્વ આમેય જાળવી શકે એવું બનવું અઘરું છે. એમાં પણ સીતારામ કેસરી જેવા પ્રમુખ થઈ શકયા છે. આમેય ભારતનું રાજકીય પોત પાતળું ને વધુ પાતળું થવા લાગ્યું હતું. સત્તા બહાર પણ નેતૃત્વ આપે એવા- વિનોબા ભાવે, દાદાધર્માધિકારી કે એવા સમાજ સુધારકો રહ્યા ન હતા. અલબત્ત, રાષ્ટ્રીય નેતૃત્વને રાષ્ટ્રીયસ્તરે પડકાર ન મળ્યો પણ પ્રદેશ કે રાજ્યસ્તરના કોંગ્રેસ સામેના ચુનાવી પડકારોમાંથી એવું બનવા માંડયું રાજસ્તરે શક્તિશાળી રાજનેતાઓનો મોટો ફાલ આવ્યો. કોંગ્રેસ સામેના ઉત્તરપ્રદેશના પડકારમાંથી માયાવતી, મુલાયમસિંહ ઉપર આવ્યા. બિહારના પડકારમાંથી નીતિશકુમાર, શરદ યાદવ, રામવિલાસ પાસવાન કે લાલુ યાદવ આવ્યા. પં.બંગાળમાં ડાબેરીઓના લાંબા શાસનને પડકારી મમતા બેનર્જી આવ્યાં.

તાલિમનાડુમાં કોંગ્રેસની જગા કરુણાનિધિ કે જયલલિતાએ અને ઓરિસામાં પિતાનો વારસો નવીન પટનાયક પાસે આવ્યો. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને બાળાસાહેબ ઠાકરે આવ્યા. એક તરફ રાજસ્તરના બળવાન રાજનેતા આવ્યા તો બીજી તરફ કોઈ એક રાજકીય પક્ષને બદલે બહુપક્ષીય જોડાણો સત્તા પર આવ્યાં. એન.ડી.એ., યુ.પી.એ., યુ.ડી.એફ. વગેરે. સંસદમાં દસથી ઓછી સંખ્યા ધરાવતા પક્ષો પણ પોતાનું ધાર્યુ કરાવવા લાગ્યા. બહુપક્ષી જોડાણવાળી સરકારો યુરોપીય દેશોમાં વરસોથી છે. પણ આવા દેશોમાં આ રાજકીય પક્ષો રાષ્ટ્રથી ઉપર જવાની ભાગ્યે જ કોશિશ કરે છે. પણ, ભારતમાં બનેલા ત્રણ-ચાર બનાવો જોતાં લાગે છે કે આપણાં સમવાયી બંધારણની મર્યાદાઓ ઉવેખાઈ રહી છે. પોતાની બહુપક્ષીય સરકારને જોખમમાં મૂકવાની શક્તિનો ઉપયોગ કરી કરુણાનિધિ લંકા સાથેના ભારતના સંબંધો નબળા બનાવવા સુધી પહોંચે તો કેવાં પરિણામ ભોગવવા પડે? શ્રીલંકામાં બેચાર વરસથી ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે. એ ચીનના હાથમાં શ્રીલંકાનાં બંદરો આવે તો ભારતના સંરક્ષણને અસર ન પહોંચે?

વિકાસના ખાસ પેકેજ માટે કરાયેલ દિલ્હીના રામલીલા મેદાનની બિહારની રેલી આજે દિલ્હીના તખ્તની વાત કરે છે. આવતીકાલે પૂરથી કરાતી બિહારની તારાજીના બહાને નીતિશકુમાર નેપાળ સાથેના સંબંધો લગતી કોઈ માગ માટે ભારતની વિદેશનીતિમાં ફેરફાર કરવાની માગણી કરે તો? પ.બંગાળમાં સત્તા હાંસલ કર્યા પછી બાંગલાદેશ સાથે વડાપ્રધાનની તીસ્તા નદીઓનાં પાણી અંગેની સમજૂતી બાબતમાં મમતાએ આવું વલણ અખત્યાર કર્યું હતું ને? જેમ પેકેજના બહાને બંગાળ, બિહાર આવું કરી શકે; કરુણાનિધિ શ્રીલંકાની બાબતમાં રાષ્ટ્રને બદલે તાલીમના મતની વધુ ખેવના કરી શકે તો આવતીકાલે કચ્છના અખાતના કોરી ક્રીક વિસ્તાર સાથેની પાકિસ્તાન સાથેની સમજૂતીમાં ગુજરાતના નરેન્દ્ર મોદી એવું નહીં કરે એની શી ખાતરી? રાષ્ટ્રીય નેતાઓની જગા જ્યારે પ્રાદેશિક કે રાજ્યોના નેતાઓ લે છે ત્યારે આવું બનવાની શકયતા વધી જાય છે. સત્તાની ભૂખમાં રાષ્ટ્રીય પોત પાતળું બનવાય તો રાષ્ટ્ર જોખમમાં આવી પડે.

સનત મહેતા: લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

(સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 27.03.2013)

Loading

ભાડમાં જાય અા વાર્તા

ચિંતન શેલત|Opinion - Short Stories|27 March 2013

'વિમર્શ, હું વિચારું છું કે મારું કોઈ આ કવિઓની જેમ તખલ્લુસ રાખી દઉં.'  બાથરૂમમાંથી હળવા થઈ નીકળતાં, સિંક નીચે હાથ ધરતાં મેં કહ્યું. 'આ મારું નામ લેખક તરીકે ચાલે નંઈ, ચિંતન શેલત, ના, આ નામ વાંચીને જ હું ચોપડી પાછી મૂકી દઉં.'

વિમર્શનું શીર્ષાસન ડોલ્યું નહીં

'શબ્દાર્થ ….' મેં કહ્યું, 'કેવું લાગે ? લેખક શબ્દાર્થ.'

વિમર્શ એકદમ ઊભો થઈ ગયો, અને એકદમ ચક્કર આવતા પાછો સુઈ ગયો.

'એક ઈમેજ છે મગજમાં, એવી ધારદાર છે કે જોવાવાળાને લોહી નીકળી આવે,' વિમર્શે પગ લંબાવતા કહ્યું.

ગણીને ૭ મહિના થયા, વિમર્શે એક સારી કવિતા નથી લખી. એમ ભેદી મગજ છે, ગલીનાં નાકે છોકરાઓ રમતા જોઈને એને ભયંકર ગુસ્સો ચડે છે. કહે છે, 'આ એક્કેક છોકરો મરી જવાનો છે થોડાં વર્ષોમાં. આ એમના મા-બાપ ક્યારેય જુવાન હતાં જ નહીં, બાળકમાંથી સીધેસીધા ડોસા થઈ ગયેલાં. માણસ ૨૦ વર્ષનો થાય એ પહેલાં ફરજિયાતપણે પોતાને સવાલ પૂછવા જ જોઈએ કે 'પોતે કોણ છે?, શેના માટે છે? આ એની જાતનું, જીવવું શું છે?, હોવું શું છે?, આ છાતી ધમણની માફક ચાલ્યા કરે છે તો કોઈ કારણ તો હશે ને?'. બસ, જો આટલા સવાલ પૂછતા આવડી જાયને, તો તમને જોતાં આવડી જાય. આ દરેક માણસને બદલે, માનસ દેખતા આવડી જાય. તુ જો આ શબ્દ જ જો, માણસ અને માનસ. આ કવિતા છે ચિંતન, આ કવિતા છે.', પણ આ મૂર્ખો છે વિમર્શ એની કવિતાથી સમાજસેવા કરવા નીકળ્યો છે. જ્યારે પણ આમ લવારીએ ચડે કે હું એક અડબોથ ઝીંકી દઉં ઉઊંધા હાથની એટલે બેસી જાય થોડીવાર.

'કેવી ઈમેજ?'  મેં પૂછ્યું.

'જો, આમ રસ્તા ઉપરથી કીડીઓનો રાફડો જઈ રહ્યો છે, એકદમ કતારબંધ, પેલા એન.સી.સી.વાળા જતા હોય ને એમ. હું બેઠો છું પગથિયે. મારી એક બાજુ એક બહેન બેઠાં છે. વાસણ ઘસે છે, અને બીજી બાજુ એક કૂતરો છે, એક કૂતરી પર ચડેલો.'

'તું ય એક કામ કર, તારું નામ બદલી કાઢ.'

'શું?'

'દુર્બોધ રાખી દે.'

'એ ચલ ચલ, પાંચ વાગ્યા, રીવર ફ્રન્ટ. ટ્રાફિક વધે એ પહેલાં પહોંચી જઈએ. મારે આ કીડીઓની લાઈનને પછીથી થોડી કેઓટિક બનાવવી છે. ત્યાં જઈને થોડું વધુ ખબર પડશે.' , વિમર્શે ઊભા થઈ જીન્સ ચડાવતા કહ્યું.

'અરે, ના યાર, હું પેલી વાર્તા પર કામ કરું છું, આજે ગમે તેમ કરીને પતાવી નાખવી છે.'

'તું ચલ તો ખરો, તને તારું મડદું ય રીવર ફ્રન્ટથી જ મળી જશે.'

વિમર્શે બાઈકની કીક મારતાં જ મને મારા વિચારોમાં ગુમાવી દીધો. એમ મારી વાર્તાનો પ્લોટ આધુનિક છે, પણ મને સારું આગળ કરવું શું એ ખબર નથી પડતી. એક જીનિયસ માણસ છે, સખત બુદ્ધિશાળી. ખૂબ ક્રિયેટીવ. દુનિયાભરનું વાંચન કરેલું છે. પણ એક દિવસ ઉકળાટમાં આવીને એ કોઈકને મારી નાખે છે. બસ આ કોઈક કોણ હોવું જોઈએ? એની સગી મા? ના ના કામવાળી હોઈ શકે ઘરની. એની કોઈ સ્ટુડન્ટ હોઈ શકે? કોઈ મિત્ર પણ હોઈ શકે. પણ આ માણસ એમ છે હોંશિયાર. એ મારી તો નાખે છે કોઈકને અને આખી દુનિયા જોઈ શકે, પણ સમજી ના શકે, એમ બસમાં મૂકી આવે છે, મડદું. અને તમામ લોકો આખો દિવસ બસમાં આ મડદાને જાણે જીવતું હોય એમ જ વાત કરે છે. કો'ક જરા જગ્યા કરવાનું કહે છે. કન્ડક્ટર ટિકીટ પણ માંગે છે. વળી કો'ક માજી પોતાનું વહુપુરાણ પણ સંભળાવી દે છે. પણ કોઈને ખબર નથી પડતી કે આ મડદું છે. પણ મને એ સમજાતું નથી કે પછી ખબર કેવી રીતે પડશે કે આ મડદું છે? હા, એક કામ થાય, રાત પડે આ બસ છેલ્લી શીફ્ટ પતાવી ઊભી રહે ત્યારે બધાને ખબર પડે તો? ના, ના, કોઈને ખબર પાડવી જ નથી. આ મડદાને વર્ષો સુધી ચલાયે રાખો, આ બસમાં. પણ આ મ્યુિનસિપાલિટીની બસોનું કહેવાય નંઈ. ગમે ત્યારે ખોટકાઈને ભંગારમાં જતી રહે, પછી શું? પણ કેમ, મારે બસ જ રાખવી? ટ્રેન રાખું તો? અરે, પણ પછી આ વાંચવાવાળા, હોંશિયાર, ઓપન ટુ ઈન્ટરપ્રીટેશનમાં લટકી જશે. આ ટ્રેન સર્વત્ર છે, આ ટ્રેન યુનિવર્સલ છે. બસ જ રાખો. એકદમ લોકલ, અહીંની, અત્યારની વાત. મિલ મજૂરની વાત. કોલેજિયનની વાત. અમદાવાદની બહાર માંડ જાય.

રીવર ફ્રન્ટ પર બાઈક પાર્ક કરતાં વિમર્શ ઝગડી પડ્યો, સિક્યોરિટી ગાર્ડ જોડે. વિમર્શે ચોખ્ખી ના પાડી કે એ બાઈક લાઈનમાં પાર્ક નહીં કરે. 'કહે છે, બધા ઘેટામાંનો હું ઘેટો નથી. હું આ ચાલાકી જોઉં છું તમારી, હરામખોરો,', આખરે મારે વચ્ચે પડી ગમે તેમ બાઈક પાર્ક કરાવવી પડી. આમ તો કોઈ દિવસ વિમર્શ ઝગડ્યો નથી, આવી રીતે. હશે, કદાચ પેલી કવિતા હેરાન કરતી હશે. એમ વિમર્શ એક જીનિયસ માણસ છે, સખત બુદ્ધિશાળી. ખૂબ ક્રિયેટીવ. દુનિયાભરનું વાંચન કરેલું છે.

પગથિયાં ઊતરતાં, જાણે કંઈ થયું જ નથી એમ એ બોલ્યો,

'જો, મને મારી ઈમેજનું શું કરવું એ ખબર પડી ગઈ. કીડીઓની કતાર છે, કૂતરો-કૂતરી છે, એક બે'ન છે, વાસણ ઘસ્યા કરે છે. અને બીજી જ ક્ષણે ગલુડિયાં થાય છે કૂતરીને, અને તરત જ એ ગલુડિયાં ભરખાઈ જાય છે. કીડીઓ ભરખી જાય છે. પેલા બહેન એમની ધૂનમાં જ વાસણ ઘસ્યે જાય છે, જોરથી, પછાડી પછાડીને. છેવટે બધાં વાસણ ભાંગીને ભૂક્કો. તો ય ઘસ્યા કરે છે કશુંક, કશાક વડે. જરાય ડિસ્ટર્બ થયા વિના. વિચાર્યા વગર. હું બેઠો છું, જોયા કરું છું.'

'તો પછી આ કૂતરીએ કંઈ કર્યું નંઈ એના ગલુડિયાં ભરખાઈ ગયાં તો?'

'નોનસેન્સ, શું કામ કરે? કેવા સવાલો પૂછે છે? આનો જવાબ આપતા મારે અહીં આખી જિંદગી નથી કાઢી નાખવી.'

'ઓકે ચલ, છોડ. આ મારી વાર્તાના પ્લોટનું કંઈક કર યાર.' , મેં પાળે બેસતાં કહ્યું. 'ચલ, જો એક કામ કરું, પેલો જીનિયસ છે ને એ કોઈ પ્રોફેસર છે અને એની કોઈ સ્ટુડન્ટ છે એને એ મારી નાખે છે. અને પછી બસમાં એનું મડદું મૂકી આવે છે, આ કેવું છે?'

'કોપી છે આ તો,', વિમર્શે રુક્ષતાથી કહ્યું.

'શેની કોપી? ગુજરાતીમાં કોઈએ ક્યાં લખ્યું જ છે?'

'યુજીન આયોનેસ્કો, એનું જ એકાંકી છે, 'ધ લેસન' સેમ પ્લોટ છે.'

'હા, પણ એમાં તો એક સ્ટુડન્ટને મારી નાખે છે અને નવો સ્ટૂડન્ટ આવે છે, ત્યાં પ્લે પૂરો, હું તો એનેય આગળ લઈ જાઉં છું.'

આ વિચાર તો વિમર્શને ના ગમ્યો. એ સાચો છે મારે કંઈક તો બદલવું જ જોઈએ. આ વિમર્શ કેટલું સરળતાથી બે લાઈનની વચ્ચેની વાત સમજી જાય છે? મને હું સાવ અભણ રહી ગયો હોઉં એવું લાગ્યું.

પણ સૌથી વધારે ચિંતા મને વિમર્શની છે. બે દિવસથી વાતે-વાતે ગુસ્સે થઈ જાય છે મારવા ઉપર તો ઊતરી જ આવે છે. આ કવિતા જ એને હેરાન કરતી લાગે છે. બસ, એકવાર પતે, એટલે કદાચ એ પાછો નોર્મલ થઈ જશે.

'થઈ ગઈ, થઈ ગઈ મારી ઈમેજ પૂરી.', ધાબેથી ઊતરીને સીધો આવીને બેસી ગયો ટેબલ પર લખવા માટે, વિમર્શ. 'આ આખા ય સમય દરમિયાન હું બેઠો છું, પગથિયે, અને અંતે મારા હાથ લોહી રંગ્યા છે, કદાચ ચાકુ છે હાથમાં અને હાથમાંથી રેલો દડી જાય છે. કીડીની કતાર તૂટે છે, પણ કીડીઓ બ્રિજ બનાવી લે છે, અને લોહી બધું જ નીચેથી પસાર થઈને રસ્તાની પેલી બાજુ, પગ નીચે ..'

'કોના? પગ નીચે?', મેં ડરતા ડરતા પૂછ્યું, ગુસ્સે ના થઈ જાય.

'કોના વળી? તારા જ તો?', વિમર્શે સામે જોયા વગર જવાબ આપ્યો.

એની કવિતા પતી ગઈ પણ ફરક તો પડ્યો નહીં એનામાં, એ વધુ ને વધુ હિંસક થઈ રહ્યો છે. જીનિયસ, વિમર્શ જેવો જીનિયસ આમ વેડફી દેશે એનું ટેલેન્ટ તો? મને થાય છે એની જોડે વાત કરું, પણ એને વધુ ગુસ્સો અપાવવો નથી. એ કંઈ પણ કરી નાખે. એની કવિતા પતી ગઈ, કોઈએ ગણકારી પણ નહીં, મારી વાર્તા, વાર્તા તો અધૂરી જ છે, એણે હજી કોઈનું ખૂન નથી કર્યું, કરશે ખરો. કોનું ખબર નહીં. કોણ હોય? કોઈ છોકરી? કોઈ ભીખારી? કોઈ દુશ્મન? ના, કોઈ નજીક નું હોઈ શકે? કોણ? કોઈ મિત્ર? હોઈ શકે. જે પણ થાય, ભાડમાં જાય આ વાર્તા. 

https://www.facebook.com/#!/cdshelat?fref=ts

Loading

શોકોદ્ગાર

રાજેન્દ્ર શુક્લ|Poetry|26 March 2013

છત્રપલંગા મૂકી છેટા રે !

પીપલ કે નીચે ક્યૂં લેટા રે !

બિથા કોઈને યે ના વહેંચી રે,

આવા તે કેવા એકલપેટા રે !

ગોકુળમાં તો ગાયું ચરાવી રે,

પછી ઠેઠ લગ હાંક્યાં ઘેટાં રે !

ભેળા થઈને નામ જ બોળ્યું રે,

વડ જેડા ના નીવડ્યા ટેટા રે !

છેલ્લું યે કાંઈ નવ બોલ્યાં રે,

એક પલ મેં અવતાર સમેટા રે !

23 માર્ચ 2013ના રોજ, ‘વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’ અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વ્ારા આયોજિત, મુશાયરામાં, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં, ઋષિકવિ રાજેન્દ્ર શુકલના ઘેરા ગિરનારી કંઠે રજૂ થયેલી 'ગઝલ અને મરસિયાના સંયોજનની' એક અનોખી પ્રસ્તુતિ.

આપેલી લિન્ક પર જઈ આ સાંભળી શકાશે.

https://soundcloud.com/pancham-shukla/rajendra-shukla-kyu-leta-re-23

Loading

...102030...4,1754,1764,1774,178...4,1904,2004,210...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved