Opinion Magazine
Number of visits: 9697061
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય અર્થતંત્ર ઃ દશા અને દિશા

આકાશ આચાર્ય|Samantar Gujarat - Samantar|13 October 2013

15 ઓગસ્ટ, 2013ના રોજ ભારતની આઝાદીના 66 વર્ષો પૂરાં થયાં. આટલો સમયગાળો કોઈ પણ દેશના અર્થતંત્રના મૂલ્યાંકન માટે પૂરતો કહેવાય અને તેથી આઝાદીના 67માં વર્ષે ભારતીય અર્થતંત્રે કેટલી મજલ કાપી છે, ક્યાં ઊભું છે અને કઈ દિશામાં કેટલી ગતિથી જઈ રહ્યું છે તે જાણવું જરૂરી છે. ભારતીય અર્થતંત્ર વિશે ઘણાં પ્રકારના ખ્યાલો પ્રવર્તમાન છે. Shining India, Superpower Indiaથી માંડીને Shabby India સુધીના ખ્યાલોનો આમાં સમાવેશ થઈ જાય છે. કેટલાક અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર દોરે છે તો કેટલાકના મતે ભારતીય અર્થતંત્ર ખાડે ગયું છે. અર્થશાસ્ત્રીઓમાં પણ મતમતાંતરો છે. હાલમાં જ ટી.વી. તથા વર્તમાનપત્રોમાં બે દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ જેવા કે નોબેલ પારિતોષિક વિજેતા પ્રો. અમર્ત્ય સેન તથા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પ્રો. જગદીશ ભગવતી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે. પ્રો. અમર્ત્ય સેનના મતે ભારતે શિક્ષણ તથા આરોગ્ય પાછળ વધુ જાહેર ખર્ચ કરવાની જરૂર છે જેથી માનવીય વિકાસ (Human Capacity Building) દ્વારા આર્થિક વૃદ્ધિનો દર ઊંચે લાવી શકાય. જ્યારે પ્રો. જગદીશ ભગવતીના મતે આર્થિક વૃદ્ધિ ઉપર પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેથી સરકારને કરવેરાઓ દ્વારા વધુ આવક પ્રાપ્ત થાય અને જે માનવવિકાસ પાછળ વાપરી શકાય.

અર્થતંત્ર એક વિશાળ વ્યવસ્થા છે જેના વિવિધ આયામો છે જેવા કે આર્થિક વૃદ્ધિ, વિકાસ, ગરીબી, બેકારી, ફુગાવો, આંતરરાષ્ટ્રીય વેપાર, નાણાંકીય નીતિ, શેરબજાર, કૃષિ, ઉદ્યોગો, સેવાઓ, વગેરે. પ્રસ્તુત લેખમાં બધા આયામોની ચર્ચા શક્ય નથી તેથી ખાસ કરીને માનવવિકાસને લગતા જે પાસાંઓ છે જેમાં મુખ્યત્વે માથાદીઠ આવક, શિક્ષણ તથા આરોગ્યનો સમાવેશ થાય છે તેની ચર્ચા છે. તદુપરાંત વસ્તી તથા ગરીબી આ બાબતો સાથે સીધી રીતે સંકળાયેલી હોવાથી તેની પણ ચર્ચા છે.

વસ્તી

ભારત જ્યારે 1947માં આઝાદ થયું ત્યારે ભારતની વસ્તી 36 કરોડની આસપાસ હતી જે વધીને 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 121 કરોડની આસપાસ છે. 66 વર્ષમાં આ 336%નો વધારો સૂચવે છે જે અસામાન્ય કહી શકાય તેવો છે. વસ્તી વિષયક નિષ્ણાંતોની ગણતરીઓ મુજબ ભારત 2025 થી 2030ની સાલની વચ્ચે ચીનની વસ્તીને આંબી જશે અને વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે. વસ્તીના આટલા મોટા આંકડાની અર્થતંત્ર ઉપર નકારાત્મક અસરો ઉપર તો ઘણું સાહિત્ય ઉપલબ્ધ છે પરંતુ આજકાલ એક નવો પારિભાષિક શબ્દ ચલણમાં છે `demographic divided', જેનું ગુજરાતી કેટલાક `લાભદાયી વસ્તી' કરે છે. આ શબ્દ વસ્તીમાં ઉંમરના પ્રમાણ (Age structure) સાથે સંકળાયેલો છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની અડધાથી વધુ વસ્તી  25 વર્ષથી નાની ઉંમરોના યુવાનોની બનેલી છે અને 65% થી વધુ વસ્તી 35 વર્ષની નાની વયના યુવા વર્ગની. કોઈ પણ રાષ્ટ્ર માટે આટલા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ યુવાવર્ગ આર્થિક વિકાસ માટેનું ચાલકબળ બની શકે છે જો આ યુવાધન શિક્ષિત, આરોગ્યપ્રદ અને બજારની જરૂરિયાત પ્રમાણે કેળવણી પામેલ હોય તો. જો આમ હોય તો આ યુવાધન ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવશે પણ જો આમ ન હોય તો demographic dividend, demographic disasterમાં પણ ફેરવાઈ શકે છે અને વ્યાપક બેકારી, સંઘર્ષો સર્જી શકે છે.

વસ્તીને લગતો બીજો મહત્ત્વનો મુદ્દો Sex ratio કે લિંગ ગુણોત્તર છે જે 1000 પુરુષની સામે સ્ત્રીૃઓની સંખ્યા દર્શાવે છે. આ ગુણોત્તર 940ની આસપાસ ફર્યા કરે છે જે સમાજના પ્રવર્તમાન દીકરા-દીકરીના ભેદભાવનો સૂચક છે. કોઈ પણ વિકસિત, પ્રગતિશીલ, સભ્ય સમાજમાં આ પ્રકારના ભેદભાવ સ્વીકાર્ય ન હોઈ શકે કે જેમાં સ્ત્રીઓને જન્મથી લઈને કારકીર્દિ વિકસાવવા સુધી અને ત્યારબાદ ડગલે ને પગલે gender discrimination(લિંગ ભેદભાવ)નો સામનો કરવો પડે.

આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવક

આઝાદી બાદ લગભગ સાત પંચવર્ષીય યોજનાઓ સુધી ભારતનો આર્થિક વૃદ્ધિદર 2-3%ની આસપાસ રહેતો આવ્યો હતો જેને પ્રો. રાજક્રિશ્નાએ Hindu rate of growth તરીકે ઓળખાવ્યો હતો. 1990-91માં આવેલ આર્થિક કટોકટી કે જેમાં વિદેશી હૂંડિયામણ માત્ર એક-બે અઠવાડિયા ચાલે તેટલું જ હતું ત્યારે આ પ્રકારના વિકટ સંજોગો ઊભા થતા અર્થતંત્રના પ્રવાહો પલટાયા અને ભારતમાં ઉદારીકરણ-ખાનગીકરણ-વૈશ્વિકીકરણ (LPG)નો યુગ શરૂ થયો. જાહેરક્ષેત્રોનું પ્રભુત્વ (commanding heights) ઘટવા માંડયું અને બજારનું મહત્ત્વ વધવા માંડયું અને તેની અસર આર્થિક વૃદ્ધિના દર ઉપર દેખાવા માંડી અને 7-8% સુધી પહોંચ્યો. જો કે નવી આર્થિક નીતિના બે દાયકા ઉપરના સમય બાદ આર્થિક વૃદ્ધિ દર ફરી 5% પર આવી ગયો છે, જેને કેટલાક Neo Hindu rate of growth તરીકે ઓળખાવે છે. આઝાદી સમયે ભારતની માથાદીઠ આવક જે (ભાવવૃદ્ધિની અસરો ગણતરીમાં લેતા) 7000 હતી તે વધીને 40,000 જેટલી થઈ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય તુલનામાં ભારતનો નંબર 126મો છે. જે દેશો ભારતની આઝાદીની આસપાસ આઝાદ થયા હતા અને જેઓએ ભારતની જેમ જ નવી શરૂઆત કરી હતી તેવા દેશો જેવા કે સાઉથ કોરીઆ, જાપાન, સિંગાપોર અને ચીનનો ક્રમાંક અનુક્રમે 26, 23, 4 અને 92મો છે. આમ, આ બધા દેશોની માથાદીઠ આવક ભારતથી વધુ છે.

ગરીબી

ભારતમાં ગરીબીને લગતા આંકડાઓ તથા ગરીબી રેખાની વ્યાખ્યા ઉપર જેટલા વિવાદો થયા છે તેટલા વિવાદો બીજા કોઈ આંકડાઓ માટે નથી થયા. 1973-74માં આયોજન પંચ દ્વારા કેલેરીને આધાર બનાવી ગ્રામ્ય પ્રદેશમાં માથાદીઠ 2400 કેલેરી અને શહેરમાં માથાદીઠ 2100 કેલેરીની ન્યુનતમ જરૂરિયાતને ધ્યાનમાં લઈ તેટલી કેલેરી સંતોષવા કરવા પડતા ખર્ચને આધારે ગરીબીની રેખા નક્કી કરવામાં આવી. પ્રો. તેંડુલકર દ્વારા ઘડવામાં આવેલ formula પ્રમાણે ભારતમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોનું પ્રમાણ 55%થી ઘટીને 22%ની આસપાસ આવી ગયું છે. ટીકાકારોના મતે ગરીબી રેખાની વ્યાખ્યા ખૂબ નીચી રાખવામાં આવી છે, (પદ્ધતિ)methodologyમાં એ પ્રકારના ફેરફારો થયા છે જે આંકડાઓની તુલના મુશ્કેલ બનાવે છે. હાલમાં પણ આયોજનપંચ દ્વારા પ્રો. રંજરાજન સમિતિની નિમણૂંક કરવામાં આવી છે જે નવી ગરીબી રેખા થોડા સમયમાં જાહેર કરશે. આ વિવાદો બાજુ પર મુકતા પણ બે બાબતો સ્પષ્ટ છે. એક કે ગરીબીમાં ઘટાડો થયો છે અને બે કે સાથોસાથ કરોડો લોકો ગરીબીની રેખાને અડકીને જીવી રહ્યાં છે જેમના જીવનધોરણમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોના જીવન ધોરણ કરતાં કોઈ મોટો તફાવત નથી. સંખ્યા પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ ગરીબો ભારતમાં વસે છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખા જે વિશ્વ બેંન્ક દ્વારા માથાદીઠ સરેરાશ 2 ડોલર રાખવામાં આવી છે તે પ્રમાણે ભારતાં 69% લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે જે આંકડો ચીન માટે 30% છે. આમ, ચીન કરતાં ભારતમાં ગરીબીનો દર બમણાથી પણ વધુ છે. એક બાજુ ગરીબીની આ દારૂણ સ્થિતિ પ્રવર્તે છે તો બીજી બાજુ સૌથી વધુ ધનિકો(ડોલર અબજોપતિ)ની યાદીમાં ભારતનો ક્રમ બીજો છે!

શિક્ષણ

ભારતના સાક્ષરતા દરમાં આઝાદી બાદ સારો એવો વધારો નોંધાયો છે. 1951માં સાક્ષરતા દર 18% હતો જે 2011માં 74% થયો. સ્ત્રી સાક્ષરતા દર 9% થી વધીને 66% થયો છે પરંતુ સાક્ષરતા દરમાં સ્ત્રી-પુરુષનો તફાવત (gender gap) યથાવત રહેવા પામ્યો છે. ચીનનો સાક્ષરતા દર 92% તથા સ્ત્રી સાક્ષરતા દર 89% છે. યુરોપના દેશો કે અમેરિકાને બાદ કરતા પણ સાઉથ કોરીઆ, જાપાન, તાઈવાન જેવા દેશો લગભગ સંપૂર્ણ સાક્ષરતા સુધી પહોંચી ગયા છે. ભારતમાં સર્વ શિક્ષા આભિયાન દ્વારા ગામે ગામ શાળાઓ ખૂલી ચૂકી છે, enrollment તથા dropout rateમાં સુધારો નોંધાયો છે પણ વિદ્યાર્થીઓની ગ્રહણશક્તિ તથા શિક્ષણની ગુણવત્તા સામે ઘણા પ્રશ્નાર્થો છે. પ્રથમ સંસ્થા દ્વારા કરવામાં આવતી મોજણી દર વર્ષે ASER (Annual Status of Education Report) તરીકે પ્રસિદ્ધ થાય છે તે પ્રમાણે ધોરણ પાંચમા ભણતા 50% બાળકો ધોરણ 2ના પુસ્તકો પણ બરાબર વાંચી શકતા નથી. ગણિતને લગતી સામાન્ય ગણતરીઓમાં પણ આ જ સ્થિતિ છે અને સરકારી કે ખાનગી શાળાઓનો દેખાવ ગુણવત્તા બાબતે લગભગ સરખો જ છે. 63% શાળાઓમાં છોકરીઓ માટે અલાયદા જાજરૂની વ્યવસ્થા કાર્યરત નથી. ભારત સરકાર રાષ્ટ્રીય આવકના 3.3% શિક્ષણ પાછળ ખર્ચે છે જેમાં ભારતનો નંબર 131મો છે.

શિક્ષણમાં ખાનગીકરણ ખૂબ ઝડપી પ્રસરી રહ્યું છે. નવી સરકારી શાળાઓ ભાગ્યે જ ખૂલે છે અને કેટલીક બંધ થઈ રહી છે. તો તેની સામે ખાનગી શાળાઓ તથા તેમાં ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ ચિત્ર ઉપસી રહ્યું છે. પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન ખાનગી યુનિવર્સિટીની સંખ્યા 16થી વધીને 140 ઉપર પહોંચી ગઈ છે. આ તમામ યુનિવર્સિટીઓ સ્વનિર્ભર અભ્યાસક્રમો ચલાવે છે અને ફીના ધોરણો ઊંચા રાખે છે. સાહિત્ય અને સમાજવિજ્ઞાનને લગતી વિદ્યાશાખાઓ ક્ષીણ થતી જાય છે. વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓની તાજેતરની યાદીમાં ભારતમાંથી એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. ચીન, સિંગાપોર, જાપાન તથા હોંગકોંગ જેવા દેશોની યુનિવર્સિટીઓ આ યાદીમાં છે. તો બીજી બાજુ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં ભણાવતા પ્રોફેસરોમાં ભારતીયોનું પ્રમાણ ઘણું છે. અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓ જેવી કે Harvard, MIT, Yale, Columbia, Cornell, UCLA વગેરેના અર્થશાસ્ત્ર વિભાગોમાં ઘણાં ભારતીય પ્રોફેસરો છે અને તેઓ પોતાના વિષયમાં આંતરરાષ્ટ્રીય શાખ ધરાવે છે. આમ કેમ થઈ રહ્યું છે તે વિચારવા લાયક છે.

આરોગ્ય

આઝાદી સમયે ભારતીયનું સરેરાશ આયુષ્ય જે 32 વર્ષ હતું તે વધીને 64 વર્ષ થયું છે. બાળમૃત્યુ દર 122 પરથી ઘટીને 47 થયો છે. પરંતુ રાજ્ય આરોગ્ય પાછળ રાષ્ટ્રીય આવકના ફક્ત 1%ની આસપાસ ખર્ચ કરે છે. આટલો ઓછો ખર્ચ જાહેર આરોગ્ય પાછળ ભાગ્યે જ કોઈ બીજા દેશો કરે છે અને ભારતનો ક્રમ આ બાબતે 164મો છે. ભારતમાં આરોગ્ય સેવાઓ જેવી મહત્ત્વની બાબત લગભગ ખાનગીક્ષેત્ર હસ્તક છે. ગરીબોને પણ એક યા બીજા કારણોસર તેના શરણે જવા સિવાય છૂટકો નથી કારણ કે જાહેર આરોગ્યના કેદ્રો પાસે પૂરતો દવાઓનો જથ્થો, તબીબો, પરિચારિકાઓ વગેરે નથી. હોસ્પિટલમાં દાખલ થતાં 40% લોકોને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા દેવું કરવું પડે છે કે ઘરવખરીનો સામાન વેચવા કાઢવો પડે છે. લગભગ 25% લોકો તો આરોગ્ય ખર્ચના બોજાને કારણે ગરીબી રેખાની નીચે ધકેલાઈ જાય છે. અડધો અડધ બાળકો કુપોષણથી પીડાય છે.

સમાપન

સમગ્રપણે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે ભારતીય અર્થતંત્રે પ્રગતિ તો કરી છે પરંતુ કેટલાક મહત્ત્વના માનવીય વિકાસ(Human Development)ને લગતા પાસાઓ પરત્વે દુર્લક્ષ સેવાયુ છે અને આ મુદ્દાઓ પર વધુ ધ્યાન કેદ્રિત કરવાની જરૂર છે. છેલ્લા પ્રસિદ્ધ થયેલ (માર્ચ 2013) માનવીય સૂચક આંક(Human Development Index)માં ભારતનો ક્રમ છેક 136મો છે. આપણા પાડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, નેપાળ તથા શ્રીલંકા જેઓની માથાદીઠ આવક ભારત કરતા ઘણી ઓછી છે તેઓ પણ સરેરાશ આયુષ્ય, બાળમૃત્યુ દર, સ્ત્રી સાક્ષરતા દર, બાળ કુપોષણ, રસીકરણ જેવા મુદ્દાઓ ઉપર ભારતથી સારો દેખાવ કરી રહ્યા છે જે ભારત માટે ચિંતાજનક છે. માનવીમાં મૂડીરોકાણ એ સૌથી મહત્ત્વનું મૂડીરોકાણ છે જેનું વળતર વર્ષો પછી દેશની પ્રગતિમાં દેખાય છે. તેથી ભારતે શિક્ષણ, આરોગ્ય અને તેના દ્વારા માનવીય ક્ષમતા નિર્માણ (Human Capacity Building) પર ખાસ ભાર આપવાની જરૂર છે.

એસોસિયેટ પ્રોફેસર, સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, સુરત

e.mail : akash.acharya@gmail.com

Loading

શટ અપ માનવતા !

દિવ્યેશ વ્યાસ|Samantar Gujarat - Samantar|8 October 2013

માથે મેલુંના મુદ્દે બેશરમ તંત્ર-સમાજ સુધરશે?

સંસદના ચોમાસુ સત્રમાં માથે મેલું ઉપાડવાની અમાનવીય પ્રવૃત્તિને નાબૂદ કરવા અને સફાઈ કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવા અંગેનું વિધેયક પસાર કરાયું, પણ કમનસીબે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડી જોવા મળે છે ત્યારે સફાઈકર્મીઓનું કલ્યાણ હજુ પણ દિવાસ્વપ્નસમું ભાસે છે

સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું પછી કેન્દ્ર સરકારે હાશકારો અનુભવ્યો હશે, કારણ કે તે પોતાના માટે મતના ડુંગરા ખડા કરે એવાં બે વિધેયકો – ખાદ્ય સુરક્ષા વિધેયક અને જમીન સંપાદન વિધેયક પસાર કરાવવામાં આખરે સફળ થઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી વિધેયકોની ચર્ચામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ વિધેયકની ચર્ચા કોરાણે રહી ગઈ, ન સત્તાધારી પક્ષ કે ન તો વિપક્ષોમાંથી કોઈને એ વિધેયક માટે કોઈ ખાસ પરવા હતી, કારણ કે તેનાથી નહોતો ફાયદો કોઈ ચૂંટણી ભંડોળ છલકાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો કે નહોતો કોઈ મોટી મતબેન્કનો. એટલે આખરે આ વિધેયકની નિયતિ પણ એ જે લોકો માટે ઘડાયું છે એમના જેવી થઈ!

આ વિધેયક માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી માટેનું અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોના પુનર્વસનનું છે. આ વિધેયકનું પૂરું નામ છે – ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન બિલ, ૨૦૧૨. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ને શુક્રવારના રોજ આ વિધેયક લોકસભામાં પસાર કરાયું અને બીજા દિવસે એટલે કે શનિવારે તેને રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવાયું. ધ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાઇ લેટ્રીન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૯૩ને બદલે હવે આ નવી-સુધારેલી જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં આવશે. જૂના કાયદાની જગ્યાએ આવેલો નવો કાયદો ચોક્કસ કેટલીક આવકાર્ય જોગવાઈઓ ધરાવે છે, છતાં કાયદાકીય જાણકારો અને દલિત અધિકારો માટે વર્ષોથી કાર્યરત સામાજિક કાર્યકરોના મતે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડીઓ નજરે પડે છે, જેના કારણે માથે મેલું ઉપાડનારા અને સફાઈ કામદારોનાં જીવનમાં રાતોરાત કંઈ પરિવર્તનનો પ્રકાશ વ્યાપી જશે, એવું માનીને રાજી થવા જેવું નથી.

૧૯૯૩ના કાયદા કરતાં આ નવા કાયદામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવી છે. માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ કરાવનાર સામે હવે ક્રિમિનલ કેસ થશે અને એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. વળી, સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે. બે વર્ષની કેદ કે વધુમાં વધુ ૫૦,૦૦૦નો દંડ અથવા તો બન્નેની સજા ફટકારી શકાશે. કોઈ વ્યક્તિએ મેન્યુઅલી સાફ કરવાં પડે એવાં સૂકાં શૌચાલયોના બાંધકામ પર જ પ્રતિબંધ છે અને એવાં હયાત શૌચાલયોને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે. મેન હોલમાં ઊતરીને સફાઈ કરવાની થતી હોય ત્યાં જરૂરી સુરક્ષાનાં સાધનો અને માસ્ક વગેરે પૂરાં પાડવાની પણ ફરજ પાડવામાં આવી છે. વળી, અત્યારે જે લોકો આ વ્યવસાયમાં છે, તેમના માટે વૈકલ્પિક રોજગારીનું નિર્માણ કરીને તેમનું પુનર્વસન કરવાની પણ આવકારદાયક બાબતોનો સમાવેશ કરાયો છે, છતાં ખાટલે મોટી ખોટ એ છે કે તેમાં રેલવે સહિતનાં સરકારી તંત્રો અને નિગમોને પહેલેથી જ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે, જે આ કાયદાની હવા કાઢી નાખવા માટે પૂરતી છે.

જો સરકારી તંત્રોમાં જ આનો અમલ કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો પછી ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે તો તમે કઈ રીતે ચુસ્ત અમલ કરાવી શકવાના? બીજો મોટો મુદ્દો એ છે કે આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર જ છોડી દેવામાં આવી છે. સ્થાનિક તંત્ર પોતે જ આ અંગે સર્વે કરશે, એનો અહેવાલ બનાવશે અને તેના પર કાર્યવાહી કરશે, એવી વ્યવસ્થા છે. હવે કયું તંત્ર સામેથી ગુનો કબૂલશે, એને સુધારવાની તસ્દી લેશે કે સજા ભોગવશે? ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આજે ય સફાઈ કર્મચારીઓ મેઇન હોલમાં ડૂબી કે ગૂંગળાઈને કમોતે મરી રહ્યા છે. એ કર્મચારીના પરિવારને વળતરની વાત તો દૂર રહી પણ આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટો પર નિર્ભર બનેલું સરકારી તંત્ર પાછું શાણું થઈને પોતાનો બચાવ કરતું હોય છે અને આવી કોઈ સ્થિતિ હોવાનો ઇનકાર કરતું હોય છે. ગરીબી ઘટયાનું સાબિત કરવા માટે બીપીએલ કાર્ડ ઇશ્યૂ ન કરતાં રીઢા તંત્ર પાસે આ કાયદાના અમલ માટે કેટલી આશા રાખી શકાય, એ યક્ષપ્રશ્ન છે.

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય વ્યવસાયમાં સંકળાયેલા છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ પછાત કે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાંથી આવતી હોય છે. આ ઉપરાંત આપણાં મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફ-સફાઈની પદ્ધતિ આજે પણ જરીપુરાણી છે અને એટલે ગંધાતી ગટરને સાફ કરવા માટે સફાઈકર્મીઓએ મેઇન હોલમાં ઊતરવું પડે છે, જે માથે મેલું ઉપાડવા કરતાં ક્યાંક વધારે જોખમી અને દુષ્કર હોય છે. ઈ-ગવર્નન્સની શેખીઓ મારતી સરકારોને ગટર સાફ કરવાનાં આધુનિક સાધનો વસાવવાનું કેમ સૂઝતું નહીં હોય? આપણે આધુનિક સમાજ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, પણ આપણી વર્ણવ્યવસ્થાથી પેદા થયેલી અસ્પૃશ્યતાએ અમુક વર્ગ માટે સર્જેલી અમાનવીય સ્થિતિ બાબતે લાપરવા છીએ. કાયદાની જરૂર ત્યારે પડે જ્યારે સમાજને તે અંગે સભાનતા ન હોય અને આવી સ્થિતિમાં કાયદો જરૂરી હોય ત્યારે એ કાયદો કલ્યાણકારી, સ્પષ્ટ અને છટકબારી વિનાનો હોવો જોઈએ.

દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

divyeshvyas.amd@gmail.com

(સૌજન્યઃ ‘સમય સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 6 ઓક્ટોબર, 2013) 

Loading

ગોડાઉન

અહમદ ‘ગુલ’|Poetry|8 October 2013

 

જથ્થાબંધ તાળીઅો
ઉઘરાવાય છે.
કરોડરજ્જુ વિનાના કર્મચારીઅો પાસેથી
પોલિસો, અમલદારો પાસેથી
કૉલેજિયનો, નિશાળિયાઅો
શિક્ષકો, અબૂધ અધ્યાપકો
તાબોટા પાડતા કુટિલ કુલપતિઅો પાસેથી
જમીનોના બદલામાં
લાલચી ઉદ્યોગપતિઅો પાસેથી
પાંચપંદર રૂપરડી અાપી
અામજનતા પાસેથી
ખરીદાય છે તાળીઅો
કેસરી તાળીઅો
લીલી તાળીઅો
ત્રિરંગી તાળીઅો
પંચરંગી તાળીઅો
બહુરંગી તાળીઅો
તાળીઅોનું બજાર ગરમ છે
મારું વતન
જથ્થાબંધ તાળીઅોનું ગોડાઉન !

e.mail : ahmadlunat@yahoo.co.uk

Loading

...102030...4,0784,0794,0804,081...4,0904,1004,110...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved