Opinion Magazine
Number of visits: 9524857
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કામિનીબહેન, બહુ જ સરસ !

પ્રવીણ વાઘાણી|Opinion - User Feedback|10 May 2013

કામિનીબહેન, બહુ જ સરસ ! *

વાંચતાં આંખમાં આંસુ આવી ગયાં, હર્ષનાં !

કાઠિયાવાડનાં ઘણાં ગામડાંઓમાં હું ફર્યો છું. અલગઅલગ કોમનાં માણસોને મળ્યો છ, અને તેમની મહેમાનગતિ માણી છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે ખેડૂત, વેપારી, કે પછી હરિજન હોય. ક્યાંક ગરમ ખીચડીમાં ચોખ્ખા ઘીની ધાર થાય, તો ક્યાંક સૂકા રોટલા સાથે લસણની કળીનાં વઘારવાળું પાણી હોય ! પણ દરેકના પ્રયત્ન એવા હોય, કે પોતાની મહેમાનગતિમાં ઊણપ ન રહે.

મૂળ વાત એ છે કે માણસના હૃદયમાં રહેલો માણસ પ્રત્યેનો પ્રેમ અમાપ છે.

હવે અહીં, તમને મારા ઓસ્ટ્રેલિયાના અનુભવ વિષે હું કહેવા ઇચ્છું છું.

મારો ફરવાનો શોખ મને હાઈવે અને ફ્રીવે છોડીને, નાના રસ્તાઓ પર વસેલાં નાનાં ગામડાંમાં લઈ જતો. મારો નિયમ ‘sun-downer’નો. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાં રાતવાસો કરવાનો. અહીંનું નાનું ગામડું એટલે પચાસથી સો કુટુંબની વસ્તિ. તો પણ અહીં એક કે બે હોટલ (Pub) હોય. તેમાં ખાવાપીવા ઉપરાંત રહેવાની પણ સગવડ હોય. આનંદપ્રમોદ માટે કાર્ડ, ડાર્ટ, સ્નૂકર, વગેરે રમતો હોય. મોટે ભાગે પતિપત્ની સાથે મળીને આ હોટલ ચલાવતાં હોય. ગામનાં કે આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો અહીં એકબીજાને મળવા આવે. વાતો કરતાં પીવાનું તો હોય જ. કોઈવાર જમી પણ લે.

બેત્રણ દાયકા પહેલાંની આ વાતો છે.

‘કોલેરેન‘ આવું એક નાનું ગામ. ત્યાં બે હોટલ હતી. રૂમ બુક કરી, બેગ મૂકી, હાથમોં ધોઈ હું નીચે આવ્યો. આ માંસાહારી દેશમાં ત્યારે શહેરોમાં પણ ‘શાકાહારી‘ શબ્દ નવાઈનો હતો. તો ગામડામાં તો ક્યાંથી સાંભળ્યો હોય ? પાટીઆ પર લખેલી વાનગીઓ મારા કામની નહોતી. કાઉન્ટર પર ડ્રીંક બનાવતા ભાઈને મેં વાત કરી. તે અંદર જઈ તેમની પત્ની ‘જેની‘ને બોલાવી લાવ્યા; અહીં બૂમ પાડીને બોલાવવાનો રિવાજ નથી, તે સમજાયું. જેનીનું આખું નામ જેનીફર હતું. જેની રસોડાનું કામ સંભાળે. શાકાહારી તરીકે હું શું ખાઈ શકું અને શું નહીં તેની વિગતે ચર્ચા કરી. તેની પાસે બટેટા, ડુંગળી, ટમેટાં, ગાજર, વગેરે હતાં. આપણાં દેશમાં હોત, તો તેનું રસાવાળું શાક બનાવી, ભાત સાથે ખાઈ લેવાત. પણ અહીં તે શક્ય નહોતું. અહીં જમવામાં મીઠું કે મરી પણ કોઈ નહોતું લેતું, તો બીજા મસાલાની શું વાત કરવી ? વધારામાં જેની પાસે ચોખા નહોતા; આ ગામમાં ભાત કોઈ ન ખાય. જેનીએ સૂચન કર્યું કે બાજુમાં સુપરમાર્કેટ હજી ખુલ્લી છે. ત્યાંથી પમ્પકીન, બ્રોકલી અને બીન્સ લઈ આવી, મેં જેનીને આપ્યા. તે રસોડામાં જઈ કામે લાગી ગઈ.

એક બીઅર લઈ ટીવી જોતો હું બેઠો. અહીં પબમાં ટીવી અચૂક હોય. મોટે ભાગે ટીવી પર લોકોને ‘હોર્સ રેસીંગ‘ કે ‘ડોગ રેસીંગ‘ જોવામાં રસ હોય. હોટેલવાળા રેસનું બેટીંગ પણ લે.

થોડી વારે જેની મારી પ્લેટ લઈને આવી. પ્લેટ પરની સજાવટ જોઈ, હું અચરજ સાથે ખૂબ ખુશ થયો. જેનીની આવડત, ઉત્સાહ અને સમજણનું આ મહાન પ્રતિબિંબ હતું. ‘મેશ્ડ પોટેટો‘માં ડુંગળી અને મીઠું ભેળવેલાં, પમ્પકીન, બ્રોકલી, બીન્સ અને ગાજરના ટૂકડા તથા લીલા વટાણા માખણમાં સોંતળેલાં, બધું અલગઅલગ ગોઠવેલું, બટેટાની ગરમ ચીપ્સ, ચીઝની બે સ્લાઈસ ભુંગળું વાળીને મૂકેલી તથા માખણ ચોપડેલા ટોસ્ટ સાથે ટમેટાં, ડુંગળી ને ગાજરનું સેલાડ. બે નાની વાટકીમાં ટમેટો સોસ અને માયોનાઈઝ મૂકેલા. આ નવી જાતનું જમણ જમવાની મજા આવી. જમીને પૈસા આપવા ગયો ત્યારે કહે, ‘મને આજે તમારી પાસેથી ઘણું શીખવાનું મળ્યું. તેમાં પૈસા આવી ગયા.‘

‘બરચીપ‘, ‘પનોલા‘, ‘મજી‘, વગેરે ઘણાં ગામોની મુલાકાત પણ આવી જ રોમાંચક અને યાદગાર રહી છે. દરેક અનુભવમાં મને એ વાત સમજાઈ છે કે ‘માણસને માણસ ગમે છે.‘

મેલબર્ન. e.mail : pvaghani@hotmail.com

સંદર્ભ : * https://opinionmagazine.co.uk/subcategory/15/opinion/4

Loading

પુ.લ. દેશપાંડે — મરાઠી ભાષાનાં સમર્થ હાસ્યલેખક

ઈશાન ભાવસાર|Opinion - Literature|10 May 2013

પુ.લ.દેશપાંડે — મરાઠી ભાષાનાં સમર્થ હાસ્યલેખક.

એમની કેટલીક રચનાઓ 'પુલકિત' નામનાં અકાદમીનાં પુસ્તકમાં વાંચી છે. 'ચિતલે માસ્તર' અને ' બટાકાની ચાલ' તો હૃદય પર અંકિત થઈ ગયેલાં છે. આજે વ્યક્તિચિત્રો આધારિત 'ભાત ભાત કે લોગ' (અનુવાદ: શકુંતલા મહેતા) વાંચવાનું શરુ કર્યું છે. પહેલી જ રચના 'નારાયણ' વાંચીને આંખ ભરાઈ આવી. ચાર્લ્સ ડીકન્સ યાદ આવી ગયો, જે કહેતો, : હું આંખમાં આંસુ સાથે ઇન્દ્રધનુષનો વૈભવ નિહાળું છું. વિનોદ ભટ્ટ કહે છે તેમ Humour is a dry tear. હાસ્યની કઈ કક્ષા હોઈ શકે અથવા તો કઈ કક્ષા સુધી હાસ્યને લઈ જવાનું છે, તે આવા હાસ્યલેખો વાંચીને સમજાય છે. અંગ્રેજીનાં નિવૃત્ત પ્રાધ્યાપક અને સૌમ્ય તથા અભિજાત જોશીના પિતાશ્રી એવા, જયંત જોશીના ઘરમાં, પુ.લ. દેશપાંડેનો ફોટો દીવાલ પર જોવા મળે. એમની પાસેથી જાણ્યા મુજબ, અભિજાત જોશી તો પુ.લ. દેશપાંડેને સાક્ષાત્ દંડવત્ પ્રણામ કરતા હતા. 

આ નારાયણ એક એવું પાત્ર છે કે પારિવારિક-સામાજિક પ્રસંગો પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા નિભાવતું હોય છે. નારાયણ કોઈ પણ હોઈ શકે. આ નારાયણને આપણે ક્યારેક ને ક્યારેક તો જોયો જ હશે. પુ. લ. દેશપાંડેએ અહીં લગ્નપ્રસંગનાં પરિપ્રેક્ષ્યમાં, નારાયણનું પાત્ર ઉપસાવ્યું છે. કન્યાની પસંદગી થયાં બાદ મુહૂર્તની વાત નીકળતી વખતે, ખિસ્સામાંથી પંચાંગ કાઢી, 'ફોક્સ'માં આવતો નારાયણ, કન્યાવિદાય સુધી, સતત મહત્ત્વનાંથી માંડીને પરચૂરણ એવાં દરેક કાર્યમાં કેન્દ્રસ્થાને રહે છે. પણ કન્યાવિદાય પછીનું જે દ્રશ્ય પુ.લ. આલેખે છે, એ તો એકદમ હૃદયવિદારક છે :

‘નારાયણ માંડવામાં એક કોચ પર ટૂંટિયું વાળી ગાઢ ઊંઘમાં પડે છે. જાણને વળાવી લોકો એકદોઢે પાછાં વળે છે. કોચ પર ટૂંટિયું વાળી સૂતેલાં નારાયણ તરફ કોઈનું પણ ધ્યાન જતું નથી. ફક્ત નારાયણની પત્ની અંદર જાય છે – આઠદસ થીંગડા મારેલું ઓઢવાનું ઝોળીમાંથી કાઢે છે અને કોચ પર સૂતેલાં નારાયણનાં શરીર પર ધીમેથી ઓઢાડી ફરી અંદરની સ્ત્રીઓ સાથે ભળી જાય છે. સામે જ એક બાજુ ગોદડી ઉપર નારાયણનું દુબળું બાળક સુતું હોય છે. તેની બાળમુઠ્ઠીમાં સવારે આપેલ બુંદીનો લાડુ કાળોમસ્સ થયેલો હોય છે.

'માંડવામાં હવે ફક્ત એક કોચ પર નારાયણ અને દૂર બીજે છેડે માંડવાવાળાનો નોકર ઘોરતો હોય છે. બાકી બધે સૂમસામ હોય છે.'

e.mail : ishanabhavsar@gmail.com

Loading

પન્ના નાયક એટલે 40 વર્ષની ડાયસ્પોરિક કવિતા

નીરજ શાહ|Diaspora - Literature|9 May 2013

જો પન્ના નાયકનો પરિચય એક જ વાક્યમાં આપવાનો હોય. તો હું કહું કે ‘પન્ના નાયક એટલે 40વર્ષની ડાયસ્પોરિક કવિતા.’

અત્યારે તો પરદેશમાં કાવ્યો, વાર્તાઓ, નિબંધો વિગેરે લખનારાં અનેક સર્જકો છે, પરંતુ પ્રારંભમાં, ચારેક દાયકા પહેલાં, અમેરિકા જઈને શરૂઆતથી જ, પોતાની લેખન પ્રવૃત્તિમાં સતત રત રહ્યાં હોય, એવી કોઈ કવયિત્રી હોય, તો એ છે પન્ના નાયક.

આમ એમનું વતન સુરત. જન્મ 28-12-1933, મુંબઈમાં. તેમની પાસે ત્રણ ત્રણ માસ્ટર ડિગ્રી છે. મુંબઈ યુનિવર્સિટિમાંથી એમણે ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું, ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યુનિવર્સિટિમાંથી લાઈબ્રેરી સાયન્સમાં એમ.એસ. કર્યું અને પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાંથી સાઉથ એશિયન સ્ટડિઝમાં એમણે એમ.એસ. કર્યું. તેમણે પેન્સિલવેનિયા યુનિવર્સિટિમાં ગ્રંથપાલ તરીકે તેમ જ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી છે.  

તેઓ અમેરિકામાં પોતાને ‘વિદેશિની’ કહીને ઓળખાવે છે. તેઓ ભારત જાય, ત્યારે પણ પોતાને વિદેશિની છું, એમ જ કહે છે. તેઓ કહે છે ‘અમેરિકામાં રહું છું અને ભારત છોડ્યું નથી. અવારનવાર ભારત આવું છું, છતાં અમેરિકા છૂટતું નથી. એટલે વિદેશિની.’ જ્યાં સુધી મુંબઈમાં હતાં, ત્યાં સુધી એમણે સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો છે. એટલે જ તેઓ કહે છે કે ‘હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.’  આમ અમેરિકા એમની કર્મભૂમિ છે. 

પન્નાબહેન ખૂબ વાંચે છે, અને નિયમિત લખે છે. તેઓની ચાર દાયકા લાંબી કાવ્યયાત્રામાં, તેમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં ઘણાં સાહિત્યસ્વરૂપમાં ખેડાણ કર્યું છે. ‘પ્રવેશ’, ‘ફિલાડેલ્ફિયા’, ‘નિસ્બત’, ‘અરસપરસ’, ‘આવનજાવન’, ‘ચેરી બ્લોસમ્સ’, ‘રંગઝરુખે’, ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’, એ એમનાં કાવ્યસંગ્રહો છે. ‘વિદેશિની’ એમની સંકલિત કવિતાનો સંગ્રહ છે. ‘અત્તર-અક્ષર’ એ હાઈકુ સંગ્રહ અને ‘ફ્લેમિંગો’ એમનો વાર્તાસંગ્રહ છે. ‘વિદેશિની’ નામે જ આવેલા આલ્બમમાં, એમનાં ગીતોની સંગીતમય રજૂઆત છે. આ ઉપરાંત, એમનાં ઘણાં નિબંધો પણ પ્રકાશિત થયા છે. એમની ઘણી કવિતાઓ – વાર્તાઓનાં અંગ્રેજીમાં અનુવાદ થયા છે, અને એમનાં ઘણાં પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે પણ સ્થાન પામ્યાં છે. 

મારે આજે વાત કરવી છે, એમનાં કાવ્યસંગ્રહ, ‘વિદેશિની’ અને હાઈકુ સંગ્રહ ‘અત્તર- અક્ષર’ વિશે.

તેમનાં સર્જનોમાં, એક ખાસ અને વિશિષ્ટ નારી સંવેદન સતત પ્રગટ થાય છે, અને તે ખૂબ જ અસ્વાદ્ય છે. એમનાં કાવ્યોમાં નારી સંવેદના જે કલાત્મક રીતે પ્રગટી છે, તે આપણા સાહિત્યમાં જુદી તરી આવે છે. કોઈ ઢાંચામાં નહીં ઢળેલાં ને છતાં ય જાણે સંપૂર્ણ કાવ્યમય, ગહન છતાં ય સરળ, અંગત છતાં ય નિખાલસ – આવી ઘણી ય ઉપમાઓ આપી શકાય, એમનાં કાવ્યોને. તેમનાં કાવ્યોમાં ખુમારી છે, વેદના અને સંવેદના છે. ક્યાંક મુલાયમ લાગણીઓ ભરપૂર ઉછાળા મારતી અનુભવી શકાય છે, તો ક્યાંક વસવસો.

આપણે એમને પૂછીએ કે તમારી કવિતામાં શું છે? તો તેઓ ખુમારીથી જવાબ આપે કે ..

એમાં પન્ના છે
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો …

એમની કવિતાઓએ મારું ખાસ ધ્યાન ખેચ્યું છે, એમની ખૂબ ઓછાં શબ્દોમાં કાવ્ય કરવાની શૈલીએ. માત્ર 4-5 લીટી અને જૂજ શબ્દોમાં જ, એ કવિતાઓ ઘણું ઘણું કહી જાય છે. કોઈ કવિતામાં પ્રિયજનનાં આગમનની સુંદર અભિવ્યક્તિ હોય .. 

તારું આવવું –
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું …

તો ક્યાંક એ જ પ્રિયજનનાં સમયસર ન આવવનો વસવસો હોય ..

મારા મરણ પછી
તારા સમયસર ન આવવાની 
ફરિયાદ 
હવે હું શી રીતે કરું?
અહીં કેટલાય લોક હાજર છે 
અને 
મારા હોઠ બંધ છે !

આમ આ કવિતાઓ પ્રેમ અને વસવસા વચ્ચે લાગણીનો પૂલ બાંધતી જણાય છે. તો વળી ક્યાંક રોજ-બરોજની જિંદગીમાં મશીન થઈ ગયેલા માનવીની વાત હોય. 

મને ખબર નથી
હજી 
કેટલીય સવાર સાંજ
કેટલાંય વર્ષ 
હું 
મારી કાંડા ઘડિયાળ ને
ઑફિસની ઘડિયાળ સાથે 
મેળવ્યા કરીશ. 

આ કવિતાઓમાં તેમણે આપણી રોજ-બરોજની જિંદગીમાંથી, સાવ સામાન્ય લાગતી ઘટનાઓને, ખૂબ સરળતાથી, કાવ્યમાં ગુંથી લીધી છે અને તેથી જ તેમની કવિતા પોતાની લાગે છે. આપણે એમાં પોતાને પરોવી શકીએ છીએ. તેથી જ આ કાવ્યોનો અર્થ માત્ર કહેવાયેલા શબ્દો સુધી જ સીમિત રહેતો નથી, પરંતુ જે નથી કહેવાયા એ શબ્દોમાં વાચક એનાં અનેક અર્થ કરી શકે છે.

એમનાં અનેક કાવ્યોમાં પ્રકૃતિનું સુંદર કલ્પન પણ છે. 

ફૂલપાંદડી
ટપ ટપ ખરી –
જીરવવા એનો ભાર
નીચું નમી ગયું ઘાસ. 

કે પછી 

‘પાણી પર કાવ્ય લખતાં
કંપી ગયેલો પવનનો હાથ ..’

આ કાવ્યોનો પોતાનો એક અલગ જ મિજાજ છે. ક્યાંક ટૂંકીવાર્તાનું કેન્દ્રબિંદુ છે, તો ક્યાંક અંગત ડાયરીનું પાનું કવિતા બન્યું છે. પરંતુ પન્નાબહેનને તો કોઈ એક પાંજરામાં બંધાવું મંજૂર નથી. એટલે જ જ્યારે આપણે એમની કવિતાઓને, અંગત ડાયરી સમજવા લાગીએ, અને એની અંદર કવયિત્રીને શોધવા મથીએ, ત્યાં તો તેઓ આપણને હાથ ખેંચીને, એ પાનાંઓમાંથી બહાર ખેંચી લાવે, અને પોતાના કવિતા બહારનાં અસ્તિત્વનો અહેસાસ કરાવતાં કહે .. 

મારી કવિતામાં
પન્નાને શોધતાં 
એ વાચકો !

ઘુઘવાટા કરતાં એનાં કાવ્યોમાં

તો મળશે
છૂટાંછવાયાં મોજાં જેવી
માત્ર
ટાંચણપોથી.
જીવનની બધી વાત 
કવિતા 
નથી કહી શકતી.

આવાં અનેક નાનકડા પણ અર્થસભર કાવ્યો એમણે રચ્યાં છે. એમની આ થોડાંક જ શબ્દોમાં, અસરકારક રીતે વાત કહી દેવાની સિદ્ધિનો ખરો અનુભવ થાય છે, તેમનાં હાઈકુ સંગ્રહ ‘અત્તર-અક્ષર’માં. સુરેશ દલાલ એમનાં હાઈકુ વિષે કહે છે કે ‘આ હાઈકુ એની ચિત્રાત્મકતાને કારણે, એનાં કલ્પનને કારણે સ્પર્શી જાય એવાં છે.  ગુજરાતી કવિતાસાહિત્યમાં સ્નેહરશ્મિની પડખે જો કોઈનાં પણ હાઈકુ દમામથી બેસી શકે એવાં હોય, તો તે પન્ના નાયકનાં છે.’

એક હાઈકુ  છે.  

અમેરિકામાં
બા નથી, ક્યાંથી હોય
તુલસીક્યારો? 

આ હાઈકુમાં તુલસીક્યારો પ્રતિક છે અને પ્રતિક રૂપે છે બાની યાદ. પણ એમાં છૂપો એક વતનઝૂરાપો અને ઘરઝૂરપો છે. એક ઉનાળી બપોરની આબેહૂબ અભિવ્યક્તિ કવયિત્રી આ રીતે સામે મૂકે છે. 

બેઠા શ્વાનની
લટકતી જીભમાં 
હાંફે બપોર. 

આગઝરતી ઉનાળાની બપોર કેટલી આકરી હશે એ માટે બીજું કશું કહેવાની જરૂર રહેતી નથી. 

બીજું એક હાઈકુ છે – 

ધોધમાર તું
વરસ્યો, લીલોછમ્મ
થયો સમય

આ હાઈકુમાં પ્રણય અને મિલનની ઉત્કટ અનુભૂતિ છે. સમયનાં લીલાછમ્મ થવાની સુંદર કલ્પના છે. તો બીજા એક હાઈકુમાં જુદાઈનો ઘેરો વિષાદ ..

તારી જુદાઈ
ખૂંચે, પગ તળેના
કાંકરા જેવી

આવી અનેક સંવેદનાઓ અને કલ્પનાઓનું ઝીણું નક્શીકામ એમનાં હાઈકુમાં જોવા મળે છે. એમાં વિષયોનું ભરપૂર વૈવિધ્ય હોવા છતાં, એમાં ભારેખમ કવિતાનો બોજ વર્તાતો નથી, પણ સાવ સરળ શબ્દોમાં, એક ઊંડું સંવેદન પ્રગટે છે, જે વાચકને સીધું જ સ્પર્શી જાય છે. સત્તર અક્ષરનાં આ હાઈકુ તેમનાં સંગ્રહના નામને સાર્થક કરે છે. એક એક હાઈકુ જાણે અત્તરની સુગંધથી મહેકે છે. 

e.mail  : shahnirajb@gmail.com

(અમેરિકી દ્વૈ સર્જક પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીના અતિથિ વિશેષપદે, 5 મે 2013ના રોજ, 'ગુજરાતી સાહિત્ય અકાદમી'ના 'અાંતરરાષ્ટૃીય ગુજરાતી દિવસ'ના અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય)

Loading

...102030...4,0694,0704,0714,072...4,0804,0904,100...

Search by

Opinion

  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે
  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 
  • ચલ મન મુંબઈ નગરી —315

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved