Opinion Magazine
Number of visits: 9562051
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન પ્રમુખની મુલાકાત લીધી એક ગુજરાતી લેખકે

દીપક મહેતા|Opinion - Literature|27 July 2014

અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની ! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને !

પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં !

એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : “શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઈ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.”

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : “એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.” તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? તો જવાબમાં કહેવાનું કે નામ ખબર નથી. કારણ ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી ! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : “એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’ લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. અને બીજી કહેતી છે, પૂછતાં પંડિત નીપજે. મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે આ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહર હોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી.   

અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસ પોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઈ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઈ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવાય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!

આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં એક પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઈ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી. બરાબર દોઢ સો વર્ષ પહેલાં છપાયેલા આ પુસ્તકની છાપેલી નકલ આજે સહેલાઈથી જોવા ન મળે. પણ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહમાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સીડી પર ઇબુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એટલે તે મેળવીને કોઈ પણ પુસ્તકપ્રેમી વાંચી શકે તેમ છે.  

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 27 જુલાઈ 2014

e.mail : deepakbmehta@gmail.com

Loading

એક સુરતીએ મુંબઈમાં શરૂ કર્યું પહેલું ગુજરાતી છાપખાનું

દીપક મહેતા|Opinion - Opinion|25 July 2014

પહેલી ગુજરાતી જાહેર ખબર અને પહેલું ગુજરાતી પુસ્તક છપાયું બોમ્બે કુરિયર પ્રેસમાં પણ એ મુખ્યત્વે અંગ્રેજી અખબાર છાપતું પ્રેસ હોવાથી ગુજરાતી મુદ્રણ એ તેને માટે ગૌણ કે આનુષંગિક પ્રવૃત્તિ હતું. પણ માત્ર ગુજરાતી છાપકામ કરવા માટેનું પહેલવહેલું પ્રેસ શરૂ થયું ૧૮૧૨માં અને તે પણ મુંબઈમાં. એ શરૂ કરનાર હતા સુરતમાં જન્મેલા પારસી નબીરા ફરદુનજી મર્ઝબાનજી.

૧૭૮૭માં જન્મેલા ફરદુનજી એક લગ્નમાં હાજરી આપવા ૧૮૦૫માં પહેલીવાર સુરતથી મુંબઈ ગયા અને પછી પાછા સુરત ગયા જ નહીં. ૧૮૦૮માં તેમણે મુંબઈના કોટ વિસ્તારમાં બુક-બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. બોમ્બે કુરિયર પ્રેસમાં છપાતાં પુસ્તકોનું બાઇન્ડિંગ કામ પણ ફરદુનજી કરતા. બહેરામજીએ બનાવેલા ગુજરાતી ટાઇપ પણ કદાચ જોયા હોય. તેમને વિચાર આવ્યો કે માત્ર ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કરવું જોઈએ. લાગવગ લગાડી કયાંકથી લાકડાનો એક દાબપ્રેસ મેળવ્યો. છાપકામ માટેનો બીજો જરૂરી સરંજામ પણ એકઠો કર્યો. પણ ખરી મુશ્કેલી હતી ગુજરાતી ટાઇપની. એ કયાંથી લાવવા ? બોમ્બે કુરિયર પ્રેસ પાસે હતા, પણ નવા ઊભા થતા હરીફને એ થોડા જ આપે ?

ફરદુનજીએ જાતમહેનત કરવાનું નકકી કર્યું : “પોતે જાતે પુષ્કળ પછાડા મારી ખુદ પોતાને હાથે ગૂજરાતી ટાઇપોનો એક સેટ તીખાં લોઢાં ઉપર કોતર્યો, પોતે જ તેની ત્રાંબાની તખ્તિઓ ઠોકી અને પોતે જ તેને સીસામાં ઓતી ટાઇપો પાડયા.” (કેકોબાદ બેહેરામજી મર્ઝબાન, ‘ફરદુનજી મર્ઝબાનજી ઃ ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ.’ મુંબઇ ૧૮૯૮. ભાષા જોડણી મૂળ પ્રમાણે). ૧૮૧૨માં મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામે આવેલા એક મકાનમાં ફરદુનજીએ પોતાનું છાપખાનું શરૂ કર્યું. એ પ્રેસને તેમણે કોઈ નામ આપ્યું જ નહોતું. પણ લોકો તેને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખતાં.

૧૮૧૪ પહેલાં આ પ્રેસમાં છપાયેલું આજે કશું જોવા મળતું નથી, પણ બે વરસ સુધી કાંઈ ફરદુનજી હાથ જોડીને બેસી રહ્યા ન હોય. ૧૮૧૪માં આ પ્રેસમાં છપાયેલું સંવત ૧૮૭૧નું પંચાંગ જોવા મળે છે. ૧૮૧૫માં ફરદુનજીએ છાપેલાં બે પુસ્તક જોવા મળે છે. ૨૬મી ઑકટોબરે છપાયેલું ‘ફલાદીશ’ (જયોતિષશાસ્ત્ર પ્રમાણે ફળાદેશ આપતું પુસ્તક) અને ૨૫મી ડિસેમ્બરે છપાયેલું ‘દાબેસ્તાન’ (પુસ્તકના ટાઇટલ પેજ પર ફરદુનજી માત્ર પ્રકાશનની સાલ નહીં, તારીખ વાર પણ છાપતા.) તે પછી ઓછામાં ઓછાં બીજાં ૪૦ ગુજરાતી પુસ્તકો પણ તેમણે છાપ્યાં, જેમાનાં ૨૦ તેમણે પોતે ‘બનાવેલાં’ હતા. (લેખક, સંપાદક, અનુવાદકને બદલે ફરદુનજી પોતાને પુસ્તકના ‘બનાવનાર’ તરીકે ઓળખાવતા.)

પોતાનું છાપખાનું શરૂ કર્યા પછી દસ વર્ષે, ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે ફરદુનજી મર્ઝબાનજીએ પોતાનું છાપું ‘મુંબઈ સમાચાર’ શરૂ કર્યું. આજે હયાત હોય તેવાં છાપાંઓમાં ફરદુનજીએ શરૂ કરેલું આ છાપું આખા એશિયાનું જૂનામાં જૂનું છાપું છે, અને તેનું છાપખાનું ગુજરાતી છાપકામ કરતું જૂનામાં જૂનું છાપખાનું છે. મરાઠી ભાષાનું પહેલું છાપું ‘દર્પણ’ મુંબઈ સમાચાર પછી દસ વર્ષે ૧૮૩૨માં શરૂ થયું. અને તે દ્વિભાષી – મરાઠી અને અંગ્રેજી છાપું હતું. જ્યારે મુંબઈ સમાચાર કેવળ ગુજરાતી છાપું હતું.

અલબત્ત, કેટલીક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે ૧૮૩૨ના ઑગસ્ટની ૧૩મી તારીખના અંકથી ફરદુનજીએ મુંબઈ સમાચાર સાથેના સંબંધનો અંત આણવો પડયો અને ત્યારબાદ થોડા વખતે મુંબઈ છોડી કાયમ માટે તે વખતે પોર્તુગીઝ શાસન હેઠળ હતું તે દમણમાં વસવાટ કરવો પડયો. જો કે ત્યાં પણ તેમણે છાપખાનું શરૂ કરી ગુજરાતી પુસ્તકો છાપ્યાં. પછી પોતાના ત્રણ દીકરાઓને મુંબઈ મોકલી ત્યાં ૧૮૪૧માં નવું છાપખાનું શરૂ કરાવ્યું, જે પાછળથી દફતર આશકારા પ્રેસ તરીકે ઓળખાયું. તે પછી થોડા જ વખતમાં ૧૮૪૧ના માર્ચની ૨૩મીએ ફરદુનજીનું દમણમાં જ  અવસાન થયું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 21 જુલાઈ 2014 

Loading

સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|24 July 2014

પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. એટલે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે

મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ એવા વલણનું કેટલીક વાર અવળું પરિણામ આવતું હોય છે જેનો પંજાબના સિખોને હવે અનુભવ થઈ રહ્યો છે. હરિયાણા સરકારે હરિયાણામાંના સિખ ગુરુદ્વારાના પ્રબંધનનો અધિકાર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) પાસેથી લઈ લીધો છે અને એની જગ્યાએ હરિયાણા માટે અલગ હરિયાણા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (HSGPC)ની રચના કરી છે. ગુરુદ્વારાના પ્રબંધનની આ વ્યવસ્થા હરિયાણા વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે અને નવા ખરડાને હરિયાણાના રાજ્યપાલ જગન્નાથ પહાડિયાએ મંજૂરી પણ આપી દીધી છે. હરિયાણા સરકારના અલગ HSGPC રચવાના નિર્ણયનો પંજાબે વિરોધ કર્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે આ ભારતના સિખોને વિભાજિત કરવાનું કૉન્ગ્રેસનું કાવતરું છે. પંજાબના અકાલીઓએ હરિયાણાના રાજ્યપાલને ખરડો પાછો મોકલવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાજ્યપાલે પ્રતિસાદ આપ્યો નહોતો. હરિયાણા રાજ્યપાલની મુદત આવતા મહિને પૂરી થાય છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. હવે પછી રાજ્યપાલ BJPના આવશે અને ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થશે ત્યારે આ કાયદો રદ કરાવીશું એવું આશ્વાસન મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે પંજાબના સિખોને આપ્યું છે. દરમ્યાન અમૃતસરના અકાલ તખ્તે હરિયાણાના ત્રણ સિખ નેતાઓને પંથબહાર કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ નેતાઓએ HSGPC માગણી કરી હતી અને HSGPCને સિખોનો ટેકો મળે એ માટે પ્રયાસ કર્યો હતો. 



સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે નીવડે છે. સિખ ધર્મ આમ તો હિન્દુ ધર્મના અનેક પંથોમાંનો એક પંથ જ હતો. એને ૩૦૦ વર્ષ પહેલાં ગુરુ ગોવિંદ સિંહે ચોક્કસ ઓળખ આધારિત સંગઠીત સ્વરૂપ આપ્યું હતું. એ પછી ક્રમશ: સિખ પંથ ધર્મનું સ્વરૂપ પામવા લાગ્યો હતો. એને હિન્દુથી અલગ ધર્મનું સ્વરૂપ આપવામાં સિખો જેટલો જ અને કદાચ વધુ ફાળો અંગ્રેજોનો અને આર્યસમાજીઓનો છે. ધર્મ જેટલો સંગઠિત એટલો એ વધુ આગ્રહી હોવાનો અને ધર્મના નામે જ્યારે આગ્રહો રાખવામાં આવે છે ત્યારે સ્વતંત્ર વિચાર ધરાવનારાઓને કે ભિન્ન ઉપાસના પદ્ધતિમાં માનનારાઓને સતાવવામાં આવે છે. સિખ ધર્મમાં આવું એક સદીથી બની રહ્યું છે. પંજાબમાં ખાલિસ્તાનના નામે અલગતાવાદી-ત્રાસવાદી આંદોલન થયું હતું એ પણ સિખ ધર્મના આ સ્વરૂપનું પરિણામ છે. બાકી અલગ-અલગ રાજ્યોનાં ગુરુદ્વારાઓના પ્રબંધનની અલગ- અલગ વ્યવસ્થા હોય એમાં શું ફરક પડે છે? એનાથી સિખો સિખ મટી નથી જવાના કે નથી સિખ ધર્મને કોઈ આંચ આવવાની. હા, SGPCનો SGPC દ્વારા સ્થાપિત અને અંકુશિત અકાલી દળની વગમાં ઘટાડો થાય એવું બને. ધર્મના ઠેકેદારોને આ વાતની પીડા છે અને આવી આ લોકની પીડાને પરલોક સાથે સંબંધ ધરાવતા ધર્મ સાથે જોડીને તેઓ પોતાનો સ્વાર્થ સાધતા હોય છે.



SGPC રચના અંગ્રેજોએ કાયદો કરીને ૧૯૨૫માં કરવી પડી હતી. સિખો પંજાબમાં ગુરુદ્વારા કબજે કરતા હતા અને પંજાબમાં મહંતોના હાથમાંથી ગુરુદ્વારા છોડાવવાનું અથવા કહો કે પડાવી લેવાનું હિંસક આંદોલન ચાલતું હતું. છેવટે અંગ્રેજ સરકારે સિખો સામે ઝૂકી જઈને બધાં જ ગુરુદ્વારાનો વહીવટ SGPC દ્વારા કેન્દ્રીય  રીતે થાય એની વ્યવસ્થા કરી આપી હતી. એ સમયે પંજાબ બૃહદ પંજાબ હતું જેમાં અત્યારના પંજાબનો, પાકિસ્તાનના પંજાબનો, આજના હરિયાણાનો અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થતો હતો. એ આખા પ્રદેશના ગુરુદ્વારાઓનો વહીવટ SGPC પાસે હતો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું અને પશ્ચિમ પંજાબનાં ગુરુદ્વારાઓનો વહીવટ સિખોની વસ્તી વિનાના પાકિસ્તાન સરકારના હાથમાં આવ્યો. એ ગુરુદ્વારાઓમાં નાનકદેવના જન્મસ્થાને બંધાયેલા નાનકાનાસાહેબ ગુરુદ્વારનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી છે જે ગુરુદ્વારાઓનો વહીવટ કરે છે. બાકીના પંજાબનું વિભાજન SGPC અને અકાલી દળના આગ્રહના કારણે ૧૯૬૬માં થયું હતું અને પંજાબી ભાષાની બહુમતીવાળા આજના પંજાબની રચના કરવામાં આવી હતી. અકાલીઓ તો ધર્મના ધોરણે સિખ સુબાની એટલે કે સિખોના અલાયદા રાજ્યની માગણી કરતા હતા જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને ભાષાના ધોરણે પંજાબની રચના કરવામાં આવી હતી. 



પંજાબનું વિભાજન કરવાની માગણી હરિયાણાના અને હિમાચલ પ્રદેશના લોકોએ નહોતી કરી. વિભાજન પછી લાહોરથી લાલા લજપતરાયનું બાવલું એ સમયના પંજાબની રાજધાની શિમલામાં સ્થાપવામાં આવ્યું હતું. ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. માટે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. પંજાબનું વિભાજન થવા છતાં અને હરિયાણા અને હિમાચલ પ્રદેશ પંજાબથી અલગ રાજ્ય બનવા છતાં ગુરુદ્વારાઓનો વહીવટ આજ સુધી SGPCના હાથમાં હતો. એક બાજુ ધર્મના નામે રાજ્યને વિભાજિત કરવું અને બીજી બાજુ ધર્મના નામે બીજાં રાજ્યોનાં ગુરુદ્વારાઓના વહીવટી અધિકારો માટે આગ્રહ રાખવો એ વિસંગતિ છે. હરિયાણાના સિખોએ જ અલગ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની માગણી કરી હતી જે તેમને આપવામાં આવી છે.



આગળ કહ્યું એમ સંગઠિત ધર્મ માનવજાત માટે ઉપકારક કરતાં અપકારક વધુ છે. અકાલીઓને અલગ ઓળખ પણ જોઈએ છે અને વગ વિસ્તારવી પણ છે. ધર્મના કોમવાદી રાજકારણનો આ સ્વભાવ છે. પ્રકાશ સિંહ બાદલે વડા પ્રધાનને દરમ્યાનગીરી કરીને હરિયાણા સરકારે ઘડેલા HSGPC ધારાને રદ કરવાની માગણી કરી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી અકાલી દળ પર કૃપા કરે તો નવાઈ નહીં. અહીં એક વાત નોંધવી જોઈએ કે ૧૯૮૦ના દાયકાના અનુભવ પછી અકાલીઓના ખાલસા રાજકારણને પ્રોત્સાહન આપતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે.

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2014

http://www.gujaratimidday.com/features/columns/sikh

Loading

...102030...3,9223,9233,9243,925...3,9303,9403,950...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved