Opinion Magazine
Number of visits: 9774226
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇજ્જત

સંજય થાનકી|Opinion - Short Stories|19 June 2013

શિયાળાની રાત .. ઘનઘોર અંધારું .. અમદાવાદનાં લોકો શહેરમાં ટેંશન જેવું વાતાવરણ હોઈ ઘરમાં પુરાઈ ગયાં હતાં. લોકોનાં શ્વાસ અધર હતા. કોઈ પણ ક્ષણે કાંઈ પણ બની શકે તેમ હતું. વાતાવરણમાં અજંપો અને ગમગીની છવાયેલાં હતાં. પોલિસની ગાડીઓ પણ સાયરન વગાડતી રાતનાં અંધકારને ચિરતી ચાલી જતી હતી. કોઈ એકલ દોકલ માણસ રસ્તા પર દેખાતું હતું, બાકી તો શહેરનાં કૂતરાંઓનાં ભસવાનો અવાજ આવતો હતો. શહેરમાં કર્ફ્યુ તો નહોતો લાગ્યો, પણ લોકોએ જ સ્વંયભૂ કર્ફ્યુ પાડ્યો હતો.

એવામાં ગુજરાત મેલનું આગમન થયું. કાળુપુર સ્ટેશનનાં પ્લેટફોર્મ પર લોકોની ચહેલ પહેલ શરૂ થઈ. નિયમિત અપ ડાઉન કરવાવાળા માણસો જલદીથી પોતાનાં ઘરે પહોંચવા ઉતાવળે સ્ટેશનની બહાર નીકળી ગયાં. એસ ૮ નંબરના કોચમાંથી એક અત્યંત સ્વરૂપવાન અને ફેશનેબલ યુવતિ હાથમાં પર્સ ઝુલાવતી પ્લેટફોર્મ પર ઉતરી. તેણે આસપાસ નજર દોડાવી. પ્લેટફોર્મ સાવ ખાલી થઈ ગયું હતું. પ્લેટફોર્મની બહાર નીકળતાં જ ટિકીટ ચેકરે વણમાંગી સલાહ પણ આપી ખરી, ‘બહેન, જરા સંભાળીને રહેજો. અમદાવાદનું વાતાવરણ તંગ છે. કોમી રમખાણોને લીધે શહેરમાં અજંપો છે. ભારેલાં અગ્નિ જેવી હાલત છે. જલદીથી ઘરે પહોંચી જજો.

એકદમ અલ્લડ અને બેફિકરીભર્યાં અંદાજે તેણે ટિકીટ ચેકર તરફ એક કાતિલ નજર ફેંકી. જાણે તેને કશો ડર જ ના હોય. ફેશનેબલ કપડાંમાં સજ્જ તેનું ગોરું બદન ફાટફાટ થઈ રહ્યું હતું. એક્દમ લો કટ અને ડીપ નેક ટોપમાંથી જાણે હમણાં તેનાં ઉભાર બહાર આવી જશે તેવું જણાઇ રહ્યું હતું. તેણે બુઢ્ઢા ટિકીટ ચેકરની સલાહની પરવા કરી નહીં. તે સ્ટેશનની બહાર આવી. બધાં જ મુસાફરો જેને જે હાથ લાગ્યું, ઓટો રિક્ષા, સ્કુટર, કાર વગેરેમાં બેસીને જલદીથી જતાં રહ્યાં હતાં. તેણે થોડીવાર રાહ જોઈ, પણ સ્ટેશનની બહાર તેને કોઈ ઓટો રિક્ષા ના દેખાઈ. તેણે મોબાઈલમાંથી કોઈને કોલ કરવાની કોશિશ કરી, પણ જાણે સામે છેડે નો રિપ્લાય થયો હશે, એટલે તેણે પગપાળા જ પોતાની મંઝિલે પહોંચવાનું નક્કી કર્યું હોય, તેમ સુમસામ રસ્તા પર ચાલી નીકળી.. ધીમા છતાં ય મક્કમ પગલે. સ્ટ્રીટલાઈટનાં અજવાળે તેણે પોતાની મંઝિલ તરફ પ્રયાણ કર્યું.

તેની મંઝિલતો ઘણી દૂર હતી, પણ તેને આશા હતી કે રસ્તા પર એકલી જતી અલ્લડ અને ફેશનેબલ યુવતીને જોઈને કોઈને કોઈ તો જરૂર લિફટ આપી દેશે, નહિતર કોઈ ઓટોરિક્ષાવાળો તો જરૂર મળી જશે. તેની આશા ઠગારી નીવડી. લગભગ એકાદ કિલોમિટર જેવું ચાલવાં છતાં ય તેને ના તો કોઈએ લિફટની ઓફર કરી, કે ના કોઈ ઓટોરિક્ષાવાળાને તે ઊભી રખાવી શકી.

ચાલતાં ચાલતાં તે છેક ‘લી મરેડીઅન’ હોટેલ સુધી પહોંચી ગઈ. હવે તેણે નેહરુ બ્રિજ પર ચાલવા માંડ્યું. બ્રિજની બરાબર અધવચ્ચે પહોંચી હશે તો પાછળથી તેણે બાઈકનો અવાજ સાંભળ્યો.

તેણે પાછળ વળીને જોયું તો બે બાઈક પર સવાર ચાર છેલબટાઉ બદમાશ જેવા લાગતા જુવાનો હતા. તેણે તેમની ફિકર ના કરી ને આગળ ચાલવા માંડ્યું. બેઉ બાઈક સાવ બાજુમાંથી પસાર થઈ ગઈ. એકલી યુવતીને જોઈને તેમાંનાં એકે ગંદી મજાક પણ કરી.

થોડી દૂર ગયા પછી, બેઉ બાઈક પાછી વળી. અને હવે એ લોકો તેની સામેથી આવી રહ્યા હતા. એકદમ સામે આવીને એ લોકોએ બાઈક ઊભી રાખી. હવે બાઈકની હેડલાઈટનો પ્રકાશ તેનાં મોં પર પડી રહ્યો હતો.

ચારે ય બદમાશ જેવા લાગતા યુવાનો બાઈક પરથી નીચે ઉતર્યાં અને સાવ તેની લગોલગ આવી તેને ઘેરીને ઊભા રહી ગયા. એક જણે તો કમરમાં ખોસી રાખેલું રામપુરી ચાકુ બહાર કાઢી લીધું હતું. તે એકદમ ડઘાઈ ગઈ. હજુ તે કાંઈ વિચારે એ પહેલાં તો બે જણાએ તેને બાવડેથી પકડી લીધી, અને ત્રીજાએ તેનું પર્સ ઝુંટવવાની કોશિશ કરી. તેણે પોતાનું પર્સ જકડીને પકડી રાખ્યું. રામપુરી ચાકુવાળા બદમાશે ચાકુ તેની ગરદન પર અડાડી તેને ધમકાવી .. ‘ચાલ, જે કાંઈ હોય તે આપી દે, નહિતર તને અહીં ને અહીં ચૂંથી નાખીશું. તારી ઇજ્જત અત્યારે જ લૂંટી લઈશું ..’

‘અરે, ઇજ્જત લુંટવાની ધમકી કોને આપે છે, તું? લુંટવી હોય તો ઇજ્જત લૂંટી લે, બાકી પર્સ તો નહીં જ આપું. ઇજ્જત લુંટાવીને તો આ રૂપિયા કમાઈ આવી છું …’

e.mail : princeshail@gmail.com

Loading

જીવનસંધ્યાનું સ્વાગત

મીરાં ભટ્ટ|Opinion - Opinion|18 June 2013

‘વૃદ્ધાવસ્થા’ શબ્દનો ડર ? ના, ના … મને એવો ડર જરી કે લાગતો નથી. મને આ શબ્દોની લેશમાત્ર બીક નથી; કારણ કે ઘડપણ મારા જીવનનાં બારણાં ખખડાવે તે પહેલાં, તેના સ્વાગતની મેં તૈયારી કરી લીધી છે. કેવી છે આ તૈયારી ?

વૃદ્ધાવસ્થા સામે તમે કઈ દૃષ્ટિએ જુઓ છો, તેનું ખૂબ મહત્ત્વ છે. તમારા જીવનના આંગણે તિથિ આપીને આવનારો એ મહેમાન, તમારો જીગરજાન દોસ્ત પણ બની શકે અને તમારો જીવલેણ શત્રુ પણ બની શકે. એનો આધાર તમારા અભિગમ પર છે, તમારા દૃષ્ટિકોણ પર છે. કો’ક વહેલી સવારે, અચાનક અરીસામાં જોતાં માથા પર હરતો ફરતો કોઈ સફેદ વાળ તમારા હૃદયમાં હાહાકાર વર્તાવે છે કે હાશકારો કરાવે છે, તેનો આધાર છે તમારા દૃષ્ટિકોણ પર. તમારી માનસિક તૈયારી થઈ ગઈ હશે, તો તમે એ વૃદ્ધાવસ્થાને આવકારવા તત્પર થઈને ઊભા રહેશો. જીવનનાં મહામૂલાં વર્ષો ખરચીને આંગણે આવેલી આ વૃદ્ધાવસ્થા તમારા માટે અણમોલ રતન બની જશે.

ગુજરાતના એક સુપ્રસિદ્ધ સ્વર્ગસ્થ લેખકનો આ દાખલો છે. સદ્દગત રસિકભાઈ ઝવેરી ઇંગ્લેંડના પ્રવાસે જાય છે. લંડનની શેરીઓમાં ભટકતાં ભટકતાં એ અલગારી પ્રવાસી એક નાનકડી ગલીમાં પ્રવેશે છે. જ્યાં સામે નજરે પડે છે – એક કેશગુંફન તથા કેશસુશોભનની દુકાન. દુકાનમાં બેઠેલી બહેને એમને બોલાવ્યા એટલે કુતૂહલવશ એ ત્યાં ગયા. પેલાં બહેન બોલ્યાં : ‘જુઓ મહાશય, તમારા વાળ ધોળા થઈ ગયા છે. તમે આ ખુરશીમાં બેસો, ઘડીકમાં હું આ તમારા ધોળા વાળને કાળા ભમ્મર કરી દઈશ. મુંઝાશો નહીં, આ માટે તમારે કોઈ કિમ્મત ચૂકવવી નહીં પડે. ડેમોન્સ્ટ્રેશન કરવા માટે સામેથી હું તમને વાળ રંગવાની શીશી ભેટ આપીશ.’

ખૂબી લેખકના જવાબમાં છે. એ સફેદ વાળ હેઠળ એક ગજબનું સ્વસ્થ વ્યક્તિત્વ બેઠેલું છે, તેનું ભાન આ જવાબમાં થાય છે. રસિકભાઈ કહે છે, ‘માવડી મારી, માથાના કાળા વાળને ધોળા કરવા માટે મેં મારી જિન્દગીનાં મહામૂલાં પચાસ પચાસ વર્ષો ખરચ્યાં, તે આમ પાણીના મૂલે ઘડીકમાં કાળા કરાવી દઉં ! ના માવડી ના !’

કાળા વાળનું સફેદ વાળમાં રૂપાન્તર એ કેવળ કોઈ સ્થૂળ રૂપાન્તર નથી. આપણા કાન જો સાબદા હોય તો આ રૂપાન્તર કેવળ વાળનું નથી; આપણી વૃત્તિઓનું પણ છે. ભીતર કશુંક બદલાવા માંગે છે. અન્દર કોઈ ક્રાન્તિ સર્જાવાની છે; તેનો આ સળવળાટ છે; પણ આપણે આપણી દોડધામવાળી, કોલાહલભરેલી જિન્દગીમાં અન્દરના અવાજ, અન્દરના સળવળાટ તરફ ધ્યાન આપવા નવરાં જ પડતાં નથી અને પછી ચાલતી રહે છે – ‘વો હી રફતાર બેઢંગી !’

રસિકભાઈ ઝવેરીના આ જવાબમાં માનવના જીવનનું એક પરમ સુન્દર સત્ય છુપાયેલું છે. વૃદ્ધાવસ્થા એ માનવજીવનને ઈશ્વર તરફથી મળેલો અભિશાપ નથી; બલકે વરદાન છે. જીવનની અત્યન્ત કિંમતી મૂડી ખર્ચીને પ્રાપ્ત થતી એ કમાણી છે. એટલી વાત સાચી કે તે ચીંથરે વીંટ્યું રતન છે; પણ મોટા ભાગના લોકોનું એ રતન ધૂળ ભેગું થઈ જતું હોય છે. ઘડપણ બહારથી ઉપલક દૃષ્ટિએ તો, જેમ ચીંથરું જોવું ન ગમે, તેવી જીવનની અણગમતી ચીંથરેહાલ સ્થિતિ જ છે. માથાના વાળ ધોળાભખ્ખ, ચામડી લબડી જાય, ઠેર ઠેર કરચલીઓ, મોઢું સાવ બોખલું અને પગ તો જાણે ગરબે ઘૂમે ! પણ સવેળા ચેતી જવાયું હોય અને સમગ્ર જીવન અંગેની સાચી સમજ કેળવાઈ હોય તો ઉપરનાં આ બધાં ચીંથરાં સરી પડે છે અને અંદરનું ઝળહળતું રતન ઝગમગી ઊઠે છે.

દિવસ-રાતના ચોવીસ કલાક, એમાં મોંસૂઝણું થાય, આભા પ્રગટે, ઉષા આવે, પ્રભાત પ્રસરે, સૂરજ ઊગે, સવાર પડે. સૂરજ માથે ચઢે, બપોર થાય, વળી પાછો મધ્યાહ્ન થાય અને સલૂણી સંધ્યા અને સમી સાંજ પ્રગટે; અને પછી રાત, મધરાત અને પાછું પરોઢ ! દિવસ-રાતના આ એકએક સમયનું – કાળખંડનું પોતાનું એક આગવું સૌંદર્ય છે!

પ્રત્યેકનો એક આગવો આનંદ હોય છે. આવું જ જીવનનું ! શું શિશુ અવસ્થા, શું બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે શું ઘડપણ ! દરેક અવસ્થાને પોતાનું સૌંદર્ય અને પોતપોતાની સમસ્યાઓ હોય છે. સમસ્યાઓ હોવી એ કાંઈ જીવનઘાતી વસ્તુ નથી. એ તો જીવનનો પડકાર છે. સમસ્યાઓને કારણે જીવનનાં ઊંડાણ અને સૌંદર્યો ખૂલતાં હોય છે. વૃદ્ધાવસ્થામાં કદાચ સમસ્યાઓ વધારે હશે અને એ સમસ્યાઓના ઉકેલમાં જ એનો આનંદ અને સર્જકતા માટે વધારે અવકાશ ભર્યો પડ્યો છે.

આપણામાંનાં મોટાભાગનાં લોકોએ રવીન્દ્રનાથ ટાગોર, અરવિન્દ કે વિનોબાને વૃદ્ધાવસ્થામાં જોયા ન હોય; પણ એમની તસ્વીર તો મોટાભાગના લોકોએ જોઈ હશે. ગુરુદેવની એ વયોવૃદ્ધ છબિ કેટલી મનોહર છે ! માથાના રૂપેરી વાળ જાણે એમના સૌંદર્યની વસંત બનીને ફરફરે છે ! એમની આંખોનું તેજ ! ચહેરા પર સ્મિતમાં તો જાણે ત્રણે ય ભુવનનો આનંદ ઘુંટાઈ ઘુંટાઈને કાલવાયો ન હોય ! ક્યાંથી પ્રગટ્યું આ સૌંદર્ય !

વિનોબાની 85 વર્ષની વયે ચામડી જુઓ, જાણે હમણાં જ તાજા જન્મેલા બાળકની સ્નિગ્ધ સુંવાળી, માખણ જેવી મૃદુ ચામડી ! શું આ મહાનુભાવો કોઈ બ્યુટી પાર્લર(સૌંદર્ય પ્રસાધન કેન્દ્ર)માં જઈ કોઈ પાવડર, ક્રીમ કે કોસ્મેટીક લઈ આવતા હશે ? શું છે આ સૌંદર્યનું રહસ્ય ?

રહસ્ય છે – જીવન અંગેની સમજ ! સાચી સમજણમાંથી જ જીવનનું સાચું સૌંદર્ય અને સાચું શીલ પ્રગટી ઊઠે છે ! અને આપણા દેશની ખૂબી તો જુઓ ! અંગ્રેજીમાં ઘરડા માણસને કહેશે ‘ધ ઓલ્ડ મેન’ – જૂનો માણસ. જ્યારે ભારતીય ભાષા એને કહે છે – ‘વૃદ્ધ !’ આ ખખડી ગયેલા દેહવાળો મનુષ્ય જૂનો મનુષ્ય નથી. એ તો વૃદ્ધ છે. વૃદ્ધિ પામેલો અને વળી સતત વૃદ્ધિ પામનારો, નિત્ય નૂતન, નિત્ય વર્ધમાન વૃદ્ધ છે. શું આ વૃદ્ધાવસ્થાના ટોપલામાં કેવળ વર્ષોનો ઢગલો જ ભરેલો છે ?

જી નહીં, એમાં તો છે જીવનનો અમૂલ્ય અનુભવ ! ભાતભાતના અનુભવોથી સિંચાઈને પ્રાણવંત બનેલા જ્ઞાનના તાણા અને જીવનની આકરી તાવણીમાંથી અણીશુદ્ધ તવાઈ, તવાઈને બહાર નીકળેલા તપના વાણાથી વણાયેલી જીવનની આ ચાદર છે. વૃદ્ધના પ્રત્યેક સફેદ વાળમાં અને એના દેહ પર પડતી પ્રત્યેક કરચલીમાં વિતેલાં વર્ષોનો એક ઇતિહાસ છુપાયો છે. જીવાયેલા શ્વાસોછ્વાસનો ધબકાર ગોપાયો છે. જીવનમાં કેટલાંક શાશ્વત સત્યોને આત્મસાત કરી પાલવમાં સંતાડીને આ વૃદ્ધાવસ્થા આવતી હોય છે. વૃદ્ધાવસ્થામાં પ્રગટતી શરીરની ક્ષીણતા એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં જીવનભરના અનુભવોનું ભાથું મૂકો; તો બીજું પલ્લું નમી જશે.

આમ, વૃદ્ધાવસ્થા એ તો જીવનની વૃદ્ધિ, સમૃદ્ધિ અને સિદ્ધિનો સંકેત છે. વૃદ્ધાવસ્થા એટલે કેવળ વર્ષોનો, ક્ષણોનો સરવાળો નથી. એ તો પશુજીવનમાં પણ થાય છે. પણ માનવીની વૃદ્ધાવસ્થામાં તો ક્ષણોની સાથોસાથ જીવનભરના જ્ઞાન, અનુભવ, તપ, સ્નેહ, સેવા અને સુજનતાના સરવાળા થતા હોય છે.

આનો અનુભવ આપણને વનસ્પતિસૃષ્ટિમાં પણ થાય છે. આંબાની જ વાત કરીએ. લીલીછમ્મ કાચી કેરી ખાટી લાગશે. કોઈને માથામાં મારો તો લોહીની ધાર છૂટી જાય તેવી સખત હોય છે; પણ એ જ લીલીછમ્મ કેરી જ્યારે પાકટ બનીને સોનેરી થાય ત્યાર પછીના તેના રસની મધુરતાને કોની સાથે સરખાવી શકીશું ? જાણે પૃથ્વી પરનું અમૃત ! તો આંબો જો વયોવૃદ્ધ થઈને આવો અમૃતરસ રેલાવી શકે તો મનુષ્યમાં તો વિશેષ ચૈતન્ય પ્રગટે છે ! જીવનના આંબાવાડિયામાં વૃદ્ધાવસ્થા આવે તો કેવળ મીઠોમધ મધુર રસ રેલાવવા માટે જ આવે. માણસમાં રહેલ અંધકાર જ્યારે સાવ ગળી જાય છે; ત્યારે તેમાંથી રસસુધા ઝરે છે. આ જ છે માણસનું સત્ત્વ. માણસ એટલે નર્યો દેહ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અંત:કરણ એ માનવીનો આંતરદેહ છે. વૃદ્ધાવસ્થામાં બહારનો સ્થૂળ દેહ ખખડી જાય છે; પણ જીવનભરના તપથી શુદ્ધ થઈ, અગ્નિમાંથી પસાર થયેલા સુવર્ણની જેમ વૃદ્ધ માણસનું આંતરિક વ્યક્તિત્વ ઝળહળી ઊઠે છે.

આમ વૃદ્ધાવસ્થા અંગેની આવી સાચી, સ્વસ્થ પાકટ સમજ કેળવવી – તે બની જાય છે પૂર્વતૈયારી. મોટાભાગના લોકો માટે વૃદ્ધાવસ્થા એ પોતાના સમસ્ત જીવનના ફળરૂપે, પરિપાકરૂપે, આવી મળેલું પરિણામ છે, નિશ્પત્તિ છે. પૂર્વજન્મનાં કર્મો, ટેવો, વૃત્તિઓ, વલણો જેવાં હશે તે મુજબની વૃદ્ધાવસ્થા ઘડાતી આવે છે. એટલે જ વૃદ્ધાવસ્થાનું સમસ્ત સૌંદર્ય પ્રગટ થાય એ માટે પૂર્વજીવનમાં થોડો અભ્યાસ થાય, થોડું ઘરકામ (હોમવર્ક) થાય એ જરૂરી છે. વૃદ્ધાવસ્થામાં માથે ચમકતા રૂપેરી વાળની પોતાની એક સુંદર અને પવિત્ર સૃષ્ટિ છે. એ રૂપેરી વાળ હેઠળના મસ્તિષ્કમાં એક ભવ્ય હીમાલય સર્જી શકાય છે. જ્યાંથી સૌને પાવન કરનારી પૂણ્યસલીલા ગંગા વહી શકે.

લેખિકાના પુસ્તક ‘જીવનસંધ્યાનું સ્વાગત’ – (પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ –૩૮૦ ૦૦૧ : ત્રીજી આવૃત્તિ : ૨૦૦૩; પાનસંખ્યા : ૮૦; મૂલ્ય : ૫૦ રૂપિયા) પુસ્તકમાંથી સાભાર

સર્જક સંપર્કઃ  મીરાંબહેન ભટ્ટ, 73 – રાજસ્થંભ સોસાયટી, પોલો ગ્રાઉન્ડ પાસે, વડોદરા – 390 001

સૌજન્ય: “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષઃ આઠમું – અંક :  270 – May 19, 2013

Loading

વેપાર સાથે સંગીતનો સંગમ

બકુલ ટેલર|Diaspora - Culture|18 June 2013

બ્રિટનમાં ગુજરાતી સુગમસંગીતને ગાતું-સંભળાતું રાખવામાં ચંદુભાઈ મટાણીનો ફાળો મોટો છે

ગુજરાતીઓ પરદેશ જઈ વસ્યા તો પણ ગુજરાતી સંસ્કાર સાથે તો બંધાઈને રહ્યા જ છે – હા, હવેની એ પેઢી કે જે ત્યાં જ જન્મી અને ઉછરી તેના વિશે કહેવું મુશ્કેલ છે. (મા-બાપના મૂળ ગુજરાત-ભારતમાં હોય તેટલા માત્રથી તો તેઓ ગુજરાતી ન જ બની શકે, સાંસ્કૃિતક ઉછેર સાવ જુદી બાબત છે.) હજી ગુજરાતના ગરબા અમેરિકા, યુરોપમાં ગુજરાતીઓની ઓળખમુદ્રાના હિસ્સા છે. તેમને ગુજરાતી વાનગીઓ વિના પણ ચાલતું નથી અને ગુજરાતી ગીત-સંગીત પણ તેમને હૈયે વળગેલાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા આપણા સર્જકતાથી ભરેલા સુગમ સંગીતકાર – ગાયક સતત વિદેશપ્રવાસો કરતા રહ્યા તેનું કારણ પણ એ જ છે. પછી તો બીજા સુગમ સંગીતકારો અને ગાયકો જ નહીં, ડાયરાવાળા પણ પરદેશમાં સ્થાન પામ્યા છે. ગુજરાતી ભાષાની ઓળખ માત્ર તેના લિખિત-મુદ્રિત રૂપમાં જ તો નથી. તેની વાણી અનેક રૂપે પ્રગટી છે. અમેરિકા, બ્રિટનમાં વસેલા ગુજરાતીઓમાંથી હવે તો કેટલાક કવિ અને વાર્તાકાર પણ છે. નાટકો પણ લખે છે. ચંદુભાઈ મટાણીને યાદ કરીએ તો એવું ઉમેરી શકાય કે સુગમ સંગીત અને ગાયનમાં પણ તેઓ સક્રિય છે.

ચંદુભાઈ મટાણી મૂળ માંડવી – કચ્છના. ૧૯૩૪માં જન્મેલા. ચંદુભાઈ માંડવીમાં જ ભણેલા. તેમના પિતા ગોરધનદાસની માંડવીમાં કાપડની દુકાન, પણ ચંદુભાઈને તેમાં રસ નહીં. તેમના મોટાભાઈ ઝામ્બિયા જઈ વસ્યા હતા અને ૧૯ વર્ષની ઉંમરે આ નાનાભાઈ પણ ત્યાં જઈ પહોંચ્યા. ભાઈને વેપારમાં મદદ તો કરે, પણ તેમનો રસ સંગીત અને ફોટોગ્રાફીમાં. તે વેળા શાસ્ત્રીય સંગીતના અગ્રહરોળના ગુજરાતી ગાયક ઓમકારનાથ ઠાકુર જેવા મોટા કળાકાર ઝામ્બિયામાં કાર્યક્રમ માટે આવ્યા હોય, તો તેમને ય સાંભળવા પહોંચે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા પહોંચ્યા હોય, તો તેમની પાછળ પાછળ રહેવા ય પ્રયત્ન કરે. એમને વૈષ્ણવોનું હવેલી સંગીત પણ એવું જ ગમે. ભજનો – સાંભળવા – ગાવામાં ય એવો જ રસ.

આફ્રિકાના દેશોથી ગુજરાતીઓએ બ્રિટન જવું શરૂ કર્યું ત્યારે તેઓ પણ ૧૯૭૦માં બ્રિટન પહોંચ્યા. શરૂમાં પગ જમાવવામાં સમય ગયો, પણ ૧૯૭૭માં લંડનથી લેસ્ટર ગયા ત્યાં ‘સોનલ’ નામે સાડીની દુકાન કરી. ભાગીદારીમાં કરેલી એ દુકાન પછી ૧૯૮૩માં ‘સોના-રૂપા’ નામે સ્વતંત્ર શો-રૂમ શરૂ કર્યો. ગુજરાતીઓ જ નહીં ભારતનાં અન્ય રાજ્યના લોકો પણ ત્યાં વસતા હતા એટલે તેઓ સફળતાથી ગોઠવાઈ ગયા. પોતે એક વિશિષ્ટ રુચિવાળા હતા તે પણ ‘સોના-રૂપા’માં ભળી હતી. તેમને સુગમસંગીતમાં વિશેષ રુચિ હતી તેથી પુરુષોત્તમ ઉપાધ્યાય સહિતના સુગમસંગીતકારોના કાર્યક્રમો પણ પ્રયોજતા થયા. આમ કરવાથી તેઓ એ બધાની વધુ નિકટ આવ્યા અને તાલીમ પણ પામતા ગયા. તેમના ઘરે લતા મંગેશકર, જગજીતસિંહ, ગુલામઅલી જેવાના ઉતારા પણ હોય. પોતાને સુગમ સંગીતના ગાયક તરીકે સ્થાપવાની ઉતાવળને બદલે આ બધા વચ્ચે પોતાને સજ્જ કરતા રહ્યા. ગુજરાતના સાહિત્યકારો પણ બ્રિટન પ્રવાસે હોય તો તેમને ત્યાં ઉતારો કરે જ. નિરંજન ભગત, ચન્દ્રકાંત બક્ષી, સુરેશ દલાલ વગેરે વગેરે.

તેમણે સ્વયં ‘ગીત ગુલાલ’ અને ‘આંખડિયું અણિયાણી’ જેવાં આલબમ પણ પ્રગટ કર્યાં, જેમાં તેમના ઉપરાંત બીજલ અને વિરાજ ઉપાધ્યાય અને હંસા દવેના ય સ્વર છે. સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું છે. પુરુષોત્તમભાઈએ ઘણા સુગમ સંગીત ગાયકોનો પ્રવેશ કરાવ્યો છે તેમાં ચંદુભાઈ મટાણી જરા વિશેષ છે. એટલા માટે કે તેઓ કેસેટ યુગમાં ‘ટાઈમ્સ મ્યુિઝક’ વતી માભોમ ગુર્જરી, સૂર વૈભવ, ભવતારણ્યમ્, શાંતાકારામ્, શ્રદ્ધા, ટ્રાન્ક્વિલિટી, પરમશ્રદ્ધા અને સેરિનિટી જેવી આઠ કેસેટોનું નિર્માણ પણ કરી ચૂક્યા છે. પોતાને સાહિત્યમાં ઊંડો રસ અને કાવ્યમાં રહેલા ગેયતત્ત્વોની પિછાણ. એ કારણે ઉત્તમ રચનાની પસંદગીનું ધ્યાન પણ રાખ્યું. પોતે ભાટિયા કોમના એટલે વૈષ્ણવ સંસ્કાર, સંગીતનો ય સ્પર્શ પામેલા. તેથી ‘જય જય શ્રીનાથજી’ની સી.ડી. પણ બજારમાં મૂકી.

એવું કહી શકાય કે બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી સંગીત સાથે જોડી રાખવાનું કાર્ય પણ તેમણે કર્યું છે. તેમની શોપમાં સાડી પણ મળે અને સી.ડી. પણ મળે. વેપારની સમાંતર તેઓ સંગીત ક્ષેત્રે વિકસ્યા અને તેના પરિણામે લેસ્ટરમાં શ્રુતિ આર્ટ્સ સેન્ટર પણ સ્થાપ્યું. તેઓ પોતાના સંતાનોને પણ તે તરફ ઢાળતા ગયા. ચંદુભાઈ મટાણીની ઓળખમાં સંગીતનાં તત્ત્વો એવાં ભળી ગયાં છે કે તમે તેમને તેનાથી અલગ ઓળખી ન શકો. હિન્દી ફિલ્મના અનેક ગાયક-ગાયિકાઓ કે સંગીતકારો યા ગુજરાતી સુગમ સંગીતકાર – ગાયકો બ્રિટન કાર્યક્રમ યોજવાના ન હોય તો ચંદુભાઈનો સંપર્ક પહેલો કરે. બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગાતા – સાંભળતા રાખવામાં તેમનો મોટો હાથ છે.

સૌજન્ય : લેખકની 'દેશી-પરદેશી ગુજરાતી' કટાર, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 June 2013

Loading

...102030...4,1554,1564,1574,158...4,1704,1804,190...

Search by

Opinion

  • वह एक रात !
  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved