Opinion Magazine
Number of visits: 9562140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૮૪૫ સુધી અમદાવાદમાં એકે છાપખાનું નહોતું !

દીપક મહેતા|Opinion - Opinion|2 September 2014

પાઠયપુસ્તકોની બાબતમાં જરી ઠરીઠામ થયા પછી સોસાયટીએ મુંબઈ બહાર મરાઠીભાષી અને ગુજરાતીભાષી વિસ્તારો તરફ ધ્યાન આપ્યું. આ બંને વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરતાં પહેલાં સરકારી ખર્ચે માસ્તર તરીકેની તાલીમ ચૂંટેલા પુરુષોને આપવામાં આવી. તે પછી ૧૮૨૬ની ૧૯મી મેએ લેવાયેલી પરીક્ષામાં ૧૪ મરાઠી ઉમેદવારો પાસ થયા તેમને મરાઠીભાષી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરવા મોકલ્યા. એ જ વર્ષના ઓગસ્ટની ૧૪મીએ લેવાયેલી પરીક્ષામાં દસ ગુજરાતી ઉમેદવારો પાસ થયા. તેમાંથી સોસાયટીએ દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર સોમનાથ અને હરિરામ દયાશંકરને સુરત મોકલ્યા. તુળજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલ્યા. મુંકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ મોકલ્યા, તથા મયાશંકર જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલ્યા. દરેક શિક્ષકનો માસિક પગાર વીસ રૂપિયા હતો. આ દસ માસ્તરોએ શરૂ કરેલી નિશાળો તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતની પહેલી સ્કૂલો. આ સ્કૂલોમાં મુંબઈની સોસાયટીએ તૈયાર કરેલાં પાઠયપુસ્તકો જ ભણાવાતાં. જેને ગેરસમજણપૂર્વક પહેલાં ગુજરાતી પાઠયપુસ્તકો તરીકે ઓળખાવવામાં આવે છે તે હોપ વાચનમાળાનાં પુસ્તકો તો છેક ૧૮૫૯માં પહેલીવાર પ્રગટ થયેલાં.

ગુજરાતી પાઠયપુસ્તકોની બાબતમાં ગુજરાતની નિશાળો ત્રીસેક વર્ષ સુધી મુંબઈ પર આધાર રાખે તે તો સમજી શકાય, કારણ ઈલાકાનું તે પાટનગર હતું. પણ સુરત મિશન પ્રેસ અને દમણમાં ફરદુનજીએ શરૂ કરેલા પ્રેસને બાદ કરતાં છેક ૧૮૪૫ સુધી ગુજરાતી મુદ્રણ માટે પણ મુંબઈ પર જ બધો મદાર રહ્યો હતો. ખુદ અમદાવાદમાં પહેલું છાપખાનું છેક ૧૮૪૫માં શરૂ થયું હતું. બાજીભાઈ અમીચંદનું આ છાપખાનું શિલાછાપ પદ્ધતિનું હતું. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું છાપખાનું તે જ વર્ષે કે ૧૮૪૬માં શરૂ થયું. ૧૮૪૯માં ગુજરાતનું પહેલું અખબાર ‘વરતમાન’ શરૂ થયું.

તે આરંભમાં બાજીભાઈ અમીચંદના છાપખાનામાં જ છપાતું, અને ૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ માસિક પણ ત્યાં જ છપાતું. આજે આપણને નવાઈ લાગે પણ ૧૮૬૩ સુધી અમદાવાદમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નહોતું. ૧૮૬૩માં દલપતરામ મુંબઈ ગયા ત્યારે તેમણે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધી. તેના માલિક બહેરામજી ફરદુનજીએ ટકોર કરી કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નથી તે શરમજનક કહેવાય. આ ટકોરથી ઘવાયેલા દલપતરામે બીજા ત્રણ ભાગીદારો સાથે મળીને ૧૮૬૩માં યુનાઇટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી કંપની લિમિટેડ નામનું મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું.

દલપતરામને જેમની મોટી ઓથ હતી તે એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ૧૮૫૦માં સુરત બદલી થઈ. તેમની પ્રેરણાથી ૧૮૫૦ના ઑકટોબરની દસમીથી સુરત સમાચાર નામનું અખબાર શરૂ થયું. બેજનજી પાલનજી તથા દુર્ગારામ મંછારામ આ અખબાર સંભાળતા. ૧૮૫૭માં ખેડાથી ખેડાનીતિપ્રકાશ અને ભરૂચથી વરતમાંન નામનાં અખબાર શરૂ થયાં. સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો અમદાવાદ કરતાં ય છાપખાનાં મોડાં શરૂ થયાં. ૧૮૬૩માં રાજકોટ ગેઝેટ પ્રેસ અને ૧૮૬૫માં ભાવનગર દરબારી પ્રેસ શરૂ થયા. તે સૌરાષ્ટ્રનાં પહેલાં બે છાપખાનાં. આમ થવાનું કારણ એ કે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર એ વખતે દેશી રાજાઓની હકૂમત હેઠળ હતો. અને આમાંના ઘણા ખરા રાજાઓ છાપખાનાં, સામયિકો, અખબારો, તરફ શંકાની નજરે જોતા. રૈયતની ઉશ્કેરણી કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય એ બીકે તેઓ તેમને પ્રોત્સાહન નહોતા આપતા. કાઠિયાવાડ એજન્સીએ સીધી કે આડકતરી રીતે દબાણ કર્યા પછી જ આ રાજાઓએ આ ત્રણે સાધનો શરૂ કર્યાં, પણ સાથોસાથ તેમના પર રાજયનો અંકુશ રહે એવી વ્યવસ્થા પણ કરી.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014

Loading

આવ કવિતા, આવ !

ચંદ્રકાન્ત શેઠ|Poetry|2 September 2014


આવ કવિતા આવ !
ગરીબગુરબાં કાજે રોટી-મકાન-કપડાં લાવ !
ક્યાં સુધી થઈ કાગળ-હોડી
                   તરશે ઝરમર-જલમાં ?
ક્યારે ઉલેચશે પાણી જે
                   ઘૂસી ગયાં છે ઘરમાં ?
એક માટ પીવાનું જલ ક્યાં જડશે મને જણાવ ! –
કળી-ફૂલ ને કોયલ સાથે
                   ક્યાં સુધી તું રમશે ?
ક્યારે ભૂખ્યાં બાળક બેસી
                   ઓટે તારે જમશે ?
આડું મારું ગાડું એને સાચે ચીલે ચડાવ ! –
ક્યાં સુધી તું ઝગમગ ઝળહળ
                   વ્યોમે વિહાર કરશે ?
ઠર્યા કોડિયે ક્યારે ઊતરી
                   તમસ છવાયું હરશે ?
રંગમંચ છોડી રાંધણિયે રોનક ખરી બતાવ !

૨-૮-૨૦૧૪

(સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2014, પૂ. 02)

Loading

‘દર્શક’ સાથેનાં સંસ્મરણો – ૧

રતિભાઈ પંડ્યા|Profile|2 September 2014

મનુભાઈ પંચોળી એટલે ‘દર્શક’ અને ‘દર્શક’ એટલે ? બતાવનાર – જોનાર અથવા તો દર્શન કરાવનાર એવો સાદો અર્થ થઈ શકે. ઇતિહાસના ઊંડા અભ્યાસ પરથી, વર્તમાનના અનુભવમાંથી અને ભવિષ્યના દીર્ઘદૃષ્ટિવાળા ચિંતનમાંથી જગતને અને માનવ-જીવનને કંઈક આપી જવાની ખેવના અને ભાવનાવાળો માણસ એટલે મનુભાઈ રાજારામ પંચોળી. ટૂંકમાં, દર્શક.

‘દર્શક’નું નામ મારા શાળાકાળ એટલે કે ઇ.સ. ૧૯૫૦થી સાંભળવા મળેલું, તેઓ ગુજરાતી ભાષાના લેખક છે, એટલી જ ખબર, પરંતુ તેમને ૧૯૬૧ના ઑક્ટોબર માસમાં સણોસરા (જિ. ભાવનગર) મુકામે લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં પ્રથમ વાર રૂબરૂ મળવાનું બન્યું. તસવીરમાં જોયેલા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મળતા ચહેરા અને વાળવાળા મનુભાઈના પ્રથમ દર્શન થયા. વ્યક્તિત્વ પ્રભાવશાળી લાગ્યું. તે વખતે હું આણંદ એગ્રિકલ્ચર કૉલેજ સંચાલિત સાણંદ નજીકના છારોડી કેટલ બ્રીડિંગ ફાર્મ(ગૌશાળા)માં કામ કરતો હતો. હાલમાં તે જગ્યા અને જમીન પર તાતા કંપની ‘નેનો’ કાર બનાવવાનું કામ કરે છે !

કૌટુંબિક કારણોસર આ ફાયદાવાળી કાયમી નોકરી છોડી અન્યત્ર જોડાવાની વિચારણા મનમાં ચાલતી હતી. તે વખતે જાણવા મળ્યું કે ભાવનગર નજીકની લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં ડેરી-પશુપાલનના અધ્યાપકની જગ્યા ખાલી પડી છે. સણોસરાની રૂરલ ઇન્સ્ટિટ્યૂટના તે વખતના આચાર્યે રતિભાઈ અંધારિયાના આમંત્રણથી લોકભારતી જવાનું બન્યું. ત્યાં તેમણે મને મનુભાઈ પંચોળી અને નાનાભાઈ ભટ્ટનો પરિચય કરાવ્યો. વાતચીત અને વાતાવરણથી વ્યક્તિઓ અને સ્થળ ગમી ગયાં નાનાભાઈ ભટ્ટ તે વખતે માંદગીની પથારીએ હતા. મનુભાઈ સંસ્થાના નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી હતા. રતિભાઈ અંધારિયાએ બંને મહાનુભવોને મારો પરિચય આપી દીધો, તેથી ખાસ વાતચીત થઈ શકી નહીં. પરંતુ નાનાભાઈ ભટ્ટે પથારીમાં પડ્યા-પડ્યા એટલું કહ્યાનું યાદ છે કે ‘તમે તો આણંદની મોટી ખેતીવાડી સંસ્થામાં ભણ્યા છો, અને હાલ પણ ભણાવો છો, એટલે મોટા વૈજ્ઞાનિક કહેવાવ. અમારી લોકભારતી સંસ્થા તો ગામડાની નાનકડી સંસ્થા છે, પરંતુ અમારે વિજ્ઞાનીનો દીવો ગામડાંના ગરીબ લોકનાં ઝૂંપડાં સુધી લઈ જવો છે. તમને તેમાં રસ હોય, તો જોડાવાનું વિચારજો. વહીવટ અને નિર્ણયો તો મનુભાઈ-મૂળશંકરભાઈ-બૂચભાઈ-રતિભાઈ વગેરે મિત્રો કરે છે.’ મને આ ઋષિવાક્ય સ્પર્શી ગયું.

મનુભાઈએ પૂછેલું કે તમને ગામડાનું અને ગામડામાં કામ કરવાનું ગમે ? મેં તરત જ હા પાડી અને કહ્યું કે કિશોર-અવસ્થામાં ર.વ. દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ વાંચીને ખેતીવાડી કૉલેજમાં ભણીને વાર્તાના નાયક માફક ગામડામાં રહીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. મનુભાઈનો બીજો પ્રશ્ન એ હતો કે ‘ગાયને ઇન્જેક્શન આપતા આવડે છે?’ મેં હા કહી ઉમેર્યું કે, ‘હાલ છારોડી કૅટલ ફાર્મ પર જ્યાં કામ કરું છું, ત્યાં ૫૦૦ પશુ તથા ૨૫ જેટલા કુટુંબ-પરિવારો માટે ઇન્જેક્શન અને દવા-દારૂનું કામ મારે જ કરવાનું હોય છે. વળી, એકાદ માસ પહેલાં સાણંદમાં સર્કસ આવેલું, તેમાં બીમાર પડેલા સિંહને પણ ઇન્જેક્શન આપવાનું બનેલું !’ મારી વાત સાંભળી મનુભાઈ, રતિભાઈ અને બચુભાઈ હસી પડેલા. મનુભાઈએ સૂચવ્યું, તમારો બાયોડેટા ઉપનિયામક બચુભાઈને આપતા જજો. ટૂંક સમયમાં જ મને ન.પ્ર. બૂચ તરફથી લોકભારતીમાં જોડાવા અંગેનો પત્ર મળ્યો. તેને ઍપોઇન્ટમૅન્ટ ઑર્ડર (નિમણૂકપત્ર) નહીં, પરંતુ ઇન્વિટેશન-કાર્ડ (આમંત્રણ-પત્રિકા) કહી શકાય તેવું આ મુજબ લખાણ હતું. ‘તમે અહીં જોડાશો તો અમને સૌને ગમશે. અમારે અહીં એક રતિભાઈ (અંધારિયા) તો છે, તમે જોડાશો તો બે રતિભાઈ થશે. ‘એકથી ભલા બે’ની કહેવત સાર્થક થશે.’

લોકભારતીમાં ૧૯૬૨ ફેબ્રુઆરીથી ૧૯૯૭ના એપ્રિલ સુધી અધ્યાપક અને ગૌશાળાના મૅનેજર તરીકે કામ કરવાની તક મળી, તેને હું અને મારો સમગ્ર પરિવાર આનંદ અને ગૌરવનો અવસર ગણીએ છીએ. મનુભાઈ સાથે દીર્ઘકાળ સુધી રહેવાનું અને કામ કરવાનું મળ્યું, તેથી આનંદ અને આદરની લાગણી કાયમ મનમાં રહી છે. સંસ્થામાં જોડાયો, તેના આગળના વર્ષ ૧૯૬૧-૬૨માં ગૌશાળામાં દસ હજાર રૂપિયાની ખોટ ગયેલી, જે અત્યારના ૨૦૧૩-૧૪ના વર્ષની ગણતરીએ લગભગ લાખ રૂપિયાની ખોટ ગણી શકાય. આથી મનુભાઈ અને ટ્રસ્ટીમંડળ ચિંતામાં હતું. ગૌશાળાનો ચાર્જ સોંપતી વખતે મનુભાઈએ કહેલું કે ‘ગૌશાળા એ સંસ્થા માટે ભાણેજ ખાતું (ખર્ચખાતું) છે. તમે આ વિષયના અનુભવી અને અભ્યાસી છો, તો તેમાં આર્થિક રીતે ખોટ ન આવે તેવી રીતે તેનું સંચાલન કરજો, જેથી ગૌશાળા માટે દાન મેળવવા શ્રીમંતોની દાઢીમાં હાથ નાખવા ન જવું પડે. વળી, આપણે સામેથી દાન માગવા જઈએ, તો આપણું તેજ ઘટે.’ મને આ વાત અને વિચાર બરાબર સમજાઈ ગયો. તેથી મેં આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, ખોટ ન આવે અને કાર્ય કરી અને વિદ્યાર્થીઓની મદદથી સરભરના પાયા પર સંચાલન કરીશું. ગૌશાળાને ભાણેજમાંથી ભત્રીજો બનાવવાની કોશિશ કરીશું, જેથી તેમાં થોડી બચત રહે. જે દુકાળ કે અછતનાં વર્ષોમાં કામ આવે. પછીનાં વર્ષોમાં વાર્ષિક દસ-વીસ હજારની રૂપિયાની બચત પણ થઈ શકી હતી. ગૌશાળાના વહીવટ-વ્યવહારોમાં મૅનેજિંગ ટ્રસ્ટી ‘દર્શક’ અને નિયામક કુમુદભાઈ ઠાકરે અમારા પર પૂરો વિશ્વાસ રાખી કામ કરવાની સ્વતંત્રતા આપી. તેઓ ગૌશાળાની સફળતાના સાથીદાર બન્યા.

૧૯૬૨માં લોકભારતીમાં જોડાયા પછીના બીજા જ મહિને મનુભાઈએ મને રૂબરૂ બોલાવી એક મોજણી કરવાનું કામ સોંપ્યું. લોકભારતી આસપાસનાં ગામડાંમાં પશુપાલનની દૃષ્ટિએ વિકાસ કરવા શું-શું કરવા જેવું છે, તેનો અહેવાલ પણ બે માસમાં આપવા સૂચવ્યું. વિદ્યાવિસ્તારના ભાગ રૂપે રતિભાઈ અંધારિયા નિયમિત રીતે આસપાસનાં ગામોમાં જતા, તેની સાથે હું જોડાઈ ગયો અને દસેક ગામોનો અભ્યાસ કર્યો. બે માસના સઘન અભ્યાસ પછીથી મનુભાઈએ અહેવાલ આપતાં કહ્યું કે, ગામડામાં જે દૂધ પેદા થાય છે, તેના નિકાલની કે વાજબી ભાવે વેચાણવ્યવસ્થા નથી, આથી લોકોને આ ધંધામાં ખાસ રસ નથી. ગાયના દૂધમાં ચાર ટકા ફેટ અને ભેંસના દૂધમાં સાત ટકા ફેટ હોય છે. ગાયના દૂધમાંથી ઘી બનાવવું લોકોને પોસાતું નથી, આથી લોકોને ગોપાલનમાં ખાસ રસ નથી, દૂધના દલાલો ગામડામાંથી ગાયનું ૨૦ લિટર દૂધના છથી આઠ રૂપિયા અને ભેંસના દૂધના આઠ થી ૧૦ રૂપિયા ચૂકવી લઈ જાય છે. દૂધ ઉત્પાદકોને નિયમિત અને પૂરાં નાણાં ચૂકવતાં નથી. દૂધના દલાલો ગામડાંનું દૂધ શિહોરના પેંડાવાળાને અને ભાવનગરના વેપારીઓને વેચે છે, અને બમણા ભાવ મેળવે છે. જો અમૂલ ડેરીની માફક સહકારી ધોરણે દૂધ-મંડળીઓની રચના કરી દૂધની વેચાણવ્યવસ્થા વાજબી ભાવે ગોઠવાય, તો ઉત્પાદકોને રસ પડે અને પશુપાલનના ધંધાનો વિકાસ થાય. મારી વાત સાંભળી મનુભાઈ તે વખતે ગુસ્સે થઈ કહે, ‘ગામડાંમાંથી દૂધનું વેચાણ કરવાથી લોકોને દૂધ-ઘી-માખણ-છાશ જેવો ખોરાક મળતો બંધ થાય અથવા ઓછો થાય. આમ, ગાય મારીને કૂતરાં ધરવવાનું કામ થાય !’ મનુભાઈની આ વાત મને ગળે ન ઊતરી. તેથી મારા આ વિચારને કોલ્ડ-સ્ટોરેજમાં સાચવવા મૂકી રાખ્યો અને કોઈ દલીલો પણ ન કરી.

પાંચેક વર્ષ પછી ૧૯૬૭માં એક વહેલી સવારે મનુભાઈ ફરતાં ફરતાં મારે ઘેર આવીને કહે, ‘પંડ્યાભાઈ, ગામડાંમાં પેદા થતા વધારાના દૂધની સહકારી ધોરણે બજારવ્યવસ્થા કરી ઉત્પાદકોને વાજબી અને વધુ ભાવો મળી રહે, તે માટે કાંઈક કરવું જોઈએ. મેં વિદેશોમાં તેમ જ આપણે ત્યાં આણંદ-મહેસાણામાં ડેરીઉદ્યોગ દ્વારા ગામડાંનો આર્થિક વિકાસ થતો જોયો છે તેમ જ ડૉ. કુરિયન, અમૂલના ચૅરમેન ત્રિભુવનદાસ પટેલ, મહેસાણા ડેરી અને ગામડાંની દૂધ સહકારી મંડળીઓ જોઈ અનેક લોકોને મળ્યો છું. ગામડાંમાં પેદા થતા દૂધની વેચાણવ્યવસ્થા પડતર ભાવે થવી જોઈએ, જેથી પશુપાલનનો વિકાસ થાય અને દૂધનું ઉત્પાદન વધે. મેં કહ્યું, આ વાત મેં પાંચેક વર્ષ પહેલાં તમને કહેલી, તે વખતે તમને ગળે ઊતરી ન હતી. હવે તમને સમજાયું, તેનો આનંદ છે, બે-ત્રણ ગામોમાંથી દૂધ એકઠું કરી નજીકમાં આવેલા અમરગઢની હૉસ્પિટલને તથા ભાવનગર તખ્તસિંહના હજારેક દર્દીઓને ચોખ્ખું દૂધ વ્યાજબી ભાવે પૂરું પાડવાની યોજના થઈ અને દૂધ-ઉત્પાદકોને પણ વાજબી ભાવો મળ્યા.

‘દર્શક’ પોતાની જૂની માન્યતાઓને તિલાંજલિ આપી, નવો વિચાર સ્વીકારી તેનો અમલ કરતા. તે ખરા અર્થમાં ‘દર્શક’ હતા, તેમ તેમની સાથેના સુદીર્ઘ સહવાસથી કહી શકાય.

(સૌજન્ય : "નિરીક્ષક", 01 સપ્ટેમ્બર 2014; પૃ. 13-14) 

[ફોટાઓ નીતાબહેન પંડ્યાના ફેઇસબુક પાન પરેથી]

Loading

...102030...3,8953,8963,8973,898...3,9103,9203,930...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved