વ્યક્તિપૂજક સમાજ : લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે, પણ જનતા આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે
''લોકશાહી લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું રાજ’’ તેવી અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને દોઢસો વરસ અગાઉ આપેલી વ્યાખ્યા આજે પૂરેપૂરી બદલાઈ ચૂકી છે. આધુનિક લોકશાહી રાજકીય પક્ષોનાં હિત માટે ચાલતું રાજ બની ગઈ છે. લોકશાહીના અનેક પ્રકારો છે પણ બધી લોકશાહીઓમાં રાજકીય પક્ષો સત્તાના કેન્દ્રસ્થાને ગોઠવાઈ ગયા છે. લોકશાહી વ્યવસ્થાનો પૂરો લાભ ઉઠાવતા રાજકીય પક્ષોનાં આગેવાનો પોતાના માટે લોકશાહીનાં ધારાધોરણ પાળવા તૈયાર હોતાં નથી અને પક્ષોનાં બંધારણો તો માત્ર કાગળિયા ઘોડા બની ગયા છે.
આપણા દેશમાં આજે ૧૬૧૬ પક્ષો ચૂંટણીપંચનાં ચોપડે ચડેલા છે. તેમાંથી છ પક્ષો રાષ્ટ્રીય ગણાય છે, ૪૭ પક્ષોને પ્રાદેશિક પક્ષોનો દરજ્જો અપાયો છે અને ૧પ૬૩ પક્ષોની તો માત્ર નોંધણી જ કરવામાં આવી છે. સામ્યવાદી પક્ષ, માકર્સવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અને શરદ પવારનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ પોતપોતાના વિસ્તારમાં જ મહત્ત્વ ધરાવે છે. બંગાળ – કેરળ સિવાય સામ્યવાદીઓ કે માર્કસવાદીઓનું કશું ઊપજતું નથી. ઉત્તરપ્રદેશ કે બિહારની બહાર બહુજન સમાજ પક્ષને એકાદ બે બેઠક માંડ મળે છે. તેથી વાસ્તવિક ધોરણે તો ભારતમાં કોંગ્રેસ અને ભાજપ આ બે પક્ષો જ રાષ્ટ્રીય પક્ષો છે. કોંગ્રેસમાં એક જમાનામાં લોકશાહી ધોરણે કામ ચાલતું અને આઝાદીની લડતમાં ભાગ લેનાર મહારથી નેતાઓ હતા. ત્યાં સુધી બધા નિર્ણયો લોકશાહીઢબે ચર્ચાઓ કરીને લેવામાં આવતા.
મોટાં દિગ્ગજ નેતાઓએ પણ લોકશાહી ફેંસલા કબૂલ રાખવા પડતા. ૧૯૩૯માં સુભાષ બોઝ કોંગ્રેસનાં પ્રમુખ ચૂંટાયા તે ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ થયું. પણ પરિણામ ગાંધીજીએ પણ સ્વીકારી લીધું. પણ ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડયા પછી બદલાયું અને ઇન્દિરા ગાંધીએ એકહથ્થુ વહીવટ ચલાવ્યો. કોંગ્રેસમાં લોકશાહીતંત્રનો દેખાવ ચાલુ રહ્યો પણ રાજવંશી રીતે કામ ચાલ્યું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી બધી રીતે વધારે લાયક અને અનુભવી પ્રણવ મુખરજીને બાજુએ ફગાવીને તદ્દન બિન અનુભવી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને ચાર પાંચ વરસમાં કોંગ્રેસ પક્ષે પછડાટ ખાધી. રાજીવ ગાંધીની હત્યા (૧૯૯૧) પછી કુટુંબમાં કોઈ ન હોવાથી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા, (૧૯૯૧-૯૬)પણ ૧૯૯પમાં સીતારામ કેસરીને ખસેડીને સોનિયા ગાંધી પ્રમુખ બન્યાં તે વીસ વરસથી પ્રમુખપદ ભોગવે છે.
ભાજપમાં રાજવંશ નથી, પણ મુઠ્ઠીભર આગેવાનો પોતાની ટોળી જમાવીને ભાજપને દોરવણી આપે છે. જનસંઘની સ્થાપનાથી માંડીને ૧૯૬૮ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિ દીનદયાલ ઉપાધ્યાય જનસંઘના મહામંત્રી તરીકે સર્વેસર્વા બની રહ્યા. જનસંઘના પ્રમુખો વરસે – બે વરસે બદલાય પણ મહામંત્રી તો ઉપાધ્યાય જ અને ખરી સત્તા તેમના હાથમાં. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ત્રિપુટીએ પગ જમાવ્યો અને આજે નરેન્દ્ર મોદીનો પડયો બોલ ઝીલવામાં આવે છે. આવી વ્યક્તિની પણ સામે અવાજ ઉઠાવનાર લાલકૃષ્ણ અડવાણીને ઠેકાણાં સર બેસાડી દેવામાં આવ્યા છે.
ભાજપમાં રાજવંશ નથી પણ મુઠ્ઠીભર આગેવાનોનું વર્ચસ્વ છે. આવા વર્ચસ્વને અંગ્રેજી ભાષામાં OLIGARCHY(ઓલીગાર્કી) કહેવાય છે. ગુજરાતી ભાષામાં તેનો કોઈ પર્યાય જડતો નથી. પ્રાદેશિક પક્ષોમાં તો સ્થિતિ વધારે ખરાબ છે. ૪૭ પ્રાદેશિક પક્ષો વિવિધ પ્રકારના છે અને વિવિધ કારણોસર સ્થપાયા છે. બહુજન સમાજ પક્ષમાં માયાવતી, સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવ, રાષ્ટ્રીય જનતા દળના લાલુપ્રસાદ યાદવ, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, અન્નાદ્રમુકમાં જયલલિતા, રાષ્ટ્રીય કોંગ્રેસમાં શરદ પવાર જે ધારે તે કરે છે અને કરી શકે છે, કારણ કે મોટા ભાગે આ પ્રાદેશિક પક્ષો તેમણે સ્થાપ્યા છે અને તેમના કારણે જ ટકી રહ્યાં છે.
પંજાબમાં અકાળીદળ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ તો તામિલનાડુમાં દ્રમુક અલગ પ્રકારના પ્રાદેશિક પક્ષો છે. આ પક્ષોની સ્થાપના લાંબા વખત અગાઉ સામાજિક કારણોસર થઈ. પણ આ પક્ષોએ રાજકારણમાં ઝુકાવ્યા પછી આગેવાનોએ સત્તા જમાવી. ઉડીશામાં બીજુ જનતા પક્ષ પણ અલગ પ્રકારનો રાજવંશ છે. જનતા દળના ટુકડા પડયા પછી ઉડીશામાં બીજુ પટનાયક જેવા પ્રચંડ આગેવાન સિવાય બીજું કોઈ હતું જ નહીં. આંધ્રમાં એન.ટી. રામારાવે સ્થાપેલા તેલુગુદેશમ પક્ષમાં તેમના કુટુંબને ખસેડીને રામારાવના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ લગામ પકડી લીધી છે.આવું આપણા દેશમાં જલદીથી થાય છે અને વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે આપણા સમાજમાં લોકશાહીની પરંપરા નથી અને આપણો સમાજ વ્યક્તિપૂજક સમાજ છે. લોકશાહીના સિદ્ધાંતોની વાતો થાય છે પણ આમ જનતા હજુ આજે પણ સિદ્ધાંતો કરતાં આગેવાનોને અનુસરે છે. આવું માત્ર રાજકારણમાં જ થાય છે તેમ નથી. સિનેમાના એક્ટરો, ખેલાડીઓ, શ્રીમંત કુટુંબના-નબીરાઓ માટે આપણા સમાજમાં જે અહોભાવ છે તે દુનિયામાં બીજે કશે દેખાતો નથી. નગીનદાસ સંઘવી લેખક વરીષ્ઠ રાજકીય સમીક્ષક છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Apr 14, 2014
![]()


“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને સો વર્ષ પૂરાં થશે. પારસીઓ જુદાં જુદાં કામોમાં પહેલ કરવાનું જાણે, પણ પોતે કરેલાં કામોનું ડિમ ડિમ કેમ વગાડવું તે ન જાણે. અને બિન-પારસી ગુજરાતીઓ તો પારસીઓનાં કામનાં ગાણાં ગાય જ શાના? જો અદી મર્ઝબાન મરાઠી કે બંગાળીભાષી હોત તો એ પ્રજાએ આખું વર્ષ તેમની જન્મ શતાબ્દી ઉજવી હોત.
"અદી મર્ઝબાન – મૌલિક કલાકાર, માતાની ગળથૂથીમાં જ શીખીને આવેલા – અંગ્રેજી, ગુજરાતી નાટક લખનાર, રજૂઆત, કોઈ પણ માધ્યમ હાથ ધરવા જીવ જોડીને અભ્યાસ કરનાર. એને ઈશ્વરદત્ત સમજણ. ટૂંક સમયમાં એ પારંગત થઇ ગયા. એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ભણીપરવારી પારસી જુવાનિયાઓની ટોળી ઊભી કરી. પારસી બાનુઓ નાટકમાં ભાગ લે તે એ કોમ ઓગણીસ સો વીસથી ત્રીસમાં કબૂલ ન રાખે, વાંધો લે. અદી મર્ઝબાને પાંચ-દસ પારસી જુવાનોના હાથ પકડ્યા, દરેકમાં વિવિધ પ્રકારની અભિનયની ખાસિયતો. આમ, એમની ભાષા રંગીલી, રસીલી, મીઠી, ચબરાક, નવા નવા શબ્દોવાળી. બે-પાંચ સુંદર અવાજવાળી, અભિનયમાં છબીલી છટપટાટ સંવાદ કરનારી છોકરીઓ પણ પકડી અને એ ટોળાએ પહેલાં તો નાટકોની હરીફાઈના ઘાટમાં પ્રવૃત્તિ નિયોજી કામ શરૂ કર્યું. એમાં મને જજ તરીકે લઈ ગયેલા. ત્યારે ‘માયની માયા’ નામે એક નાનકડું, સુંદર નાટક રજૂ કર્યું. હાસ્ય, કોમેડી, ફારસ, ટુચકા જેવાં નાટકો રજૂ કરનાર અદીએ એ નાટિકામાં ભારોભાર કરુણ રસ ભર્યો અને પહેલું ઇનામ જીત્યા.
"અદી મર્ઝબાનનું નામ કાને પડે એટલે એક એવી આકૃતિ આંખ આગળ આવે જેની સૌ પહેલી અને ઠેઠ સુધી સ્થિર રહેતી અસર નિરવધિ આનંદની જ હોય. અદી એટલે અનાદિ, અનંત, આનંદ. પ્રચાર-પ્રસારનું એક પણ માધ્યમ અદી મર્ઝબાનની મોહિનીમાંથી મુક્ત રહી શક્યું નથી. પછી એ છાપું હોય, તખ્તો હોય, રેડિયો હોય કે ટી.વી. હોય. ૧૯૫૩માં મળેલી યુનેસ્કોની શિષ્યવૃત્તિ અને ભારતની સંગીત નાટક અકાદેમી દ્વારા થયેલું સન્માન, અદીની અખૂટ શક્તિની સાબિતી રૂપ છે. નાટકની રજૂઆતની સફાઈ અને સમસ્ત નિર્માણનો ચળકાટ, એ અદીની રંગમંચને અપાયેલી, કદી ન ભૂલાય એવી, એક અજોડ ભેટ છે. પારસી રંગમંચ ઉપર બૈરાં ઉતરે જ નહિ એવો એક અણલખ્યો બાધ સાહસપૂર્વક અને હિંમતથી તોડવા માટે, રંગમંચ ઉપર હાસ્યનાં મોજાં ફેલાવી, સરળ વાક્ ચાતુરીથી એને રસ તરબોળ બનાવી કૈંક દુખિયાં રડતાંને હસતાં કરવા માટે, અને આ સૌ કરતાંય તો ‘લાફ, એન્ડ ધ વર્લ્ડ લાફ્સ વિથ યુ’નો હંમેશ સાક્ષાત્કાર કરાવવા માટે આ મોટા દિલના મોટા બાવા – અદી મર્ઝબાનને સૌની સો સો સલામ !"