Opinion Magazine
Number of visits: 9558563
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Triple P Party

Mahendra Shah|Opinion - Cartoon|15 March 2014

Loading

જોખમો વ્હોરીને સમાજનિર્માણ માટે કાર્યરત કર્મશીલ

પરેશ દવે|Opinion - Opinion|14 March 2014

રોહિત પ્રજાપતિ ચાહે પર્યાવરણના મુદ્દે કાર્ય કરે કે માનવહકની લડાઈ લડે પણ તેમનો એક જ ઉદ્દેશ હોય છે કે વંચિતોને ન્યાય મળે, વિકાસ પ્રક્રિયામાં લોકોને જોડવા. રોહિત પ્રજાપતિ મૂળે ઇજનેર છે, પણ તેમનું ઇજનેર તરીકેનું શિક્ષણ સમાજ સંરચના તરફ વળ્યું. રોહિત પ્રજાપતિની વિકાસયાત્રા મૂળ તો તેમના બચપણના વિચારમંથનનું પરિણામ છે. વર્ષ ૧૯૬૫માં જન્મેલા રોહિત જ્યારે પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે ઘરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓ અને દેશભક્તિનું વાતાવરણ હતું. સમગ્ર કુટુંબ આર.એસ.એસ.ના રંગે રંગાયેલું. રોહિત પ્રજાપતિના પિતાના ફુઆ બાબુભાઈ ઓઝા ગુજરાત અને બિહાર રાજ્યના પ્રાંત પ્રચારક હતા. રોહિત પ્રજાપતિ પોતે પણ આર.એસ.એસ.ની શાખામાં જતા હતા. બચપણમાં જ્યારે તેઓ આઝાદી અને આબાદી વિશે સાંભળતા પણ ત્યા ગરીબાઈ, શોષણ જોતા તો રોહિત પ્રજાપતિના મનમાં અજંપો સર્જાતો કે આઝાદી તો મળી પણ સમાજ તો ત્યાંનો ત્યાં જ છે. મનોમંથનથી રોહિત પ્રજાપતિને આબાદી વગરની આઝાદી તો અધૂરી લાગી. બાળપણમાં જ રોહિત પ્રજાપતિને આઝાદીનો સાચો જવાબ ન મળ્યો. આઝાદી અને આબાદીને કેવી રીતે આમ સમાજ સુધી લઈ જવાય તેના રસ્તા રોહિત પ્રજાપતિએ ગાંધી વિચારસરણીમાં શોધવાના પ્રયાસ કર્યા. રોહિત પ્રજાપતિની આંતરિક શોધની પ્રક્રિયાથી કેટલાકને પ્રશ્નો થવા લાગ્યા ને એવી અફવા ફેલાવાની કોશિશ થઈ કે આ છોકરો ખોટી દિશા તરફ જઈ રહ્યો છે. કદાચ રોહિત પ્રજાપતિના આઝાદી અને આબાદીના સહિયારા સ્વપ્નએ જ લોકોની સાથે કાર્ય કરવાની ભૂમિકા બાંધી હશે.

રોહિત પ્રજાપતિ

પહેલાં હું ધર્મિષ્ઠ હતો અને હવે હું નાસ્તિક છું એમ કહી રોહિત પ્રજાપતિ ઉમેરે છે કે, હું કાર્લ માર્કસ અને ભગતસિંહને વાંચીને નાસ્તિક બન્યો છું. મારા પિતા પરદેશથી આવ્યા અને પોતાની કંપની શરૂ કરી. પણ મને ફેક્ટરીમાં રસ પડે નહીં. હું વડોદરા ખાતે કોઠી ચાર રસ્તા પર આવેલી આર.એસ.એસ.ની ઓફિસે જતો અને પ્રશ્નો પૂછતો પણ સંતોષકારક જવાબ ન મળતા. મને થયું તેમના આઝાદી અને આબાદીના ખ્યાલો ખોટા હતા. પછી હું ગાંધીજી અને આંબેડકરના સાહિત્ય તરફ વળ્યો. મને સમજાયું કે આઝાદી અને ક્રાન્તિ એ અલગ-અલગ વાત છે. હું માનતો થયો કે ક્રાન્તિ એટલે મૂળભૂત પાયાના ફેરફાર. મારા આ ખ્યાલો બારમાં ઘોરણમાં હતો ત્યારના છે. બારમાં ધોરણમાં ભણતો ત્યારથી મેં ઘરેથી પૈસા લેવાનું બંધ કર્યું. મેં મિત્રના ઘરે રહીને બારમાં ધોરણની પરીક્ષા આપી. એ સમયે લોકોના મગજમાં બાર સાયન્સ કરી મેડિકલમાં જવાનું ભૂત નવુંસવું ભરાવાનું શરૂ થયું હતું. મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો. હું માનતો કે સમાજ સેવા કરવા કરતાં સમાજ બદલાવની પ્રક્રિયા કરવી. આ સમયે હું જાણીતા નારીવાદી કાર્યકર તૃપ્તિ શાહના સંપર્કમાં આવ્યો. મેં કાર્લ માર્કસનું ‘દાસ કેપિટલ’ અને લિયોન ટ્રોટસ્કીનું’ રિવોલ્યુશન બિટ્રેડ’ (ક્રાન્તિને દગો) નામનું પુસ્તક વાંચ્યું. આ પુસ્તકે મારાં મન ઉપર મોટી અસર સર્જી. અમે માનતા થયા કે લોકોને ઈન્કલુસિવ વિકાસ માટે જોડવા જોઈએ. આ વિચારથી તૃપ્તિ અને અન્ય મિત્રોની સાથે વડોદરાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને વડોદરાની નજીક આવેલા નાનપુરા ગામમાં કાર્ય કરવાની શરૂઆત કરી. અમે નક્કી કર્યું કે દેશી કે પરદેશી ફંડિંગ એજન્સીના પૈસા લેવાં નહીં, પ્રોજેક્ટ આધારિત કાર્ય કરવા નહીં, લોકોની ઇચ્છા પ્રમાણે અમે તેમની સાથે કાર્ય કરીશું. આપણો ખર્ચ જે સમાજ માટે કાર્ય કરીએ છીએ તે સમાજમાંથી જ ઊભો કરવો. કારણ કે, આપણે તે સમાજને જવાબદાર છીએ. લોક આંદોલન એ લોકોના પૈસે ચાલવું જોઈએ. જેથી લોકો આંદોલનની સાથે સંકળાયેલા લોકો પાસે જવાબ માગી શકે.

રોહિત પ્રજાપતિનો ટ્રેડ યુનિયનની સાથે પણ ઘનિષ્ઠ નાતો રહ્યો છે. તેઓ ટ્રેડ યુનિયનમાં સક્રિય બન્યા. અવારનવાર યુનિયનના કામ અર્થે કોર્ટમાં જવાનુ બનતું. માનવહકના પ્રશ્ને કામ કરતા રોહિત પ્રજાપતિના મનમાં સમાન સમાજ કેવો હોવો જોઈએ તેની તસવીર સ્પષ્ટ બની ગઈ. બરાબર આ જ અરસામાં રાજ્યમાં નર્મદા બચાવો આંદોલન શરૂ થયું હતું. રોહિત પ્રજાપતિ અન્ય મિત્ર સાથે સક્રિય થયા હતા. કોનો વિકાસ, કોનો વિનાશ આ ભાવના રોહિત પ્રજાપતિમાં જન્મી અને તેઓ આ વિભાવના થકી નર્મદા બચાવ આંદોલનમાં વધુ સક્રિય થયા. આ એ સમય હતો કે જે સમયે સરદાર સરોવર ડેમને લોકો આંધળો ટેકો આપતા હતા. રોહિત પ્રજાપતિ કારકિર્દી વિશે જણાવે છે કે, એન્જિનિયર થયા પછી મોટી કંપનીઓમાં નોકરી કરી અને પછી નોકરી છોડીને જર્મનીમાં માસ્ટર કરવા ગયો, જેમાં પર્યાવરણ અને વૈકલ્પિક ઊર્જા કેન્દ્રસ્થાને હતા. ત્યાં પીએચ.ડી. કરવાનો મોકો મળ્યો પણ ગુજરાતમાં એ જ સમયે નર્મદા બચાવો આંદોલનમાં નવા-નવા મુદ્દા ઉમેરાતા જતા હતા. વિશ્વબેંક પણ નર્મદા યોજના માટે ધિરાણ આપવા તૈયાર થઈ હતી. યુરોપિયન દેશો પણ નર્મદામાં ધિરાણ આપવા તરફી હતા. બીજી તરફ સરકારના દાવા કરતાં સચ્ચાઈ અલગ દેખાતી હતી. સરકાર પુનર્વસન બાબતે અસ્પષ્ટ હતી. અમે પુનર્વસન અને સરકારી દાવા બાબતે સચ્ચાઈ સામે લાવવાની કોશિશ કરી હતી. જેમાં પર્યાવરણના મુદ્દા, આદિવાસીના અધિકારના મુદ્દા લોકો સુધી લઈ જવાની કોશિશ કરી હતી. રોહિત પ્રજાપતિ વિવિધ આંદોલનોમાં સહભાગી થવા માટે જર્મનીથી પીએચ.ડી. છોડીને વડોદરા આવી સંપૂર્ણ રીતે આંદોલનોમાં જોડાઈ ગયા.

૧૯૯૬-૯૭માં રોહિત પ્રજાપતિ અને તૃપ્તિ શાહ, સ્વાતિ દેસાઈ, માઈકલ મઝગાંવકર, ઝિયા પઠાણ જેવાં મિત્રોની સાથે મળીને પર્યાવરણ સુરક્ષા સમિતિની રચના કરી. આરંભમાં પર્યાવરણ સુરક્ષા સમિતિએ પ્રદૂષણની લોકોના અને કામદારોના આરોગ્ય ઉપર, હવા, પાણી અને ખેત પેદાશો ઉપર થતી અસરો બાબતે માહિતી અને અભ્યાસ કરવાની શરૂઆત કરી. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વિગતવાર આંકડાકીય માહિતી એકત્ર કરી. ૧૯૯૮માં ઇન્ડિયન પીપલ્સ િટ્રબ્યુનલ કરવાનો વિચાર સૂઝ્યો. વિચાર એવો હતો િટ્રબ્યુનલમાં નિવૃત્ત જજની નિયુક્તિ  થાય જે સમાંતર કોર્ટ ચલાવે. આ કોર્ટ થકી સરકાર અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કેસ હોય તેને પણ સાંભળવામાં આવે. પર્યાવરણ સુરક્ષા સમિતિએ વટવાથી વાપી સુધીનો ગોલ્ડન કોરિડોરમાં આવેલા ઉદ્યોગના પ્રદૂષણ બાબતે ‘હુ બેર ધ કોસ્ટ ઃ ઈન્ટસ્ટ્રિયલાઈઝેશન એન્ડ ટોક્સિક પોલ્યુશન ઈન ધ ગોલ્ડન કોરિડોર ઓફ ગુજરાત’ નામે રિપોર્ટ તૈયાર કર્યો. જે રિપોર્ટ આમ સમાજ, સરકાર, ઉદ્યોગો અને કર્મશીલો માટે આંખ ખોલી નાંખનારો રહ્યો. આ રિપોર્ટમાં ગોલ્ડન કોરિડોર વિસ્તારમાં વસતા લોકોના શરીરમાં શાકભાજીના માધ્યમ થકી કેટલું ઝેર પ્રવેશ્યું છે તેની ચોંકાવનારી વિગતો સમાવિષ્ટ છે. આ રિપોર્ટમાં બહાર આવેલા તથ્યોના આધારે વટવા, વાપીમાં નવા ઉદ્યોગોના વિસ્તરણ ઉપર પણ સરકારે મનેકમને પ્રતિબંધ મૂકવો પડ્યો છે.

પર્યાવરણના મુદ્દાને રોહિત પ્રજાપતિ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ વતી અને સ્થાનિક ખેડૂતોના ફાર્મર્સ એક્શન ગ્રુપ વતી રોહિત પ્રજાપતિએ ગુજરાત સહિત દેશના ૧૯ રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ સામે પ્રદૂષણની ગંભીર સમસ્યા બાબતે જાહેર અરજી નંબર ૩૭૫-૨૦૧૨થી કેસ કર્યો છે. જેની સુનવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજ કરી રહ્યાં છે અને તેની છેલ્લી તારીખ ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૪ હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતે તમામ ખુલાસા રજૂ કરવાનો ચાર માસનો સમય આપ્યો છે.

હાલમાં રાજ્ય સરકાર સરદાર પટેલની મૂર્તિ સરદાર સરોવર ડેમથી ૩.૨ કિલોમિટરના અંતરે નર્મદા નદીમાં ઊભી કરવાની છે અને તે સ્થળે સરકાર બીજો એક ડેમ (ગરુડેશ્વર વિયર) તૈયાર કરી રહી છે. જેથી આ ડેમના કારણે સરદાર પટેલની મૂર્તિની આસપાસ એક સરોવરનું નિર્માણ થાય અને તેમાં બોટિંગ કરી શકાય. આ નવા ડેમથી ૧૧ ગામોના આશરે ૧૨ હજાર આદિવાસીઓને અસર થશે. સરદાર પટેલની મૂર્તિ બનાવી સરકાર ટુરિઝમના નામે ૭૦ ગામના ૭૦ હજાર આદિવાસીઓને વિસ્થાપિત કરવાની કોશિશ કરી રહી છે. રોહિત પ્રજાપતિ, તૃપ્તિ બહેન, લખન મુસાફરી અને તેમના સાથીઓ જે અસરગ્રસ્તોના માથે વિકાસના નામે વિનાશની તલવાર લટકી રહી છે તેવા આદિવાસીઓની સાથે તેમના હકો માટે લડત ચલાવી રહ્યાં છે.

રોહિત પ્રજાપતિએ રાજ્યના મુખ્યમંત્રીની ક્લાઈમેન્ટ ચેન્જના ‘કન્વિનિયન્ટ એક્શન-ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જીસ ઓફ ક્લાઈમેટ ચેન્જ’ નામના પુસ્તક પર વિગતવાર છણાવટ કરતો રિવ્યુ લખ્યો છે. આ રિવ્યુમાં રોહિત પ્રજાપતિએ ગુજરાતના પ્રદૂષણની સમસ્યા અંગે નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રદૂષણને સંતાડવાની કોશિશ સામે પ્રશ્નો કર્યા છે, જેનો જવાબ આજ સુધી નરેન્દ્ર મોદીએ આપ્યો નથી. આ રિવ્યુ ગુજરાતી-ભાષા સહિત અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.

આ મુદ્દો પર્યાવરણનો હોય કે પ્રદૂષણનો કે આદિવાસીઓના હકનો – રોહિત પ્રજાપતિ તેમના જીવનસંગી તૃપ્તિબહેન અને અન્ય સાથીઓની સાથે ન્યાયની લડત સતત લડી રહ્યા છે. આ લડતે તેમના વ્યક્તિગત જીવનમાં મુશ્કેલી અને પ્રશ્નો ઊભા કર્યા છે. પર્યાવરણના મુદ્દે સરકારમાં ટહેલ નાખવાથી વાપી ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન અને બે કંપનીઓએ રોહિત પ્રજાપતિ ઉપર રૂ.૨૫ કરોડનો માનહાનિ કેસ માંડ્યો છે. આ જ મુદ્દે  રોહિત પ્રજાપતિ ઉપર બે વર્ષની જેલ થાય તેવો માનહાનિનો ફોજદારી કેસ પણ નોંધાયો છે. અન્યાય સામે સતત લડત આપનારા રોહિત પ્રજાપતિ કોઈ પણ સાધકથી કમ નથી. પણ કમનસીબે આજે રોહિત-તૃપ્તિ જેવાંને ગુજરાતમાં સાચવીને ઘરની બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોલિસ તપાસ અને હેરાનગતિ સામાન્ય બાબત બની છે. રોહિત પ્રજાપતિને ત્યાં પુત્ર માનવ જે દિવસે જન્મ્યો તે જ દિવસે નર્મદા બચાવો આંદોલનની ઓફિસને રાજકીય કાર્યકરોએ સળગાવી હતી.

આજે રોહિત પ્રજાપતિ અને તેમની જીવનસંગિનીની જોડી રોહિત-તૃપ્તિ તરીકે ઓળખાય છે. રોહિત પ્રજાપતિના વૈચારિક વિકાસમાં તૃપ્તિનું મોટું ભાથું છે. તેમની સક્રિયતાથી પર્યાવરણના મુદ્દે આગવી પહેલ થઈ છે. વંચિતોને ન્યાય મળે છે. રોહિત પ્રજાપતિ લડવૈયા છે. આવી રીતે માથે જોખમ વ્હોરી, આંખોમાં સ્વપ્નો લઈને સમાન સમાજના નિર્માણ માટે, સુરિક્ષત પર્યાવરણ અને વંચિતોને ન્યાય માટે રોહિત-તૃપ્તિ સક્રિય છે.

e.mail : pdave68@gmail.com

Loading

બુદ્ધિ અને સંવેદનાનું સંયોજન એટલે કવિતા ઃ સરુપ ધ્રુવ

પરેશ દવે|Opinion - Literature|14 March 2014

સરુપ ધ્રુવ એ સર્જક છે, સંવેદનશીલ, કર્મશીલ અને સંસ્થાને ઊભી કરનારાં દીર્ઘદ્રષ્ટાં છે. સરુપ ધ્રુવનાં સર્જનમાં નવા સમાજની રચનાનો નકશો જોવા મળે છે. નવી હવાના એ સર્જક છે, જે નવા આંદોલનો ઊભા કરે છે. આ આંદોલનને પણ તેમના સર્જન થકી નવી-તાજી હવાનો સથવારો મળે છે. સરુપ ધ્રુવ માટે શબ્દ એ શણગારનું માધ્યમ નહીં, પણ સત્યને ઉજાગર કરવાનું માધ્યમ છે, વાસ્તવિકતાને નિરુપણ કરવાનું સાધન છે. તેઓ શબ્દોને અર્થ આપે છે, ક્યારેક તીખી રીતે કે ભીતર સોંસરું ઉતરી જાય તે રીતે તેઓ શબ્દને પ્રયોજે છે. તેમનામાં વંચિતોનો અવાજ પડઘાય છે. તેમનો અવાજ નવા યુગનો અવાજ છે. તે સમાનતામાં માનનારાઓનો પણ અવાજ છે. સરુપ ધ્રુવ પોતાની જાતને સાંસ્કૃિતક કર્મશીલ તરીકે ઓળખાવે છે. ૬૬ વર્ષીય સરુપ ધ્રુવે અનેક સર્જનો કર્યાં છે, જેમાં ‘મારા હાથની વાત’, ‘સળગતી હવા’, ‘હસ્તક્ષેપ’ અને ‘સહિયારા સૂરજની ખોજમાં’ જાણીતા કાવ્ય-ગીતસંગ્રહ છે, તો ‘ઉમ્મીદ હોગી કોઈ’માં ૩૭ વ્યક્તિઓની જીવન પ્રત્યેની આશા અને સંઘર્ષનો દસ્તાવેજ છે. ચાર દાયકાની સફરમાં સરુપ ધ્રુવ દર્શન, સંવેદન સાંસ્કૃિતક મંચ, એન્ટી સેન્સર કમિટી, જનપથ, જાગૃત અને ગુજરાતી લેખક મંડળનાં સ્થાપક સભ્ય છે. સરુપ ધ્રુવે ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંસ્કૃિતમાં ડૉકટરેટ કરેલું છે. સમાજથી લઈને અનેક ઘણું સમાજને આપવામાં માનનાર ડૉ. સરુપ ધ્રુવની સાથેનો સંવાદ …

સાહિત્યને આપ કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો?

મને સાહિત્યની બહુ જૂની વ્યાખ્યા ગમે છે. સાહિત્ય એ દર્પણ છે અને દીપક પણ છે. સાહિત્ય વાસ્તવિકતા બતાવે છે. સમાજ અને સંસ્કૃિતમાં જ્યાં અંધકાર છે ત્યાં સાહિત્ય અજવાળું પણ લાવે છે. દર્પણ એટલે જેવું હોય તેવું દેખાડવું. દર્પણની ફરજ જેવી જ ફરજ સાહિત્યની પણ છે. આપણું સાહિત્ય આજે દર્પણધર્મ ભૂલી ગયું છે. સાહિત્યકારો વાસ્તિવકતા ભૂલી ગયા છે. સાહિત્યમાં આજે પલાયનવાદ છે. ભક્તિની વાત કરો, સુષ્ઠુ સુષ્ઠુ વાત કરો, કાલ્પનિક પ્રેમની વાત કરો એને સાહિત્ય કહેવાય છે. હકીકતમાં વાસ્તવિકતાના નામે સાહિત્યકારો કુટુંબજીવન અને સમાજ જીવન સુધી જ પહોંચે છે.

મહિલા સાહિત્યકાર તરીકે શું વિશેષ ફરજ હોઈ શકે?

મેં જોયું છે કે ઘણાં વર્ષોથી મહિલા સાહિત્યકારોએ સાહિત્યનો દર્પણ ધર્મ બહુ સારો બજાવ્યો છે. છેક વિનોદીની નિલકંઠથી આ શરુઆત થઈ છે. એમાં ખાસ કરીને મહિલા સાહિત્યકારો પોતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે ત્યારે એ દીપક પણ બની જ જાય છે. મહિલા સાહિત્યકારો દર્પણ બની સમાજના અંધારા ખૂણાને અજવાળે છે. જેમ કે, વર્ષા અડાલજાની ‘અણસાર’ હોય કે ‘મારે પણ ઘર’ હોય, ઈલા મહેતાની ‘બત્રીસ પૂતળીઓની વેદના’ હોય કે કુન્દનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ હોય. આવાં સર્જનો દર્પણ અને દીપક એમ બંન્નેની ફરજ બજાવતી રચના છે. હિમાંશી શેલત અને શરીફા વીજળીવાળાની નિષ્ઠા નોંધપાત્ર છે.

મહિલા સાહિત્યકારની રચનાઓની સાથે આજનાં સાહિત્યની સ્થિતિ કેવી લાગે છે?

મહિલાઓ બહુ સંઘર્ષ પછી લખવા તરફ વળી છે  એટલે તેઓ જાણે છે કે જીવનનો સંઘર્ષ શું છે! મહિલા સાહિત્યકારોમાં લખતા આવડી જાય અને લખ્યા કરવું એ બહુ ઓછું છે. આપણે ત્યાં સાહિત્યકારો છે જે લખ્યા કરે, તેમને ઍવાર્ડ મળ્યા કરે. બધા સમીકરણો ગોઠવાયેલા હોય. મેં બહુ વર્ષો પહેલાં લેખ લખ્યો હતો, તોરણ પોંખણ વિવેચન, વાડકી વ્યવહાર વિવેચન, માખી વિવેચન વગેરે. વિવેચકો અને અધ્યાપકોનું આખું એક જોડાણ છે. એ જોડાણને સમાજમાં બનતા બનાવો, વરવી વાસ્તવિકતાની સાથે કંઈ લેવા દેવા નથી. અત્યારે જીવનલક્ષી સાહિત્ય પુષ્કળ લખાય છે. બોધક સાહિત્ય, બોધક ટીકડીઓ જેવું, જાણે સમાજ બેવકૂફ છે અને તેઓને સમાજને શીખવાડવાનો અધિકાર મળી ગયો છે. આપણા ગુજરાતી સાહિત્યકારોને રાધા કૃષ્ણની, મોરારી બાપુની ગ્રંથિ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં નરેન્દ્ર મોદીની ગ્રંથિ બંધાઈ ગઈ છે. પુસ્તકોનું વિમોચન જાણીતા લોકો ન કરે તો જાણે તમારું પુસ્તક ઉપડે નહીં, વેચાય નહીં અને વિવેચાય પણ નહીં.

‘સળગતી હવા’ કાવ્ય સંગ્રહ કેવી રીતે સર્જાયો?

અમે (હું અને હીરેન ગાંધી) આકંઠ – સાબરમતીમાંથી છૂટા પડ્યાં ત્યારે અમારા મનમાં ભ્રામક આધુનિકતા હતી અને તેમાંથી અમને નિર્ભ્રાન્તિ થઈ. આ સાથે હીરેન ગાંધીએ જ્યારે ‘ઇતિહાસની બીજી બાજી’ લખ્યું અને અમને જે પોલિટિકલ અનુભવ થયો ત્યારે પણ આધુનિકતાની નિર્ભ્રાન્તિ થઈ. એ સમયે અમે ‘નર્મદા બચાવો’ આંદોલનની સાથે સંકળાયાં અને અમારો સંપર્ક વિશ્વ, દેશ અને ગુજરાતના માનવહક બાબતે કાર્યરત કર્મશીલોની સાથે થયો. આ સમયે મારા પહેલા સંગ્રહ – ‘મારા હાથની વાત’માં એકાંકી સ્ત્રી ખુમારીથી કહે છે કે, કવિતા હોય કે કોઈ પણ કામ, એ મારા હાથની વાત છે. આમ તો પહેલીથી હું ઉદ્દામવાદી હતી. ૧૯૮૧ પહેલાં હું હટકે સ્ટાઈલથી જીવન જીવતી. આ હટકે જીવવાને હું આધુનિકતા કહેતી. હટકે લખવું તેને પણ હું આધુનિકતા સમજતી હતી. અમુક પ્રકારના દૂષણોનો મને છોછ ન હતો. એ બધું તો જાણે મને કોઠે પડી ગયું હતું. અમે એ સમયથી જ માનતા કે આ હટકે જીવનશૈલી સિવાય પણ આધુનિકતા છે. જેમ કે, કોઈપણ પ્રકારના સામાજિક ભેદભાવમાં ન માનવું, સંસ્કૃિતની ખોટી આરતી ન ઉતારવી એ પણ આધુનિકતા છે. સમાનતા, સ્વતંત્રતા, અને બંધુત્વમાં માનવું એ આધુનિકતા છે. સંસ્થાઓ થકી હું ગામમાં જતી, ગામના લોકોની સાથે જે સંવાદ થયો, જે જિંદગીઓ જોવા મળી એ ‘સળગતી હવા’ના સંગ્રહમાં આવી. ‘સળગતી હવા’માં સ્ત્રી પુરુષ (નારીવાદ) છે, નર્મદા પણ છે, દલિત પણ છે, આદિવાસીઓ પણ છે. આધુનિકતાને સમજવાની મથામણમાં ‘સળગતી હવા’નાં કાવ્યો સર્જાતાં ગયાં અને ૧૯૯૫માં આ કાવ્યસંગ્રહ પ્રગટ થયો.

આપ લેખનની સાથે કેવી રીતે જોડાયા?

હું સેન્ટ ઝેવિયર્સ અને ભાષાભવનમાં ભણતી. મને વાંચવું, લખવું ગમે. વ્યાખ્યાનો સાંભળવા ગમે. એ સમયે લેખક થવાનાં સ્વપ્નો ન હતાં, પણ સ્કોલર થવાનાં સ્વપ્નો હતાં. પીએચ.ડી. થયા બાદ અધ્યાપકની નોકરી ન સ્વીકારી, કારણ કે હું શિક્ષક (માસ્તર) થવા નહોતી માગતી. પણ મને થયું કે, મારી પાસે ભાષાની જે આવડત છે, જે સંવેદનો છે તે લોકોના પ્રશ્નોમાં ન સંકળાય તો મારી ભાષા, મારી સંવેદના, મારી આવડત, મારી કવિતા શા કામની. આ સમયે લોક આંદોલનની સાથે અમે સંકળાયા. નવા નવા લોકોને મળતા, નવી જગ્યાએ જતા અને તે અમારા લેખન અને સર્જનમાં પડઘાતું ગયું. લેખનથી મારામાં જાગૃતિનો ઉઘાડ થયો તેવું હું અનુભવતી.

આપના ગીતો અનેક ગામોમાં ગવાયા, પરિવર્તનનું માધ્યમ બન્યા. ગીતોની રચના કેવી રીતે કરો છો?

ગીતો લખવાની મારી ખાસ શૈલી છે. જો કે હવે આપણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગુજરાતી ગીતો ગાતાં નથી. દિલ્હીથી આયાતી ગીતો ગાય છે. દ્વારકાથી લઈને દાંતા સુધીના વિસ્તારો માટે મેં ગીતો અને જાગૃતિ નાટકો લખ્યા છે, જેમાં પાણી, મારપીટ, અત્યાચાર, સમાનતાના વિષયો આવી જાય છે. ૧૯૮૫માં સ્ત્રી ભૃણહત્યા વિશે ગીત લખ્યું કે, દીકરો વ્હાલો, દીકરી નહીં. હંુ પૂછું છું કેમ? એક જમાનામાં દીકરી દૂધ પીતી થઈ જતી અને આજે માના પેટમાં જ જન્મ પહેલા ગૂંગળાઈ જાય છે. ૧૯૮૪થી મેં ટી.વી કાર્યક્રમો માટે લખવાનું શરું કર્યું. હું લેખક તરીકે ખેડાના કોઈ પણ ગામડે જઈને જે પ્રસંગ બન્યો હોય તે પ્રશ્નોમાં ઊંડે સુધી ઉતરી ચર્ચા કરતી અને પછી જે-તે મુદ્દાને ‘કાકાની ડહેલી’ નામના ટી.વી. કાર્યક્રમમાં અમે પ્રસ્તુત કરતા. આ કામ અમે ત્રણ-ચાર વર્ષ કર્યું. નર્મદા બચાવો આંદોલનમાં મેં આદિવાસી વિસ્તારો જોયા. જેટલી વધુ જિંદગીઓને જોતા ગયા, લોકોને મળતા ગયા, તેમની સાથે સંવાદ કરતા ગયા એટલી કવિતા બદલાતી ગઈ. ભાલબારા વિસ્તારમાં ગઈ. ત્યાં બહેનોને પૂછ્યું કે આપણાં ગાણાં કેવાં? તો બહેનો કહે ગાણાં તો સુખનાં ય હોય અને દુઃખનાં હોય. મેં પૂછ્યું કે કયા દુઃખો હોય? બહેનો કહે સાસરિયાના દુઃખ. મેં કહ્યું કે પાણીનું દુઃખ હોય તો કહે હા. તો મેં કહ્યું પાણીનાં ગાણાં કરીએ તો. દીકરો ઇચ્છનારા ‘પગલીનો પાડનાર દે ને રન્ના દે’ એવાં ગાણાં ગાતાં. તેમની સાથે વાતચીતમાં મેં તેમને એક સૂત્ર આપ્યું કે જો ગાણાં બદલાય તો જિંદગી બદલાય અને જો જિંદગી બદલાય તો ગાણાં પણ બદલાવાં જોઈએ ને!

‘હસ્તક્ષેપ’ સંગ્રહમાં ભૂકંપ અને ૨૦૦૨ પછીના ગીતોનો સંચય છે. તેના વિશે જણાવશો?

ભૂકંપ અને ૨૦૦૨ના તોફાનો વિશે ગીતો, ગઝલ, અછાંદસ લખ્યું, જે ‘હસ્તક્ષેપ’ કાવ્યસંગ્રહમાં છે. આ સંગ્રહ વર્ષ ૨૦૦૩માં પ્રકાશિત થયો. ‘હસ્તક્ષેપ’માં સમાજની બદલાયેલી સંવેદના છે. આ સાથે તેમાં વ્યાપક પોલિટિક્સની વાત પણ છે. ભૂકંપના દુઃખોની વાત પણ છે. એમાં અછાંદસ કાવ્યો પણ છે ને ગઝલ પણ છે, જેમ કે ‘ગામ બનાવે, ગામ બનાવે, કાગળ ઉપર કામ બનાવે, માણસને મરતા મેલીને, ગોડ, ખુદા અને રામ બનાવે.’ ધર્મસ્થાનો બહુ બનતા. ભૂકંપમાં જે નવા ગામો બનતા તે જૂની વ્યવસ્થા થકી જ બને. આ વેદના પણ એમાં પડઘાય છે. આ સંગ્રહમાં હું જે જીવી તેને કાવ્ય, ગીતો કે અછાંદસમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. લેખનનું સ્વરૂપ મને આવડે છે, પણ મારા માટે જે કહેવું છે તે મહત્ત્વનું છે. ગીતો આદિવાસીઓ, ગ્રામીણ લોકોને ગળે ઉતરી જાય એવા લખ્યા એ માટે મને કેટલાક લોકો કહેતા કે ‘ફ્રોમ ધ પીપલ, ટુ ધ પીપલ.’ લોકો પાસેથી લઈને લોકોને આપવું, પણ કેવી રીતે તેનું સંસ્કરણ કરીને આપવું એ મહત્ત્વનું છે. આથી મેં આપણા જાણીતા ગરબા, લોકગીતો, રાસડા, કરુણ ગીતોના ઢાળને લઈને એ પ્રયાસ કર્યો. ‘દીકરી સાસરિયા સળગી મરી.’ (ગામમાં પિયર, ગામમાં સાસરિયા રે લોલ, કે વહુ એ વગોયા મોટા ખોરડાં રે લોલનો ઢાળ) એ રાસડો જાણીતો છે.

‘સહિયારા સૂરજની ખોજમાં’ ગીત સંગ્રહ આપનો વિશિષ્ટ છે. આ ગીત સંગ્રહ વિશે વાત કરશો?

આ સંગ્રહમાં ફક્ત ગીતો છે, જે ગવાયા છે. તેની કેસેટો બની છે. હું લોકઢાળ પસંદ કરું છું. જે તે વિસ્તારની બોલી, રૂપક, પ્રતિક પસંદ કરું છું એટલે એ ગીતો ગવાય છે. આપણો સમાજ અર્ધશિક્ષિત છે એટલે મૌખિક પરંપરાથી તેમના સમક્ષ પહોંચી શકાય છે. મેં આવી જ રીતે કવિતાઓ લખી છે. મારે લાચાર ફૂલોની કવિતા નથી લખવી, ટટ્ટાર માણસની કવિતા લખવી છે. કારણ કે ફૂલ તો કુદરતી રીતે ખીલે છે. એને જાણ વગર કોઈ સ્મશાને લઈ જાય છે, તો કોઈ દેવસ્થાને લઈ જાય છે!

નાટ્યકાર સરુપ ધ્રુવની નાટ્યક્ષેત્ર સફર કેવી રહી?

હું આંકઠ-સાબરમતીમાં (૧૯૭૪થી ૧૯૭૯) લેખક તરીકે જોડાઈ હતી. મેં ત્યાં બહુ નાટકો લખ્યાં અને ઘણાં નાટકો એ જ ઘડીએ ભજવાયાં પણ હતાં. લાભશંકર ઠાકર, ચીનુ મોદી, મનહર મોદી બધા આધુનિક કવિઓ મારા સારા મિત્રો હતા. અમે બધાએ ગલ્લાબાજી બહુ કરી હતી. ચીનુ મોદીએ મારા કાવ્યો વાંચીને કહેલું કે, ‘તમારી કવિતામાં બહુ નાટકીયતા છે. કવિતામાં નાટક કરો છો એના બદલે નાટકો જ લખોને.’ એ સમયે હું એકાંકી લખતી. બે લાંબા બે અંકી નાટકો પણ લખેલાં અને ત્યારે જ હું લોકસાહિત્યમાં પીએચ.ડી. પણ કરતી હતી. લોકવાર્તામાં મને એવી વાર્તાઓ દેખાઈ, જેના નાટકો કરી શકાય. પછી મેં કાલ્પનિક નાટકો લખ્યાં, જેમાં પાયો લોકકથાનો હોય, જેમાં ‘ઉજૈનીનગરી ને વિક્રમરાય’ નાટક લખ્યું. એવા બે એકાંકી અને એક લાંબું નાટક લખ્યું. એ સમયે ‘એનઘેન’ (બાળ રમત છે) નાટક લખ્યું. આ નાટકમાં આધુનિક સ્ત્રી અને તેની વિચારધારાની વાત છે અને જે હાથે આવ્યું તેને બંધ આંખે સ્વીકારી લે છે તેની વાત છે. મારા ઘરમાં, બાળપણમાં આવું ચાલતું એ બધાના સંસ્કારો મારા સાહિત્યમાં આવે છે. એ વખતે સાહિત્યકાર, કવિ બનવું એ સ્વપ્ન હતું. ભાષાબાજી આવડે એટલે થયું કે નંબર વન હોવું જોઈએ. શ્રેષ્ઠતાના ખ્યાલો પણ ઓછા ન હતા. આકંઠ-સાબરમતી પછી સંવેદનમાં નાટકો લખ્યા. ‘મારીચ સંવાદ’નું ગુજરાતીકરણ કર્યું. મહાશ્વેતા દેવીની નોવેલ ઉપરથી ‘હજાર ચોર્યાસી’(પ્રતિભારાય)નું એપેન્ડીસ ગુજરાતીમાં કર્યું. આ ભજવાયું નહીં. મારું લખેલું ‘મારીચ સંવાદ’ ભજવાયું. પછી રાજ પરિવર્તન(૧૯૮૬)માં લખ્યું. ૧૯૮૭ પછી સ્ટેજનાં નાટકો બંધ કર્યાં અને ગામોમાં શેરી નાટકની કાર્યશિબિર કરી. ભૂકંપ પછી ‘અંધેરી નગરી અને ઊંઘણશી રાજા’ શેરીનાટક લખ્યું. ‘દિલમાં છે એક આશ’ એ ૨૦૦૨માં રાહત છાવણીમાં ભજવાયું. હું અને હીરેન ગાંધી સાથે ચર્ચા કરીને નાટકો તૈયાર કરીએ. દર્શન અને સંવેદન સાંસ્કૃિતક મંચ થકી ‘દિલમાં છે એક આશ’, ‘રામ કે નામ’, ‘સુનો નદી ક્યા કહેતી હૈ’, ‘તાણો-વાણો’, ‘એસા ક્યોં’, ‘હમ’, ‘ફીર ભી’ અને ‘હવાની એક લહર’ જેવા હિન્દી અને ગુજરાતી નાટકો અમે રચ્યાં છે.

તમારી સર્જનપ્રક્રિયા કેવી છે?

કોઈ પણ સર્જન માટે બે ધક્કા જરૂરી છે. એક અંદરનો ધક્કો અને એક બહારનો ધક્કો. બહાર બહુ ધક્કા વાગતા હોય છે. સર્જન માટે અંદરના ધક્કાની જરૂર હોય છે. સર્જન કરવા માટે આંતરિક ભાવો પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. મને લખવા માટે શાંતિ જોઈએ, ટેબલ જોઈએ તેવું નથી. ગલ્લે બેસીને પણ ઘણી કવિતા, નાટકો લખ્યાં છે. આસપાસનું વાતાવરણ મને બહુ અસર ન કરે. ૨૦૦૯ પછી આરોગ્યનાં કારણે શાંતિ જોઈએ. હું એક જ વાર લખું તેવું પણ નથી. હું લખીને પછી એમાં પરિવર્તન પણ કરું, ભલે તે કવિતા હોય કે નાટક. કવિતામાં એક કે બે વાર પરિવર્તન કરું, તેમાં બહુ છેડછાડ ન કરું, પણ નાટકની અમારી પ્રક્રિયા જુદી હોય છે. પહેલાં શેના વિશે લખવું તેની ચર્ચા કરીએ, પછી રૂપરેખા તૈયાર કરીએ. કોરગ્રુપમાં પહેલો ડ્રાફ્ટ સાથે બેસીને વાંચીએ, પછી રિહર્સલ સમયે તેને થોડું સુધારીએ. એક નાટક દસ વાર પણ લખ્યું હોય. એટલે મારી સર્જન પ્રક્રિયા વૈવિધ્યપૂર્ણ રહી છે. મારે આ જ લખવું છે તેવું નહીં. મને ધક્કો વાગે એટલે લખું. ઘણી વાર પંક્તિઓ મનમાં આવી જતી હોય છે. જો કે હું બૈદ્ધિક રીતે આ માનતી નથી, પણ પંક્તિ એકસાથે આવી જાય છે. જેમ કે, ‘સળગતી હવા શ્વસુ છું હું મિત્રો, પથ્થરથી પત્થર ઘસું છું હું મિત્રો.’ આ આખો શેર એકસાથે જ આવી ગયો હતો. કારણ કે હું એ વાતાવરણમાં હતી. દલિતો ઉપર પુષ્કળ હિંસા થતી. ‘હું સર્વણ છું, દલિતો પરના અત્યાચારમાં હું પણ ભાગીદાર છું’ એવું અનુભવતી. ‘હું સળગું છું અને તેને સળગાવનાર પણ હું છું’ આ પીડા તેમાં આવી છે. કવિમાં પીડ પરાઈ ના હોય તેવું ન બને. બહારની પીડાની સાથે ખુદ વફાઈ પર પણ લખવું જોઈએ. ‘સળગતી હવા’માં આવે છે કે આ બનાવોમાં હું પણ કારણભૂત છું. ૨૦૦૨માં એવો વળાંક આવ્યો કે, હું પણ છું કારણ. હું અન્યો કરતા અલગ નથી. કવિ એ પણ પરકાયા પ્રવેશ કરવો પડે. ‘સળગતી હવા’માં એક સળગનાર અને સળગાવનાર તરીકેની સંવેદના છે.

‘ઉમ્મીદ હોગી કોઈ’ ૨૦૦૨ના રમખાણો ઉપરનું આ પુસ્તક કેવી રીતે સર્જાયું?

રાજ્યના કુલ સાત અસરગ્રસ્ત જિલ્લાના ૭૦૦થી ૮૦૦ લોકોની મુલાકાત લઈને ૩૭ સત્ય ઘટનાઓ જાણ્યા બાદ તેને ‘ઉમ્મીદ હોગી કોઈ’ પુસ્તકમાં સમાવાઈ. આ પુસ્તકમાં બે પાત્ર છે, રચના (હું) અને ચિંતન (હીરેન). આ પુસ્તકમાં જે બચી ગયા છે અને જેઓએ બચાવ્યા છે તેમના વિશેની સત્ય ઘટના છે. આ ૩૭ વ્યક્તિઓને એકથી વધુ વાર હું મળી છું. આ પુસ્તકમાં માણસ ચોતરફથી ભાંગીને તૂટી જાય ત્યારે કેવી આશા એને જીવાડે છે તેની વાત કરી હતી. મેં જોયું કે આપણે બિલકુલ કલ્પેલું ન હોય એવા માણસોએ એકબીજાની મદદ કરી છે. આ પુસ્તકમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને વાર્તા છે. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૬માં ફિલ્ડ વર્ક કર્યું અને ૨૦૦૭ અને ૨૦૦૮માં આ સત્ય ઘટનાઓ લખી. લોકોને મળી, ઘટનાઓ જાણી. આ બધાની અસર મારા શરીર પર પણ થઈ, પણ તેનું દુઃખ નથી.

કવિતા કોને કહો?

બુદ્ધિ અને સંવેદનાનું જ્યાં સંયોજન થયું હોય, ચિત્તમાં વમળો સર્જાયા હોય અને તેને શબ્દોમાં ઢાળો એટલે કવિતા રચાય. પંક્તિઓ એમ જ નથી આવતી. મને જેની પીડાઓ સ્પર્શે તેની જ કવિતાઓ સર્જાય છે. ખરેખર એ સંવેદનાઓ મારી અંદર જ હોય છે. એ મને થયેલી પીડા, અનુભવો અને મારા સંસ્કારોનું સંયોજન છે. મને માહોલ લખવા પ્રેરે છે, કારણ કે એ મારી આવડત સાથે સંયોજાય છે. મારી કોઈ કવિતા નકરા સંવેદનાની નથી, સંવેદના સાથે આવડત, વિચાર અને માહોલ એ બધું ભેગું થાય એ મારી કવિતા!

સરુપ ધ્રુવને સમાજ કેવી રીતે ઓળખે તે ગમે?

મને બૌદ્ધિક અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે ઓળખાવું ગમે. શબ્દની આવડત અને દુનિયા સાથેની જે રોમાંચક સફર છે તેનાથી ઓળખાવાનું ગમે. મને સાંસ્કૃિતક કર્મશીલ તરીકે ઓળખે તો ગમે.

e.mail : pdave68@gmail.com

Loading

...102030...3,9793,9803,9813,982...3,9904,0004,010...

Search by

Opinion

  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved