Opinion Magazine
Number of visits: 9526213
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાંચળી, કનકકુંડળ, કવચ

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|7 June 2013

કર્ણને દ્વારે યાચક આવી, કનકકુંડળ અને કવચની યાચના કરે છે. સાપ કાંચળી ઉતારી વિસરી જાય, તેમ કર્ણ પોતાના દાનેશ્વરીપણાને સિદ્ધ કરે છે. કેટલી સરળ અને સહજ ક્રિયા. તેના મનમાં સહેજ પણ ક્લેશ નથી. મુખ પર સંતોષની લહેરખી પ્રસરી ગઈ છે. યાચકને ખુશ કર્યાનો સંતોષ છે.

કાંઈક એવો જ આનંદ અને સંતોષ અવનિશ આજે પમીના મુખ પર નિહાળી રહ્યો છે. જ્યારે વીસ વર્ષ પૂર્વે, મુંબઈની જાહોજલાલીભર્યું જીવન છોડી, અમેરિકા તેની સાથે આવી હતી. પમી એ કહ્યું, ‘હું મહમદ તઘલખ નથી, જેણે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાની કરી હતી.’

અવનિશે અટ્ટાહાસ્ય કર્યું હતું, ’અરે, તને અને બાળકોને દુનિયા ફરવાનો લહાવો મળશે.’ મોહમયી મુંબઈનો મોહ ત્યજી અવનિશની અભિસારિકા અમેરિકા આવી વસી, મુખમાંથી હરફ ઉચ્ચાર્યા વગર.

આજે આ સંવાદ યાદ આવ્યો ત્યારે સારા બદનમાં એક લખલખું ફરી વળ્યું. અવનિશની હયાતી ન હતી. જાણે અવનિશ તેને નજર સમક્ષ નિહાળી રહ્યો હોય તેવી ભાવના થઈ. મ્હોં પર શરમના શેરડા ફરી વળ્યા. આજે મનોમન નક્કી કરી, બાળકો સમક્ષ પ્રસ્તાવ મૂકવાનો હતો. પ્રત્યાઘાતો કેવા આવશે કાંઈ ખબર નહતી. કર્ણની વાત વારંવાર યાદ આવતી હતી.

ગૌતમ બુદ્ધ પત્ની તથા દીકરાને પલભરમાં ત્યજી નિકળી ગયા હતાં. રાજા જનક વિદેહી કહેવાય છે. રાજપાટ તેમનું હતું. છતાં આસક્તિ ન હતી. પમી આ બધા દૃષ્ટાંતોથી પરિચિત હતી. બસ તેને હવે કશી રોકટોક ન હતી. કામોની ઝંઝાળમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈને ખુદની ઓળખ કરવી હતી. સાપ કાંચળી ઉતાર્યા પછી તેના તરફ એક નજર પણ નાખતો નથી. પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.

જીવનનાં બંધનો, માનો તો બંધન છે વરના કશી મહત્ત્વતા ધરાવતાં નથી. હા અમુક પ્રવૃત્તિ જીવનને નિયમિતતા આપે છે પણ તે સિવાયનો રાહ વધુ સરળ છે. નિઃસ્વાથ વૃત્તિથી કરેલાં કર્મો પણ ઘણી વખત નિરાશા આપે તો પછી શા માટે એ કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવવી ? જો કોઈ પણ ઘટમાળ સંતોષ યા આનંદ પ્રદાન ન કરે તો બહેતર છે તેમાંથી મુક્તિ મેળવવી. પાછું વળીને જોવાનું ભૂલી જાવ. ગાજરની પિપૂડી વાગે ત્યાં સુધી વગાડી પછી ચાવી જવી. કોઈ પણ પ્રવૃત્તિ જીવનને રુંધે, વિકાસને બદલે અવરોધે તો પછી કાંચળીની તરહ ત્યજી પ્રસ્થાન કરવું હિતાવહ છે.

તું ભાવે ભજી લે ભગવાન જીવન થોડું રહ્યું.
કદી કરશો ના ખોટું ગુમાન જીવન થોડું રહ્યું

આ દુનિયાનો મોહ જુઠ્ઠો છે. એ જ દુનિયામાં જીવવાનું છે. માણસની અસલિયત પરખાય ત્યારે કદી નારાજ ન થવું. એ તો એમ જ થાય, કહી મન વાળવું. સ્વાર્થ વગરના કર્મના ફળ મીઠાં જ આવશે તેને કોઈ ખાતરી નથી. તેથી તો ‘ગીતા’ વારંવાર કહે છે, કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળ પર નહીં. કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી પણ કેવું ફળ પામશો તેનો કોઈ ભરોસો નથી. ‘ગીતા’માં ગુરુ ભાળી તેની આજ્ઞા શિરોમાન્ય. નિત્ય અવનવા અનુભવમાંથી પસાર થવું તેનું નામ જીવન. મીઠા યા કડવા અનુભવોને સમતા ભરી દૃષ્ટિથી જોઈ પસાર થવા દેવા.

સાપ કાંચળી ઉતાર્યા પછી કદી પાછું વળી જોતો નથી. કૃષ્ણએ ગોકુળ છોડી મથુરા જવા પ્રયાણ કર્યું. જશોદા માવડી, નંદબાબા, રાધા, મિત્રવૃંદ સઘળાં પળ ભરમાં ત્યજ્યાં. જીવનમાં આવા પ્રસંગો બને છે, બનતા રહેશે. બસ મુસાફરી ચાલુ રાખવી. કશું જ અટકતું નથી. અવનિશના ગયા પછી જિંદગી ચાલે છે. એ તો જ્યારે સંદેશો આવશે ત્યારે પળભર પણ થોભશે નહીં.

કવચ, કનકકુંડળ, કાંચળી એ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. કર્ણ કે એકલવ્ય ક્ષણભર પણ વિચાર કરવા માટે રોકાયા ન હતા.  હવે પછી શું ? એ વિચાર યોગ્ય નથી. ————

http://pravinash.wordpress.com/2013/06/06/કાંચળી-કનકકુંડળ-કવચ/

Loading

પિક્ષ્લ

‘બાબુલ’|Poetry|7 June 2013

 

યુગોથી કર્યા કરું છું
નિરંતર પ્રેમનું તપ
નિહાળ્યા કરું છું
તારાં બદલાતાં રૂપ

પહેલા યુગમાં તું વિહરતી
ઓઢીને દિશાઓ રૂપકડી
ધુપકિરણો શી તરતી
પરી – અપ્સરા ભૂલી પડી ?


તારા નામની પહેલી કવિતા
પ્રજ્વલિત અગ્નિ ઈશાનમાં
ઉત્તરે ઉતરેલી કોઈ સરિતા
ને લય તારો વૈકુંઠી ગાનમાં

વહેતી કામિની લાવામય
 મનમાં તો મૂંઝારા કારમા
ઓહ કેવાં રે મોહના ભય
સ્ખલનના નિસાસા હારમાં

આજે સ્મૃિતપટે જોઉં રંગલિસોટા
ઊર્મિઓ- કેટલાં પિક્ષ્લ, ડીજિટલ ફોટા

http://avataran.blogspot.co.uk/search?updated-min=2013-01-01T00:00:00Z&updated-max=2014-01-01T00:00:00Z&max-results=6

Loading

અનુસ્વારનું ચિહ્ન : વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Literature|5 June 2013

અંગ્રેજી ભાષાના લેખનમાં અનુસ્વારનું ચિહ્ન નથી. આપણી ભાષામાં એનું ચોક્કસ સ્થાન છે. આ અને આ પહેલાંનાં બન્ને મળીને ત્રણ વાક્યોમાં મેં ૯ વખત અનુસ્વારનું ચિહ્ન વાપર્યું છે.

ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.

વાત એમ છે કે આપણને ગુજરાતીઓને “ઝીણું” જીરું, “ટુકડી” ઘઉં, કે “પૉણિયા” ચોખા — જેવા ભેદ પાડવામાં મહેનત નથી પડતી, પણ હ્રસ્વ અને દીર્ઘ “ઇ” કે “ઉ” લખવામાં જોર પડે છે ! તે તે ભેદ મુજબના તે તેના ભાવતાલને વળગી રહેવામાં લહેર પડે છે, પણ હ્રસ્વ-દીર્ઘ સાચવવામાં આપણી પ્રજાને કંટાળો આવે છે ! આવી સુસ્ત અને મતલબી મનોદશાને કારણે નિયત જોડણી કરવા તેમ જ લખવા-બોલવા બાબતે આપણે સૌ સ્વૈરવિહારી છીએ. એને અંગેની એકવાક્યતાના અભાવમાં આપણું ભાષા-ગાડું જેમનું તેમનું ગબડે છે. એમાં, આ અનુસ્વારની તો ભારે દુર્દશા છે. એ બાપડાની જાણે કશી વિસાત જ નથી ! સર્વસાધારણ મનોવલણ એવું જોવા મળે છે કે અનુસ્વાર હોય તો ય શું ને ન હોય તો ય શું ! આમે ય દેખાવમાં એ બચારું નાનું છે !

જુઓ, જ્યાં જરૂર ન હોય ત્યાં અનુસ્વાર હોય : “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજું જતાં હતાં.” આ વાક્યમાં “બાજુ” પર અનુસ્વારનું હોવું બિનજરૂરી છે. તો વળી, જ્યાં જરૂર હોય ત્યાં એ ન હોય : “ટાવર બાજુ જતા હતા” — એમ જોવા મળે ! એમાં, “જતા” અને “હતા” બન્ને પર અનુસ્વારનું હોવું જરૂરી છે. આ અનાચાર, લેખનમાં જોવા મળે છે તેમ બોલવામાં પણ જોવા મળે છે. કેટલાક શિક્ષકો તેમ જ સારા સારા સાહિત્યકારો પણ આમાંથી બાકાત નથી ! સારસ્વતો જ બેફામ હોય, પછી પ્રજાને શું કહેવાનું !

ટૂંકમાં, “મમ મમ”થી કામ છે ! એ કાજે વ્યાકરણી વ્યવસ્થાનો અનાદર કરવામાં આપણને કશી નાનમ નથી !

આપણા વ્યાકરણમાં, સામાન્યપણે, નર અને નારી જાતિની ભેગી વાત કરવાની હોય તો યથાસ્થાને અનુસ્વારો આવે છે. નર, નારી અને નાન્યતરની ભેગી વાત કરવાની હોય તો પણ તેમ કરાય છે. “રમેશ, રમા અને એમનું કૂતરું નામે સાજન ટાવર બાજુ જતાં હતાં” — એ આખું વાક્ય આ બન્ને વાતનું સમર્થક છે. શિષ્ટમાન્ય વ્યવહારો વખતે દરેકે આ વ્યવસ્થાને વળગી રહેવું જોઇએ. સીધી વાત છે ! પરન્તુ, થોડું જુદું કહું : આપણી ભાષામાં, કુંભાર-કુંભારણ, બામણ-બામણી, મોચી-મોચણ, દરજી-દરજણ, વાણિયા-વાણિયણ, જેવી જાતિ-સૂચક વ્યાકરણી વ્યવસ્થા સ્થિર થયેલી છે. પણ એનો અર્થ એ નથી કે તમે કુંભારણબાઈને “કુંભાર” કે વાણિયણબાઈને “વાણિયા” કહીને સમ્બોધો તો ન ચાલે, ને તેને ખોટું લાગે ! ખોટું તો ત્યારે લાગશે, જ્યારે તમે એમાં કશો દુર્ભાવ દબાવીને બોલતાં હશો. કેમ કે, દુર્ભાવનો સ્વભાવ છે કે પોતાના હોવાપણાની તરત ચાડી ખાય !

ત્યારે, ગયા અઠવાડિયાની એ સાહિત્યસભામાં, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” શીર્ષકમાં અનુસ્વારના મુદ્દા અંગે મારા મનમાં થોડા જુદા વિચારો વિચરતા થયેલા. પણ અન્ય ચર્ચાઓમાં સભાની નિયત સમય-મર્યાદા સાવ નજીક આવી ગયેલી, એટલે મેં મૌનને ગમતું કરેલું. પણ અહીં એને વાચા આપું છું :

એમ કે, એક અર્થમાં “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો” પ્રયોગ ખોટો નહીં લાગે. એમ કે,  “કેટલાક” પર અનુસ્વાર નથી તે બરાબર છે. એટલા માટે કે, સાહિત્યસર્જન કે કશું પણ સર્જન જે વ્યક્તિ કરે એને સર્જક કહેવાય, ભલેને એ સ્ત્રીએ કર્યું હોય કે પુરુષે કર્યું હોય કે પછી બાળકે. એ સૌ સર્જકો છે. એ ન્યાયે એ ગ્રન્થમાં બધા સર્જકો છે. (ખરેખર તો, સમીક્ષા અને ચર્ચાથી સભા એવા સૂર અને સારની દિશામાં વધારે સફાઈથી વિકસી શકી હોત — કે એ અમેરિકાવાસીઓમાં કાચા-પાકા આછા-ઓછા અને ખરા કે ખરેખરા સર્જકો કોને ગણી શકાય એમ છે અને કોના કોનાથી ગુજરાતી સાહિત્ય આછુંપાતળું પણ રળિયાત થઈ શકે એમ છે. ગ્રન્થકાર એ સારને સ્વ સૂરે સુદૃઢ પણ કરી શકયા હોત.) આપણા જમાનામાં “ઍક્ટ્રેસ”ને પણ હવે “ઍક્ટર” કહેવાય છે. જુલિયા રૉબર્ટને લોકો “ઍક્ટર” કહેવાનું પસંદ કરે કે અનુષ્કા શર્મા પોતાને “ઍક્ટર’ કહે એમાં કશું ખોટું નથી. હવે કોઈ “પોએટેસ” નથી બોલતું.  તમે “કવયિત્રી”, “લેખિકા” કે “સ્ત્રી-લેખિકા” કહો તે ન ગમે, કેમ કે ન ચાલે. નારીવાદીઓ તો ન જ ચલાવી લે ! આ બહેન “પોએટ” છે —  “રાઇટર” છે —  “કવિ” છે —  “વાર્તાકાર” છે —  એમ કહીએ તો મને તો વધારે સારું લાગે છે. જો કે આમ તો એમને “બહેન” પણ નહીં કહેવાય !

તે છતાં, ટૂંકમાં, સ્ત્રી-પુરુષ કે નર-નારી ભેદને ઉલ્લંઘીને વિકસેલી આ નવતાનું આપણે સ્વાગત કરવું જોઇએ. એની સામે આંખમીંચામણાં કરવાથી સંભવ છે કે આપણે જીવનની ગતિશીલતાનો અનાદર કરી બેસીએ.

જોવા જઇએ તો આપણે એવા અનુ-આધુનિક કાળમાંથી ગુજરી રહ્યાં છીએ, જેમાં બધાં મૂલ્યો, બધી શાસ્ત્રસમ્મત વાતો, આગ્રહો, નિયમો કે આચાર-વિચાર પ્રશ્નાર્થ હેઠળ આવી ગયાં છે. એ પ્રશ્નાર્થોને ઉકેલવામાં મોડા પડીશું તો વિમાસણો વધશે … કશાં સુખદ સમાધાનો જડશે નહીં …

(૨૭ મે ૨૦૧૩)

e.mail : suman.g.shah@gmail.com

Loading

...102030...4,0544,0554,0564,057...4,0604,0704,080...

Search by

Opinion

  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 
  • બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …
  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved