Opinion Magazine
Number of visits: 9696307
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર

દીપક મહેતા|Opinion - Literature|9 July 2014

ક્યાં લંડન, ક્યાં બોમ્બે (એ વખતનું પ્રચલિત નામ), ક્યાં અમદાવાદ, ક્યાં પૂના! આજે તો દુનિયા નાની થઈ ગઈ છે એટલે આ શહેરો બહુ દૂર ન લાગે. પણ ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં? એમનો જન્મ લંડનમાં, ૧૮૨૧ના જુલાઈની સાતમી તારીખે. આજે એ વાતને ૧૯૩ વર્ષ થયાં. માત્ર ૪૪ વર્ષની વયે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે પૂનામાં અવસાન.

જીવનનો મોટો ભાગ વીત્યો અમદાવાદ, સુરત, મુંબઈ, અને તે વખતના બોમ્બે પ્રેસિડન્સીનાં બીજાં શહેરોમાં. એમનું નામ એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સ. પણ ગુજરાતીઓમાં જાણીતા થયા કવિ દલપતરામે આપેલા ફાર્બસસાહેબના નામે. હતા તો કંપની સરકારના અમલદાર, પણ હતા ગુજરાત અને ગુજરાતી ભાષા-સાહિત્યના પરમ ચાહક અને હિતેચ્છુ. સ્વદેશમાં સિવિલ સર્વિસમાં જોડાયા પછી હિન્દુસ્તાન આવ્યા અને ૧૮૪૬ના નવેમ્બરમાં અમદાવાદ ગયા અને ભોગીલાલ માસ્તર પાસે ગુજરાતી શીખવાનું શરૂ કર્યું. પણ પછી ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામને વાર્ષિક ૨૪૦ રૂપિયાના પગારથી નોકરીમાં રાખી લીધા. આ પગારની રકમ સરકારી તિજોરીમાંથી નહોતી ચૂકવાતી. ફાર્બસ પોતાની આવકમાંથી ચૂકવતા હતા. દલપતરામ પાસે ગુજરાતી શીખવા ઉપરાંત ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃિત, લોકજીવન, વિષે જાણવા લાગ્યા. ગુજરાતી શીખવાની ફાર્બસની ચીવટ અંગે દલપતરામે લખ્યું છે : ‘શબ્દે શબ્દનો અને અક્ષરે અક્ષરનો અર્થ તે સાહેબ મને પૂછી લેતા. કઠણ શબ્દ હોય તેનો અર્થ અંગ્રેજીમાં લખી લેતા’.

ફાર્બસ અમદાવાદ પહોંચ્યા ત્યારે અમદાવાદની, બલકે ગુજરાતની દશા કેવી હતી? મનસુખરામ ત્રિપાઠી લખે છે : ‘સરસ્વતી બંધનમાં બંધાઈ ભોંયરા રૂપી બંદીશાળામાં પડેલી! જેને સુગડ પંડિતો સેવે તેને કનિષ્ઠ કીટોએ – ઉધઇએ – સેવવા માંડેલી. ગુજરાતમાં જ્યાં ત્યાં અક્ષરશત્રુ વિના બીજું કોઈ દીઠામાં જ આવે નહિ.’ આવા વાતાવરણમાં બીજા કેટલાક અંગ્રેજ અમલદારોને સાથે રાખીને ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી. અર્વાચીનતાનો પ્રકાશ ફેલાવનારી ગુજરાતની એ પહેલવહેલી સંસ્થા. શિક્ષણ, સાહિત્ય, પુસ્તકપ્રકાશન, વર્તમાનપત્રનું તથા સામયિકનું પ્રકાશન, વગેરે કંઈ કેટલીયે અર્વાચીન યુગની નિશાનીઓની માંડણી ફાર્બસે આ સંસ્થા દ્વારા કરી.

૧૮૫૦ના એપ્રિલની ૧૫મી તારીખે ફાર્બસની બદલી સુરત થઈ તો ત્યાં તેમણે સુરત અષ્ટાવિન્શી સોસાયટી શરૂ કરી, સુરત સમાચાર નામનું અખબાર શરૂ કરાવ્યું, એન્ડ્રુઝ લાયબ્રેરીનો આરંભ કરાવ્યો. પણ તેમની સૌથી મોટી અને મહત્ત્વની કામગીરી તો મ્યુિનસિપલ એક્ટ સામેનો લોકોનો વિરોધ દૂર કરાવી એ કાયદાનો અમલ સફળતાપૂર્વક કરાવ્યો તે ગણાય. આ માટે તેમણે દલપતરામ અને દુર્ગારામ મહેતાનો સાથ લીધો. આજે જેને સ્ટ્રીટ કોર્નર મિટીંગ કહીએ છીએ તેવી સભાઓ સુરતમાં ઠેર ઠેર ભરી. લોકોની વાત સાંભળી અને તેમને સરકારની વાત સમજાવી. તેમની આ કામગીરી માટે ખાસ આભાર માનતો પત્ર બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નરે ફાર્બસને મોકલ્યો હતો. આ ઉપરાંત કાઠિયાવાડમાં પણ વાઘેરોનો બળવો શમાવવા અંગે ફાર્બસે કળથી કામ લીધેલું. ગુનેગારી પ્રવૃત્તિઓમાંથી તેમને પાછા વાળવા માટે વાઘેરો માટે કામગીરીની કેટલીક તકો ઊભી કરેલી.

ફાર્બસે ગુજરાત અને તેનાં ભાષા-સાહિત્ય, ઇતિહાસ, સંસ્કૃિત, વગેરેનો ઊંડો અભ્યાસ કરેલો તે માત્ર નિજાનંદ ખાતર નહિ. એ અભ્યાસ પછી અંગ્રેજીમાં તેમણે ‘રાસમાળા’ નામનું મોટું પુસ્તક લખ્યું. એ લખવા ખાતર જ નોકરીમાંથી રજા લઈ તેઓ ૧૮૫૪ના માર્ચમાં સ્વદેશ પાછા ગયેલા. રિચર્ડસન બ્રધર્સના પ્રેસમાં છપાઈને ૧૮૫૬માં બે ભાગમાં ‘રાસમાળા’ પુસ્તક અંગ્રેજીમાં પ્રગટ થયું. તેની એક ખાસ વિશિષ્ટતા એ છે કે ગુજરાતના ઇતિહાસ માટે માત્ર મુસ્લિમ સાધનોનો ઉપયોગ કરવાને બદલે સ્થાનિક બોલીઓમાં લખાયેલ રાસા, પ્રબંધ, કથા-વાર્તા, સ્થાનિક લેખો જેવાં સાધનોનો તેમણે વ્યાપક ઉપયોગ કર્યો. પરિણામે રાજપૂતયુગ વિશેની ઘણી નવી વાતો બહાર લાવી શક્યા. ગુજરાત વિષે અંગ્રેજીમાં લખાયેલું આ પહેલું પુસ્તક.

૧૮૬૧માં ફાર્બસની બદલી મુંબઈ થઈ. ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે ગ્રેટ બ્રિટનની રાણી દ્વારા છ ન્યાયાધીશોની નિમણૂક થઈ હતી. ફાર્બસ આ છ ન્યાયાધીશોમાંના એક હતા. ત્યાર બાદ તેઓ બોમ્બે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, બેમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ઉપ્રમુખ, અને જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રમુખ પણ બન્યા. મનસુખરામ ત્રિપાઠી, રેવરંડ ધનજીભાઈ નવરોજી, વગેરેની મદદથી ફાર્બસે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ની સ્થાપના કરી. પણ તે પછી થોડા જ વખતમાં તેઓ ગંભીર માંદગીમાં સપડાયા. આરામ અને હવાફેર કરવા માટે મુંબઈથી પૂના ગયા. અને ત્યાં જ તેમનું અવસાન થયું. ત્યાર બાદ તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા’નું નામ બદલી ‘ફાર્બસ ગુજરાતી સભા’ કરવામાં આવ્યું. ફાર્બસને પોતાને લાંબુ આયુષ્ય ન મળ્યું, પણ તેમણે સ્થાપેલી ત્રણ સંસ્થાઓ આજે પણ નોંધપાત્ર કામગીરી કરી રહી છે – અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (નવું નામ ગુજરાત વિદ્યાસભા), સુરતની એન્ડ્રુઝ લાયબ્રેરી, અને મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા. આવતે વર્ષે ઓગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસની ૧૫૦મી મૃત્યુિતથિ આવી રહી છે. એ નિમિત્તે તેમણે સ્થાપેલી આ ત્રણે સંસ્થાઓએ સાથે મળીને ફાર્બસની સ્મૃિતને કાયમ રાખવા માટે નક્કર કામો કરવાં જોઈએ.

સૌજન્ય : ‘પ્રૉફાઇલ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014 

Loading

આવ વરસાદ, ભાગ વરસાદ

દીપક મહેતા|Opinion - Literature|9 July 2014

માતૃભાષાની મોટાઈ બતાવવાના અને અંગ્રેજી ભાષાને ઉતારી પાડવાના ઉત્સાહી પ્રવચનકારો, કોલમકારો, કથાકારો, ઘણી વાર બે જોડકણાં ટાંકે છે. એક આપણી ભાષાનું ‘આવ રે વરસાદ’ અને બીજું અંગ્રેજીનું ‘રેન રેન ગો અવે’. પછી મોટો બોમ ફોડતા હોય તેમ કહે છે કે આપણી ભાષા-સંસ્કૃિત કેટલી બધી ઉજળિયાત અને ચડિયાતી, કે વરસાદને વધાવે છે. જ્યારે પેલી ગરીબડી ભાષા બોલતાં બચારાં ગરીબડાં બાળકો તો વરસાદને જાકારો દે છે! માટે અંગ્રેજી હટાવ, માતૃભાષા બચાવ!

પણ કોઈ પણ ભાષાનું સાહિત્ય તેનાં સ્થળ-કાળ સાથે અનિવાર્યપણે જોડાયેલું હોય છે એ વાત એ લોકો ભૂલી જાય છે – કદાચ જાણી જોઇને. આપણા દેશના ઘણાખરા ભાગમાં વરસના ત્રણ-ચાર મહિના જ વરસાદ વરસે છે, અને ખેતી માટે આપણે મોટે ભાગે વરસાદના પાણી પર જ આધાર રાખીએ છીએ. એટલે આપણે ત્યાં વરસાદનું આગમન સુખદ અને શુભ મનાય. પણ જ્યાં બારે મહિના ગમે ત્યારે વરસાદ આવતો હોય, વરસાદ ન હોય ત્યારે ય આકાશ મોટે ભાગે ઘેરાયેલું રહેતું હોય, સૂરજનું મો ભાગ્યે જ જોવા મળતું હોય, ત્યારે બાળક બહાર રમ્યા વગર ઘરમાં પૂરાઈને કંટાળી ગયું હોય. એટલે રેન રેન ગો વે એમ કહે તે જ સ્વાભાવિક ગણાય. હા, જો મુશ્કેલી હોય તો તે આપણી સ્કૂલોની, આપણા અભ્યાસક્રમોની છે કે ઇન્ગ્લંડમાં સર્વથા યોગ્ય એવાં જોડકણાં આપણાં બાળકો પાસે ગોખાવે છે. એ રટતી વખતે બાળકો મૂંઝાતાં હશે એનો પણ એમને વિચાર નથી આવતો.

ચાલો, અંગ્રેજી તો ગંદી-ગોબરી ભાષા છે એમ માની લઈએ, પણ આપણી રાષ્ટ્રભાષા હિન્દીનું શું કરશું? ચોમાસું, વર્ષા ઋતુ માટે હિન્દીમાં એકે શબ્દ જ નથી! એ ભાષા અંગ્રેજીનો ‘મન્સૂન’ શબ્દ જ ‘માનસૂન’ એવા ભ્રષ્ટ(!) રૂપે વાપરે છે. મરાઠીમાં ચોમાસા માટે વપરાતો શબ્દ છે ‘પાવસાળા.’ તે વરસાદ માટેના ‘પાઉસ’ સાથે સંકળાયેલો છે. પણ અંગ્રેજીનો ‘મનસૂન’ શબ્દ આવ્યો ક્યાંથી? ડચ ભાષામાં ચોમાસા માટે ‘મોનસ્સોએન’ શબ્દ વપરાય છે અને પોર્તુગીઝમાં વપરાય છે ‘મોનસાઓ.’ ઇ.સ. ૧૫૮૦ પછી અંગ્રેજીમાં ‘મનસૂન’ શબ્દ વપરાતો થયો. તે વખતે તેનો અર્થ હતો ‘હિન્દી મહાસાગરમાં વાતો અનુકૂળ વાયુ.’ કોને અનુકૂળ? વેપારી વહાણોને અનુકૂળ. કોનાં વહાણોને અનુકૂળ? વેપાર માટે યુરપથી હિન્દુસ્તાન જતાં વહાણોને અનુકૂળ. એ વખતે યુરપના દેશોનો હિન્દુસ્તાન સાથેનો વેપાર દરિયાઈ માર્ગે થતો એટલે આ અનુકૂળ વાયુ – મનસૂન – નું યુરપ માટે મહત્ત્વ હતું. હવે, આ અનુકૂળ વાયુ વર્ષના જે મહિનામાં વાતા તે જ મહિના પશ્ચિમ ભારત માટે વરસાદના મહિના પણ હતા. એટલે પછી વરસાદની ઋતુ, ચોમાસા માટે પણ મનસૂન શબ્દ વપરાવા લાગ્યો. પણ આ મનસૂન શબ્દનું પગેરું પાછું મળે છે અરબી ભાષાના ‘મૌસિમ’ શબ્દમાં. અરબીમાં પણ તેનો અર્થ ‘અનુકૂળ ઋતુ’ એટલો જ થતો હતો. પ્રવાસ કે યાત્રાને માટે અનુકૂળ સમય તે મૌસિમ. તેમાંથી આપણે ‘મોસમ’ શબ્દ બનાવીને ઋતુના અર્થમાં વાપર્યો.

અરે, પણ પેલા ‘રેન’ શબ્દનું શું? ઓલ્ડ હાઈ જર્મન ભાષામાં ‘રેગન’ અને ગોથિકમાં ‘રિગન’ જેવા શબ્દો મળે છે, પણ તે પછી ‘રેન’ શબ્દનું પગેરું સંતોષકારક રીતે શોધી શકાતું નથી. કેટલાક માને છે કે સંસ્કૃત અને બીજી ઘણી ભાષાઓની જનની એવી પ્રોટો ઇન્ડો યુરોપિયન ભાષાના ‘રેગ’ માંથી ‘રેન’ શબ્દ ઉતરી આવ્યો હોય. અને તો પછી રેન શબ્દ કાંઈ સાવ પરાયો ન ગણાય. પણ એક વાત આપણે સતત ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ ભાષા તેનાં સ્થળ-કાળ, વાતાવરણ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા વગેરે સાથે અનિવાર્યપણે જોડાયેલી હોય છે. એટલે આપણને જે વિચિત્ર લાગે તે બીજી ભાષા અને તેને બોલનારાઓ માટે સ્વાભાવિક હોય. અને આપણે માટે જે સ્વાભાવિક હોય તે બીજી ભાષા બોલનારાઓને વિચિત્ર લાગે. પણ તેથી એક સાચું અને બીજું ખોટું, એમ તો ન જ કહી શકાય.

સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014

Loading

ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ

દીપક મહેતા|Opinion - Opinion|9 July 2014

ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં:   રૂ. ૨૦૦ 

આપણાં ઇતિહાસ અને સંસ્કૃિત બહુ પ્રાચીન અને સમૃદ્ધ છે એવાં બણગાં ફૂકવાં આપણને ગમે છે, પણ તેની જાળવણી માટે, તેના દસ્તાવેજીકરણ માટે કશું કરવાનું આપણને ભાગ્યે જ સૂઝે છે.

અરે, આ વિષયનાં જે સાધનો – જેમ કે પુસ્તકો – આપણી પાસે છે તેની વ્યવસ્થિત સૂચિ કરવાનું પણ આપણને ભાગ્યે જ સૂઝે છે. આથી જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ છે તેમની મહેનત અને મુશ્કેલી ઘણી વધી જાય છે. પણ આવી ખોટ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જોવા મળે ત્યારે હાશકારો થાય, કે ચાલો, આપણે ત્યાં હજી વિદ્યાપ્રીતિ સાવ મરી પરવારી નથી.

ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, જાતિઓ, કુળ, વંશ, જ્ઞાતિઓ, પ્રદેશો અને ઘટનાઓ, વ્યક્તિચિત્રો, સંસ્મરણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ, લોકસંસ્કૃિત, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, લેખો, સિક્કા અને સંગ્રહાલયો જેવા વિષયો પરનાં ૧૧૧૧ પુસ્તકોની સૂચિ આ પુસ્તકમાં આપી છે તે આવાં કામોમાં રસ અને રૂચિ ધરાવનારાઓ માટે ઘણી ઉપયોગી થાય તેમ છે. ગુજરાતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકાલયો, સંસ્થાઓ અને સંગ્રહાલયોમાંની સામગ્રીનો અહીં આધાર લેવાયો છે. પણ સૌથી મોટો અને મહત્ત્વનો આધાર તો લેખકને તેમના અંગત પુસ્તક-સંગ્રહનો મળ્યો છે. તેમનું આ અંગત પુસ્તકાલય અભ્યાસીઓને ઈર્ષા આવે એવું હોવું જોઈએ. મુખ્ય સૂચિ પછી અહીં કર્તાનામ અને ગ્રંથનામ  સૂચિઓ પણ આપી છે. પુસ્તક તૈયાર થઈ ગયા પછી મળેલી ૧૧ પુસ્તકો વિશેની માહિતી પણ છેલ્લે પરિશિષ્ટ રૂપે ઉમેરી લીધી છે.

આવાં કામો કરવાં, અને તે પણ એકલે હાથે, સરકારની કે કોઈ સંસ્થાની મદદ વગર કરવાં, એ કેટલું મુશ્કેલ છે એ તો માહીં પડ્યા હોય તે જ જાણે. વળી આ પુસ્તકના લેખક તો મુંબઈ-અમદાવાદમાં નહિ, પણ અમરેલીમાં વસે છે, જ્યાં આવાં કામો માટેનાં સાધનો ટાંચા જ હોવાનાં. આવાં કામ કરવાથી વ્યાપક પ્રમાણમાં યશ કે મોટા પ્રમાણમાં અર્થની પ્રાપ્તિ થાય એ તો આપણે ત્યાં શક્ય જ નથી. અરે, દર વર્ષે ઢગલાબંધ ઈનામો સારી-સાધારણ કૃતિઓને આપી દેતી આપણી સરકારી કે અન્ય સંસ્થાઓને આવાં કામો માટે પણ એકાદો પુરસ્કાર રાખવાની જરૂર જણાતી નથી. ત્યારે આવા એકલવીરો આપણી પાસે હોય એ જ મોટી વાત.

આવાં કામો ક્યારે ય સંપૂર્ણ ન હોઈ શકે. આ સૂચિ પણ નથી. એક તો આપણી પાસે પ્રકાશિત પુસ્તકોની સર્વગ્રાહી સૂચિ જ નથી. બીજું, ઘણાં પુસ્તકાલયો આવાં કામોમાં મદદરૂપ થવા માટે બહુ ઉત્સાહ ધરાવતાં હોતાં નથી. અા સૂચિના વ્યાપમાં સમાઈ શકે એવાં પુસ્તકો ૧૯મી સદીમાં ઘણાં બધાં પ્રગટ થયાં હતાં, પણ તેમાંથી પ્રમાણમાં ઓછાં અહીં જોવા મળે છે. કેટલાંક પુસ્તકોને એકને બદલે બીજા વિભાગમાં મૂકી શકાયાં હોત એમ પણ લાગે. જ્યાં પુસ્તકના નામ પરથી તેના વિષય-વસ્તુનો ખ્યાલ આવે તેમ ન હોય ત્યાં ‘એનોટેશન’ પણ બધે મૂકવાનું બની શક્યું નથી. સૂચિકરણમાં પણ બધે એકવાક્યતા જળવાઈ જ છે એમ કહેવું મુશ્કેલ છે. પણ આ બધી ઉણપો એવી છે કે બીજી આવૃત્તિમાં સહેલાઈથી સુધારી શકાય.

આ વાક્ય લખ્યા પછી તરત વિચાર આવ્યો કે આવાં પુસ્તકોની બીજી આવૃત્તિ આપણી ભાષામાં થાય? થાય તો ય ક્યારે? એના કરતાં આવી સૂચિઓને ડિજિટલ સ્વરૂપે ઈન્ટરનેટ દ્વારા સર્વસુલભ બનાવવી જોઈએ. કારણ આ સ્વરૂપમાં ગમે ત્યારે, ગમે તેટલા ફેરફાર બહુ ઓછી મહેનત અને ખર્ચે કરી શકાય છે. એ સૂચિનો ઉપયોગ કરનારાઓ પણ તેમાં સુધારા-વધારા સૂચવી શકે છે. આવાં પુસ્તકો તૈયાર કરાવવાનું આપણી સંસ્થાઓ ભલે ન કરે, તેને ડિજિટલ રૂપ આપવાનું કામ કરીને થોડું પુણ્ય તો કમાઈ શકે.

સૌજન્ય : ‘બુક માર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014

Loading

...102030...3,9793,9803,9813,982...3,9904,0004,010...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved