Opinion Magazine
Number of visits: 9526359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં નાથાલાલ ઝગડાથી લઈ દિલ્હીમાં અડવાણીને મોદીએ દૂર કર્યા

Samantar Gujarat - Samantar|11 June 2013

ગુજરાતમાં નાથાલાલ ઝગડાથી લઈ દિલ્હીમાં અડવાણીને મોદીએ દૂર કર્યા

ગુજરાતનો ઇતિહાસ કહે છે, હજુ ઘણા નેતાઓ દૂર થશે

પ્રથમ ગુજરાત અને પછી દિલ્હીનું લક્ષ્ય ભાજપમાં આવ્યા પહેલા પ્રચારક હતા ત્યારથી જ

અમદાવાદ, સોમવાર, 


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કારણે ભા.જ.પ.ના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રાજીનામું આપવાની ફરજ પડી છે. જો તેમણે રાજીનામું આપ્યું ન હોત તો પણ લોકસભાની ચૂંટણી સુધીમાં તેમને નિવૃત્તિ તરફ ધકેલી દેવાયા હોત. ગુજરાત ભાજપનો ઇતિહાસ કહે છે કે પ્રથમ ગુજરાત અને હવે દિલ્હી મોદીનું લક્ષ્ય છે. ગુજરાતમાં નાથાલાલ ઝઘડાથી શરૂ કરીને આજે અડવાણી સુધી મોદી પોતાના માટેનો માર્ગ ચોખ્ખો કર્યો છે.


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાજપ પ્રવેશ પહેલાં જ તેમણે ભાજપમાંથી નેતાઓને દૂર કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પ્રચારક હતા ત્યારે જ ગુજરાત ભાજપના મહામંત્રી (સંગઠન) જેઓ પ્રચારક હોય છે એવા નાથાલાલ ઝગડાને આ પદ પરથી નિવૃત્ત કરવા તેમની તબિયતને આગળ ધરી હતી. નાથાલાલ ઝઘડાને માત્ર ડાયાબિટીસ હતો અને ઘુંટણની તકલીફ પ્રારંભિક તબક્કે હતી. પરંતુ પ્રચારક નરેન્દ્ર મોદીએ સંઘના વડાઓને રજૂઆત કરી કે બીચારા નાથાભાઈને હવે આ કામમાંથી મુક્ત કરો તેમની તબિયત સારી નથી. આમ કહીને નાથાલાલ ઝઘડાને નિવૃત્ત કરાવી તેઓ પોતે જ ભાજપના પ્રદેશ મહામંત્રી (સંગઠન) તરીકે ગોઠવાઈ ગયા હતા.


પ્રદેશ મહામંત્રી બન્યા પછી પોતાના વિશ્વાસુઓને ગોઠવવા માટે કાર્યાલયથી લઈને સંગઠન મંત્રીઓને એક પછી એક દૂર કરી પોતાના માણસોને ગોઠવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ શંકરસિંહ વાઘેલાને નિશાન બનાવ્યા હતા. કેશુભાઈ પટેલને શંકરસિંહથી દૂર કરવા 'શંકરસિંહ તમારા હરિફ છે, તમને મુખ્યમંત્રી થવા નહીં દે' જેવી કાનભંભેરણી કરીને બે સ્નેહી મિત્ર જેવા નેતાઓને દુ:શ્મન બનાવી દીધા. આખરે શંકરસિંહે બગાવત કરવી પડી હતી.


પરંતુ શંકરસિંહની પ્રથમ બગાવત વખતે મોદીને ગુજરાત છોડી દિલ્હી જવું પડયું હતું. જેથી તેમના સ્થાને સંજય જોષી પ્રદેશ મંત્રીમાંથી પ્રદેશ મહામંત્રી (સંગઠન) પદે આવ્યા હતા. તેમના આવવાથી સંગઠનમાં મોદીના ગોઠવાયેલા વિશ્વાસુ બાજુ પર મુકાવા લાગ્યા. જેથી સંજય જોષીને નિશાન બનાવ્યા હતા.


ગુજરાતમાં કચ્છ ભૂકંપ અને સાબરમતી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરાજયને કેશુભાઈની નિષ્ફળતામાં ખપાવી કાશીરામ રાણા પાસે કેશુભાઈ વિરુદ્ધ રજૂઆતો કરાવી અને અડવાણી તથા સંઘની કૃપાથી તેઓ મુખ્યમંત્રી બની શક્યા.
કચ્ચ ભૂકંપના રાહત કામોમાં કેશુભાઈ પટેલની સરકારે બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથે ગુજરાતમાંથી જથ્થાબંધ પત્રો લખાવવામાં આવ્યા હતા, ઉપરાંત કેશુભાઈની સરકારમાં વહીવટ તો તેમના જમાઈ ડો. મયૂર દેસાઈ અને તેમના પુત્રો કરે છે. ધારાસભ્યોને પણ છોડતા નથી. આવા આક્ષેપો સાથે પણ રજૂઆતો કરાવી, પત્રો લખાવ્યા એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું કે ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર જટલા દિવસ વધુ ચાલશે તેટલું ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન છે. આવી રજૂઆતોને ભાજપ હાઇકમાન્ડે ગંભીરતા લેવાનું મન મનાવ્યું એટલે તરત જ મોદીએ સંઘમાં પોતાના માટે લોબીંગ શરૂ કર્યું. સંઘમાંથી જ ફરમાન છૂટયું કે કેશુભાઈને બદલવા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપવી.


આખરે હાઇકમાન્ડે કેશુભાઈને દિલ્હી બોલાવ્યા. તેમની સાથે હરેન પંડયા પણ હતા. દોઢ દિવસ રજૂઆતો અને હરેન પંડયાની દલીલો ચાલી. પરંતુ સંઘના આદેશ આગળ કેશુભાઈ પટેલે પણ ઝૂકી જવું પડયું. દિલ્હીથી આવીને કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું અને નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ સ્ટેિડયમ ખાતે ભવ્ય સોગંદવિધિનું આયોજન કર્યું.
આ સમયે મોદીએ કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાને પોતાની પાસે ઊભા રાખી, તેમને પગે લાગતાં ફોટા પડાવ્યા અને કહ્યું હતું કે અર્જુન પાસે તો એક શ્રીકૃષ્ણ જ સારથિ હતા, જ્યારે મને તો આ બે સારથિ મળ્યા છે.


આ બંને સારથિઓની શું વલે થઈ એ ગુજરાત આખું જાણે છે. તેઓ ગુજરાતમાં આવ્યા એટલે સંજય જોષીને દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતા.


મુખ્યમંત્રી બન્યા પછી છ માસમાં ધારાસભાની ચૂંટણી લડીને જીતવું પડે. જેથી સલામત એલિસબ્રીજ બેઠક પસંદ કરી. પરંતુ હરેન પંડયાએ બેઠક ખાલી કરવાની ના પાડી. જેથી ૨૦૦૨ની ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપવાની જીદ કરી, હોસ્પિટલમાં દાખલ થયા અને રાજીનામાની ધમકી આપી. આખરે હરેન પંડયાને ટિકિટ મળી નહીં.


૨૦૦૨ની ચૂંટણી જીત્યા પછી કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા, ડૉ. એ.કે. પટેલ, સુરેશ મહેતા સહિત કેશુભાઈના મંત્રીમંડળમાં હતા એવા અનેક અગ્રણીઓને એક પછી એક ટાર્ગેટ બનાવી જવાબદારી મુક્ત કરીને ખૂણામાં ધકેલી દીધા.


ગુજરાત ભાજપમાં તમામ જૂનિયરોને પ્રદેશના નેતાઓ બનાવીને રાજ કર્યું. પરંતુ હવે ગુજરાત નાનું પડે છે. કોઈ હરિફ પણ નથી. જેથી હવે દિલ્હી સર કરવાનું આયોજન થઈ ચૂક્યું છે. અને તેમાં આજે પ્રથમ મુખ્યમંત્રીના જ ગુરુ અને તેમની ઢાલ સમા અડવાણીનો ભોગ લેવાયો છે. હજુ તો બીજા અનેક રાષ્ટ્રીય નેતાઓને આ જ પ્રકારે જવાબદારી મુક્ત થવા તૈયાર રહેવું પડશે.

સૌજન્ય : http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-modi-advani-among-nathalala-be-removed-in-delhi 11 June 2013

Loading

મલહાર – આંખો અને અંતરને અનરાધાર વરસાવતો રાગ

પ્રહ્લાદ જોશી|Opinion - Opinion|11 June 2013

આજ બપોરે હું મલહારવશ હતો. એના સિવાય જાણે કાંઈ હતું જ નહીં. ન દિમાગમાં, નહીં દિલમાં. વલ્લભ ભવાનની વિશાળ દુકાનમાં કોણ જાણે કઈ ઘડીએ ધ્રુવપદ શૈલીમાં મલહારનો આલાપ ગણગણાવાનો શરૂ થયો એ ખબર નથી. પણ પછી તો રાગ જ નક્કી કરતો હતો કે એના વિરાટ સ્વરૂપમાંથી કઈ કઈ છટાઓ એક પછી એક પ્રકટ કરવી. સ્ટોરના કેશિયર સાથે કામની પણ વાત કરવાનું મન ન થાય. પણ સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓએ છેવટે એના પ્રવાહને અવરોધ્યો જ. જયારે રાગ પોતાના સ્વરૂપને ધીમે ધીમે પ્રગટ કરતો જતો હોય, ત્યારે કોઈની સાથે વાત કરવી જ પડે એ પણ દુર્ભાગ્ય જ ને !

વૈશાખ જેઠના વાયરાઓ એ ઉડાડેલી ધૂળથી ખરડાયાં પાન પહેલી વર્ષામાં ધોવાય, બધી ધૂળ પાણી ભેગી વહી જાય અને લીલુડાં પાનની સાચી લીલાશ પ્રકટ થાય. એટલે આ મલને – મેલને હરી લેનાર વરસાદને કહેવાય મલહાર, એ નામે એક અદ્દભુત રાગનું નામકરણ પણ થયું, જે મલ્હાર કહેવાયો. એ મલ્હાર વર્ષાકાલનો રાગ કહેવાય છે. 

એ રાગ સાથે એક મહા મેધાવી ગાયકનું નામ સદા માટે જોડાયું એ રામતનુ પાન્ડેય એટલે મહાન તાનસેન. જેના માટે ઈર્ષાળુ અકબરે રાજા રામચંદ્રરાયને એવી ધમકી આપી હતી કે રેવાના દરબારી ગાયક તાનસેનને પોતાના હવાલે નહીં કરે તો આખું રેવા નગર સળગાવી દેશે. એવો ગાયક, કે જેના માટે રેવા નરેશ અકબરની સેના સાથે લડવા તૈયાર થઈ ગયા હતા, અને તાનસેને એવું ન કરવા મનાવ્યા ત્યારે પ્રિય મિત્ર અને પ્રિય ગાયક તાનસેનની પાલખી રાજાએ પોતે ઉપાડી હતી અને અકબરના હવાલે વળાવવા ગયા હતા.     

અતિશયોક્તિમાં જ વાતો કરવાની મધ્યયુગીન ભારતની ટેવ મુજબ રાગ સાથે ઘણી વાયકાઓ પણ જોડાઈ. એમાંની એક એ, કે તાનસેન મલહાર ગાઈ વરસાદ લાવી શકતા. દીપક રાગ એમણે અકબરના આગ્રહથી ગાયો અને પરિણામે એમના અંતરમાં દીપકદાહ ઉપડ્યો, જે એક જ રીતે શાંત થાય તેમ હતો, કે જો કોઈ મલહાર ગાઈ વરસાદ લાવે, અને તાનસેન એમાં નહાય. પછીની ઘટનાઓ આપણે જાણીએ છીએ કે વડનગરની બે નાગર દીકરીઓ તાના અને રીરીએ એવો મલહાર ગાયો અને મેધાવી ગાયકનો દીપકદાહ શાંત થયો. પણ અનુભવથી કહું છું કે વાદળને વરસાવે કે નહીં, એ ખબર નથી પણ આ રાગ આંખોને અને અંતરને તો અનરાધાર વરસાવે જ છે.

સંગીતરસિક તરીકે મને ઘણીવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્યારા સલિલભાઈ દલાલે જ એક વાર બીજા કોઈ સંદર્ભમાં આ પ્રશ્ન રમતો મુક્યો હતો કે રાગોનો દિવસના સમય અને ઋતુઓ સાથે સંબંધ કેવી રીતે નક્કી થાય, જ્યાં મધ્યરાત્રિના કલાક પહેલાં જ સૂર્યાસ્ત થવાનો હોય તો સંધ્યાના રાગ ગાવા માટે શું એટલી રાહ જોવી ?

મેં પ્રાકૃતિક પરિબળો રાગોને વશ થઈ શકે એ માન્યતા માટે વાયકા શબ્દ વાપર્યો છે એટલે મિત્રોને અંદાજ તો આવી જ ગયો હશે કે એ વિષે હું શું માનતો હોઈશ, પણ મારો એક બીજો પણ સ્વભાવ છે, કે ધુમાડો દેખાય તો જરાક તો આગ ક્યારેક તો લાગી જ હશે, એ પણ શોધવાનો. રાગોના ચોવીસ કલાક દરમ્યાન ગાવાના સમય નક્કી કરવા પાછળનો તર્ક તો જરાક વિચારીને સમજી શકાય છે. પણ ઋતુઓ સાથે સંબંધ શું હશે ! કેમ સારંગ અને ભીમપલાશ ઉનાળામાં ખીલે છે એવા બીજી ઋતુઓમાં નથી ખીલતા ! કે પછી એ પણ આપણી પોતાની આપણું મન મનાવવાની માનસિક ભ્રમણા જ છે ! કેમ દેશ અને તિલકકામોદ વરસાદ થઈ ગયા પછી જેવા ગાવા ગમે તેવા બીજા કોઈ સમયે નહીં ! વસંત, બહાર અને પરજને વસંત ઋતુ સાથે શું સંબંધ ! એવું તો નહીં હોય ને, કે મને કહેવામાં આવ્યું હતું કે આ રાગ જે તે ઋતુનો છે, અને મેં તર્ક વિતર્ક કે કુતર્ક વિના મક્કમતાપૂર્વક માની લીધું !

મારે કોઈ જવાબ નથી આપવા, પણ વિચાર સામગ્રી બને એવો એક પ્રસંગ કહેવો છે.

વર્ષ ૧૯૯૯ના ગાંધીનગરનો વૈશાખ હતો. ગરમીની વાતો તો આપણે બધાએ સાંભળી છે જ. રાત્રે છત પર સુવાનું મન થાય, પણ રોજ સમાચારો એવા સાંભળવા મળે કે ઘરમાં જ ન છૂટકે સુવું પડે. એ દિવસોમાં ઘરે ઓડિયો સિસ્ટમ ન હતી. વ્હાલા મિત્ર ગૌરાંગ આચાર્યએ મને ગમે તેવી અમુક ઓડિયો ટેપ મારા કાજે વસાવી હતી, એમાંની એક હતી મલહાર ચંદ્રિકા, જેમાં એક બાજુ હતો પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ વગાડેલો મલહાર અને બીજી બાજુ હતો અમજદઅલી ખાન સાહેબે વગાડ્યો ચંદ્રકૌંસ. એ દિવસે હું અને મા મામાના ઘરે હતાં. મામા મામી બહાર ગયાં હતાં. મામા પાસે નાનું એવું કેસેટ પ્લેયર હતું, જેમાં કોઈ વાર અનુકૂળતા મળે ત્યારે ગૌરાંગની કેસેટો મૂકી સાંભળતો.

આખો દિવસ ખૂબ ગરમી રહી હતી. રાતના અગિયાર થયા હશે, કે થવા આવ્યા હશે. કામ પરવારી મા દીકરો, અને નાનીમા એક જ ઓરડામાં સૂતાં હતાં. એવા ટાણે સાવ નિરવ શાંતિ થઈ ગઈ હતી. મેં મામાના કેસેટ પ્લેયરમાં મલહાર ચંદ્રિકા મૂકી હતી. પંડિત ચૌરસિયાએ વગાડેલો અદ્દભુત મલહાર શરૂ થયો. એ સંભાળતાં સંભાળતાં જ સુઈ જવું એવો ઈરાદો હતો. મા કે નાનીમા કોઈ જરા ય સંગીત શીખ્યા નથી કે નથી રાગોનું કોઈ કહેતાં કોઈ જ જ્ઞાન. એક પણ રાગ બેમાંથી કોઈ ઓળખી શકતાં નથી. છતાં સંગીતની મજાક પણ કોઈ દિવસ કરી નથી. કાંઈક વાગતું હોય તો સાંભળવું ગમે ખરું. એમ કહે. મને કમસેકમ રાગના નામની ખબર હતી, મા અને નાનીમાને તો એ પણ ખબર નહીં. 

તાનપુરાના રણકાર અને વાંસળીના સૂર સિવાય બીજો કોઈ અવાજ ન હતો. સ્વરો બંધાવા માંડ્યા હતા, આલાપ ઘેરાવા માંડ્યો. પણ ત્યારે માએ સહજ જ જે કહ્યું એણે મને વિચારતો કરી દીધો. માનવામાં ન આવે એવું કહ્યું. માને સંગીતમાં સમજણ ભલે ન હતી પડતી, પણ એ રાત્રે પંડિત હરિપ્રસાદને એક સાચી શ્રોત્રી મળી હતી. લગભગ પંદર મિનિટના વાદન પછી લગભગ ઊંઘમાં આવી ગયેલાં માએ અચાનક મને કહ્યું …… 

દીકરા, બહાર જઈ જોઈ આવ તો, કપડાં હજી સુકાય છે, ને વાતાવરણ વરસાદી થઈ ગયું લાગે છે, તો અંદર લઈ લે ને બેટા !

(10 જૂન 2013)

https://www.facebook.com/notes/prahlad-joshi/મલહાર-આંખો-અને-અંતરને-અનરાધાર-વરસાવતો-રાગ/594036360629572

Loading

કાંચળી, કનકકુંડળ, કવચ

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|7 June 2013

કર્ણને દ્વારે યાચક આવી, કનકકુંડળ અને કવચની યાચના કરે છે. સાપ કાંચળી ઉતારી વિસરી જાય, તેમ કર્ણ પોતાના દાનેશ્વરીપણાને સિદ્ધ કરે છે. કેટલી સરળ અને સહજ ક્રિયા. તેના મનમાં સહેજ પણ ક્લેશ નથી. મુખ પર સંતોષની લહેરખી પ્રસરી ગઈ છે. યાચકને ખુશ કર્યાનો સંતોષ છે.

કાંઈક એવો જ આનંદ અને સંતોષ અવનિશ આજે પમીના મુખ પર નિહાળી રહ્યો છે. જ્યારે વીસ વર્ષ પૂર્વે, મુંબઈની જાહોજલાલીભર્યું જીવન છોડી, અમેરિકા તેની સાથે આવી હતી. પમી એ કહ્યું, ‘હું મહમદ તઘલખ નથી, જેણે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાની કરી હતી.’

અવનિશે અટ્ટાહાસ્ય કર્યું હતું, ’અરે, તને અને બાળકોને દુનિયા ફરવાનો લહાવો મળશે.’ મોહમયી મુંબઈનો મોહ ત્યજી અવનિશની અભિસારિકા અમેરિકા આવી વસી, મુખમાંથી હરફ ઉચ્ચાર્યા વગર.

આજે આ સંવાદ યાદ આવ્યો ત્યારે સારા બદનમાં એક લખલખું ફરી વળ્યું. અવનિશની હયાતી ન હતી. જાણે અવનિશ તેને નજર સમક્ષ નિહાળી રહ્યો હોય તેવી ભાવના થઈ. મ્હોં પર શરમના શેરડા ફરી વળ્યા. આજે મનોમન નક્કી કરી, બાળકો સમક્ષ પ્રસ્તાવ મૂકવાનો હતો. પ્રત્યાઘાતો કેવા આવશે કાંઈ ખબર નહતી. કર્ણની વાત વારંવાર યાદ આવતી હતી.

ગૌતમ બુદ્ધ પત્ની તથા દીકરાને પલભરમાં ત્યજી નિકળી ગયા હતાં. રાજા જનક વિદેહી કહેવાય છે. રાજપાટ તેમનું હતું. છતાં આસક્તિ ન હતી. પમી આ બધા દૃષ્ટાંતોથી પરિચિત હતી. બસ તેને હવે કશી રોકટોક ન હતી. કામોની ઝંઝાળમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈને ખુદની ઓળખ કરવી હતી. સાપ કાંચળી ઉતાર્યા પછી તેના તરફ એક નજર પણ નાખતો નથી. પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.

જીવનનાં બંધનો, માનો તો બંધન છે વરના કશી મહત્ત્વતા ધરાવતાં નથી. હા અમુક પ્રવૃત્તિ જીવનને નિયમિતતા આપે છે પણ તે સિવાયનો રાહ વધુ સરળ છે. નિઃસ્વાથ વૃત્તિથી કરેલાં કર્મો પણ ઘણી વખત નિરાશા આપે તો પછી શા માટે એ કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવવી ? જો કોઈ પણ ઘટમાળ સંતોષ યા આનંદ પ્રદાન ન કરે તો બહેતર છે તેમાંથી મુક્તિ મેળવવી. પાછું વળીને જોવાનું ભૂલી જાવ. ગાજરની પિપૂડી વાગે ત્યાં સુધી વગાડી પછી ચાવી જવી. કોઈ પણ પ્રવૃત્તિ જીવનને રુંધે, વિકાસને બદલે અવરોધે તો પછી કાંચળીની તરહ ત્યજી પ્રસ્થાન કરવું હિતાવહ છે.

તું ભાવે ભજી લે ભગવાન જીવન થોડું રહ્યું.
કદી કરશો ના ખોટું ગુમાન જીવન થોડું રહ્યું

આ દુનિયાનો મોહ જુઠ્ઠો છે. એ જ દુનિયામાં જીવવાનું છે. માણસની અસલિયત પરખાય ત્યારે કદી નારાજ ન થવું. એ તો એમ જ થાય, કહી મન વાળવું. સ્વાર્થ વગરના કર્મના ફળ મીઠાં જ આવશે તેને કોઈ ખાતરી નથી. તેથી તો ‘ગીતા’ વારંવાર કહે છે, કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળ પર નહીં. કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી પણ કેવું ફળ પામશો તેનો કોઈ ભરોસો નથી. ‘ગીતા’માં ગુરુ ભાળી તેની આજ્ઞા શિરોમાન્ય. નિત્ય અવનવા અનુભવમાંથી પસાર થવું તેનું નામ જીવન. મીઠા યા કડવા અનુભવોને સમતા ભરી દૃષ્ટિથી જોઈ પસાર થવા દેવા.

સાપ કાંચળી ઉતાર્યા પછી કદી પાછું વળી જોતો નથી. કૃષ્ણએ ગોકુળ છોડી મથુરા જવા પ્રયાણ કર્યું. જશોદા માવડી, નંદબાબા, રાધા, મિત્રવૃંદ સઘળાં પળ ભરમાં ત્યજ્યાં. જીવનમાં આવા પ્રસંગો બને છે, બનતા રહેશે. બસ મુસાફરી ચાલુ રાખવી. કશું જ અટકતું નથી. અવનિશના ગયા પછી જિંદગી ચાલે છે. એ તો જ્યારે સંદેશો આવશે ત્યારે પળભર પણ થોભશે નહીં.

કવચ, કનકકુંડળ, કાંચળી એ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. કર્ણ કે એકલવ્ય ક્ષણભર પણ વિચાર કરવા માટે રોકાયા ન હતા.  હવે પછી શું ? એ વિચાર યોગ્ય નથી. ————

http://pravinash.wordpress.com/2013/06/06/કાંચળી-કનકકુંડળ-કવચ/

Loading

...102030...4,0524,0534,0544,055...4,0604,0704,080...

Search by

Opinion

  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 
  • બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …
  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved