Opinion Magazine
Number of visits: 9526824
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન્યાયી સમાજની સંકલ્પના ચીખી ચીખીને પૂછે છે

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|23 June 2013

વૈકલ્પિક વિચારપડકાર & નવા યુવા મધ્યમવર્ગને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેર દેખાય છે



કહેવાય કે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર થાય, રવિવારે નમો પઠાણકોટ પંથકમાં માધોપુર મુકામે હશે અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મરણ સાથે ૨૦૧૪ને અનુલક્ષીને ટંકાર કરશે. એનડીએના કન્વીનરપદેથી શરદ યાદવ ખસ્યા તે સાથે એમના સંભવિત વિકલ્પરૂપે અકાલી દળના પ્રકાશસિંહ બાદલને સંયોજવાની યે ગણતરી આ કાર્યક્રમમાં બાદલને એમની ઇંગ્લંડની મુલાકાત ટૂંકાવીને ખાસ બરકવા પાછળ હોવાનું સમજાય છે. ગમે તેમ પણ, બિહારમાં જુવારાની વાંસોવાંસ ઓબીસી ઓળખ આગળ કરવાની ચેષ્ટાથી માંડીને માધોપુરના સૂચિત એલાને જંગ સહિતનો તાજેતરના દિવસોનો ઘટનાક્રમ જોતાં જણાઈ આવે છે કે ‘અૉલ હિઝ કન્સન્ર્સ વુડ બી પ્રોપરલી એડ્રેસ્ડ’ – ‘એવણની (અડવાણીની) સઘળી ફિકરચિંતા અગર નિસબતોની વાજબી કાળજી લેવાશે’ એવી હૈયાધારણ વસ્તુત : ઉપરછલ્લી જ છે.


વિવેક કે વાસ્તે કહી શકાય એવો આ ઉપક્રમ ગુરુવારે નવી દિલ્હીના સંઘ સંકુલમાં સરસંઘચાલક ભાગવત સાથેની અડવાણીની રૂબરૂ મુલાકાતમાં પણ જેમનો તેમ જણાઈ આવે છે. મનમોહન વૈદ્યની સત્તાવાર યાદીમાં ‘મળતા રહીએ, વાત કરતા રહીએ’થી ઝાઝી કોઈ ભોં ભાંગી જણાતી નથી. અડવાણીની કથિત સત્તાકાંક્ષા (છેવટે છમાસી વડાપ્રધાનપદની યે વાત) બાજુએ રાખીએ તો પણ એટલું કહેવું જોઇશે કે એમની કોઈ સમાધાનકારી ફોમ્યુંલા સંઘશ્રેષ્ઠીઓને ગ્રાહ્ય નથી. પણ જે ‘નિસબત’ના મુદ્દાઓ છે એનું શું. અહીં નિસબતની તપસીલમાં નહીં જતાં મારતી કલમે એટલું જ કહેવું બસ થશે કે હિંદુત્વરાજનીતિવશ એકાંગી જમાવટને અડવાણીએ એક પરાકાષ્ઠાએ પહોંચાડ્યા પછી, વ્યાપક સ્વીકૃતિની શોધમાં વાજપેયીના નેતૃત્વમાં એનડીએ લગીનું અંતર કાપવાની નોબત આવી હતી.



આ અંતર, જેપી આંદોલન અને જનસંઘના જનતા અવતારના સંસ્કારોના મૂલ્યાત્મક નહીં તો પણ વ્યૂહાત્મક વિનિયોગથી કાપી શકાયું હતું. વાજપેયીની કળા અને અડવાણીની કારીગરી વગર આ શક્ય નહોતું. એમાં રહેલી ગુણાત્મક સંભાવનાઓ એટલે પેલી નિસબતો. પણ ૧૯૯૮-૨૦૦૪નાં છ વરસના શાસનકાળ પછી બબ્બે ચૂંટણીઓ ખોઈ બચેલા પક્ષમાં હવે નામને ખાતર પણ પેલી નિસબતોના કોઈ ખરીદાર બચ્યા નથી.



જેપી આંદોલન – જનતા અવતારમાં વાજપેયી અને અડવાણી જે લોકશાહીપ્રેમી યુવા મધ્યવર્ગને સંબોધતા હતા તેણે વીસમી સદીનાં છેક પાછલાં અને એકવીસમી સદીના શરૂનાં વર્ષોમાં કામ આપ્યું તે આપ્યું. હવે વૈશ્વિકીકરણના માહોલમાં જે નવો એસ્પિરેશનલ યુવા મધ્યમવર્ગ આવ્યો છે એને ઓફ, બાય એન્ડ ફોર કોર્પોરેટ એવાં આંબાઆંબલી ચોમેરચોફેર દેખાય છે. સૃષ્ટિના કેન્દ્રમાં એ પોતે અને પોતે જ છે. કદાચ, અભિપ્સુ નહીં એટલો એ ખુદગર્જ છે. આવા વર્ગને એક સિંકદરની ફિરાક હોય છે જે કહી શકે કે હું જ તમારું મુકદ્દર છું. આ સંજોગોમાં અડવાણી વચગાળાના કારીગરી-અને-હુન્નર-સંસ્કારવશ કોઈ વાઈડર કન્સન્ર્સની વાત કરે તો એનું સંઘપરિવારમાં કોઈ ખરીદાર નથી.



ડામણાં, ડાબલા અને ગાજર ત્રણેઉ કોર્પોરેટ, કોર્પોરેટ અને કોર્પોરેટ હોય એવા વર્ગને વિકાસની નરવી પરિભાષા કહેવાનું સાહસ અને સમજ કોની પાસે હોય. દરમિયાન, એનડીએની તૂટ સાથે નવગઠન, પુનર્ગઠનનો દોર ચાલી શકે. યદુરપ્પા જેવાઓ પક્ષમાં પાછા ફરી શકે. ફેડરલ ફ્રન્ટનો પણ પ્રયાસ થઈ શકે. બધું સાચું; પણ આ બધી તૂટતીબનતી રચનાઓના સંદર્ભમાં નીરમ, નીરક્ષીર અને નેજો બનીને કામ આપી શકે એવું વિશ્વદર્શન ક્યાં છે.
નીતીશકુમારે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પરના સવિસ્તર વકતવ્યમાં અને તે પછી લાંબી ટીવી મુલાકાતમાં એક વાત ચોક્કસ સારી કહી છે કે નાતજાતકોમમાં વહેંચાયેલ બેસુમાર અર્થનીતિ અને રાજનીતિ જરૂરી છે. પણ સામી ચૂંટણી આવી બધી પાયાની ધીરજ કોની કને હોઈ શકવાની છે.



નાગરિક છેડે કદાચ નમો અને ઈતર પરબિળોની દિલખુલાસ બહસ તેમજ વૈકલ્પિક વિચારપડકાર એ જ મુખ્ય વાત બની રહેશે. આ સંદર્ભમાં ગોવાના ભાજપી મુખ્યમંત્રી મનોહર પરિકરે હજુ હમણે જ એક્સપ્રેસ અડ્ડામાં વ્યક્ત કરેલા કેટલાક ખયાલો તરત લક્ષમાં આવે છે. એમણે કહ્યું છે કે ૨૦૦૨માં જે થયું તે ખોટું થયું હતું, પણ એમાં નરેન્દ્રભાઈનો વાંક એટલો જ હતો કે એ વહીવટમાં બિનઅનુભવી હતા. પણ તે પછી એમનો ગવર્નન્સનો હિસાબ અચ્છો છે. ભાઈ, ૨૦૦૨ની ચર્ચા તમે ધારો કે ઈરાદાને બદલે મર્યાદાના ઈલાકામાં લઈ જાઓ, પણ તે વખતના સઘળા હિંસક કાંડોની તપાસમાં સરકાર તરફથી આવતા અવરોધોને કેવી રીતે સમજાવશો, કહો જોઉં. અને આ પૂચ્છા તો સુવાંગ ગવર્નન્સ અને ગવર્નન્સના જ ઈલાકામાં આવે છે.



તે ઉપરાંતનું યે એક વાનું છેલ્લે સંભારી લઈએ. અડવાણીએ એમના તરતના બ્લોગમાં બ્રિટને જૂના જુલમો માટે કેન્યાની માફી માગ્યાની ખાસ જિકર કરી છે. અડવાણીને પક્ષે બેહદ મોડી પડેલી આ સલાહમાં નમો સહિત કોઈ પણ શાસક જોગ રહેલો સંદેશ વાંચી શકાય છે. ગોવા કલાકોમાં અડવાણીએ બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહને સંભાર્યા હતા. ટાઢો ડામ દેવાની વૃત્તિથી નહીં પણ સમજવાની દ્રષ્ટિએ કોઈકે તો અડવાણીને યાદ આપવું જોઇશે કે બાણશય્યા સુધી પહોંચતા પિતામહ ‘અર્થસ્ય પુરુષો દાસ:’ જેવી જાતસમજમાંથી પણ ગુજર્યા હતા.
… સંક્રાન્તિકાળે, આ બેત્રણ કાચાંપાકાં ટીકાટિપ્પણી !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 22 જૂન 2013

Loading

ફાધર વિલિયમ

ગુજરાતી ભાવાનુવાદ : પ્રવીણ પટેલ ‘શશી’|Poetry|22 June 2013

ફાધર વિલિયમ

ગુજરાતી ભાવાનુવાદ 

‘ફાધર વિલિયમ, તમે બુઢ્ઢા છો,’ યુવાને ટકોર કરી,
‘અને તમારા વાળ પણ ધોળાફક્ક છે;
છતાં, ઊંધા માથે, ઊંચા પગે, શીર્ષાસને, આપ ઊભા રહો છો –
આ ઉંમરે, આવું કરવું, શું તમે સહી માનો છો ?’

‘મારી જુવાનીમાં’, ફાધર વિલિયમે યુવા અનુજને જવાબ આપ્યો,
‘મને બીક લાગેલી કે ભેજાંને હાનિ પહોંચશે;
પરંતુ, હવે મને સંપૂર્ણ ખાતરી છે કે એવું કશું થયું નથી,
માટે, વારંવાર હું તેવું કરું છું.’

‘પહેલાં જેમ કહ્યું તેમ તમે વૃદ્ધ છો’, યુવા પુનઃ વદ્યો.
‘અને, પાછા ગોળમટોળા અસાધારણ સ્થૂળ છો;
છતાં, ગુલાંટ લગાવી પલટી મારી તમે દ્વારપ્રવેશ કરો છો –
આનું શું કારણ, બતાવશો જરા મને ?’

‘મારી જુવાનીમાં’, રાખ શી જટાલટો ઝટકતા પાદરીશ્રી બોલ્યા,
‘આ મલમ ઘસી – ડબ્બીનો શિલિંગ એક,
મેં મારા અંગો ચૂસ્ત અને અતિ લવચીક રાખ્યા છે –
મારે ડબ્બીઓ વેચવી છે, કેટલી આપું તને ?’

‘તમે ઘરડા થયા છો’, જુવાને પોતાનો કક્કો ઘૂંટ્યો.
‘અને, તમારાં જડબાં કશું પણ ખાવાચાવવા ક્ષીણ થયાં છે;
છતાં, તમે મુર્ગ સફા કરી દો, અને તે પણ ચાંચ ને હડ્ડી સાથે !
ભા, બતાવો તો ખરા, આ શક્ય જ ક્યાંથી ?

‘મારી જુવાનીમાં,’ પાદરીજી સસ્મિત બોલ્યા,
‘હું કાયદાકાનૂન ભણેલો, અને પત્ની સાથે હર મુકદમા ચર્ચતો;
દલીલ અને બાજી, આ કારણે, પેઢાંજડબાં સાબૂત બન્યાં,
અને, આજ પર્યંત હજી જેવાંને તેવાં છે.’

‘તમે ઘરડાડોસા છો’, દાંત દાબી યુવાએ લગભગ બૂમ પાડી,
‘કોઇ પણ માને કે તમારી દૃષ્ટિ હવે પહેલાં જેવી યથાવત નથી;
છતાં, નાકના ટેરવે તમે માછલી સમતલ રાખો છો –
ફાધર, મને કહો તો ખરા, આ ચપળતા ક્યાંથી આવી ?’

‘મેં તારા ત્રણ પ્રશ્રોના ઉત્તરો આપ્યા છે,’ ઉવાચ પાદરી,
‘અને, તે કાફી પૂરતા છે. અરે ! જરા તું શ્વાસ ખાઇશ કે નહીં ?
રખે માનતો કે તારો બકવાસ હું આખો દી સાંભળતો રહીશ,
હાલતો થા, નહીં તો લાત મારી તને હું તગેડી મૂકીશ.’

(ફાધર ડે : જૂન ૧૬, ૨૦૧૩)

(નોંધ : ખ્રિસ્તી દેવળમાં FATHER એટલે પાદરી જે સર્વને SON કહી સંબોધે છે. ભાવાનુવાદ માટે મેં ફાધર શબ્દ જારી રાખ્યો છે. અનુજ કે અનુયાયી સંદર્ભે ‘SON’નું મેં  અર્થઘટન કરેલું છે.)

 

You Are Old, Father William

"You are old, Father William," the young man said,
"And your hair has become very white;
And yet you incessantly stand on your head—
Do you think, at your age, it is right?"

"In my youth," Father William replied to his son,
"I feared it might injure the brain;
But now that I'm perfectly sure I have none,
Why, I do it again and again."

"You are old," said the youth, "As I mentioned before,
And have grown most uncommonly fat;
Yet you turned a back-somersault in at the door—
Pray, what is the reason of that?"

"In my youth," said the sage, as he shook his grey locks,
"I kept all my limbs very supple
By the use of this ointment—one shilling the box—
Allow me to sell you a couple?"

"You are old," said the youth, "And your jaws are too weak
For anything tougher than suet;
Yet you finished the goose, with the bones and the beak—
Pray, how did you manage to do it?"

"In my youth," said his father, "I took to the law,
And argued each case with my wife;
And the muscular strength which it gave to my jaw,
Has lasted the rest of my life."

"You are old," said the youth, "one would hardly suppose
That your eye was as steady as ever;
Yet you balanced an eel on the end of your nose—
What made you so awfully clever?"

"I have answered three questions, and that is enough,"
Said his father; "don't give yourself airs!
Do you think I can listen all day to such stuff?
Be off, or I'll kick you down stairs!"

As per the Wikepedia,

"You Are Old, Father William" is a poem by Lewis Carroll that appears in his book Alice's Adventures in Wonderland (1865). It is recited by Alice in Chapter 5, "Advice from a Caterpillar" (Chapter 3 in the original manuscript, Alice's Adventures Under Ground). Alice informs the caterpillar that she has previously tried to repeat "How Doth the Little Busy Bee" and has had it all come wrong as "How Doth the Little Crocodile". The caterpillar asks her to repeat "You are old, Father William", and she recites.

Charles Lutwidge Dodgson (27 January 1832 – 14 January 1898), better known by the pen name Lewis Carroll, was an English writer, mathematician, logician, Anglican deacon and photographer. His most famous writings are Alice's Adventures in Wonderland and its sequel Through the Looking-Glass, as well as the poems "The Hunting of the Snark" and "Jabberwocky", all examples of the genre of literary nonsense. He is noted for his facility at word play, logic, and fantasy, and there are societies in many parts of the world (including the United Kingdom, Japan, the United States, and New Zealand dedicated to the enjoyment and promotion of his works and the investigation of his life.

Loading

રક્ત, પરસેવા અને આંસુ પર બંધાયેલી ઇમારતો

અાશા બૂચ|Samantar Gujarat - Samantar|21 June 2013

આધુનિક ટેકનોલોજીની કૃપાથી દેશ-વિદેશમાં બનતી સુખદ અને દુ:ખદ ઘટનાઓની વિગતો તે જ સમયે જોવા મળે,  માનવીની સિદ્ધિઓના નમૂનાઓની ઝાંખી થાય અને સમાચારોની જાણ ક્ષણાર્ધમાં થઈ શકે, એ કાંઈ જેવું તેવું સૌભાગ્ય નથી. ‘યુ ટ્યુબ’ની કમાલનો લાભ લઈને, તાજેતરમાં, એક દૃશ્ય-શ્રાવક અનુભવ થયો તેની આ વાત છે.

બી.બી.સી.ના સંવાદદાતા Ben Anderson દુનિયાના સંઘર્ષગ્રસ્ત વિસ્તારો અને શોષણથી પીડિત પ્રજાઓની કથાઓનું ફિલ્મીકરણ કરવાની ફરજ બજાવે છે, અને આ કામ કરવાને માટે એમણે ઘણાં જીવના જોખમ ઉઠાવેલા છે. તેમાંનું એક તે એમની દુબઈની મુલાકાત છે. દુબઈમાં ખનીજ તેલનું ઉત્પાદન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, અને એ ચીકણું કાળું નાણું ત્યાંની ગગનચુંબી ઇમારતોમાં સમૃદ્ધિની બાંગ પોકારતું જોવા-સાંભળવા મળે છે. બ્રિટનના નાગરિકોને ત્યાં એકાદ ફ્લેટ ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. પંચ કે સપ્ત તારક હોટેલો, બહુમાળી ઓફિસો અને અત્યાધુનિક આવાસો બાંધવા માટે કુશળ મજૂરો અને કારીગરોની જરૂર પડે જે તેમને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ પૂરા પાડે છે. તમે કહેશો એમાં શું ખોટું છે ? કાંઈ નહીં, માત્ર જરા નીચેની વિગતો વાંચીને અભિપ્રાય આપશોજી.  

ઉપરોક્ત દેશોમાં કેટલીક એજન્સીઓ છે જે મજૂરોને દુબઈમાં બાંધકામના ધંધામાં નોકરી અપાવવાનું વચન આપે છે એટલું જ નહીં, સાથે સાથે પૂરતી સગવડવાળાં રહેઠાણ, કેન્ટીનમાં ભોજન, કામના સ્થળ સુધી પહોંચવા માટેના વાહનની વ્યવસ્થા અને તે પણ બધું નિ:શુલ્ક તથા સ્વદેશ પુષ્કળ પૈસા મોકલી શકવાની શક્યતાની મધલાળ પણ આપે છે. હવે નોકરી-ધંધાથી વંચિત અને દેવામાં ગળાડૂબ એ મજૂરો કાં તો નાણાં ધીરનાર પાસેથી પૈસા ઉછીના લઈને કે પોતાની જમીન-વાડી અથવા ઘર સુધ્ધાં વેંચીને, ૨૦૦૦ પાઉન્ડ જેવી માતબર રકમ એ એજન્ટોને ચૂકવીને, સુંદર ભાવિની આશાએ દુબઈમાં નસીબ અજમાવવા જાય છે. દુબઈમાં પગ મૂકતાં જ એજન્ટ્સ મજૂરોના પાસપોર્ટ જપ્ત કરી લે છે જેથી તેમને સંકટ સમયે પાછા જવાનું શક્ય ન બને.

બેન આન્ડર્સન છુપા કેમેરામાં ખરી હકીકત મઢીને, આપણને એક અમાનવીય દશાનું દર્શન કરાવે છે. એ મજૂરોને રહેવા માટે ગામથી ખૂબ દૂર એક ખોલીમાં, આઠથી નવ જણા રહે તેવી ચાલ છે, જ્યાં ૪૫ જેટલા મજૂરો વચ્ચે બે જાજરૂ અને એક બાથરૂમ છે. રસોઈ કરવા માટે ચૂલા છે, પણ ગેસ કે ઈલેક્ટ્રીસિટીનો અભાવ છે તેથી બહાર ચોગાનમાં તાપણું કરીને તેના પર ભાત રાંધીને પેટ ભરવું એ જ એક વિકલ્પ છે. મચ્છી કે માંસ તો અઠવાડિયે માંડ એક વાર ખાઈ શકે, અને વચન આપેલું તેનાથી અર્ધા ભાગનો ય પગાર નથી અપાતો. એ ચાલી એક ગંદા નાળાને છેવાડે આવેલી છે એટલે ત્યાં સુધી પહોંચવા માટે મળ-મૂત્રના ઢગલા પસાર કરીને જવું પડે. સ્વાસ્થ્ય અને ચોખ્ખાઈનું નામ નિશાન ન જોવા મળ્યું જેને માટે દુબઈની બાંધકામ કંપનીના હોદ્દેદારો જે તે દેશના રહેવાસીઓની ગંદી આદતોને જવાબદાર ઠેરવીને પોતાના કર્તવ્યમાંથી છૂટી જાય છે. આવી દયાજનક સ્થિતિમાં રહેવા કરતાં મજૂરોના કુટુંબીઓ તેમને સ્વદેશ પાછા જવા વિનવે છે, પરંતુ પાસપોર્ટ જપ્ત થયા હોવાને કારણે એ અસહાય લોકોને આ ભયાનક યાતના સહન કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 

આ ટૂંકી ફિલ્મ જોયા પછી સહેજે વિચાર આવ્યો કે મજબૂત અને કલાત્મક ઇમારતો બાંધનાર મજૂરો અને કારીગરોની આવી બૂરી હાલત કાં થઈ ? દુનિયાની અજાયબીઓ બધી મોટાં મોટાં શહેરોમાં જ જોવા મળે છે. એવે વખતે ગાંધીજીનું વિધાન સ્મરણમાં આવે છે : ‘મારી દૃષ્ટિએ શહેરો વધ્યાં તે બૂરું થયું છે. એ માનવ જાતની અને દુનિયાની કમનસીબી છે … એનું કારણ એ છે કે ઇંગ્લેન્ડે હિન્દુસ્તાનને તેના શહેરો વડે જ ચૂસ્યું છે, અને શહેરોએ ગામડાંઓને ચૂસ્યાં છે. ગામડાના લોહીની સેન્ટ વડે જ શહેરોની મોટીમોટી મહેલાતો બંધાઈ છે ….’ વીસમી અને એકવીસમી સદીમાં આપણે આ હકીકતને વધુ વરવી બનાવી દીધી. 

આ દસ્તાવેજી ફિલ્મના અનુસંધાનમાં એક બીજી વિગત જાણવા જેવી છે. ૧૮૩૪થી ૧૯૨૦ દરમ્યાન ભારતથી અર્ધો મીલિયન લોકો પોતાની માલ મિલકત અને આશાઓના પોટલાં લઈને મહિનાઓની તોફાની દરિયાની સફર ખેડીને મોરિશિયસ ટાપુના કિનારે આપ્રવાસી ઘાટ પર શેરડીના ખેતરોમાં કામ કરવા માટે ઉતર્યા હતા. જમીન ખેડીને પેટિયું રળવા આવેલ એ પ્રજા કરાર પર કામ કરતા ગુલામો જ હતા. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડ, અને આંધ્ર પ્રદેશથી ગયેલા મજૂરોને પાંચ વર્ષ સુધી મહિને પાંચ રૂપિયાના પગારે નોકરી આપે અને મુદ્દતને અંતે પાછા મોકલી આપે એવા કરારો થતા. અહીં એ વાત નોંધવા યોગ્ય છે કે ઉપર જણાવ્યા તે પ્રાંતોમાં ગરીબી પારાવાર હતી અને આજે પણ તેમાં ખાસ સુધારો નથી થયો જે ભારત માટે દુ:ખદ, શરમજનક હકીકત છે. એ ટાપુ ઉપર બ્રિટીશ સરકાર ગુલામી પ્રથાને બદલે મુક્ત મજૂરોને કામ આપવાનો પ્રયોગ કરવા માગતા હતા. એ સ્થળ ગરીબી, શોષણ અને યાતાનાનું ધામ બની રહ્યું. એ લોકોને આપ્રવાસી ઘાટ પર ઉતરે ત્યારે પહેલાં ૬૦૦-૧૦૦૦ મજૂરો ડામરની ફર્શ પર સૂઈ શકે એવા છ શેડ્સમાં રખાતા, પછી શેરડીના ખેતરોમાં મોકલાતા, જ્યાં એમને એક રસોડું અને જાજરૂ-બાથરૂમની સુવિધા હતી. દુબઈમાં તો એટલી જોગવાઈ કરવાની પણ ફરજ નથી બજાવાતી. મોરિશિયસ ગયેલા એ મજૂરોને પણ પગાર નિયમિત ન અપાતો એટલું જ નહીં પણ શિક્ષા રૂપે કોન્ટ્રેકની મુદત લંબાવાતી અને પાછા મોકલવાની રીત બહુ દયાહીન હતી, જયારે પેટિયું રળવા દુબઈ ગયેલા મજૂરોને તો સ્વદેશ જવાનો પરવાનો પણ ઝૂંટવી લેવાય છે તે માનવ અધિકારની હત્યા છે. ૧૯૨૦ના દાયકામાં એગ્રીમેન્ટમાંથી મુક્ત થયેલા મજૂરો નાનો વેપાર-ધંધો કરી શકતા અને ત્યાં જન્મેલાને ફ્રેંચ નાગરિકત્વ પણ મળ્યું. એકવીસમી સદીમાં દુબઈ જેવા અતિ ધનાઢ્ય દેશમાં કામ કરવા જઈ રહેલા મજૂરો ભલે વખાના માર્યા છે પણ છે તો આખર મનુષ્યને ? એમને પેલા મોરિશિયસ ગયેલા નિર્ધનો જેટલી પણ સ્વતંત્રતા નહીં ?

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મશીનોની અતિરિક્તતા અને સંપત્તિની અસમાન વહેંચણીને પરિણામે આવા કડિયા, સુથાર, લુહાર, મોચી, દરજી, પ્લમર, ઈલેક્ટ્રીશિયનો અને શિલ્પકારો, ચિત્રકારો જેવા કળા-કારીગરો બેકાર બન્યા છે, ભૂખે મરે છે અને પોતાનો દેશ પોતાના પ્રજાજનોની ભીડ ભાંગવાની પરવા નથી કરતો માટે વિદેશ જવાની આવી લાલચમાં ફસાય છે. હવે જયારે આ કૌભાંડ બહાર આવ્યું જ છે તો એમાં સંડોવાયેલ ઉપરોક્ત ત્રણ દેશોની એજન્સીઓ અને દુબઈમાંની બાંધકામ ઉદ્યોગને લગતી મહાકાય કંપનીઓને આવા અમાનવીય કૃત્ય માટે જવાબદાર ઠેરવી, તેમના પર માનવ અધિકારના ભંગ બદલ કાયદેસર કામ ચલાવી, આ મજૂરોને મુક્ત કરી, વળતર અપાવવું એ પહેલું પગલું ભરવું રહે અને ભવિષ્યમાં આવું શોષણ ન થાય તે માટે મજૂરો-કારીગરોની નિમણુક અને તેમના કામ તથા રહેવાસની સગવડો અને પગાર ધોરણનું નિયંત્રણ કાયદા મુજબ થાય તેની ખાતરી થવી જોઇશે. ત્યાં સુધી માનવતાવાદી સજ્જનો-સન્નારીઓ દુબઈની માનવ સર્જિત ભવ્ય ઇમારતોની મુલાકાત સમયે આ શોષણયુક્ત યાતનાઓને યાદ કરીને પોતાનો તે વિશેનો વિરોધ જોવાલાયક સ્થળોની મુલાકાત પોથીમાં જરૂર નોંધે તેવી પ્રાર્થના છે. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...4,0464,0474,0484,049...4,0604,0704,080...

Search by

Opinion

  • મેજ પર મોબાઇલ : બાળકોનું સ્ક્રીન-એક્સપોઝર માનસિક વિકાસ માટે જોખમી 
  • અફઘાન સ્ત્રીઓ આ દુનિયામાં જીવે છે !  
  • રાહુલ ગાંધી ચૂંટણી કેમ હારી જાય છે? 
  • AI ઇમિગ્રન્ટ્સ : AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી 
  • આપણને સોક્રેટિસ જોઈએ છે કે સોફિસ્ટ? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved