Opinion Magazine
Number of visits: 9772347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ

ચંદુ મહેરિયા|Opinion - Literature|20 May 2015

બહુ નાની ઉંમરે મોટા થઈ જવાયેલું. એના કારણોમાં તો ગરીબી અને અભાવોને કારણે આવી પડેલી જવાબદારીઓ હતી. પણ એમાં મિત્રો પણ એક કારણ છે. મને નાની ઉંમરે મોટી ઉંમરના મિત્રો મળેલા. જુવાન હતો ત્યારે મારા કરતાં એક-દોઢ-બે દાયકા મોટા નીરવ (પટેલ), દલપત (ચૌહાણ), ઈન્દુભાઈ (જાની) અને હર્ષદભાઈ (દેસાઈ) સાથે ગાઢ દોસ્તી હતી. આજે વન વળોટી ચૂક્યો છું ત્યારે ઉર્વીશ (કોઠારી), સંજય (ભાવે) અને જિજ્ઞેશ (મેવાણી) જેવા મારા કરતાં ઉંમરમાં એક દોઢ-બે-દાયકા નાના છે એવા આત્મીય અને અંતરંગ મિત્રો છે. સમવયસ્ક મિત્રોનું હોવું એ વરદાન છે કે શાપ એ તો ખબર નથી પણ ઉંમરનું આ અંતર ગાઢ દોસ્તી છતાં અમુક અંતર બનાવી રાખે છે.

મિત્રો વિશે વિચારું છું ત્યારે ખ્યાલ આવે છે કે સ્કૂલ કે કોલેજકાળના કોઈ મિત્રો પણ એવા રહ્યા નથી કે જેમની સાથે આજે દોસ્તી ટકી હોય. બહુ કાચી વયના, સાવ બાળપણના કે કિશોરાવસ્થાના જે બે મિત્રો ઘણીવાર સાંભરે છે તે સાયમન પાઉલભાઈ ગામડિયા અને રહેમતુલા અલ્લારખા મનિયાર. એક ખ્રિસ્તી અને બીજો મુસ્લિમ. પ્રાથમિક શાળામાં અમે સાથે ભણતા અને નજીકમાં રહેતા. સાયમન બહુ નાની ઉંમરે ગુજરી ગયો અને રહેમતુલાએ ભણવાનું છોડી દીધું. એટલે આજે ઝાઝો સંપર્ક રહ્યો નથી. પણ એમની અનેક સ્મૃિતઓ માનસપટ પર અંકિત થયેલી છે.

પૂર્વ અમદાવાદની રાજપુરની દલિત-ગરીબ શ્રમિક વિસ્તારની અબુકસાઈની ચાલીમાં, હીરાલાલની ચાલીના જાજરૂ સામે જ સાયમનનું ઘર. ઘર કહેતાં ભાડાનું ઝૂંપડું (છાપરું). સાયમનના પિતા પાઉલભાઈ અને માતા પ્રીતિબહેન. કુલ છ ભાઈ-બહેનોનાં વસ્તારી કુટુંબમાં સાયમન સૌથી નાનો. સાયમનના પિતા પાઉલભાઈ, જૉસેફ મૅકવાનના ગામ ગામડીના દેશી ખ્રિસ્તી. એમના બાપા કે દાદા કદાચ ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બન્યા હશે. સાયમનના મમ્મી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં નર્સ તો સાયમનના પિતા અને તેના બે મોટાભાઈ મિલમાં કારખાનામાં નોકરી કરે.

નાના હતા ત્યારે અમારી ચાલીમાં મારી ઉંમરના ઘણાં લોકો માટે સુખી માણસના પહેરણ જેવું જે સુખી ઘરનું સરનામું હતું તે સાયમનનું ઘર. એ જમાનામાં સાવ જ મોર્ડન લાગે એવું એમના ઘરનું વાતાવરણ. સાયમન શાયદ એની માને ‘મમ્મી’ કહેતો. એના પિતા પાઉલભાઈ વર્કિંગ વુમન પત્નીનો હાથ બટાવવા સદા તત્પર રહેતા. એમને શાક સમારતા જ નહીં જાતભાતની રસોઈ કરતાં જોયા છે. દૂધી કે કારેલાનું શાક એ છાલ કાઢ્યા સિવાય સરસ અને સ્વાદિષ્ટ બનાવતા તો મચ્છી તો પાઉલના હાથની – એવી ચાલીમાં વાતો થતી રહેતી. એમના ઘરમાં હંમેશાં હળવું અને હસી-મજાકનું વાતાવરણ રહેતું. સાયમન ઘરમાં પણ સ્લીપર પહેરતો. હસી-મજાક કરતાં એ બધાં ભાઈ-બહેનો પિતાને ક્યારેક ધબ્બો પણ મારી લેતાં. એમના ઘરે બધા શુદ્ધ ગુજરાતી બોલતાં. સુખી માણસ, સુખી ઘર કેવું હોય તે સાયમનનું ઘર જોઈને, એના ઘરનું વાતાવરણ જોઈને લાગતું. એ વખતે ઘરની સામે જ ચાલીના જાજરાંની ગંધ છે એની કશી વિસાત જ નહોતી.

રોજ બપોરના સ્કૂલે જવાના સમય પહેલાં હું અડધો કલાક – કલાક વહેલા સાયમનના ઘરે પહોંચી જતો. એ ય મારી જ શાળામાં, મ્યુિનસિપલ સ્કૂલમાં ભણતો. સાયમનના ઘરે હું પહોંચું પછી અગિયાર-સાડા અગિયારે એ નાહવા બેસતો. સાયમન જે રીતે સુગંધીદાર સાબુ ચોળી ચોળીને બહોળા પાણીએ નાહતો, એના અલગ ટુવાલથી શરીર લૂછતો, શરીર પર પાઉડર છાંટતો, માથામાં તેલ નાંખતો. ધોયેલો-ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ અને પગમાં બૂટ પહેરતો – એ બધું હું ફાટ્યા ડોળે જોયા કરતો. ક્યારેક મને પણ સાયમન જેવું નાહવા-રહેવા-પહેરવા મળશે એના સપનાં જોયા કરતો. સાયમનના સુખનું, એના ઘરના વાતાવરણનું સાચું કારણ એના વડવાઓએ કરેલું ધર્માંતર છે એ તો બહુ મોડેથી સમજાયેલું. એમને એમની ખ્રિસ્તી ઓળખ બદલ મિશનરીઓની આર્થિક અને બીજી મદદ મળી રહેતી. એ એટલી હદની કે મસ્કા જેવી મોંઘી વસ્તુ વધે તો એ પાડોશીઓને પણ આપી દેતાં. સાયમન શરીરે હૃષ્ટપુષ્ટ અને ગોરો. પણ ભણવામાં સરેરાશ હતો. ઉંમર સહજ છેલબટાઉપણું પણ ખરું. એટલી કાચી વયે એ સ્કૂલની કોઈ છોકરીને ‘લવ’ કરે છે એમ કહેતો ને એના ફોટા ખિસ્સામાંથી કાઢી બતાવતો. પછી મોટી ઉંમરે ખબર પડેલી કે સાયમન મને જે છોકરીના ફોટા બતાવતો એ સ્કૂલની કોઈ છોકરીના નહોતા પણ ‘બૉબી’ ફિલ્મની ડિમ્પલ કાપડિયાના ફોટાની કાગળની છાપો હતી. સાયમનના ઘરે નાતાલમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેતું. આસપાસની સઘળી હિંદુ દલિત વસ્તીમાં એક સાયમનના ઘરે જ નાતાલનો તારો લટકાવાતો. સાયમન ઘરના ખ્રિસ્તી સંસ્કારો અને વાતાવરણને ‘મા’ અને ચાલીની બીજી સ્ત્રીઓ ચાલીના લગભગ દર લગ્ન વખતે યાદ કરતાં અને હસી હસીને બેવડ વળી જતાં. વાત એમ બનેલી કે સાયમના ભાઈ ડેવિડના લગ્ન હતા ત્યારે સાયમનનાં મમ્મી પ્રીતિબહેન ચાલીમાં બધે સ્ત્રીઓને બોલાવવા નીકળેલાં. શુદ્ધ ગુજરાતીમાં એ કહેતાં : ‘લો ચાલો મારા ઘરે. ડેવિડને કાઢવાનો છે.’ ખ્રિસ્તી સંસ્કારમાં રમમાણ પ્રીતિઆન્ટીના શબ્દકોશમાં જાન કે વર ઉઘલાવવા જેવો શબ્દ જ નહોતો. તો પછી ‘મગબાફણા’ જેવા શબ્દની તો એમને ક્યાંથી ખબર હોય.

રહેમતુલા ગોમતીપુરના મનિયારવાડામાં રહે. ગોરો ગોરો એનો વાન. એના અબ્બાજાન મનિયારવાડાના નાકે જ આવેલી મટનની દુકાને કામ કરે. નાનપણમાં એના ઘરે અનેકવાર ગયો છું. એનું ઘર મોટું અને કુટુંબ વસ્તારી. મનિયારવાડાની આ મુસ્લિમ વસ્તીમાં બકરીઓ અને મરઘાં વચ્ચેથી માર્ગ કાઢીને રહેમતુલાના ઘરે પહોંચવું પડે. એ વખતે ક્યારે ય હિંદુ-મુસ્લિમના ભેદ નથી લાગ્યા. રહેમતુલાના ઘરે ઈદના દિવસે ‘સેવૈયા’ ખાધા છે તો બકરીઈદના રોજ એના ઘરેથી કુર્બાનીનો પ્રસાદ પણ મારા ઘરે આવ્યો છે. રહેમતુલાને રોજા રાખતો અને નમાજ પઢતો પણ જોયો છે.

સાયમન અને રહેમતુલાના કારણે ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મના રીતરિવાજો-સંસ્કાર-વર્તનનો પરિચય થયો છે. બાઈબલ અને કુરાન, ચર્ચ અને મસ્જિદ, કબ્રસ્તાન અને મૈયત, કુર્બાની કી ખાલેં અને ફાડા, ઉર્સ, ઝિયારત અને સાન્તા ક્લોઝ, જુબાં અને નિયાઝ, સુન્નત, બાપ્ટિઝમ અને પ્રભુ ભોજન જેવા શબ્દો સંસ્કારો અનાયાસે મારા ભાવપ્રદેશમાં બહુ વહેલેરા પ્રવેશી ચૂક્યા હતા.

અમારા રાજપુર વિસ્તારમાં મરિયમબીબીની મસ્જિદ પાસે મુસ્લિમોની લગોલગ ખ્રિસ્તીઓનાં ઘરો. મારા ઘરથી ઊગમણા જઈ સહેજ ફંટાઈએ તો પહેલાં જથ્થાબંધ મુસ્લિમ વસ્તી અને પછી ગોમતીપુર ગામની ઉજળિયાત વસ્તી. તો આથમણે રાજપુરની ચાલીઓ વટાવી મરિયમબીબી મસ્જિદના ચોક આસપાસની ચાલીઓમાં ખ્રિસ્તી વસ્તી.

ખ્રિસ્તી ધર્મ સાથેનો મારો નાતો મારા જન્મ સમયથી છે. માત્ર મારો જ નહીં મારા સઘળાં ભાંડુરાંનો અને કદાચ આખા રાજપુરના મારી ઉંમરના દલિત-ખ્રિસ્તી-મુસ્લિમ બાળકોનો જન્મ જ ‘મધરનું દવાખાનું’ કહેતા સેન્ટ મેરિસ નર્સિંગ હૉમમાં થયો છે. મધરના દવાખાને લગભગ મફત પ્રસૂતિ થાય, સારી દેખભાળ લેવાય અને વળી ડિસ્ચાર્જ પહેલાં મધર બાળકને દવાખાનાના માતા મરિયમના દેવળે લઈ જઈ આશીર્વાદ અપાવે એનો ભારે મહિમા. દલિતોમાં ખ્રિસ્તી ધર્મની અસર એટલી તો વ્યાપક કે ‘બા’ એ (બાપાને અમે બા કહેતાં) એમના જમણા હાથના રામના છુંદણા પર ક્રોસ ચિતરાવી દીધેલો. અમારા વિસ્તારની દલિતોની ચાલીઓમાં હિંદુ દેવી-દેવતાના થાનકોને લોકો ‘મંદિર’ તરીકે નહીં, ‘દેવળ’ તરીકે જ ઓળખતા. બળિયા દેવનું ય દેવળ અને મહાકાળીનું ય દેવળ.

ચર્ચનો એક બીજો ય મહિમા મને યાદ છે. અમારી ચાલીઓમાં જુવાન છોકરા રોજ અડધો સૂરજ માથે આવે ત્યાં સુધી ઘોરતા રહે. પણ દર રવિવારે એ વહેલા ઊઠી, જબરી ટાપટીપ કરીને ચર્ચની બહાર ખડા થઈ જતા. એમનું આમ વહેલા ઊઠવું, બની ઠનીને ચર્ચ આગળ ઊભા રહેવાનું કારણ પણ પાછળથી સમજાયેલું. એમને રૂપાળી ખ્રિસ્તી છોકરીઓ જોવાનું, એમને સમયવસ્ક છોકરાઓ સાથે શૅકન્ડેન્ડ કરતી કે હગ કરતી જોવાનું અને લાળ ટપકાવવાનું બહુ ગમતું. ચર્ચ પૂરું થતાં જ મટનની દુકાનોએ ભારે ભીડ થતી. પ્રભુભક્તિ અને પ્રભુભોજન બાદ બપોરના લંચ માટે મટનની ખરીદી એ ખ્રિસ્તીઓનો રવિવારની સવારનો અતૂટ નિત્યક્રમ રહેતો.

રાજપુરમાં એ જમાનામાં હિંદુ-ખ્રિસ્તી-મુસ્લિમ તહેવારો ધામધૂમથી મનાવતા. પણ એમાં નાતાલના ગરબાનું જુવાનોને ભારે આકર્ષણ. રાજપુર મરિયમબીબી મસ્જિદના ચોકથી સેન્ટ જોસેફ સ્કૂલ સુધીના જાહેર રસ્તે એ દિવસોમાં ગરબા અને ડાન્સ થતા. આ ગરબા રાત્રે જ નહીં, ડિસેમ્બરની શિયાળુ બપોરે પણ થતા. ચાલીઓની હિંદુઓના નોરતાના ગરબામાં મોટે ભાગે સ્ત્રીઓ જ ગરબે ઘૂમતી પણ નાતાલના ગરબામાં સ્ત્રી-પુરુષ જોડાજોડ ઘૂમતાં. એમને જોવા હિંદુ દલિતોની ભારે ભીડ રહેતી. જુવાન ખ્રિસ્તી છોકરા-છોકરીઓને જોડાજોડ ગરબે ઘૂમતાં, ઠઠ્ઠામશ્કરી અને હસી-મજાક કરતાં જોઈને અમને અમારું પછાતપણું બહુ કઠતું. નાતાલના દિવસોમાં રાજપુરના ચાર રસ્તા ઉમંગ-ઉલ્લાસ અને રોશનીથી ઝગમગી ઉઠતા. આખાયે શણગારેલા રસ્તા પરથી નાતાલનું જુલુસ નીકળતું. શણગારેલી ટ્રકોમાં સાંતાક્લોઝ હોય, ભજનમંડળીઓ હોય, ડાન્સ અને ગરબા થતા હોય. માઈક પરથી એમ પણ કહેવાતું : ‘આજુબાજુ વસતાં હિંદુ ભાઈ-બહેનોને કદાચ ખબર નહીં હોય કે આ સાંતાક્લોઝ શું છે એટલે હું એમને જણાવું કે …’ આમ કહેનાર ખ્રિસ્તી જુવાનની આગલી પેઢી દલિત હિંદુ હતી એ વાત તે સાવ જ વિસરી ગયો હોય પણ આવું સાંભળનારા દલિતોને પણ એમાં કશું અજુગતું ન લાગતું !

રાજપુરની મ્યુિનસિપલ ગુજરાતી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પુરું થયું અને ગોમતીપુર ગામની સારી ગણાતી ડેમોક્રેટિક હાઈ સ્કૂલમાં દાખલ થયો. અમારા ઘરની સાવ નજીક ‘ફાધરની સ્કૂલ’ કહેતાં સેન્ટ જોસેફ હાઈ સ્કૂલ આવેલી હતી. દલિત-મુસ્લિમ વસ્તીની વચ્ચે આવેલી આ મિશનરી શાળામાં કદી ભણવાનું ન મળ્યું એનો વસવસો કાયમ રહ્યો છે. આ સ્કૂલમાં ભણવાનું એક આકર્ષણ તો ત્યાંના સારા અંગ્રેજી શિક્ષણનું અને ખાસ કરીને તો કર્સીવ હેન્ડરાઇટિંગનું હતું. અમને ડેમોક્રેટિકવાળાને આવા કર્સીવ હેન્ડરાઇટિંગ નથી આવડતા અને સેન્ટ જોસેફવાળાને આવડે છે એની કાયમ નાનમ લાગતી.

મારા શાળાકાળના ખ્રિસ્તી શિક્ષકોની પણ એક અમીટ છાપ કાયમ રહી છે. થેરસ્યાબહેન અને ઈમાનુએલસાહેબ સવિશેષ ઉલ્લેખનીય છે. થેરસ્યાબહેનનું ઘર બરાબર રાજપુર ચાર રસ્તા પર. એમના સસરા રેડિમેડ કપડાંની, ખાસ કરીને સ્કૂલ યુનિફોર્મની ફેરી કરતા તો પતિ સરકારી અધિકારી હતા. મારા તદ્દન ચિંથરા થઈ ગયેલા બુસકોટના બદલામાં થેરસ્યાબહેને મને એમના સસરા પાસેથી બે પહેરણ મેળવી આપેલા તે યાદ છે. જો કે એ પહેરણ મને બહુ મોટા પડતાં તે મોટાભાઈએ રાખી લીધેલા અને મેં લીંટાળી બાંયવાળો ચિંથરિયો બુસકોટ પહેરીને સ્કૂલે જવાનું ચાલુ રાખ્યું. અમને પ્રાઈમરી સ્કૂલમાં અંગ્રેજી એક ક્રિશ્ચયન મેમ ભણાવતા. અમે એમને ‘ઇંગ્લિશ ટીચરી’ કહેતા ! ડેમોક્રેટિક હાઈ સ્કૂલમાં મારા અંગ્રેજીના શિક્ષક પણ એક ક્રિશ્ચયન હતા. માતા મેરી જેટલા જ દયાળુ થેરસ્યાબહેને બાળપણમાં મારી ગરીબીની દયા ખાધેલી અને મને પહેરણ આપેલું. તો હાઈ સ્કૂલના ક્રિશ્ચયન ઈંગ્લિશ ટીચરે હું હજુ નવમા ધોરણમાં હતો ત્યારે જ એમનું ટ્યુશન નહીં રાખું તો નાપાસ થઈશ એવી બીક બતાવેલી. ‘બા’ના એકલાના મિલના પગારમાં વસ્તારી કુટુંબ માંડ નભતું હતું. ત્યાં ટ્યુશનના પૈસા ક્યાંથી કાઢવા. વાલીદિને જ્યારે ‘બા’ને મોઢામોઢ આ ટ્યુશનની વાત કરવામાં આવી ત્યારે એમણે એમની ગરીબી અને મજબૂરીના રોદણાં રળવાને બદલે ક્રિશ્ચયનસરને ટાઢકથી કહેલું : ‘સાહેબ મને મારા છોકરાની મહેનત પર ભરોસો છે. એ જરૂર અંગ્રેજીમાં સારા માર્કસ લાવશે.’ અને ક્રિશ્ચયનસરના ટ્યુશન વિના જ એ જમાનામાં (૧૯૭૭) અધધ કહેવાય એવા ૧૦૦માંથી ૭૦ માર્કસ અંગ્રેજીમાં લાવીને મેં ‘બા’ ને સાચા પાડેલા!

હું કે મારા બીજાં કોઈ ભાઈ-બહેન સેન્ટ જોસેફ હાઈ સ્કૂલમાં કેમ ન ભણ્યા એનાં કારણોની તો કોઈ પાકી ખાતરી નથી પણ કદાચ એ સમયમાં સેન્ટ જોસેફ કરતાં ડેમોક્રેટિક વધુ સારી સ્કૂલ ગણાતી હશે કે પછી દેખાદેખી પણ હોય. પછી અમારા નબળા અંગ્રેજી અને ડેમોક્રેટિક સ્કૂલની પડતીના લીધે ‘બા’એ મારા મોટાબહેનના દીકરા અતીતને મિશનરી સ્કૂલની નર્સરી, કે.જી. કે પ્રાઈમરીમાં જ ભણાવવાનું નક્કી કરેલું. અમીતને સેન્ટ આલોઈસ કે કદાચ હેપ્પી હોમ જેવા નામની નર્સરી – પ્રાઈમરીમાં એડમિશન મળે તે માટે ‘બા’એ અતીત સાવ નાનો હતો ત્યારથી જ તજવીજ હાથ ધરી દીધેલી. મિલમાં બાપાના એક દોસ્ત હતા દામાસ. એમનું હિંદુ નામ ડાહ્યો અને ખ્રિસ્તી નામ દામાસ. ખ્રિસ્તી મિશનરીઓની ધર્માદા પ્રવૃત્તિઓમાં દામાસકાકા સક્રિય કાર્યકર હતા. અમીતનું મિશનરી સ્કૂલમાં એડમિશન પાકું કરી લેવા ‘બા’ આર્થિક સંકડામણ વેઠીને પણ એમના મિત્ર દામાસને દર મહિને દાનપેટે રૂપિયો-બે રૂપિયા આપતા હતા. અતીત ત્રણેક વરસનો થયો અને ‘બા’એ એના એડમિશનની વાત કરી તો દામાસ ગલ્લાતલ્લા કરવા માંડ્યા અને આખરે અતીતને ત્યાં એડમિશન ન મળ્યું. એ પછી દામાસકાકા જ્યારે જ્યારે પણ ઘરે આવતા ત્યારે ‘બા’ એમને ‘ડાહ્યા’ તરીકે જ બોલાવતા !

મિશનરીઓની વટાળપ્રવૃત્તિ વિશે ઘણું વાંચ્યું સાંભળ્યું છે. આજે ખુદ સંઘસુપ્રીમો મધર ટેરેસાની સેવાપ્રવૃત્તિમાં ખ્રિસ્તી ધર્મ પ્રચાર ભાળે છે ત્યારે અને સાતમા દાયકાના અંત ભાગની અને આઠમા દાયકાના આરંભની મારી લેખન પ્રવૃત્તિનું તીવ્ર સ્મરણ થાય છે. મારી બાયલાઈન સાથે પ્રથમવાર કોઈ સામયિકમાં મારો લેખ છપાયો હોય તો તે મધર ટેરેસા વિશેનો હતો. એ સામયિક એક જ્ઞાતિપત્ર હતું, હિંદુ જ્ઞાતિપત્ર. ઔદિચ્ય બ્રાહ્મણોનું જ્ઞાતિપત્ર, નામે ‘ઔદિચ્ય સમાચાર’. એના તંત્રી-સંપાદક મારા એક બ્રાહ્મણ શિક્ષક મહેશ એમ. ત્રિવેદી હતા. એમણે જ મારી પાસે આ લેખ લખાવેલો. બ્રાહ્મણોના મુખપત્રમાં, દલિત વિદ્યાર્થીનો ખ્રિસ્તી મધર ટેરેસા વિશેનો લેખ.

આવું જ એક બીજું સ્મરણ. મારો પહેલવહેલો ફોટો કોઈ દલિત સામયિકમાં નહીં, સંઘ પરિવારના સામયિક ‘સાધના’માં છપાયેલો. પ્રસંગ હતો ૧૪મી એપ્રિલે અમદાવાદના સારંગપુર સર્કલે યોજાયેલી સંઘ પરિવારની વિદ્યાર્થી પાંખ ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ની આંબેડકર વંદના રેલીનો. આ વિદ્યાર્થી રેલીને એ વખતના અમદાવાદના પ્રથમ દલિત કૉંગ્રેસી મેયર જેઠાભાઈ પરમારે પ્રસ્થાન કરાવેલું. ‘સાધના’ના તંત્રી વિષ્ણુ પંડ્યાએ આંબેડકર પ્રતિમાએ કૌતુકવશ એ.બી.વી.પી.ની રેલીને નિહાળી રહેલા મને પણ વિદ્યાર્થી કાર્યકર તરીકે એ રેલી સામે ખડો કરી દીધેલો. પછી ‘સાધના’માં એનો અહેવાલ ફોટા સાથે છપાયેલો.

આજે ઔદિચ્ય બ્રાહ્મણોના મુખપત્રમાં દલિત વિદ્યાર્થીનો ખ્રિસ્તી મધર ટેરેસા વિશેનો લેખ કે એ.બી.વી.પી.ની રેલીને કોઈ કૉંગ્રેસી મેયર પ્રસ્થાન કરાવે તે સ્વપ્નવત્ લાગે છે પણ આ પણ હકીકત હતી !

વટાળ અને ઘરવાપસીના વર્તમાન માહોલમાં જે એક વસ્તુ, સ્પષ્ટપણે કહેવી છે તે એ કે મારી ચાલીમાં જ પાંચ-દસ ઘર એવા હતા જ્યાં ખ્રિસ્તી મિશનરીઓ નિયમિતપણે અનાજ અને બીજી મદદ પહોંચાડતા હતા. પરંતુ તેમાંનું કોઈ કુટંબ કે એકાદ વ્યક્તિ પણ કદી વટલાઈને ખ્રિસ્તી થઈ નથી. ઉપરથી મેં આસપાસની ચાલીના ખ્રિસ્તીઓને આપમેળે હિંદુ નામ-અટક-ઓળખ ધારણ કરી લેતા જોયા છે. એમાંનું એક કુટુંબ તો અહીં ગાંધીનગરમાં મારું પાડોશી છે અને હવે આટલા વરસે ‘મા’ એમને એમના ખ્રિસ્તી નામ-ઓળખે સંબોધે છે તો એમને એ કશુંક જૂદું જ લાગે છે.

એટલે ખ્રિસ્તી મિશનરીઓ સેવા અને મદદ કરી ધર્માંતર કરાવતા હોવાની વાત મને રાજપુરના ખુદના મર્યાદિત અનુભવે જરા ય સાચી લાગી નથી. હા, ખ્રિસ્તી મિશનરીઓની દયાવૃત્તિ દલિતો અને ઈતર ગરીબોના માનવ અધિકારની લડત બનતી મેં જોઈ નથી. મારા બાળગોઠિયા સાયમને ભણવાનું છોડી દીધું અને પાઈલોટ ડેરીમાં એ મજૂરીએ વળગી ગયો. ત્યાં તેની પર દૂધના કેનની ચોરીનું આળ મૂકાયું અને પોલીસના અસહ્ય મારથી અઠવાડિયું રિબાઈને તે મરી ગયો. સાયમન પરનો આ અત્યાચાર ન દલિતો માટે, ન ખ્રિસ્તી મિશનરીઓ માટે કોઈ મુદ્દો બન્યો હશે. સાયમનનું કુટુંબ જે ઝૂંપડામાં રહેતું હતું તેમાં એક – આડો રૂમ અને ઊભી પરસાળ હતી. જ્યારે ટી.પી. સ્કીમ આવી ત્યારે એમની પરસાળનો થોડો ભાગ જ કપાતમાં ગયો એટલે વિસ્થાપિત તરીકે એમને સ્લમ ક્વાર્ટસમાં મકાન ન મળ્યું. એમના મકાન માલિક મહીજીડોસાએ મકાન ભેળું છાપરું પણ વેચી દીધું અને નવા મકાન માલિક સાયમનના કુટુંબને ભાડે રાખવા રાજી નહોતા એટલે રડતાં કકળતાં એમણે ઘર છોડ્યું. રાન હાન અને પાન પાન થઈ ગયેલું એ કુટુંબ આજે તો વિખરાઈ ગયું છે અને મારું બચપણનું સાયમનના સુખી ઘરનું – સપનું યુવાની આવતા આવતાં જ મુરઝાઈ ગયું હતું.

કર્સીવ હેન્ડરાઇટિંગ અને કડકડાટ અંગ્રેજીનું સપનું સેન્ટ જોસેફ હાઈ સ્કૂલમાં ભણવાનું ન મળતાં પૂરું ન થઈ શક્યું પણ મોટાભાઈએ અમદાવાદની વિખ્યાત સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને વાચન અને વિચારની એક નવી દુનિયા અમારા સૌ માટે ખોલી આપી એ મોટું આશ્વાસન જરૂર છે.

e.mail : adhikar2005@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 12-14

Loading

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ

સ્વાતિ જોશી|Opinion - Opinion|20 May 2015

આજે આપણે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદના અનેક આવિર્ભાવો આપણી આસપાસ જોઈએ છીએ. આપણી ચારે બાજુ ‘હિન્દુ સંસ્કૃિત’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અનેક અવાજો સંભળાય છે. છેલ્લા નવ મહિનામાં, ભારતીય જનતા પક્ષના ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી, આ અવાજો વધુ બુલંદ બન્યા છે અને તેમને ટોકનાર કે રોકનાર કોઈ નથી, બલકે તેમને છૂટો દોર મળ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા આપણને વારંવાર કહે છે કે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુઓની એકતા એ એમનું ધ્યેય છે .. ભારતના ઇતિહાસને કોઈ પુરાવા કે હકીકત વગર ફરીથી લખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણને કહેવામાં આવે છે કે ભારતના ‘ભવ્ય ભૂતકાળ’માં પશ્ચિમની અર્વાચીન વૈજ્ઞાનિક શોધો પહેલેથી જ અસ્તિત્વમાં હતી. ‘ભગવદ્દગીતા’ને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાની માંગણી થઈ રહી છે. શિક્ષણની પધ્ધતિમાં ધરમૂળ પરિવર્તન કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમુક પક્ષ કે વિચારધારાને સુસંગત ન હોય તેવા વિચાર ધરાવનારાઓને રાષ્ટ્રવિરોધી ગણવામાં આવે છે અને તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તે પછી ગ્રીન પીસનાં એક્ટિવિસ્ટ પ્રિયા પિલ્લઈ હોય કે તમિળ નવલકથાકાર પેરૂમલ મુરૂગનની નવલકથા હોય કે આમિરખાનની ફિલ્મ હોય.

વિચાર અને વાણીની સ્વતંત્રતા અને વિભિન્નતા પર આકરા પ્રહારો કરવામાં આવે છે. લોકોને લઘુમતી કોમો સામે ભડકાવવામાં આવે છે અને આ કોમો સામે હિંસાનો ઉપયોગ થાય છે. દિલ્હીમાં તેમ જ અન્ય સ્થળોએ ખ્રિસ્તી દેવળો પર હુમલા થાય છે. ‘લવ જિહાદ’, કે ‘ઘર વાપસી’ જેવા વિચારોનો પ્રચાર કરી ધાર્મિક સ્વતંત્રતા જે બંધારણે આપણને આપી છે, તેનું ખંડન કરવામાં આવે છે અને જબરદસ્તીથી અમુક કોમના લોકોને ધર્માન્તરણ કરવાની ફરજ પાડવામાં આવે છે. હિન્દુઓને વધુ બાળકો પેદા કરી સંખ્યામાં વધારો કરવાની ઉત્તેજના આપવામાં આવે છે. વેલેન્ટાઇન ડેની ગીતો ગાઈને ઉજવણી કરતાં યુવાનો અને યુવતીઓની ધરપકડ કરવામાં આવે છે. ફાસીવાદી સત્તાના આથી બીજાં કયાં ઉદાહરણો હોઈ શકે?  આ બધા વિધાનો અને પ્રવૃત્તિઓ પાછળ કયા બળો કામ કરે છે? ભારતની સંસ્કૃિતની આ વિકૃત છબી ઊભી કરવાનો અને તેને રાષ્ટ્ર સાથે જોડાવાનો મુખ્ય હેતુ અને તેનો ઐતિહાસિક સંદર્ભ શું છે? આ દેખીતા છૂટાછવાયા અને સ્વયંસ્ફુિરત બનાવોની પાછળ એક લાંબો ઇતિહાસ છે અને તેમનું એક સુનિશ્ચિત ધ્યેય છે.

સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની ભારતમાં એક સુગ્રથિત અને ચોક્કસ સ્વરૂપ અને વિચારધારા તરીકે શરૂઆત વીસમી સદીના ત્રીજા દશકમાં વી.ડી. સાવરકરના ૧૯૨૩માં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ?’ અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી થાય છે.  એની વાત કરતાં પહેલા ઓગણીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની થોડી વિગતો જોઈએ કેમ કે વીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની વૈચારિક ભૂમિ કંઈક અંશે ઓગણીસમી સદીમાં તૈયાર થયેલી દેખાય છે. ઉપરાંત ભારતના ઇતિહાસ અને ભૂતકાળ વિશેની અમુક પ્રચલિત માન્યતાઓ પણ આ સમયે બંધાઈ હતી જે આજે સમાજમાં ખૂબ ઊંડે સુધી પ્રસરી છે.

રાષ્ટ્રના ઉદ્દભવ વિશે સૈદ્ધાંતિક ચર્ચા કરતાં અનેક વિચારકોએ કહ્યું છે કે રાષ્ટ્રનો જન્મ પ્રથમ એક સાંસ્કૃિતક ચેતના તરીકે થાય છે અને પછીથી રાજકીય ચેતના તરીકે વિકસે છે. રાજનીતિજ્ઞ બેનેડીક્ત એંડર્સને રાષ્ટ્રને ‘ઈમેજીન્ડ કૉમ્યુિનટી’, એક સરખા હિતો ધરાવતા લોકોના ‘કાલ્પનિક સમૂહ’ તરીકે ઓળખાવ્યું છે. ઇતિહાસકાર એરિક હોબ્સ્બોમે રાષ્ટ્રના જન્મમાં ‘ઇન્વેન્શન ઓફ ટ્રેડિશન’, ‘પરંપરાના સર્જન’ પર ભાર મૂક્યો છે. અમુક વર્ગસમૂહના લોકો પોતાની રાષ્ટ્ર તરીકેની ઓળખ ઊભી કરવા પોતાના દેશના ભૂતકાળના અમુક ‘ચૂંટેલા’ પ્રસંગો તેમ જ વિચારો વડે એક પરંપરાનું સર્જન કરે છે. આ પરંપરા સ્વાભાવિક રીતે સર્વગ્રાહી નથી હોતી અને સમાજના વગ ધરાવતા વર્ગસમૂહના હિતોને સામાન્ય રીતે રજૂ કરે છે. રાષ્ટ્રની આ બંને વ્યાખ્યાઓમાં મહત્ત્વના શબ્દો ‘ઈમેજિન્ડ’ અને ‘ઇન્વેન્શન’ એટલે કે ‘કાલ્પનિક’ અને ‘સર્જન’ છે. રાષ્ટ્રનો જન્મ તેની કાલ્પનિક સાંસ્કૃિતક ઓળખ તરીકે થાય છે.

ભારતમાં સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની પહેલી સમજ ઓગણીસમી સદીમાં ઊભી થઈ. સંસ્થાનવાદની ભારતમાં સ્થાપના થવાથી ભારતમાં સામાજિક, સાંસ્કૃિતક, આર્થિક અને રાજકીય ફેરફારો શરૂ થયા. સ્થાનિક પ્રજા પર વર્ચસ્વ જમાવવા તેમના વિશે માહિતી મેળવવાનું અંગ્રેજો માટે જરૂરી હતું. ઉપરાંત, ‘પછાત’ પ્રજાનો ઉધ્ધાર કરવો એ તેમનું ‘સિવિલિઝેશનલ મિશન’ – ‘સભ્ય સમાજ બનાવવાનું ધ્યેય’ – હતું. અઢારમી સદીથી યુરોપમાં ભારતના સાહિત્ય અને સંસ્કૃિત વિશે અભ્યાસ શરૂ થયો હતો, જે ‘ઓરિએંટલિસ્ટ’ સ્ટડીઝ તરીકે ઓળખાયો. વિલિયમ જોન્સ જેવા અંગ્રેજ વિદ્વાનોએ સંસ્કૃત સાહિત્ય અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ શરૂ કર્યો અને તેને આધારે ભારતની પ્રાચીન શાસ્ત્રીય પરંપરાનો વિચાર ઊભો કર્યો જેને ‘સુવર્ણ યુગ’નું નામ આપ્યું. અંગ્રેજોએ ભારતના ઇતિહાસલેખનનું કામ પણ હાથ પર ધર્યું. પ્રાચીન હિન્દુ યુગ, મધ્યકાલીન મુસ્લિમ યુગ અને આધુનિક બ્રિટિશ યુગ એમ ભારતના ઇતિહાસને ત્રણ અલગ ભાગોમાં વહેંચ્યો, જેમાં પ્રથમ બે ભાગોને ધાર્મિક જાતિને નામે ઓળખાવ્યા. તેમણે ભારતની ભાષાઓને સુધારવાનું કામ કર્યું જેને પરિણામે આધુનિક ભાષાઓ શુદ્ધ, સંસ્કૃત સ્વરૂપમાં બહાર આવી. અંગ્રેજોએ ભારતમાં ધર્મને આધારે કાયદાઓનું સ્થાપન કર્યું [હિન્દુ સિવિલ કોડ, મુસ્લિમ સિવિલ કોડ વગેરે]. આ રીતે તેમણે ધર્મને આધારે સમુદાયોને જુદા પાડીને ઓળખાવ્યા. પોતાને સત્તા પર ટકી રહેવા આ તેમને માટે જરૂરી હતું. ખાસ તો અંગ્રેજોએ અંગ્રેજી અભ્યાસને દાખલ કર્યો જેને પરિણામે આખા દેશમાં એક અંગ્રેજી ભણેલા, એક સરખા [હોમોજીનસ] મધ્યમ વર્ગનો જન્મ થયો.

ભારતમાં ઓગણીસમી સદીમાં સંસ્થાનવાદની સામે પ્રતિભાવ રૂપે જે ‘કાલ્પનિક પ્રજા’ની છબી રજૂ થઈ તે મુખ્યત્વે આ અંગ્રેજી શિક્ષણ પામેલા, નવા ઊભરતા મધ્યમ વર્ગના શહેરી હિન્દુ બ્રાહ્મણ પુરુષોની બનેલી હતી. [આના પરિણામો સ્ત્રીઓ અને દલિતો માટે શું આવ્યાં એ અલગ ચર્ચાનો વિષય છે.] જે પરંપરાનું તેમણે સર્જન કર્યું તે સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાન અને ધાર્મિક ગ્રંથો પર રચાયેલી હતી. આ નવા ઊભરતા શિક્ષિત વર્ગે સંસ્થાનવાદી ઇતિહાસલેખનની પધ્ધતિ અપનાવી જેમાં ભારતનો ઇતિહાસ ત્રણ જુદા વિભાગોમાં વહેચાયેલો છે. રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન આજે પણ આ પધ્ધતિ અનુસરે છે. ખાસ તો, આજે જે અગત્યનો મુદ્દો છે અને હિંદુત્વનું જે હાર્દ છે તે, આ ઇતિહાસલેખને પરદેશી મુસ્લિમ હુમલાખોર સામે હિન્દુઓના હજાર વર્ષના સતત પ્રતિકારની દંતકથાને અનુમોદન આપ્યું અને વિકસાવી. આ દંતકથાએ સ્પષ્ટ કર્યું કે મુસ્લિમો આક્રમણખોર હતા અને હિન્દુઓ આ દેશના ખરા રહેવાસીઓ હતા અને સાચા દેશભક્ત હતા.

બંકીમચંદ્રની નવલકથાઓમાં આ સમજ ખૂબ અસરકારક રીતે રજૂ થઈ છે. મુસ્લિમો દુશ્મનો છે અને તેની સામે હિન્દુઓને સજ્જ થવાની એક નવી રાષ્ટ્રભાવના અને દેશભક્તિની અપીલ ‘આનંદમઠ’ જેવી નવલકથામાં જોવા મળે છે જેમાં ‘વન્દે માતરમ’નું ગીત છે જે બંગાળમાં વીસમી સદીની શરૂઆતમાં ઉગ્ર હિન્દુ રાષ્ટ્રવાદનો અને પછી રાષ્ટ્રીય ચળવળનો નારો બન્યો. આજે પણ આર.આર.એસ.ની દરેક શાખામાં તે દરરોજ નિયમિત ગવાય છે [મૂળ બંગાળી કડીઓ સમેત, સંપૂર્ણ ગીત]. આ સાથે ભારતની કલ્પના એક માતા, દૈવી શક્તિ તરીકે પણ થઈ.

કેવળ બંગાળમાં જ નહીં, પરંતુ બીજે બધે, નવા ઊભા થયેલા મધ્યમ વર્ગે ભારતની સંસ્કૃિત અને સમાજ વિશે એક વિચારધારા વિકસાવી જેનું સ્વરૂપ હિન્દુ હતું. જેમ કે ગુજરાતમાં ઉત્તર નર્મદમાં અને મણિલાલમાં રેશનલિઝમ વિરુદ્ધના અને હિન્દુ રાષ્ટ્ર તેમ જ હિંદુત્વ વિશેના ઉગ્ર વિચારો જોવા મળે છે. આ ઉપરાંત ઓગણીસમી સદીમાં જે સુધારાનો યુગ આવ્યો, તે મુખ્યત્વે ધર્મ અને સ્ત્રીઓના સુધારા વિશે હતો કેમ કે આ બંને ક્ષેત્રોમાં સૌથી વધુ અધઃપતન જોવામાં આવ્યું. અલબત્ત, આ સુધારાનો ઉદ્દેશ હિન્દુ ધર્મને તેની અંધશ્રદ્ધા અને કુરીતિઓમાથી ઉગારવાનો હતો. આર્યસમાજની સ્થાપના આ ઉદ્દેશથી કરવામાં આવી હતી જે  વેદો પર આધારિત હતો અને મુર્તિ-પૂજાનો વિરોધી હતો. આર્ય સમાજે હિન્દુ ધર્મનો વિસ્તાર કરવા ‘શુદ્ધિ’ની ક્રિયા શરૂ કરી જેથી બીજા ધર્મના લોકો ‘શુદ્ધ’ થઈને હિન્દુ ધર્મમાં પ્રવેશ કરી શકે. આર્ય સમાજે હિન્દુઓને સંગઠિત કરવાનું કામ પણ શરૂ કર્યું અને એક સમાન ધર્મ અને સંસ્કૃિતનો પ્રચાર અને પ્રસાર તેમ જ શુદ્ધિની ક્રિયા દ્વારા ભારતનો વિચાર એક હિન્દુ રાષ્ટ્ર તરીકે રજૂ કર્યો. ભારત એ હિન્દુઓનો દેશ છે અને બીજા ધર્મો [મુસ્લિમ અને ખ્રિસ્તી] જે એને દૂષિત કરવાનો પ્રયત્ન કરે છે તેની તેણે ટીકા કરી. આર્ય સમાજે ‘હિન્દ, હિન્દુ, હિન્દી’નું સૂત્ર પણ પ્રચલિત કર્યું. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ જેવા ધાર્મિક નેતાએ હિન્દુ ધર્મની આધ્યાત્મિક સર્વોપરિતા  પર ભાર મૂક્યો અને સારી દુનિયાને ‘જીતવાનું’ આહ્વાન કર્યું અને એક આક્રમક હિન્દુ સમાજની કલ્પના કરી.

પરંતુ ઓગણીસમી અને વીસમી સદીનો મુખ્ય-પ્રવાહનો [મેઇનસ્ટ્રીમ] રાષ્ટ્રવાદ મધ્યમમાર્ગીઓની નેતાગીરી નીચે સંસ્થાનવાદની શોષણ કરનારી આર્થિક નીતિઓ સામે પડકાર અને સંઘર્ષ રૂપે હતો. આ પડકારનો પાયો આધુનિક પશ્ચિમી વિજ્ઞાન અને રેશનલિઝમ અને ઉદારમતવાદ તેમ જ લોકશાહીના સિદ્ધાંતોમાં હતો અને તેનું ધ્યેય આ સિદ્ધાંતો દ્વારા એક સ્વતંત્ર ભારતની છેવટે સ્થાપના કરવી તે હતું. તેમણે ભારતના આધુનિકરણની હિમાયત કરી જે પશ્ચિમના ન્યાય, વ્યવસ્થા, રેશનલિઝમ અને સેક્યુલર રાજ્યના સિદ્ધાંતો પર શક્ય હતું. છેક ઓગણીસમી સદીની શરૂઆતમાં રાજા રામ મોહન રોયે પશ્ચિમી વિજ્ઞાન, અને કાનૂની તેમ જ સામાજિક વ્યવસ્થાઓની અને એ દ્વારા ભારતીય સંસ્કૃિતને એક આધુનિક સ્વરૂપમાં બદલવાની હિમાયત કરી હતી. વીસમી સદીની શરૂઆતમાં હિન્દુ રાષ્ટ્રવાદ સામે સશક્ત અવાજ ઉઠાવનારાઓમાં ટાગોર મુખ્ય હતા. ‘ઘરે બાહિરે’ નવલકથામાં તેમણે બંગાળના ઉગ્ર હિન્દુ રાષ્ટ્રવાદના આતંકવાદી સ્વરૂપની સખત ટીકા કરી છે.  ટાગોરે આપણને ‘જન ગણ મન’ ગીત આપ્યું જે ભારતનું અધિકૃત રાષ્ટ્રગીત છે. બંકિમચંદ્રના ‘વન્દે માતરમ’ સાથે એને સરખાવતા રાષ્ટ્ર અંગેની બે વિભિન્ન સમજ ઊભી થાય છે. બંકિમનું ગીત એક દૈવી માતાનું અમૂર્ત કલ્પનાઓથી ભરેલું સંસ્કૃતમાં સ્તવન છે. ઉપરાંત એ એક યુદ્ધની હાકલ કરતું સૂત્ર પણ છે. ટાગોરનું ભારત જનગણ એટલે કે જન સમુદાયનું, વિભિન્ન પ્રદેશોનું બનેલું છે. આ ભારત વૈવિધ્યપૂર્ણ છે. ટાગોરે કહ્યું છે : ‘એશો એ આર્ય, એશો અનાર્ય’ – કેવળ આર્યોં જ નહીં પરંતુ અનાર્યો પણ ભારતના અવિભિન્ન અંગ છે. ટાગોરના કાવ્ય ‘ચિત્ત જેથા ભય શૂન્ય’માં ભારતની કલ્પના એ દેશ તરીકે થઈ છે જ્યાં લોકોના મન ભયમુક્ત અને સ્વતંત્ર છે. ભારતના  ઇતિહાસની આજની ક્ષણે ભારતની સંસ્કૃિતની આ બીજી, બધાને સમાવી લેતી, પરંપરાને પણ યાદ કરવાની જરૂર છે.

આમ છતાં એ સાચું છે કે મુખ્ય-પ્રવાહના રાષ્ટ્રવાદ અને બહુસંખ્યક જાતિના કોમવાદ એકબીજા સાથે ઘણા સંકળાયેલા છે. નેહરુએ કહ્યું છે કે બહુસંખ્યકોનો કોમવાદ બહુ સહેલાઈથી રાષ્ટ્રવાદ તરીકે ઓળખાઈ શકે છે જ્યારે લઘુમતિનો કોમવાદ એ સામાન્ય રીતે અલગતાવાદ તરીકે જોવાય છે. રાષ્ટ્રીય ચળવળમાં ઘણા હિન્દુ નેતાઓએ રાષ્ટ્રવાદને હિન્દુ ધર્મ સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. આ ઉગ્રવાદી નેતાઓમાં લોકમાન્ય તિલક ઉપરાંત મદન મોહન માલવિયા અને લાલા લાજપત રાય વગેરે હતા. તિલકે ગણપતિ અને શિવાજીના ઉત્સવોનો મહારાષ્ટ્રમાં પ્રારંભ કર્યો અને એક આક્રમક, મુસ્લિમ વિરોધી હિંદુત્વની ભાવના ઊભી કરી.

કોંગ્રેસમાં હિન્દુ નેતાઓની બહુમતિને કારણે અને એમના મુસ્લિમ વિરોધી અને હિન્દુ કોમવાદી વિચારો સામે મુસ્લિમ નેતાઓમાં અસલામતીની લાગણી થઈ અને મુસ્લિમ રાષ્ટ્રવાદનો જન્મ થયો. છેવટે ૧૯૦૬માં પોતાની અલગ પહેચાન બતાવવા મુસ્લિમ નેતાઓએ પોતાના અલગ રાજકીય મંચ મુસ્લિમ લીગની સ્થાપના કરી. હિન્દુઓના પ્રશ્નો, જેવાકે ગૌ રક્ષા, જ્ઞાતિ સુધારા, વગેરે  ઉકેલવા અને તેમની દ્રઢ પહેચાન રજૂ કરવા ૧૯૧૫માં હિન્દુ મહાસભાની સ્થાપના થઈ જેમાં કોંગ્રેસ નેતાઓ મદન મોહન માલવિયા અને લાલા લાજપત રાય સક્રિય હતા.

૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ થયો તેના તરતનાં કારણોમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે વધતાં જતાં તણાવો અને ઘર્ષણો હતા. ઉપરાંત, ૧૯૨૦માં તિલકના અવસાન પછી ગાંધીજી રાષ્ટ્રીય ચળવળના નેતા બન્યા, ત્યારે તેમણે સત્ય અને અહિંસાની હિમાયત કરી અને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રયાસો કર્યા. ગાંધીજીની આ બંને વાતોનો હિન્દુ નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો. અહિંસા એ આર્યોનો નહીં પરંતુ ખ્રિસ્તીઓનો સિદ્ધાંત હતો. તે હિન્દુઓને કમજોર બનાવનાર હતો. હિન્દુઓને તિલક, વિવેકાનંદ અને અરવિંદ જેવા વધુ આક્રમક રાષ્ટ્રવાદની જરૂર હતી. ગાંધી સમાજના બધા વર્ગોને બ્રિટિશ વિરુદ્ધ એકઠા કરવાનો સેક્યુલર પ્રયાસ કરી રહ્યા હતા. મોટી સંખ્યામાં બ્રાહ્મણોમાં આથી અસંતોષ જાગ્યો. આ જ સમયે મહારાષ્ટ્રમાં દલિતોનો પોતાના હક માટેનો બ્રાહ્મણ વિરોધી સંઘર્ષ આંબેડકરની નેતાગીરી નીચે ચાલુ હતો. આ બધા કારણોના જવાબ તરીકે મહારાષ્ટ્રના કેટલાક બ્રાહ્મણ નેતાઓએ હિન્દુ સંગઠનનો વિચાર કર્યો જેમાં હિન્દુઓના હિતોને ઉત્તેજન આપી શકાય તેમ જ રાષ્ટ્રની કલ્પના હિન્દુઓના સંદર્ભમાં થઈ શકે. અને ૧૯૨૫માં વિજયાદશમીને દિવસે – જે દિવસે રામે રાવણ પર વિજય હાંસિલ કર્યો હતો – ડો. કેશવ બલીરામ હેડગેવારે બીજા પાંચ મિત્રો સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. રામ એ આર.આર.એસ.નું મુખ્ય પ્રતિક છે અને પોતાની વિચારધારા રજૂ કરવા રામ વિશેની કથાઓનો એ સતત ઉપયોગ કરે છે. અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંસ અને રામ મંદિરનુ નિર્માણ એ આ દેશમાં લઘુમતીઓનો નાશ અને હિન્દુઓની સર્વોપરિતા સાબિત કરવાનું આર.આર.એસ. માટે સૌથી મોટું ધ્યેય આજે પણ છે.

સંગઠનનું નામ ‘હિન્દુ’ નહીં પણ ‘રાષ્ટ્રીય’ સ્વયંસેવક સંઘ તેના પ્રણેતાઓએ રાખ્યું એ સૂચક છે કેમકે રાષ્ટ્ર એ કેવળ હિન્દુઓનું જ છે એ તેમની દ્રઢ માન્યતા હતી. ‘રાષ્ટ્રીય’ શબ્દનો પ્રયોગ સંઘની રાજકીય વિચારધારાને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. એ પણ મહત્ત્વનુ છે કે સંગઠિત હિંદુત્વ એ શરૂઆતથી જ વંચિત સમૂહોના સ્વાધિકારોના સંઘર્ષ સામે ઉચ્ચ જ્ઞાતિના પ્રતિભાવ રૂપે અસ્તિત્વમાં આવ્યું. તેનું દેખીતું ધ્યેય જુવાન હિન્દુ છોકરાઓને શારીરિક તાલીમ આપવાનું હતું, પરંતુ મૂળ હેતુ હિન્દુઓને માતૃભૂમિ પ્રત્યેના સંપૂર્ણ પ્રેમને આધારે એકઠા કરવાનું અને તેમને પોતાની જાતિના ભવ્ય વારસાની અને ભવિષ્યના ધ્યેયની – હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાની – જાણ કરવાનું હતું. કેશવ બલીરામ હેડગેવાર, જે મેડિકલ ડોક્ટર હતા, તેમને તેમના માર્ગદર્શક બાલકૃષ્ણ શિવરામ મૂંજીએ ૧૯૧૦માં કલકત્તા તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરવા અને સાથે સાથે અનૌપચારિક રીતે બંગાળમાં ગુપ્ત મંડળોમાં આતંકવાદની ટેકનિકો શીખવા મોકલ્યા હતા. હેડગેવારનો આશય આર.આર.એસ.માં તાલીમ અને શિસ્તનું પ્રાધાન્ય આપીને એક ઉગ્ર આક્રમક સ્વયંસેવકોની સેના ઊભી કરવાનો અને તેના દ્વારા હિંદુત્વનો પ્રચાર કરવાનો હતો.

વીસમી સદીનો આ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ઓગણીસમી સદીના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ કરતાં વધુ સુગ્રથિત અને કેન્દ્રિત [ફોકસ્ડ] છે. ઓગણીસમી સદીનો સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ વિરોધી હતો. જ્યારે આર.આર.એસ. રાજકીય તેમ જ બૌદ્ધિક અને આર્થિક ક્ષેત્રે સંસ્થાનવાદથી અલગ રહ્યું અને કોઈ ક્ષેત્રમાં એનો વિરોધ ન કર્યો. આર.આર.એસ.ના ઇતિહાસની આ ખૂબ જ મહત્ત્વની બીના છે કે આ સંગઠને રાષ્ટ્રીય ચળવળમાં કોઈ પણ ભાગ લીધો નથી. તેની  મુખ્ય સિદ્ધિ એ છે કે તેણે કોમવાદને એક વિચારધારાનું સ્વરૂપ આપ્યું. એનું ધ્યેય કેવળ કોમવાદ વિશે વિચારો રજૂ કરવાનું જ નથી રહ્યું, પરંતુ સંસ્થાકીય / સંઘીય  માળખાઓના / શાખાઓના વિસ્તારથી આ વિચારોનો અસરકારક રીતે પ્રચાર અને પ્રસાર કરવો તે છે. ૧૯૨૩માં સાવરકરના પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ?’ અને ૧૯૨૫માં આર.આર.એસ.ની સ્થાપના થઈ ત્યારથી આર.આર.એસ.નું સતત અને કોઈ પણ ઢંઢેરો પીટયા વગર ચૂપચાપ ચાલતું મુખ્ય અને અસરકારક ‘સાંસ્કૃિતક’ કાર્ય આ વિચારોને અને લાગણીઓને લોકો એમને આત્મસાત કરે અને સામાન્ય સમજણનો ભાગ બને ત્યાં સુધી સમાજના મોટા વર્ગમાં દેશના બધા ભાગોમાં ફેલાવવાનું રહ્યું છે, જેથી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના થઈ શકે. કોઈ પણ જાતની પબ્લિસિટીથી દૂર રહેવાની વૃત્તિ એ આર.આર.એસ.ની ખાસિયત જ નહીં પણ મુખ્ય બળ પણ રહ્યું છે. આને કારણે એક તરફ વિચારકોએ અને ટીકાકારોએ તેના પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપ્યું તો બીજી તરફ ખૂબ જ સરળતાથી કોઈ ઘર્ષણ વગર તેણે લોકોની માનસિકતા કેળવવાના ખૂબ જ સફળ પ્રયત્નો કર્યા છે.

આર.આર.એસ.ના બે મુખ્ય પાસા છે –  વિચારધારા અને સંગઠન. આ વિચારધારા સૌ પ્રથમ સાવરકરના પુસ્તક ‘હિંદુત્વ : હુ ઇસ એ હિન્દુ’માં રજૂ થઈ. આ પુસ્તક સાવરકરે આંદામાન જેલમાં ‘મરાઠા’ ઉપનામથી લખ્યું હતું. સાવરકરે આંદામાન જેલમાથી નીકળવા બ્રિટિશ સરકારને સંપૂર્ણ શરણાગતિ કરી હતી અને લેખિત બાંયધરી આપી હતી કે તેઓ બ્રિટિશ કાયદા અને બંધારણનું પાલન કરશે. આ મહત્ત્વનું છે કેમ કે જેલમાંથી નીકળ્યા પછી તેમની રાજકીય પ્રવૃત્તિઓ એકદમ બદલાઈ ગઈ. આ પછી તેમણે બ્રિટિશ વિરોધી કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો નહીં. એટલું જ નહીં તેમણે કાર્યકરોને ‘હિન્દ છોડો’ ચળવળથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેઓ પૂરી કટિબદ્ધતા સાથે હિંદુત્વના વૈચારિક સૂત્રધાર બન્યા. પુસ્તકમાં સાવરકરની મુખ્ય દલીલ આ છે : ‘ઇતિહાસના ઉદયકાળે જ્યારે આર્યો ભારતમાં આવીને વસ્યા ત્યારે તેમણે પહેલેથી જ રાષ્ટ્રની સ્થાપના કરી હતી, જે આજે હિન્દુઓમાં મૂર્તિમંત થયું છે,  …. હિન્દુઓ એક સાથે બંધાયેલા છે તે કેવળ સમાન પિતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે જ નહીં …. પરંતુ આપણી મહાન હિન્દુ સંસ્કૃિત પ્રત્યેની આપણી વફાદારીનો આપણે જાહેર એકરાર કરીએ છીએ તેને કારણે છે.’

હિન્દુ કોણ છે? સાવરકરના મતે ‘જે કોઈ આ ભૂમિને પોતાની પિતૃભૂમિ અને પૂણ્યભૂમિ ગણે છે કેવળ તે લોકો જ હિન્દુ છે, અને તેથી આ ભૂમિના કેવળ તેઓ જ અધિકારી છે.’ આ વ્યાખ્યાથી સ્વાભાવિક રીતે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો બહારના બન્યા કેમ કે તેમની પૂણ્યભૂમિ જેરૂસલેમમાં અને મક્કામાં હતી. સાવરકરે આ રીતે હિન્દુ ધર્મને રાજકીય રંગ આપ્યો. સાવરકરે એક નવો શબ્દ, વિચાર રજૂ કર્યો – ‘હિંદુત્વ’ જે સંઘ પરિવારની પૂરી વિચારધારાનું કેન્દ્ર છે. હિંદુત્વ એ શું છે? એ હિન્દુ ધર્મથી અલગ છે. સાવરકરે પોતે જ પુસ્તકમાં કહ્યું છે કે હિંદુત્વ એ હિંદુ ધર્મ સાથે એકરૂપ નથી. પુસ્તકના પ્રકાશક, એસ.એસ. સાવરકરે પ્રસ્તાવનામાં લખ્યું કે ‘હિંદુત્વ’ કે ‘હિંદુડમ’ શબ્દનો ઉપયાગ સાવરકરે ધર્મની સાથે સાથે, ખાસ તો સાંસ્કૃિતક, ઐતિહાસિક અને સૌથી વધુ રાષ્ટ્રીય પાસાઓને સમગ્રતામાં પ્રગટ કરે અને હિન્દુઓને એક સંપૂર્ણ પ્રજા તરીકે ઓળખાવી શકે, એ માટે કર્યો છે.’ હિંદુત્વ આમ હિન્દુ પ્રજાનું લક્ષણ છે, હિન્દુ પ્રજાની સમગ્રતામાં ઓળખ છે. જે કોઈ આ ઓળખમાં સમાતા નથી એ બહારના છે અને તેથી હિન્દુ રાષ્ટ્રના સભ્યો નથી. આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. હિંદુત્વ એ હિન્દુ ધર્મની વ્યાખ્યા નથી. એનો એક ચોક્કસ રાજકીય સંદર્ભ છે.

આર.આર.એસ.ની વિચારધારા રજૂ કરતું બીજું પુસ્તક સંઘના બીજા સરસંઘસચાલક માધવ સદાશિવ ગોલવલકરનું લખેલું ‘વી ઓર ધી નેશનહૂડ ડીફાઇન્ડ’ છે, જે ૧૯૩૮માં પ્રગટ થયું અને જે સંઘનું બાઇબલ ગણાય છે. આ પુસ્તક આર.આર.એસ.ની નાઝીવાદ સાથેની સરખામણી વિશે એટલી હદે સ્પષ્ટ છે કે આર.આર.એસે. પોતાને એનાથી અલગ કરવાના ઘણા પ્રયત્નો પછીથી કર્યા હતા. અને છતાં એની અગત્યતા હંમેશાં આર.એસ.એસ. માટે રહી છે.

ગોલવલકરે પુસ્તકમાં ગાંધીના સેક્યુલર રાષ્ટ્રવાદની ટીકા કરી છે, જેમના મત પ્રમાણે ‘રાષ્ટ્ર એ જે કોઈ આ ભૂમિમાં રહે તે બધાથી સ્વાભાવિક રીતે બનેલું છે અને આ બધા લોકો ‘રાષ્ટ્રીય’ મંચ પર એકઠા થઈને  ‘બંધારણીય’ રીતે ‘સ્વતંત્રતા’ મેળવશે.’ ગોલવલકરના મતે આ લોકશાહી વિશેના ખોટા વિચારો હતા જેને લીધે ‘આપણે આપણા જૂના હુમલાખોરોના વર્ગમાં આવી ગયા … આપણે આપણને આપણા દુશ્મનોને આપણા મિત્રો માનવા માટે છેતરવા દીધા છે, આપણે હાથે આમ સાચી રાષ્ટ્રીયતાને આપણે નુકસાન પહોચાડ્યું છે.’

ગોલવલકરના મતે જે પાંચ કારણોથી દેશ બને છે તેમાં ભૌગોલિકતા ઉપરાંત જાતિ, ધર્મ, સંસ્કૃિત અને ભાષાનો સમાવેશ થાય છે : ‘હિંદુસ્તાનમાં, ધર્મ એ સર્વ-વ્યાપક હસ્તી છે …. તે પ્રજાના જીવનમાં હંમેશાં વણાઈ ગયો છે.  … સ્વાભાવિક રીતે આપણે આપણા ધર્મે આપણને જે બનાવ્યા છે તે છીએ. આપણું જાતિ-તત્ત્વ [રેસ –સ્પિરિટ] એ આપણા ધર્મમાથી જન્મે છે. અને તેથી સંસ્કૃિત આપણે માટે બધાને આવરી લેતા ધર્મની ઉપજ છે.’ રાજકારણ આમ ‘ધર્મના એક આદેશ માફક ચલાવવાનું છે.’

ગોલવલકરે આમ ‘ટેરિટોરિયલ’ કે પ્રાદેશિક રાષ્ટ્રવાદ સામે સાંસ્કૃિતક રાષ્ટ્રવાદની વ્યાખ્યા બાંધી અને હિમાયત કરી : ‘જે કોઈ આ રાષ્ટ્રીયતા એટલે કે હિન્દુ પ્રજા, ધર્મ, સંસ્કૃિત અને ભાષાની સાથે જોડાયેલા નથી તે બધા ‘રાષ્ટ્રીય’ જીવનની સીમાથી બહાર છે. એ બધા રાષ્ટ્રદ્રોહી છે અને રાષ્ટ્રધ્યેયના દુશ્મન છે.’

ગોલવલકરે નાઝી વિચારધારાને આધારે પોતાના રાષ્ટ્ર વિશેના મંતવ્યો રજૂ કર્યા. તેમના માટે રાષ્ટ્રીયતા માટે જાતિ [રેસ] ખૂબ જ મહત્ત્વની છે : ‘જાતિ અને સંસ્કૃિતની શુદ્ધતા માટે જર્મનીએ જ્યુ લોકોથી દેશને સાફ અને શુદ્ધ કરીને દુનિયાને આંચકો આપ્યો. જાતિ માટેનો ગર્વ અહીં એની પરાકાષ્ટાએ પ્રગટ થાય છે. જર્મનીએ એ પણ બતાવ્યુ છે કે જે જાતિઓ અને સંસ્કૃિતઓ જુદી અને વિભિન્ન છે તેમનું એક સમગ્રતામાં સમાવું લગભગ અશક્ય છે. આપણે હિંદુસ્તાનમાં રહેનારાઓને શીખવા માટે અને ફાયદો ઉઠાવવા માટે આ સારો પાઠ છે.’ અને છેવટે તેઓ સ્પષ્ટ ભાષામાં લખે છે : ‘જે પરદેશી જાતિઓ હિંદુસ્તાનમાં રહે છે તેમણે કાં તો હિન્દુ સંસ્કૃિત અને ભાષા અપનાવવી જોઈએ, હિન્દુ ધર્મને માન આપવું જોઈએ … અથવા તો હિન્દુ રાષ્ટ્રને સંપૂર્ણ રીતે આધીન થવું જોઈએ, કોઈ વિશેષાધિકારો ન માગવા જોઈએ અને તેમને નાગરિક તરીકેના કોઈ હક ન હોવા જોઈએ.’ ભારતના બંધારણમાં ધર્મ અને જાતિથી પર બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે તેનાથી બિલકુલ વિરુદ્ધ આ માન્યતાના પડઘા આપણે ચારે બાજુ આજે સાંભળીએ છીએ.

ગોલવલકરે પ્રાચીન ભારતની સર્વોપરિતા ઉપર પણ ભાર મૂક્યો છે. તેમના શબ્દોમાં  ‘પરદેશી મુસાફરોએ પણ તેમણે કરેલા તુલનાત્મક અભ્યાસમાં કહ્યું છે કે આ દેશનો સાધારણ નાગરિક અન્ય પ્રદેશોના સામાન્ય માણસ કરતાં ઘણો ચઢિયાતો છે. … પશ્ચિમ જ્યારે માંસને શેકીને ખાતાં શીખ્યું તેના ઘણા સમય પહેલા ભારત એક રાષ્ટ્ર હતું.’ અર્થાત્ પશ્ચિમમાં વિકાસ થયો તે પહેલાં ભારત એક વિકસિત દેશ હતો. આજે દીનાનાથ બત્રાના વિધાનો અને સંઘ પરિવારના વૈચારિક સૂત્રધારો આ જ વિચારોના પડઘા પાડે છે.

ગોલવલકરે બીજા ધર્મના લોકોને પોતાના પક્ષમાં ધર્માન્તરણ દ્વારા લાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો : ‘બધાં જાણે છે કે કેવળ ગણ્યાગાંઠ્યા મુસ્લિમો જ દુશ્મન અને હુમલાખોર થઈને આવ્યા. એ જ પ્રમાણે ગણ્યાગાંઠ્યા ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા. આજે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. … તેથી આપણી ફરજ છે કે આપણા આ દુ:ખી ભાઈઓ, જે સદીઓ સુધી ધાર્મિક ગુલામીમાં રહ્યા તેમને પોતાના પૂર્વજોના ઘરમાં પાછા લાવીએ.’ લઘુમતી કોમની સંખ્યા વધતી જાય છે અને હિન્દુઓની ઘટતી જાય છે એવી કુશળ દલીલ દ્વારા બહુમતી કોમમાં ભયની લાગણી ફેલાવવી એ આજના પ્રચારના મૂળ આ વિધાનોમાં દેખાય છે. ગોલવલકર એમના મુસ્લિમ અને ખ્રિસ્તીઓને હિન્દુ ધર્મ અપનાવવાના સંદેશ સામે થયેલા ઊહાપોહથી આશ્ચર્ય પામ્યા હતા, અને એક ઇન્ટરવ્યૂમાં ૧૯૬૯માં એમણે કહ્યું કે આ તો કેવળ ‘ઘર પાછા આવવાની’ અપીલ હતી !

ગોલવલકરના સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ અને નાઝીવાદ તેમ જ ફાસીવાદ વચ્ચે ઘણું સામ્ય છે : 

1. સર્વોપરી, સર્વસત્તાધીશ નેતાનો સિદ્ધાંત,

2. સંગઠનમાં ચૂસ્ત શિસ્ત અને આક્રમકતા પર ભાર,

3. રેશિયલ – જાતીય સંસ્કૃિતની સર્વોપરિતાની માન્યતા,

4. ધાર્મિક આદર્શવાદથી ભરેલો ઉગ્ર રાષ્ટ્રવાદ,

5. ભૂતકાળની મહાનતાના પ્રતિકોનો ઉપયોગ,

6. સાંસ્કૃિતક વિવિધતાની વિરુદ્ધ એકતા પર ભાર; અને

7. ધાર્મિક કે જાતિય લઘુમતીઓનો રાષ્ટ્રની કલ્પનામાથી નિકાલ.

સંઘની વિચારધારાનો બહુ જ મજબૂત પાયો સાવરકર અને ગોલવલકરે નાખ્યો હતો. સંઘની વિચારધારાની ખાસિયત એ છે કે તેમણે જે સાંસ્કૃિતક હિન્દુ રાષ્ટ્રવાદની વ્યાખ્યા બાંધીને સમજ ઊભી કરી હતી, તેમાં જરા પણ પરિવર્તન  કે વૃદ્ધિ થયાં નથી. હિન્દુ રાષ્ટ્રની કલ્પના, લઘુમતી કોમોને એમાથી બાકાત રાખવાનો આગ્રહ, હિન્દુઓની સંખ્યા વિશે ચિંતા, બીજા ધર્મના લોકોના હિન્દુ ધર્મમાં ધર્માન્તરણને ‘ઘર વાપસી’ તરીકે ઓળખાવવું, ભૂતકાળની ભવ્યતાના સતત બણગાં ફૂંકવા, આ બધુ જે આપણે આજે જોઈએ અને સાંભળીએ છીએ તે ખૂબ જ સ્પષ્ટ વિચારોમાં ગોલવલકરે રજૂ કર્યું હતું. આર.આર.એસ. આજે પણ સતત એ જ વિચારોનો સંગઠનનાં માધ્યમ દ્વારા પ્રસાર કરી રહ્યું છે. વિચારોના પ્રસાર માટે સંગઠન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. શાખાઓમાં કુમળી ઉમ્મરના છોકરાઓના મનની કોરી સ્લેટ પર આ વિચારો ઘૂંટવામાં આવે છે. શિક્ષણની આ પદ્ધતિમાં પ્રશ્નો ઉઠાવવા કે ચર્ચા કરવાનો અવકાશ જ નથી. સ્વયંસેવકો સાંભળે છે, શીખે છે અને સ્વીકારે છે કોઈ પ્રશ્ન, ચર્ચા કે ટીકા વગર. વિચારશક્તિ ખોઈ બેઠેલા આ સૈનિકો સંપૂર્ણ વફાદારી અને અતિ ઉત્સાહ અને ઝનૂનથી આદેશોનું અને વિચારોનું પાલન કરે છે. આજે શિક્ષણની આ પદ્ધતિ દાખલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં બુદ્ધિવાદ, વૈચારિક સ્વતંત્રતા અને સ્વતંત્ર રીતે વિચારવાની વૃત્તિ, તેમ જ વૈજ્ઞાનિક અભિગમ, જે શિક્ષણનો મૂળ ઉદ્દેશ્ય છે, તેની જગ્યાએ વિદ્યાર્થીઓનાં મનને અમુક ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો આગ્રહ રાખવામા આવે છે. ઐતિહાસિક તથ્યો અને બુદ્ધિવાદી દલીલોની જગ્યાએ દંતકથાઓ પર આધારિત અને ભાવનાઓને ઉશ્કેરે એવા શિક્ષણની તાલીમ આપવાનો પ્રયત્ન થાય છે, જેથી એક ચોક્કસ રીતે વિચારવાની છેવટે ટેવ પડે અને એને આધારે અભિપ્રાયો બંધાય. દીનાનાથ બત્રાનાં પુસ્તકોનો આ આશય છે. શિક્ષણ વિશેની આ વિચારધારા એ શિક્ષણના મૂળભૂત ધ્યેય જે જ્ઞાનની સ્વતંત્ર ખોજ છે તેના પર પ્રહાર છે. 

આર.આર.એસ.ની સફળતા એ આ વિચારધારાનું સમાજમાં ઊંડે સુધી પ્રસાર એ છે. બે તાજા ઉદાહરણો જોઈએ. નૌકાદળના એક અધિકારીએ તાજેતરમાં ગર્વથી જાહેરમાં કહ્યું કે પાકિસ્તાનની નૌકાને જલાવવાનો આદેશ એમણે જ આપ્યો હતો કેમ કે ‘તેમને [પાકિસ્તાની નાવિકોને] બિરિયાની ખાવાનું આમંત્રણ થોડું અપાય?’ ગુજરાતના પોલીસ અધિકારી વણઝારાએ જેલમાથી નીકળીને કહ્યું કે જો તેમણે પોતાની ફરજ ન બજાવી હોત તો ગુજરાત બીજું કાશ્મીર બનત. આ બંને ઉદાહરણો બતાવે છે કે મુસ્લિમો એટલે દુશ્મનો અને આતંકવાદીઓ એ દંતકથા કેટકે ઊંડે સુધી સમાજના કેટલા બધા ક્ષેત્રોમાં ફેલાઈ છે, અને કેટલી હદે લોકોએ આત્મસાત કરી છે, અને તેમની સામાન્ય સમજણનો ભાગ બની છે. ઉપરાંત, વધુ ભયજનક વાત તો સંઘનો  વહીવટી તંત્રમાં પેસારો અને પોલિસ અને નાગરિક તંત્રના સભ્યોમાં કોમવાદી વલણ પેદા કરવાનો સફળ પ્રયાસ એ છે.

સ્વાતંત્ર્યોત્તર સમયમાં આર.આર.એસ.ના ‘પરિવાર’નો વિસ્તાર થયો. ૧૯૫૧માં ગોલવલકરને લાગ્યું કે સંઘની વિચારધારાને રાજકીય ક્ષેત્રમાં લઈ જવાની તાત્કાલિક જરૂર હતી, જેથી સામ્યવાદ અને કોંગ્રેસની વિરુદ્ધ લોકમત અસરકારક રીતે ઊભો કરી શકાય અને તેથી શ્યામા પ્રસાદ મુખરજીની મદદથી ભારતીય જનસંઘની સંઘની રાજકીય પાંખ તરીકે સ્થાપના થઈ. ૧૯૬૪માં વી.એચ.પી.ની એમણે સ્થાપના કરી અને સાધુ સંતોના બહોળા સમુદાયનો પરિવારમાં સમાવેશ થયો. વી.એચ.પી. એ મોટા પાયા પરના સાંપ્રદાયીકરણની અને સાંપ્રદાયિકતાના બજારીકરણની ઘટના છે. બજરંગદળની સ્થાપના ૧૯૮૪માં રામ જન્મભૂમિની વી.એચ.પી.ની ચળવળના સમયમાં વી.એચ.પી.ની યુવા શાખા તરીકે થઈ. સંઘ પરિવારમાં દરેક સદસ્યનું પ્રદાન હોય છે. દરેક વચ્ચે ખૂબ કુશળતાથી શ્રમનું વિભાજન થયેલું છે, ભા.જ.પ. એ પરિવારનો લોકશાહીનો ચહેરો છે અને લોકશાહીના માળખામાં રહીને બોલે છે. એક બાજુ દેવળો પર સતત પ્રહારો થાય છે અને ‘ઘર વાપસી’ની ઝુંબેશ જોરથી ચાલે છે અને બીજી બાજુ પ્રધાનમંત્રી ધર્મની સ્વતંત્રતા વિશે વિધાનો કરે છે. લઘુમતીઓ પર થતા પ્રહારોના આરોપીઓને સજા કરવાની ક્યારે ય વાત થતી નથી. આર.આર.એસ. પડદાની પાછળ દોરી સંચાર કરે છે. જો કે ૨૦૧૪ની ચૂંટણીઓમાં ભા.જ.પ.ના વિજય પછી આર.આર.એસ.ના વડાએ  જાહેરમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ વિશે અને હિન્દુ પ્રજાની એક્તા વિશે અનેકવાર વિધાનો કર્યા છે. ૨૦૧૪ની લોકસભાની અને તાજેતરની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં આર.આર.એસ.ના પ્રચારકોએ ઘેર ઘેર જઈ પ્રચાર કર્યો છે. આ ઉપરાંત સરકારના નિર્ણયો પાછળ આર.આર.એસ. સતત નજર રાખે છે. વી.એચ.પી. સાંસ્કૃિતક પ્રતિકોને કુશળતાથી વાપરીને લોકોનો ટેકો મેળવે છે જેથી ભા.જ.પ.ને ચૂંટણીમા ફાયદો થાય. બજરંગદળ હિંસક પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ આખું એક ગોઠવેલું સંયોજન છે જેમાં દરેકની ભૂમિકા છે. સાક્ષી મહારાજના વિધાનોને મીડિયા ‘લ્યુનેટીક ફ્રિન્જ’ [પાગલ, છેવાડા પરના, લોકો] તરીકે ઓળખાવે છે જે ભા.જ.પ.ને ફાવતું છે કેમ કે એને પોતાનો બચાવ કરવાની જરૂર રહેતી નથી.  વી.એચ.પી. ઉગ્ર ભાષાનો પ્રયોગ કરે છે, દોષનો ટોપલો એને માથે લાગે છે પરંતુ લાભ ભા.જ.પ.ને અને સંઘને થાય છે. સંઘ કેમ કે પાછળ રહીને બોલે છે બધી જવાબદારીથી મુક્ત છે અને એક અલગ, ‘સાંસ્કૃિતક મંચ’ તરીકે પોતાનું કામ સફળતાથી કરે છે. આ ઉપરાંત પણ સંઘનું નેટવર્ક ખૂબ જબરદસ્ત છે. શિક્ષણના ક્ષેત્રમાં બિનસરકારી ક્ષેત્રમાં વિદ્યાભરતી એ દેશમાં મોટી સંસ્થા છે. આદિવાસીઓ માટે ‘વનવાસી કલ્યાણ યોજના’ છે જેમાં ધર્માન્તરણની પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય છે. યુવાનો માટે ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ દરેક શિક્ષણ સંસ્થાઓમાં ફેલાએલી છે જ્યાં યુવાનોને સંઘમાં જોડાવા માટે પ્રોત્સાહન અપાય છે. આના જેવા દરેક ક્ષેત્રો માટે સંઘના મંડળો છે જેના દ્વારા દરેક ક્ષેત્રમાં સંઘની વિચારધારાનો પ્રચાર થાય છે.

૨૧મી સદીનો સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ વધુ સંકૂલ છે. ૧૯૯૦ના દશકમાં શરૂ થયેલી ઉદારીકરણની અને વૈશ્વિકીકરણની આર્થિક નીતિઓને પરિણામે એક નવો મૂડીવાદી વર્ગ દેશમાં ઊભો થયો છે. જૂના ઔદ્યોગિક મૂડીવાદમાં અમુક ઉચ્ચ જ્ઞાતિ જેવી કે જૈન અને વાણિયા સમાજના લોકો મૂડીવાદી વર્ગના સભ્યો હતા. નવા મૂડીવાદીઓ મધ્યમ જ્ઞાતિઓમાંથી આવ્યા છે. અંદર અંદરની હરીફાઈ, આગળ, ઉપર પહોંચવા માટે વધતી જતી ક્ષિતિજો, ઉપભોકતાવાદી જીવનશૈલીની આદતો તેમ જ વૈશ્વિક તકોની ઊઘડતી જતી નવી દુનિયા, આ બધાને કારણે તેમના જીવનમાં એક અનિશ્ચિતતા આવી છે અને કોઈ આધારની જરૂરિયાત ઊભી થઈ છે જે તેમને ટકાવી શકે. જમણેરી બળો અને આ વર્ગ વચ્ચે સંબંધ વધ્યો છે. આ નવા વર્ગને નવાં નૈતિક મૂલ્યો, નવી પહેચાનની જરૂર છે જે તેમના મૂડીવાદી હિતો અને મહેચ્છાઓને પડકારે નહીં કે તેની આડે આવી નહીં, બલકે તેને પોષવામાં મદદરૂપ થાય.. પરદેશમાં વસતા ભારતીયો [એન.આર.આઈ.]ને માટે આક્રમક હિન્દુ ઓળખ એ ભારતીયતાની પહેચાન છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ સંબંધથી મૂડીવાદીઓ અને જમણેરી તત્ત્વોને બંનેને ફાયદો થાય છે. એ યાદ કરવા જેવી હકીકત છે કે આર.આર.એસ.નો ઉદ્દભવ જે સમૂહમાથી થયો તે ઉચ્ચ જ્ઞાતિ અને ઉચ્ચ અને મધ્યમ વર્ગનો બનેલો હતો અને આર્થિક ક્ષેત્રે કોઈ પરિવર્તન ચાહતો ન હતો. આજે પણ જમણેરી બળો અને મૂડીવાદીઓ સામાજિક કે આર્થિક પરિવર્તન ચાહતા નથી, જેથી તેમને નુકસાન થાય. બલકે તેઓ આવા પરિવર્તનની ખિલાફ છે. ભૂમિ અધિગ્રહણ કાયદામાં સુધારા અંગેનો વટહુકમ જે ખેડૂતોની ખિલાફ છે તે આનું ઉદાહરણ છે. સંઘ પરિવારના વિધાનો અને પ્રવૃત્તિઓ આજના સમાજના જે ખરેખર મહત્ત્વના પ્રશ્નો છે તેના તરફથી લોકોનું ધ્યાન હઠાવવાનો પ્રયત્ન કરે છે. આજે હિંદુત્વના અને ઉદારીકરણ તેમ જ વૈશ્વિકીકરણના સંદર્ભમાં વિકાસના ઘોંઘાટમાં સામાજિક અને આર્થિક અસમાનતાઓના પ્રતિકારની શક્યતાઓ વધુ મુશ્કેલ બની છે અને ફેરવિચારણા માંગી લે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. હિંદુત્વ બળોએ પોતાના સામર્થ્ય અને પ્રભાવ હિન્દુ અને ‘બીજા’ઓ વચ્ચેના સંબંધની અસમાનતા પર મેળવ્યા છે. આ બંને સમૂહોને બીબાંઢાળ, પ્રતિકોની બનેલી, ઓળખમાં વહેંચીને તેણે સત્તાના સમીકરણોને એક અર્થમાં સીમિત કર્યા છે અને રોજ-બ-રોજના સંબધોમાં સત્તા અને સંપત્તિની જે અસમાનતાઓ છે તેની ઉપેક્ષા કરી છે. સેક્યુલરિઝમની લડત એક અલગ અને અમૂર્ત સૈદ્ધાંતિક લડત ન રહેતા રોજ-બ-રોજના ચોકકસ, નક્કર, પ્રશ્નોના સક્રિય લોક આંદોલનમા ભળે અને તેમાં ભાગ લેનારા પોતાની ઓળખ જુદીજુદી આર્થિક અને સામાજિક ભૂમિકાઓમાં જુએ તે જરૂરી છે. પ્રશ્ન એ નથી કે દીનાનાથ બત્રાનાં પુસ્તકોની હકીકત સાચી છે કે ખોટી. પુસ્તકોના વિષ્લેશણનો આ વિષય નથી. પ્રશ્ન એ છે કે દીનાનાથ બત્રાનાં પુસ્તકો, સાક્ષી મહારાજના વિધાનો, દિલ્હીમાં દેવળો પર થયેલા હુમલાઓ, એ બધા હિંદુત્વના એક મોટા એજેંડાના ભાગ છે જે આપણને હિન્દુ ઓળખ આપવાનો આગ્રહ રાખે છે. આ એજેંડાનો પ્રતિકાર આપણી બીજી, સામાજિક, આર્થિક ઓળખોને આગળ ધરીને થઈ શકે. આપણી પોતાની મલ્ટિપલ આઇડેન્ટીટી – અનેકવિધ ઓળખ – ની ઊંડી સમજ આપણને બીબાંઢાળ અને પ્રતીકો – જે સત્તા અને ઓળખ બંનેના પ્રશ્નોને એકદમ સરળ બનાવી દે છે – તેમાં વિચારવા માટે નિરુત્સાહ કરે છે અને નક્કર પ્રશ્નો તરફ વાળે છે. પરંતુ એ પણ વિચારવું જરૂરી છે કે કેવી રીતે આવી શરૂઆતો કેવળ સ્થાનિક ન રહેતા સંગઠિત લોક-આંદોલનો સાથે જોડાય અને ઘણા બીજા પ્રશ્નો સુધી વિસ્તરે, જેથી ખરા પરિવર્તનની અને આપણી વૈવિધ્યપૂર્ણ સંસ્કૃિત જે આપણા બંધારણમાં કંડારીત છે તેની શક્યતાઓ બંધાય.

[ડૉ. સ્વાતિ જોશી, 1973થી દિલ્હીની મિરાન્ડા હાઉસ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરતાં હતાં. તાજેતરમાં અમદાવાદ ખાતે એક પરિસંવાદમાંનું સ્વાતિબહેનનું ઉદ્દબોધન]

સૌજન્ય : વૈચારિક ક્રાંતિ દ્વારા માનવીય ગૌરવને વરેલું “માનવવાદ”, મે / જૂન 2015

Loading

ઘાસ

સુરેશ જાની|Opinion - Opinion|19 May 2015

સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દૃષ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિ ક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

જેમ જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખ્યાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નાળિયેરીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હીલ્લોળે તમારા દિલમાં ય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ કરતો ઘૂઘવી રહ્યો છે. તમે આ આનંદના સાગરમાં ડૂબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયિત બની ગયા છો. તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હિંચોળી રહ્યો છે.

અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતાં પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યના કિરણોથી તપ્ત બની ફૂલી અને સંકોચાઈ રહ્યાં છે; શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે. તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એકતાલ બનવા માંડે છે.

અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શિતળતા વિદાય લઈ ચુકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાંને ગ્રસીને ઓહીયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાંની ચિરંતન ભૂખ તમારો કોળિયો કરવા આતુરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ સિવાય, તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

તમે એકદમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કુમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દૂર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો. એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો.

——————————————————————————-

અને તમે પસીને રેબઝેબ, આ દિવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો.  સામે દૂર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે.

જીવનનું સૌદર્ય શું અને જીવનની ક્રૂરતા શું, એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે. સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી ‘તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણવિરામ મુકવું કે કેમ?’ તેવું તમે વિચારતા થઈ જાઓ છો.

અને આ મામલામાં વધુ ઊંડા ઊતરવા કરતાં ‘આજની ઘડી રળિયામણી’ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દૃઢ બની ગયો છે.

વિજ્ઞાન અને ફિલસૂફીનો સમન્વય કરતી ‘સત્ય’ વિશેની આ કલ્પના અમેરિકાની એક શાળામાં દીકરીના દીકરાની રાહ જોતાં સૂઝી હતી; અને મારી પોતાની પસંદ રચનાઓમાંની એક છે. મારા બ્લોગ ‘સૂરશાધના’ પર ૨૦૦૮ ફેબ્રુઆરી, ૨૦૦૮ માં આ કલ્પના પ્રકાશિત કરી હતી. [https://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/ ]

એકાદ વર્ષ પહેલાં ‘કોડિંગ’ની વિનામૂલ્ય સવલત આપતી એમ.આઈ.ટી.(બોસ્ટન)ની વેબ સાઈટ ‘Scratch’ની જાણ થતાં, તેમાં થોડુંક ખેડાણ કર્યું હતું. એમાં થોડોક મહાવરો થતાં આ કલ્પનાને દૃષ્ય રૂપ આપવા મન થયું હતું. એ પ્રોજેક્ટ ‘અહાહા! અરેરે!’ આ રહ્યો.

https://scratch.mit.edu/projects/23256205/

જો ‘ઓપિનિયન’ પર શક્ય હોય, તો આ પ્રોજેક્ટ ‘Embed’ પણ કરી શકાશે. તે માટેનો કોડ આ છે –

સઘળું, સતત, સદા પરિવર્તનશીલ હોય છે – એ ભાવને આ કલ્પના અનુમોદન આપે છે. પરિવર્તનની એ પ્રક્રિયાને ‘રંગ રંગ વાદળિયાં’ નામના બીજા એક પ્રોજેક્ટમાં દૃષ્યરૂપ આપ્યું હતું. એ પ્રોજેક્ટ આ રહ્યો.

https://scratch.mit.edu/projects/24454950/

અને તેને Embed’   કરવાનો કોડ આ છે.

‘Scratch’ બાબત જાણકારી મેળવવા ….

https://scratch.mit.edu/about/

e.mail : sbjani2006@gmail.com

Loading

...102030...3,8443,8453,8463,847...3,8503,8603,870...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved