Opinion Magazine
Number of visits: 9697202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૂસકાંની દિવાલ

નયના પટેલ|Opinion - Short Stories|15 November 2013

[‘રીડગુજરાતી આતંરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધા : 2012’માં પ્રથમ ક્રમાંક મેળવનાર નયનાબહેન પટેલની ‘ડૂસકાંની દિવાલ’ નામની આ કૃતિ આપણે માણીશું. આધુનિક વાતાવરણ વચ્ચે ધર્મની સંકૂચિતતાઓને લીધે સર્જાતી સમસ્યાને તેમણે આ વાર્તામાં વાચા આપી છે. પરસ્પર એકબીજાને જોડતો ધર્મ વાસ્તવિકતામાં માનવીને માનવીથી દૂર લઈ જાય છે ત્યારે ડૂસકાંની દિવાલ રચાતી હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ નયનાબહેનને ખૂબ ખૂબ અભિનંદન. લેસ્ટર(યુનાઇટેડ કિંગ્ડમ)માં રહેતાં નયનાબહેન હાલ નિવૃત્તિમાં લેખન પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની નવલકથા ‘કેડી ઝંખે ચરણ’ ત્યાંના “ગુજરાત સમાચાર”માં પ્રકાશિત થઈ રહી છે. 1984માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત વાર્તા-સ્પર્ધામાં ‘અંત કે આરંભ’ નામની તેમની વાર્તાને બીજું સ્થાન પ્રાપ્ત થયું હતું, ત્યારથી તેઓ લેખનકલાને સમર્પિત જીવન જીવી રહ્યાં છે. લેસ્ટરમાં ‘ભગિની’ નામની સંસ્થા સ્થાપવાનું, દુભાષિયા તથા અનુવાદક તરીકે કામ કરવાનું અને “ગુજરાત સમાચાર”માં રિપોર્ટર તરીકે ફરજ બજાવવાનું પણ સેવાકાર્ય તેમણે સ્વીકાર્યું હતું.  – તંત્રી ‘રીડગુજરાતી’.]

•

શાંત અને અલિપ્ત રહેતો રોશન યુનિવર્સિટી જવાનો હતો તેની વ્યથા ગુલશનને ‘મા’ તરીકે થાય એ સ્વાભાવિક છે. એકલે હાથે એને કેમ મોટો કર્યો છે તે એનું મન જ જાણે છે. મજબૂત, ઊંચો અને તંદુરસ્ત એનો પ્યારો ખાવિંદ અબુ હજ કરવા ગયો ત્યારે ગુલશનને એક અજાણ ભયે ઘેરી લીધી હતી પરંતુ આટલું પાક કામ કરવા જતાં અબુને એ દહેશત કહેતાં એની જીભ ન ઉપડી. નવ મહિનાનાં રોશનને છાતીએ લગાડી એણે અબુને ખુદા-હાફીઝ કહ્યું તો ખરું પરંતુ અંતર ફફડતું જ રહ્યું ….. ફફડતું જ રહ્યું !

અને અબુના ગયાને ચાર દિવસ પણ નહોતા થયા અને એક રાત્રે અબુ સાથે હજ કરવા ગયેલા એના ભત્રીજા રહેમાનનો ફોન આવ્યો. નવ મહિનાનાં રોશનને છાતીનું અમૃત પીવડાવતી ગુલશનનું હૃદય એક ધડકન ચૂકી ગયું. એનાં દૂધ સાથે એ ચૂકેલી ધડકન હંમેશ માટે રોશનના માસૂમ હૃદયનાં એક ખૂણામાં સૂમસામ જગ્યા બનાવી ચૂપચાપ પડી રહી છે. અને એણે એને દુનિયાથી અલિપ્ત બનાવી દીધો છે. હજની ભીડમાં અબુને અસ્થમાનો ભયંકર હુમલો આવ્યો અને … અને શ્વાસ લેવા તડપતાં અબુનો પંપ શોધીને એને રહેમાન આપે તે પહેલા તો એ બેભાન થઈ ગયો … અને પછી બીજી મદદ મળે ત્યાં સુધીમાં તો ….. ખેલ ખલાસ થઈ ગયો. રહેમાને એ ખબર ગુલશનને આપ્યા. એ સમાચાર એના કાનના પડદા સુધી જ પહોંચ્યા. સમજની સીડી ચઢીને દિલ સુધી જતાં તો એને મહિનાઓ લાગ્યા !

એક દિવસ પવનના તોફાનમાં પાછળના ગાર્ડનની ફેન્સ તૂટી ગઈ. મનમાં થયું, ‘કાંઈ નહીં અબુ સાંજે કામેથી આવશે …..’ અને ત્યારે એના દિમાગમાં વીજળી પડી હોય તેમ અબુનું અવસાન ખાબક્યું ! રોશનને છાતીએ લગાવી એ છાતીફાટ રડી. ગાર્ડનની ફેન્સની જેમ એના દિમાગની દીવાલ તૂટી અને દિલને ખાત્રી થઈ … સાચ્ચે જ અબુ હવે નથી ! અબુના ગયા પછી ચાર મહિને તેને નિરાધારતાનો અહેસાસ થયો ! ગાર્ડનની ફેન્સ તો ફરી ઊભી થઈ ગઈ પરંતુ એની અંદરની ધસી પડેલી દિવાલ અને ખંડેર બની ગયેલી યુવાની રોજ એક એક તસુ વધારે ને વધારે જર્જરિત અને બિહામણી થતી રહી ! અબુ તો અધૂરો ખેલ છોડી ગયો પરંતુ એણે તો એના પ્યારા રોશન માટે ખેલ ચાલુ જ રાખવો પડ્યો ! અંદર ખડકાતા જતાં ખંડેરને સંતાડીને મોઢા ઉપર ખુમારી પાથરીને આંખના રતન માટે મા અને અબ્બા બન્ને બનવા માટે કટીબદ્ધ બનવું પડ્યું. એ તો સારું છે કે યુ.કે.માં રહે છે એટલે કોઈની સામે નથી હાથ લંબાવવો પડ્યો કે નથી કોઈનું અહેસાન ઉઠાવવું પડ્યું !

અબુનાં ગયા પછી તરત જ થોડા દિવસમાં દેશમાં રહેતા એનાં બધા સગાં-સંબંધીઓ તરફથી અબુના નાના ભાઈ ફર્દીન સાથે નિકાહ પઢી લેવા માટે દબાણ વધવા માંડ્યું. એ મક્કમ રહી. ન તો માના કસમ એને ચળાવી શક્યા કે ન તો એના સાસુ-સસરાનાં ‘ઈમોશનલ બ્લેકમેઈલ’ પીગળાવી શક્યા ! એને ખબર હતી કે કૉલેજમાં ફર્દીન સાથે જ ભણતી હિંદુ છોકરી કામિની સાથે એને પ્રેમ છે છતાં પણ મોટાભાઈના અચાનક મૃત્યુએ ફર્દીનને પણ ચળાવી દીધો હતો અને એટલે જ ગુલશન સાથે લગ્ન કરવા તે રાજી થઈ ગયો હતો. લગ્ન ન કરવાની બાબતે તે ચટ્ટાનથી ય વધારે મક્કમ રહી અને ઊલટું સાસુ-સસરાને ફર્દીનને જેની સાથે પ્રેમ છે તેની સાથે લગ્ન કરાવી આપવા માટે વિનવ્યા હતાં ! પરંતુ પરિણામ શું આવ્યું ? કામિનીને ધર્મપરિવર્તન કરાવવાની જીદ લઈ બેઠેલાં સાસુ-સસરાને કોઈ સમજાવી ન શક્યું. કામિનીનાં મમ્મી-પપ્પા પણ મુસ્લિમ સાથે દીકરીનાં લગ્ન કરાવવા તૈયાર ન થયાં અને એક દિવસ કામિનીને તેના મમ્મી-પપ્પાએ કોઈ એન.આર.આઈ. સાથે લગ્ન કરાવી, પરદેશની કોઈ અંધારી ગુફામાં ધકેલી દીધી. ફર્દીને પણ એની ફોઈની દીકરી સાથે અનિચ્છાએ લગ્ન કરી લીધા ને આજે એ વાતને 18-18 વર્ષના વ્હાણા વાયા !

આજે એનો દીકરો રોશન એના શહેરથી દૂર આવેલી યુનિવર્સિટીમાં જવાનો હતો ! ખબર નહીં કેમ પરંતુ આજે આટલે વર્ષે ફરી ગુલશનનાં દિલનાં કોઈક ખૂણે સંતાયેલો પેલો અબુ જવાનો હતો તે પહેલાંનો ફફડાટ નાગની જેમ ફેણ માંડીને ફૂંફાડો મારવા માંડ્યો છે ! પોતાનાં પ્યારાઓથી છૂટાં પડવાનો એ ભય હતો કે પછી ફરી કોઈ ભયંકર …. વિચારોને ખંખેરવા જોરથી માથું ધૂણાવ્યું પણ એ વિચારો તો ગૂંદાના બિયાં જેવા ચીકણા નીકળ્યાં – જેમ જેમ એને કાઢવાનો પ્રયત્ન એ કરતી રહી તેમ તેમ એ વધારે ને વધારે વળગતાં ગયાં. 18-18 વર્ષ સુધી ક્યારે ય પોતાનાથી જેને છૂટો નહોતો કર્યો એ એનો રોશન આજે એને કેટલા ય મહિનાઓ માટે એકલી મૂકીને જતો રહેશે ! પતિ વગરનો ખાલીપો તો દીકરાના પ્યારે જીરવી લીધો. હવે આ ખાલીપો કેમ કરી વેંઢારાશે ? દિલની ધમકીઓને લીધે આંસુને પાંપણને કિનારે આવી આવીને પાછા વળી જવું પડ્યું હતું. બાળપણથી ગંભીર અને અલિપ્ત રહેતાં રોશનને અંતરમાં અકળાતી લાગણીને વહાવતાં નથી આવડ્યું. માના મૂંગા આંસુઓનો એ સાક્ષી છે પરંતુ કાંઈ કેટલી ય વાર ઇચ્છવા છતાં ય ક્યારે ય તે માને બાથ ભરી આશ્વાસી શક્યો નથી ! આજે પણ એ જ મથામણ ! ગુલશનની અબુનાં મૃત્યુના સમાચાર વખતે ચૂકી ગયેલી ધડકન જાણે રોશનની અંદર અવ્યક્ત ડૂસકું બનીને થીજી ગઈ છે !

અને રોશન ગયો !
એક દિવસ …. બે દિવસ … ધીમે ધીમે સરકતાં સમયે ગુલશનને થાબડી થાબડીને શાંત કરવા માડી. રોશનને રોજ સાંજે ફોન કરવાનો પ્યારભર્યો હૂકમ હવે નિયમ બની ગયો છે. હવે ગુલશન દરેક સાંજની રાહ જુએ છે ! રોશનનો ફોન આવે પછી જ ખાવાનું એને ગળે ઊતરે છે. રોશનને પણ એનો અહેસાસ છે. એટલે છ વાગ્યે કે એ અચૂક ફોન કરે. આમ તો શાંત અને ઓછાબોલા દીકરાની રોજની પ્રવૃત્તિ વિશે પૂછીને, શું ખાવાનો છે તે જાણવા ગુલશન સવાલ પૂછે તેનો ટૂંકો જવાબ મેળવીને એ ખુશ થાય છે. પછી કાંઈ ખાસ વાત કરવાની રહેતી નથી.

પછી તો યુનિવર્સિટીની ત્રણ નાની-મોટી રજાઓમાં રોશન ઘરે આવ્યો. ગુલશને ચૂપચાપ એનામાં થયેલા ફેરફારો નોંધ્યા. પહેલા કરતાં થોડો – માત્ર થોડો – પણ ખૂલ્યો છે. સ્કૂલ-કૉલેજમાં હતો ત્યારે કોઈ પણ મિત્ર ન ધરાવતો રોશન ઘણીવાર હવે એના યુનિવર્સિટીનાં મિત્રોને ફોન કરે છે. એ લોકોનાં ફોન આવે છે. ગુલશનને ખૂબ સારું લાગ્યું. એની ગંભીરતા ઓછી થતાં હવે ક્યારેક એવી કોઈ વાત નીકળે ત્યારે મા સામે ધીમું ધીમું મલકે છે. હાશ … ! ગુલશનને ખબર છે કે રોશન સમજણો થયો ત્યારથી અબ્બાને શોધતો રહ્યો છે. એ બારેક વર્ષનો થયો ત્યારે ગુલશને એને એક દિવસ પાસે બેસાડી એના અબ્બાનાં મૃત્યુની વાત કહેલી. ચુપચાપ જાણે કોઈ વાર્તા સાંભળતો હોય તેમ કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર અંગૂઠાના નખથી કાર્પેટ પર કોઈ ચિત્ર દોરતો હોય તેમ ફેરવતો રહ્યો. પછી તો ગુલશને નોંધ્યું કે એ વધારે ગંભીર થઈ ગયો હતો. એને કોઈ પણ દિવસ ખીજાવું પડે જ નહીં ! ઘણીવાર ગુલશન ઇચ્છતી કે બાળ સહજ તોફાન કરે, જીદ કરે, કામના-નકામના સવાલો પૂછી એનું માથું ખાય …. પણ એવું ક્યારે ય બન્યું નહીં. પરંતુ હવે રહી રહીને દીકરાની અંદર થતાં આ ફેરફારથી ગુલશન ખૂબ ખુશ છે. રોશન ભણવામાં હોંશિયાર હતો જ પરંતુ હવે એને એનો મનપસંદ વિષય પોલિટિક્સ અને હિસ્ટ્રી મળતાં સોળે કળાએ ખીલવા માંડ્યો છે. ઇંગ્લેન્ડનું રાજકારણ ભણતાં ભણતાં ભારત અને પાકિસ્તાનના રાજકારણનો અભ્યાસ પણ વખત મળ્યે કરે છે.

થોડા સમયથી ગુલશનને રોશન થોડો મુરઝાયેલો કે કોઈ વિચારમાં ખોવાયેલો લાગ્યા કરે છે. એક રજામાં આવેલા રોશનને ગુલશને બને એટલું સહજ રહી પૂછી જ લીધું :
‘બેટા, ઑલરાઈટ છે ને ?’ 
‘અં …. હા, કેમ એમ પૂછે છે, મા ?’
 ‘હમણાંથી કેમ થોડો થાકેલો અને વિચારોમાં હોય તેવું મને લાગ્યા કરે છે ?’ થોડીવાર ચૂપ રહી તે ઊઠીને ઉપર એના રૂમમાં ગયો. એક ફોટો લઈને પાછો આવ્યો અને એક પણ શબ્દ બોલ્યા વગર ગુલશન સામે ધરી દીધો. કોઈ બોલકી આંખોવાળી છોકરીનો ફોટો હતો. ગુલશને આશ્ચર્ય, ઉત્કંઠા, આનંદ, ચિંતાની ભેળસેળ લાગણીભરી આંખોથી રોશન સામે પ્રશ્નાર્થભરી નજરથી જોયું ! 
‘આ ઈશા છે, મા. મારી સાથે ભણે છે અને અમે બંને એકબીજાને ગમીએ છીએ !’
 ગુલશન સાચે જ ખુશ થઈ ઊઠી અને એ વાતને આગળ લંબાવવા પૂછ્યું, ‘અને …..?’ 
થોડીવાર શાંત રહી, વિચારોને ગોઠવીને એણે કહ્યું : 
‘મા, મને ખબર છે કે તું હંમેશની જેમ મારી બધી જ ઇચ્છા, લાગણીઓને બે હાથે આવકારીશ જ.’ 
‘તને મારામાં આટલો વિશ્વાસ છે તો પછી તમારી ગાડી ક્યાં અટકી ?’
છત તરફ તાકીને આંતરિક સંઘર્ષને કઈ રીતે વાચા આપવી તે મનમાં ગોઠવી બોલ્યો, ‘મા, ઈશા ધર્મપરિવર્તન કરાવવા તૈયાર નથી !’ ગુલશન 20 વર્ષ પાછળ જતી રહી ….. ફરી ફર્દીનની કહાણી દોહરાવાની કે શું ?

‘જો બેટા, મને વાંધો નથી. ભલે ને એ એનો મઝહબ પાળે !’
 રોશન થોડીવાર કંઈ બોલ્યો નહીં પછી કહ્યું, ‘મા, આવી વાતમાં ઉતાવળ કરવા હું નથી માગતો. આ તો તેં મને પૂછ્યું એટલે ખુલાસો કર્યો.’ કહી કોઈ કામ અંગે બહાર જતો રહ્યો. રોજનાં કામ કરતાં કરતાં ગુલશનના હાથ અટકી જતા હતાં. આંખો મીંચીને અલ્લાહને કોઈ સાચો રસ્તો કાઢવા વિનવતી રહી. પછી તો તે યુનિવર્સિટીમાં ગયો ત્યાં સુધી એ કંઈ બોલ્યો નહીં અને ગુલશને પણ કંઈ પૂછ્યું નહીં. એને ખાતરી છે કે એનો દીકરો જે કાંઈ કરશે તે યોગ્ય જ કરશે એટલે એ વાત કરે નહીં ત્યાં સુધી ચૂપ રહેવા જ ધાર્યું.

એક દિવસ એ નમાજ પઢીને હજુ ઊભી જ થઈ ત્યાં ફોનની રીંગ વાગી. એની જાનપહેચાનમાં ખૂબ જ ઓછી વ્યક્તિઓ છે જેનાં ફોન આવે. ફોનની સ્ક્રીન ઉપર અજાણ્યાનો નંબર જોઈને નવાઈ સાથે ફોન ઉપાડ્યો. સામે છેડેથી કોઈનો મીઠો અવાજ આવ્યો,
‘હલ્લો, આપ રોશનનાં મમ છો ?’ 
‘હા બેટા, આપ કોણ ? ’
 ‘હું …. હું ઈશા … રોશનની ફ્રેન્ડ.’ 
‘હા, રોશને આ વખતે અહીં આવ્યો ત્યારે વાત કરી હતી. બોલ બેટા …..’ 
‘એક મિનિટ, હું તમને શું કહીને બોલાવું ? માસી કે …..’
 ‘તારે મોઢે જે કાંઈ સાંભળીશ તે મને ગમશે.’
 ‘ઓ.કે. તો માસી, અમે જો લગ્ન કરીએ તો મારે શું ફરજિયાત ધર્મપરિવર્તન કરવું જ પડે ?’ 
‘રોશને તને શું કહ્યું ?’
 ‘રોશન કહે છે કે એ એના મઝહબ વિરુદ્ધ જવા નથી માગતો.’
 ‘તારા મમ્મી-પપ્પા શું માને છે, બેટા ?’ 
‘ઓફકોર્સ માસી, તેમને ધર્મપરિવર્તન ન જ ગમે એ સ્વાભાવિક છે.’ 
‘મને લાગે છે કે આપણે સૌએ સાથે મળીને આ વાત પર વિચાર કરવો જોઈએ, તને શું લાગે છે?’ 
થોડા અચકાટ સાથે તે બોલી, ‘માસી, સાચું કહું તો મારા પપ્પાએ તો મુસ્લિમ સાથે લગ્નનો વિચાર કરવાની જ ના પાડી દીધી છે. મારી મમ કાંઈ બોલી નથી પરંતુ એ વાત મેં ઘરમાં કરી ત્યારથી ખૂબ ઉદાસ રહે છે. અને એટલે જ મને એને સામે મોઢે પૂછવાની હિંમત નથી થતી.’ 
‘હં બેટા, તારી મમ સાથે હું વાત કરી જોઉં તો કેમ ?’ 
‘માસી, અજાણતા પણ તમારું કોઈ અપમાન કરી નાંખે તે મને ન જ ગમે અને મારી મમની ઉદાસી જોઈ એવું થવાનો મને ડર છે ! મને સાચે જ ખબર નથી પડતી, માસી !’

થોડીવાર બન્ને છેડે ચુપકીદી. પછી ગુલશને કહ્યું, ‘બેટા, તને મારામાં વિશ્વાસ છે ને !’ 
‘માસી એટલે તો રોશન પાસેથી ફોન લઈ મેં તમને ફોન જોડ્યો …. મને પૂરેપૂરો વિશ્વાસ છે.’
 ‘તો પછી મને તારી મમનું નામ કહે અને ફોન નંબર આપ. હું વિચારીને એમની સાથે વાત કરીશ. મને વિશ્વાસ છે કે એક મા બીજી માની વેદના સમજશે અને સ્ત્રી તરીકે પણ અમે એકબીજાને કદાચ સારી રીતે સમજી શકીશું એની મને ખાતરી છે.’
‘ઓ.કે. માસી. મારો ફોન નંબર આ …. છે … અને મારી મમનું નામ કામિની છે.’
ગુલશનનાં હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો ! ‘તમે ભરૂચ તરફના …’ પૂછવા માટે ઉપડેલી જીભને માંડ માંડ રોકીને, ‘ભલે, આવજે …’ કહી ફોન મૂક્યો. ગુલશનને યાદ આવ્યું. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તેનું નામ પણ કામિની હતું અને એ પણ લગ્ન કરીને પરદેશ જતી રહી હતી ! આખો દિવસ એને થયા કર્યું કે એ જ તો ન હોય કદાચ ! વળી ઈશાએ કહ્યું હતું કે જ્યારથી એણે ઘરમાં વાત કરી છે ત્યારથી એની મમ ઉદાસ રહે છે … – હાય, શું ઇતિહાસ પાછો દોહરાશે ? આખો દિવસ એના મનમાં ઘમસાણ ચાલતું રહ્યું. ફર્દીનના કેસમાં એના હાથ બહારની વાત હતી, છતાં ય એણે એના સાસુ-સસરાને સમજાવવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું ! પરંતુ હવે તો આ વાતમાં પોતાનો અભિપ્રાય પણ મહત્ત્વ ધરાવે છે ! શું કરું … શું ન કરું …ની મથામણ પછી એણે નિર્ણય કર્યો કે પહેલા રોશન સાથે વાત કરી એના વિચારો જાણી લઉં ! જ્યારે ઈશાએ કહ્યું કે રોશન એના મઝહબથી વિરુદ્ધ જવા માગતો નથી ત્યારે એક ક્ષણ પૂરતી એને નવાઈ લાગી હતી ! રોશન ઈસ્લામ ધર્મ પાળતો જરૂર હતો પરંતુ એ વિશે આટલા મજબૂત વિચારો ધરાવતો હશે તે ઈશાની વાત પરથી ખબર પડી. ખેર, જે હોય તે વિચારીને ગુલશને સાંજે જ્યારે રોશનનો ફોન આવ્યો ત્યારે ઈશા સાથે થયેલી વાત ટૂંકમાં કહી. એ વિશે એના વિચારો પૂછ્યા.

‘મા, મેં આની પર ખૂબ વિચાર કર્યો અને અહીં યુનિવર્સિટીમાં ઈસ્લામિક ગૃપ છે તેમના વિચારો પણ જાણ્યા. ટૂંકમાં મને લાગે છે કે આપણા મઝહબ મુજબ ઈશાએ જો મારી સાથે લગ્ન કરવા હોય તો ધર્મપરિવર્તન કરવું જ રહ્યું.’
ગુલશન રોશનના આ વિચારો સાંભળી ચોંકી ઊઠી !
‘બેટા, જેમ આપણે આપણા મઝહબને ધ્યાનમાં રાખી નિર્ણય કરીએ તેમ ઈશાને પણ એના ધર્મ પ્રમાણે નિર્ણય લેવાનો અધિકાર ખરો કે નહીં ?’ 
‘મા, ઈશાએ એક જ વખત તારી સાથે વાત કરી અને તને એના પક્ષમાં લઈ લીધી ? તું એક પાક મુસ્લિમ થઈ આવું વિચારે છે ?’
‘બેટા, હું એક માણસ તરીકે વિચારું છું અને એક સ્ત્રી તરીકે વિચારતાં મને જે યોગ્ય લાગ્યું તે મેં તને કહ્યું. લગ્ન એક પાક રિશ્તો છે. એમાં બળજબરી કે શરતો ન હોય, બેટા ! તે છતાં ય મને લાગે છે કે હું ઈશાની મમ સાથે વાત કરી જોઉં, તને શું લાગે છે ?’
‘જો મા, એક વાત સમજી લેજે કે આ બાબતમાં હું કોઈ બાંધછોડ કરવા નથી માગતો.’ અને સામે છેડે ફોન મુકાઈ ગયો. ગુલશન થરથરી ગઈ ! રોશન યુનિવર્સિટીમાં ગયો તે વખતે ફરી ઉઠેલા પેલા ફડફડાટે આકાર લેવા માડ્યો છે તેનો એને ખ્યાલ આવી ગયો.

મનને મક્કમ કરી એણે ઈશાની મમને ફોન જોડ્યો. ફર્દીન જેને પ્રેમ કરતો હતો તે કામિનીને એણે ક્યારે ય જોઈ નહોતી. માત્ર નામ અને ફર્દિનની આંખમાં એના પ્રત્યેનો પ્રેમ જ વાંચ્યો હતો. એ જ વ્યક્તિ તો નહીં હોયના ધ્રાસકા સાથે કોઈ ફોન ઉપાડે તેની રાહ જોતી રહી. ફોન બંધ થવાની તૈયારીમાં હતો અને સામે છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો.
‘હલ્લો, કોણ બોલો છો?’ કોઈ સ્ત્રીનો જ અવાજ સાંભળી ગુલશનને થોડી શાંતિ વળી.
‘હલ્લો, આપ જ કામિનીબેન ?’ 
‘હા, મેં તમને ન ઓળખ્યાં !’ 
‘હું તમારી દીકરી ઈશાનાં ફ્રેન્ડ રોશનની મા છું.’
ગુલશનનાં ત્રણ-ચાર વખતના હેલ્લો … હેલ્લો …. પછી કામિનીબેન બોલ્યાં, ‘જુઓ બેન, આ વિષયમાં હું કાંઈ બોલી શકું તેમ નથી. મારા પતિએ નિર્ણય લઈ લીધો છે અને અમારા ઘરમાં એમનો નિર્ણય જ આખરી માનવા માટે અમે સૌ ટેવાઈ ગયા છીએ.’ 
‘તમે મારી વાત શાંતિથી સાંભળો, બેન. હું તમારો નિર્ણય બદલવાનું નથી કહેતી. હું માત્ર ઇચ્છું છું કે આ વિષે થોડી ચર્ચા-વિચારણા કરવી જોઇએ એમ તમને નથી લાગતું ? આ બે વ્યક્તિના જીવનનો સવાલ છે અને એ બન્ને આપણાં બાળકો-આપણાં હૃદયનાં ટૂકડાં છે !’ પછી હિંમત કરીને લાગલું જ ગુલશને પૂછી લીધું, ‘કામિનીબેન, તમે દેશમાં કઈ તરફનાં ?’ 
‘મારું પિયર ભરૂચ તરફ અને સાસરું વડોદરા. અને તમે ?’ 
‘અમે પણ ભરૂચના.’ મનના ધડકારને માંડ માંડ કાબૂમાં રાખી ઉમેર્યું, ‘બેન, હું ફર્દીનની ભાભી થાઉં !’ સામે છેડેથી ફોન કપાઈ ગયો.

થોડા દિવસ ગુલશને કામિનીબેનનાં ફોનની રાહ જોયા કરી અને એક દિવસ સાચે જ એમનો ફોન આવ્યો. ઉદાસીભર્યા અવાજે એમણે ફર્દીનવાળી વાત ફરી ન ઉખેડવાની વિનંતી કરી અને તેમનાં બાળકો જે નિર્ણય લે તે તેમના પર છોડી દેવા કહ્યું. પરંતુ ગુલશનને લાગે છે કે એ લોકો એક જ દેશ, એક જ પ્રાંતમાંથી આવે છે. યુ.કે.માં પણ એક જ શહેરમાં રહે છે અને મઝહબ અને ખોરાક સિવાય ઘણી બધી વાતોમાં સામ્ય છે તો આટલો યુવાન થઈને પણ શા માટે ધર્મપરિવર્તનની જીદ રોશને રાખવી જોઈએ એ એને નથી સમજાતું ! બંને જણનું છેલ્લું વર્ષ હતું એટલે તત્કાળ એ વાતને અલ્પવિરામ મળ્યું. એ લોકોની પરીક્ષા પૂરી થઈ પછી ફરી ગુલશને રોશન સાથે એ વાત ઉખેળી. દેશમાં કેટલા ય મુસ્લિમોનાં ઉદાહરણ આપ્યા જેઓએ લગ્ન પછી પણ પત્નીને તેનો જ ધર્મ પાળવા દીધો છે. કેટલા ય વર્ષોથી એના મનમાં ઘોળાતી વાત પણ એણે કહી, ‘બેટા, મારી દૃષ્ટિએ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જો આ ધર્મપરિવર્તનની વાત ઉપર ફેરવિચારણા કરે તો ….’ 
‘મા, પ્રોફિટ મહમદે લાંબો વિચાર કરીને જ ઈસ્લામના કાયદાઓ ઘડ્યા હશેને ?’ ચર્ચાએ ચઢેલા રોશન પણ કમ્મર કસીને ચર્ચામાં ઝંપલાવ્યું.
‘જેમ દરેક નદીને તપાસવી હોય તો તેનાં મૂળમાં જવું જોઈએ, તે જ રીતે દરેક ધર્મ પર વિચાર કરવો હોય તો તે જ્યારે શરૂ થયો તે વખતના સંજોગો અને એ અત્યારના સંજોગો સાથે બંધ બેસે છે કે નહીં તે તપાસવું જરૂરી છે, દીકરા ….’ દીકરાને સમજાવવામાં ગુલશને કાંઈ બાકી ન રાખ્યું. આટલી અસરકારક દલીલનો જવાબ ન મળતાં, ‘મા, તેં લૉ કર્યું હોત તો જરૂર બેરિસ્ટર બની હોત ….’ કહી વાતને ત્યાં જ અટકાવવામાં આવી.

ભલે એણે વાતને ત્યાં અટકાવી દીધી પરંતુ દિલને તળિયેથી અંકુરિત થયેલા પ્રેમને કેમ કરી અટકાવવો તે એને નથી સમજાતું ! ખબર નહીં કેમ મનમાં ઉઠેલા સંઘર્ષના વમળમાં બુદ્ધિ જલદી ફસાતી નથી ! છતાં ય ક્યારેક મઝહબનાં એ નિયમને ફગાવી દેવાનું મન થઈ જાય છે અને ત્યારે દિલને એકદમ શાતા વળે છે પરંતુ એ પળ ઝાઝી ટકતી નથી ! એક મનમાંથી દલીલ ઊઠે ‘કોઈ ધર્મે પ્રેમ કરવાની ક્યાં ના પાડી છે ?’ તરત જ બીજું મન દલીલ કરે ‘પ્રેમ કરતાં મઝહબ વધારે મહત્ત્વ ધરાવે છે અને આજે ઈસ્લામ ઉપર તોળાતા ભય સામે પ્રેમનું બલિદાન કાંઈ બહુ મોટી વાત નથી !’ ધર્મને ટકાવવાની અને ફેલાવવાની ભાવનાને એ સમજે છે પરંતુ હૃદય એ વાત નથી સમજતું ! ક્યારેક ઈશાની ધર્મ ન બદલવાની જીદ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ક્યારેક ….. આખરે મનની આ સ્થિતિથી વાજ આવી …. એક દિવસ, જેણે આખી જિંદગી ક્યારે ય જિદ નહોતી કરી, ક્યારે ય જે માનો બોલ ઉથાપ્યો નહોતો તે દીકરો એક માસૂમ છોકરીના કૂણા દિલને ઠેસ મારી, પોતાના પ્યારનું ગળું દબોચી અને પ્યારી માની અથાગ સમજાવટને ઠોકર મારી, હજ કરવા નીકળી ગયો – એની મા અને ઈશાની ડૂસકાંની દિવાલ તોડીને, માના દૂધમાંથી એના અંતરમાં સંઘરાઈ રહેલી પેલી ચૂકેલી ધડકન જેણે એને દુનિયાથી અલિપ્ત કરી નાંખ્યો છે તેને સથવારે !

સૌજન્ય : http://www.readgujarati.com/2012/08/29/duska-diwal/

Loading

Had it not been for Sardar Patel

Karan Singh|English Bazaar Patrika - Features|13 November 2013

The nation will remain grateful to him for its peaceful transition from feudalism to democracy.

In view of the recent burst of interest in the media, I would like to recall the association that I was privileged to have, over six decades ago, with the great Sardar Vallabhbhai Patel. In fact, had it not been for the Sardar, I would have spent the rest of my life in a wheelchair. In my youth I had developed a problem in my hip and had been confined to a wheelchair for many months. When Gandhiji visited my father in August 1947, I insisted on sitting in at the meeting and my chair was wheeled in under the chinar tree at Gulab Bhavan Palace with its magnificent view of the Dal Lake.

When towards the end of October, after the Pakistani tribal invasion, we moved to Jammu on the advice of V.P. Menon, my chair was brought down in a station wagon. In November 1947, Sardar Patel visited Jammu and came to see us. When he learnt that I had been confined to a wheelchair for six months, he told my father that I should immediately be sent to America for treatment. Since I was an only child, my mother, of course, was very reluctant for me to go abroad. But my father realised that Sardar's wise advice needed to be followed. As a result, arrangements were made to send me to New York for medical treatment, and it was due to surgery and prolonged treatment in the United States that I was able to walk again and finally resume a normal life, including playing tennis (doubles), badminton and golf. I, therefore, owe an undying debt of gratitude to Sardar Vallabhbhai Patel, without whose intervention I would certainly have spent my whole life under a severe handicap.

In 1949, relations between Sheikh Abdullah and my father, Maharaja Hari Singh, had become so estranged that it was no longer possible for both of them to continue to function in the state. Jawaharlal Nehru and Sardar Patel finally took the decision to ask my father to leave the state "for a while" and appoint me as his regent, although in fact he never returned to the state. In this context, the Sardar invited us to come to Delhi, and at a meeting with my parents, broke the news to them. Sheikh Abdullah had insisted that my mother should also leave the state because she was active in helping the tens of thousand of refugees who were streaming into Jammu from the areas occupied by the Pakistani incursion, including Mirpur and almost all of the erstwhile Poonch Jagir, except the town.

This came as a severe blow to my parents, who were shocked that after acceding to India they were now being virtually exiled from the state. However, they had no option but to accept, and it was decided that my father would issue a proclamation appointing me as regent on June 20, 1949, soon after I had turned 18. Before then, while we were still in Delhi, Sardar Patel graciously invited me to spend a fortnight with him in May at the Dehra Dun circuit house. He was keeping poor health and was nursed with great affection by his daughter Maniben Patel. He would call for me from time to time, and I had the privilege of hearing his views on various matters, including, of course, Jammu and Kashmir, where he did not share Nehru's very close and trusting relationship with Sheikh Abdullah.

Of late, Sardar Patel has come back into the political discourse. There is no question that among the amazing galaxy of leaders in his team, the Sardar and Nehru were the two closest political associates of Mahatma Gandhi. However, it is also clear that the decision to choose Nehru as the first prime minister was taken by Mahatma Gandhi himself. It was not as if it was a party decision; it was Gandhiji who, as the unquestioned leader of the freedom movement, took all the major decisions. He rightly realised that although the Sardar was senior in age and experience, he was much older and did not have the vitality, charisma and international prestige that the younger man enjoyed. Prescient as he was, he had decided well before Independence that Nehru was the one who would take over as prime minister when the British left, which was why Nehru became the head of the first interim government in coalition with the Muslim League in 1946, and remained prime minister from 1947 for 17 years until 1964, while the Sardar passed away in 1950.

The fact that Gandhiji chose Jawaharlal Nehru, first over Subhas Chandra Bose and later over Sardar Patel, in no way detracts from the stature of those two great leaders. Netaji's heroic role in raising the Indian National Army and infusing a new revolutionary spirit into the freedom movement will always be remembered with pride. As far as the Sardar is concerned, he achieved a task the like of which had never before been attempted in world history. He succeeded in integrating over 500 Indian states and principalities into a united India with the consent and cooperation of the princes themselves, except in the cases of Hyderabad and Junagarh. The peaceful transition from feudalism to democracy laid the solid foundation of Indian unity, and this is an achievement for which the entire nation, regardless of party affiliation, will remain eternally indebted to Sardar Vallabhbhai Patel, rightly called the Iron Man of India.

The writer is a Rajya Sabha MP

Mon Nov 11 2013 : http://www.indianexpress.com/news/had-it-not-been-for-sardar-patel/1193644/0

Loading

એક અનોખા દંપતીની કથા

અાશા બૂચ|Opinion - Opinion|13 November 2013

આશટનમાં રહેતા મારા પરમ મિત્ર સાથે વાત કરતાં, એમના ભારત બહાર વસતા એક પરિચિત બહેન વિષે વાત નીકળી, જેનું નામ સાંભળતાં મારી માના કાન ચમક્યા.

મારી માએ તેની ચારેક દાયકાની શિક્ષણની મઝલ દરમ્યાન કાંઈ કેટલીય કન્યાઓને ભણાવી છે. આ યુવતીનું નામ સંભાળીને એ વિચારમાં પડી અને કહે, ‘એ નામ સાંભળતાં મને લાગે છે કે એ મારી પાસે ભણી ગયેલી એ જ હોવી જોઇએ.’ ઈ.મેઈલ એડ્રેસ મેળવીને પૂછાવ્યું તો અમારા આશ્ચર્ય વચ્ચે માની અટકળ સાચી નીકળી !

વધુ પરિચય થતાં આ બહેનની જીવન કથા કાંઈ અનોખી લાગી તેથી અહીં રજૂ કરું છું. આ દંપતી ઈશ્વરની સેવાનું કાર્ય કરે છે તેથી તેમના કાર્ય વિષે લખવાની અનુમતિ આપી, પરંતુ પોતે અનામી રહેવા માગે છે કેમ કે તેઓની માન્યતા છે કે નામ લખવાથી ખ્યાતિ મળે, ગૌરવ અનુભવાય અને તો પ્રભુ સેવાના તેમના વ્રતનો ભંગ થાય. તેમની આવી ઉદ્દાત્ત ભાવનાને હું માન આપીશ અને હવેથી એ પત્નીનો ‘ધરા’ અને પતિનો ‘એરિક’ તરીકે  ઉલ્લેખ કરીશ કે જે બંને કાલ્પનિક નામ છે.

ધરા ગીર-સાસણમાં ઉછરી. ત્યાં તેના તેના પિતા સિવિલ જજ તરીકે કામ કરતા હતા. એકે ય નિશાળ ન મળે એટલે ઘેર રહીને ભણે અને વર્ષાન્તે પરીક્ષા આપવા જૂનાગઢ જાય. આમ આઠ ધોરણ સુધી ગાડું ચાલ્યું. નવમા ધોરણમાં હતી ત્યારે તેઓ રાજકોટ આવ્યાં અને શહેરની એક નામાંકિત શાળામાં દાખલ થઈ, જ્યાં એ મારી મા પાસે ભણતી. એસ.એસ.સી.નો અભ્યાસક્રમ શરૂ થયો અને બરાબર તે જ સમયે ધરાનો કસોટી કાળ પણ શરૂ થયો. તેની મમ્મીને કેન્સરનું નિદાન થયું. તેની કાળજી કરવા શાળામાંથી રજા લેવાનું ફરજિયાત બન્યું. માની વિદાયથી દુ:ખી બનેલ પુત્રી શાળાંત પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મેળવી શકી. તે પછી અમદાવાદ જઈને ઝૂઓલોજી વિષય સાથે બી.એસ.સી.ની ઉપાધિ મેળવી અને પછી તો ફિશરી બાયોલોજી સાથે એમ.એસ.સી. પણ થઈ. અભ્યાસ પૂરો કર્યા પછી અમદાવાદની એક નામાંકિત શાળામાં ધોરણ ૧૧-૧૨માં બાયોલોજીની શિક્ષિકાની સફળ કામગીરી નિભાવી.

ધરાના માતા-પિતા રવીન્દ્રનાથ ટાગોર અને રામકૃષ્ણ મિશનના વિચારો, સાહિત્ય અને કામમાં ઘણો રસ ધરાવે. ધરા તેના મામાને ઘેર કલકત્તા અવારનવાર જતી. એક-બે મહિના રહેવાનું બનતું એટલે તેની પણ એ વિચારો અને સાહિત્ય પ્રત્યેની રૂચી પુષ્ટ થઈ, એટલું જ નહીં બંગાળી ભાષા પણ બોલવા લાગી. તેવામાં તેના મામાને પરમહંસ યોગાનંદ લિખિત ‘યોગી કથામૃત’ નામનું પુસ્તક હાથ લાગ્યું, જે તેમણે પોતાની બહેનને આપ્યું. ચારેક વર્ષની ધરાને તેના મામાના દીકરા સાથે એ પુસ્તકમાંની વાર્તાઓ સાંભળવાની લિજ્જત આવતી. તેની માને એ પુસ્તકમાંનાં લખાણ અને આશ્રમની પ્રવૃત્તિએ ઘણી આકર્ષી લીધી. તેઓ કહેતાં કે ‘માનવ શક્તિ મર્યાદિત છે, એ આપણને સલામતી ન આપી શકે, એક માત્ર ઈશ્વર જ પૂરેપૂરી સલામતી આપી શકે.’ આ વાત ધરાના દિલમાં નાની ઉમરે સચોટપણે ઠસી ગઈ. પોતાની માતાના મૃત્યુ પછી પણ એ નિયમિત રીતે કલકત્તા મામાને ઘેર જતી.

અહીં એક નવા પાત્રનો ધરાના જીવનમાં પ્રવેશ થયો. વિયેના-જર્મનીમાં રહેતા એરિકને કોઈ જીનેટિક બીમારી હતી, જેને માટે અનેક ઉપચારો તેના માતા-પિતા કરી ચૂક્યાં. તેવામાં એક પાદરીએ એરિકને પેલું ‘યોગી કથામૃત’ વાંચવા આપ્યું જે તેની માને ગમી ગયું. પુસ્તકમાંની કેટલીક વાતોથી આકર્ષાઈને તેઓ કલકત્તાના પેલા આશ્રમમાં ગયાં. ધરા ૧૭ વર્ષની તરુણી હતી અને ‘એરિક’ ૨૨ વર્ષના યુવાન હતા. તે પછી તો દર વર્ષે એ આશ્રમમાં સાથે રહેવાનું અને તેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બન્યું અને સરખા વિચારો અને રસને કારણે એરિક, તેની બહેન અને મા સાથે ઘનિષ્ઠ મૈત્રીનો સંબંધ બંધાયો.

ધરા ભણીને નોકરી કરવા લાગી એટલે તેના પિતાએ તેને માટે યોગ્ય સાથીદારની તપાસ આદરી, પણ તેને લગ્ન કરવાની, બાળકો પેદા કરીને સાંસારિક જીવનમાં ગૂંથાવાની જરા પણ ઇચ્છ નહોતી. તેને તો બસ ઈશ્વરને મેળવવા જુદું જ કામ કરવાની લગન લાગેલી. તે દરમ્યાનમાં એરિકના ૩૧ વર્ષની ઉમરે લગ્ન થઇ ગયેલા અને તેને એક પુત્રી અને એક પુત્રનું પિતૃત્વ મળ્યું. પરંતુ એરિક વધુને વધુ હિંદુ ધર્મ તરફ ઢાળવા લાગ્યો, વારંવાર ભારત જઈને રહે એ કારણોસર તેની પત્નીએ જુદા રહેવાનો માર્ગ પસંદ કર્યો. ૨૦૦૧માં ધરતીકંપ થયો ત્યારે અમદાવાદની શાળાઓ છ મહિના સુધી બંધ હતી, તેથી ધરા તેની માસીને ઘેર મિલાનો રહેવા ગઈ અને ત્યાંથી પાછા ફરતાં  વિયેના એરિકને ઘેર ગઈ. તે વખતે તેના માએ આ બંને એકબીજા સાથે સાથે લગ્નગ્રંથિથી જોડાય તે તેમને ગમશે એવું કહ્યું. તેના પિતાએ પોતે જ એરિકની કામ પાછળની ઘેલછા અને પરિણામે પરિવારને સમય ન આપવાના સ્વભાવની વાત કરી. ધરા તેના ભાવિ પતિની પહેલી પત્નીને પણ મળી. આ બધું જાણ્યા પછી પણ ધરાએ જેની સાથે વર્ષો પહેલાં મૈત્રી સંબંધ બંધાયેલો તેની સાથે પોતાનું જીવન જોડવાનો નિર્ણય કર્યો.

ધરાએ જયારે એરિક સાથે લગ્નગ્રંથિથી જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેના પિતા અને ફોઈનો યોગ્ય ઉમરે ભારતના કોઈ એક યુવાન સાથે લગ્ન ન કરીને આ વિદેશી સાથે લગ્ન કરવાની માંગણી સામે વિરોધ હતો, પરંતુ તેઓએ પરિસ્થિતિને સમજીને એ વાત સ્વીકારી. પછી તો ભાઈ એરિક જાન લઈને અમદાવાદ આવ્યા, ધરાનાં ભાઈ-ભાભીએ કન્યાદાન આપ્યું અને ૪૦૦ શુભેચ્છકોની હાજરીમાં હિંદુ વિધિથી લગ્ન સંપન્ન થયાં. આ દંપતી સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને ઉત્તમ માતા-પિતાની ફરજો બજાવે છે.  પોતાના સંતાનો પેદા કરવાની ઇચ્છા ન ધરાવતી એવી ધરા તેના પતિના નવ અને સાત વર્ષના બાળકોની પ્રેમપૂર્વક સંભાળ પૂરી કાળજીથી લેવા લાગી. આ દંપતીના હૃદયમાં હજુ વધુ લોકોને સમાવવાની ક્ષમતા છે, તેથી જ તો ત્રણેક વર્ષ પહેલાં મધર ટેરેસા સંચાલિત સંસ્થામાંથી એક ૧૯ વર્ષીય યુવતીને દત્તક લીધી. એ અર્ધ પ્રજ્ઞાચક્ષુ હતી. તેને જર્મનીમાં કોર્નિયા ઈમ્પ્લાન્ટ કરાવ્યું અને હવે ૩૦થી ૪૦% દૃષ્ટિ પાછી મળી ગઈ છે.

આટલો પ્રેમભર્યો સંસાર રચીને સંતાનો અને અન્ય કુટુંબીજનોને પ્યારથી પોતાના કરી લીધા એ જાણે ઓછું હોય તેમ તેઓ બીજી પણ અનેક પ્રવૃત્તિઓ કરે છે જેમાંની એક છે ઓગસ્ટ મહિનામાં બે અઠવાડિયા માટે ‘ઇન્ડિયન સમર’ની ઉજવણી. એમના નિવાસી દેશમાં ભારતથી દત્તક લાવેલા બાળકો/યુવાનોને અને તેમના માતા-પિતાઓને ભારતની સંસ્કૃિત, ભાષા, ખોરાક, તહેવારો વગેરેની જાણકારી થાય તેવી જાતજાતની પ્રવૃત્તિઓ આ મંડળ કરે છે. એ મંડળીમાંથી જ કોઈ એક થીમની ઉજવણીની માગણી થાય અને સહુ ભાગ લેનારાઓ બે અઠવાડિયા સુધી ભારતીય પોશાક, વાનગીઓ, સંગીત અને તહેવારોની લ્હાણી માણે. 

મારી આ નવી સખી વિયેનાની મેડિકલ યુનિવર્સિટીમાં Alzheimer’s disease વિષે સંશોધન માટે કામ કરે છે અને તેના પતિ એક સફળ પર્યાવરણવાદી તરીકે કામ કરે છે. આ દંપતી એક અનોખી જીવન રીતિથી જીવે છે. તેઓ કુદરતી સંસાધનોનો જ ઉપયોગ ઘર વપરાશની વસ્તુઓ માટે કરે છે. જેમ કે તેમના ઘરમાં ગરમ પાણી, હિટીંગ અને વીજળી સૂર્ય ઊર્જાથી પેદા થાય છે. કુદરતી રીતે પાણી શુદ્ધિકરણની વ્યવસ્થા પણ જાતે બનાવેલી છે. એ ઘરમાં રસોઈ માત્ર લાકડાનું બળતણ વાપરીને જ કરાય છે. અહીં એ નોંધવું યોગ્ય થશે કે મા, બાપ અને પુત્રી શુદ્ધ શાકાહારી છે, પુત્ર ક્યારેક સામીશ ભોજન લે છે. વળી સુપર માર્કેટની પકડમાંથી છૂટવા માટે તેઓ શાકભાજી ઘરના વાડામાં ઉગાડે છે, દહીં, માખણ અને ઘી ઘરની બનાવટનું જ હોય છે, લાકડાની રાખમાંથી પ્રવાહી સાબુ, અરીઠાથી સફાઈ માટેનો સાબુ અને ફર્શ સાફ કરવા માટે વિનેગરની બનાવટનો જ ઉપયોગ કરે છે. આવું સ્વાવલંબી જીવન એકવીસમી સદીમાં અને તે પણ પશ્ચિમના ધનાઢ્ય દેશમાં કોઈ જીવી શકે એ માન્યામાં નથી આવતું એમ મેં કહ્યું એટલે આ સહેલીએ મને જાતે એ જોવા જવાનું આમંત્રણ આપ્યું છે.

આમ જુઓ તો એક સાધારણ ગણાતા માતા-પિતાની પુત્રી, ધાર્યું હોત તો ભણીને નોકરી કરી, પરણીને બાળ-બચ્ચાં સાથે સુખે જીવન જીવતી હોત. પણ એક પુસ્તકમાંના ઉમદા વિચારોએ તેના વિચારોની દિશા બદલી નાખી. એટલું પૂરતું ન હોય તેમ એ જ વિચારધારાએ બે અનોખા વ્યક્તિત્વોને જોડી આપ્યાં, જેઓ કુટુંબ, સમાજ અને દેશને દૃષ્ટાંતરૂપ જીવન જીવે છે.

ધન્ય છે એક ગરવી ગુજરાતણને જેણે વિદેશ જઈને ભાષા, ધર્મ કે સંસ્કૃિતના ભેદભાવ જાણ્યા વિના એક ગોકુળિયું વસાવ્યું.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,0644,0654,0664,067...4,0704,0804,090...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved