Opinion Magazine
Number of visits: 9695572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુદ્રણને પગલે આવ્યાં વિરામ ચિહ્નો

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

મુદ્રણને પગલે ગુજરાતીના લેખનની રીતમાં કેટલાક ફેરફાર ધીમે ધીમે થયા. અગાઉ હસ્તપ્રતોમાં શબ્દો છૂટા પાડયા વગર સળંગ લખાણ લખાતું હતું. આને પરિણામે લખાણ ઉકેલવામાં તથા તેનો અર્થ બેસાડવામાં કેટલી મુશ્કેલી પડે છે તે હસ્તપ્રતોના અભ્યાસીઓ જાણે છે. અંગ્રેજી મુદ્રણ જોઈને ગુજરાતી મુદ્રણમાં શબ્દોને છૂટા પાડવાનું પહેલેથી જ શરૂ થયું. જો કે શબ્દોને છૂટા પાડવા માટે શરૂઆતમાં અંગ્રેજી કરતાં જુદો રસ્તો અપનાવ્યો હતો.  ૧૭૯૭ની બોમ્બે કુરિયરની જાહેર ખબરોમાં તેમ જ ફરદુનજી મર્ઝબાજીએ શરૂઆતમાં છાપેલાં પુસ્તકોમાં બે શબ્દો વચ્ચે મધ્યરેખાબિંદુ (ઇન્ટર પોઇન્ટ) મૂકીને શબ્દો છૂટા પાડયા છે. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ જોવા મળે છે. બહેરામજી છાપગર કે ફરદુનજી મર્ઝબાનજી પ્રાચીન લેટિનથી પરિચિત હોય એવો સંભવ નથી. તેમણે આ ઇન્ટર પૉઇન્ટનો ઉપયોગ કયાંથી અપનાવ્યો હશે એ જાણવાનું આજે શક્ય નથી. જો કે થોડાં વર્ષો પછી શબ્દોને છૂટા પાડવા માટે ઇન્ટર પૉઇન્ટને બદલે ખાલી જગ્યા-સ્પેસ-નો ઉપયોગ શરૂ થઈ ગયો હતો.

બીજો ફેરફાર થયો તે વિરામ ચિહ્નોના ઉપયોગનો. હસ્તપ્રતોમાં એક માત્ર પૂર્ણવિરામ સિવાય બીજું કોઈ વિરામ ચિહ્ન વપરાતું નહીં. પૂર્ણ વિરામ માટે પણ ઊભો દંડ (।) વપરાતો. કવિતામાં બે દંડ ( ।। ) પણ વપરાતા. સળંગ લખાતા લખાણમાં આ દંડને કારણે વાક્ય કયાં પૂરું થયું તે સમજાતું. પણ તે સિવાય બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાતાં નહીં. ૧૮૨૧માં સુરતમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં માત્ર એકવડા અને બેવડા દંડ જ વપરાયા છે, બીજાં કોઈ વિરામ ચિહ્નો વપરાયાં નથી.

ભારતની બીજી ભાષાઓની જેમ ગુજરાતીએ પણ ધીમે ધીમે અંગ્રેજીમાં વપરાતાં વિરામ ચિહ્નો  અપનાવ્યાં છે. હિંદીએ બીજાં બધા ચિહ્નો અપનાવ્યાં પણ પૂર્ણવિરામને માટે અધોરેખાબિંદુ(.)ને બદલે અગાઉનો દંડ વાપરવાનું ચાલુ રાખ્યું છે. ગુજરાતીમાં પણ શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુનું ચિહ્ન વપરાયું નથી. શબ્દોને છૂટા પાડવા માટે વપરાતા મધ્યરેખાબિંદુ સાથે તેની સેળભેળ થઇ જાય એ બીકે એમ થયું હશે. એટલે શરૂઆતમાં પૂર્ણવિરામ માટે અધોરેખાબિંદુને બદલે ફુદરડીની (*) નિશાની વપરાય છે. આ ફુદરડી અક્ષરના માપની જ રહેતી તેનાથી નાની નહીં અને તેની આકૃતિ અક્ષરોથી તરત જુદી પડે એવી હતી. પછી મધ્યરેખાબિંદુનો ઉપયોગ બંધ થયો એટલે સોળભેળની બીક રહી નહીં અને તેથી ફુદરડીને બદલે પૂર્ણવિરામને માટે (.)નું ચિહ્ન વપરાવા લાગ્યું. અંગ્રેજીમાં વપરાતાં બીજાં વિરામ ચિહ્નો તે પછી ધીમે ધીમે વપરાતાં થયાં. છેલ્લા કેટલાક દાયકાઓમાં અંગ્રેજી મુદ્રણની ગતિ, ખાસ કરીને અમેરિકામાં, બને તેટલાં ઓછાં વિરામ ચિહ્નો વાપરવા તરફની છે. પણ આપણે ૧૯મી સદીમાં બ્રિટિશ અંગ્રેજીમાંથી વિરામ ચિહ્નો અપનાવ્યાં ત્યારે મુદ્રણમાં તેમની જે બહુલતા હતી તેને જ આજ સુધી વળગી રહ્યાં છીએ.        

અંગ્રેજી મુદ્રણ જોઈને આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન લખતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ (આર્બિટ્રરીલી) પડાતા. પણ પછી ધીમેધીમે ભાવ, વિચાર કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદાં પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિનું માપ સાધારણ રીતે ગદ્ય લખાણના માપ કરતાં નાનું રાખવાનું – પંક્તિને ઇન્ડેન્ટ કરવાનું આપણે અપનાવ્યું. પંક્તિ જુદા જુદા માપની હોય તો તેમને આરંભે અથવા અંતે અલાઇન કરવાનું વલણ પણ અપનાવ્યું. બે પેરેગ્રાફની જેમ બે કડી વચ્ચે પણ વધુ જગ્યા-સ્પેસ-રાખવાનું શરૂ કર્યું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014 

Loading

સુચરિતાનું વીણાવાદન

દીપક મહેતા|Opinion - Literature|14 October 2014

(ગયા સોમવારે [06 અૉક્ટોબરે] મનુભાઈ પંચોળી દર્શકની નવલકથા ‘દીપનિર્વાણ’ની નાયિકા સુચરિતાની વાત રજૂ કરતી એકોક્તિનો પૂર્વાર્ધ રજૂ કર્યો હતો. આજે એનો ઉત્તરાર્ધ, જન્મશતાબ્દી ટાણે દર્શકને આદરાંજલિ સાથે. વીણાવાદિની યુવતીનું રાજા રવિ વર્માનું ચિત્ર અહીં કેવળ પ્રતીકાત્મક રીતે રજૂ કર્યું છે તેની નોંધ લેવા વિનંતી.)

હા, સુદત્ત બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ભસમ સૌ થઈ ગયું પછીથી. ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઈ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારિણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું : ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો : “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારિણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની ગઈ છે. તેં અષ્ટાદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તો ય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”

સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ જ મારી ભૂલ હતી. આજે મને થાય છે કે સુદત્ત જ્યારે પદ્મપાણિની મૂર્તિનું સર્જન કરી રહ્યો હતો ત્યારે જ મૂર્તિ અનવદ્ય થશે તો ય હું તને પરણવાની નથી એમ કહેવાની હિંમત હું કેમ ન કરી શકી? મહાકાશ્યપની પુત્રીમાં આટલી હિંમત ન હોય? પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઈ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. મેં ઘેનભરી અવસ્થામાં સુદત્તને વચન આપ્યું હતું એમ તો પિતાજી પણ સ્વીકારતા હતા. પણ તેમનું કહેવું હતું કે એક વાર વચન આપ્યું તો મારે તે પાળવું જ જોઈએ. મને ક્યારેક વિચાર આવે છે કે મારા વચનને ધાર્મિક પ્રતિજ્ઞા જેવું સ્વરૂપ પિતાજીએ ન આપ્યું હોત તો? સુદત્તને આપેલું વચન પૂરું ન કરવું પડે એટલા ખાતર મેં દીક્ષા લીધી. મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારિણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? એક વાર સુદત્તે મને કહેલું : ‘સુચરિતા, મેં તને આટલી દુચરિતા નહોતી ધારી.’ પણ મને લાગે છે કે માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. હા, મેં સુદત્તને આપેલું વચન ન પાળ્યું. હા, હું તેની બનવાને બદલે આનંદ તરફ ઢળી. હા, મેં દીક્ષાનો ત્યાગ કરી ફરીથી ગૃહસ્થ જીવન સ્વીકાર્યું. પણ આ બધું શું મને દુચરિતા ઠરાવી શકે એમ છે? એક સ્ત્રી તરીકે, એક વ્યક્તિ તરીકે મને મારી મરજી મુજબની પસંદગી કરવાનો હક્ક તો હોય ને? મને સુદત્ત ન બાંધી શકે તેમ પિતા મહાકશ્યપ પણ ન બાંધી શકે. મારા સિવાય બીજું કોઈ મને બાંધી ન શકે.

હા. આજે સિત્તેર વરસ પછી મનુદાદા અંગે એક-બે ફરિયાદ કરવાનું રોકી શકતી નથી. પહેલું તો, સુદત્તને મારી નાખવાની ખરેખર જરૂર હતી? તેને થયેલો પશ્ચાત્તાપ તો સાચા હૃદયનો હતો. પેલા જંગલી મૈનેન્દ્ર માટે કૃષ્ણાને શોધી લાવ્યા તેમ સુદત્ત માટે પણ કોઈ કલાભક્ત કન્યા કેમ શોધી ન લાવ્યા મનુદાદા? તો અમે ચારે પરસ્પરનાં મિત્રો બનીને નંદીગ્રામનું નવનિર્માણ કરવામાં લાગી ગયા ન હોત? આવી અટપટા પ્રસંગોની ઘટમાળમાંથી પસાર થયા પછી છેવટે આનંદ અને હું એકમેકનાં થઈ તો શક્યાં. પણ એક વાત કહું? જેમ કોઈ બાપ બાળકને પહેલાં સારી પેઠે માર મારે અને પછી તેને મીઠાઈ ખાવા આપે તેવું કંઈક મનુદાદાએ અમારી સાથે કર્યું એમ મને લાગે છે. આથી મીઠાઈ ખાતી વખતે પણ કોઈ કોઈ વાર અગાઉ ખાધેલી ધોલ યાદ આવે અને મીઠાઈ મોળી લાગે એવું કૈંક મને લાગે છે, ક્યારેક.

પણ અમારી વાતને મનુદાદાએ ‘દીપનિર્વાણ’ એવું નામ આપ્યું છે. નિર્વાણ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ, તો થાય છે ‘બુઝાઈ જવું.’ પ્રાચીન ભારતમાં પ્રગટેલો ગણતંત્ર રાજ્યનો એક દીપ બુઝાઈ ગયો તેની આ વાત. પણ બૌદ્ધ ધર્મની પરિભાષામાં ‘નિર્વાણ’ શબ્દનો અર્થ વધુ ગૂઢ અને ગહન છે. આ સંસારમાં દુઃખ શા માટે છે? કારણ રાગ, દ્વેષ, અને મોહના ત્રિવિધ તાપ આપણને બાળે છે. આ ત્રિવિધ તાપ જ્યારે બુઝાઈ જાય, શમી જાય, ત્યારે દુઃખનો અંત આવે છે, સંપૂર્ણ શાંતિ મળે છે, પરમ આનંદ મળે છે. આવી શાંતિ, આવો આનંદ, એ જ નિર્વાણ. માણસ માત્ર માટે એ છે અંતિમ પ્રાપ્તિ. એ પ્રાપ્ત કર્યા પછી બીજું કશું મેળવવાનું રહેતું નથી. મારા, આનંદના અને સુદત્તના જીવનમાંના ત્રિવિધ તાપ પણ અંતે બુઝાઈ ગયા છે. અમારા દુઃખનો અંત આવ્યો છે. સુદત્ત તો હવે રહ્યો નથી, પણ આનંદના અને મારા જીવનમાં સંપૂર્ણ શાંતિ છે. અને મારા જીવનમાં તો હવે પતિ રૂપે આનંદ પણ મળ્યો છે. એનું જ બીજું નામ છે નિર્વાણ. તમને થતું હશે : વીણા વગાડતાં વગાડતાં આ બધું ક્યાંથી, ક્યારે શીખી આ છોકરી? મહાકાશ્યપની પુત્રીને, આનંદની સહચરીને, આટલું તો આવડે જ ને?

મારા પિતા મહાકાશ્યપે અંતે યજ્ઞ કરતાં શરીર હોમ્યું હતું. અને હવે તો મનુદાદા પણ સદેહે આપણી વચ્ચે નથી. ત્યારે એ બંને વિષે ફરિયાદ કરવી એ મને ન શોભે. જે વિધિનિર્મિત હતું તે થયું. અને હા, ક્યારેક વિચારું છું ત્યારે મને થાય છે કે ગોવર્ધનરામ ત્રિપાઠીની કુમુદસુંદરી કરતાં, કનૈયાલાલ મુનશીની મંજરી કરતાં, પન્નાલાલ પટેલની જીવી કરતાં તો હું વધુ નસીબદાર નીવડી. ન મારે કુમુદની જેમ આનંદને બીજી સ્ત્રી સાથે પરણાવવો પડ્યો. ન મારે મંજરીની જેમ આનંદ વગર તરફડતાં જીવ કાઢવો પડ્યો. ન મારે જીવીની જેમ આનંદનો સાથ મેળવતાં પહેલાં ગાંડા થવું પડ્યું. વીણાના તારમાંથી કેવા સૂર કાઢવા તે વીણા પોતે નક્કી નથી કરી શકતી. એ નક્કી કરે છે તે તો તેનો બજવૈયો. અને મારા બજવૈયાએ મને એ ત્રણ સખીઓ જેટલું સહન કરવાની ફરજ તો નથી પાડી. તો  ચાલો, આનંદે મને પહેલી વાર જોઈ ત્યારે વીણા વગાડતી હતી તેમ આજે પણ હું વીણા વગાડવા લાગું. અને હા, મારું વીણા વાદન સાંભળતી વખતે આંખો બંધ કરી દેજો. મને નહિ, મારા માંહ્યલાને જોશો ત્યારે જ મને સાચી રીતે જાણી શકશો.

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 13 અૉક્ટોબર 2014

Loading

નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ

નંદિતા ઠાકોર|Opinion - Opinion|13 October 2014

મારી હથેળીમાં સમાય એવડો નાનકડો હતો એ, ને તો ય અને અડતાં, ઊંચકતા મને ફાવતું નહીં. સહેજ ડર પણ લાગતો. અણગમો નહિ, પણ ગમો ય નહીં. બસ એક નિર્વિકાર ભાવ.
પણ દૂરથી હું એને જોતી. મારી દીકરી એને રમાડતી તે ય જોતી. ત્યાં મને અચાનક ખ્યાલ આવ્યો કે એના નાનકડા પિંજરામાંથી એ પણ મને જુએ છે. મોટી મોટી આંખોમાં ક્યારેક વિસ્મય, ક્યારેક હું ના સમજી શકું એવું કૈક,ને ક્યારેક ખુશી, આનંદ જેવું ય કૈંક. કોઈવાર મને થતું કે આ ભાવવૈવિધ્ય ખરે જ છે કે પછી એ મારા જ મનનાં સંચલનો છે? પણ ધીરે ધીરે એક પરિચય કેળવાતો ગયો. હું એને કોઈવાર બોલાવતી, એની નોંધ લેતી અને એ એની રીતે, એની ભાષામાં આ નોંધ લેવાયાનો પડઘો પાડતો.

વ્યોમા હવે ક્યારેક એને બહાર કાઢીને છૂટો મૂકતી અને એ ઘર આખામાં રખડીને કોક મનપસંદ ખૂણો શોધી બેસી જતો. એક દિવસ બહાર કાઢ્યા પછી એ સીધો રસોડામાં આવ્યો અને હું ઊભી રહીને કામ કરતી હતી ત્યાં મારા પગ પાસે ગોઠવાઈને બેસી ગયો! એણે આ પહેલ કરી પછી પણ મને એને આવકારતાં સહેજ વાર લાગતી પણ મારો એની સાથેનો વાર્તાલાપ વધ્યો, એની આદતો, જરૂરતો સમજાવા લાગ્યા.
હવે તો હું જ્યાં હોઉં ત્યાં મારા ચરણોમાં જ સ્થાન ગ્રહણ કરી લેવું એવું એણે નક્કી જ કરી લીધું! થોડા દિવસમાં તો મારી બાજુમાં બેસવું, કે હું સંગીત શીખવતી હોઉં ત્યારે એકધ્યાન થઈ શાંતિથી સાંભળવું એ શરૂ થયું. મારો એના તરફનો ગમો વધવા લાગ્યો. વ્યોમાએ પાડેલું 'બબા' નામ મને ગમતું નહીં એટલે હું એને જાતજાતના નામે બોલાવતી અને 'ચિમચિમ' નામ પડ્યા પછી ય આખરે ચીમન કહેતી થઈ તે ય એણે સ્વીકાર્યું..

અને પછી એક વાર ગુડનાઈટ કહેવા આવેલી દીકરીના હાથમાંથી ધરાર કૂદકો મારી એ બેસી ગયો મારા ખોળામાં અને મારી સામું જોઈ રહ્યો – જાણે કહેતો હોય, 'તું એકલી નાનુને જ વ્હાલ કેમ કરે છે? મને પણ કર! ' મેં એના માથા પર, શરીર પર હળવેથી હાથ ફેરવ્યો અને એ તો આંખ બંધ કરી, શરીર રીલેક્સ કરી ગોઠવાઈ ગયો! પછી તો આ રૂટીન થતું ગયું. મારો પગરવ ઓળખીને હું નજીક આવું તો એની ભાષામાં મને બોલાવવી, પાણી કે ખાવાનું ખલાસ થયું હોય તો અવાજ ઊંચો કરી ફરિયાદ કરવી, અને રાત્રે એના માથે હાથ ફેરવી બે વાત ન કરું ત્યાં સુધી જવું જ નહિ એ પ્રથા એણે શરૂ કરી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે એના રૂટીનમાં ગોઠવાઈ ગઈ! એની હાજરી, અવાજ, આદતો, જરૂરતો, તકલીફો એ બધામાં હું ક્યારે ભળી ગઈ એ જ સમજાયું નહિ! એકવાર મુંબઈથી દીકરીઓ સાથે skype પર વાત કરતાં મને જોઈ, સાંભળી એણે લેપટોપના સ્ક્રીન પર કૂદકો માર્યો, મારી પાસે આવવા, અને મારા રહ્યા સહ્યા બંધ પણ છૂટી ગયા .. સહજ મમતાની આડે હવે કશું ય રહ્યું નહીં!

આઠમી ઓક્ટોબરે સવારે એણે સાડા પાંચ વર્ષ અમારી પાસે રહી કાયમી વિદાય લીધી – એની આગલી સાંજે પણ એની નાદુરસ્ત તબિયતે મારા ખોળામાં જ એ શાંતિથી થોડું ઊંઘ્યો હતો. 
એને વિદાય આપવાનું વ્યોમા માટે તો આકરું થયું જ,પણ મારા માટે પણ – કારણ કે એણે જ તો પોતાને સાવ સહજતાથી મને સમર્પી દઈ મને નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ કરતાં શીખવાડ્યું!

https://www.facebook.com/profile.php?id=1474836073&fref=nf

Loading

...102030...3,9183,9193,9203,921...3,9303,9403,950...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved