Opinion Magazine
Number of visits: 9520027
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી

ઋતુલ જોશી|Samantar Gujarat - Samantar|20 December 2012

 

 

 

 

 

 

Polling officials at work, Photo Courtesy: thehindu.com

પ્રિસાઈડીંગ ઓફીસર એટલે કોઈ એક મતદાન મથક (બૂથ) પરના પ્રમુખ અધિકારી. આ અધિકારી પાસે મુખ્યમંત્રીને પણ તેના મતદાન વિસ્તારમાં આવતા રોકવાની સત્તા હોય તેવું કહેવાય છે. એમ તો પ્રમુખ અધિકારી સાંભળવામાં કેવું સારું લાગે છે, નહિ? પણ સમગ્ર સરકારી તંત્રમાં વિવિધ પ્રકારના 'પ્રમુખ' અધિકારીઓ છેક ઉપરથી લઈને નીચે સુધી છવાયેલા હોય છે. એટલે બૂથ લેવલનો પ્રમુખ અધિકારીએ 'ઓલ આર ઇકવલ બટ સમ આર લેસ ઇકવલ ધેન ધ ઇક્વલ્સ'ની જેમ બધાય મુખ્ય અધિકારીઓમાં સૌથી ઓછો પ્રમુખ હોય છે. તેનું મુખ્ય કામ હોય છે કે મતદાનના આગળ દિવસે સવારે બૂથની બધી જ સામગ્રી (ઈવીએમ મશીન, લગભગ દોઢસો ફોર્મ, તે મુકવાના કવર, મત કુટીર વગેરેથી લઈને ટાંકણી સુધી)ની સામગ્રી ભેગી કરીને સરકારી બસમાં બેસીને મતદાન મથકે જવું. સમગ્ર વ્યવસ્થા ગોઠવવી અને રાત્રે ત્યાં જ રોકાવું – એટલે કે ઇવીએમ મશીન 'છાતીએ બાંધીને સૂઈ જવું'. બીજા દિવસે મતદાન નિયમ પ્રમાણે કરાવવું, બધી વ્યવસ્થા જાળવવી અને મોડી રાત સુધી એક-એક મતનો હિસાબ મેળવીને બધી જ સામગ્રી (ટાંકણી સુધ્ધાં) જાતે જ પાછી પહોંચાડવી.

આવી રીતે જ એક પ્રિસાઈડીંગ ઓફિસરની કામગીરી બજાવ્યા બાદ પડતી ખાવા-પીવા-સૂવાની તકલીફો વિષે પોતાની જાત પર આવતી દયા-સહાનુભૂતિને બાદ કરીએ તો ઘણી રસપ્રદ વાતો થઇ શકે છે. વૈધાનિક રીતે એક બૂથની કામગીરીમાં સૌથી મહત્વનો દસ્તાવેજ હોય છે પ્રિસાઈડીંગ ઓફિસરની ડાયરી. એવી જ રીતે આ લેખ એક દિવસ માટે બનેલા પ્રિસાઈડીંગ ઓફિસરની બિન-સત્તાવાર, બિન-વૈધાનિક ડાયરી છે જેમાં લોકો, લોકશાહી અને સરકાર વચ્ચે ઘુમરાતાં વિવિધ રંગબેરંગી અવલોકનો છે. પ્રિસાઈડીંગ ઓફીસરની હાલત નીચે ફોટામાં દેખાઈ રહી છે તેવી પણ સાવ હોતી નથી.

સત્તા અને જવાબદારી

આપણા સરકારી તંત્રએ સ્પાઈડરમેન દ્વારા પ્રચલિત કરવામાં આવેલું સૂત્ર 'with great powers comes great responsibilities'ને બહુ સાહજીકતાથી પચાવ્યું છે. એટલે કે સત્તાની સાથે સાથે જવાબદારીઓ પણ આવે છે. ફરક અહીં એટલો છે કે સત્તા ઉપરથી નીચે પ્રસરે છે તો જવાબદારીઓ નીચેથી ઉપર. જ્યારે સૌથી સર્વસત્તાધિશ અધિકારી કોઈને કોઈ સત્તા સૌપે એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે તે સત્તા કે હોદ્દો પામવાલાયક તમે યોગ્ય વ્યક્તિ છો. એનો સાદો અર્થ એ થાય છે કે જેને જેટલી સત્તા મળતી હોય તે વ્યક્તિ પર એટલી જવાબદારી ઢોળી શકાય. એટલે તમને જવાબદારી સોંપીને તમારા ઉપરી અધિકારી રાહતનો શ્વાસ લઇ શકે છે. સમગ્ર વ્યવસ્થા ચાલે છે 'કોની જવાબદારી છે' તે નક્કીને. આ જવાબદારીઓનું ભાન નવા-સવા અધિકારીઓને તાલીમ દરમ્યાન ગર્ભિત ચેતવણી, છૂપી ધમકી દ્વારા આપી શકાય છે. છેવટે સામાન્ય અધિકારી દેશદાઝ કે બીજા કોઈ ઉદ્દાત ભાવ રાખ્યા વગર 'પોતે આમ નહિ કરશે તો ફસાઈ જશે' તે ભાવે જ 'નોકરી' કરતો થઇ જાય છે. ચૂંટણીની ફરજ કે જે ખરેખર નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ હોવી જોઈએ તે આખરે એક કરવા ખાતર કરવું પડતું કામ બનીને રહી જાય છે. સત્તા અને જવાબદારીના સમીકરણોમાં તમે જે કામ કરો છો તે તમને ગમે છે એટલે કરો છો કે પછી તમે દરેક કામ આટલી જ સંનિષ્ઠતાથી કરો છો તેવી ભાવના માટે અવકાશ ઓછો હોય છે.

 

 

 

EVM machines being carried to the booth

Photo courtesy:  thehindu.com
 

 

ઘણા મહેનતુ અધિકારીઓ જોયા!

ચૂંટણીની સરકારી કામગીરી નજીકથી જોયા પછી ચોક્કસ એવું કહી શકાય કે સરકારી રાહે કામ કરીને કાર્યદક્ષતા અને પારદર્શિતા લાવવી હોય તો લાવી શકાય છે. ચૂંટણીની કામગીરી દરમ્યાન ભોજન-આરામ પરવા કર્યા વગર સાચું શું છે, યોગ્ય શું છે તેવી ફિકર કરીને કામ કરતા ઘણા અધિકારીઓ જોયા. આ ચૂંટણીની કામગીરીમાં મહિનાઓથી જોડાયેલા અને કેટલીય રાતોથી ઉજાગરા કરી રહેલા અધિકારીઓ મોટી સંખ્યામાં હતા કે જેમની સખત મહેનતથી ચૂંટણીની વ્યવસ્થા ચાલતી હતી. લોકશાહીના પર્વને ખરા અર્થમાં ઉજાગર કરનાર આ અધિકારીઓને અભિવાદન ઘટે. દરેક સરકારી કાર્યદક્ષતાના પ્રશ્નોના જવાબ ખાનગીકરણમાં શોધતા લોકો એ આ અધિકારીઓને કામ કરતા જોવા જેવા છે. જો કે લઘુમતિમાં એવા લોકો પણ હતા કે જે દરેક વાતમાં પોતાનો ફાયદો કે કામ ન કરીને કેવી રીતે બચી શકાય તે જ શોધતા હતા, તેમાંના ઘણાં ખાનગી શાળાના શિક્ષકો પણ હતા. ટૂંકમાં, કાર્યદક્ષતા સરકારી કે ખાનગી નથી હોતી.

 

 

 

 

Polling officials checking the election material

પીપલ આર પીપલ – એક ડબ્બાના મુસાફરો

ચૂંટણીની પ્રક્રિયાની સામગ્રી લઈને દોડાદોડ કરતા, મતદાન મથકની વ્યવસ્થા સંભાળતા, રાત્રે આમ-તેમ સુઈ જતા પ્રિસાઈડીંગ ઓફિસર, પટાવાળા અને બીજો સ્ટાફ ધીરે-ધીરે એકબીજાથી ટેવાતો જાય છે. એક ડબ્બાના મુસાફરોની જેમ બધા સાથે મળીને વાતચીત કરતા અને કામ કરતા થઇ જાય છે. લસણ-ડુંગળી ન ખાનારા અને નમાઝ પઢવાવાળા સૌ કોઈ એક સાથે કામે લાગી જાય છે. જો કે વર્ગ-જાતિના વાડા સાવ ભૂલાઈ જતા નથી. પણ જો તમે એવી ઓફિસમાં કામ કરતા હોવ કે જ્યાં એકબીજાને તેમના નામથી બોલાવવાની રીતરસમો હોય તો અહીં તમે અચાનક તમારી અટકથી ઓળખાવા લાગો છો. તમારી ઓળખાણનું રૂપાંતરણ તમારા નામમાંથી અટકમાં સરકારી રાહે બહુ સાહજિકતાથી અને ઝડપથી થઇ જાય છે.

લોકશાહીનો ઉત્સવ

મતદાન શરુ થયું ત્યારે લાંબી-લાંબી લાઈનો લાગી ગઈ હતી. કેટલાય લોકોમાં ઉત્સાહ અનેરો હતો જાણે કે કોઈ મેળામાં મહાલવા આવ્યા હોય. એક-બે મતદારો અધિકારીઓ જોડે ઝગડી પડ્યા. વોટ આપવા આવનાર લોકોને ગમે તે આર્થીક સ્તરના હોય, તેમને આજના દિવસે સરકારી અધિકારીઓ જોડે સારી રીતભાતની અપેક્ષા હોય છે. કદાચ પ્રજાને 'આજે મારો દિવસ છે' તેવું કહેવા બહુ મળતું નહિ હોય એટલે મતદાનના દિવસે તેમને જરા સરખું પણ અપમાન સહન થતું નથી. વોટ આપવો તે તેમનો હક છે અને તે અંગે સારી એવી જાગૃતિ જોવા મળી. 'બધાને સમાન હક છે' તેવી નાગરિક હોવાની લાગણી પાંચ મિનીટના કામ માટે પણ પ્રત્યક્ષ થાય અને 'સરકાર માઈબાપ' પોતાના સિહાંસનથી નીચે ઉતરીને બેલેટ સુધી આવી શકે તેવી નાની-નાની લોકશાહીની કરામતો બહુ સંતોષકારક હોય છે.

પ્રેક્ટીકલ અને 'પોજીટીવ'

સમગ્ર પ્રક્રિયા દરમ્યાન આ બે શબ્દો સતત સંભાળવા મળ્યા. પ્રેક્ટીકલ બનવું એટલે નિયમોનો ઠાલો આગ્રહ રાખ્યા વગર કે આદર્શ વાતો કર્યા વિના કેવી રીતે કામ ઝડપથી પતાવી શકાય. કેટલાક મહારથીઓ પ્રેક્ટીકલ બનવાનું વિશાળ અર્થઘટન ખોટાં કામ કરવા પણ કરે છે. બાકીના લોકો માટે પ્રેક્ટીકલ બનવું એટલે કોઈ વેદીયાવેડા કર્યા વિના (અને ક્યારેક મગજ બંધ કરીને) કામ ઉકેલવું. બીજો શબ્દ તે 'પોજીટીવ' (પોઝીટીવ) બનવું. આ શબ્દ વાપર્યા વગર અમુક વ્યક્તિઓ પોતાના વિષે વાત કરી શકતા નથી. 'હું પોજીટીવ માણસ છું' એમ કહેવું તે 'હું સારો માણસ છું' તેમ કહેવા કરતાં વધારે મહત્વ ધરાવે છે અને આ બહુ સાહજિકતાથી કહી શકાય છે. આ આખી પ્રકિયા દરમ્યાન મને ઘણા 'પોજીટીવ' માણસો મળ્યા જેમણે મને સતત પ્રેક્ટીકલ બનવાની સલાહ આપી. કદાચ મારા ચહેરા પર એવું લખ્યું હશે કે મારે પ્રેક્ટીકલ બનવાની જરૂર છે.

'જાગૃત નાગરિક'

વાતચીત દરમ્યાન એક અધિકારી બહુ જ સહજતાથી એવું બોલી ગયા કે, "બધું નિયમ પ્રમાણે જ કરજો. આમ તો કોઈ પૂછતું નથી પણ કોઈ જાગૃત નાગરિક આવી જશે તો તકલીફ પડશે".  મને આ સંભાળીને બહુ હસવું આવેલું. યુ નો, ધોઝ જાગૃત નાગરિક ટાઈપ્સ! સરકારી ઓફિસરને સૌથી વધારે ચીડ કોની તો આવા જાગૃત નાગરિકની! જાગૃત નાગરિક આવે તો સવાલ પૂછે, જાગૃત નાગરીકને નિયમોની ખબર હોય, જાગૃત નાગરિક માહિતી માંગે. એટલે સરકારી ઓફિસો એવું ઈચ્છે કે નાગરિક જાગૃત ન હોય તો કામ ઓછું કરવું પડે અને લાભ વધુ લઇ શકાય. હવે ખબર પડે છે કે આ દેશમાં માહિતી અધિકાર (Right to Information)ની જરૂર કેમ પડે છે.

 

 

 

 

49-ઓ એ 'રાઈટ ટુ રીજેક્ટ'થી બહુ દૂર છે.

લોક્પ્રતીનીધીત્વ ધારાની કલમ 49-ઓ (ગુજરાતીમાં 49-ઘ) વિષે બહુ ચર્ચા ચાલે છે. ઘણા સામાજિક કાર્યકરો અને સંસ્થાઓએ પ્રચાર કરેલો કે કોઈ પણ ઉમેદવારો ન ગમે તો બધા ઉમેદવારોને રિજેક્ટ કરવા માટે 49-ઓનું ફોર્મ ભરો અને પોતાનો વિરોધ નોંધાવો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈવીએમ મશીન પર આવી કોઈ વ્યવસ્થા ન હોવાથી મતદારે આવું એક અલગ ફોર્મ ભરવું પડે છે, જેમ ન કરવા માટે પ્રિસાઈડીંગ ઓફિસર તેમને સમજાવતા હોય છે કારણકે આવું કરવાથી તેમનું કામ વધે છે. પણ મુખ્ય વાત એ છે કે આવું થવાથી આ મતદાન ગુપ્ત રહેતું નથી, જે કાયદાની રીતે ગુપ્ત રહેવું જરૂરી છે. બીજું કે, ભલે ગમે તેટલા આવા 'નોન-વોટ' પડે તો પણ કોઈ એક ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવે છે એટલે આ શસ્ત્ર બુઠું છે અને ત્રીજું કે, સરકારી સીસ્ટમમાં આ નોન-વોટ કે નલ-વોટ 'સુપ્રત કરેલા મત' તરીકે નોંધાય છે. કોઈ એવું નોંધતું નથી કે મતદાર આ મત કેમ નથી આપતો કે તેના કારણો શું છે. આ 'સુપ્રત કરેલા મત' એક ફોર્માલીટી અને આંકડો બનીને રહી જાય છે. તેના કોઈ પણ વૈધાનિક કે રાજકીય દબાણો સર્જાતા નથી. તેથી ભારતમાં 'રાઈટ ટુ રીજેક્ટ'ની જરૂર વર્તાય છે.

સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ

મોટાભાગના પ્રિસાઈડીંગ ઓફિસર પોતે જેવા લોકો અને વિસ્તારને જોવા ટેવાયેલા હોય તેથી બહુ જુદા વિસ્તારમાં ગયા અને બહુ  અલગ પ્રકારના લોકોને તેમણે જોયા હશે. મારા માટે નવાઈની વાત એ હતી કે આવનાર મતદારોમાંથી 20-30 વર્ષની યુવતીઓ રજીસ્ટરમાં સહી કરવાને બદલે અંગૂઠાનું નિશાન કરે. જૂની પેઢીના મતદારો અને ખાસ તો સ્ત્રીઓ અભણ હતી જે માની શકાય તેવી હકીકત છે. પરંતુ નવી પેઢીમાં અને યુવાન સ્ત્રીઓમાં આજના જમાનામાં સાક્ષરતા ન હોય તે માનવું અઘરું છે.  વળી, આ કંઈ બિલકુલ ગરીબ પરિવારોની વાત નથી પણ લગભગ મધ્યમ વર્ગ કે નીચલા-મધ્યમ વર્ગના પરિવારોમાં આવું જોવા મળે તે બહુ નવાઈની વાત છે. કારણકે અહીં છોકરીઓને ન ભણાવવા પાછળ પૈસા નહિ પણ વૃત્તિ જવાબદાર છે. આ અભણ યુવતીઓ પોતાના બાળકોને કેવી રીતે ભણાવશે અને પરિવારમાં તેનું સ્થાન કેવું રહેશે?

 

 

 

 

Photo courtesy: nytimes.com

આખા ચૂંટણી તંત્રમાં સ્ત્રીઓની ભૂમિકા

આખા ચૂંટણી તંત્ર અને સરકારી તંત્રમાં ચૂંટણીની કામગીરીમાં કામકાજના કલાકો નિશ્ચિત ન હોવાથી મહિલા કર્મચારીઓ માટે પ્રિસાઈડીંગ ઓફિસર બનવું બહુ મુશ્કેલ કામ છે. આ કામ મહિલા કર્મચારીઓને આપવામાં આવતું જ નથી. બૂથની કામગીરીમાં એક માત્ર કામ જે મહિલા પોલીંગ ઓફિસરને સોંપવામાં આવે છે તે છે મતદારોની આંગળી પર શાહીથી નિશાન બનાવવું. કારણકે મોટાભાગના મહિલા કર્મચારીઓને નોકરી ઉપરાંત ઘર-બાળકોની જવાબદારી સાંભળવાની હોઈ કામકાજના લાંબા કલાકો પોસાતા નથી. એટલે તંત્ર પણ તેમને બહુ હેરાન નથી કરતુ અને મહિલાઓ પણ પોતાની માર્યાદિત ભૂમિકા સ્વીકારી લે છે. આ આખી પ્રક્રિયામાં બધાની ભાગીદારી સરખી કેવી રીતે કરી શકાય તે અંગે ખરેખર નવેસરથી વિચારવા જેવું છે.

છેવાડાની લોકશાહી અને સરકારની દરકાર

મતદાનના દિવસે લોકોનો અનેરો ઉત્સાહ જોઇને એવું લાગ્યું કે શા માટે પાંચ વર્ષે એક જ વાર એવો દિવસ આવે કે જ્યારે સરકારે નાગરીકો સુધી પહોંચવું પડે. સરકારે તેના રોજબરોજના કામ માટે સ્થાનિક લાગણી જાણવી જોઈએ અને નાગરીકોને પણ તેમના અંગત કે સ્થાનિક પ્રશ્નો માટે સરકાર નજીક હોવી જોઈએ. લોકશાહીએ છેવાડા સુધી પહોંચવા માટે લોકોની આસપાસમાં માળખાકીય તંત્ર ઉભું કરવું જોઈએ. 73-74 બંધારણીય સુધારા અને પંચાયતી રાજની વ્યાખ્યા પણ આવી સ્થાનિક સંસ્થાની તરફેણ કરે છે. નાગરિક સુવિધા કેન્દ્રો (સિવિક સેન્ટર) આ જ તર્ક પર આધારિત છે પણ તેમનો વ્યાપ્ત વધ્યો નથી અને તે માત્ર મ્યુનીસીપલ તંત્રની સાથે જોડાયેલા હોય છે. શું એવા સિવિક સેન્ટર ન હોઈ શકે કે જે નાગરિકોને બધા જ સરકારી દસ્તાવેજ કે આઈ-કાર્ડ વગેરે બનાવવા માર્ગદર્શન આપે, સરકારી યોજનાઓ વિષે સમજાવે, સ્વાસ્થ્ય વગેરે માટે જાગૃત કરે જેથી લોકોને અલગ-અલગ સરકારી ઓફિસોમાં ધક્કા ન ખાવા પડે. શું વોર્ડ કે એરિયા લેવલ પર આવી સુવિધાઓ વિકસાવવી બહુ અઘરી છે? આપણી સરકારોએ હવે જનતા માટે દરકાર જતાવવાની બહુ જરૂર છે.

એન્ડ નોટ

પત્ની: અરે, હું વોટ આપવા ગઈ ત્યારે સતત એ જોતી હતી કે આ 'પ્રિસાઈડીંગ ઓફિસર' કોણ છે અને તેને શું કામ કરવાનું હોય છે. મને તો ત્રણ-ચાર લોકો દેખાયા કે જે રજીસ્ટર રાખે, આંગળીએ સહી લગાડે ને પેલા ઈવીએમ મશીનમાં સ્વીચ દબાવીને વોટ લેવા મોકલે… એટલે તારે શું કરવાનું હતું?
પતિ: આમાંથી કશું ય નહિ…
પત્ની: અરે હા, છેલ્લે એક ભાઈ ટેબલ બેઠા હતા અને બધા પર નજર રાખતા હતા પણ કંઈ કામ નહોતા કરતા… એ પ્રિસાઈડીંગ ઓફીસર?
પતિ: હા, એ જ વ્યક્તિ એટલે હું! Yes, I was that guy who was not doing anything! 🙂

Note: All photos in this post are generic photos and they only depict situations and not individuals.

સદ્ભાવ – http://charkho.blogspot.co.uk/

Loading

ફક્ત નરેન્દ્ર મોદીને લીધે જ ગુજરાતનો વિકાસ નથી થયો

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|16 December 2012

ફક્ત નરેન્દ્ર મોદીને લીધે જ ગુજરાતનો વિકાસ નથી થયો

 

નો નૉન્સેન્સ – રમેશ ઓઝા

 

ગુજરાતનો વિકાસ નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય પછી થયો છે એમ કહેનારાઓ વીતેલી પેઢીના ગુજરાતીઓનું અને શાસકોનું અપમાન કરે છે. આઝાદી પછી ભારતના લગભગ બધા જ પ્રાંતોને સારા શાસકો મળ્યાં હતા, પરંતુ ગુજરાત એમાં વધારે નસીબદાર છે. વિવેક અને દૂરંદેશી ગુજરાતના શાસકોનું ભૂષણ હતું. તળ ગુજરાત એ સમયે મુંબઈ રાજ્યનો હિસ્સો હતું. મુંબઈ પ્રાંતના મરાઠીઓના ચિત્ત પર ભાષાવાદ અને પ્રાંતવાદનું ભૂત સવાર થયું હતું ત્યારે મુંબઈના અને તળ ગુજરાતના ગુજરાતીઓએ કમાલનો સંયમ બતાવ્યો હતો. ગુજરાત વિશેનો ગુજરાતી પ્રજાનો અને નેતાઓનો દૃષ્ટિકોણ સંર્કીણ નહોતો, વ્યાપક અને વિકાસલક્ષી હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ (જે એ સમયે હંગામી ધોરણે અલગ રાજ્ય હતાં) પણ આમાં અગ્રેસર હતાં.


ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન હતા અને તેમની સરકારે સત્તામાં આવતાંની સાથે જ ૧૯૫૧માં બારખલી ધારો લાગુ કરીને જમીનદારી નાબૂદ કરી હતી. કાયદો ઘડવો એક વાત છે અને કાયદો લાગુ કરવો એ જુદી વાત છે. જમીનદારીને નાબૂદ કરનારા કાયદા તો બીજાં અનેક રાજ્યોએ ઘડ્યા છે, પરંતુ એનો સો ટકા સફળ અમલ માત્ર સૌરાષ્ટ્રમાં થયો છે.


દેશનાં કુલ ૫૫૬ રજવાડાંઓમાંથી એકલા સૌરાષ્ટ્રમાં ૨૨૨  રજવાડાં હતાં. વહીવટી દૃષ્ટિએ ચાળણી જેવો પ્રદેશ હતો અને સમાજ-વ્યવસ્થા મધ્યકાલીન સામંતી (ફ્યુડલ) હતી. કાયદાનું શાસન અને ન્યાય સૌરાષ્ટ્રનાં ઘણાં રજવાડાંઓમાં અજાણી ચીજ હતી. સૌરાષ્ટ્રમાંની અરાજકતા એટલી કુખ્યાત હતી કે સૌરાષ્ટ્રના કોઈ નાગરિકે અંગ્રેજ શાસન હેઠળના ભારત (બ્રિટિશ ઇન્ડિયા)માં પ્રવેશવું હોય તો વિરમગામ સ્ટેશને તેણે સભ્યતાની અગ્નિપરીક્ષા આપવી પડતી. એ અગ્નિપરીક્ષા ‘વિરમગામ લાઇનદોરી’ તરીકે ઓળખાતી હતી. એ અપમાનજનક પ્રથાનો ગાંધીજીના પ્રયત્નોને કારણે અંત આવ્યો હતો. કાઠિયાવાડી એટલે અભણ અને અસંસ્કારી એવી સમજ હતી અને એ જમાનામાં કાઠિયાવાડીને ‘વાયા વિરમગામ’ તરીકે તિરસ્કારપૂર્વક ઓળખવામાં આવતો હતો.


હવે કલ્પના કરો કે આવા પ્રદેશમાં વહીવટી વ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાને એકસાથે તળે-ઉપર કરનારો કાયદો ઘડવો અને લાગુ કરવો એ કેટલી મોટી હિંમતનું કામ હશે. ઢેબરભાઈને અનેક લોકોએ ત્યારે ચેતવ્યા પણ હતા કે ઉતાવળ કરવામાં જોખમ છે, ગરાસિયાઓ નારાજ થશે અને ઉપદ્રવ કરશે. ભૂપતનું બહારવટું હજી તાજી ઘટના હતી. ઢેબરભાઈની સરકારે મચક નહોતી આપી. બારખલી ધારો ઘડાયો અને લાગુ પણ કરવામાં આવ્યો. જમીન ગુમાવનારા ગરાસિયાઓને લશ્કરમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આમાં ત્રણ ફાયદા હતા. એક, ખોટી એંટમાં જીવવા ટેવાયેલા ગરાસિયાઓ રોટલો રળતા થાય. બીજું, ગામથી દૂર રહે અને ત્રીજું, લશ્કરમાં કામ કરવાને કારણે થોડી શિસ્તનો પરિચય થાય. એમાં જરાય આશ્ચર્ય ન થવું જોઈએ કે આવો ક્રાન્તિકારી કાયદો ઘડવા અને લાગુ કરવા માટે ઢેબરભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાંથી તેઓ જરાકમાં બચી ગયા હતા. કણબી, કારડિયા અને પટેલોનો બનેલો સૌરાષ્ટ્રનો નવમધ્યમવર્ગ ઢેબરભાઈનો ઋણી છે. ઢેબરભાઈ થકી તેમનો વિકાસ થયો છે.


૧૯૫૦નાં વર્ષોમાં સૌરાષ્ટ્ર દેશનું નાનકડું અને બિનમહત્વનું રાજ્ય હતું. ૨૨૨ રજવાડાંઓને ભેગાં કરીને રચાયેલા ઓછા મહત્વના અને હંગામી એવા સૌરાષ્ટ્રે બીજું એક મહત્વનું કામ કર્યું હતું. ઢેબરભાઈની સરકારે સૌરાષ્ટ્રનું વ્યાપક આર્થિક સર્વેક્ષણ હાથ ધર્યું હતું જે ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે. આ કામ સી. એન. વકીલ, ડી. ટી. લાકડાવાલા અને એમ. બી. દેસાઈ જેવા મુંબઈ વિશ્વવિદ્યાલયના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓને સોંપવામાં આવ્યું હતું. પ્રદેશના વિકાસનો ઢાંચો આર્થિક સવેક્ષણના આધારે ઘડવામાં આવ્યો હતો. રાજ્યનું સઘન અને સર્વાંગીણ આર્થિક સર્વેક્ષણ કરવામાં આવ્યું હોય અને એના આધારે વિકાસની દિશા નિર્ધારિત કરાઈ હોય એવી ભારતમાં આ પહેલી ઘટના હતી. હજી આજે પણ પ્રાદેશિક વિકાસનું સર્વેક્ષણ હાથ ધરતી વખતે ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્રનો રેફરન્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.


રાજકોટનાં ઑઇલ-એન્જિન, મોરબીનો ઘડિયાળ અને ચીનાઈ માટીનો પોટરી ઉદ્યોગ, થાનનો પોટરી ઉદ્યોગ, જામનગરનો બાંધણી અને બ્રાસ પાર્ટ્સનો ઉદ્યોગ, અંજારનો સૂડી-ચાકુ વગેરેનો ઉદ્યોગ, કચ્છનો કઢાઈવાળાં વસ્ત્રોનો ઉદ્યોગ, વઢવાણનો વાસણ ઉદ્યોગ, સાવરકુંડલાના કાંટા-તોલા, જેતપુરની સાડી, મહુવાનો સંઘેડા ઉદ્યોગ, સિહોરની તપકીર અને વાસણ વગેરે ભારતભરમાં વિખ્યાત છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ એવો કોઈ તાલુકો હશે જ્યાં સ્થાનિક ઉદ્યોગ ન હોય અને એ ઉદ્યોગ દેશમાં માર્કેટ-લીડર ન હોય. યસ, માર્કેટ-લીડર. મેં નાગાલૅન્ડથી મણિપુર જતાં એક ગામડામાં દુકાનદાર પાસે સાવરકુંડલાના કાંટા-તોલા જોયા છે. આ એ સમયની વાત છે જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને ગુજરાતની બહાર તેમને કોઈ ઓળખતું નહોતું.


ઇકૉનૉમિક સર્વે ઑફ સૌરાષ્ટ્રનાં તથ્યોના આધારે સરકારે સ્થાનિક ઉદ્યોગોને વિકસવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને આજે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ્સ દેશભરમાં રાજ કરે છે. ખેતીવાડીની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખેતી દુષ્કર છે. સૌરાષ્ટ્ર ઊંધી રકાબી જેવો પ્રદેશ છે. ૨૫થી ૩૦ ઇંચ જે વરસાદ પડે છે એ અરબી સમુદ્રમાં, કચ્છ અને ખંભાતના અખાતમાં, કચ્છના રણમાં અને સપાટ ભાલપ્રદેશમાં વહી જાય છે. આવી જ સ્થિતિ કચ્છ અને ઉત્તર ગુજરાતની છે. આમ છતાં કૃષિ-ઉત્પાદનમાં ઉતારાની દૃષ્ટિએ ગુજરાતનો ખેડૂત પંજાબ અને હરિયાણાના ખેડૂતની બરાબરી કરે છે. ૧૯૬૦ના દાયકાથી કૃષિ-ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. 


તળ ગુજરાત ભલે મુંબઈ રાજ્યનો હિસ્સો હતું, પરંતુ ગુજરાત નામની કલ્પના (આઇડિયા ઑફ ગુજરાત) સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, ઉત્તમ પટેલ, ભાઈલાલ પટેલ વગેરેના મનમાં આકાર લેવા માંડી હતી. આમાં ગુજરાતના મહાજનોનો પણ સહકાર હતો અથવા તો એમ કહો કે સરદાર અને મુનશીએ તેમને ગુજરાતના ઘડતરના કામમાં જોતર્યા હતા. આઝાદીના સંકેત મળવા લાગ્યા કે તરત જ ગુજરાતમાં સંસ્થાઓ સ્થપાવા લાગી હતી અને રચનાત્મક આંદોલનો શરૂ થઈ ગયાં હતાં. આણંદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍિગ્રકલ્ચર સરદારે અને મુનશીએ ૧૯૪૦માં સ્થાપી હતી. એની પાછળ-પાછળ ચરૂતર કેળવણી મંડળે શિક્ષણ-પ્રસારનું કામ હાથ ધર્યું હતું અને સરદાર પટેલ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી હતી. આ યુનિવર્સિટી અત્યારે વલ્લભ વિદ્યાનગરના નામે વટવૃક્ષમાં પરિણમી છે. એ જ અરસામાં દૂધ-ઉત્પાદકોની સહકારી મંડળી રચવાનું આંદોલન શરૂ થયું અને ૧૯૪૬માં અમૂલની સ્થાપના થઈ હતી. મુંબઈ યુનિવર્સિટીને ટક્કર મારે એવી એક યુનિવર્સિટીની ગુજરાતને જરૂર છે એમ મુનશીને લાગતાં તેમના પ્રયત્નોના પરિણામે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સ્થપાઈ હતી. ૧૯૪૯માં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.


સંશોધનપ્રવૃત્તિ ગુજરાતમાં શરૂ કરાવવામાં વિક્રમ સારાભાઈનો મોટો હાથ હતો. પ્રતિષ્ઠિત અટિરા (અહમદાબાદ ટેક્સટાઇલ રિસર્ચ અસોસિએશન, સ્થાપના ૧૯૪૭), ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (સ્થાપના ૧૯૪૭), એલ. ડી. (લાલભાઈ દલપતભાઈ) કૉલેજ ઑફ એન્જિનિયરિંગ (સ્થાપના ૧૯૪૮), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (સ્થાપના ૧૯૬૧), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (સ્થાપના ૧૯૬૧), સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ ઍન્ડ ટેક્નૉલૉજી (સ્થાપના ૧૯૬૨) વગેરેનો ગુજરાતના અને દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે.


ટૂંકમાં, ૧૯૬૦માં દ્વિભાષિક મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાતની સ્થાપના થઈ એ પહેલાં ગુજરાતની કલ્પના પરિપક્વ થઈ ચૂકી હતી. સૌરાષ્ટ્રની સરકારને જે આઠ વર્ષ (૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યને મુંબઈ રાજ્યમાં વિલીન કરી દેવામાં આવ્યું હતું) મળ્યાં એનો સૌરાષ્ટ્રના વિકાસ માટે ઉત્તમ લાભ લેવામાં આવ્યો હતો. ગુજરાતના વિકાસ માટે ઉપયોગી સંસ્થાઓ અને રચનાત્મક આંદોલનોએ ગુજરાતના વિકાસ માટે અનુકૂળ ભૂમિ કેળવી આપી હતી.


૧૯૬૦ની પહેલી મેએ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે એના સૂચિત નામ ‘મહાગુજરાત’માંથી ‘મહા’ શબ્દ હટાવી દેવામાં આવ્યો હતો, કારણ કે આત્મિïવશ્વાસથી છલકાતા ગુજરાતીઓને મિથ્યાભિમાનની જરૂર નહોતી. મહાગુજરાત શબ્દ મહારાષ્ટ્રના જવાબરૂપે ચલણમાં આવ્યો હતો. મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની સામે ગુજરાતમાં અલગ મહાગુજરાત આંદોલન શરૂ થયું હતું. ગુજરાતની સ્થાપના સાબરમતી આશ્રમમાં રવિશંકર મહારાજના હાથે કરવામાં આવી હતી. આ ઘટનામાં ગુજરાતના શાસકોનો વિવેક પ્રગટ થાય છે. ગુજરાતની સ્થાપનાના સમારોહમાં ઉમાશંકર જોશીએ ‘ગાંધીના રસ્તે ચાલીશને ગુજરાત’ એવી સાવધાની વર્તવાની શિખામણ આપનારી કવિતાનું પઠન કર્યું હતું. ગુજરાતનું કલ્યાણ ગાંધીના માર્ગે જ છે અને એ સિવાયના બીજા માર્ગમાં જોખમ છે એમ ઉમાશંકરે કવિતા દ્વારા કહ્યું હતું. ગુજરાતની પ્રજાએ આજે ગાંધીનો મારગ છોડી દીધો છે એ આઘાતજનક ઘટના છે. ઉમાશંકરને આવો અંદેશો ત્યારે જ આવી ગયો હોવો જોઈએ.


મુંબઈ ગુમાવવાનો કોઈ વસવસો ગુજરાતીઓએ અનુભવ્યો નહોતો. ગુજરાતે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને જામનગરનો વિકાસ કરીને મુંબઈનો ઉત્તર શોધી લીધો છે; જ્યારે મહારાષ્ટ્ર મુંબઈમાં અટવાઈ ગયું છે. ગુજરાતે ઠીક-ઠીક પ્રમાણમાં સમથળ વિકાસ સાધ્યો છે તો બીજી બાજુ આપણે જોઈએ છીએ કે મુંબઈ મહારાષ્ટ્રના પગની બેડી બની ગયું છે. મુંબઈના પોર્ટની અવેજીમાં ગુજરાતે કંડલાનું પોર્ટ વિકસાવ્યું છે જે મુંબઈની ગરજ સારે છે. અત્યારે પીપાવાવનું બંદર પણ ઝડપથી વિકસી રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે વાપીથી વટવાનો ગોલ્ડન કૉરિડોર ગુજરાતે વિકસાવ્યો છે. ૧૯૬૨માં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (જીઆઇડીસી)ની સ્થાપના કરવામાં આવી હતી. જીઆઇડીસીનાં સંકુલો સમગ્ર ગુજરાતમાં સ્થાપવામાં આવ્યાં છે. ૧૯૭૦ સુધીમાં ગુજરાત મહારાષ્ટ્ર કરતાં આગળ નીકળી ગયું હતું એ ઉથાપી ન શકાય એવી હકીકત છે.
ગુજરાતનો વિકાસ કેવળ શાસકોને કારણે થયો છે એવું નથી. ગુજરાતના વિકાસમાં પ્રજાનો અને ગુજરાતની મહાજન સંસ્કૃતિનો ઘણો મોટો ફાળો છે. સરકાર કરતાં પણ વધુ ફાળો ગુજરાતની પ્રજાનો છે. જ્યાં ગુજરાતની પ્રજા હોય ત્યાં નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય સુધી રાહ જોવી પડે ખરી? ગુજરાતીઓ જો મુંબઈ અને કરાચીને વિકસાવી શકે તો ગુજરાતને ન વિકસાવી શકે? આ એ પ્રજા છે જે સંજોગો બદલાતાં મુંબઈ અને કરાચીને પાછળ મૂકીને આગળ નીકળી ગઈ છે.

 

ગુજરાતના વિકાસમાં નરેન્દ્ર મોદીનો કોઈ જ ફાળો નથી એમ કહેવાનો આશય નથી. વિકાસશીલ પ્રજાને વધુ વિકસવાની અનુકૂળતા તેમણે પણ કરી આપી છે. શાસક તરીકે તેમનો એ ધર્મ છે. બીજાના યોગદાનની ઉપેક્ષા કરવી કે બીજાના શ્રેયને આંચકી જવું એ ધર્મ નથી. મજબૂત પાયા પર ચણતરકામ નરેન્દ્ર મોદી પણ કરી રહ્યા છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે ફાઉન્ડેશન પૂર્વસૂરિઓએ કર્યું હતું. તેઓ ગુજરાતના વિકાસની વાત એ રીતે કરી રહ્યા છે જાણે નરેન્દ્ર મોદીના અવતરણ પહેલાં ગુજરાત પ્રાગ-આધુનિક કબીલાઓનો પ્રદેશ હોય. નર્લિજ્જતામાં પણ પ્રમાણભાન હોવું જોઈએ નરેન્દ્રભાઈ. 
ગુજરાત પર કુદરત ઓછી મહેરબાન


ગુજરાત પર કુદરતની મહેરબાની પ્રમાણમાં ઓછી છે. સિંચાઈ અને પીવા માટે પાણી ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે. ગુજરાતે મધ્યમ કદની અને વિશાળ કદની સિંચાઈયોજનાઓ વિકસાવીને જળસ્રોતનો ઉપાય શોધી કાઢ્યો છે. ઉકાઈ અને નર્મદાયોજનાઓ ૧૯૬૦ના દાયકામાં શરૂ થઈ હતી. નર્મદા યોજનાનો શિલાન્યાય જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં કર્યો હતો. પાણીની વહેંચણી અંગે સંબંધિત રાજ્યો વચ્ચેના ઝઘડાને કારણે નર્મદાયોજના અઢી દાયકા સુધી અટવાઈ ગઈ હતી. ગુજરાતના શાસકોએ ધીરજપૂર્વક એનો પણ ઉપાય શોધી કાઢ્યો હતો. નર્મદાયોજનાનું શ્રેય સનત મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલને જાય છે. બીજી બાજુ ગુજરાતે વિશાળ સમુદ્રકિનારાનો લાભ લઈને મત્સ્યોદ્યોગ વિકસાવ્યો છે.

 

(સદ્દભાવ :http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj161212-24)

 

Loading

In Gujarat, NaMo TV markets the chief minister 24X7

Radhika Bordia [NDTV]|English Bazaar Patrika - Features|12 December 2012

In Gujarat, NaMo TV markets the chief minister 24X7

Reported by Radhika Bordia |

Updated: December 12, 2012 16:09 IST

Ahmedabad: On a Sunday afternoon, in Ghatlodia, a middle class Hindu neighbourhood, friends and family are glued to their TV screens. The most rapt among them are women. 

What commands their attention is not a soap opera or a Bollywood bluster, but the man who is seeking a third term as chief minister of Gujarat.

Narendra Modi, who has his own TV channel NAMO, appears to enjoy high ratings here. On screen, dressed in a saffron kurta and red bandhini turban, he lists his achievements before sharing a catalogue of potshots at his rivals in colourful, idiomatic Gujarati. 

"He speaks so well and has made Gujarat strong" is the repeated refrain. 

In the 2007 assembly elections, women took the lead in voting for Mr Modi and today, in constituencies like Ghatlodia, where the BJP has won continuously since 1978, it's women who are NAMO's most loyal viewers.

The new 24-hour channel, funded by the BJP, was launched to coincide with the state elections and is already being beamed into approximately two crore homes across Gujarat. 

"Modi's rivals have launched a fallacious campaign to bring him down so we felt the need for a channel that would project the truth – give voice to the BJP workers and highlight the immense work that the chief minister had done for his homeland," reasons BJP spokesperson Bharat Pandya. 

It is not uncommon for the BJP to project Mr Modi as a victim of his own success, eliciting calumny by critics jealous of Gujarat's development and a determination to check the ambition and progress of the entrepreneurial Gujarati.   

The channel often uses the emotional tagline of "Gaurav Gujarat" coupled with programmes that often have the word 'vikas' or development in them – 'Vaat Vikas Ni' (Development Talk), for instance, has a huge following. In many of its episodes, you see the chief minister out on the streets, at times picking up a broom to clean garbage, or sitting amidst new mothers telling them what to feed their children. 

Mr Modi, renowned as an astute and gripping orator, excels as a television personality. He is on the channel 24×7.

Away from the studios of NAMO, kept out of bounds from those curious like us, in many other sections of the Gujarati media, there seems to be a whisper of change.

After the riots of 2002, in which 1200 people were killed, the Gujarati media was criticised for speaking in one voice – the chief minister's. 

The extent of this was apparent when publications in their English editions in Mumbai would condemn the state for not containing the riots, while their Gujarati editions would insist the riots were the result of a spontaneous outburst of justified anger.

"After a decade of horrible insulation, finally in 2012, despite paid news and other such stuff, it has become possible for the media to question Modi. I am not sure how much depth there is in this criticism but now that Modi can be criticised, the space to think of alternatives has only just begun." 

When a veteran journalist like Prakash Shah makes this statement, any talk of a change in the Gujarati media has be taken seriously. 

In his white kurta-pyjama and thick black-rimmed glasses, Mr Shah is an institution in himself. He's the editor of a historical fortnightly called Nirikshak, or Observer, which reflects a rare tradition of Gujarati intellectualism that has managed to stay afloat. Nirikshak's founding members were men like the great Gujarati writer Uma Shankar Joshi, educationist Purshottam Mavalankar and HM Patel, India's Finance Minister after the Emergency. 

"These men were also politicians, came from different political traditions but worked together, surely that's the tradition of vibrant Gujarat we need to remember," points out Mr Shah. Ask him how he keeps the publication alive and he responds with hearty laughter and this: "I feel small publications like Nirikshak or Bhoomika have miniscule circulation but can help lead the debate on alternatives for Gujarat, where development does not have to come at the cost of intellectual growth or social justice. Gandhi, Nehru and Patel worked with some consensus, we need to perhaps revisit that to find some answers, not constantly try to pit them against each other." 

Nirikshak may be a radical world apart, but Prakash Shah's observation of a subtle shift in the media is an opinion shared by many on the ground. One reason for this is that a city like Ahmedabad is waking up to many new players in the print media. "When there is competition, reporters are forced to hunt for original stories, which often takes them to different sections of society. Inadvertently, that sometimes leads to a greater representation," argues Alamdar Bukhari, joint editor of Gujarat Today. 

At the Gujarat Today office on Shah Alam Road in Ahmedabad, the entrance has an open glass cabinet that prominently displays the awards the newspaper has received, primarily for fostering communal harmony. 

"We don't eulogise any leader nor do we go after anyone, which is why I think even the present government has recognised our work. And as a voice for the Muslims we are responsible not to use emotional or religious rhetoric but to stick to agendas of development and political empowerment," says editor Yunus Patel. 

Among the election stories of the day, a report on the absence of Muslim candidates in the elections is followed by an editorial by Bukhari on the same theme: "Out of six crore Muslims, the BJP could not find one suitable Muslim candidate and the Congress only eight. I wrote a column asking the BJP some tough questions on how they plan to explain this, given their thrust on Sadhbhavna (communal harmony)."

Just the fact that these tough questions can now be asked and debated, in itself becomes a story in Gujarat.

Loading

...102030...4,1254,1264,1274,128...4,1404,1504,160...

Search by

Opinion

  • બાવલાનાં પરાક્રમો 
  • સ્ફુલ્લિન્ગ (1) અને (2)
  • ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ – ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:
  • નરેન્દ્ર દેવ: ભારતીય સમાજવાદના સિદ્ધાંતકોવિદ
  • ઓમર યાગી : એક રૂમના ઘરથી નોબેલ પારિતોષિકના મંચ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved