Opinion Magazine
Number of visits: 9561770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં 100 સ્માર્ટ સિટી બનશે

આશા બૂચ|Opinion - Opinion|28 November 2014

દરેક નવી ચૂંટાયેલી સરકાર તેના મતદારોને એક યા બીજાં વચનો આપે છે તો એમાં બી.જે.પી.ની સરકાર કેમ પાછી પડે? આધુનિકતા અને વ્યાપારને પોતાનો જીવન મંત્ર બનાવનાર રાજકીય પક્ષ પાસે બીજી શી અપેક્ષા રાખી શકાય?

આમ તો સરકારની આવી પ્રતિજ્ઞાથી લોકોને હરખ થાય તે સ્વાભાવિક છે. મારા જેવા અદકપાંસળિયાને એવા પ્રશ્નો સતાવે કે ભાઈ, ભારતને 100 સ્માર્ટ સિટીથી સજાવાશે તો બાકીનાં સાડા છ લાખ ગમાર ગામડાઓમાં રહેતી 83 કરોડ પ્રજા કેવી રીતે રહેશે? વધુ વિચારતાં ખ્યાલ આવ્યો કે લોકો શહેરો ભણી દોટ એટલે મૂકે છે કે ત્યાં એમને ધંધા-રોજગારીની તકો મળે છે. શહેરોમાં પાકા રસ્તા હોય, વીજળીના દીવા ઝગમગતા હોય, થિયેટરમાં ફિલ્મ જોવા મળે, રેસ્ટોરાંમાં જમવા જવાય, મજાનાં સ્કુટર કે ગાડીમાં ફરવા મળે અને જો નસીબ પાધરું હોય તો દેશમાં અને વિદેશમાં ય ‘હોલીડે’માં પણ જવાનું થાય.

હવે કોઈ પણ નાના કે મોટા નગર-શહેરમાં જઈને જોઈએ તો ખ્યાલ આવશે કે ત્યાં વસતી પ્રજા વાહનોના સ્પેર પાર્ટ્સ બનાવવા કે વેચવાનો ધંધો કરે અથવા તેને રિપેર કરવાનો વ્યવસાય આદરે, ફર્નીચર, ઘર વપરાશની વસ્તુઓ, ટેલિવીઝન, મોબાઈલ અને કમ્પ્યુટર જેવાં આધુનિક રમકડાંના વેચાણ-રિપેરનો વેપાર તો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો છે. હા, શાળા-કોલેજો જેવી શિક્ષણ સંસ્થાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજ, શાક-ભાજી અને કપડાંના વેપારની હાજરી શહેરોમાં અનિવાર્ય બને છે.

મજાની વાત એ છે કે અનાજ ઊગાડતો કે ફળ-શાકભાજીની વાડીઓમાં મહેનત કરતો ખેડૂત પોતાનાં સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવે (અને તે પણ શક્ય હોય તો અંગ્રેજી માધ્યમની શાળામાં) જેથી કરીને તેના સંતાનોને આવી મજૂરી ન કરવી પડે અને શહેરમાં ‘સાયબ’ જેવી નોકરી મળે, કેમ કે તેમાં પૈસો અને પ્રતિષ્ઠા મળે એમ માનવામાં આવે છે. એ ખેડૂત પોતાનું ખેતર કે વાડી જે ખેડૂત પોતે કે તેનાં છોકરાં ગામડું છોડીને શહેર ભણી દોટ ન મૂકી શક્યા હોય તેવા ભૂમિ વિહોણા મજૂરોને સોંપી દે અને પોતે ખેતર-વાડીના રોકાણના બદલામાં પાકના વેચાણમાંથી નફાનો મોટો ભાગ રાખી, બાકીનો તેના ભાગીદારોને આપીને બાપીકા ધંધાથી ધીમે ધીમે અળગો થતો જાય છે. એવા પણ કિસ્સા જોવા-સાંભળવા મળે છે કે બાપીકા ખેતરમાં સિંચાઈની સગવડ ઓછી થઇ ગઈ હોય ને પંચાયત પાસે મદદ માગવા ગયા હોય ત્યારે પાર વગરનાં ફોર્મ ભરીને તુમારશાહીમાં તેમની અરજી અટકી પડે ત્યારે બે-પાંચ લાખની લાંચ આપવાની તાકાત ન હોવાને કારણે ખેતીનો વ્યસાય સમૂળગો છોડીને ટેક્સી કે ભારે ટ્રક ચલાવવાની નોકરીમાં જોતરાવું પડે. આવી જ હાલત મોટા ભાગના ગ્રામોદ્યોગની થઈ છે. ગામડાના મોચી, લુહાર, સુતાર, વણકર અને દરજી વતન છોડી નજીકના શહેરમાં બાટા શૂઝની કંપની, ફર્નીચર બનાવતી મોટી કંપની (વિદેશી માલિકીની પણ હોઈ શકે), તોતિંગ કાપડ મિલ કે કપડાં સીવતી મહાકાય ફેકટરીમાં ‘નોકરી’ મેળવવા દોડે છે.

પશ્ચિમના એટલે કે જેને આપણે ધનાઢ્ય અને પૂર્ણ વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ તેમણે પોતાના દેશની વિકાસનો રાહ કેવી રીતે કંડાર્યો તે જાણવું રસપ્રદ થઈ પડશે. એક તો એવા દેશોમાં જ્યાં કાચો માલ પેદા થતો હોય કે આયાત કરી શકાતો હોય તે ગામ કે નાના શહેરમાં કે તેની આસપાસ નાનાં મોટાં મશીનો લઈ જઈને ઉત્પાદન શરૂ કર્યું જેથી સ્થાનિક મજ્દૂરોને રોજી મળી, એટલું જ નહીં પણ તેમની શક્તિનો ઓછા ખર્ચે ઉપયોગ પણ થયો. આપણે તો મહમ્મદ માઉન્ટન પાસે જાય તેની બદલે માઉન્ટનને મહમ્મદ પાસે લાવ્યા એટલે કે કારીગરો અને ઉત્પાદક ક્ષમતા ધરાવનારા મજૂરોને પોતાની ધરીમાંથી ખસેડીને જ્યાં મશીનોના ઢગલા ખડકી મુક્યા ત્યાં હડસેલી મુક્યા.

વળી, એક બીજી નોંધપાત્ર વાત એ શીખવા જેવી છે કે વિકસિત દેશોમાં કહેવાતા ગામડાઓ પાકા રસ્તાઓથી જોડાયેલા છે અને ગામમાં પણ ચોવીસ કલાક પાણી પૂરવઠો, વીજળી, તમામ જરૂરતો પૂરી પાડતી માર્કેટ્સ, ભૂગર્ભ ગટરો અને બીજી તમામ આધુનિક સુવિધાઓ કે જે નાનાં શહેરોમાં ઉપલબ્ધ હોય તે ભલે નાના પાયા પર પણ ગામડાંમાં મળે તેવી જોગવાઈ કરી. ભારતે પોતાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાબતમાં બિલકુલ અવગણના કરી તે તો સહુ સ્વીકારશે. એવું જ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી સેવાઓની બાબતમાં કહી શકાય. ભારત જેની સાથે હોડમાં ઉતર્યું છે એ G 20 દેશોની સરકારોએ જેનાં પૂતળાં બનાવીને આપણે પૂજીએ છીએ એવા મહાન આર્ષદ્રષ્ટાઓના વિચારો જાણ્યે અજાણ્યે પણ અમલમાં મૂક્યા અને ખુદ આપણે તેને નેવે મૂકી દીધા.    

કોઈ ઈમારતમાં જેમ પાયો ખોદવો પડે તેમ દેશની ઈમારતનો પાયો તેની સ્વાસ્થ્ય અને આરોગ્યની વ્યવસ્થા છે. પછી પાયાની ઈંટ સમાણી શિક્ષણ પદ્ધતિ અને ત્યાર બાદ દીવાલો રૂપી આવાસ, રોજગારીની તકો, ઉદ્યોગ-ધંધાઓ, વાહન અને સંદેશ વ્યવહાર અને વ્યાપાર વાણિજ્યનું ચણતર થાય. છેવટ છત ઉપર મોટા અને ભારે ઉદ્યોગો, આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વેપારથી ઈમારાત પૂરી થયેલી ગણાય. ભારત દેશના ઘડવૈયાઓ સ્વતંત્રતા પછી ‘વિકાસ’ કરવાની ધૂનમાં છત પહેલાં બનાવવા લાગ્યા જેને કારણે છત નબળી દીવાલો પર મહા મુશ્કેલીથી ટકી રહી અને પાયાની ઈંટ અને પાયો તો ખોદાયા વિનાના જ રહી ગયા. હવે ભૂલ સમજાઈ એટલે નીચેથી ઈમારત બાંધવાનું શરૂ કરી રહ્યા છે પણ કરુણતા તો એ છે કે હજુ પણ ગામડાંઓ ભાંગીને શહેરો બનાવવાથી જ ઉધ્ધાર થશે એમ માનવામાં આવે છે.

આ 100 સ્માર્ટ સિટી બનાવવાની યોજના અંતર્ગત નવાં શહેરો બનાવવાની  નેમ નથી પણ જે શહેરો આડેધડ વિકસ્યાં છે તેમને સુવ્યવસ્થિત કરવાનો આશય છે જે બધી રીતે આવકાર્ય છે. એવાં રૂપાળાં શહેરોમાં રહેનારાઓ અને તેની સાથે વેપાર વાણીજ્ય કરનારા સહુની એવી ઈચ્છા રહેશે કે એ શહેરોમાં રસ્તાઓ, ભૂગર્ભ પાણી અને ગટરનું આયોજન થાય અને જાહેર સ્વચ્છતાને અગ્રતાક્રમ અપાય. હવે બે અને ચાર પૈડાનાં વાહનો જો શહેરી જીવનનો અનિવાર્ય હિસ્સો બન્યો જ છે (જો કે તેનાથી થતા પ્રદૂષણનો સ્વાદ ચાખવા મળ્યો છે તેથી બી.અર.ટી. નામની જાહેર બસ સેવા અસ્તિત્વમાં લાવવી પડી છે) તો વાહન વ્યવહારના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને તેના રહેવાસીઓને કબૂતરખાના જેવાં ઘોલકા નહીં પરંતુ માનવ અધિકારનું રક્ષણ કરતા હોય તેવા માલિકીના આવાસો પૂરા પાડવામાં આવે તેવી અપેક્ષા વધુ પડતી નથી. ગામડાની ચોખ્ખી હવા-ઉજાસવાળી સ્વતંત્ર જિંદગી છોડીને અતિ ગીચ વસતીમાં રહેવાની ફરજ પડી છે તેવા લોકો માટે પૂરતા બાગ-બગીચા અને ફરવાનાં સ્થળોની જોગવાઈ કરવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તો લાંબે ગાળે દેશને જ ફાયદો થાય. ગ્રામ્ય જીવનની એક બીજી દેણ તે માનવ માનવ વચ્ચેના પ્રેમભર્યા અનૌપચારિક અને હુંફાળા સંબંધો છે જે શહેરી જીવનના ધમાલિયા અને એક બીજાની ઓળખ વિનાના જીવનમાં ગાયબ થઈ જાય છે, તેથી શહેરોમાં નાનાં નાનાં સંકુલોમાં રહેવાસ અને પરસ્પરને જોડતી સામૂહિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ જ શહેર નિવાસીઓને બેદર્દ અને સ્વાર્થી બનાવતા અટકાવશે અને જીવનને હરિયાળું બનાવશે.

જો ગ્રામ્ય જીવનની ખૂબીઓને શહેરની સગવડો સાથે સમન્વિત કરવામાં આવે તો સ્માર્ટ સિટીનો પ્રકલ્પ આવકાર્ય બનશે, બાકી જો શહેરોને સ્માર્ટ બનાવવા પાછળ કેટલાક ધનાઢયો કે ઉદ્યોગપતિઓના સ્થાપિત હિતો પોષવાની ગણતરી હશે તો સરવાળે ગામડાંઓમાં રોજી રોટીની તકો ગુમાવવાને કારણે લાચાર થઈને આવેલ લોકોનું જીવન ઘાણીના બળદ જેવું દિશાહીન, બુદ્ધિહીન અને રસવિહીન જીવન જીવતા એક મતદારનું થઈ જશે જે બિલકુલ ઇચ્છનીય નહીં રહે. આપણે પ્રાર્થના કરીએ કે 100 સ્માર્ટ સિટીના આયોજન અને સુધારણા માટે તેમાં રહેનારનું હિત સચવાય અને શહેરી નાગરિકોનો અવાજ સાંભળવામાં આવે.   

e.mail : 71abuch@gmail.com

Loading

Click

Keshav|Opinion - Cartoon|25 November 2014

courtesy : "The Hindu", 24 November 2014

Loading

આને શું કહીશું?

'ભભાઈ' ભરત પાઠક|Opinion - Opinion|23 November 2014

છેલ્લાં આશરે દસેક વર્ષથી અમદાવાદ શહેરની સિકલ બદલવા માટે શહેરના મ્યુિનસિપલ કોર્પોરેશને જે પગલાં લીધાં છે તેમાં કેટલાંક એવાં છે જે પ્રજાહિત કરતાં વધારે તો ટાપટીપ કરીને સુંદર દેખાવના પ્રયત્ન કરવા સમાન છે. એક ઉદાહરણ કાંકરિયા તળાવ. ઇ.સ. ૧૪૫૧માં બંધાયેલા આ તળાવની ફરતી જે પથ્થરોની પાળી હતી તે બંધાયું ત્યારથી લગભગ એવી ને એવી ટકી રહી હતી. એમાં કદાચ સમારકામ થયું હશે તો પણ, સીદી સૈયદની મસ્જિદમાં કે હઠીસિંહનાં દહેરાંમાં કે જૂના કાળની અન્ય ઈમારતોમાં છે તેવા જ પીળા, સહેજ છિદ્રાળુ પથ્થરોથી થયું હશે. હવે અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશને કાંકરિયા “સુંદર”(?) બનાવવા આધુનિક જમાનાના પથ્થરો જડી દીધા. વળી ચારે દિશાએથી તળાવે પહોંચવાના જે પાંચ-છ માર્ગ છે તે દરેકને લોખંડના દરવાજા લગાવી દીધા જેથી કરીને પૈસા આપીને ટિકિટ ખરીદ્યા સિવાય કોઈ તળાવે પહોંચી ન શકે. જે તળાવ લોકોપયોગ માટે છે, જ્યાં સામાન્ય કમાણી કરતો, માંડ માંડ રોટલો રળી શકતો માણસ પણ ક્યારેક બૈરી-છોકરાં સાથે આ તળાવે આવીને નાનીશી “સહેલ” લીધાનો સંતોષ લઈ શકતો તેને માટે હવે ૨૦-૨૫ રૂપિયા ખરચીને ટિકિટ વિના પ્રવેશ લેવાની પણ બંધી થઈ ! કાંકરિયા આમ બંધ થયું ત્યારે કેટલાક જાગૃત પ્રજાજનોએ તે સામે વિરોધ કરેલો, શાંત દેખાવો કરેલા, પરંતુ તેનું કશું પરિણામ આવે તે પહેલાં કોઈકે કોર્ટમાં વિરોધ નોંધાવી દીધો જેને લીધે “મેટર સબજ્યુડીસ” થઈ, મતલબ કે હવે કોઈ દેખાવો તો શું, કશું લખવું-બોલવું-કહેવું પણ કદાચ “કોર્ટના તિરસ્કાર”માં ખપે.

છેલ્લાં પાંચેક વર્ષ દરમ્યાન સાબરમતી નદીના પટને રૂપાળો બનાવીને સહેલગાહ માટે એક નવતર જગ્યા વિકસાવવાનું થયું છે. શાહીબાગમાં ભીમનાથ મંદિરવાળા ઓવારાની સહેજ ઉપરવાસથી લઈને વાસણા બેરેજ સુધી નદીના બેઉ કાંઠે સહેલગાહ માટેના પહોળા માર્ગ બનાવાયા છે. નદીકાંઠે નાની નાની ઓરડીઓ બનાવી તેમાં રહી મજૂરી કરતાં, નદીમાં ધોબીઘાટ ન હોવા છતાં ત્યાં કાપડ અને લૂગડાં ધોતાં કુટુંબોને ત્યાંથી ખસેડી નખાયાં છે. કહેવાય છે કે તેઓને વૈકલ્પિક વસવાટો અપાયા છે. પણ તે શું બરાબર છે? નાના છોડવા ઉખેડીને બીજે લઈ જઈ રોપાય, મોટાં થયેલાં ઝાડવાં એમ ઉખાડો તે શું બીજે ચોટી શકે ખરાં? અને વનસ્પતિ માટે જે કાળજી લેવાતી હોય છે તેનાથી પા ભાગની કાળજી પણ માણસો ખસેડતાં લેવાતી હોય છે ખરી? નર્મદા નદી આડે બંધ બાંધ્યો ત્યારે આવો પ્રશ્ન મોટા પાયે હતો, દુનિયાભરનું ધ્યાન ખેંચાયું તેટલો મોટો હતો; સાબરમતી નદીકાંઠે વસતાં કુટુંબોની સંખ્યા પ્રમાણમાં નાની; પણ તેથી શું એમની વેદના પણ નાની?

આ નદીને ઓવારે ઓવારે પ્રજાજનો જઈ શકતા, વારતહેવારે સ્નાન કરતા, શાળાઓ ઉજાણી કરવા આવતી ત્યારે બાળકો નદીમાં છબછબિયાં કરવા જઈ શકતાં; અરે, કદાચ ગાંધીજી પણ સાથીઓ સાથે સત્યાગ્રહ આશ્રમને ઓવારે ઊતરીને સ્નાન કરવા ગયા હશે – આ બધી સામાન્ય પ્રજાજનોની જગ્યાઓ તે કોઈ પણ સત્તામંડળ પોતાને હથ્થુ કરી જ કેવી રીતે શકે? કયા અધિકારથી? નર્મદા નદીનાં પાણી સાબરમતીના પટમાં વહેવડાવી દીધાં એટલે શું નદી સરકારની માલિકીની થઈ ગઈ? 

અને આ ખેલ માત્ર અમદાવાદ પૂરતો સીમિત ક્યાં છે? “વિકાસ” નામનું ગાજર લટકાવીને જૂજ ઉદ્યોગપતિઓ સાથે મળીને પ્રજાને વગર ડફણે હાંકવાની રસમ ગુજરાતમાં એકાધિક ઠેકાણે ચાલી રહી છે. આને શું કહીશું? “શહેરની સિકલ બદલી નાખી” કે “પ્રજાની પથારી ફેરવી નાખી”?

***

આજે એમ થાય છે કે શું માણેક બાવો સાચો હતો? સાંભળ્યું છે કે આશા ભીલનું અને બીજાં એવાં ગામો બહાર રાખીને અમદાવાદ નગર ફરતો કિલ્લો બંધાતો હતો તે રોકવા માણેકનાથ બાવાએ પોતાની કરામત વાપરી હતી. કિલ્લો દિવસે ચણાતો હોય ત્યારે બાવો સાદડી ગૂંથે અને રાતે ચણતર કામ બંધ હોય ત્યારે બાવો સાદડી ઉકેલી નાખે અને તેની સાથોસાથ દિવસભારનું ચણતર તૂટી પડે. દંતકથા કહે છે કે બાવાને પોતાની વિદ્યાનો ચમત્કાર બતાવવા પાદશાહે બોલાવીને પરીક્ષા લીધી; બાવાએ ગર્વથી સિદ્ધિ વાપરીને નાની માખીનું સ્વરૂપ લીધું અને નાનકડી ટબૂડીમાં પેસી ગયો. પાદશાહે ટબૂડી બંધ કરાવી દીધી અને માણેકનાથ બાવો કાયમ માટે – કે કદાચ કિલ્લો ચણાઈ રહે ત્યાં સુધી? –  ટબૂડીમાં જ પુરાઈ રહ્યો.

આજે પ્રશ્ન થાય છે કે માણેકનાથ બાવાએ કેમ એવું કર્યું હશે? કદાચ એ કિલ્લો કરવા માટે તે ભૂમિના નિવાસીઓને પરાણે સ્થળાંતર કરવાનું હકૂમત તરફથી દબાણ હોય અને માણેકનાથે એના વિરોધમાં પોતાને જે સૂઝી તે હિકમત વાપરી હોય? એ વિષે કોઈ પાઠ્યપુસ્તકમાં કે દંતકથામાં કહેવાયું હોય તો મારી જાણમાં નથી. કદાચ એ વાત ઇતિહાસના અભ્યાસી વિદ્વાનો જાણે – સમજે; પણ મને થાય છે કે બાવો કદાચ સાચો હોઈ શકે.

ખેર. અહમદાબાદ તો વસ્યું જ. એ વાતને સાડીપાંચસો ઉપર વર્ષ વીત્યાં. કાળ પ્રમાણે પલટાતું અહમદાબાદ આજ અમદાવાદ બનીને ચોગરદમ પથરાયું છે. આ પલટતા નગરમાં અનેક ઈમારતો ઊભી થઈ છે – કાંકરિયા તળાવથી માંડીને શાહીબાગના મહેલો અને મહેલ જેવા બંગલા; અને હવે થવા લાગ્યા તે ફ્લાય-ઓવર પૂલવાળા રસ્તા તથા ધીમે ધીમે અજગર ગળતો હોય તેમ ગળાતાં જતાં અસારવા, મીઠાખળી, ભુદરપરા, વાસણાથી માંડી બોપલ, ઘુમા જેવાં ગામ અને ખેતરો – તે પર નજર નાખતાં એમ થાય કે જેને ‘પ્રગતિ’ કહીએ છીએ તે શું પ્રજાના અમુક હિસ્સાને ભોગે જ થતી હશે? “આથી હશે અન્ય ન કોઈ રસ્તો?”1 અમદાવાદમાં રિલીફ રોડ બન્યો ત્યાર પછી કોમી રમખાણો થયેલાં અને તે બેને સીધો સંબંધ હતો તેવું તે દિવસોમાં ચર્ચાતું સાંભળેલું.

પણ જેમ નિશાળમાં માણેકનાથ બાવા વિષે ભણેલા તેમ એક રાણી મીનળ દેવી વિષે પણ ભણેલા. ધોળકા ગામમાં મીનળ દેવી તળાવ ખોદાવતાં હતાં ત્યારે તે સૂચિત તળાવની ધાર પર જે ડોશીનું ઘર હતું તે તેણે ખાલી કરવા ના પાડતાં મીનળ દેવીએ એ ડોશીની જમીન જેટલો ભાગ જતો કરીને તળાવ બાંધવાની કામગીરી આગળ વધારેલી. સરવાળે, તળાવની ગોળાઈમાં મીનળ દેવીના અનુકંપાભર્યા કારભારના દાખલારૂપ એક વળાંક રહી ગયો. એટલું ન હોત તો આપણે તો એમ જ માનત ને – કે જે મનાવવા અનેક બધા “નગર-વિકાસ”ના સ્થપતિઓ, સત્તાપતિઓ, અને ધનપતિઓ, લખાણો, ભાષણો અને ભભકભર્યા ને આંજી નાખે તેવા અખબારી જાહેરખબરના દીવા કરી કરીને મથે છે – કે “સહુના વિકાસ માટે થોડાકે તો ત્યાગ કરવો જ પડતો હોય છે.” મનુષ્ય સમાજનો સાવ સાધારણ અભ્યાસી પણ આ વાત જાણે છે, જોઈ શકે છે કે હા, એવું બને છે. પ્રસ્તુત વાક્ય તે આવા નિરીક્ષણનું વિધાન છે. પરંતુ એ કોઈ ગુરુત્વાકર્ષણ જેવો વૈજ્ઞાનિક, વૈશ્વિક નિયમ નથી કે બધાના વિકાસ કરવા માટે થોડા જણે ત્યાગ કરવો જ પડે. અને વળી ધારો કે કોઈ સંજોગોમાં હોય તો પણ, તેવું કહેનાર અને માનનારાએ એ પહેલો કરવાનો હોય. આ તો, પોતે “ત્યાગ” કરવાને બદલે બીજાનો “ભોગ” લેવાની વૃત્તિ થઈ.

બળબળતે હૈયે અને કંપતી આંગળીઓએ આ લખાય છે તે આ વૃત્તિ જોઈને. આથી વધારે આજ કશું કહેવાનું નથી. હા, ક્યાંક મારી જાણકારીની મર્યાદા હશે; ક્યાંક હકીકતમાં થોડો ફેર હશે; કબૂલ; તે મારા ધ્યાન પર જરૂર લાવશો; પણ મહેરબાની કરીને મને દુનિયાદારીના દાખલા આપીને સાંત્વના ધરવાની કોશિશ મ કરજો.

***

સાબરમતી “રીવર ફ્રન્ટ”ના રાત્રિ સમયે લેવાયેલા ફોટા જોતાં.

• ‘ભભાઈ’ ભરત પાઠક

આટલા દીવા નીચે છે કેટલો અંધાર તે દેખાય છે?
કેટલી હૈયાવરાળોથી નદી ઊભરાય છે –  દેખાય છે ?

બે દધીચી તપ તપ્યા’તા રેતના જે પટ ઉપર, ત્યાં તાપમાં
રોટલો રળતાં હતાં તે લોકને તગડી મૂક્યાં છે ક્યાં હવે? દેખાય છે?

“આપણું પેરીસ …! લંડન …!” એમ ખાતા વહેમ જે સહુ મ્હાલવા નીકળી પડ્યા છે,
એ બધાંનાં વસ્ત્ર ઉજળાં છે હજી જેના થકી તે લોક આમાં ક્યાંય તે દેખાય છે? 

નર્મદાને આંતરી આ પટ ભીનો કરતાં વહાવ્યાં નીર છે કે લોહીભીનાં આંસુઓ?
જેમનાં ઘરબાર સત્તાધીશના હાથે વિંખાયાં તેમનાં રૂંવેરૂંવાં કકળાય છે – દેખાય છે?

ધૂળિયું જે ગામ કહેવાતું હતું તેની સૂરત આજે જુઓ કે પથ્થરોથી છે મઢાઈ,
સાહ્યબી ખાતર અહીંયાં કેટલી લાશો દટાઈ જીવતે જીવ પગતળે ચગદાય છે !- દેખાય છે?

“શાહ અહેમદ ! માફ કરજો, ભીલ આશાજી! અમોને (થઈ શકે તો),” એટલા બે બોલ આજે    
કોઈના દિલમાં હજી ઊગે નહીં? ને હ્યાં ટબૂડીમા પુરાયો એકલો માણેક બાવો કેટલો હિજરાય છે !
દેખાય છે?  

***

(c) ‘ભભાઈ’ ભરત પાઠક
ઓક્ટોબર ૨૫, ૨૦૧૪

e.mail : bhabhai@hotmail.com

Loading

...102030...3,8443,8453,8463,847...3,8503,8603,870...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved