Opinion Magazine
Number of visits: 9694633
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમીન-આંદોલનોનો દાહક દસ્તાવેજ

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|2 December 2014

ગુજરાત સરકાર અને ઉદ્યોગગૃહોની સાઠગાંઠથી વિકાસના નામે ખેડૂતવર્ગનો કેવો વિનાશ થઈ રહ્યો છે તેનો આંખે દેખ્યો, પુરાવા સાથેનો, હચમચાવી દેનારો ચિતાર તળપદા કર્મશીલ સાગર રબારીના ‘ગુજરાતમાં ખેતી અને ખેડૂત : ટકી રહેવાની મથામણ’ નામના દસ્તાવેજી પુસ્તકમાંથી મળે છે.

વીતેલા એકાદ દાયકા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ, તેમની જમીન સરકાર થકી ઉદ્યોગોના ભરડામાં ભરખાતી બચાવવા માટે, તંત્રની અમાનુષતા વેઠીને ચલાવેલાં જમીન-આંદોલનો વિશેની ચોંકાવનારી ઢગલાબંધ માહિતી યજ્ઞપ્રકાશને ધૈર્યથી પ્રસિદ્ધ કરેલા પુસ્તકના પહેલાં નવ પ્રકરણોમાં મળે છે. લેખકે નવ જેટલાં આંદોલનોમાં રગેરગ અને લગભગ ક્ષણેક્ષણ જોડાઈને સોંસરી રીતે લખેલા અહેવાલો અહીં છે. તેની સાથે વણાયેલા છે સમગ્ર ખેડૂતજીવનનો સ્વાનુભવ, ઊંડો અભ્યાસ, ભાવુકતા વિનાનું ચિંતન, હાકોટા-પડકારા વિનાની હિંમત, ધોરણસરનો આશાવાદ અને કાર્યકર્તાઓ-સાથીઓ માટે ભારોભાર કૃતજ્ઞતા. બસો બત્રીસ પાનાંના પુસ્તકનાં છેલ્લાં ત્રણ પ્રકરણોમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાત તેમ જ ખેતી માટે આપત્તિજનક દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર (ડી.એમ.આઇ.સી.) સહિત જળ-જંગલ-જમીનની સમસ્યાઓ અંગે લાંબી-ટૂંકી પ્રાસંગિક નોંધો છે. પુસ્તકનાં બધાં લખાણો જમીન અધિકાર માટે, ભેખધારી ચુનીભાઈ વૈદ્યની આગેવાની હેઠળ, દાયકાઓથી લડનાર સંગઠન ‘ગુજરાત લોકસમિતિ’ના મુખપત્ર ‘લોકસ્વરાજ’ માં પ્રકાશિત થયેલાં છે.

ઊઘડતા પ્રકરણ ‘જામનગર : રિલાયન્સ’નાં ત્રીસ પાનાં આક્રોશ જન્માવનારાં છે. આ ઉદ્યોગજૂથને રિફાઇનરી માટે જમીન આપવાનો ખાવડી ગામમાં ખેતી પર સુખશાંતિથી જીવતા સત્તર પરિવારોએ ઇન્કાર કર્યો. તેમની જમીન બળપૂર્વક કબજે કરવામાં સરકારી અધિકારીઓ અને પોલીસે આ ભૂમિપુત્રોના જે ભૂંડા હાલ કર્યા છે, તેનું તમામ વિગતો સાથેનું બયાન લેખક આપે છે. તે નોંધે  છે : ‘જમીનનો કબજો લેવાઈ ગયો હતો, છતાં કંપની આગળ ન વધે, નવી જમીનો પર ડોળો ન નાખે એટલે આંદોલન થયું … ગામડાં માટે નખાયેલી પીવાના પાણીની પાઇપો ઉખાડી નાખવી, લાઇટના થાંભલા તોડી નાખવા અને પિયત માટેની નાની કેનાલો પૂરી દેવાં જેવાં અનેક દુષ્કૃત્યો પછી અનેક પરિવારોની હાય લઈને પેટ્રોલિયમ રિફાઇનરી ત્યાં ઊભી છે.’ કંપનીના જુલમો અંગે લેખક મહિતી આપે છે : ‘કંપનીને કારણે આજુબાજુનાં વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે.પન્ના ડેમમાં કંપનીની કોલસી ધોવાઈને આવવાથી ડેમ ભરાતો જાય છે. આજુબાજુનાં ગામોના કૂવાઓનાં પાણીમાં પણ પ્રદૂષણ આવ્યું છે. જૂના રસ્તા બંધ કરી દીધા છે. વીજળીની લાઇનો ઉખાડી નાખી છે અને ગામડામાં પીવાના પાણી માટે જે વ્યવસ્થા હતી તે પણ બંધ થઈ ગઈ છે … પહેલાં જ્યાં ખેડૂતોની વાડીઓ હતી અને એના માટે સરકારી ચૅકડૅમ બનાવ્યા હતા તે જમીન હવે કંપનીની હદમાં આવી જતાં ત્રણ ચૅકડૅમ કંપનીએ તોડી નાખ્યા છે … કંપનીની સામે અવાજ ઉઠાવનાર આંદોલન યેનકેનપ્રકારેણ તોડી નાખવામાં આવ્યું છે. જીવલેણ હુમલાઓ પણ થયા છે.’ 

સરકારે સોમનાથ પાસેના દરિયાકાંઠાના વડોદરા ઝાલા ગામના ગૌચરની ૬૮૮ એકર જમીનમાંથી ૬૫૦ એકર જમીન લાર્સન ઍન્ડ ટોબ્રો કંપનીને જેટી બનાવવા માટે ફાળવી. સરકારી બાબુઓ પોલીસ સાથે જમીનની માપણી કરવા ગયા. ગામલોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું. મોખરાની બહેનો સહિત દોઢસોએ ધરપકડ વહોરી ત્યારથી લોકસમિતિના મજબૂત ટેકાથી લડત ચાલુ થઈ. ‘કદાચ, પહેલી વાર કંપનીએ સરકાર દ્વારા ફાળવાયેલી જમીન છોડી દીધી. પ્રોજેક્ટ પડતો મૂક્યો. લોકશક્તિનો સીધો વિજય થયો.’

કચ્છમાં અદાણી પૉર્ટ ઍન્ડ સેઝ માટે સરકારે મુન્દ્રા તાલુકામાં, ૮૮૭૩ દુધાળાં ઢોર ધરાવતાં દસ ગામોની ગોચરની જે ૩૧૯૦ એકર જમીન નજીવા ભાવે આપી, તેનું આખું કોષ્ટક લેખક આપે છે. તેમાંથી ઝરપરા  ગામે વિરોધ કર્યો. ‘અનેક પ્રયત્નો છતાં આજે પણ ગામે ગોચરનું પઝેશન કંપનીને લેવા દીધું નથી’. આગળ ઉપર લેખક નોંધે છે : ‘પૉર્ટથી અદાણીનો વિકાસ થશે એ બેલાશક, પણ આસપાસનાં ગામોનાં ખેડૂતો, માછીમારો, પશુધન પર નભતાં માલધારીઓ તો વિનાશ ભણી ધકેલાશે, એવું નિશ્ચિત દેખાય છે.એટલે જ ગામલોકો વિરોધ કરી રહ્યા છે.’

જાણીતા મહુવા લોકઆંદોલનની આખ ય તવારીખ સહુથી લાંબાં ચાળીસેક પાનાંના પ્રકરણમાં  છે. સભાઓ, ધરણાં, દેખાવ, પદયાત્રા, કૂચ જેવા કાર્યક્રમોનાં વર્ણન છે. લેખકે સમજાવેલી પાયાની હકીકત તો એ છે કે સરકારે નવ ગામની સત્યાવીસ હજાર વીઘાં ફળદ્રુપ જમીન નિરમા કંપનીને સિમેન્ટ-પ્લાન્ટ બનાવવા માટે ફાળવી. કાનૂની આંટીઘૂંટી, કંપનીએ આગેવાનો પર કરાવેલા હુમલા, સરકારી દમન અને અહિંસક વિરોધ કરનાર જનતા પર પોલીસના જુલમોની ઘટનાઓ છે. જેમ કે એક રેલીમાં આંદોલનના દુધેરી ગામનાં વીરાંગના કડવીબહેનને ‘બે પુરુષ પોલીસોએ પકડી રાખ્યાં અને ત્રીજાએ લાઠીઓ મારી … એમના ઘા કમકમા ઉપજાવે તેવા હતા, દવાખાનામાં દાખલ થવું પડ્યું .. પોલીસ પર કોઈ પગલાં લેવાયાં નથી.’ કંપનીએ ભાડૂતી માણસો થકી કરાવેલા હુમલાના અને રાજ્યે પોલીસ થકી આંદોલનના દરેક તબક્કે કરેલા જુલમની યાદી લેખક આપે છે. તે એ પણ નોંધે છે કે ‘નિરમાને મળેલી પર્યાવરણીય મંજૂરી રદ થઈ, કામ રોકાયું. ચિંતા એટલી છે કે (૧) ગુજરાત સરકારે નિરમા કંપનીને ફાળવેલી જમીનનો સોદો રદ નથી કર્યો, જમીન નિરમા પાસે જ છે (૨) સમઢિયાળા બંધારો નોટિફાય નથી કર્યો. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં રખેને વળી પાછું ભૂત ધૂણી ઊઠે !’ 

અલંગ પાસેના મીઠી વીરડી મુકામે અણુવિદ્યુતમથકની યોજના છે. આ વિસ્તાર નંદનવન છે. લોકશાહીમાં લોકોની સંમતિ વિના લેવામાં આવેલા વિવાદાસ્પદ નિર્ણયથી જે ગામના તમામ ખેડૂતોની સમૃદ્ધ જમીન જવાની  છે, તે જસપરાના તમામ ૨૬૮ ખાતેદાર ખેડૂતોએ જમીન નહીં આપવાનાં સોગંદનામાં કર્યાં છે, વિરોધ પ્રદર્શન થતું રહે છે. લેખક જણાવે છે : ‘અણુઊર્જાની ઘેલછામાં સરકાર દેશભરમાં કર્મશીલો સાથે આકરો વ્યવહાર કરી રહી છે, ત્યારે આગળ ઉપર આ લડત કપરી લાગે છે.’

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાંચ હજારની વસ્તી ધરાવતા લવાડ ગામના ‘ગૌચરને સરકારની નજર લાગી’. તેણે રક્ષાશક્તિ યુનિવર્સિટીને ૨૩૫ એકર જમીન ફાળવી. ‘ગામ થયું ગૌચર વિનાનું’. વિરોધ શરૂ થયો. એક વિરોધ કાર્યક્રમમાં ભૂલ થઈ, યુવાનોએ તોડફોડ કરી. સ્વીકાર કરતું અખબારી નિવેદન પણ અપાયું. લેખક નોંધે છે : ‘લવાડનો આ કાર્યક્રમ કેટલીક શિખામણ આપતો ગયો, કેટલુંક શીખવાનું હજુ બાકી છે.’

રાજ્ય સરકારે ઉદ્યોગોને જમીનની લહાણી કરવા સ્પેિશયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) ઍક્ટ નામના બિનલોકશાહી ખેડૂતવિરોધી કાયદા હેઠળ ચૌદ વિસ્તારોમાં જમીન-સંપાદનનું આયોજન કર્યું છે. લેખક ‘વિકાસને નામે ગામડાં ઉજાડવાના સરકારી ષડયંત્ર’ એવા જુલમી ધારાની સમજ આપે છે. પછી તે વિરમગામ પંથકના માંડલ-બેચરાજી વિસ્તારનાં ૪૪ ગામોના ‘સર’ સામેના સફળ આંદોલનની તબક્કાવાર માહિતી આપે છે. જો કે ધોલેરા વિસ્તારનાં બાવીસ ગામો સરમાંથી મુક્ત થવા અને નર્મદાનાં પાણી મેળવવા ભાલ બચાઓ સમિતિના નેજા હેઠળ લડી રહ્યાં છે. આ વિસ્તારની જમીનોમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે સરકારે ઊભી કરેલી જમીનની ગુણવત્તાના અભાવ, પર્યાવરણીય મંજૂરી, પાણીની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય વિમાનમથક જેવી ભ્રમજાળનો લેખક મુદ્દાસર પર્દાફાશ કરે છે. બહારથી ધોલેરાની છાપ ખારાપાટ ઉજ્જડ વિસ્તારની. જ્યાં સુધી અંદરથી જોઈએ – સમજીએ નહીં. ત્યાં સુધી ખબર ન પડે કે આ ખારો પાટ નહીં પણ કુદરતની મહેરથી સમૃદ્ધ વિસ્તાર છે. સરસ ઘઉં, જીરુ, ચણા અને શાકભાજી પાકે છે. દસમી જાન્યુઆરીએ ધોલેરા ‘સર’ના ખેડૂતોએ અમદાવાદમાં અખબારી પ્રતિનિધિઓને સંબોધન કર્યું. ‘એમની જમીન, ઉપજ અને સરકાર દ્વારા ચલાવાઈ રહેલાં જૂઠાણાંની વાતો સાંભળી પ્રેસના મિત્રો દંગ રહી ગયા !’ 

સાંથણીની જમીન માટેની ચળવળ વિશેના નવમા પ્રકરણમાં લેખક માહિતી આપે છે કે ભૂમિહીનોને જમીન આપવાની સાંથણીની નીતિ નિષ્ફળ ગઈ હોવાની સરકારે જાહેરાત કરી. તેની સામે ગુજરાત લોકસમિતિના નેજા હેઠળ અનેક સંસ્થાઓએ ઉપાડેલી લડત  મે-૨૦૦૫માં સફળ થઈ અને સાતેક હજાર પરિવારોને વીસેક હજાર એકર જમીન ફાળવવામાં આવી. લેખક નોંધે છેઃ ‘એ મેળવવામાં કેવી અડચણો આજે પણ નડી રહી છે, તે જાણવું ખૂબ પીડાકારક છે. એ આખું કામ પૂરું થયું નથી. આદરણીય ચુનીભાઈ વૈદ્ય સત્તાણું વર્ષની વયે પણ એ લાભાર્થીઓ માટે અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.’ સાગરભાઈ રબારી ચુનીકાકાની તાલીમમાં તૈયાર થયેલા છે. 

‘ખેડૂતો’ નામના દસમા પ્રકરણની પ્રાસ્તાવિક નોંધમાં સાગરભાઈ લખે છે : ‘દાયકાઓથી અન્યાયનો ભોગ બનેલા ખેડૂત, આદિવાસી, દલિત, માલધારીઓને ન્યાયની આશા જગવતો નવો જમીન-સંપાદન કાયદો ૨૦૧૩માં બન્યો, એ પણ ઉદ્યોગ જગતથી ન ખમાયો. મૂડીના જોરે બળવાન આ બોલકો વર્ગ એમાં પણ  સરકાર  પાસે ધાર્યા ફેરફાર કરાવવા જઈ રહ્યો છે.’

ડી.એમ.આઇ.સી. અંગે લેખક માહિતી આપે છે કે તેનો ૩૮% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. તેમાં ગુજરાતની સાત હજાર હેક્ટર જમીન જશે. લેખક આ સંદર્ભે મહત્ત્વનો સવાલ કરે છે : ‘આ ઉપરાંત હાલના હયાત ઉદ્યોગો, સેઝને નામે ૨૦૦૫ પછી ઉદ્યોગોને આડેધડ ફાળવાયેલી હજારો એકર જમીનો, નવા મંજૂર થયેલા સેઝમાં અપાયેલી જમીનોનો સરવાળો કરીએ, તો સવાલ થાય કે ગુજરાતમાં ખેતી માટે કોઈ જમીન બચશે ખરી ? વળી, પાયાની વાત એ છે કે આ બધા ઉદ્યોગો ફળદ્રૂપ ખેતીલાયક જમીનોમાં જ આવી રહ્યા છે ! કચ્છના રણનો વિસ્તાર અને દરિયાકાંઠે આગળ વધતી ખારાશનો વિસ્તાર, રક્ષિત જંગલો અને પર્વતીય વિસ્તાર એ બધું બાદ કરીએ, એમાંથી ઉદ્યોગોએ પડાવેલી જમીનો બાદ કરીએ, તો ગુજરાતમાં ખેતીલાયક જમીન કેટલી બચશે ?’ જૂનાગઢ જિલ્લાના ભીમદેવળ ગામની પંચાયતે વડી અદાલતમાં અરજી કરી છે કે ગામના ગૌચરની જમીન ગુજરાત હેવી કૅમિકલ્સને ફાળવી દેવામાં આવી છે. ખેડૂતોની ઘટતી સંખ્યા, જમીન-સંપાદન અને પાણીની ખેંચ, કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (કાડા) અને ગરુડેશ્વર વિઅરને કારણે થનારું વિસ્થાપન જેવા મુદ્દા વિશે પણ વાંચવા મળે છે.

‘વિકાસ : ચહેરો રૂપાળો ને વાંસો વિકરાળ’ પ્રકરણમાં ભૂકંપ પછી કચ્છના પુનર્વસનની સરકારની યોજનાઓના ભાગ રૂપે કચ્છમાં જમીન મેળવીને આવેલા ઉદ્યોગોની અપાર વિપરીત અસર વિશેની વિગતો છે. આ વિગતો પર્યાવરણસુરક્ષા સમિતિની ટુકડીએ કચ્છની જાતમુલાકાત દ્વારા મેળવી છે. ખાવડા, પાન્ધ્રો, જખૌ, ભદ્રેશ્વર અને મુન્દ્રા પાસે સમાગોગા ગામોમાં જળ-જમીન-વાયુ-પ્રદૂષણ અને બેરોજગારી જેવી સમસ્યાઓ ખડકાઈ છે. અદાણીએ બેથી બાર ફૂટ ઊંચાઈનાં અઢીસોથી ત્રણસો વર્ષ જૂનાં ચેરિયાં – એશિયામાં ક્યાં ય નથી કપાયાં એટલાં – સાડા ત્રણ કરોડ કાપ્યાં છે ! શબ્દશઃ વાંચવા જેવા પ્રકરણને અંતે લેખક કહે છે : ‘આ ઉદ્યોગોનો ખેલ છે – નકશા પર ચહેરો રૂપાળો બતાવે છે પણ વાંસો તો પ્રદૂષણ અને બેરોજગારીથી વિકરાળ છે.’ અગિયારમા પ્રકરણમાં જમીન – આંદોલનનાં કામોમાં લેખકે કરેલા અનેક પ્રવાસોની માહિતી છે.

પુસ્તકના છેલ્લા પ્રકરણ ‘કાયદાની ભ્રમજાળ’માં કેન્દ્ર સરકારના જમીન અધિગ્રહણ વખતે યોગ્ય વળતરનો અધિકાર અને પુનર્વસવાટ અને પુનઃસ્થાપનનો કાયદો – ૨૦૧૩’ અને તેને લગતાં આપણાં સૂચનો વિશે વાંચવા મળે છે. તદુપરાંત સર ઍક્ટની  સમજ  આપવામાં આવી છે. તે  આ પુસ્તકની પુરવણી જેવી બત્રીસ પાનાંની પુસ્તિકા ‘ગુજરાત સરકારના કાયદા અને ગામડાં’માં પણ છે. સાથે તેમાં ‘ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલવ્યવસ્થા વિધેયક’ની સમજૂતી છે. પુસ્તિકાના પહેલા પ્રકરણ ‘ખેડૂતો સાબદા રે’જો … નહીંતર જમીન ગુમાવવા તૈયાર રહેજો’માં ખેડૂતોને થોડોક ન્યાય મળી રહે તેવા જમીન-સંપાદન કાયદામાં બહુ ઝડપથી આવી રહેલા ખેડૂત વિરોધી ફેરફાર અંગે લેખકે ચેતવણી આપી છે. અન્ય એક નોંધમાં સરકારે ૭૦૩૭૧ હૅક્ટર જમીનને નર્મદા યોજનાના પાણીમાંથી બાકાત રાખીને કરેલા વચનભંગની સાફ વાત છે. સર અને સિંચાઈને લગતા કાયદા વાંચીને વિશ્વાસ નથી આવતો કે લોકશાહી દેશના રાજ્યે ઘડેલા આ કાયદા છે.

આ લેખ પુસ્તકની માત્ર એક અસ્વસ્થકારક ઝલક જ છે. પુસ્તકની મહત્તા અહીં સૂચવાઈ છે, તેનાથી ઘણી વધુ છે. સાગર રબારીનું આ પુસ્તક મોટા ભાગના લોકો જેને વિકાસ માને છે, તે કોને ભોગે અને કોને માટે થઈ રહ્યો છે, તેનો સામાન્ય નાગરિકને સમજાય તેવી ભાષામાં આપેલો લાજવાબ જવાબ છે. ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા સહુને આ પુસ્તકમાંથી પસાર થવા નમ્ર અરજ છે. ગુજરાતીમાં તેનો બહોળો  ફેલાવો થાય, એટલું જ નહીં પણ બીજી ભાષાઓમાં તેનો અનુવાદ થાય, તો કર્મશીલ લેખકની મહેનત અને નિસબતનાં પરિણામ અનેક લોકો સુધી પહોંચે.

૬ નવેમ્બર, ૨૦૧૪      

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 12-14

Loading

અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|2 December 2014

થોડા વખત પહેલાં, ઠીક 11 અૉક્ટોબર 2014ના દિવસે, મારા ફેઇસબુકને પાને, ચેતન ગઢવીને કંઠે, ભૈરવી રાગમાં ગવાયું, ઝવેરચંદ મેઘાણીનું એક અમર કાવ્ય : ‘કસુંબીનો રંગ’ મૂક્યું. સાંભળી દક્ષિણ આફ્રિકે વસતા ગાલિબ કાછલિયાએ વળતા અભિપ્રાય પાઠવ્યો : ‘brings out the Gujarati in me more than Modi ever will.’

આ ગાલિબ કાછલિયાનાં દાદા-દાદી, નાના-નાની, કાકા, મામા, માસી, અને ખાસ કરી, એમનાં માતાપિતાની બહાદુરી તેમ જ દક્ષિણ આફ્રિકાની આઝાદીની લડતમાં આપેલા ભોગનો કદાચ કોઈ જોટો નથી. અહીં અહમદ મહમદ કાછલિયા – ખતીજા પટેલ ઉપરાંત ઈબ્રાહિમ અસ્વાત – ફાતિમા ઈસાક, મૌલવી ઇસ્માઈલ કાછલિયા, સાલેહ અસ્વાત, ઝૈનબ અસ્વાત તેમ જ યુસૂફ – અમીના કાછલિયાની આપણે સાહજિક વાત કરીએ છીએ.

આ લડતના એક અગ્રગણ્ય કર્ણધાર મહાત્મા ગાંધીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં, (નવજીવન પ્રકાશન, પૃ. 125) એક આખું પ્રકરણ અહમદ મહમદ કાછલિયાને નામ લખ્યું છે. તે આખું પ્રકરણ ફરીફરી રટણ કરવા જેવું છે. તેમાંનો આ ફકરો જ જોઇએ : 

“બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડ્યા તેમાં મેં હંમેશાં તેમને એકવચની તરીકે જ જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુમુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ યાદ નથી કે જેમાં તેમણે ધર્માન્ધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુમુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરા ય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.”

અહમદ કાછલિયા નવસારી જિલ્લાના કછોલી ગામના. પોતાની પરણેતર, ખતીજા પટેલ સાથે એ 1890 વેળા ટૃાન્સવાલ ગયેલા. એમની પુત્રવધૂ, અમીના કાછલિયા ‘વ્હેન હોપ અૅન્ડ હિસ્ટૃી રાઈમ’માં નોંધે છે તેમ, આરંભે, તો એ કાપડની ફેરીનો ધંધો કરતા હતા. 1893 સુધીમાં એમણે જહોનિસબર્ગમાં પોતાના મોટાભાઈ જોડે દુકાનનો આરંભ કરેલો. હળુહળુ તેની શાખાઓ પ્રિટોરિયા સમેતના ગામોમાં ઊભી પણ થઈ. આ દંપતીને છ સંતાનો હતાં અને તેમાં મૌલવી ઇસ્માઈલ કાછલિયા તેમ જ યુસૂફ કાછલિયા જેવા ખ્યાતનામ આગેવાનોનો સમાવેશ હતો. એમના એક પુત્ર, અલી તો ગાંધીજીના આશ્રમમાં અંતેવાસી હતા. એમનું બહુ જ નાની વયે અવસાન થયેલું.

નવેમ્બર 1996 વેળા, જાણીતા સંશોધક, પત્રકાર અને લેખક દીપક બારડોલીકરે “અોપિનિયન” સારુ ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’ નામે અગત્યનો લેખ કરેલો. પાન 08 તેમ જ 15 પર પથરાયા લેખમાં દીપકભાઈ લખે છે : ‘ગાંધીજીએ શેઠ અહમદ મહમદ કાછલિયાને સુરતી મેમણ તરીકે ઓળખાવ્યા છે, એ બરાબર નથી. એ હકીકત દોષ છે. અસલમાં કાછલિયા શેઠ સુરતી સુન્ની વહોરા કોમના નબીરા હતા. તેઓ સુરત જિલ્લામાં (હવે નવસારી જિલ્લામાં) આવેલા કાલાકાછા ગામના રહેવાસી હતા.’

સુન્ની વહોરા કોમના ઇતિહાસ અંગે સંશોધનકામ કરતા કરતા એમને આ દોષ પકડાયો હતો. વળી, દીપકભાઈ ખુદ આ જ સુન્ની વહોરા કોમના સભ્ય છે. આ મુદ્દે દીપકભાઈનો આ સમૂળો લેખ જોવો આવશ્યક લેખાય. 

‘ગૂજરાત વિદ્યાપીઠ’ના ઇતિહાસ વિભાગના અધ્યાપક મેહબૂબ દેસાઈ આ બાબત અંગે વિશેષમાં નોંધે છે, આવા અહમદ મહમદ કાછલિયાએ પોતાના એકના એક પુત્ર અલીને ગાંધીજીના ટોલ્સટોય આશ્રમમાં સાચો પ્રજા સેવક બનાવવા મુક્યો હતો. તેમના એ પગલાં પછી બીજા મુસ્લિમ બાળકોને પણ તેમના માબાપે ગાંધીજીના આશ્રમમાં મુક્યા હતા. ૧૦-૧૨ વર્ષનો અલી કાછલિયા સ્વભાવે નમ્ર, ચંચળ, અને સત્યવાદી હતો. પણ પિતાનું નામ રોશન કરવા તે વધુ ન જીવ્યો. કાછલિયા શેઠે હૃદય પર પથ્થર મૂકીને પુત્રને કાંધ આપી વિદાય કર્યો અને પાછા ગાંધીજીના સત્ય, અહિંસા અને સત્યાગ્રહના કાર્યમાં લાગી ગયા. અને લડત ચાલી ત્યાં સુધી તેઓ ગાંધીજી સાથે જ રહ્યા. આવા સિંહ પુરુષનું અવસાન કોમની ખિદમત કરતાં કરતાં જ ૧૯૧૮માં એટલે કે દક્ષિણ આફ્રિકાની લડત પૂર્ણ થયાના ચાર વર્ષે થયું. આજે પણ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં મોહનમાંથી મહાત્માનું સર્જન કરનાર સેવકોમાં અહમદ મહમદ કાછલિયાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના પોતાના પ્રથમ સત્યાગ્રહમાં પ્રેરકબળ બની રહેલા ગુજરાતના મુસ્લિમ વેપારીઓ અને કાર્યકરોની ખુલ્લા દિલે પોતાના લખાણોમાં પ્રશંસા કરી છે. તેમનો વિગતે પરિચય આપ્યો છે. ગુજરાતના મુસ્લિમોની આ સહકારની પરંપરાનો આરંભ દક્ષિણ આફ્રિકાના નાતાલ બંદરે ગાંધીજી ઉતર્યા ત્યારથી થયો હતો.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે ખડેપગે ઊભા રહેનાર અહમદ મહમદ કાછલિયાનો વિશેષ ઉલ્લેખ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં કરતા ગાંધીજી નોંધે છે :  ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી જાહેરસભા ભરાઈ. તેના પ્રમુખ હતા ‘બ્રિટિશ ઇન્ડિયન એસોશિયેસન’ના હંગામી પ્રમુખ યુસૂફ ઇસ્માઈલ મિયા. પોતાના ભાષણમાં તેમણે ગાંધીજીને તમામ સહકાર આપવાનું વચન આપ્યું. પણ તેનાથી વિશેષ તો આ સભામાં બોલવા ઊભા થયેલા અહમદ મહમદ કાછલિયાથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા. ‘ગાંધી બિફૉર ઇન્ડિયા’માં લેખક રામચંદ્ર ગુહા જણાવે છે તેમ, યુસૂફ મિયાના રાજીનામા બાદ, અહમદ કાછલિયા આ અગત્યની સંસ્થાના પ્રમુખપદે આવ્યા.

આ અંગે ગાંધીજી ‘અહમદ મહમદ કાછલિયા’ નામક 16માં પ્રકરણમાં લખે છે, ‘હિંદીઓનાં ભાષણ શરૂ થયાં. આ પ્રકરણના અને ખરું જોતાં આ ઇતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઊભા થયા તેમાં મરહૂમ અહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખતો. એઓ અત્યાર સુધી જાહેર કામમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા. એમનું અંગ્રેજી જ્ઞાન કામચલાઉ હતું, પણ અનુભવથી એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજ વકીલોને ત્યાં લઈ જાય ત્યારે તે પોતે જ દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું એ કંઈ એમનો ધંધો ન હતો. એ કામ તો તે મિત્ર તરીકે જ કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈ સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી સુન્ની વહોરા હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી સુન્ની વહોરાઓમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. ગુજરાતીનું જ્ઞાન એવું જ હતું, અનુભવે તેમાં વધારો કર્યો હતો. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે તે વસ્તુ એ ઘણી સહેલાઈથી સમજી જતા. કેસોની આંટીઓ એવી રીતે ઉકેલી શકતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલોની સાથે કાયદાની દલીલ કરતાં પણ એ અચકાય નહિ, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય જ.’

પ્રિટોરિયાની એ જંગી જાહેરસભામાં ‘પોતાનું ઝવેરાત દિવસે દિવસે બતાવી’ રહેલા અહમદ મહમદ કાછલિયાએ પોતાના જમણા હાથનાં ખુલ્લાં આંગળાં ગળા ઉપર ફેરવતાં ગર્જના કરતાં કહ્યું હતું, ‘હું ખુદાના કસમ ખાઈને કહું છું કે કતલ થઈશ, પણ કાયદાને વશ નહિ થાઉં અને ઈચ્છું કે આ સભા પણ એ જ નિશ્ચય પર આવશે.’

આ જ લડતમાં સક્રિય રીતે ભાગ લેવાને કારણે દક્ષિણ આફ્રિકાની સરકારે કાછલિયાના વેપારમાં અડચણો ઊભી કરવા માંડી. જે અંગ્રેજ પેઢીઓએ કાછલિયા શેઠને ધીરધાર કરી હતી, તેમણે અંગ્રેજ સરકારનાં દબાણને વશ થઈ, વેપારમાં ધીરેલા નાણાંની કાછલિયા પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી અને કહેણ મોકલ્યું કે, ‘જો તમે લડતમાંથી નીકળી જાઓ તો અમને નાણાંની કંઈ જ ઉતાવળ નથી. જો તમે તેમાંથી ન નીકળી જાઓ તો અમને ભય છે. તમને સરકાર ગમે ત્યારે પકડી લે તો અમારાં નાણાંનું શું થાય ? તેથી જો તમે આ લડતમાંથી ન જ નીકળી શકો તો અમારાં નાણાં તમારે તુરત ભરવાં જોઈએ.’

પણ આ વીર પુરુષ કાછલિયાએ અગ્રેજ વેપારીઓને ખુમારીથી જવાબ આપ્યો કે, ‘લડત એ મારી પોતાની અંગત વાત છે. તેને મારા વેપાર સાથે કંઈ સંબંધ નથી. તે લડતમાં મારો ધર્મ, મારી પ્રજાનું માન અને મારું સ્વમાન સમાયેલાં છે. તમારી ધીરધારને સારુ હું તમારો આભાર માનું છું. પણ તેને કે મારા વેપારને હું સર્વોપરી નથી ગણી શકતો. …’

કાછલિયાનો જવાબ સાંભળી, અગ્રેજ વેપારીઓ સમસમી ગયા. કારણ કે તેઓ તો કાછલિયાને નમાવવા ઇચ્છતા હતા. પણ કાછલિયા ન નમ્યા અને નાદાર કે દેવાદાર બનવાનું તેમણે પસંદ કર્યું. આવા ભડવીર વિષે ગાંધીજી નોંધે છે, ‘કાછલિયા બધી બાબતોમાં થોડું થોડું બોલી પોતાનો નિશ્ચય જાહેર કરી દેતા. અને એમા અડગ રહેતા. મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે જ્યારે તેમણે નબળાઈ બતાવી હોય અથવા તો છેવટનાં પરિણામ વિષે શંકા પણ બતાવી હોય.

પિટર્સબર્ગ નિવાસી જેશંકર ગોવિંદજી ત્રવાડી જેવા સ્થાનિક કવિએ તો અહમદ મહમદ કાછલિયાની સ્તુિત કરતું કાવ્ય પણ રચેલું, તેમ રામચંદ્ર ગુહાએ નોંધ્યું છે. અને તેના સગડ આપણને ‘અૅ ફાયર ધેટ બ્લેઝ્ડ ઈન ધ અૉશન’ નામે સુરેન્દ્ર ભાણા તેમ જ નીલિમા શુકલ-ભટ્ટે આપી ચોપડીમાંથી મળે છે. દક્ષિણ આફ્રિકા ખાતે 1909-1911 દરમિયાન થયેલા સત્યાગ્રહ ટાંકણે “ઇન્ડીઅન ઓપિનીઅન” સામયિકમાં પ્રગટ થયેલાં વિવિધ કાવ્યો બાબતનું આ મજેદાર પુસ્તક છે. 

આ પુસ્તકના 89 પાન પર, 22 મે 1909 વેળા, પ્રગટ ‘સ્વદેશ સેવા‘ નામે કાવ્ય જોવા તપાસવા સમ છે. કવિતાનો આરંભ આમ છે :

કાચલિયા કુળદીપ, હિંદનો હીરો સાચો,

કાચલિયા કુળદીપ, રંગ ઘણેથી સચ્યો

કાચલિયા કુળદીપ, કોમને માટે કૂદ્યો.

કાચલિયા કુળદીપ, જોર ઘણેથી ઝુઝ્યો,

તન ધન સમર્પ્યો દેશ માટે, બેશ ફકીરી તેં ધરી,

અહમદ મહમદ ધન્ય તને, ખરી દેશ

                                  સેવા તેં કરી.

સન 1908ના અરસામાં, અસહકારની લડતમાં ગાંધીની ધરપકડ થયેલી. રામચંદ્ર ગુહાએ આ અંગે વિગતે નોંધ્યું છે, સરકારની ધારણા હતી કે આગેવાનની ધરપકડ કરવાથી આ આંદોલન પડી ભાંગશે. પરંતુ ટૃાન્સવાલમાં આ ગિરફતારીનો વિરોધ કરવા મળેલી જાહેર સભામાં, અહમદ કાછલિયાએ આ મતની જાહેર આલોચના કરી, તેને ભ્રામક ઠેરવી છે. વળી, એ કહે છે, ગાંધી જેલમાં છે, પરિણામે આપણે દરેકે, હવે, આગેવાન બનવાની તૈયારી રાખવી રહેશે. આવી એક બીજી સભા જોહનિસબર્ગની હમિદિયા મસ્જિદ પાસે મળી હતી. સમગ્ર એશિયાઈ વસાહત ત્યાં હાજર હતી અને મુખ્ય આગેવાની કાછલિયાએ સંભાળી હતી. ગોરા લોકો કરતાં કાળા લોકોએ વધુ સુસજ્જ બનવું જોઈએ એવી વાત દાખલાઓ, દલીલો આપીને અહમદભાઈએ સભાને સમજાવી હતી. રામચંદ્ર ગુહાના મત અનુસાર, ગાંધી કરતાં, જાણે કે સવિશેષપણે, ટૉલ્સ્ટોયને અહમદ કાછલિયાએ પચાવી જાણ્યો હોય, તેમ આ સભામાંથી વર્તાતું હતું.

જૂન 1909ના ફૉર્ડ્સબર્ગ મસ્જિદ પાસે એક જંગી સભા મળેલી. આશરે પંદરસો ઉપરાંત હિન્દીઓ હાજર હશે, તેમ રામચંદ્ર ગુહાએ નોંધ્યું છે. શાહી સરકારને મળવા માટે એક પ્રતિનિધિમંળ લંડન મોકલવાનો ઠરાવ આ સભામાં થાય છે અને પ્રતિનિધિમંડળમાં અહમદ મહમદ કાછલિયા, વી.એ. ચેટ્ટિયાર, મોહનદાસ ગાંધી, નાદેશિર કામા તેમ જ હાજી હબીબની નિયુક્તિ કરવામાં આવી છે. કાછલિયા, ચેટ્ટિયાર તથા કામા જેલમાં હોવાને કારણે ગાંધી તેમ જ હબીબ લંડન જવા રવાના થયેલા, જ્યારે હિન્દમાં જનમત જાગ્રત કરવા હેનરી પોલાકને મોકલવામાં આવેલા. આ દાખલામાંથી પણ સમજાય છે કે અહમદ કાછલિયાનું કાઠું કેવડું વિશાળ અને ઊંચેરું હશે.

‘ધ મહાત્મા અૅન્ડ ધ ડૉક્ટર‘ પુસ્તકના લેખક એસ.આર. મેહોરત્રા જણાવે છે તેમ, અહમદ કાછલિયા અને એમના જેવા બીજા અનેક લોકોના ત્યાગ, ન્યોછાવરી સમજાય નહીં ત્યાં લગી ગાંધીજીને પિછાની શકાય તેમ નથી. આ આગેવાનો — જૉસેફ ડોક, હોસ્કેન, રિત્ચ, હેનરી પોલાક, હેરમાન કેલનબૅક અને વળી લિયુંગ ક્વીન, અહમદ કાછલિયા, દાઉદ મહમૂદ, રૂસ્તમજી, થામ્બી નાયડુ વગેરેનો પણ આ યાદીમાં સમાવેશ છે. 

•

અમીના કાછલિયાએ લખી આત્મકથા એમના અવસાન બાદ પ્રગટ થઈ. એ જોવાને રહ્યાં નહીં. 2013માં પ્રકાશિત આ ઐતિહાસિક આત્મકથા : ‘When Hope and History Rhyme’ વિશે એમના પુત્ર, ગાલિબ કાછલિયાની એક ટેલિવિઝન મુલાકાતની વીડિયો અહેવાલ હાથ લાગ્યો છે. તેની કડી અહીં આપીએ છીએ :  

https://www.youtube.com/watch?v=mvfF2DZUwi4

જ્યારે અમીનાબહેન કાછલિયાનો અવાજ, એમની વાણી પામવા આ કડીએ પણ જઈ શકાય :

https://www.youtube.com/watch?v=wXIaJFRjPR8

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

29 નવેમ્બર 2014 / 19 જાન્યુઆરી 2015

Loading

‘કર્મશીલ’ સાહિત્યકારો ?

ડંકેશ ઓઝા|Opinion - Literature|1 December 2014

ગુજરાતી સાહિત્યમાં ઘણાં બધાં પારિતોષિકો અપાય છે. કોઈક કાળે ઓછાં પારિતોષિકોની ફરિયાદ રહેતી હોય તો ભલે, પરંતુ હવે એવું નથી, એવું સર્વ કોઈ સ્વીકારશે. સ્થિતિ એટલી બદલાઈ છે કે આજે સાહિત્યમાં ગુણવત્તા ભૂતકાળના પ્રમાણમાં તો ઘટી જ છે અને પારિતોષિકોની સંખ્યા વધતી ગઈ છે. આજે સાહિત્યકારો પોતાનાં પુસ્તકોની સંખ્યાના જોરે મોટા હોવાનો દાવો કરે છે, તો બીજા કેટલાંક ઓછાં પુસ્તકો હોવા છતાં વધુ પારિતોષિકો મેળવ્યાનો દાવો પણ કરી શકે તેવી સ્થિતિ છે. મનમાં સવાલ એ થાય છે કે આવી સ્થિતિ સારી કહેવાય ખરી ?

બીજો વિચાર ‘કર્મશીલતા’નો આવે છે. ઘણા બધા સાહિત્યકારોને કર્મશીલ પણ ગણાવાય છે. ક્યારેક પોતે પણ કર્મશીલ હોવાનું સ્વીકારી લે છે અથવા એવો દાવો કરતા થઈ જાય છે. એક તરફ સમાજમાં કામો વધી પડ્યાં છે અને કામ કરનારા ઓછા છે. જેટલા લોકો લેખન તરફ વળે છે, તેટલા પ્રમાણમાં સામાજિક કાર્ય તરફ સ્વેચ્છાએ વળતા હોય એવું ઝાઝું દેખાતું નથી. કામો જરૂર થાય છે, પરંતુ આપણો દેશ અને સમાજ અને તેના પ્રશ્નો એવા તો સંકુલ અને મસમોટા છે કે ગમે તેટલું ગંજાવર કામ થયું હોય અને થતું હોય તો પણ નાનું દીસે છે. આવી પરિસ્થિતિમાં પત્રકાર કે લેખક પોતાને કર્મશીલ ગણાવે, ત્યારે થોડું વરવું લાગે છે, જેમાં ઝટ સંમત થવાનું મન થતું નથી.

ફિલોસૉફર સાર્ત્રે તો કહેલું કે ‘વિચાર એ પણ કાર્ય છે.’ પણ, પછી પ્રશ્ન એ થવાનો : કયો વિચાર અને કેવો વિચાર ? સાર્ત્રની કક્ષાએથી જે કક્ષાની વાત થઈ હોય, તેનો દલીલ તરીકે આપણી ક્ષુલ્લક વાતમાં કોઈ સહારો લે, ત્યારે મનોમન હસવું આવી જાય છે. સાર્ત્રની કક્ષાનો વિચાર કરનારા, કહીએ તો વિનોબા જેવા, આપણે ત્યાં બીજાઓ છે ખરા ? હોય તો પણ કેટલા ઓછા.

સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?

આવા કંઈક વિચારો મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા જ્યારે વર્ષ ૨૦૧૦નું સચ્ચિદાનંદ સન્માન ચંદ્રકાંત શેઠને, ૨૦૧૧નું રતિલાલ બોરીસાગરને અને ૨૦૧૨નું લાભશંકર પુરોહિતને તા. ૭ જૂન, ૨૦૧૪ના રોજ ચિત્રકૂટધામ, મહુવા ખાતે આદરણીય મોરારિબાપુના હસ્તે ગુજરાતી સાહિત્યના પ્રમુખ ધીરુભાઈ પરીખની હાજરીમાં અપાઈ રહ્યું હતું.

પેટલાદના દંતાલી ખાતે નિવાસ કરતા સ્વામી સચ્ચિદાનંદે સાહિત્ય પરિષદને જ્યારે આ સન્માન માટે જે કંઈ રકમ આપી હશે, ત્યારે સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધો ગાઢ હોય અને એવું સાહિત્ય લખતા હોય તેવાને તે અપાય એવો જ વિચાર હશેને ? એટલે તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેમને આ સન્માન આપે છે, તે બધાને ‘કર્મશીલ’ ગણાવવાનો પુરુષાર્થ કરે છે !

શરૂઆત ૧૯૯૭માં ભોગીલાલ ગાંધીને આ સન્માન આપવાથી થયેલી. પછી તે નિરંજન ભગત(૧૯૯૯)ને પણ અપાયું. ગુણવંત શાહ(૨૦૦૧)ને પણ અપાયું. ધીરુભાઈ પરીખ(૨૦૦૪)ને અપાયું. અત્યાર સુધીમાં કુલ સોળ સાહિત્યકારોને અપાયું. એમાં નથી જૉસેફ મેકવાન, નથી દિલીપ રાણપુરા કે નથી ધ્રુવ ભટ્ટ !

ગુજરાતી સાહિત્ય પરિષદ શતાયુ બની છે, તેનું આપણે ગૌરવ લઈએ તે સારુ છે. પરંતુ જે રીતે આ સન્માન જેમને અપાય છે, તે બાબતે ચર્ચાવિચારણા પણ ન કરીએ તો તે વાજબી નથી. સચ્ચિદાનંદ સન્માન માટેની કોઈ નિર્ણાયક-સમિતિ નથી. સન્માન પ્રતિવર્ષ એક સાહિત્યકારને અપાય છે. પરિષદના ટ્રસ્ટીમંડળના સભ્ય રઘુવીર ચૌધરીએ જાહેર સમારંભમાં એવું કહ્યું કે ટ્રસ્ટીઓ વાતચીત કરીને, પ્રમુખની સંમતિથી આ નિર્ણય લે છે. આને બહુ સંયત રીતે કુલડીમાં ગોળ ભંગાતો હોવાનું કહી શકાય ? સમાજમાં પારદર્શકતાની ઝંખના વધી છે. અગાઉ ચાલ્યું એવું હવે ચાલવાનું કે ચલાવવાનું નથી. લોકશાહી સરકારો માહિતી અધિકાર આર.ટી.આઈ. સુધી પહોંચી ગઈ છે, ત્યારે આપણે નિર્ણાયક-સમિતિઓ પણ ન રચીએ અને તે જાહેર ન કરીએ, તો તે કેટલું યોગ્ય કહેવાય ? સવાલ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો નથી. સવાલ વિશ્વસનીયતાનો, જવાબદારીનો અને પારદર્શિતાનો છે. આ લઘુતમ અપેક્ષા છે.

સમાજમાં અને સાહિત્યમાં જે કંઈ ચાલી રહ્યું છે, તેને તટસ્થતાથી મૂલવવાનું વલણ સમાજમાં ઓછું થતું જાય છે એ ખરી ચિંતાનો વિષય છે. પછી બધાંને ફાવતું થઈ જતું હોય છે. મૂલ્યનાં ધોરણો જળવાય તે માટેની કડક પરીક્ષા અને આલોચના ન થાય તે કેમ ચાલે ? આપણે ત્યાં વિચારપત્રો છે પણ તેમાં પૂર્વગ્રહ અને વ્યક્તિલક્ષી વિચારણાઓ પ્રવેશી જાય છે, જે ચર્ચાના સ્તરને દોદળું અને નકામું બનાવી મૂકે છે. સાહિત્યનાં સામયિકો પણ ડઝનબંધી છે. તેમને કદાચ આવા વિષયોમાં પદાર્પણ કરવા જેવું પણ લાગતું નથી. જે કંઈ સર્જન થયું તે છપાવવામાં અને આવી મળે તે છાપવામાં બધા રત છે … ઑલ ઇઝ વેલની આલબેલ પોકારી શકાય તેમ તો નથી જ નથી.

મિત્રો, થોડી વધુ ગંભીરતાથી ન વિચારીએ ?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15-16

Loading

...102030...3,8893,8903,8913,892...3,9003,9103,920...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved