Opinion Magazine
Number of visits: 9559892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દુજે કે લિયે !

વલીભાઈ મુસા|Opinion - Short Stories|10 August 2014

મારે તમારા વિષે કંઈક કહેવું છે; આધુનિક શીરી અને ફરહાદ, લયલા અને મજનુ કે પછી રોમિયો અને જુલિયેટ – તમે જે ગણાઓ તે !

પણ, મારા કથનના પ્રારંભ માટે હું થોડોક અવઢવમાં છું, કેમ કે હું હજુ નક્કી નથી કરી શક્યો કે મારે ક્યાંથી શરૂઆત કરવી ? ચાલો, એ તો થઈ રહેશે; પહેલાં હું તમારી ઓળખાણ તો કરાવી દઉં ! તો આ છે, મેકવાન, થોડા સમય પહેલાં જ વાલ્મિક સમાજમાંથી ધર્માંતર કરીને ખ્રિસ્તી બનેલા અને થોડા સમયથી અનામતના હેતુએ દલિત ખ્રિસ્તી તરીકેની ઓળખ પામેલા એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિના સ્વામી; તો  તમારાં શીરી, લયલા કે જુલિયેટ જે ગણો તે છે મંદાકિની; કે જે મૂળે તો ચમાર (ચર્મકાર) સમાજનાં, પણ આત્મગૌરવમાં માનતાં અને રૂઢિગત અછૂતીય સામાજિક વ્યવહારોથી માનસિક રીતે તંગ આવી જતાં તેમનાં માતાપિતા સાથેના માત્ર ત્રણ જ જણના માઇક્રો પરિવારમાંથી એ માત્ર એકલાં જ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યાં છે; જેમાં એમનાં માતાપિતાની મૂક સંમતિ તો છે જ, પરંતુ તેઓ તેમના જીવનની ઢળતી અવસ્થાએ ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ’ની ભાવનાએ ઠેરનાં ઠેર જ  છે. મંદાકિની, તમે પણ શૈક્ષણિક કારકીર્દિએ મેકવાનની હરોળમાં ઊભાં રહી શકવા ઉપરાંત તમે સૌંદર્યસ્વામિની પણ છો. વાકપટુતા એ તમને મળેલી નિસર્ગદત નવાજીશ છે, તો વળી તમારા ચહેરા ઉપરની કાંતિ એવી તો પ્રભાવક છે કે તમને જોનાર એકાદ ક્ષણથી વધારે સમય સુધી તમારી આંખ સામે આંખ મેળવી શકે પણ નહિ !     

મેકવાન અને મંદાકિની, તમે અનેકવિધ વિદ્યાશાખાઓ ધરાવતી યુનિવર્સિટીના કદ જેવી એ સેલ્ફ ફાયનાન્સ ગ્રુપ કોલેજમાં ભણી રહ્યાં છો, તે પછાત વર્ગની અનામત બેઠકોના લાભ અને ઊંચી ટકાવારીના કારણે નજીવી ફી ઉપરાંતની સરકારી અને અનેક ખાનગી ટ્રસ્ટોની સ્કોલરશિપોના પ્રતાપે જ, નહિ તો તમારા માટે એટલી બધી તગડી ફી ચૂકવીને અહીં ભણવું એ તો આકાશકુસુમવત્ વાત જ બની રહેત. તમે મેકવાન, એક્ચ્યુઅરિયલ સોસાયટી ઓફ ઇન્ડીઆ(ASI)ની એક્ચ્યુઅરિયલ પ્રોફેશનલ તરીકેની કારકીર્દિ બનાવવા માગો છો, એ ગણતરી સાથે કે તમે સીધી ભરતીથી કાં તો સ્થાનિક કોઈ મોટી ઇન્સ્યોરન્સ કંપનીના સી.ઈ.ઓ. બની શકો અથવા એ વિષયના નિષ્ણાત તરીકે તમે વિદેશની કોઈક મલ્ટિનેશનલ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઈનીંગ કે કોર્પોરેટ પ્લાનીંગના હોદ્દાએ અઢળક આમદનીનો વરસાદ વરસાવી શકો. તો વળી તમે પણ મંદાકિની, ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઈનીંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાના મક્કમ ઈરાદા સાથે મોટા આર્થિક લક્ષાંકની કેડી ઉપર ચાલી રહ્યાં છો. તમે બંને જણ દ્રવ્યોપાર્જનને લક્ષ બનાવીને જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની દોડ લગાવી રહ્યાં છો, તેની પાછળ માત્ર નિજી પેઢીગત વારસામાં આવ્યે જતી દરિદ્રીને ફેડવાનો આશય જ નથી; પણ તમે સદીઓથી કચડાતા આવતા તમારા સમાજના ઉત્કર્ષ માટે અને વતનના ગામ માટે પણ કંઈક કરી છૂટવા માગો છો.

સો ટકા સાક્ષરતા ધરાવતા ઉત્તર ગુજરાતના પ્રગતિશીલ જે ગામની વિવિધ કોમોનાં અનેક યુવકો અને યુવતીઓ જુદીજુદી વિદ્યાશાખાઓમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવીને વિદેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે; એ જ ગામનાં વતની એવાં તમે, મેકવાન અને મંદાકિની, વિશિષ્ટ ગણાય એવી અભ્યાસકીય વિષયપસંદગીઓ એટલા માટે કરી છે કે તમે ત્વરિત અને આકર્ષક રોજગારી મેળવી શકો અને ઝડપી પદોન્નતિ પણ પ્રાપ્ત કરી શકો. હમવતની, મૂળમાં સમાન પછાતવર્ણીય, વળી હાલમાં ધર્માંતરે સમવૈચારિક, સમાન વિચારધારાઓ, સમાન સ્વપ્નસેવીઓ, સમવયસ્કો અને સમાન વ્યક્તિત્વો એવાં અનેક પરિબળોએ કોલેજ સંકુલમાં તમારે હળવામળવાનું વિશેષ બનાવ્યું છે અને તમે એકબીજાની નજીક તો હતાં જ અને વધુ નજીક આવવા માંડ્યાં છો.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી આ કોલેજમાં વિદેશી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એમની ખુલ્લા માનસની સંસ્કૃિત પ્રમાણે સહજ રીતે વિજાતીય વ્યક્તિઓ સાથે હળતાંમળતાં રહેતાં હોઈ તેમની અસર આપણાં દેશી કોલેજિયનોએ પણ ઝીલી છે. કોલેજ સત્તાવાળાઓએ પણ વિદ્યાર્થીઓના આવા વિજાતીય હળવામળવાના નિયમોને હળવા જ રાખ્યા છે; હા, એટલું ખરું કે વિદ્યાર્થિનીઓ દિવસ દરમિયાન બોયઝ  હોસ્ટેલમાં આવી જઈ શકે, પણ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ પણ સમયે ન જઈ શકે. આમ દરરોજ તમારું બંનેનું અવારનવાર મળવું, બંને હોસ્ટેલની સામાન્ય મેસમાં સવારસાંજ સાથે જમવું, કોઈ રવિવારે ચર્ચમાં સાથે પ્રાર્થના કરવા જવું કે પછી કોઈ થિયેટર અથવા સહેલગાહના સ્થળે કે બાગબગીચે ફરવા જવું એ બધું એટલું વધી ગયું હતું કે સૌ કોઈ તમને ‘એક દુજે કે લિયે’ સમજતું હતું.

મેકવાન, હું છેલ્લાં ત્રણેક વર્ષથી હોસ્ટેલમાં તમારો રૂમપાર્ટનર રહ્યો હોઈ આપણી વચ્ચે પણ ગાઢ મિત્રતા પાંગરતી ગઈ અને આપણે પણ એકબીજાનાં હર્ષશોક પરસ્પર વહેંચતા રહ્યા. સૌમ્ય અને મિલનસાર પ્રકૃતિ ધરાવતા, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં સૌને પ્રિય એવા, મેકવાન, તમારું એ દિવસનું સાવ નવું જ રૂપ મને જોવા મળ્યું હતું. એક શનિવારે સાંજે આપણે આપણા રૂમમાં બેઠાબેઠા જોડેના બે રૂમ પાર્ટનરો સાથે ગપસપ કરતા બેઠા હતા, ત્યાં તો ખિન્ન વદને આવેલાં મંદાકિનીએ આવતાં વેંત જ ફરિયાદરૂપે તમને કહ્યું હતું કે, ‘મેકવાન, આજે હું છેલ્લીવાર તારા રૂમ ઉપર આવી છું. આપણે બહાર ગમે ત્યાં મળીશું, પણ અહીં હું ફરી નહિ આવું.’ આમ કહેતાં તમે, મંદાકિની, રડી પડ્યાં હતાં.

કંઈક ગંભીર અંગત વાત હશે તેમ માનીને અમારા બાજુના રૂમ પાર્ટનર સાથે હું પણ બહાર જવા માંડતો હતો; ત્યાં તો તમે, મંદાકિની, મને હાથ પકડીને રોકી પાડતાં કહ્યું હતું, ‘તું તો મારો ધર્મનો ભાઈ છે અને તારાથી ક્શું જ છૂપું ન હોય, બેસ !’

‘શું થયું, મંદા; કંઈ કહેશે કે પછી મને સંતાપ્યે જશે !’ તમે, મેકવાન, સફાળા ઊભા થઈને મંદાકિનીને આલિંગનમાં લેતાં પૂછ્યું હતું.

‘જો મેક, તમે બંને કોઈની સાથે ઝઘડો ન કરો તો કહું !’

‘એમ કશું જ જાણ્યા વગર તો કઈ રીતે એવી ખાત્રી આપી શકું ? તને ખબર તો છે જ કે તારી આંખમાં એક આંસુ લાવનારની હું શી વલે કરી શકું છું!’

મેં પણ કહ્યું હતું, ‘જો બહેના, તને રડાવનારની જે કંઈ વલે કરવાની થશે, તેમાં એકલો મેક નહિ હોય; મારો પણ સાથ હશે ! જલ્દી બોલી નાખ અને આ રૂમ એ અમારું – તારું ઘર સમજ અને ગાંડી તું પોતાના જ ઘરમાં કેમ ન આવી શકે!’

‘જુઓ, તમે બંને જણા આ બાબતમાં બળ વાપરશો તો વાત વણસશે અને મારી-આપણી-કોલેજની બદનામી થશે ! જો કળથી કામ લેવાની ખાત્રી આપો તો કહું, નહિ તો હું આ રૂમ ઉપર આવવાનું જ બંધ કરી દઉં એ જ મારા માટે સરળ માર્ગ છે.’ તમે, મંદાકિની, સ્વસ્થ થતાં કહ્યું હતું.

‘જા, કળ વાપરીશું. બસ, હવે જલ્દી કહી દે અને મને વધારે દુ:ખી કરીશ નહિ !’ તમે, મેકવાન આર્દ્ર સ્વરે બોલ્યા હતા.

પછી તો મંદાકિનીની કેફિયત સાંભળી લીધા પછી તમે, મેકવાન, આટલું જ બોલ્યા હતા, ‘ચિંતા કરીશ નહિ અને એ સમસ્યા શાંતિથી હલ થઈ જશે, બસ ! બીજું સાંભળી લે, આજે સાંજે આપણે એક જ ટેબલ ઉપર રોજની જેમ સાથે જ ડીનર લઈશું. જો તું દૂર ભાગીશ તો એ લોકો સમજશે કે તેઓ કામિયાબ થયા !’

અને એ જ સાંજે જ્યારે આખો ડાઈનીંગ હોલ ભરચક હતો, ત્યારે બર્થડે કે એવી પાર્ટી માટેના સ્ટેજ ઉપર તમે, મેકવાન અને મંદાકિની, એકબીજાના હાથમાં હાથ પકડીને ચઢી ગયાં હતાં અને મેં વાડકી વડે થાળી વગાડીને બધાંનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. થાળી વાગતી બંધ થતાં પીન ડ્રોપ શાંતિ વચ્ચે તમે, મેકવાન, ચહેરા ઉપરની મક્કમતા સાથે મંદાકિનીનો એક હાથ પક્ડીને તેને ઊંચો કરીને બધાંને ઉદ્દેશીને આમ કહ્યું હતું, ‘જુઓ મિત્રો અને આ એક અપવાદ સિવાયની બાકીની બધી બહેનો …’

સૌ ખડખડાટ હસી પડ્યાં હતાં.

મેં ફરી જોરથી થાળી વગાડી ત્યારે બધાં શાંત થઈ જતાં તમે, મેકવાન, આગળ બોલ્યા હતા, “તમે સૌ મનોમન જાણો છો અને અમારી પીઠ પાછળ અમને ‘એક દુજે કે લિયે’ એમ કહો છો પણ છો, એટલે અમે બંને એકબીજાંને મળીએ કે મંદાકિની મને મારા રૂમ ઉપર મળવા આવે તેમાં આ કલ્પેશના અપવાદ સિવાય અન્ય કોઈને વાંધો હોઈ શકે નહિ. આ કલ્પેશનો અપવાદ એટલા માટે કે તેને મંદાકિનીએ પોતાનો ધર્મનો ભાઈ માન્યો છે. હવે કલ્પેશે પણ સ્વીકારી લીધું છે કે હું સમય આવ્યે તેનો ‘જીજાજી’ થવાનો છું એટલે તેને પણ અમારા મળવામાં કોઈ વાંધો હોઈ શકે નહિ. હવે બધાં એકચિત્તે આગળ સાંભળો. આજે સાંજે કેટલાક રાસ્કલ્સે (Rascals) આપણી પ્રતિષ્ઠિત કોલેજને લાંછન લાગે તેવી અનુચિત અને બીભત્સ એવા શબ્દોએ મંદાની માનહાનિ કરી છે. મહિલાઓની છેડતી કરવી એ અપરાધ છે અને મંદાકિની ૧૦૯૧ નંબરથી પોલિસને બોલાવીને એમની ધરપકડ કરાવી શકતી હતી. પરંતુ તેણે સમજદારી વાપરીને અને એમ ન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવી આપણી કોલેજને બદનામીમાંથી ઉગારી લીધી છે. વળી કદાચ એ અનિચ્છનીય માર્ગ તેણે અપનાવ્યો હોત તો મંદાકિનીને કેટલાક મહિનાઓની કોર્ટકાર્યવાહીના અંતે ન્યાય તો મળત, પણ એ વિલંબિત ન્યાય અન્યાય સમાન ગણાત ! એટલે તેને ઝડપી ન્યાય મળી રહે અને માત્ર એટલું જ નહિ પણ તેની કે અન્ય હોસ્ટેલ યા કોલેજની કોઈ બહેનની ભવિષ્યે પણ આવી માનહાનિ ન થાય તે માટેના કાયમી ઈલાજની એક જાહેરાત કરવા હું જઈ રહ્યો છું. મંદાકિનીને શાબ્દિક રીતે અપમાનિત કરનારાઓ તો ખાસ કાન દઈને સાંભળી લે કે તેમને ઓળખી પાડવામાં આવ્યા છે અને અમે કેટલાકે સંગઠિત થઈને આજે સાંજે જ એક એવો માર્ગ અપનાવવાનું વિચારી લીધું છે કે જે અમને અને આપણી કોલેજ માટે શોભાસ્પદ ન હોવા છતાં તેને અમલમાં મૂકવા સિવાયનો અમારી પાસે કોઈ ઈલાજ બચતો નથી. તમે સૌ એ માર્ગ વિષે પૂછો તે પહેલાં જ હું અમારા સાથીઓની વતી હાલ જ જાહેર કરી દઉં છું કે ભવિષ્યે ગમે ત્યારે એ શેતાની તત્ત્વોનાં કોઈ સગાંસંબંધી, કે જેમાં સ્ત્રીઓ પણ ભલે હોય, તેમને મળવા માટે આવશે ત્યારે તેમનું સ્વાગત અમે અમારાં પાટલૂન ગળે વીંટાળીને માતાની કૂખે જન્મ્યા હોઈએ તે સ્થિતિમાં કરીશું, કરીશું અને કરીશું જ.’

આમ કહીને, મેકવાન અને મંદાકિની, તમે સ્ટેજ ઉપરથી ઝડપભેર નીચે ઊતરી ગયાં હતાં અને ડાઈનીંગ હોલમાં સોપો પડી ગયો હતો.

એ દિવસે સૌ કોલેજિયનોને, મેકવાન, તમારું અનન્ય રૂપ જોવા મળ્યું હતું. 


(તા.૦૭.૦૮.૨૦૧૪)


ઈ.મેઈલ – musawilliam@gmail.com

Loading

ઇલા કાવ્યો : ભગિનીપ્રેમનું ઉપનિષદ

દીપક મહેતા|Opinion - Literature|10 August 2014


ઇલા ! સ્મરે છે અહીં એક વેળા
આ ચોતરે આપણ બે રમેલાં;
દાદાજી વાતો કરતા નિરાંતે,
વહેલા જમીને અહીં રોજ રાતે.

આ પંક્તિઓથી શરૂ થતું ‘કલ્યાણ’ નામનું કાવ્ય જે કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું તે ‘ઇલા કાવ્યો’ ન વાંચ્યો કે જોયો હોય છતાં આ કાવ્યથી પૂરેપૂરા પરિચિત હોય એવા ઘણા બધા વયઃશ્રેષ્ઠીઓ આજે પણ ઘણા બધા જોવા મળશે. કારણ કેટલાં ય વર્ષો સુધી ચંદ્રવદન મહેતાનું આ કાવ્ય પાઠ્ય પુસ્તકોના એક અનિવાર્ય ભાગ જેવું બની ગયું હતું. આપણાં લોકગીતોમાં અને લોક કથાઓમાં ભાઈ-બહેનના સંબંધો અંગેનાં ઘણાં કાવ્યો અને કથા કાવ્યો જોવા મળે, પણ ઓગણીસમી સદીથી શરૂ થયેલા અર્વાચીન યુગના સાહિત્યમાં આજ સુધીમાં ભાઈ-બહેનના સંબંધ વિષે પ્રમાણમાં ઓછું લખાયું છે. તેમાં એક અપવાદ હોય તો ચંદ્રવદન મહેતાનો કાવ્ય સંગ્રહ ‘ઇલા કાવ્યો.’ બે-ત્રણ કાવ્યોને બાદ કરતાં તેમાંનાં બધાં કાવ્યોના કેન્દ્રમાં ભાઈ-બહેનનો સંબંધ રહ્યો છે. ૧૯૩૩માં પ્રગટ થયેલી આ પુસ્તકની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈ કહે છે : “મારી જીવંત મૂર્તિ ઇલાએ મારા જીવનમાં સજીવન કરેલા સંસ્કારના બદલામાં આ સંગ્રહના રૂપમાં વળતર – એનું તે શું પ્રમાણ? બહેનના એ નિર્મળ પવિત્ર નિઃસ્વાર્થ ભાવનો આ કેટલો નિર્બળ પડઘો! એને દીધેલા સંતાપ, એને ચીડવવાના કરેલા પાપનું આ કેટલું નિર્જીવ પ્રાયશ્ચિત્ત! … પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે એક સ્મારક.”

અહી ‘સ્મારક’ શબ્દ નોંધ્યો? ભાઈ-બહેનના સંબંધનાં કાવ્યો ઇલા કાવ્યોમાં છે, પણ તેમાંનાં ઘણાખરાં બહેનના અવસાન પછી લખાયેલાં છે. એટલે વિશાદ, અવસાદ એ આ કાવ્યોનો મુખ્ય સૂર છે. કવિ ભૂતકાળનાં સ્મરણો વાગોળે છે તેમાં આનંદ-ઉલ્લાસ, મજાક-મશ્કરી, રિસામણાં-મનામણાં એ બધું છે જરૂર, પણ છેવટે સંભળાય છે તે તો કવિનો દઝાડતો નિઃશ્વાસ – તે હિ નો દિવસાઃ ગતાઃ. સંગ્રહનું પહેલું કાવ્ય છે ‘અર્પણ.’ તેની પહેલી બે પંક્તિઓ જુઓ :

પ્રિયમ્ – અહહ! નામ એ ન ઉચ્ચરાય હાવાં પૂરું,
અને હૃદયમાં ભર્યું પૂરણ, ઓસરે ના જરી.

પહેલી પંક્તિમાં બહેનનું નામ પણ પૂરું નથી ઉચ્ચારી શકતા કવિ, નામ બોલતાં ગળે ડૂમો બાઝે છે, કંઠ રૂંધાય છે. હૈયે તો સદાનું જડાયેલું છે એ નામ, પણ હોઠે નથી લાવી શકતા કવિ. પણ પોતાના શોક પર કાબૂ મેળવી શ્લોકની રચના ન કરી શકે તો એ કવિ શાનો? ચૌદ પંક્તિના સોનેટની છેલ્લી પંક્તિ સુધી પહોંચતાંમાં કવિ જાત પર અંકુશ મેળવી લે છે, અને કહે છે :

‘છો તૂટે ઉર પ્રિયંવદા! ઓ ઈલા!’

ચન્દ્રવદન મહેતાનો જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ‘ઇલા કાવ્યો’ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં. એટલે કે એ વખતે કવિની ઉંમર માંડ બત્રીસ વર્ષની. અને બહેનનું અવસાન તો તે પહેલાં થઈ ચૂક્યું છે. એટલે અહીં જે કાવ્યો સંગ્રહાયાં છે તેમાંનાં ઘણાંમાં કિશોર અવસ્થાના ભાવ, પ્રસંગ, વિચાર, તરંગ જોવા મળે છે. ‘દેવબાલ’ નામના કાવ્યમાં કવિ કહે છે :

ઇલા! કદિ હોત હું દેવબાલ!
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડી દાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

આવું, સપના જેવું, બાળપણ શું વીતી જશે? શું ક્યારેક મૃત્યુ પણ સામે આવીને ઊભું રહેશે? ‘ઓળખ’ નામના કાવ્યના આરંભે કવિ કહે છે :

કેવો મજેનો સુખી બાલ્યકાળ!
આ મસ્તી, તોફાન, જવું નિશાળ;
ઇલા! થશે શું અતિ દિવ્ય એવું
નિર્દોષ આ જીવન સ્વપ્ન જેવું?

અહીં મોટા ભાગનાં કાવ્યો ભાઈની બહેનને સંબોધીને થતી વાત રૂપે રજૂ થયાં છે, પણ ક્યારેક બહેનની ઉક્તિ રૂપે પણ જોવા મળે છે. જેમ કે :

આજે મને એક થઈ છ હોંશ,
તે ભાઈ તારો નકી જોઉં જોશ;
જન્મોત્રી તારી અહીં લાવ વારુ,
એમાં ગણીને કહું ભાવી તારું.

‘જન્મોત્રી’ નામના આ કાવ્યમાં પછી તો બહેન મજાકમાં આમ પણ કહે છે :

એથી મને જો કંઈ દાન થાય,
તો નક્કી આજે ગ્રહ શાંતિ થાય.

ગાંધી યુગના આપણા બે કવિઓ સુન્દરમ (૧૯૦૮) અને ઉમાશંકર (જન્મ ૧૯૧૧) કરતાં ઉંમરમાં અને કાવ્યલેખનની બાબતમાં પણ ચંદ્રવદન થોડાક આગળ. સુન્દરમને સહજ (ઉમાશંકરને કદાચ નહિ) એવી નિખાલસતાથી તેમણે શકવર્તી ગણાયેલા ગ્રંથ ‘અર્વાચીન કવિતા’માં કહ્યું છે : “જ્યારે ચંદ્રવદન મહેતાએ ‘યમલ’માં પૃથ્વી છંદનો ચોટદાર પ્રયોગ કર્યો ત્યારે સુંદરમને એ છંદનું જ્ઞાન ન હતું, અને સુન્દરમે જ્યારે ઠીક ઠીક કાબૂથી એ છંદ વાપરવા માંડ્યો ત્યારે ઉમાશંકર જોશી એ ‘પ્રભુત્વ’થી આશ્ચર્યમુગ્ધ થઈને પોતાની એવા છંદ લખવાની અશક્તિથી દિલગીર થયા હતા.” અલબત્ત, પછીથી કવિતા નહિ, પણ નાટક એ ચંદ્રવદનભાઈ માટે અભિવ્યક્તિનું મુખ્ય માધ્યમ બની રહ્યું. સુંદર, સ્વચ્છ, સુઘડ પુસ્તકોનું પ્રકાશન આપણી ભાષામાં છેલ્લાં વીસેક વર્ષમાં જ થવા લાગ્યું એવો ભ્રમ જેમને હોય તેમણે ઇલા કાવ્યોની ૧૯૩૩ની પહેલી આવૃત્તિની નકલ મળે તો જોવી. દરેક પાને કનુ દેસાઈનાં સુંદર રેખાંકનો સાથેની એ આવૃત્તિમાં સાદગીનો વૈભવ છે અને વૈભવની સાદગી છે.

ગાંધી યુગના આપણા બે લેખકો પૂરેપૂરા આખાબોલા અને કડવાબોલા. તેને કારણે વિવેચકો અને અભ્યાસીઓ તરફથી તેમને ખાસ્સું વેઠવું પડ્યું. તેમાંના એક ચંદ્રવદન, અને બીજા મનસુખલાલ ઝવેરી. એટલે ઇલા કાવ્યોને માથે પણ કેટલાકે પસ્તાળ પાડેલી. કોઈ કહે કે આ ઇલા સાચી છે કે ખોટી? કોઈ પૂછે કે ઇલા એક છે કે એક કરતાં વધારે? કોઈએ તો ત્યાં સુધી પણ કહી નાખ્યું કે આ કાવ્યોમાં ભાઈ-બહેનના પ્રેમની નહિ, સ્ત્રી-પુરુષના પ્રેમની ગંધ આવે છે. સંગ્રહની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં ચંદ્રવદનભાઈએ લખ્યું હતું : “ઇલા કલ્પિત નથી; જીવંત વ્યક્તિ છે. ઘણાના જીવનમાં ઘણી વ્યક્તિઓ વણાએલી હોય છે, એમ એ મારા જીવનમાં વણાએલી છે. વળી ઇલા એક નથી, ત્રણ છે. ત્રણમાંની બે મને મૂકીને ચાલી ગઈ.” છતાં, કવિની વાત માને તો એ વિવેચક શાના? જે ત્રણ વ્યક્તિઓને એકરૂપ કરીને કવિએ ‘ઇલા’ નામ આપ્યું છે તે ત્રણે વ્યક્તિઓને અંગત રીતે ઓળખનાર એક વયોવૃદ્ધ સાક્ષરે જાહેરમાં લખ્યું કે ઇલા કાલ્પનિક વ્યક્તિ છે. એટલે પછી ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં ત્રણ વ્યક્તિઓનાં નામ ચન્દ્રવદનભાઈએ જાહેર કર્યાં. હકીકતમાં કાવ્ય કૃતિનું સર્જન થઈ જાય તે પછી વાસ્તવિકતાની ભૂમિ સાથેનો તેનો સંબંધ જ કપાઈ જાય છે – જેમ બાળકનો માતા સાથેનો નાળ-સંબંધ જન્મ પછી કપાઈ જાય છે તેમ. એટલે ઇલા વાસ્તવિક કે કાલ્પનિક, ઇલા એક છે કે ત્રણ, ઇલામાં બહેન નજરે પડે છે કે પછી … આવા સવાલો જ અસ્થાને છે. એક-બે દાખલાથી વાત સ્પષ્ટ થશે. પહેલી પત્નીના અવસાન પછી રામનારાયણ વિ. પાઠકે એક અદ્દભુત હૃદયસ્પર્શી સોનેટ લખ્યું – ‘ધમાલ ન કરો, જરી ન નેણ ભીનાં થશો’ એ પંક્તિથી શરૂ થતું. થોડા વખત પછી તેમણે બીજું લગ્ન કર્યું. પણ તેથી કાંઈ પેલા કાવ્યની હૃદયસ્પર્શીતા ઓછી થતી નથી. પરદેશી નાગરિક હોવાને કારણે અમદાવાદ છોડવું પડે એવી શક્યતા ઊભી થઈ ત્યારે આદિલ મન્સૂરીએ ‘નદીની રેતમાં રમતું નગર’વાળી કૃતિ રચી. થોડાં વર્ષો પછી તેઓ સ્વેચ્છાએ ભારત છોડી અમેરિકાવાસી થયા. પણ તેથી કાંઈ પેલી ગઝલનું દર્દ ઓછું થતું નથી.

આપણી કવિતામાં – અને ગદ્ય લખાણોમાં પણ – જે સંબંધની વાત ઘણી ઓછી થઈ છે તે ભાઈ-બહેનના સંબંધને ઉજાગર કરતાં આ કાવ્યો આજ સુધી અનોખાં રહ્યાં છે. ઇલા કાવ્યો એટલે રક્ષા બંધનને દિવસે તો અચૂક યાદ કરવા જેવું ભગિની-પ્રેમનું ઉપનિષદ.       

સૌજન્ય : ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 10 અૉગસ્ટ 2014

Loading

વીજલમા

શરીફા વીજળીવાળા|Profile|10 August 2014

એમનું ખરું નામ શું હતું એ તો ખબર્ય નથી; પણ અમે બધાં એમને ‘વીજલમા’ કહેતાં. હું સમજણી થઈ ત્યારથી અમારા ઘર્યે આવતાં જોતી. મધ્યમ કાઠી, એકવડિયો; પણ ખડતલ બાંધો. પરસેવાથી ઝગારા મારતું, છૂંદણાંવાળું મોં. મોઢા પર અને આખ્યુંમાં એવું તેજ જે એમને બાકીનાં બધાંથી નોખાં તારવે … ભૂખરી જીમી, કાળો પછેડો ને ભૂખરું કાપડું પહેર્યું હોય … કાનમાં ઢગલોએક રૂપાની વાળિયું પહેરેલાં વીજલમા એમના વાસની બાકીની બાયુંની જેમ કાનમાં ઠોળિયાં ને હાથમાં બલોયાં કેમ નો’તાં પેરતાં એ તો મોટાં થયાં ત્યારે સમજાયેલું. આપણે ત્યાં સ્ત્રી પરણેલી છે કે વિધવા છે તે વગર કીધે સમજાઈ જાય એવાં ધારાધોરણો સમાજે ઊભાં કરી આપેલાં છે અને ડાહીડમરી સ્ત્રીઓ હોંશે હોંશે એ પાળતી આવી છે. ધણીના લાંબા ગામતરા પછી વીજલમાએ ત્રણેય દીકરિયુંને એકલા હાથે સારે ઠેકાણે વરાવી–પરણાવી … વાર–તે’વારે અમારા ઘરમાં પાલી–બે પાલી બાજરી–જાર ઠાલવી જતાં, અમારા હાથમાં રૂપિયો–રડો પકડાવી જતાં વીજલમા અમારાં શું સગાં થતાં’તાં ? બા એને માશી કે’તાં. દાડી–દપાડી કરીને પેટનો ખાડો ભરતી આ ડોશી મારી બાને દેવામાં કોઈ દા’ડો ચૂક્યાં હોય એવું હૈયે નથી ચડતું … એક દી પૂછી નાખ્યું કે, ‘વીજલમા, તમે મારી બાનાં શું સગાં થાવ ? તો જવાબ મળ્યો, ‘બટા, તારી માનીને મારી પિયરની એક દશ … બે જ ગાઉનો ગાળો … હું એની ‘દશ–માશી’ થાઉં … તારી માને મા નઈં અટલે પશી મારે જ ટાણું હાસવવાનું હોય ને ?’

અઠવાડિયે પંદર દા’ડે વીજલમા એકાદ આંટો જરૂર મારે … જઈં આવે તઈં એના પશેડાના છેડે કાંક્ય ને કાંક્ય બાંધ્યું જ હોય … ફળિયામાં પાર વગરના ખાટલા ઢાળેલા હોય; પણ ઈ ધરાર હેઠાં જ બેહે … અમે રાડ્યું નાખીએ … ‘વીજલમા આંયા મારી પાંહે આવતાં રયો, ઘણો માગ સે …’ પણ ઈ ધરાર બેઠાં હોય ન્યાંથી નો હલે … ‘ના બુન, હું મારે આંયા કણે ઠીક સું …’ અમે જેમ જેમ મોટાં થતાં ગયાં, સમજણાં થતાં ગયાં. એમ એમ અમારો વિરોધ સજ્જડ થતો ગયો. આવું કેમ ? એ પ્રશ્ન ધાર પકડતો ગયો. વીજલમા આવે એટલે અચૂક ચા મેલાય. અમારા ઘરને ફરતી આરપાર કાંય નો દેખાય એવી મોટી ડીંડલિયા થોરની વાડ્ય હતી. વાડ્ય માલીપા કંઈક જીવજંતું પડ્યાં રયે, જાતભાતનાં પંખી માળા બાંધે … ઈ વાડ્યની એક બખોલમાં એક ડાંડલા વગર્યનો કૉપ પડ્યો રયે, કાયમ … જેવી ચા કીટલીમાં ગળાય કે તરત જ વીજલમા ઊભાં થાય. ફળિયામાં માંડેલી કોઠીએ જઈને પેલો કૉપ વીછળે, પછી એમાં ચા ગળાય ને મારું મગજ ફાટી જાય … હું ધરાર રકેબીમાં ચા ગાળું;  પણ વીજલમા નો લ્યે … ‘ના બુન, અમે ઢેઢ કેવાઈં, તમારો ધરમ અભડાય તો મું નરકમાં પડું …’ ને હું મનોમન એવા ધરમને મણ મણની જોખીને દેતી. આમે ય અભડાવાની વાતે હું કાળઝાળ થઈ જતી પેલેથી જ .. અમારા કેટલા ય ગોઠિયા અમારા ગોળાનું પાણી નો પીતાં … ને કેટલાયને ઘર્યે ‘ખોબો ધર્ય, પાણી રેડું’ કે’વાતું … નાની હતી ત્યારે તો ખોબો ધરતી; પણ સમજણી થઈ ત્યારથી નક્કી કરેલું કે જે આપણાથી અભડાય એનાથી આપણેયે અભડાવું … એના ઘરનું પાણી અગરાજ ગણવું … હવે એમાં મારા જ ઘરમાં વીજલમા રકેબીમાં ચા નો પીવે ઈ કેમનું ખમાય ? પણ મરતાં લગી એમણે એમનો એ ડાંડલા વગર્યનો કૉપ ન મેલ્યો તે ન જ મેલ્યો .. મારા ઘર્યે મેમાન આવે એટલે વીજલમા ‘લે બુન, સા–મોરસના પૈસા … હંધાય હાટું અસલની રગડા જેવી ચા મેલ્ય જોઈં …’ કહીને બેસે … એના ઘરની ચાથી અભડાવાય એટલે આવો રસ્તો નીકળે … અમારી અકળામણથી મારી બા કે વીજલમા કોઈનું રુંવાડુંયે નો ફરકે … વીજલમાને પેટમાં દુખે ત્યારે હાથ–પગ–પેટ બધું ચોળી દેતી મારી મા કે ખાવા–પીવાની નાનીથી મોટી ચીજ અમારી ઓસરીમાં ઠલવી જતાં વીજલમા .. આ બેઉનું અભડાવું મને કોઈ દી ગળે ન ઉતર્યું.

અમારા ઘરમાં એ કાઠાં વર્ષોમાં ગમે તેટલા ટાંટિયા સંકોરીએ તો ય ચાદર ટૂંકી જ થાતી’તી. ઘરમાં ચૂલાનો દેવતા ટાઢો પડવાની તૈયારીમાં હોય, નાખી નજરે કોઈ નો દેખાતું હોય, તંઈ છેલ્લે બા વીજલમા પાંહે હાથ લાંબો કરે … ને ઈ ડોશી ગમે ન્યાંથી સો–બસોની સગવડ કરી દ્યે … પોતે વ્યાજે લાવે ને મારી બાને ઉછીના દ્યે … દર ખીહર્યે પોટલું લઈને આવે : ‘લે બુન, આ ખીહર્યનો ખીસડો …’ પોટલામાં બે–અઢી પાલી ઘઉં, બાજરી કાં તો જાર્ય હોય. ઓસરીમાં ઠાલવતાંક બે–ત્રણ રૂપિયા અમારા હાથમાં પકડાવીને વાજોવાજ નીકળી જાય ફળિયા બા’રાં … મારી બાના નિમાણા મોઢા સામે જોવાની એમનામાં હામ નો’તી. બધા વાર–તેવાર ભૂલ્યા વગર સાચવે. તલ, ડોડા, ચીભડાં, શીંગ, બોર, શેરડી … મોસમે–મોસમની ચીજુંનો ફળિયામાં ઘા કરતાં જાય .. એમના ઘર્યે કાંય વાડી–વજીફાં નો’તાં .. ઈ પોતે દાડિયું કરતાં .. ને ન્યાંથી જે મળે એમાં અમારો ભાગ અચૂક પાડે … દાડિયું હાલે ન્યાં લગી દાડી કરે ને ઉનાળાના માથું ફાડી નાખતા તડકામાં ડુંગરે–ડુંગરે રખડી–રવડીને પાણકંદા ખોદે અને વેચે … ને તોયે ઈ કાઠા કાળમાં એણ્યે મારી બાને કેટલી વાર મદદ કરી હશે ઈ તો ઈ બે જાણે … ને ત્રીજો ઉપરવાળો જાણે, જો હોય તો … કારેક ખીહર્યનો ખીસડો તો કંઈક નવા વરસની બોણી … સાતમ્ય–આઠમ્ય ને ભીમ અગિયારસ … તેવારના આપણે ક્યાં દુકાળ સે ? વીજલમાને દેવા માટે બહાનાં નો’તાં કાઢવાં પડતાં ને મારી માને એમની પાંહેથી લેવામાં નાનમ નો’તી લાગતી … પણ જાતી જિન્દગીએ જંઈ કર હાલતા બંધ થ્યા તંઈ આ ડોશીની લાચારી કોરી ખાતી … જેના ધણીએ જિન્દગી આખી દીધું જ હોય ને સપનામાં ય હાથ લાંબો નો કર્યો હોય … એની જીભ માગતાં ઉપડે કેમની? ને અમારા ઘરમાં તો ઉઘાડો ઉઘાડાને શું ઢાંકેના ખેલ હતા … પણ મોટીબેન કમાતી થઈ પછી થોડા–ઘણા દેતી થઈ … પૈસા લ્યે; પણ રાતાં પાણીએ રોતાં જાય … ‘અરે બુન, આ દીકરીની કમાણી ખાઈને મું કયે ભવ સુટવાની?’ એવું બોલતાં જાય … ફાર્મસી પૂરું કરીને હું ઍલેમ્બીકમાં ટ્રેઈની તરીકે જોડાઈ. મહિને ૪૫૦ રૂપિયા મળતા. મારા પેલ્લા પગારમાંથી મેં ૫૦ રૂપિયાની નોટ વીજલમા માટે સાચવી રાખેલી. ઘરની બા’રાં નીકળ્યાં ત્યારે રસ્તા વચાળ જઈને મેં ઈ નોટ એમને દીધી ત્યારે નીતરતી આંખે એમણે જેટલા આશીર્વાદ આપેલા એટલા તો કદાચ મારી માએ પણ કોઈ દી નહીં દીધા હોય …

(નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત થયેલા લેખિકાના પુસ્તક ‘સમ્બન્ધોનું આકાશ’ (કુલ પાન : 71+8; કિમ્મત રૂપિયા 80; પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – ‘સ્વમાન પ્રકાશન’, આલ્ફા ભવન, 12– સુહાસનગર, સેલ્સ ઇન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલ રોડના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં, અમદાવાદ – 380)

સર્જક–સમ્પર્ક : eMail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : ‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ દસમું – અંકઃ 302 – August 10, 2014

અક્ષરાંકન ઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

...102030...3,9073,9083,9093,910...3,9203,9303,940...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved