Opinion Magazine
Number of visits: 9697582
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રક્ત, પરસેવા અને આંસુ પર બંધાયેલી ઇમારતો

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|21 June 2013

આધુનિક ટેકનોલોજીની કૃપાથી દેશ-વિદેશમાં બનતી સુખદ અને દુ:ખદ ઘટનાઓની વિગતો તે જ સમયે જોવા મળે,  માનવીની સિદ્ધિઓના નમૂનાઓની ઝાંખી થાય અને સમાચારોની જાણ ક્ષણાર્ધમાં થઈ શકે, એ કાંઈ જેવું તેવું સૌભાગ્ય નથી. ‘યુ ટ્યુબ’ની કમાલનો લાભ લઈને, તાજેતરમાં, એક દૃશ્ય-શ્રાવક અનુભવ થયો તેની આ વાત છે.

બી.બી.સી.ના સંવાદદાતા Ben Anderson દુનિયાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારો અને શોષણથી પીડિત પ્રજાઓની કથાઓનું ફિલ્મીકરણ કરવાની ફરજ બજાવે છે, અને આ કામ કરવાને માટે એમણે ઘણાં જીવના જોખમ ઉઠાવેલા છે. તેમાંનું એક તે એમની દુબઈની મુલાકાત છે. દુબઈમાં ખનીજ તેલનું ઉત્પાદન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, અને એ ચીકણું કાળું નાણું ત્યાંની ગગનચુંબી ઇમારતોમાં સમૃદ્ધિની બાંગ પોકારતું જોવા-સાંભળવા મળે છે. બ્રિટનના નાગરિકોને ત્યાં એકાદ ફ્લેટ ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. પંચ કે સપ્ત તારક હોટેલો, બહુમાળી ઓફિસો અને અત્યાધુનિક આવાસો બાંધવા માટે કુશળ મજૂરો અને કારીગરોની જરૂર પડે જે તેમને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરા પાડે છે. તમે કહેશો એમાં શું ખોટું છે ? કાંઈ નહીં, માત્ર જરા નીચેની વિગતો વાંચીને અભિપ્રાય આપશોજી.  

ઉપરોક્ત દેશોમાં કેટલીક એજન્સીઓ છે જે મજૂરોને દુબઈમાં બાંધકામના ધંધામાં નોકરી અપાવવાનું વચન આપે છે એટલું જ નહીં, સાથે સાથે પૂરતી સગવડવાળાં રહેઠાણ, કેન્ટીનમાં ભોજન, કામના સ્થળ સુધી પહોંચવા માટેના વાહનની વ્યવસ્થા અને તે પણ બધું નિ:શુલ્ક તથા સ્વદેશ પુષ્કળ પૈસા મોકલી શકવાની શક્યતાની મધલાળ પણ આપે છે. હવે નોકરી-ધંધાથી વંચિત અને દેવામાં ગળાડૂબ એ મજૂરો કાં તો નાણાં ધીરનાર પાસેથી પૈસા ઉછીના લઈને કે પોતાની જમીન-વાડી અથવા ઘર સુધ્ધાં વેંચીને, ૨૦૦૦ પાઉન્ડ જેવી માતબર રકમ એ એજન્ટોને ચૂકવીને, સુંદર ભાવિની આશાએ દુબઈમાં નસીબ અજમાવવા જાય છે. દુબઈમાં પગ મૂકતાં જ એજન્ટ્સ મજૂરોના પાસપોર્ટ જપ્ત કરી લે છે જેથી તેમને સંકટ સમયે પાછા જવાનું શક્ય ન બને.

બેન આન્ડર્સન છુપા કેમેરામાં ખરી હકીકત મઢીને, આપણને એક અમાનવીય દશાનું દર્શન કરાવે છે. એ મજૂરોને રહેવા માટે ગામથી ખૂબ દૂર એક ખોલીમાં, આઠથી નવ જણા રહે તેવી ચાલ છે, જ્યાં ૪૫ જેટલા મજૂરો વચ્ચે બે જાજરૂ અને એક બાથરૂમ છે. રસોઈ કરવા માટે ચૂલા છે, પણ ગેસ કે ઈલેક્ટ્રીસિટીનો અભાવ છે તેથી બહાર ચોગાનમાં તાપણું કરીને તેના પર ભાત રાંધીને પેટ ભરવું એ જ એક વિકલ્પ છે. મચ્છી કે માંસ તો અઠવાડિયે માંડ એક વાર ખાઈ શકે, અને વચન આપેલું તેનાથી અર્ધા ભાગનો ય પગાર નથી અપાતો. એ ચાલી એક ગંદા નાળાને છેવાડે આવેલી છે એટલે ત્યાં સુધી પહોંચવા માટે મળ-મૂત્રના ઢગલા પસાર કરીને જવું પડે. સ્વાસ્થ્ય અને ચોખ્ખાઈનું નામ નિશાન ન જોવા મળ્યું જેને માટે દુબઈની બાંધકામ કંપનીના હોદ્દેદારો જે તે દેશના રહેવાસીઓની ગંદી આદતોને જવાબદાર ઠેરવીને પોતાના કર્તવ્યમાંથી છૂટી જાય છે. આવી દયાજનક સ્થિતિમાં રહેવા કરતાં મજૂરોના કુટુંબીઓ તેમને સ્વદેશ પાછા જવા વિનવે છે, પરંતુ પાસપોર્ટ જપ્ત થયા હોવાને કારણે એ અસહાય લોકોને આ ભયાનક યાતના સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 

આ ટૂંકી ફિલ્મ જોયા પછી સહેજે વિચાર આવ્યો કે મજબૂત અને કલાત્મક ઇમારતો બાંધનાર મજૂરો અને કારીગરોની આવી બૂરી હાલત કાં થઈ ? દુનિયાની અજાયબીઓ બધી મોટાં મોટાં શહેરોમાં જ જોવા મળે છે. એવે વખતે ગાંધીજીનું વિધાન સ્મરણમાં આવે છે : ‘મારી દૃષ્ટિએ શહેરો વધ્યાં તે બૂરું થયું છે. એ માનવ જાતની અને દુનિયાની કમનસીબી છે … એનું કારણ એ છે કે ઇંગ્લેન્ડે હિન્દુસ્તાનને તેના શહેરો વડે જ ચૂસ્યું છે, અને શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાના લોહીની સેન્ટ વડે જ શહેરોની મોટીમોટી મહેલાતો બંધાઈ છે ….’ વીસમી અને એકવીસમી સદીમાં આપણે આ હકીકતને વધુ વરવી બનાવી દીધી. 

આ દસ્તાવેજી ફિલ્મના અનુસંધાનમાં એક બીજી વિગત જાણવા જેવી છે. ૧૮૩૪થી ૧૯૨૦ દરમ્યાન ભારતથી અર્ધો મીલિયન લોકો પોતાની માલ મિલકત અને આશાઓના પોટલાં લઈને મહિનાઓની તોફાની દરિયાની સફર ખેડીને મોરિશિયસ ટાપુના કિનારે આપ્રવાસી ઘાટ પર શેરડીના ખેતરોમાં કામ કરવા માટે ઉતર્યા હતા. જમીન ખેડીને પેટિયું રળવા આવેલ એ પ્રજા કરાર પર કામ કરતા ગુલામો જ હતા. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડ, અને આંધ્ર પ્રદેશથી ગયેલા મજૂરોને પાંચ વર્ષ સુધી મહિને પાંચ રૂપિયાના પગારે નોકરી આપે અને મુદ્દતને અંતે પાછા મોકલી આપે એવા કરારો થતા. અહીં એ વાત નોંધવા યોગ્ય છે કે ઉપર જણાવ્યા તે પ્રાંતોમાં ગરીબી પારાવાર હતી અને આજે પણ તેમાં ખાસ સુધારો નથી થયો જે ભારત માટે દુ:ખદ, શરમજનક હકીકત છે. એ ટાપુ ઉપર બ્રિટીશ સરકાર ગુલામી પ્રથાને બદલે મુક્ત મજૂરોને કામ આપવાનો પ્રયોગ કરવા માગતા હતા. એ સ્થળ ગરીબી, શોષણ અને યાતાનાનું ધામ બની રહ્યું. એ લોકોને આપ્રવાસી ઘાટ પર ઉતરે ત્યારે પહેલાં ૬૦૦-૧૦૦૦ મજૂરો ડામરની ફર્શ પર સૂઈ શકે એવા છ શેડ્સમાં રખાતા, પછી શેરડીના ખેતરોમાં મોકલાતા, જ્યાં એમને એક રસોડું અને જાજરૂ-બાથરૂમની સુવિધા હતી. દુબઈમાં તો એટલી જોગવાઈ કરવાની પણ ફરજ નથી બજાવાતી. મોરિશિયસ ગયેલા એ મજૂરોને પણ પગાર નિયમિત ન અપાતો એટલું જ નહીં પણ શિક્ષા રૂપે કોન્ટ્રેકની મુદત લંબાવાતી અને પાછા મોકલવાની રીત બહુ દયાહીન હતી, જયારે પેટિયું રળવા દુબઈ ગયેલા મજૂરોને તો સ્વદેશ જવાનો પરવાનો પણ ઝૂંટવી લેવાય છે તે માનવ અધિકારની હત્યા છે. ૧૯૨૦ના દાયકામાં એગ્રીમેન્ટમાંથી મુક્ત થયેલા મજૂરો નાનો વેપાર-ધંધો કરી શકતા અને ત્યાં જન્મેલાને ફ્રેંચ નાગરિકત્વ પણ મળ્યું. એકવીસમી સદીમાં દુબઈ જેવા અતિ ધનાઢ્ય દેશમાં કામ કરવા જઈ રહેલા મજૂરો ભલે વખાના માર્યા છે પણ છે તો આખર મનુષ્યને ? એમને પેલા મોરિશિયસ ગયેલા નિર્ધનો જેટલી પણ સ્વતંત્રતા નહીં ?

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મશીનોની અતિરિક્તતા અને સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે આવા કડિયા, સુથાર, લુહાર, મોચી, દરજી, પ્લમર, ઈલેક્ટ્રીશિયનો અને શિલ્પકારો, ચિત્રકારો જેવા કળા-કારીગરો બેકાર બન્યા છે, ભૂખે મરે છે અને પોતાનો દેશ પોતાના પ્રજાજનોની ભીડ ભાંગવાની પરવા નથી કરતો માટે વિદેશ જવાની આવી લાલચમાં ફસાય છે. હવે જયારે આ કૌભાંડ બહાર આવ્યું જ છે તો એમાં સંડોવાયેલ ઉપરોક્ત ત્રણ દેશોની એજન્સીઓ અને દુબઈમાંની બાંધકામ ઉદ્યોગને લગતી મહાકાય કંપનીઓને આવા અમાનવીય કૃત્ય માટે જવાબદાર ઠેરવી, તેમના પર માનવ અધિકારના ભંગ બદલ કાયદેસર કામ ચલાવી, આ મજૂરોને મુક્ત કરી, વળતર અપાવવું એ પહેલું પગલું ભરવું રહે અને ભવિષ્યમાં આવું શોષણ ન થાય તે માટે મજૂરો-કારીગરોની નિમણુક અને તેમના કામ તથા રહેવાસની સગવડો અને પગાર ધોરણનું નિયંત્રણ કાયદા મુજબ થાય તેની ખાતરી થવી જોઇશે. ત્યાં સુધી માનવતાવાદી સજ્જનો-સન્નારીઓ દુબઈની માનવ સર્જિત ભવ્ય ઇમારતોની મુલાકાત સમયે આ શોષણયુક્ત યાતનાઓને યાદ કરીને પોતાનો તે વિશેનો વિરોધ જોવાલાયક સ્થળોની મુલાકાત પોથીમાં જરૂર નોંધે તેવી પ્રાર્થના છે. 

e.mail : 71abuch@gmail.com

Loading

એક વૈષણવજન – કિશોર રાવળ

હરનિશ જાની|Opinion - Opinion|19 June 2013

કિશોરભાઈ મારા મિત્ર હતા. તે સાહિત્યકાર હતા. તે ચિત્રકાર હતા. તે કમ્પ્યુટર ઉસ્તાદ હતા.

કનૈયાલાલ મુન્શી સાહિત્યકાર હતા. કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રકાર હતા. સ્ટીવ જોબ કમ્પ્યુટર વિઝર્ડ હતા. તેઓના મૃત્યુની મારા જીવન પર કાંઈ અસર થઈ નથી, પરંતુ કિશોરભાઈના મૃત્યુથી, મારા જીવનમાં એક ખાલીપો સર્જાયો છે. 

મારા બન્ને પુસ્તકોના કવરની ડિઝાઈન તેમણે કરી હતી. મારા કરતાં તેમનો ઉત્સાહ ઘણો હતો. તે મને એક ડિઝાઈન આપે. તે હું ચેક કરું ન કરું અને બીજા બે કવર ચિતરી નાખે. પછી એમના ઉત્સાહથી બચવા એક કવરની ડિઝાઈન ઓકે કરું, ત્યાં બીજી બે આવી હોય.પછી હું મશ્કરી કરું કે ‘યાર, પેલો કાપડિયો પણ સ્ત્રીઓને આટલી ઝડપથી સાડીઓ નહીં બતાવતો હોય.’

મારા માટે તો કલાગુરુ કિશોર રાવળ જ ગણાય ને !

મારા પુસ્તકના પ્રુફ રિડીંગની જવાબદારી પણ તેમણે લીધી હતી. મારા કમ્પયુટરમાં વરસો પહેલાં, ગુજરાતી ફોન્ટ એમણે ડાઉનલોડ કરી આપ્યા હતા. અને મારી નાની મોટી કમ્પ્યુટરની મુસીબતોના તારણહાર એ હતા. છેલ્લે મારે ત્યાં આવ્યા ત્યારે મારે બેસીને  વાતો કરવી હતી. અને એમને ખબર પડી કે મારા લેપટોપમાં માઈક્રોસોફટ વર્ડ પ્રોગ્રામ નથી. મારા લેપટોપ પર મારી ઘણી ય આજીજીજી છતાં મારી વાત ન માની અને મારી ઓફિસમાં બેસી ગયા. લેપટોપની સામે. હવે મહેમાન આપણા કામ માટે આટલો ઉત્સાહ બતાવે તો નફ્ફટ થોડું થવાય. હું પણ એમની સાથે બેઠો. મારા કમ્પ્યુટરના કોઈ પણ પ્રોબ્લેમ એમને કહેતા ગભરાતો. કારણ કે એ સાહેબ ફોન પર જ મને સમજાવવા લાગે. અને પૂછે આ કર્યું ? તે કર્યું? મનને તેમાં બહુ સમજ ન પડે તો ય હું ખોટું ખોટું હા બોલું. અને છેવટે કહું કે ‘તમારા કહ્યા પ્રમાણે બધું કર્યું છતાં કમ્પ્યુટર નથી ચાલતું.’ તે સમજી જાય કે મેં એમના કહ્યા પ્રમાણે કાંઈ કર્યું નથી. તો કહે કે ‘તમે મારે ત્યાં આવો છો કે હું તમારે ત્યાં આવું ?’

મારા સ્ટીવ જોબ એટલે કિશોર રાવળ.

મારા એક આર્ટિકલનો થોડો ભાગ મહેન્દ્રભાઈ મેઘાણીએ પોતાના પુસ્તક ‘મારી અર્ધી સદીની વાચન યાત્રા’ના ચોથા ભાગમાં લીધો છે. તેના હું મિત્રો આગળ ફાંકા મારું છું. ઘેર આવતાં મહેમાનોને બતાવું છું. મારે માટે મહેન્દ્ર મેઘાણીની પસંદ એ એક એવોર્ડ સમાન છે. હવે તે જ પુસ્તકમાં કિશોરભાઈની ‘દાદાની દાદાગીરી’ – આખી વાર્તા મહેન્દ્રભાઈએ લીધી છે.

હવે આ સાહિત્યકાર મિત્ર મારે મન મુન્શીજીથી પણ મોટા હતા. કારણકે એ મારા હતા.

તેથી પણ વધુ એ સારા માનવ હતા. એમના મોઢે મેં કદી કોઈનૂં ભૂંડું સાંભળ્યું નથી. પછી ભલેને તે વ્યક્તિએ એમનું ભૂંડું કર્યું હોય. (એક સાચા પ્રસંગનો હું સાક્ષી રહ્યો છું )

હવે આ વ્યક્તિ વૈષણવજન જ ગણાય ને !

(લખ્યા તારીખ–૨૪મી મે ૨૦૧૩)

e.mail : harnishjani5@gmail.com

Loading

ઇજ્જત

સંજય થાનકી|Opinion - Short Stories|19 June 2013

શિયાળાની રાત .. ઘનઘોર અંધારું .. અમદાવાદનાં લોકો શહેરમાં ટેંશન જેવું વાતાવરણ હોઈ ઘરમાં પુરાઈ ગયાં હતાં. લોકોનાં શ્વાસ અધર હતા. કોઈ પણ ક્ષણે કાંઈ પણ બની શકે તેમ હતું. વાતાવરણમાં અજંપો અને ગમગીની છવાયેલાં હતાં. પોલિસની ગાડીઓ પણ સાયરન વગાડતી રાતનાં અંધકારને ચિરતી ચાલી જતી હતી. કોઈ એકલ દોકલ માણસ રસ્તા પર દેખાતું હતું, બાકી તો શહેરનાં કૂતરાંઓનાં ભસવાનો અવાજ આવતો હતો. શહેરમાં કર્ફ્યુ તો નહોતો લાગ્યો, પણ લોકોએ જ સ્વંયભૂ કર્ફ્યુ પાડ્યો હતો.

એવામાં ગુજરાત મેલનું આગમન થયું. કાળુપુર સ્ટેશનનાં પ્લેટફોર્મ પર લોકોની ચહેલ પહેલ શરૂ થઈ. નિયમિત અપ ડાઉન કરવાવાળા માણસો જલદીથી પોતાનાં ઘરે પહોંચવા ઉતાવળે સ્ટેશનની બહાર નીકળી ગયાં. એસ ૮ નંબરના કોચમાંથી એક અત્યંત સ્વરૂપવાન અને ફેશનેબલ યુવતિ હાથમાં પર્સ ઝુલાવતી પ્લેટફોર્મ પર ઉતરી. તેણે આસપાસ નજર દોડાવી. પ્લેટફોર્મ સાવ ખાલી થઈ ગયું હતું. પ્લેટફોર્મની બહાર નીકળતાં જ ટિકીટ ચેકરે વણમાંગી સલાહ પણ આપી ખરી, ‘બહેન, જરા સંભાળીને રહેજો. અમદાવાદનું વાતાવરણ તંગ છે. કોમી રમખાણોને લીધે શહેરમાં અજંપો છે. ભારેલાં અગ્નિ જેવી હાલત છે. જલદીથી ઘરે પહોંચી જજો.

એકદમ અલ્લડ અને બેફિકરીભર્યાં અંદાજે તેણે ટિકીટ ચેકર તરફ એક કાતિલ નજર ફેંકી. જાણે તેને કશો ડર જ ના હોય. ફેશનેબલ કપડાંમાં સજ્જ તેનું ગોરું બદન ફાટફાટ થઈ રહ્યું હતું. એક્દમ લો કટ અને ડીપ નેક ટોપમાંથી જાણે હમણાં તેનાં ઉભાર બહાર આવી જશે તેવું જણાઇ રહ્યું હતું. તેણે બુઢ્ઢા ટિકીટ ચેકરની સલાહની પરવા કરી નહીં. તે સ્ટેશનની બહાર આવી. બધાં જ મુસાફરો જેને જે હાથ લાગ્યું, ઓટો રિક્ષા, સ્કુટર, કાર વગેરેમાં બેસીને જલદીથી જતાં રહ્યાં હતાં. તેણે થોડીવાર રાહ જોઈ, પણ સ્ટેશનની બહાર તેને કોઈ ઓટો રિક્ષા ના દેખાઈ. તેણે મોબાઈલમાંથી કોઈને કોલ કરવાની કોશિશ કરી, પણ જાણે સામે છેડે નો રિપ્લાય થયો હશે, એટલે તેણે પગપાળા જ પોતાની મંઝિલે પહોંચવાનું નક્કી કર્યું હોય, તેમ સુમસામ રસ્તા પર ચાલી નીકળી.. ધીમા છતાં ય મક્કમ પગલે. સ્ટ્રીટલાઈટનાં અજવાળે તેણે પોતાની મંઝિલ તરફ પ્રયાણ કર્યું.

તેની મંઝિલતો ઘણી દૂર હતી, પણ તેને આશા હતી કે રસ્તા પર એકલી જતી અલ્લડ અને ફેશનેબલ યુવતીને જોઈને કોઈને કોઈ તો જરૂર લિફટ આપી દેશે, નહિતર કોઈ ઓટોરિક્ષાવાળો તો જરૂર મળી જશે. તેની આશા ઠગારી નીવડી. લગભગ એકાદ કિલોમિટર જેવું ચાલવાં છતાં ય તેને ના તો કોઈએ લિફટની ઓફર કરી, કે ના કોઈ ઓટોરિક્ષાવાળાને તે ઊભી રખાવી શકી.

ચાલતાં ચાલતાં તે છેક ‘લી મરેડીઅન’ હોટેલ સુધી પહોંચી ગઈ. હવે તેણે નેહરુ બ્રિજ પર ચાલવા માંડ્યું. બ્રિજની બરાબર અધવચ્ચે પહોંચી હશે તો પાછળથી તેણે બાઈકનો અવાજ સાંભળ્યો.

તેણે પાછળ વળીને જોયું તો બે બાઈક પર સવાર ચાર છેલબટાઉ બદમાશ જેવા લાગતા જુવાનો હતા. તેણે તેમની ફિકર ના કરી ને આગળ ચાલવા માંડ્યું. બેઉ બાઈક સાવ બાજુમાંથી પસાર થઈ ગઈ. એકલી યુવતીને જોઈને તેમાંનાં એકે ગંદી મજાક પણ કરી.

થોડી દૂર ગયા પછી, બેઉ બાઈક પાછી વળી. અને હવે એ લોકો તેની સામેથી આવી રહ્યા હતા. એકદમ સામે આવીને એ લોકોએ બાઈક ઊભી રાખી. હવે બાઈકની હેડલાઈટનો પ્રકાશ તેનાં મોં પર પડી રહ્યો હતો.

ચારે ય બદમાશ જેવા લાગતા યુવાનો બાઈક પરથી નીચે ઉતર્યાં અને સાવ તેની લગોલગ આવી તેને ઘેરીને ઊભા રહી ગયા. એક જણે તો કમરમાં ખોસી રાખેલું રામપુરી ચાકુ બહાર કાઢી લીધું હતું. તે એકદમ ડઘાઈ ગઈ. હજુ તે કાંઈ વિચારે એ પહેલાં તો બે જણાએ તેને બાવડેથી પકડી લીધી, અને ત્રીજાએ તેનું પર્સ ઝુંટવવાની કોશિશ કરી. તેણે પોતાનું પર્સ જકડીને પકડી રાખ્યું. રામપુરી ચાકુવાળા બદમાશે ચાકુ તેની ગરદન પર અડાડી તેને ધમકાવી .. ‘ચાલ, જે કાંઈ હોય તે આપી દે, નહિતર તને અહીં ને અહીં ચૂંથી નાખીશું. તારી ઇજ્જત અત્યારે જ લૂંટી લઈશું ..’

‘અરે, ઇજ્જત લુંટવાની ધમકી કોને આપે છે, તું? લુંટવી હોય તો ઇજ્જત લૂંટી લે, બાકી પર્સ તો નહીં જ આપું. ઇજ્જત લુંટાવીને તો આ રૂપિયા કમાઈ આવી છું …’

e.mail : princeshail@gmail.com

Loading

...102030...4,1254,1264,1274,128...4,1404,1504,160...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved