Opinion Magazine
Number of visits: 9772717
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|6 October 2014

(૧૯૧૪ના ઓક્ટોબરની પંદરમી તારીખે જન્મેલા મનુભાઈ પંચોળી ‘દર્શક એટલે આપણા એક મોટા ગજાના સર્જક, મૌલિક ચિંતક, સંનિષ્ઠ શિક્ષક, અને જાહેર જીવનના સદા જાગૃત રખેવાળ. દર્શકની દીપનિર્વાણ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની નવલકથા પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાંના ભારતને પાર્શ્વભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ અહીં આલેખ્યો છે. આ નવલકથાના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાની વાત તેની જ એકોક્તિ રૂપે સાંભળીએ, દર્શકની જન્મ શતાબ્દી નિમિત્તે)

મારું નામ સુચરિતા. હું દ્વિજન્મા છું. આ સાંભળી ચોંકી ગયા ને? સ્ત્રીને તો યજ્ઞોપવિતનો અધિકાર હોય નહિ, પછી તે દ્વિજન્મા કઈ રીતે હોઈ શકે, એમ પૂછશો નહિ. મારો પહેલો જન્મ થયો આજથી અઢી હજાર વર્ષ પહેલાં. મહામના મહાકાશ્યપ મારા પિતા. મારો બીજો જન્મ થયો, આજથી સિત્તેર વર્ષ પહેલાં, તમારી ગણતરીની રીતે ગણતાં ઇ.સ. ૧૯૪૪માં. ત્યારે હું બની મનુદાદાની માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, કે પછી ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. પણ મારે માટે તો એ ‘મનુદાદા.’ અઢી હજાર વર્ષ પહેલાં જીવીને મેં જે જે જીરવ્યું તેની વાત તેમણે ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં લખી છે. મનુદાદાએ ૧૯૪૨ની હિન્દ છોડોની લડતમાં ભાગ લીધેલો અને અગિયાર મહિના જેલમાં રહેલા. જેલમાં બેઠાં બેઠાં એમણે આ નવલકથા લખેલી. તમે કહેશો : ઓહો, એમની પેલી જાણીતી ઐતિહાસિક નવલકથાની વાત કરો છો? પણ ના. મારી વાત કહેતી ‘દીપનિર્વાણ’ બીજી કેટલીક નવલકથાઓ જેવી ચીલાચાલુ ઐતિહાસિક નવલકથા નથી હોં. ઇતિહાસની ચોપડીઓમાં જોઈ જોઈને તેમાંથી ઉતારા નથી કર્યા મનુદાદાએ. તેમણે તો પોતાની કલ્પનાથી ભૂતકાળની એક આખી સૃષ્ટિ ઊભી કરી છે. આ નવલકથા લખવા પાછળ તેમનાં ત્રણ પ્રયોજન હતાં. પહેલું, પ્રાચીન ભારતના ગણતંત્રના સ્વપ્નને અંજલિ આપવી. બીજું, એ વખતે પરાધીન હતું તેવા ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપવી. અને ત્રીજું, આંતરિક સત્તાલાલસા સામે લાલ બત્તી ધરવી. મારી, આનંદની, કે સુદત્તના જીવનની વાત કરવી એ તો એમનો ગૌણ હેતુ હતો. છતાં એમણે અમારાં જીવનની વાતો લખી છે. એવી રીતે કે અઢી હજાર વર્ષ પહેલાંનો જમાનો તમારી આંખ આગળ ઊભો થઈ જાય. પણ આજે તો હું પોતે જ તમારી આંખ સામે આવીને ઊભી છું અને તમને મારી વાત કહેવાની છું. અને હા, અત્યારે હું નથી મહાકાશ્યપની પુત્રી, કે નથી મનુદાદાની માનસ પુત્રી. અત્યારે તો હું છું કેવળ એક સ્ત્રી. તો સાંભળો મારી વાત.

ઉતાવળમાં થઈ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દી છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણિની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતાના ઘેનમાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની ભૂલ મેં કરી.

પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઈ લીધું. પણ એક વાત કહું? સુદત્ત કે આનંદ જ નહિ, હર કોઈ પુરુષ કોઈ સ્ત્રીને જુએ છે ત્યારે પહેલાં તો એના બાહ્ય રૂપને જ જુએ છે. સુદત્ત મારા રૂપ પર જ મોહ્યો હતો. તો આનંદની આંખમાં પણ સૌથી પહેલાં તો મારું રૂપ જ વસ્યું હતું. પણ કેટલાક પુરુષો રૂપ ઉપરાંત સ્ત્રીની અંદર રહેલું બીજું કશુંક પણ જોઈ શકે છે, અને આનંદ તેમાંનો એક હતો. એટલે તો મને જોયા પછી તેણે આંખો બંધ કરી દીધી, કારણ મારું રૂપ મારું સંગીત સાંભળવાની આડે આવતું હતું તેમ તેને લાગ્યું. પુરુષદેહના સૌન્દર્યની બાબતમાં તો આનંદ સુદત્તની કોઈ રીતે બરોબરી કરી શકે તેવો નહોતો. વળી આનંદ સુદત્ત જેટલો ધનવાન પણ નહોતો. પણ આનંદ ધનવાન ભલે ન હોય, સમૃદ્ધ હતો, ખૂબ સમૃદ્ધ હતો. એટલે જ તે મારું વીણાવાદન સાંભળવામાં મારું રૂપ અંતરાય ન બને એટલા ખાતર આંખો મીંચી ગયો. અને તેની આ સંસ્કારસમૃદ્ધિ પર જ હું વારી ગઈ. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેને અચાનક પૂછેલું : “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો : “તમારી વેણીના વાળ જેવાં.” એ સાંભળીને મારા તો કાન લાલ થઈ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઈ ગઈ હતી.

અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. એક વાર આનંદે સુદત્તને કહેલું પણ ખરું : ‘જો વસ્તુ મારી છે કે કેમ તેની મને શંકા રહે તો હું તો એ વસ્તુ સામે પણ ન જોઉં.’ પણ સુદત્ત તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને રથ સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.

જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતો હતો છતાં સુદત્તનો હક્ક પહેલો છે એ વાત સતત સ્વીકારતો હતો. આથી જ આનંદે કહેલું : ‘સુદત્તની જોડે કદિ કૂડ નહિ કરું.’ તેણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયો. તેના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો આનંદના મનમાં જડાઈ ગયા હતા : “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તો ય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું : “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઈ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 06 અૉક્ટોબર 2014

Loading

યોગેન્દ્ર માંકડ : કદીયે નહીં ભુલાય આ બૌદ્ધિક વ્યક્તિત્વ

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|6 October 2014

૧૯૯૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં S.U.C.I.(C.) પાર્ટીના ઉમેદવાર તરીકે એલિસબ્રિજ મતવિસ્તારમાંથી દામિનીબહેન શાહ ચૂંટણી લડી રહ્યાં હતાં. આ પાર્ટીના સભ્ય તરીકે અન્ય કાર્યકરમિત્રો સાથે હું પણ તે વખતે સવારસાંજ પત્રિકાઓ લઈને અનેક દિવસો સુધી અનેક ઠેકાણે એમના ચૂંટણીપ્રચારમાં સક્રિય હતો. એક સવારે સાડાનવ-દસ વાગે ઝેવિયર્સ કૉલેજ પાસેની કેટલીક સોસાયટીઓ, ઍપાર્ટમેન્ટ્સમાં અમે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. હું પુષ્પમ્ ફ્લૅટ્સનાં અમુક ફ્લૅટોમાં પ્રચાર પૂરો કર્યા પછી એક ફ્લૅટમાં પ્રવેશ્યો. માથા પર ટાલ, પાછળના ભાગે સફેદ વાળ, આંખ પર ચશ્માં, ગોરો ઊજળો વાન, કૉફી કલરનો ઝભ્ભો – સફેદ લેંઘો પહેરેલા એક વડીલે ડોરબેલનો રણકાર સાંભળ્યા પછી તરત જ બારણું ખોલીને મને કહ્યું. ‘હા, બોલો’ પત્રિકા આપીને એમને  S.U.C.I.(C.) પક્ષ અને એલિસબ્રિજ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલાં દામિનીબહેનનાં સેવાકાર્યોનો થોડો પરિચય આપવાનું શરૂ કર્યું. ત્યાં જ મને અટકાવીને ક હ્યુંઃ ‘હા … હા … હું દામિનીને અને આ પાર્ટીની રાજનૈતિક પ્રવૃત્તિઓને બરાબર જાણું છું. બે વોટ મારા છે ! થૅંક્યુ. પ્રયત્ન ચાલુ રાખો !’

‘બે વોટ મારા છે !’ તે પાછળનો ગર્ભિતાર્થ એમનો અને એમનાં પત્નીનો, એમ સૂચિત થતાં જ મારો પ્રચારુત્સાહ વધ્યો. લાગ્યું કે આ વડીલ અન્ય નાગરિકો કરતાં તદ્દન નોખી માટીના, વિચારશીલ, સુશિક્ષિત અને મૂલ્યનિષ્ઠ રાજનીતિના હિમાયતી હોવા જોઈએ, જેમને સમજીને એમનાં પત્ની ચાલતાં હોય.

આ ઘટનાને લગભગ ત્રણચાર વર્ષ વીત્યાં હશે. નર્મદ-મેઘાણી લાઇબ્રેરી-મીઠાખળીમાં દર ગુરુવારે સાંજે ૬-૦૦ વાગે મળતી M.S.D.ની મિટિંગમાં એક વખત તે આવ્યા. ચર્ચામાં જવલ્લે જ સહભાગી થતા. મિટિંગ પત્યા પછી સાંપ્રત રાજકીય પ્રવાહો અને રાજનૈતિક સિદ્ધાંતો અંગે કેટલાક વડીલો સાથેની હળવી ચર્ચામાં એમના રમૂજી કટાક્ષો સાથેનું લાક્ષણિક એવું ચહેરા પરનું હાસ્ય મને આનંદિત કરતું. આવાં જ કેટલાંક નિમિત્તિઓએ એમ.એસ.ડી.ની મિટિંગમાં એમની સાથેની અવારનવાર વાતચીત દરમિયાન અમારા બંનેનો પરસ્પર સાથે પરિચય થતાં જ મને ખ્યાલ આવ્યો કે તે ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર ડૉ. યોગેન્દ્ર માંકડ છે. તે પછી જ્યારે તેઓ મિટિંગમાં આવ્યા, ત્યારે એમને ’૯૮ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારવાળા પેલા પ્રસંગની યાદ તાજી કરાવીને એમના તરફથી મળેલા પ્રોત્સાહન અંગે જણાવ્યું. એમણે તરત જ કહ્યું. ‘હા’ મને યાદ છે. તમે આવ્યા હતા. મેં કહ્યું હતું બે વૉટ મારા છે’. પછી તો અવારનવાર મળવાથી અમારો પરિચય વધતો ગયો.

*   *   *

૧૯૬૯માં મુંબઈથી સારા માર્કે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અમદાવાદમાં એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં યોગેન્દ્રભાઈએ અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. આ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં યુવાન અધ્યાપિકા ગિરાબહેન સાથે એમને પરિચય થયો, જે ક્રમશઃ વધતો ગયો. છેવટે લગ્ન અંગેના નિર્ણાયક વળાંકે પહોંચ્યો. તે જમાનાનું આ આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી માંકડ સાહેબના નાગર કુટુંબમાં તો વણિક જ્ઞાતિની યુવતી સાથેનાં લગ્નનો ઉગ્ર વિરોધ ઊઠ્યો. પરંતુ માંકડસાહેબનાં પ્રેમ અને નવસંક્રાન્તિકાળના સુધારાવાદી મૂલ્યો વચ્ચે કુટુંબના આ વિરોધને જરા ય મચક ન મળી.

પ્રેમના મૂલ્યની જેમ જ મૈત્રીનાં મૂલ્યના તથા વિદ્યાપ્રીતિને પોષનારી પ્રવૃત્તિને પણ માંકડસાહેબ સાચા અર્થમાં જીવતા હતા. આને કારણે તે સમયના અનેક વિદ્વાન અગ્રણીઓ અને એમના સમકાલીન સહકર્મચારી અધ્યાપકો બૌદ્ધિક મિત્રો સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ હતો. ’૯૩માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં જોડાયા. તે પછી ડૉ. દિનેશભાઈ શુક્લના તે સાથી અધ્યાપક બન્યા. ફિલોસૉફીના અધ્યાપક મધુસૂદન બક્ષીનો એમની ઉપર સારો એવો પ્રભાવ હતો. ફિલોસૉફી વિશે જે કાંઈ જાણવું હોય, ત્યારે તે એમની પાસે જતા. એમ.એસ.ડી.ની મિટિંગ પૂરી થાય તે પછી દિનેશભાઈ, પ્રકાશભાઈ, રથભાઈ, દિલીપ ચંદુલાલની સાથે હું, જયેશ, મિનાક્ષીબહેન વગેરે કેટલાંક યુવાન મિત્રો બેસતાં, રાજકારણ, અર્થકારણ, ફિલોસૉફી જેવા વિષયો પર આ બધાની હળવાશભરી વાતોથી આખાયે ખંડમાં હર્ષોલ્લાસના હિલ્લોળા ઊઠતા. આવી જ પળોમાં એક ગુરુવારે મધુસૂદન બક્ષીના પ્રતાપી વિદ્વાન વ્યક્તિત્વ અંગેના પોતાનાં ભૂતકાળનાં સ્મરણો તાજાં કરતાં માંકડસાહેબે કહ્યું હતું :

‘બક્ષીસાહેબનો તાપ જ એવો કે અમારા જેવા જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ, તેઓ જ્યારે ફિલોસૉફીના અગત્યના ટૉપિક્સની ચર્ચા કરતા ત્યારે તેને અમે અમારી ગરજે શાંતિથી એકચિત્તે સાંભળતા. માર્ક્સ ઉપર એમના સ્વાધ્યાયનું ભારે પ્રભુત્વ, પરંતુ સવિશેષ પ્રાધાન્ય તે Theory of enlightenmentને આપતા. યુરોપમાં નવજાગૃતિ, રેશનાલિઝમ, ધર્મનિરપેક્ષતા જેવા અનેક ઉમદા વિચારોના મૂળમાં આ Theory of enlightenment છે. બક્ષીસાહેબે આ વિશે અનેક વાર ચર્ચા કરીને અમારાં બધાંની આંખો ઉઘાડી દીધી હતી. કુલીનચંદ્ર યાજ્ઞિક ઉપરાંત ફિલોસૉફી, રાજ્યશાસ્ત્ર વગેરેના અધ્યાપકોની માંકડસાહેબ એમના ઘરે મિટિંગો યોજતા. જમાડવાના તે શોખીન હતા. તેથી કેટલાક મિત્રોને કોઈકોઈ વાર તે ઘરે જમવા પણ બોલાવતા. આમ, આ પ્રકારની મિટિંગો ભોજનના કાર્યક્રમના બહાને ફિલોસૉફીના જુદા-જુદા મુદ્દાઓ વિશે જે કાંઈ ચર્ચાઓ થતી એનો લાભ ઘણા-બધા મિત્રોને મળતો. તે પણ દિનેશભાઈ શુક્લ, પ્રવીણભાઈ શાહ, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા મિત્રોના ઘરે અવારનવાર જતા. મિત્રો પ્રત્યે એમનું હૃદય અત્યંત પ્રેમાળ હતું, ક્યારેક કોઈને ખરાબ લાગે એવું બોલતા નહીં, કોઈની ઉપર નારાજ પણ થતા નહીં.

વિદ્વાન તરીકે માંકડસાહેબના વ્યક્તિત્વનું ધ્યાન ખેંચે એવું અન્ય પાસું એ હતું કે પોતે અંતર્મુખી હતા. યોગ્ય લાગે તો જ અને ત્યારે જ તે ચર્ચામાં ભાગ લેતા. જે કાંઈ જે વિશે બોલવાનું હોય તે લખીને તૈયાર કરીને લાવતા.

*   *   *

માંકડસાહેબે અધ્યાપક તરીકે રાજ્યશાસ્ત્રની એક મુખ્ય અંગભૂત શાખા રૂપે રાજકીય સિદ્ધાંત (Political Theory)ને અધ્યાપનકાર્યના ક્ષેત્ર તરીકે પસંદ કર્યું. ૧૮મી અને ૧૯મી સદીના રાજકીય ચિંતકો કાર્લ માર્ક્સ, મેક્સ વેબર ઉપરાંત આધુનિક રાજકીય ચિંતકો હેબર માસ, દેરિદા, ફૂકો, એડોર્નો વગેરેનો એમણે ઊંડાણથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમના વિશે એમણે ગુજરાતીમાં સરળ ભાષામાં લેખો લખ્યા છે. જે કેટલાંક મુખપત્રો, વિચારપત્રો જેવાં કે ‘કુમાર’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘અર્થાત્’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’ વગેરેમાં પ્રસિદ્ધ થયા છે. એમણે મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું હોવાને કારણે અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. અંગ્રેજી શબ્દોના એમનાં ઉચ્ચારણો પણ સ્પષ્ટ અને અર્થના ભાવનું માધુર્ય રેલાવે એવા અવાજમાં વ્યક્ત થતાં.

પૉલિટિકલ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની ઘણી ઓછી સંખ્યા રહેતી હોવાથી માંકડસાહેબ એમની કૅબિનમાં જ લેક્ચર લેતા ! એક ધાર્યું સતત લેક્ચર આપવાના બદલે તે વિદ્યાર્થીઓ સાથે વિષય અંગેની ચર્ચાઓ ઊભી થાય એ માટે પ્રશ્નો પૂછતા. આ પ્રકારની અધ્યાપનપદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ વિષયમાં interactive થાય, એવું એમનું વલણ હોવાને કારણે એમના મોટા ભાગના વિદ્યાર્થીઓ એમનો ઘણો જ આદર કરતા. આધુનિકતા અને અનુઆધુનિકતાનો એમને ઘણો ઊંડો અભ્યાસ હતો. રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં જે વર્તનલક્ષી behavioural approach આવ્યો, એમાં એમને અત્યંત દિલચસ્પી હતી.

રાજ્યશાસ્ત્રમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ થવો જોઈએ જેથી કરીને પૉલિટિકલ સાયન્સનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે, એમ તેઓ માનતા. અભ્યાસ ક્ષેત્રે એમનું વિશેષ યોગદાન – Renaissance reformation – Age of enlightenment પ્રચુરતાનો યુગ)માં છે. જે એમનો અત્યંત રુચિકર વિષય હતો.

વિષયના અંતઃસ્તલમાં પ્રવેશી એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવા-તપાસવાની, સમયના પ્રત્યેક તબક્કામાં એની ગતિના સ્વરૂપને અને સ્થિતિને પોતે કેળવેલા Liberal Point of viewથી જોવા-સમજવાની, એનું પૂરા નીરક્ષરવિવેકથી વિશ્લેષણ કરીને મૂલવવાની, આ રીતે ભારેખમ ગણાતા વિષયને સરળ બનાવી ન્યાયપુરઃ સર – મુદ્દાસર શિષ્ટ છતાં ય સરળ ભાષામાં રજૂ કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિ એમના લેખોમાંથી પસાર થતાં અનુભવાય છે.

*  *   * 

એમ.એસ.ડી.ની એક ગુરુવારની મિટિંગ સમાપ્ત થયા પછી હળવાશની પળોમાં વડીલો અને કેટલાક મિત્રો સાથેની ‘Age of enlightenment’ અંગેની ચર્ચા દરમિયાન માંકડસાહેબે મને કહ્યું હતું, ‘લોકશાહી, માનવહક્કો, સેક્યુલારિઝમ, રેશનાલિઝમ, જેવાં માનવમૂલ્યોનો જો કોઈ ઉદ્ગમસ્રોત હોય, તો તે Age of enlightenment છે. મેં સૂચન કર્યું ‘માંકડસાહેબ, આ વિશે તમારો અભ્યાસ છે, તો તે અંગે લખીને ક્યાંક મોકલવું જોઈએ.’ એમણે કહ્યું, ‘કુમાર’ના અંકોમાં આ વિશે મારા દસેક લેખોની લેખમાળા પ્રસિદ્ધ થઈ ચૂકી છે.’

મેં કહ્યું ‘આ તો સાહિત્યરસિકો અને સાહિત્યના અભ્યાસીઓ તરીકે, અમારા જેવાઓ માટે પણ ગરજનો વિષય છે. કારણ કે સમાજસુધારાની ચળવળનો સાહિત્ય ક્ષેત્રે સુધારાયુગ અમે ભણી ચૂક્યા છીએ, તેથી આ લેખોનું પુસ્તક પ્રસિદ્ધ થાય તો ઘણા માટે ઉપયોગી નીવડે.’ ‘મેહુલ ! તારી લાગણી અને એની અગત્યતા સમજી શકાય એમ છે, પરંતુ તે છાપે કોણ ?’ એમની આ શાબ્દિક પ્રતિક્રિયા સાથે સંકળાઈને ઊપસતા એમના ચહેરાના હાવભાવોમાંથી સંચારક્રાંતિ અને ટી.વી. મીડિયા તરફના અંધઆકર્ષણને કારણે નવી પેઢીમાં તથા પ્રજામાં ઘટી ગયેલી વાચન-અભ્યાસવૃત્તિ એના કારણે સારી ગુણવત્તાવાળાં પુસ્તકોના મુદ્રણ – પ્રકાશન બાબતે પ્રકાશકોની સ્વાભાવિક ઉદાસીનતા મને વંચાતી. એમાં પણ એમના આનંદી સ્વભાવ પ્રમાણે હળવાશનો રણકો તો હોય જ.

કથળતી જતી સાંપ્રત રાજકીય, સામાજિક સાંસ્કૃિતક પરિસ્થિતિઓ, જાહેર વ્યવસ્થામાં પ્રવર્તતી ઘોર સંકીર્ણતા, શૈક્ષણિક ક્ષેત્રે બગડવા માંડેલું વાતાવરણ વગેરે બાબતોએ એમની અંદર પડેલી નિરાશાનો પણ હળવાશભરી રમૂજમાં તે અવારનવાર વ્યક્ત કરતા. થોડાંક વર્ષો પહેલાં વાહનચાલકો માટે ફરજિયાત હેલમેટનો નિયમ અમલી બનનાર હતો. એનાથી પબ્લિકને થનારી પરેશાની અને આ નિયમની અયોગ્યતા અંગે અમારા બધાની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે એમણે માથા પર હાથ ફેરવી રમૂજમાં કહ્યું, ‘મને ક્યાંક ટ્રાફિકપોલીસ હેલમેટ વિના પકડશે, તો હું કહીશ આ રહી હેલમેટ. મારા માથામાં જે ટાલ પડી છે, એનો આકાર હેલમેટ જેવો છે.’

ઉંમરને કારણે કોઈ ને કોઈ શારીરિક નબળાઈ અંગે અમુક વાર એમ.એસ.ડી.ની બેઠક પૂરી થયા પછી વાતચીત વખતે તે પોતાની શારીરિક સ્થિતિ વિશે હળવાશમાં કહેતા : મનમાં જરા ય કશા યનો ભાર રાખ્યા વિના જ જીવવું જોઈએ. આ વર્ષે મેં ડાયાબિટીસની ૧૪મી વર્ષગાંઠ ઊજવી છે.

માંકડસાહેબની બીજી વિશેષ ઓળખ તે સંગીતના કલાકાર અને મર્મજ્ઞ તરીકેની સપ્તક સ્કૂલ ઑફ મ્યુિઝકના સંસ્થાપક નંદન મહેતા પાસે એમણે સંગીતની તાલીમ લીધી હતી. સરોદ અને તબલાવાદન બંને ય તે ત્યાં શીખ્યા હતા. નંદન મહેતા સાથે સારા સંબંધો હોવાથી એક સમયે તે રોજ રાત્રે સંગીતના કાર્યક્રમમાં સહયોગ આપવા ‘સપ્તક’માં જતા. અવારનવાર એમણે મોટા ગજાના સંગીતકારો સાથે તબલા પર સંગત આપી હતી. એક સંગીત-કાર્યક્રમમાં લાબા સમય સુધી તબલાવાદન કરવાને કારણે એમના હાથે કંપનની નબળાઈ આવવાને લીધે પછીથી એમણે તબલાંવાદન બિલકુલ છોડી દીધું હતું. ૨૦૦૪માં પહેલી ટર્મ પૂરી થયા પછી માંકડસાહેબ અધ્યાપક તરીકે સમાજવિદ્યાભવનમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ પોતાના મનગમતા વિષય અંગેનો સ્વાધ્યાય ચાલુ રહ્યો. આંગળીઓની તકલીફ હોવાથી તે લખી શકતા નહીં. પરંતુ અભ્યાસપેપર કમ્પ્યૂટર પર કંપોઝ કરીને રજૂ કરતા. લગભગ ૨૦૦૯-૧૦માં  એમણે એમ.એસ.ડી. બેઠકમાં પોતાનું ‘અમેરિકા સંપૂર્ણ સલામતી માટેની ખોજ’ વિશે પોતાનું અભ્યાસપેપર રજૂ કર્યું, જે એમ.એસ.ડી. તરફથી યોજાયેલું એમનું અંતિમ અભ્યાસપેપર હતું. પછીથી તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ થયું હતું. પછીના વર્ષથી એમ.એસ.ડી.માં આવવાનું એમનું ઓછું થઈ ગયું. લાગતાવળગતા મિત્રો-વડીલો પાસેથી તબિયત અવારનવાર બગડતી હોવાના સમાચાર મળતા.

કૅન્સરની બીમારી અને તેના ઑપરેશન વખતે લિવરનો કેટલોક ભાગ કાપી નંખાયો હોવાના સમાચાર મળતાં હું ચોંકી ઉઠ્યો. ‘માંકડસાહેબ આપણી વચ્ચે નથી’ સાંભળીને મને ભારે આંચકો લાગ્યો. મને ક્યાં કલ્પના હતી કે એમની તબિયત અંગે જ્યારે દિનેશભાઈ મને જણાવતા હતા (૧૦-૭) ત્યારે એમના જીવનના થોડાક દિવસો જ નહીં, થોડાક કલાકો જ બાકી હતા. કદાચ કોઈને પણ કલ્પના નહીં હોય. ગુજરાતની વિચારશીલ સૃષ્ટિમાં enlightnementનો અવારનવાર અવનવો ઉજાસ ફેલાવનાર એક તેજોમય દીપક હંમેશ માટે બુઝાઈ ગયો, જેની પ્રભાવક જ્યોત અનેકોના સંવિત્ માં ચિરંજીવ રહેશે. જેણે જીવનના સૂરતાલ સાથે સંગીતના સૂરતાલની ભાવોત્કટ સંગતિ રચીને કલાના માધ્યમ દ્વારા જીવનનાં અર્થઘટનો પામવા અને સૌને પમાડવાના પ્રયાસો કર્યા. તો બીજી તરફ રાજકીય સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં સતત ગળાડૂબ રહી જીવન અને જગત નવા વિચારોની દૃષ્ટિથી જોવા-સમજવાની અધ્યાપક તરીકે નવી પેઢીને શીખ પૂરી પાડી.

આ બંને ક્ષેત્રોનો ભારે બોજ ઉપાડતા રહીને પણ એની સિદ્ધિઓનો કશો ભાર રાખ્યા વિના મિત્રભાવે હળવાશથી સૌની સાથે ભળતા સૌને મળતા મૈત્રી ભૂખ્યા વિચારશીલ મૂલ્યનિષ્ઠ એવા બૌદ્ધિક વિદ્વાન મારા-આપણા જેવા સૌને માટે હંમેશાં ચિર-સ્મરણીય રહેશે.

૧૪૮૮, મહાદેવનો ખાંચો, મામુનાયકની પોળ, કાલુપુર, અમદાવાદ – 380 001

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.15-16

Loading

કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 October 2014

સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવું જોઇએ કે નહીં તે અંગે બી.બી.સી. પર પંડિતોની બહસ ચાલતી હતી તે જોઈને ગાર્ડિયન સમાચારપત્રના એક પત્રકારને ભારતના લેખક નિરદ ચૌધરીની ગેરહાજરી સાલી હતી. એમને ભારત કરતાં બ્રિટિશ સામ્રાજ્યમાં વધુ વિશ્વાસ હતો, અને એ કહેતા હતા કે જાહીલ ભારતીયોને સભ્ય બનાવવાનું શ્રેય બ્રિટિશરોને જાય છે.

બી.બી.સી.ની બહસ સ્વતંત્ર સ્કોટલેન્ડના હિમાયતી એલેક્સ સાલ્મન્ડ અને સત્તાધીશ લેબર પાર્ટીના એલિસ્ટર ડાર્લિંગ વચ્ચે હતી. પેલા પત્રકારને અફસોસ થયો કે 300 વર્ષના ઇતિહાસમાં બ્રિટને સ્કોટલેન્ડને સામાજિક, સાંસ્કૃિતક અને ટેક્નોલોજિકલ જે ઓળખ આપી છે તેનો સરખી રીતે બચાવ પેલા સાંસદ કરી ન શક્યા. પત્રકાર લખે છે કે મને આ વખતે નિરદ ચૌધરી યાદ આવ્યા. વિશેષ કરીને નિરદ ચૌધરીના એ શબ્દો જેના કારણે ભારતમાં એમની બદનામીને ચાર ચાંદ લાગી ગયા હતા : કિવિસ બ્રિટાનિક્સ સુમ … Civis Britannics Sum.

નિરદચંદ્ર ચૌધરીનું નામ ભારત વિરોધીઓની યાદીમાં સૌથી ઉપર, પ્રથમ નંબરે આવે છે. ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન, કોન્ટિનેંટ ઓફ સર્સે અને પેસેજ ટુ ઇન્ડિયા જેવી બહેતરીન કિતાબો બદલ પશ્ચિમમાં નિરદ ચૌધરીની ભરપૂર સરાહના થયેલી, પરંતુ એમના કથિત ભારત-વિરોધી વિચારોના કારણે ભારતમાં એમનું નામ ખોવાઈ ગયેલું.

નિરદ ચૌધરી હાલ બાંગ્લાદેશના કિશનગંજમાં જન્મેલા અને કોલકાતામાં ભણીને સામયિક સંપાદક બનેલા. રાજકીય લેખો લખવાના કારણે એ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા અને બોઝના સચિવ હોવાના નાતે ગાંધી, નેહરુ અને સુભાષબાબુ જેવા નેતાઓ સુધી પહોંચેલા. તે સમયની ભારતીય રાજનીતિની આંતરિક ગતિવિધિઓથી માહિતગાર થયા બાદ નિરદ ચૌધરીનું ભ્રમ નિરસણ થવા લાગેલું અને એમનો બ્રિટિશ પ્રેમ વધવા લાગેલો.

આ નિરદ ચૌધરીએ 1951માં ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન નામની આત્મકથા લખી હતી. નિરદબાબુએ એમાં એમની જીવનકથા ઉપરાંત એમનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે થયો તેની કહાની પણ લખેલી અને એ દરમિયાન એમણે એનું શ્રેય બ્રિટિશરોને આપેલું. તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સન્ટ ચર્ચિલે આ કિતાબને એમના જીવનની ‘વન ઓફ ધ બેસ્ટ’ ગણાવેલી.

એ વખતે ભારતીય સમચારપત્રો સ્વદેશી ચળવળના જુસ્સામાં હતાં અને અંગ્રેજ માલિકીના ધ સ્ટેટ્સમેનને બાદ કરતાં તમામ પત્રોએ આ આત્મકથાનો ભરપૂર વિરોધ કરેલો. ભારત સ્વતંત્ર થયું તેના ચાર જ વર્ષમાં આ કિતાબ આવેલી અને ભારતને સ્વ-શાસનના પાટા પર ચઢાવવા મથી રહેલા પ્રધાનમંત્રી નેહરુ નિરદ ચૌધરી પર ભડકી ગયેલા. નેહરુએ નિરદબાબુને પત્ર લખીને સલાહ આપેલી કે અગર તેમને ભારતીય લોકો પર વિશ્વાસ ન હોય તો બીજે ક્યાંક જતા રહેવું જોઈએ. નિરદબાબુ 1970માં ભારત છોડીને બ્રિટનના ઓક્સફર્ડમાં વસી ગયેલા અને 101 વર્ષની વયે 1999માં ત્યાં જ મરી ગયેલા.

એમની આત્મકથામાં એમણે અંગ્રેજ સમાજના ભરપેટ વખાણ તો કરેલા જ, બાકી હોય તેમ પૂરી આત્મકથા ય અંગ્રેજ સામ્રાજ્યને અર્પણ કરેલી. ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ વિધાન આ સમર્પણમાં જ આવે છે. નિરદબાબુ આત્મકથાના ઊઘડતા પાને લખે છે : ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની યાદમાં અર્પણ, જેણે પ્રતિષ્ઠા આપી પણ નાગરિત્વ ન આવ્યું અને આપણે સૌએ ચીલ્લાઈને કહ્યું, કિવિસ બ્રિટાનિક્સ સુમ. કારણ કે આપણી અંદર જે ઉચિત હતું તેને આ જ બ્રિટશ શાસને પેદા કર્યું હતું, એને આકાર અને ગતિ અાપી હતી.

કિવિસ બ્રિટાનિક્સ સુમ એટલે ‘હું બ્રિટિશ નાગરિક છું.’ મૂળ આ લેટિન વિધાન ‘કિવિસ રોમાનુસ સુમ’નું અંગ્રેજીકરણ છે, જે ઇશુપૂર્વે 106મી સદીના રોમન ચિંતક સિસરોએ ગેરરીતિઓ વિરોધી ભાષણોમાં રોમન સામ્રાજ્યના નાગરિક હોવાનો પુર્નોચ્ચાર કરતી વખતે કહ્યું હતું. ન્યુ ટેસ્ટામેન્ટમાં પોલ ધ એપોસ્ટલ સીઝરના  દરબારમાં એની નિર્દોષતા પુરવાર કરવા આ વિધાન બોલે છે.

1850માં ડોન પેસિફિકો નામના બ્રિટિશ વેપારીને એથેન્સમાં રંજાડવામાં આવ્યો ત્યારે ગ્રીસને પાઠ ભણાવવા માટે બ્રિટિશ સંસદમાં અપીલ કરનાર લોર્ડ પાલ્મરસ્ટને ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ સૂત્ર આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જેમ રોમન સામ્રાજ્ય એના રોમન નાગરિકોનું સંરક્ષણ કરતું હતું તેમ વિશ્વના તમામ ‘બ્રિટિશ સબ્જેક્ટ’(બ્રિટિશ સામ્રાજ્યમાં જન્મેલા)નું રક્ષણ કરવાની ફરજ બ્રિટિશ સરકારની છે. 1963માં સોવિયત સંઘની મદદથી ઇસ્ટ જર્મનીએ બર્લિન વોલ ચણી દીધી ત્યારે વેસ્ટ જર્મનીના સમર્થનમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ જ્હોન ઓફ કેનેડીએ કહેલું, ‘બે હજાર વર્ષ પહેલાં અભિમાનથી એક સૂર ગુંજ્યો હતો : કિવિસ રોમાનુસ સુમ. આજે દુનિયા આઝાદ છે અને અભિમાનનો મંત્ર છે : ઇચ બીન ઇન બર્લિન. દુનિયાના દરેક સ્વતંત્ર માણસ બર્લિનનો નાગરિક છે. મને આ કહેતાં ગૌરવ થાય છે, ઇચ બીન ઇન બર્લિન … હું બર્લિનનો નાગરિક છું.’

19મી સપ્ટેમ્બરે જ્યારે ભારતમાં સૂર્યોદય થયો ત્યારે નિરદ ચૌધરીના ‘વતન’ બ્રિટનના ટુકડા થતા રહી ગયા. એ દિવસે 55 પ્રતિશત સ્કોટિશ નાગરિકોએ સ્કોટલેન્ડને બ્રિટનથી સ્વતંત્ર થવાનો ઇન્કાર કરી દીધો. સ્કોટલેન્ડમાં જનમત સંગ્રહની બહસ ચાલતી હતી ત્યારે પેલા પત્રકારની જેમ ઘણા બ્રિટિશરોને નિરદ ચૌધરી જેવા કટ્ટર સમર્થકોની ગેરહાજરી સાલી હતી. પરંતુ બહુમતી સ્કોટિશ લોકોએ જ પુનરુચ્ચાર કર્યો, કિવિસ બ્રિટાનિક્સ સુમ.

દુનિયાના સૌથી જૂના પ્રદેશોમાં સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. 50 લાખની આબાદીવાળો આ પ્રદેશ 300 વર્ષ પહેલાં બ્રિટનનો હિસ્સો બન્યો તેના 800થી પણ વધુ વર્ષથી આઝાદ દેશ હતો. 18મી સદીમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્કોટલેન્ડ દુશ્મન સાથે હાથ ના મિલાવી દે તે માટે બ્રિટને સ્કોટલેન્ડનો વેપાર રોકી રાખ્યો હતો અને આ રોક ત્યાં સુધી જારી રહી જ્યાં સુધી સ્કોટલેન્ડ બ્રિટનમાં ભળી જવા રાજી ન થયું.

બ્રિટિશ હકૂમત ભારતના આઝાદી આંદોલન સામે ઝૂકી રહી હતી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, ‘સત્તા આવારા, નીચ અને ડાકુઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતા કમ ક્ષમતાવાળા નક્કામા લોકો હશે. સત્તા માટે એ આપસમાં લડશે અને ભારત રાજનૈતિક ઝઘડામાં ખોવાઈ જશે. એક દિવસ એવો આવશે જ્યારે ભારતમાં હવા અને પાણી પર પણ ટેક્સ લાગશે.’

ભારતમાં તો આવું કશું થયું નહીં પરંતુ બ્રિટનના ખુદના આંગણે કંઈક આવું જ થવાનું હતું. સ્કોટલેન્ડે આર્થિક કારણોસર બ્રિટનથી અલગ થવાનો ઇન્કાર કરી દીધો છે. હેરી પોટરની કિતાબો લખનાર જે. કે. રોલિંગ જે સ્કોટલેન્ડની છે તેણે કહ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે સ્કોટલેન્ડે બ્રિટન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. અર્થશાસ્ત્રના ઇતિહાસ સાથે સ્કોટલેન્ડનો સંબંધ જૂનો છે. મહાન અર્થશાસ્ત્રી ડેવિડ હ્યુમન સ્કોટિશ હતો. પ્રથમ જોઇન્ટ-સ્કોટ કોમર્શિયલ બેન્ક સ્કોટલેન્ડમાં સ્થપાઈ હતી અને તેમાંથી જ ગ્લોબલ અર્થવ્યવસ્થા આવી હતી.

નિરદબાબુ જીવતા હોત તો બ્રિટન સાથે જોડાયેલા રહેવાના સ્કોટલેન્ડના નિર્ણયની એમણે સરાહના કરી હોત? નિરદબાબુ સંસ્કૃિત અને સભ્યતાના માણસ હતા. તેમણે બ્રિટિશ શાસકોના જુલમની ટીકા કરી હતી પરંતુ એક સંસ્કૃિત તરીકે ગોરા સામ્રાજ્યનાં વખાણ કર્યાં હતાં. બ્રિટિશ સામ્રાજ્યની પડતી એમણે જોઈ હતી અને પાછલાં વર્ષોમાં એ ઇંગ્લેન્ડને ‘ફાઉલ ફ્રેન્ડ’ (દૂષિત દોસ્ત) ગણતા હતા. તેઓ કહેતા હતા કે એક જમાનાના આર્થિક અને રાજનૈતિક તાકાત ગણાતા બ્રિટનની પડતી જોઈને એમને અફસોસ થાય છે.

બે વર્ષ પહેલાં અલગ સ્કોટલેન્ડની માગણી ઊઠી ત્યારથી એક પ્રશ્ન પુછાતો હતો કે બ્રિટિશ સંસ્કૃિત એના પતનના આરે છે? એક્ચુઅલી, બ્રિટનની સાંસ્કૃિતક, આર્થિક કે રાજકીય પ્રાસંગિકતા એવી રીતે ખતમ થઈ ગઈ છે જેવી રીતે ધુંઆધાર લેખકો વચ્ચે નિરદ ચૌધરીની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. બ્રિટિશ રાજનું ભારતમાં પતન થયું ત્યારે નિરદ ચૌધરીએ કહ્યું હતું કે બ્રિટિશ લોકોને પોતાના જ સામ્રાજ્યમાંથી વિશ્વાસ ઊડી ગયો છે.

ભાંગ્યા ભાંગ્યા તો ય બ્રિટન સાથે રહેવાનો સ્કોટલેન્ડના નિર્ણયથી બ્રિટનને કોઈ તસલ્લી મળી હોય તે શક્ય નથી. ગાર્ડિયનના પેલા પત્રકારને જેને નિરદ ચૌધરીની ખોટ સાલી હતી તેણે જનમત સંગ્રહના પરિણામ પછી લખ્યું હતું, ‘મને હતું કે લોકો ‘હા’માં મત આપશે. પણ સ્કોટલેન્ડે બ્રિટનને ફાળ પડાવી દીધી એ સારું થયું.’

સૌજન્ય : ‘સન્નડે’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 28 સપ્ટેમ્બર 2014

Loading

...102030...3,9533,9543,9553,956...3,9603,9703,980...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved