‘ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ’, વાસ્તવમાં ગુજરાત સરકારનો ગુજકોક મહારાષ્ટ્રનું જ અનુકરણ છે. જો એમાં મહારાષ્ટ્ર કરતાં વધારે કૃતનિશ્ચયી હોવાનું પ્રદર્શન કરવા માટે કારણ વિના તીખાશ ન ઉમેરી હોત તો મોકાની જેમ ગુજકોક પર પણ રાષ્ટ્રપતિની સહી મળી ગઈ હોત અને ૧૨ વર્ષથી રખડતો ખરડો કાયદો બની ગયો હોત
સમાજમાં એવી ખોટી સમજ વિકસી છે કે કડક કાયદાઓ ઘડવાથી ગુનાનું પ્રમાણ ઘટે છે. વાસ્તવમાં ગુનાના પ્રમાણને કાયદો કેટલો કડક છે એની સાથે સંબંધ નથી, કાયદાનો અમલ કઈ રીતે થાય છે અને ન્યાયતંત્ર કેટલો ઝડપી ન્યાય આપે છે એના પર ગુનાનું પ્રમાણ આધાર રાખે છે. જગતમાં એવા અનેક દેશ છે જ્યાં મૃત્યુદંડની સજા નથી અને છતાં ભારત કરતાં ગુનાનું પ્રમાણ ઓછું છે. ઊલટું બને છે તો એવું કે જ્યાં કાયદા કડક હોય અને ન્યાયતંત્ર નબળું હોય ત્યાં કાયદાઓનો દુરુપયોગ થતો હોય છે. કોઈ દંડવાનું નથી તો કડક કાયદાનો લાભ શા માટે ન લેવો? ભારતમાં કાયદાનો દુરુપયોગ એ કોઈ નવી વાત નથી. એ ઉપરાંત સમાજમાં ગુના થવા પાછળ સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો પણ હોય છે જેને કાયદો કેટલો કડક છે અને કાયદાનો અમલ તેમ જ ન્યાયતંત્ર કેટલું સક્ષમ છે એની સાથે પણ સંબંધ નથી. અમેરિકામાં કડક કાયદા, સાબદું વહીવટી તંત્ર અને ચુસ્ત ન્યાયતંત્ર હોવા છતાં ગુનાઓ થાય છે. સ્કૂલોમાં કિશોર વિદ્યાર્થીઓ ખૂન કરે એવી ઘટનાઓ બની રહી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં જ્યારે શાસકો વારંવાર નિષ્ફળ નીવડે છે ત્યારે તેઓ પોતાની નિષ્ફળતા છુપાવવા તેમ જ સમાજ પરત્વે પોતાની નિસબતનું પ્રદર્શન કરવા કાયદાઓને વધુ કડક બનાવવાનો રસ્તો અપનાવે છે. દુ:ખને ભૂલવા વધુ ને વધુ દારૂ પીતા રહો એના જેવી આ વાત થઈ. દુ:ખના કારણનો ઇલાજ કરવાની જગ્યાએ દારૂનું પ્રમાણ વધારવાથી જેમ દુ:ખનો અંત આવતો નથી એવું સમાજમાં ગુનાનું છે. પહેલાં ગુનાનાં કારણોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુના તરફ લઈ જનારાં પરિબળોનો ઇલાજ કરવો જોઈએ અને એ પછી ગુનેગારનો વારો આવે છે. ઊંધેથી શરૂ કરવાથી સમાજ ગુનામુક્ત થવાનો નથી. શાસકો આ વાત નથી જાણતા એવું નથી, પરંતુ ઊંધેથી શરૂઆત કરવામાં મહેનત ઓછી પડે છે અને કાર્યદક્ષતાનાં પ્રમાણપત્ર મળે છે.
ગુજરાતમાં આનંદીબહેન પટેલની સરકારે ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ નામનો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે જે આ પ્રકારનો છે. વાસ્તવમાં કડક કાયદો ઘડવાનો આ ચોથો પ્રયાસ છે. ૨૦૦૨નાં શરમજનક કોમી હુલ્લડો પછી ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ દેખાવ એવો કર્યો હતો કે તેઓ ગુનાને અને આતંકવાદને ચલાવી લેવામાં માનતા નથી. તેઓ ૫૬ ઇંચની છાતી ધરાવે છે અને ઝીરો ટૉલરન્સ(કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાની નીતિ)માં માને છે. આવી ઇમેજ ઊભી કરવા માટે કડક કાયદાની જરૂર હતી. આવી ઇમેજ ઊભી કરવા માટે બે-ચાર એન્કાઉન્ટરની જરૂર હરી. આવી ઇમેજ ઊભી કરવા માટે કહેવાતા દુશ્મનોને લલકારવાની જરૂર હતી. આવી ઇમેજ ઊભી કરવા માટે વિવેક અને મર્યાદાનો આગ્રહ રાખનારાઓને ઢીલા તેમ જ નપુંસક ઠરાવવાની જરૂર હતી. નરેન્દ્ર મોદીએ આ બધું કર્યું હતું. તેમણે ૧૩ વર્ષ ગુજરાતમાં રાજ કર્યું હતું અને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આતંકવાદની ઘટનાઓ બનતી હતી. હવે એકંદરે આતંકવાદની ઘટનાઓ બનતી ઓછી થઈ છે તો ગુજરાતમાં પણ ઓછી થઈ છે. એવું નથી કે મરદમુછાળો ભડવીર હવે ગુજરાતમાં નથી એટલે ગુજરાતની હાલત આઝાદી પહેલાંના કાઠિયાવાડ જેવી થઈ ગઈ છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કોમી હુલ્લડો પછી તરત ગુજરાત કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજકોક) નામનો ખરડો પસાર કર્યો હતો, જેને ૨૦૦૩માં રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પાછો મોકલ્યો હતો. એ સમયે દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને સરદાર પટેલના પહેલા અવતાર લાલ કૃષ્ણ અડવાણી ગૃહપ્રધાન હતા. કહેવાતા ગુનેગારો વચ્ચે ફોન પર થયેલી વાતચીતને સજા આપી શકાય એવા પુરાવા તરીકે સ્વીકાર કરવો એ અતિરેક છે એમ ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. એ પછી ૨૦૦૮માં એ ખરડો થોડા ઘણા સુધારાઓ સાથે પાછો પસાર કરવામાં આવ્યો હતો જેને એ સમયનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે પાછો મોકલ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘પોલીસ સમક્ષ કરેલી ગુનાની કબૂલાતને અને પોલીસ સમક્ષ સાક્ષીઓએ કરેલા ગુના વિશેનાં નિવેદનોને અદાલતમાં કબૂલાત કે જુબાની તરીકે સ્વીકારી ન શકાય. ઘવાયેલા નરેન્દ્ર મોદીએ ૨૦૦૯માં ફરી એક વાર એનો એ ખરડો પસાર કર્યો હતો જે ૬ વર્ષથી રાષ્ટ્રપતિભવનમાં પડ્યો છે.
આનંદીબહેન પટેલની ગુજરાત સરકારે આગળનો ખરડો પાછો ખેંચ્યો છે અને મૂળ ખરડામાં ટેરરિઝમ શબ્દ ઉમેર્યો છે. શીર્ષકમાં એક શબ્દ ઉમેરીને અને ખરડામાં મામૂલી ફેરફાર કરીને જૂના ખરડાને નવો બનાવીને ચોથી વખત ગુજરાત વિધાનસભામાં પસાર કર્યો છે. હવે જોઈએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આ ખરડા વિશે શું નિર્ણય લે છે. આ એ જ ખરડો છે જે બે વખત અસ્વીકૃત થઈ ચૂક્યો છે અને ૬ વર્ષની રાહ જોઈને પાછો ફર્યો છે. દરમ્યાન ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં આતંકવાદી ઘટનાઓમાં ઓટ આવી છે.
માત્ર ગુજરાત સરકાર નહીં, દેશની અનેક રાજ્ય સરકારોએ આવા આકરા કાયદાઓ ઘડ્યા છે જેનો ઉપયોગ તો થતો નથી, દુરુપયોગ વધુ થાય છે. ટેરરિસ્ટ ઍન્ડ ડિઝરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ – ટાડા આવો કાયદો છે. ૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકારે ઘડેલો મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA) આવું બીજું ઉદાહરણ છે. વાસ્તવમાં ગુજરાત સરકારનો ગુજકોક મહારાષ્ટ્રનું જ અનુકરણ છે. જો એમાં મહારાષ્ટ્ર કરતાં વધારે કૃતનિશ્ચયી હોવાનું પ્રદર્શન કરવા માટે કારણ વિના તીખાશ ન ઉમેરી હોત તો મોકાની જેમ ગુજકોક પર પણ રાષ્ટ્રપતિની સહી મળી ગઈ હોત અને ૧૨ વર્ષથી રખડતો ખરડો કાયદો બની ગયો હોત. પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ (POTA) આવું ત્રીજું ઉદાહરણ છે. તામિલનાડુ સરકારે પણ આવો કાયદો ઘડ્યો છે.
ગુજકોક ૧૨ વર્ષથી રખડે છે અને વગર ગુજકોકે ગુજરાતમાં શાંતિ છે તો પછી હવે દુરુપયોગ થાય એવો કાયદો ઘડવાની જીદ શા માટે?
સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 03 અૅપ્રિલ 2015
http://www.gujaratimidday.com/features/columns/mcoca-pota
![]()


તારીખ પ્રમાણે, ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ વલસાડમાં જન્મેલા નારાયણ દેસાઈનું અવસાન ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ સુરત નજીકના વેડછી ગામે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયમાં થયું. તો ઉંમર થઈ ૯૦ વર્ષની. એકદમ પાકી ઉંમર ! એ ઉંમરની કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન તો અકાળ માની શકાય ન તો એના મૃત્યુથી શોક થવો જોઈએ. એ જાણ્યા પછી તો બિલકુલ નહીં કે તેઓ મસ્તિષ્ક-આઘાત પછી ૧૦ ડિસેમ્બરથી લગભગ ચેતનાશૂન્ય જ હતા. આધુનિક ચિકિત્સાની તાકાત એમને ત્યારથી અત્યાર સુધી ખેંચી રહી હતી. સુરતની એક હૉસ્પિટલમાં ફરીથી ચેતનવંત થવાના તેમના પ્રયત્નોને મદદ કરવાનો ઉપક્રમ થઈ રહ્યો હતો, છેલ્લે તેમને હૉસ્પિટલથી વેડછી ઘરે પાછા લાવવામાં આવ્યા કે તરત તેમણે પાછા જવાનો નિર્ણય લીધો. નાકમાં લગાવેલી શ્વાસ અને ભોજનની નળીઓ તેમણે જાતે જ કાઢી નાખી અને જીવનસંસારને અલવિદા કરી.
ગાંધીની હત્યા થઈ ત્યાં સુધીમાં તેમણે એ જીવનદિશા શોધી લીધી હતી, જેની તલાશમાં આપણે જીવનભર ભટકતા જ રહીએ છીએ. એટલે ગાંધી પછી, ગાંધીની અહિંસક ક્રાંતિની પરિકલ્પના લઈને જ્યારે વિનોબા ભાવેએ ભૂદાન-આંદોલન શરૂ કર્યું, તો નારાયણ દેસાઈ તેમાં એટલી જ સહજતાથી સમાઈ ગયા જેટલી સહજતાથી સાગરમાં નદી સમાઈ જાય છે. પાછળથી પોતાનો સમાજવાદી વેશ ઉતારીને ક્રાંતિના શોધક જયપ્રકાશ નારાયણ પણ ત્યાં જ પહોંચ્યા. ભૂદાન-ગ્રામદાન-ગ્રામસ્તરનાં પગથિયાં ચડતાં જ્યારે સર્વોદય આંદોલન સંપૂર્ણ ક્રાંતિના મુકામ સુધી પહોંચ્યું, ત્યારે એક મોટો વિભ્રમ ફેલાયો. જયપ્રકાશ નારાયણે ત્યારે સમયની ગતિ ન સમજી શકવાના કારણે લથડી રહેલા આંદોલનને એ દિશા આપી જેને આંદોલનના જનક વિનોબા પણ સમજી ના શક્યા. એક જ વાત ઘણી કરુણ રીતે સામે આવી કે ક્રાંતિ પર કોઈનો કૉપીરાઇટ નથી હોતો. જયપ્રકાશ તે સમયે જે લોકોનો અવિચલિત સાથ મળ્યો, તેમાં નારાયણ દેસાઈ સૌથી આગળ હતા. સેતુનો એ સ્વભાવ પણ હોય છે અને ધર્મ પણ કે એ જ્યાં અભાવ કે શૂન્ય જુએ છે, ત્યાં જોડાણ ઊભું કરી દે છે. આવી રીતે આઝાદી મેળવવાના અને આઝાદીને અધિકાધિક અર્થપૂર્ણ બનાવવાના ત્રણ સૌથી મોટા અને પૂરેપૂરા મૌલિક પ્રયાસોને જોડવાનો અવસર નારાયણ દેસાઈને મળ્યો અને તેમણે દરેકને પૂરો ન્યાય આપ્યો. જયપ્રકાશનો સાથ મળ્યો તો નારાયણ દેસાઈ ઘણા ખીલ્યા. દુનિયામાં શાંતિવાદીઓમાં એમનું આગળ પડતું સ્થાન બન્યું અને એમણે યુદ્ધવિરોધી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને માર્ગદર્શન પણ આપ્યું. જયપ્રકાશ નારાયણના દરેક રાજનીતિક-સામાજિક પ્રયાસની સાથે નારાયણ દેસાઈ સંકળાયેલા રહ્યા.
નારાયણ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૧) વાંચતાં તરત જ લાગેલું કે આ લેખનમાં ગાંધીમુદ્રા અને ગાંધીચેતના પદે-પદે હાજર છે. આ ગ્રંથના લેખકને જોયા વિના, મળ્યા વિના નહિ રહેવાય, એવો પણ ભાવ ઊંડે-ઊંડે જાગેલો. અસલ જીવનની સહજ ગતિ, વિચારનું આચારમાં પ્રગટવું તથા ભાષાની સાદગી છતાં તેની બળકટતાનો સાર્થ અનુભવ થવો – આ ત્રણે વાનાંનો વિરલ સંયોગ; જે ગાંધીજીની ‘આત્મકથા’માં અનુભવાયો હતો તે અહીં અનુભવાય છે. પછી તો નારાયણ દેસાઈને હાથે લખાયેલી, એમના પિતાશ્રી મહાદેવ દેસાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવા સાથે જ એક જુદી ભાવસૃષ્ટિમાં એક નોખી જ વિચારધારાવાળી જીવનશૈલીના અનુભવમાં મુકાવાનું બનેલું. નારાયણ દેસાઈને મળવા માટે છેક વેડછી આશ્રમ સુધી પણ બબ્બે વાર ગયો હતો. એક વાર એ આગલી સાંજે જ કશેક જવા નીકળી ગયેલા, ને બીજી વાર પ્રવાસથાક બાદ આરામમાં (તબિયતને લીધે પણ) હોવાથી મળી નહોતું શકાયું!