Opinion Magazine
Number of visits: 9695337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પુસ્તકોનાં વાર્ષિક સરવૈયાંની પરંપરા

દીપક મહેતા|Opinion - Literature|27 October 2014

(વરસ પૂરું થાય એટલે વેપારીઓ નફા-તોટાનો હિસાબ કરે, વરસનું સરવૈયું માંડે. શું શું જમા ખાતે અને શું શું ઉધાર ખાતે, એ નક્કી કરે. એ તો વાત થઈ ચોપડાઓની. પણ ચોપડીઓનું શું? એનું વાર્ષિક સરવૈયું કરવાની આપણે દરકાર કરીએ છીએ? વરસમાં કેટલાં, કેવાં, કોનાં, કયાં પુસ્તકો પ્રગટ થયાં તેનો હિસાબ માંડીએ છીએ? પુસ્તકોના વાર્ષિક સરવૈયાની શરૂઆત છેક ૧૯૦૯માં આપણે ત્યાં થઈ હતી, અને તે પછી પણ વખતોવખત આ પ્રવૃત્તિ થતી રહી છે. આજે અહીં એવા પ્રયત્નો વિષે થોડીક વાત કરી છે.)

“આવો લેખ લખવાનાં સાધનો મેળવવાની ઘણી મુશ્કેલી છે. વખતોવખત થતી સાહિત્યપ્રસિદ્ધિની સંપૂર્ણ માહિતી આપે એવું મંડળ યા પુસ્તકાલય યા માસિક ગુજરાતમાં નથી …. મુદ્રાયન્ત્રોના માલિકોને, ગ્રંથ પ્રસારક મંડળોના મંત્રીઓને અને ગ્રંથ વિક્રેતાઓને પત્રો લખ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર ચારના જવાબ આવ્યા …. એટલે આ લેખ સર્વતઃ સંપૂર્ણ લખી ન શકાયો હોય તો દરગુજર કરવા વિનંતી છે.”

આ શબ્દો છે સુરત જેમની જન્મભૂમિ હતું, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના જેમને આભારી છે તે રણજિતરામ વાવાભાઈ મહેતાના. આ શબ્દો લખાયા હતા ઇ.સ. ૧૯૦૯માં. પણ રણજિતરામભાઈએ આજથી ૧૦૩ વર્ષ પહેલાં લખેલા આ શબ્દો નીચે સહી કરવા માટે આજનો કોઈ પણ આભાસી સ્વેચ્છાએ તૈયાર થશે. લાગે છે કે આટલાં વર્ષોમાં કશું જ બદલાયું નથી. સાધનોની મુશ્કેલી આજે પણ એટલી જ છે, બલકે વધી છે. વર્ષ દરમ્યાન પ્રગટ થતાં બધાં જ પુસ્તકોની માહિતી મળી રહે એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવાની અને તેને ધગશ અને કુશળતાથી નિયમિત રીતે ચલાવવાની જરૂર આજે પણ આપણને વર્તાતી નથી. એવી માહિતી મેળવવા પત્રો લખીએ તો આજે ચાર જવાબ પણ કદાચ ન મળે.

ક્યારે, શા માટે, લખ્યા હતા રણજિતરામભાઈએ આ શબ્દો? ‘જ્ઞાનસુધા’ માસિકના એપ્રિલ ૧૯૦૯ના અંકમાં પ્રગટ થયેલા ‘ઇસુનું વર્ષ ૧૯૦૮’ નામના ખાસ્સા લાંબા લેખના આરંભે તેમણે આ શબ્દો લખ્યા હતા. આજે જે કામ કરવા માટે ભાગ્યે જ કોઈ તૈયાર થાય તેવું કામ વખતે રણજિતરામભાઈએ એકલે હાથે કર્યું હતું – ૧૯૦૮ના વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોનું સરવૈયું રજૂ કર્યું હતું. અને તેમાં તેમણે માત્ર ‘સાહિત્ય’નાં પુસ્તકોની જ વાત નહોતી કરી. ધર્મ, ઇતિહાસ, સમાજ, રાજકારણ, કેળવણી, વગેરે વિશેનાં પુસ્તકોની પણ વાત કરી હતી. પણ માત્ર પુસ્તકોની જ વાત નહોતી કરી. વર્ષભરનાં સામયિકો અને અખબારોની વાત પણ કરી હતી. પણ માત્ર મુદ્રિત શબ્દની જ વાત નહોતી કરી. ધર્મ, સમાજ, રાજકારણ, કેળવણી, જુદી જુદી જ્ઞાતિઓ, વગેરેની સંસ્થાઓની અને તેમની પ્રવૃત્તિઓની પણ વાત કરી હતી. કારણ? કારણ એમણે જ કહ્યું તે આ પ્રમાણે હતું : “જેવું જીવન તેવું સાહિત્ય, જીવનમાં વહેતાં બળોનો પ્રભાવ સાહિત્યમાં અંકાય છે. એટલે એ બળો વિશે કંઇક જાણવું આવશ્યક છે …. ધર્મ, સંસાર, રાજય આદિ પરત્વે થતી પ્રક્ષોભના – મંથનના પડઘા સાહિત્યમાં સંભળાય છે યા તો તેમનો પટ સાહિત્યને બેસે છે.”

‘જ્ઞાનસુધા’ પછી બીજો પ્રયત્ન કર્યો વિજયરાય વૈદ્યે, તેમના ‘કૌમુદી’ ત્રૈમાસિકમાં. હકીકતમાં તેઓ તો વાર્ષિક કરતાં પણ આગળ વધીને ત્રિમાસિક સરવૈયું રજૂ કરવા મથી રહ્યા હતા. ૧૯૨૪માં પ્રગટ થયેલા ‘કૌમુદી’ના પહેલા જ અંકથી તેમણે ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’ શીર્ષક નીચે પુસ્તકોનુ સરવૈયું પ્રગટ કરવાનું શરૂ કરેલું. વિલક્ષણ અને વિચક્ષણ વિવેચક વિજયરાય ચીલાચાલુ રીતે તો આવાં કામ કરે જ શાના? પહેલા અંકમાં આગલા ત્રણ મહિનામાં પ્રગટ થયેલાં પુસ્તકો વિશે લંબાણથી લખેલું. તો બીજા અંકમાં ‘૧૯૮૦નું વાઙમય’ નામનો લાંબો લેખ એક મિત્રને પત્ર રૂપે લખેલો. તેની શરૂઅતમાં તેમણે મિત્રને ઉદ્દેશીને લખેલું: “ગઈ પચ્ચીસીનું યુરોપી સાહિત્ય તમે ઘણું વાંચ્યું છે પણ આજના અગ્રણી ગુજરાતી લેખકોને તો સાભિમાન ઉવેખવામાં જ મહત્તા ને શોભા માની છે. નવાં નવાં પુસ્તકો કેવાં ને કેટલાં બહાર પડે છે તેની અધૂરી જાણ પણ તમને નથી. તમે કોઈ પણ માસિક નિયમિતપણે વાંચીને આજના લેખકવર્ગના બલાબલનો ક્યાસ કાઢતા નથી.” આજે પણ આવા ‘મિત્રો’ આપણી વચ્ચે ક્યાં નથી? એ જ અંકમાં ‘સમકાલીન સાહિત્યપ્રવાહ’માં ૧૯૨૪ના ‘ત્રીજા ચરણનું વાઙમય’ની વિસ્તૃત સમાલોચના તો આપી જ છે. પણ તેમણે તેમાં માત્ર પુસ્તકોનાં લખાણની જ વાત નથી કરી. રૂપરંગને આધારે પુસ્તકોને પદ્મિની, હસ્તીની, ચિત્રીણી, અને શંખિની, એવા ચાર વિભાગોમાં વહેંચ્યાં છે અને દરેક પુસ્તકને પોતે અમુક વર્ગમાં શા માટે મૂક્યું છે તે સમજાવવા પુસ્તકોનાં રૂપરંગની ચર્ચા કરી છે. જો કે વાર્ષિક સમીક્ષાનું આ કામ ‘કૌમુદી’નાં પહેલાં બે વર્ષ સુધી જ ચાલુ રહ્યું હતું.

‘કૌમુદી’ પછી વાર્ષિક સમીક્ષાનો પ્રયત્ન ફરી એક વાર ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા) તરફથી થયો. ૧૯૩૦માં ‘ગ્રંથ અને ગ્રંથકાર’નો પહેલો ભાગ પ્રગટ થયો તેમાં ‘ગ્રંથકાર ચરિત્રાવળી’ની સાથે ‘સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન’ નામથી સરવૈયું રજૂ થયું હતું. બીજું એક કરવા જેવું કામ સાથોસાથ થયું તે એ વર્ષમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત યાદી પ્રગટ કરવાનું. આખું પુસ્તક ‘તૈયાર કરનાર’ તરીકે જેમનું નામ છપાયું છે તે હીરાલાલ પારેખ જ તેના કર્તા હતા. ૧૯૩૮ સુધી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નું પ્રકાશન દર વર્ષે નિયમિત રીતે થતું રહ્યું અને એ આઠે ભાગમાં પુસ્તકોની વર્ગીકૃત યાદી છપાતી રહી. જો કે કેટલાક ભાગમાં વાર્ષિક ગ્રંથસમીક્ષા જોવા મળતી નથી. ત્યાર બાદ ૧૯૪૪માં પ્રગટ થયેલા નવમા ભાગમાં ‘પાંચ વર્ષના સાહિત્ય ઉપર દૃષ્ટિપાત’ નામનો સુદીર્ઘ લેખ છે, પણ તેના કર્તાનો નિર્દેશ એ પુસ્તકમાં ક્યાં ય નથી. તે પછી ૧૦મો ભાગ પ્રગટ થાય છે છેક ૧૯૫૨માં. તેમાં ૧૦૦ પાનાંનો પહેલો વિભાગ છે ‘ગયા દાયકાના વાઙમય પર દૃષ્ટિપાત.’ ૧૯૬૬માં પ્રગટ થયેલા ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના ૧૧મા અને છેલ્લા ભાગમાં ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સાહિત્યનું પ્રવાહ દર્શન ૧૧૮ પાનાંમાં રજૂ થયું છે.

‘ગ્રંથ અને ગ્રંથકાર’નો ૮મો ભાગ ૧૯૩૭માં પ્રગટ થયો તે જ વર્ષે ગુજરાત સાહિત્ય સભાએ દર વર્ષે ‘ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી’ના એક ભાગ રૂપે ‘ગ્રંથસ્થ વાઙમય’ પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું. વાર્ષિક પુસ્તક સમીક્ષાનો સૌથી વધુ વ્યવસ્થિત અને સાતત્યભર્યો પ્રયત્ન પણ ગુજરાત સાહિત્ય સભાએ જ કર્યો. ૧૯૮૩ સુધી – પૂરાં ૪૬ વર્ષ સુધી – તેણે આ કામ કર્યું. શરૂઆતનાં વર્ષોમાં આપણા ઘણા અગ્રણી વિવેચકોને તેણે આ કામ સોપ્યું. ડોલરરાય માંકડ, અનંતરાય રાવળ, મંજુલાલ મજમુદાર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જેવાનો સહકાર શરૂઅતાનાં વર્ષોમાં તેને મળ્યો. પણ પછી ધીમે ધીમે વિવેચકોનો ઉત્સાહ ઓસરતો ગયો. પણ ત્યારે હતોત્સાહ થયા વગર પિતાને પગલે ચાલીને મધુસૂદન હીરાલાલ પારેખે કેટલાંક વર્ષો એ જવાબદારી એકલે હાથે પાર પાડી. પણ પછી આ જવાબદારી ઉપાડી લે એવી વ્યક્તિઓ ન મળતાં ૧૯૮૩ પછી ‘ગ્રંથસ્થ વાઙમય’ની આ પ્રવૃત્તિ બંધ પડી.

ગુજરાત વિદ્યા સભાએ શરૂ કરેલું કામ ગુજરાત સાહિત્ય સભાએ ઉપાડી લીધું તેમ ગુજરાત સાહિત્ય સભાનું કામ ગુજરાતી સાહિત્ય પરિષદે તેનાં જ્ઞાનસત્રોમાંની ‘સરવૈયું’ની બેઠકો દ્વારા ઉપાડી લીધું. અલબત્ત, જે કામ રણજિતરામ મહેતા, હીરાલાલ પારેખ, કે મધુસૂદન પારેખ એકલે હાથે કરતા એ કામ માટે ઉત્તરોત્તર વધુ ને વધુ મોટી વિવેચકોની ટીમ મેદાનમાં ઉતારવી પડે છે. પણ આ બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોને પ્રગટ કરવા અંગે આટલાં વર્ષોમાં કોઈ કાયમી અને નિયમિત વ્યવસ્થા ઊભી કરી શકાઈ નથી. ક્યારેક બધાં વક્તવ્યો પરિષદના મુખપત્ર ‘પરબ’માં છપાય છે, ક્યારેક અમુક થોડાં જ છપાય છે, ક્યારેક એક પણ નથી છપાતું. કેટલાક સમીક્ષકો પોતાનું વક્તવ્ય અન્ય કોઈ સામયિકમાં છપાવવાની વ્યવસ્થા કરી લે છે, કેટલાક નથી કરતા તેમનાં વક્તવ્યો બોલાયા પછી હવામાં ઊડી જાય છે. આવી સ્થિતિને કારણે સરવૈયાની પ્રવૃત્તિ ભવિષ્યના અભ્યાસીઓ માટે બહુ ઉપયોગી બની ન શકે તેમ બને. પરિષદે સરવૈયાની બેઠકોમાં રજૂ થતાં વક્તવ્યોના નિયમિત પ્રકાશનની વ્યવસ્થા કરવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ.

વાર્ષિક સરવૈયું રજૂ કરવા માટે સૌથી પહેલાં તો આપની પાસે ભરોસાપાત્ર રો ડેટા હોવો જોઈએ. એ માટે દર વર્ષે પ્રગટ થયેલાં પુસ્તકોની સૂચિ તૈયાર કરી બને તેટલી ઝડપે પ્રગટ કરવી જોઈએ. એમાં દરેક પુસ્તક અંગેની વિગતો પુસ્તક ચકાસીને જ મૂકવી જોઈએ. આપણે ત્યાં અવારનવાર વાર્ષિક પુસ્તક સૂચિના પ્રયત્નો થતા રહે છે ખરા, પણ બે-ચાર વર્ષ ચાલીને બંધ પડે છે. પછી ફરી બે ચાર વર્ષે બીજા કોઈને શૂર ચડે છે અને તે પોતાની રીતે પ્રયત્ન કરે છે, પણ તે ય બે-ચાર વર્ષ માટે. સાતત્ય ન હોય તો આવી સૂચિની ઉપયોગીતા ઘણી ઘટી જાય છે. હકીકતમાં આવી સૂચિઓ છપાવીને પ્રગટ કરવાનો મોહ જ હવે જતો કરવા જેવો છે. ઇન્ટરનેટની મદદથી સૌ કોઈ તેનો ઉપયોગ કરી શકે તેવી રીતે કોઈ સાહિત્યિક સંસ્થાની વેબસાઈટ પર મૂકી દેવી જોઈએ. આમ કરવાથી ખર્ચનો અને મહેનતનો ઘણો મોટો ભાગ બચાવી શકાય. પણ મુશ્કેલી એ છે કે પાયાનાં કામો કરવામાં આપણી સંસ્થાઓને બહુ ઓછો રસ પડે છે. અને સાહિત્ય અને ભાષા સાથે સંકળાયેલા લોકોમાંના મોટા ભાગનાને આવાં પાયાનાં સાધનોની ખોટ પણ વરતાતી નથી. વાર્ષિક, દ્વિવાર્ષિ કે દસ વાર્ષિક સરવૈયાનું કામ સોંપવામાં આવે એટલે પોતાના ઓળખીતા પાળખીતા કે પહોંચતા પામતા થોડા લેખકોની વાહ વાહ કરવી, અમિત્રોને ઉતારી પાડવા કે તેમની સદંતર અવગણના કરવી એ તો સરવૈયાનો રાજમાર્ગ છે એમ આપણા ઘણા સમીક્ષકો, અધ્યાપકો, પત્રકારો માને છે. સરવૈયું બીજાને નહિ, પણ પોતાને કઈ રીતે ઉપયોગી થાય તેના પર તેઓ વધુ ધ્યાન આપે છે. પણ આ કાંઈ આજકાલની જ વાત નથી. ૧૯૦૯માં પણ રણજિતરામભાઈએ કહ્યું હતું : “આપણી પાસે પૈસો છે, યૌવન છે, બુદ્ધિ છે, ફક્ત તેનો સદુપયોગ કરવાની જરૂર છે.”

આવો સદુપયોગ ક્યારે થશે એ તો કોણ જાણે?

XXX XXX XXX

સૌજન્ય : ‘ફોકસ’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 27 ઓક્ટોબર 2014

Loading

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે!

સનત મહેતા|Opinion - Opinion|24 October 2014

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે !

ત્રીજો પ્રવાહ : ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા

બધા એ વાતનો સ્વીકાર છે કે, ભારત પાસે વિશ્વના, ચીન, અમેરિકા કે જર્મની પાસે નથી, તે છે. વિશાળ યુવાન જનસંખ્યા. ચીનની જનસંખ્યા ભારત કરતાં વધુ છે, પણ ત્યાંની જનતાની ઉંમર સરેરાશ ઊંચી છે. જ્યારે ભારત પાસે વિશ્વના સૌથી વધુ યુવાન જનતા છે. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં Demograhic Divdend ‘વસ્તીજન્ય ફાયદો’ કહેવાય છે. કુદરતે ચાર હાથે આપેલા આ ફાયદાનો લાભ લેવાનો સહુથી ઉત્તમ માર્ગ છે – પૂરતી રોજગારી ઊભી કરવાનો. ઉદ્યોગો આવશે તો રોજગારી લાવશે.

ઉદ્યોગો લાવવા વિશાળ મૂડી જોઈશે. ભારત હજુ વિકાસશીલ દેશ છે એટલે મૂડી રોકાણ ઊભુ કરવું પડશે. આ માટે ભારતના વડાપ્રધાન જાપાન જઈ આવ્યા. હમણાં જ વધુમાં જાહેર કરાયું કે જાપાન ગુજરાતને મેટ્રો માટે નાણાં આપશે. પણ સવાલ એફ.ડી.આઈ.થી નથી ઉકેલતો. એ તો ઉકલે કેટલી વધુ રોજગારી ઊભી થઈ છે એનાથી! આ વસ્તીજન્ય ફાયદો મેળવવા એવું રોકાણ કરવું પડે, જે રોજગારીમાં ઝડપી વધારો કરી શકે!

એટલે કે ઓછા મૂડી રોકાણ છતાં વધુ રોજગારી. હવે નજર નાંખીએ, આપણી રોજીની જરૂરિયાત પર. આધારભૂત ગણતરી જણાવે છે કે, 2012-17 વચ્ચે ભારતે દર વરસે ખેતી સિવાયના ક્ષેત્રમાં 170 લાખ રોજગારી પેદા કરવી પડશે. એટલે કે પાંચ વરસમાં (2012-17) વચ્ચે નવી સાડા આઠ કરોડ રોજગારી ઊભી કરવી પડે! આ વધારાને રોકી કે મોડો કરી શકાતો નથી. હવે, આપણે હકીકત પણ સમજી લઈએ. ગુજરાતમાં અખબારોમાં બે ઉદ્યોગો વિષે હમણાં સમાચારો ચમક્યા છે.બેચરાજી પાસે વિઠ્ઠલાપુર નજીક મુખ્યપ્રધાનશ્રીએ વરસે બાર લાખ સ્કૂટરનું ઉત્પાદન કરનારા હોન્ડા કંપનીના પ્લાન્ટનું ખાતમુર્હૂત કર્યું છે.

જેમાં રૂ. 1,100 કરોડનું રોકાણ થનાર છે. પરિણામે 3,000 વ્યક્તિને સીધી રોજગારી મળશે. એનો અર્થ એ થયો કે રૂ. એક કરોડ આઠ લાખના રોકાણે ત્રણ વ્યક્તિને રોજી મળશે. ગુજરાતના મુખ્ય પ્રધાને આજ સમયમાં ઝઘડિયામાં અમેરિકાની અબોટ કંપનીના ગ્રીન ફીલ ન્યુટ્રીશન મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું છે. આ પ્લાન્ટ પણ રૂ. 450 કરોડના રોકાણથી 400 વ્યક્તિને રોજગારી આપશે એટલે કે રૂ. 1.25 કરોડના રોકાણે એક વ્યક્તિને રોજી મળશે. હવે ભારતને દર વરસે 120 લાખને રોજી આપવી હોય તો રૂ. 1.25 કરોડના હિસાબે રૂ. 150 લાખ કરોડ જોઈએ.

નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ ટેકનોલોજી એવી આવી છે જેણે વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિમાં મુખ્ય હિસ્સો આપ્યો છે. પહેલી ટેકનોલોજી દુનિયામાં 18મી સદીના અંતમાં આવી જે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ તરીકે જાણીતી છે. જ્યારે વરાળથી ચાલતા યંત્રો અમલમાં આવ્યા, ત્યાર પછીના 100 વરસ પછી બીજી ટેકનોલોજી વીજળીની આવી. જ્યારે ઘોડાથી દોડાવાતા વાહનો ગાયબ થઈ ગયા. હાથશાળોનો યુગ સમાપ્ત થઈ ગયો.

આ બે ટેકનોલોજીના કારણે નવાં આર્થિક માળખાં, કારખાનાં અમલમાં આવ્યાં. ટેકનોલોજીના આ બે પ્રવાહથી સમાજમાં રોજગારીના પ્રકારમાં અનિચ્છનીય ફેરફાર ન થયા. પણ વિશ્વમાં વીજળીના શોધક એડિસન પછી ત્રીજો પ્રવાહ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત, એની ચીપ આધારિત સંદેશા વ્યવહારે, વિશ્વને બદલાવવાનું શરૂ કર્યું છે. 1950 સુધીમાં ઈન્ટીગ્રેટેડ સર્કિટ આવી પછી સ્માર્ટ ફોન આવ્યા અને પછી તો સુપર કમ્પ્યૂટરની શક્તિને વટાવી શકે એવી પ્રોસેસિંગ શક્તિ આવી.

તાજેતરમાં એરીક બ્રિન્જાલ્ફસન અને એન્ડ્રયુ મેકફીના પુસ્તક ‘Race against Machine’ જણાવે છે કે, આજે કમ્પ્યૂટરની અસરકારકતા 43 ગણી વધી ગઈ છે. હવે તો અશક્ય મનાતા ક્ષેત્રોમાં વિજ્ઞાન સફળ થવા માંડ્યું છે. હવે ડ્રાઈવર વગરની મોટરકાર અને પાયલોટ વગરના ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. પહેલા જે ભાષાઓ બોલાવી કે સમજવી અઘરી ગણાતી હતી, એપલે એવી શોધ સફળ બનાવી છે કે ઈ-મેઈલ કોઈ પણ ભાષાનું ડિકટેશન લઈ શકે. ગુગલની ભાષાંતર શક્તિ ચોક્કસ અને પલકવારમાં ટાઈપ કરી તમારા હાથમાં એની પ્રત મૂકી શકે છે.

આ ત્રીજો પ્રવાહ તો વિકાસ, રોજગારીને નામશેષ કરી રહ્યો છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ માને છે કે, લગભગ 700 પ્રકારના ધંધા રોજગારને અસર કરશે. ટૂંકમાં વિકાસશીલ દેશો આ ત્રીજા રસ્તે આગળ વધશે તો મૂડીરોકાણ વધુ અને રોજગારીક્રમ એ પ્રક્રિયા ભયજનક સ્તરે પહોંચી જશે. એટલે ભારતે આજના વિશ્વમાં વિકાસ સાધવો હશે, કરોડોને રાતોરાત રોજગારી આપવી હોય તો મૂડીરોકાણ અને આવી રહેલી ટેકનોલોજીની પસંદગી ભારતની જરૂર મુજબની હોવી જોઈએ.

જે પહેલી અને બીજી ટેકનોલોજીથી સમૃદ્ધ બની ગયા છે એનું આંખમીંચી અનુકરણ કરીશું તો અબજો ખર્વોના મૂડી રોકાણ પછી પણ ટેકનોલોજીની આંધળી પસંદગી બરબાદી લાવશે. ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા. વિશ્વમાં આ ટેકનિકક્રાંતિના ત્રીજા પ્રવાહની વિશદ્દ ચર્ચા અને વિચારણા ચાલી રહી છે ત્યારે ભારતે સમજવું પડશે કે, વરાળ કે વીજળીએ ઘોડાનો પર્યાય આપ્યો હતો. હવે ટેકનોલોજીનો આ ત્રીજો પ્રવાહ માણસનો પર્યાય વિકસાવી રહ્યો છે ત્યારે વિચારીને આગળ વધીએ.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct. 23, 2014

Loading

જન્મ શતાબ્દી : ઉત્તમ આચાર્ય, સક્રિય સાક્ષર યશવંત શુક્લ

સંજય શ્રીપાદ ભાવે|Profile|24 October 2014

અમદાવાદમાં આશ્રમ રોડ પર નહેરુ પુલ પાસે શ્રી હરિવલ્લભદાસ કાળિદાસ (એચ.કે.) જૂથની કૉલેજોનો પરિસર છે. પાંચ માળની વિશાળ ઇમારત, માટી સાથેનું મેદાન, ભોંયતળિયે નાટ્યગૃહ, તેની પછવાડે નદી કિનારે ઇતિહાસ સંશોધન કેન્દ્ર છે. આ પરિસર જોતાં લાગે છે કે ઇમારત કભી બુલંદ થી !  શ્રી એચ.કે. આર્ટસ્ કૉલેજની એક જમાનાની બુલંદી પાછળ તેના સ્થાપક આચાર્ય યશવંત શુક્લની કાબેલિયત હતી. તેમનું આ જન્મશતાબ્દી વર્ષ છે.

કૉલેજની માતૃસંસ્થા ગુજરાત વિદ્યાસભાએ તેના આ દીર્ઘકાલીન કર્ણધારના સ્મરણમાં પ્રસિદ્ધ કરેલા ‘યશવંત શુક્લ : બહુમુખી પ્રતિભા’ (2000) સંચયના છત્રીસ લેખકોએ યશવંતભાઈને ‘વિદ્યાક્ષેત્રે કબીરવડ’, ‘શૈક્ષણિક વિશ્વના મહાજન’, ‘ખરા ઇલ્મી, ખરા શૂરા’, ‘વિદ્યાપુરુષ’, ‘સંસ્કારપુરુષ’, ‘વાત્સલ્યમૂર્તિ’, ‘ખરેખરા મિત્ર’ જેવા શીર્ષક સાથેના લેખોથી અંજલિ આપી છે. અલબત્ત તેમનું સહુથી વધુ ઉપસી આવતું પાસું આચાર્યપદનું છે. આજના માહોલમાં તે ઍકેડેમિક અને ઍડેમિનિસ્ટ્રેટિવ રીતે પ્રસ્તુત પણ છે.

યશવંતભાઈના વાસ્તવવાદી શિક્ષણદર્શનની વ્યાપકતાના ઘણા દાખલા આપી શકાય. વર્ષો પહેલાં તેમણે માનવવિદ્યાશાખામાં અનેક વિષયો ભણાવવાનું શરૂ કર્યું. એટલે આજે પણ એચ.કે.માં તત્ત્વજ્ઞાન, ભારતીય સંસ્કૃિત, ભૂગોળ અને રાજ્યશાસ્ત્ર વિષયો છે જે ભાગ્યે બીજી કોઈ કૉલેજમાં હોય. પત્રકારત્વ અને નાટ્યવિદ્યાના અભ્યાસક્રમો શરૂ કરવામાં પણ યશવંતભાઈ ગુજરાતમાં અગ્રસ્થાને હતા. રાષ્ટ્રીય સેવા યોજનાની પ્રવૃત્તિ બહુ વહેલી શરૂ કરનાર પણ આ કૉલેજ હતી. વળી તે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટેની બૌદ્ધિક અને સાંસ્કૃિતક પ્રવૃત્તિનું કેન્દ્ર પણ હતી. તેમાં તેનું સ્થાન યશવંતભાઈના ઉત્તરાધિકારી ચીનુભાઈ નાયકે દોઢ દાયકા સુધી જાળવી રાખ્યું. વિદગ્ધ વાચક યશવંતભાઈના વારસાનો કૉલેજનો અત્યારનો એકમાત્ર નક્કર ઘટક એટલે બે માળનું સમૃદ્ધ અને સુવ્યવસ્થિત ગ્રંથાલય.

કૉલેજમાં અધ્યાપકો નિયમિત સમયસર આવે ત્યારથી લઈને તે વિદ્યાકીય સજ્જતામાં સમયની સાથે રહે તે માટેની લગભગ તમામ તકેદારીની શરૂઆત યશવંતભાઈએ પોતાનાં આચરણ, અભ્યાસ અને અધ્યાપનથી કરી. વિદ્યાર્થીશક્તિના ઉછાળાના સિત્તેરના દાયકામાં પણ તે વિદ્યાર્થીઓને શિસ્ત અને વિધાયકતામાં રાખી શક્યા તેનું કારણ અધ્યાપકોમાં તેમણે આ વૃત્તિઓનું સિંચન કર્યું. ધોરણસરનું વર્ગશિક્ષણ, ચોકસાઈભર્યું પરીક્ષાકાર્ય, સ્વાધ્યાય-વાચન-પ્રવચન, સામાજિક સહભાગિતા જેવી ઉચ્ચ શિક્ષણમાં આજે ઘટી ગયેલી બાબતો એક સમયે એચ.કે.ની ખાસિયતો હતી.  ગુજરાતના સંખ્યાબંધ સાક્ષરો એચ.કે. કૉલેજમાં અધ્યાપકો તરીકે અથવા વિદ્યાસભામાં લેખક-સંશોધક તરીકે જોડાયેલા હતા.

અધ્યાપકોની વિદ્વત્તા માટેના પૂરા આદર સાથે યશવંતભાઈ તેમને કૉલેજમાં કર્તવ્યનિષ્ઠ રાખતા. તેના પરિણામે વિદ્યાર્થી અને વ્યાપક રીતે સમાજને ઘણો લાભ થયો. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા એચ.કે.ના પૂર્વ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની યાદી બહુ લાંબી છે. વિદ્યાર્થીઓ માટે બહારથી કડક પણ મનથી હિતચિંતક યશવંતભાઈના મદદ-માર્ગદર્શન-પ્રોત્સાહનથી સફળતા મેળવનારાના સંભારણાં વાંચવા મળે છે. તે જ રીતે કૉલેજની સમસ્યાઓને મક્કમ નિર્ણયથી ઉકેલી હોવાના દાખલા પણ પુસ્તકમાં છે. જો કે યશવંતભાઈ ‘સકલપુરુષ’ ન હતા. તેમના ભાગે એરર્સ ઑફ કમિશન ઍન્ડ ઓમિશન, અર્થાત્ સિદ્ધાન્તને જોડવા-છોડવાની, કેટલીક મર્યાદાઓ હતી. કહેવા ને કરવા વચ્ચેના ભેદના દેખીતા પ્રસંગો પણ હતા. પણ તેના કરતાં સમાજજીવનનું તેમનું એકંદર પ્રદાન વધુ મહત્ત્વનું છે.

ગુજરાતી સાહિત્યના પૂર્વ અધ્યક્ષ સાક્ષર યશવંત શુક્લ તેમની જિંદગીના ચોર્યાસીમા છેલ્લા વર્ષ 1999માં, અવસાનના બરાબર સવા બે મહિના પહેલાં, બીજી ઑગસ્ટે સેક્યુલર ડેમૉક્રસી આંદોલને યોજેલા માનવસાંકળના કાર્યક્રમમાં નહેરુ પુલ પર નાદુરસ્ત તબિયતે પણ  બે કલાક ઊભા રહ્યા હતા. તે પહેલાંના વર્ષે તે મીઠાખળી વિસ્તારની બાળકો માટેની મ્યુિનસિપલ શાળા પૈસાદારોના હાથમાં ન જાય તે માટે આઠેક મહિના ચાલેલા લોકઆંદોલનમાં રસ્તા પરનાં બધાં ધરણાં-દેખાવોમાં જોડાયા હતા. જાહેરજીવનની કેટલી ય ઘટનાઓમાં તેમણે નિસબત ધરાવતા નાગરિક તરીકે ભૂમિકા ભજવી હતી. તેમાં સાહિત્ય પરિષદમાં મુનશીના આધિપત્ય સામેની ચળવળ, ટીકાસ્પદ બનેલો સામ્યવાદી ચીનનો પ્રવાસ, ગુજરાત યુનિવર્સિટીની સેનેટ, અધ્યાપકોનાં સંગઠન, ભૂદાન, મહાગુજરાત અને નવનિર્માણ આંદોલનો, 1986માં દુષ્કાળ પ્રતિરોધ સમિતિના નેજા હેઠળ રાજકોટની શેરીઓમાં ફરીને અનાજની ઉઘરાણી જેવી સામેલગીરીનો સમાવેશ થાય છે. તેઓ અનેક પ્રકારની સંસ્થાઓનાં સંચાલકમંડળમાં હતા. 

નાગરિક વિમર્શમાં હંમેશાં અભ્યાસપૂર્ણ રસ લેનારા યશવંતભાઈનો માર્ક્સ અને ગાંધીને સમજવાનો પ્રયત્ન એમના ઓછા જાણીતા ‘ક્રાન્તિકાર ગાંધી’ પુસ્તકમાં જોવા મળે છે. ઉત્તમ વક્તા તરીકે સંખ્યાબંધ આમંત્રણો સ્વીકારનાર યશવન્તભાઈએ અનેક પુસ્તકો પણ આપ્યાં છે. ‘ઉપલબ્ધિ’, ‘શબ્દાન્તરે’ અને ‘પ્રતિસ્પંદ’માં સમજાય તેવાં વિવેચનલેખો છે. ‘કેન્દ્ર અને પરિઘ’ તેમ જ ‘કંઈક વ્યક્તિલક્ષી અને કંઈક સમાજલક્ષી’ સાહિત્ય ઉપરાંત ઇતિહાસ સંસ્કૃિત, રાજકીય વિચાર, પત્રકારત્વ જેવા વિવિધ વિષયો પરના લેખોનો સંગ્રહ છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે કમાણી માટે કઠોર પરિશ્રમ કરીને મેળવેલા શિક્ષણમાં અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાં બી.એ. તેમ જ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કરનારા યશવંતભાઈએ કેટલાંક સંપાદનો ઉપરાંત અનુવાદો કર્યા છે. તેમાં નૉર્વેજિયન નાટકકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટક તેમ જ યુરોપના કૌટિલ્ય મૅકિયાવેલીના ‘પ્રિન્સ’ અને વિશ્વચિંતક બર્ટ્રાન્ડ રસેલના ‘પાવર’ પુસ્તકો  છે.

વિદ્યાસભા અને એચ.કે. જૂથની કૉલેજમાં બીજી સંસ્થાઓની સરખામણીએ લોકશાહી અભિગમ અને ઉદારમતવાદિતા જોવા મળે છે તેમાં યશવંતભાઈના વિચાર-આચાર અને ચીનુભાઈના લાગણીપ્રધાન વાણીવ્યવહારનો ફાળો છે. એચ.કે.ની માટીમાં પડેલાં યશવંતભાઈનાં પગલાં ભૂંસાતાં જઈ રહ્યાં છે. કૉલેજ  પરિસરની માટીમાં તેમણે છેલ્લા પ્રવાસ પહેલાંનો છેલ્લો વિસામો લીધો હતો. તે તારીખ હતી 1999ના વર્ષની  ત્રેવીસ ઑક્ટોબર.

21 ઑક્ટોબર 2014                             

********

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...3,9103,9113,9123,913...3,9203,9303,940...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved