Opinion Magazine
Number of visits: 9694620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાંડીનું ગાંધીસ્મારક

મણિલાલ હ. પટેલ|Gandhiana|6 May 2015

જાણું છું કે જે વાત કરવા જઈ રહ્યો છું, તે ઘણે અંશે તો ‘અરણ્યરુદન’ છે. હાસ્તો ! કોઈ સાંભળે નહિ ને સાંભળે તો પણ એની સત્તામાં હોય તો ય – કશું કરે, કરાવે નહિ, તે વાત ગમે તેટલી સારી-ન્યારી તથા પ્યારી હોય તો પણ ‘અરણ્યરુદન’ જ ગણાય ! છતાં આપણે આવાં ‘અરણ્યરુદન’ કર્યા વિના નથી રહી શકતા ! વાત છે દાંડીના ગાંધી – સ્મારકની ! નવી એકદમ યુવાન પેઢીને તો ‘દાંડીયાત્રા’ વિશે પણ માંડીને કહેવું પડે એમ છે, ને વળી એ એક જુદી મોકાણ છે. જો કે નવી પેઢીના આવા ગુનાહિત / અસહ્ય એવા અજ્ઞાનની પાછળ પણ સમાજ અને સરકારની બેજવાબદારીઓ રહેલી છે. આ ગાંધી સ્મારકની વાત પણ રાજ્ય અને કેન્દ્રની સરકારોની અક્ષમ્ય ઉદાસીનતા અને નીંભર બેજવાબદારીનો જ સંકેત કરે છે. મારે એવું નથી કહેવું – જે હજારોએ લાખો વાર કહ્યું છે કે વિદેશોમાં વિજ્ઞાનીઓ, કલાકારો, ચિંતકો, શીલવાન રાજનેતાઓ તથા ઇતિહાસ સંબંધિત અનેક વાતો-વિગતો-વસ્તુઓ-કાર્યો, સિદ્ધિઓનાં સ્મારક રચીને જાળવવામાં આવે છે. અસ્મિતા, પરંપરા અને સાંસ્કૃિતક વિરાસત તો પ્રેરણા આપે છે તથા જીવનઘડતર કરે છે. કમનસીબે, આપણે સારી વાતોને છોડીને નહિ કરવા જેવાં અનુકરણો કરવામાં રાચીએ છીએ. હા, થોડાક લોકો એમાં ઉમદા અપવાદો હોય છે.

વર્ષો પહેલાં (બે અઢી દાયકા પહેલાં) દાંડી જોવા ગયો હતો, ત્યારે ત્યાં એક બે મજલા મકાન – સૈફ વિલાની સામે એક ઓટલો માત્ર નમકસત્યાગ્રહનું લખાણ સાચવતો પડ્યો હતો. ચારે બાજુ ખારાપાટમાં ગાંડા બાવળ તથા કાંટાળા ઝાંખરાંનું સામ્રાજ્ય હતું, જે આજે પણ વધીને વિસ્તરેલું છે. દરિયો રિસાઈને એક-બે માઈલ દૂર જતો રહ્યો છે. એનો ઘૂઘવાટ તથા પવનની ઝડીઓ સતત સંભળાયા કરે છે. બાકી તડકો અને સન્નાટો ગૂફતેગો કરે છે, બસ ! નમકનો કાયદો તોડવાની, મુઠ્ઠીભર મીઠું ચોરીને કાળા કાયદાનો સવિનયભંગ કરવા સાથે આઝાદી લીધા વિના હવે કદી સાબરમતી આશ્રમે પાછો નહીં જાઉં-ની ગાંધીજીની દર્દીલી હાકલની એ ઘટના વિશ્વભરમાં અપૂર્વ ઘટના બનીને ઇતિહાસ થઈ ગઈ છે. જેણે અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા અને દેશની પ્રજા આઝાદી માટે બધું જ લૂંટાવી દેવા – પ્રાણ આપવા તત્પર થઈ હોય અને એ બધું જ સાચ્ચે જ સિદ્ધ થઈને રહ્યું હોય – એ ઘટનાસ્થળ તો વિશ્વભરનાં પ્રવાસીઓ માટે અપાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હોય જ. એને બદલે આપણે દાંડીના ગાંધી સ્મારક બાબતે નીંભર નક્કામા અને પરસ્પર આક્ષેપો કરનારા તથા ખોટો જશ લેવાની લાલચમાં ગળાબૂડ રહેનારા લોકો બની રહ્યા છીએ ! ધિક્કાર છે આપણી પામરતાને … ને ધિક્કાર છે આપણી નમકહરામી વૃત્તિઓને !!

આજે ૨૦૧૫ના આ એપ્રિલમાં દાંડીયાત્રાને પૂરાં પંચ્યાસી (૮૫) વર્ષ થયાં છે. ૨૦૦૫માં દાંડીકૂચનાં પંચોતેર વર્ષ ઊજવવા અને જાતને આગળ કરવા નેતાઓનાં ધાડેધાડાં ઊતરી આવેલાં … સરકારો – પેલો રીપવાન વીંકલ વાર્તાનાયક વીસ વર્ષે જાગેલો એમ – અચાનક જાગી ગયેલી, સુશ્રી સોનિયાજી પણ આવ્યાં અને કરાડી (જ્યાં ગાંધી રોકાયેલા) ગામેથી ચાલતાં દાંડી ગયાં હતાં. આદરણીય મનમોહનસિંહજી પણ આવ્યા અને દશ કરોડ રૂપિયાનું પૅકેજ ગાંધી સ્મારક માટે જાહેર કર્યું. ગાંધી મેમોરિયલ – મ્યુિઝયમ – ગ્રંથાલય – થિયેટરરૂમ – સભાખંડ – આવાસ-નિવાસ તથા બધી સગવડોના નકશા રાજ્ય સરકારે તૈયાર કર્યા.

સરકારે – કેન્દ્રે – બસો તોંતેર એકર જમીન એક્વાયર કરી. એમાંથી પંદર એકર જમીન ગાંધી મેમોરિયલ માટે (રાજ્યને) ફાળવી, બાકીની ટૂરિઝમ વિભાગને ખાતે રાખવામાં આવી ! કેન્દ્રે એક હાઈપાવર કમિટી નીમી. ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને એના ચૅરમેનપદ માટે નિમંત્રણ આપીને તેડાવેલા. મિટિંગો મળવા લાગી. ‘દાંડી હેટીરેજ માર્ગ’ પણ કેન્દ્ર દ્વારા રચાવો શરૂ થયો. પ્લાન પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પાયા પુરવા વગેરે કામ શરૂ થયું … ને પછી મંજૂરીના તથા જમીન તબદીલ કરવાના પ્રશ્નો બધા ઉકેલનારાંઓએ જ સાથે મળીને એવા તો ગૂંચવ્યા કે કોઈને ખબર નથી પડતી કે કામ કેમ અને કોણે અટકાવ્યું છે ? ક્યારે કોણ આ ગૂંચ ઊકેલશે ? ખરેખર દશ વર્ષ વીતી ગયાં છે ને તો ય સ્થિતિ તો ઠેરની ઠેર છે.

દરમિયાન ગોપાલકૃષ્ણ ગાંધી અગમ્ય કારણોસર રાજીનામું આપીને મુક્ત થયા છે. તુષાર ગાંધી સમિતિમાં કદાચ છે ખરા. એક સારી વાત એ બની કે મુંબઈ આઈ.આઈ.ટી.ને ગાંધીજીની પૂર્ણકદની પંદર ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું કામ સોંપેલું. તે પ્રતિમા બે કરોડમાં તૈયાર થઈને આવી ગઈ છે. વિનય વિદ્યામંદિરના કૅમ્પસમાં, વાદળી તાડપટ્ટીમાં લપેટાયેલી, ગૂંગળાતી તે પ્રતિમાનું અનાવરણ થવાનાં કોઈ ચિહ્નો અહીં દાંડીમાં તો દેખાતાં નથી. યુ.કે., ઑસ્ટ્રેલિયા કે જર્મનીની જેમ આ ગાંધીપ્રતિમા કોઈ બીજા દેશમાં મોકલીએ, તો કદાચ એ પ્રતિમાને લોકો જોઈ-સમજી પ્રેરણા લઈ શકે – કદાચ ! આપણે ત્યાં તો ગાંધીનું નામ ‘લડવા’ને વાસ્તે બધા લે છે તે ય ટીવી/ ન્યૂઝ ચેનલોમાં ખપ પૂરતું !

યુ.પી.એ.ના પૂર્વ પર્યાવરણ-મંત્રી જયરામ રમેશે દાંડીના પર્યાવરણની જાળવણી સંદર્ભે પાંચ કરોડ રૂપિયા ગુજરાત સરકારને ફાળવેલા અને ગૂજરાત વિદ્યાપીઠને આ કામ સોંપવા જણાવેલું. સ્મારકથી આ વાત અલગ છે, પણ પર્યાવરણ-જાળવણીનું કામ વિદ્યાપીઠની દેખરેખમાં સારી રીતે ચાલે છે, એવી અછડતી માહિતી મળી છે … બધે ચોખ્ખાઈ જોતાં એ વાતમાં તથ્ય લાગ્યું છે, દાંડી તથા કરાડી ગામની – કાંઠાની જમીનો તો ખારી છે. ખાસ કાંઈ પાકતું નથી. પણ અહીંના લોકો પરદેશથી કમાણી કરી લાવ્યા છે. બે જ દાયકામાં આ ગામોની સિકલ ફરી ગઈ છે. કાચાં ઘરો – ઝૂંપડાં હતાં ત્યાં બંગલાઓ બની ગયા છે. પાકી સડકો તથા બધી જ સગવડો છે. સુંદર સ્કૂલો છે. પ્રજાએ તો દાંડીની સિકલ બદલી દીધી પણ સરકારો સાવ જ કાચી પુરવાર થઈ છે. સ્મારકને નામે બધાએ ભાષણો કરેલાં એટલું જ.

સ્મારકની જગ્યાએ તવારીખ દર્શાવતો પીલર ઊંચો તથા આકર્ષક ચણતરવાળો છે. બાજુમાં અગરના ઢગમાંથી મુઠ્ઠી મીઠું ઉપાડતા ગાંધીજીની કમાનાકારની પૂર્ણ કદની અને ભાવદર્શક પ્રતિમા છે. એની સામે ઊભાં રહીને વંદન કરવાનું અને ઇતિહાસને યાદ કરવાનું આપોઆપ બને છે. ઘડીક વાર તો આંખ ભીની થઈ આવે છે. સામે ‘સૈફ વિલા’ નામે બે મજલાની ઇમારત છે. થોડું રિનોવેશન ભળાય છે. દાંડીકૂચના ચોવીસમા દિવસે સાંજે (૫-૪-૧૯૯૩) દાંડી આવી પહોંચેલા ગાંધી આ ‘સૈફ વિલા’માં પછી નવ દિવસ રોકાયા હતા. વ્હોરા સમાજના ૫૧મા ગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબનું આ ઘર. ૧૯૬૧માં વડાપ્રધાન નેહરુજી આવ્યા ત્યારે દાંડીના આ સ્થળને ‘નેશનલ મૉન્યુમેન્ટ’ જાહેર કરેલું. સૈફસાહેબે એમનું આ ઘર એ માટે સમર્પિત કરેલું. આજે ઘર તો ઠીક છે પણ વિરલ ફોટાઓ ધૂળ ખાતા, બારીઓમાં જેમતેમ ગોઠવેલા છે. આ ફોટાઓને લેમિનેશન તથા ફ્રેમિંગની જરૂર છે. પણ દાંડીની પંચાયત તથા નવસારીની જિલ્લા કચેરીઓ કહે છે કે આ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. આર્કિયોલૉજીવાળા કહે છે કે અમને આનો ચાર્જ વિધિવત્ સોંપાયો નથી !

રાષ્ટ્રને માટે જીવન સમર્પિત કરનાર, વિશ્વ જેમને આજે ય ઝંખે છે – જે આજે ખૂબ પ્રસ્તુત છે / જેમની દુનિયાને જરૂર છે, જેમનો જીવનવિચાર હજી ય મંત્ર જેવો છે એવા રાષ્ટ્રપિતાના દાંડી સ્મારકનું કોઈ ધણીધોરી નથી, એવું જાણીને તથા રૂબરૂ જોઈને આઘાત લાગે છે. ગાંધીજનો અને ગાંધીવાદીઓ ક્યાંક તો હશેને ?! પેલી ઉક્તિ સાચી છે કે સત્તાને / સરકારને આંખ છે, પણ એ જોવા માટે નથી; એને કાન છે, પણ એ કાન મતલબ-બહેરા છે. એ તો પોતાની ખુરશી જુવે છે ને ખુશામત સાંભળે છે. પહેલાં તંત્રો કૈંક સંવેદનશીલ હતાં પણ ત્યારે ય દાંડી ‘સ્મારક તો ‘રસ્તે રઝળતી વારતા’ જ બની રહેલું. હવે આજે તો નકરી સંવેદનહીનતા જ છે, ત્યારે શું થશે ?!

આ સ્મારકને વાળવા / સાચવવા સારુ પણ કોઈ જ માણસ-વ્યવસ્થા કે ફંડ નથી. પંચાયતની પરબ ચાલે છે – તે ય ગામફાળામાંથી. ૨૦૧૩માં નિવૃત્ત થયેલા એક સેવાભાવી કર્મચારી નામે રમણભાઈ ચીમનભાઈ સોલંકી સ્વેચ્છાએ અને વતનપ્રેમથી આ સ્મારકની સફાઈ કરે છે ને પ્રવાસીઓ માટે ‘સૈફ વિલા’ ખોલી દેવાની વ્યવસ્થા સંભાળે છે. બાજુમાં જ એનું સ્વચ્છ ઘર છે. આ રમણભાઈ જેટલી ય લાગણી ગાંધી માટે કોઈ પણ નેતાને નથી જ નથી ! રમણભાઈને તો જવાબદારી નિભાવવા સાથે રાષ્ટ્ર માટે મરી ફીટનાર તરફનો પ્રેમાદર વ્યક્ત કરવો છે. વિદેશોમાં ગાંધીપ્રતિમાનાં અનાવરણ કરીને થૂંક ઉરાડનારાઓ વિશે એમને રસ નથી. રમણભાઈ તો રાજી છે કે ગાંધીબાપુ અહીં મારા ઘર પાસે રહેલા ! હજી દાંડીના ગામલોકોમાં પણ (ને આ વિસ્તારમાં બધે) ગાંધીભાવના જીવંત છે.

વળતાં અમે કરાડી ગામે ગયા, જ્યાં દાંડીથી વળતાં ગાંધીજી પૂરા બાવીસ દિવસ રોકાયા હતા. અમે એ ગાંધી-ઝૂંપડીમાં પણ બેઠા – જ્યાં બેસીને ગાંધીએ વાઇસરૉયને પત્ર લખેલો અને ધારાસણા સત્યાગ્રહની જાણ તથા યોજના કરેલી. દાંડીમાં ઘુમ્મટવાળા દરવાજા સાથે વિશાળ વડ નીચે પ્રાર્થના કરતા ગાંધીની પ્રતિમા છે. કરાડીનો આ ગાંધીઘાટ કૅમ્પસ પણ એવો જ શાંત છે – વિશાળ જગ્યામાં વૃક્ષઘટાઓ વચ્ચે પેલી ઝૂંપડી હજી ઊભી છે … અહીંથી જ તા. ૪-૫-૧૯૩૦ના રોજ બ્રિટિશ સરકાર ગાંધીની ધરપકડ કરી અને યરવડા જેલમાં લઈ ગયેલી. મગનભાઈ કરાડિયા (યુ.કે.થી દર વર્ષે અહીં આવે છે.) આ ‘જગ્યા’ની સાચવણી માટે બધાં સાથે મળીને કામ કરે છે.

ગુજરાતના તથા દેશના યુવાનોમાં બીજી તમામ વાતે જરૂરી તથા બિનજરૂરી થનગનાટ છે. એમનામાં એ ભાવના પણ જગવી શકાય કે એમાંથી થોડાક તો દર વર્ષે કે ક્યારેક તો ગાંધીની એ દાંડીકૂચને માર્ગે ચાલવા નીકળી પડે. ગાંધી જ્યાં-જ્યાં ચાલ્યા રોકાયા ત્યાં-ત્યાં એ રચનાત્મક કાર્યક્રમો કરતા ચાલે ને આનંદ લૂંટે ! ૨૪૧ માઈલ એટલે કે ૩૮૮ કિલોમીટરની આ – ગાંધીઆશ્રમ અમદાવાદથી દાંડીગામ સુધીની – દાંડીયાત્રાએ દર વર્ષે જુદી-જુદી યુવાન ટોળકીઓ સરકાર પણ પસંદગી કરીને – ખર્ચ આપીને – મોકલી શકે … ને એ દ્વારા પણ કામ તો મૂળગામી જરૂર બને … ! અનેક સંસ્થાઓ આવાં કામ કરી શકે એમ છે … મૂળે વાત ઇચ્છાશક્તિ અને દેશદાઝની છે. જ્યાં ડગલે ને પગલે માત્ર મત મેળવવાની કે સત્તાની ગણતરીથી જ બધાં આયોજનો થતાં હોય ત્યાં અસ્મિતા અને ઇતિહાસના ગૌરવને કોણ પૂછે છે ? સાંસ્કૃિતક અને સંસ્કારના સંદર્ભો ભૂલીને સૌ જાણે-અજાણે ખોખલાપણાની દિશામાં ધકેલાઈ રહ્યા છે. ભોગવાદ અને ભૌતિકતાવાદની ભૂરકીમાં લોકો ‘ભ્રમને સત્ય માનવા’ લાગ્યા છે … ને વાતો ચાલે છે ઊર્ધ્વીકરણની … સમૃદ્ધિ અને વિકાસની ! દરેક જમાને ગાંધી આવીને બચાવશે એ તો શક્ય નથી પણ આપણી સામે ઊગરવા માટેનો ગાંધીવિચાર તો જરૂર હાજર છે. આ વિકલ્પ આપણી વાટ જુએ છે.

તા. ૧૫/૧૬-૪-૨૦૧૫, ગણદેવી-ચાંગા

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 11-12

Loading

આ ભજવીશું ?

હિમાંશી શેલત|Opinion - Opinion|6 May 2015

(ઉચ્ચાસને મહાજન, નીચ્ચાસને સમુદાય, શંખનાદ સાથે પડદો ખૂલે. તાળીઓના ગડગડાટ અને જયકાર, પણ કોના નામનો તે જાણી ન શકાય.)

મહાજન ઃ છોકરાં રે !

સમુદાય ઃ ઓ રે !

મહાજન ઃ હું બોલાઉં તેમ જ બોલશોને ?

              હું વંચાઉં એ જ વાંચશોને ?

             હું દેખાડું તે જ જોશોને ?

સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !

એક અત્યંત ક્ષીણ અવાજ : ના રે, નાજી, નાજી, ના રે !

મહાજન ઃ એ કોણ ‘ના’ બોલ્યું ? આગળ આવો જોઉં !

(કોઈ આગળ નથી આવતું. અંદર-અંદર ગણગણાટ)

મહાજન ઃ મેં ‘ના’ સાંભળી છે. અવાજ ભલે ધીમો હતો પણ અમે કાનના તેજ, બદ્ધું સાંભળીએ. ચલો, ઝટપટ આગળ આવો. નહીં તો પુનરાવર્તન વખતે પકડાઈ જશો. છોકરાં રે ! બોલો બોલો, છોકરાં રે !

સમુદાય ઃ ઓ રે !

મહાજન ઃ હું બોલાઉં તેમ બોલશો કે ?

સમુદાય ઃ હાં રે ! હાજી, હાજી, હાં રે !

(આ વખતે ત્રણ-ચાર ક્ષીણ અવાજ એકસાથે) ના રે ! ના રે !

(મહાજન ચીલઝડપે ‘ના’ કહેનારને પકડે.) ઃ તું ? ને તારી સાથે બીજા કોણ-કોણ હતાં ? ક્યાં છે એ વિનિપાત આવાહકો ? ક્યાં છે એ ભ્રષ્ટ અને વિધ્વંસક પરિબળો ? તમામને શિક્ષા થાય તે કરતાં જે નાફરમાની આદરે છે તે જાતે કબૂલે અપરાધ.

(સહુ આમતેમ આંગળી ચીંધે પણ કોઈ ચોક્કસ દિશાને અભાવે મહાજન મૂંઝવણમાં)

મહાજન ઃ (મુક્કી પછાડી, ઘાંટો પાડી) બંધ કરાવી દઈશ તમારા ખેલ, સમજો છો શું તમે ? ફટવી મૂક્યા છે તમને, આજથી બધું બંધ. ને તમે, પેલા લેખક મહાશયને કહું છું, તમે કોની પરવાનગી લઈને મંદિર સાથે સંકળાયેલી પ્રથાને જાહેરમાં ઉછાળી ? ને ઓ પેલાં બહેન, તમે પાછળ જાવ. તમારે ક્યાંયે નથી જવાનું. વિદેશ જઈને દેશ માટે ભચડી આવો છો જે ફાવે તે !

એક મંદ અવાજ : પણ હે મહાનલ ! આપણે તો મૌલિક વિચારોના સ્ફુિલ્લંગો ! વૈચારિક ક્રાંતિનાં બીજ, નિરામય વિરોધ તો સમાજના આરોગ્ય માટે અનિવાર્ય, એવું નહીં ? તે વિના આપણી સમૃદ્ધિ શી રીતે સચવાશે ?

મહાજન ઃ તમે તમારું માથું સાચવો. સંસ્કૃિતની રક્ષા માટે તત્પર એવાં સૈન્યો વાઢી નાખશે તો શું કરશો ? પેલા લેખક હૉસ્પિટલમાં છે, તે બીજા એક તો હવે કલમ પકડવાના નથી ક્યારે ય, એટલે જે બોલો તે જરા વિચારીને બોલજો ! સંસ્કૃિત તમારી ચિંતાનો વિષય નથી. ગંદીગોબરી ફિલ્મો જોવી છે અને વાત કરવા નીકળ્યા છો સંસ્કૃિતની ! દેશની આબરૂના ધજાગરા કરવા છે ?

એક સ્પષ્ટ અવાજ : પણ સર, ગોબરી તો પેલી ઘટના હતી, ફિલ્મ તો પછી બની, મૂળ ઘટના અંગે …

મહાજન ઃ ચૂપ ! એકદમ ચૂપ ! છે ને કોરટકચેરી ? મળશે ન્યાય બધાંને, તમે તમારું સંભાળો, ને કહીએ એમ કરો, સહુ સારાં વાનાં થશે. ચાલો, પોતપોતાની જગ્યાએ જતાં રહો. મૌનથી સંસ્કૃિતની રક્ષા જેટલી થાય, એટલી બીજી કોઈ રીતે નથી થતી, એ સુવર્ણ અક્ષરે લખેલું સૂત્ર વીસ વાર લખી લાવો, ચાલો, બેસી જાવ સહુ.

સમુદાયમાં પાંચ-છ જણ : નો સર, અમે આ નથી માનવાનાં. આવી અનુદાર અને સહિષ્ણુવૃિત્તને અમારું સમર્થન નથી, અમે જીવને જોખમે પણ …

મહાજન ઃ ભલે, સૂત્રધાર, આ સજ્જનો-સન્નારીઓને પેલાં ટોળાંઓની તસવીરો દેખાડો …

સૂત્રધાર ઃ કયાં ટોળાં, મહાનુભાવ ? લેખકને તાણી ગયા તે, કે ચૅનલ પર બૉમ્બ ફેંક્યો તે, કે પછી પેલાં …

(પડદો)

સૌજન્ય : ‘તિર્યકી’, “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 20

Loading

લ કોર્બુઝિયર : કોંક્રિટની કવિતાઓ સર્જનારો ‘નાઝી’

વિશાલ શાહ|Opinion - Opinion|6 May 2015

કોઈ પણ સર્જકના સર્જનની મૂલવણી તેના અંગત જીવન અને વિચારોની દૃષ્ટિએ કરી શકાય? હાલ યુરોપમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે. યુરોપ અને ખાસ કરીને ફ્રાંસના કેટલાક જૂથો ૨૦મી સદીના મહાન આર્કિટેક્ટ લ કોર્બુઝિયર(લા કોર્બુઝિયર કે લ કોર્બુઝિયે ઉચ્ચાર પણ કરાય છે)નું બધું જ સર્જન નકામું હોવાથી તેને ફગાવી દેવાનું કહી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, પાઠયપુસ્તકોમાંથી લ કોર્બુઝિયરની મહાનતાની વાતોનો છેદ ઉડાવી દેવો જોઈએ તેમ જ જાહેર સ્થળોએ અપાયેલું તેનું નામ પણ રદ્દબાતલ કરવું જોઈએ. આ પાછળનું કારણ છે, લ કોર્બુઝિયરના અંગત જીવન પર પ્રકાશિત થયેલાં બે પુસ્તકો. પહેલું પુસ્તક છે ઝેવિયર દ જર્સી નામના પત્રકાર-લેખકનું 'લ કોર્બુઝિયર, અ ફ્રેંચ ફાસિઝમ' અને બીજું પુસ્તક છે ફ્રેન્કોઇઝ ચેઝલિનનું 'અ કોર્બુઝિયર'.

આ બંને લેખકોએ તેમનાં પુસ્તકોમાં લ કોર્બુઝિયર હિટલરની નીતિઓના સમર્થક અને યહૂદીઓના વિરોધી હતા એવી વાત કરી છે. લ કોર્બુઝિયરનો નાઝીવાદ તરફનો ઝોક નવી વાત નથી પણ આ બંને પુસ્તકોમાં પુરાવા સાથે કહેવાયું છે કે, વિશ્વ જાણે છે એના કરતાં તેઓ ઘણાં વધારે કટ્ટરવાદી હતા. આ લેખકોના મતે, લ કોર્બુઝિયર વર્ષ ૧૯૨૦માં પેરિસમાં કાર્યરત હિટલર સમર્થક જૂથોમાં પ્રવેશ્યા હતા. તેઓ ફ્રાંસની રિવોલ્યુશનરી ફાસિસ્ટ પાર્ટીના વડા ડો. પિયર વિન્ટરની પણ ખૂબ જ નજીક હતા. લ કોર્બુઝિયર અને વિન્ટરે વર્ષ ૧૯૪૦માં અર્બન પ્લાનિંગ વિષય પર આધારિત 'પ્લાન' અને 'પ્રિલ્યુડ' નામની બે જર્નલ પ્રકાશિત કરીને તેમાં નાઝીઓને પ્રોત્સાહન આપતા તંત્રી લેખો લખ્યા હતા. વર્ષ ૧૯૪૦માં લ કોર્બુઝિયરે તેમની માતાને લખેલા એક પત્રમાં હિટલરને યુરોપનો પુનરોદ્ધાર કરનારો 'મહાન નેતા' ગણાવ્યો હતો.

લ કોર્બુઝિયર

આ તમામ મુદ્દા સ્વીકારીએ તો પણ લ કોર્બુઝિયરનાં વિચારો, લખાણો, આર્કિટેકચરલ સ્ટાઈલ અને ટાઉન પ્લાનિંગ થિયરીનો વિશ્વભરમાં પડેલો પ્રભાવ નજરઅંદાજ કરી શકાય એમ નથી. યુરોપ અને અમેરિકાના ઔદ્યોગિકીકરણ વખતે આ એક જ વ્યક્તિએ વિશ્વને આર્કિટેકચરની મદદથી પણ માનવ જીવનની સુખાકારી વધારી શકાય છે એ દિશામાં વિચારવા મજબૂર કરી દીધું હતું. આપણા માટે ગૌરવની વાત છે કે, લ કોર્બુઝિયરે પચાસ વર્ષ લાંબી ઝળહળતી કારકિર્દીમાં યુરોપ, અમેરિકા તો ઠીક ભારતના અમદાવાદ સહિતના શહેરોમાં 'કોંક્રિટની કવિતા'ઓનું સર્જન કર્યું હતું.

ભારતના ભાગલા બન્યા નિમિત્ત

લ કોર્બુઝિયરે ભારતમાં જુદા જુદા પ્રકારના ૧૩ સ્થાપત્યોનું સર્જન કર્યું છે, જેમાં અમદાવાદના બે જાહેર મકાનો અને બે અંગત રહેઠાણોનો પણ સમાવેશ થાય છે. લ કોર્બુઝિયરની રસપ્રદ ભારત-યાત્રામાં ભારતના ભાગલા નિમિત્ત બન્યા હતા.

લ કોર્બુઝિયરનો જન્મ છઠ્ઠી ઓક્ટોબર, ૧૮૮૭માં સ્વિત્ઝર્લેન્ડના ન્યૂ કેસલ નામના ફેડરલ સ્ટેટમાં થયો હતો, પરંતુ વર્ષ ૧૯૩૦માં તેમણે ફ્રેન્ચ નાગરિકત્વ અપનાવી લીધું હતું. તેઓ ફ્રેન્ચ નાગરિક બન્યા એ પહેલાં જ વર્ષ ૧૯૨૨માં પિતરાઈ ભાઈ પિયર જિનરેટ સાથે ભાગીદારીમાં આર્કિટેકચર સ્ટુડિયો શરૂ કરીને નામ અને દામ કમાવવા લાગ્યા હતા. વર્ષ ૧૯૨૮માં ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મોડર્ન આર્કિટેકચર નામની સંસ્થા સ્થાપીને તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા અને આર્કિટેકચરની મદદથી લોકોનું જીવનધોરણ ઊંચુ કેવી રીતે લાવી શકાય એ મુદ્દે ક્રાંતિકારી વિચારો રજૂ કરીને વિશ્વભરમાં જાણીતા થઈ ગયા હતા. પચાસના દાયકામાં જાહેર અને વ્યવસાયિક જીવનમાં લ કોર્બુઝિયરનો સૂરજ સોળે કળાએ તપતો હતો.

આ દરમિયાન વર્ષ ૧૯૪૭માં ભારતના ભાગલા થતા પશ્ચિમ પંજાબ સહિત તેની રાજધાની લાહોર પાકિસ્તાનને ફાળે ગઈ અને ભારતસ્થિત પંજાબ રાજધાની વિનાનું થઈ ગયું. પંજાબની રાજધાની માટે તત્કાલીન વડાપ્રધાન જવાહલાલ નહેરુ 'રાષ્ટ્રની શ્રદ્ધા અને પ્રતીક'નું પ્રતિનિધિત્વ કરે એવું શહેર ઊભું કરવાનું સપનું જોતા હતા. નવું શહેર ઊભું કરવામાં નહેરુ કોઈ કચાશ રાખવા નહોતા માગતા. આ માટે દિલ્હીની ઉત્તરે ૨૪૦ કિલોમીટર દૂર બાંધકામ માટે વિવિધ વિસ્તારો પસંદ કર્યા પછી વર્ષ ૧૯૫૦માં નવું શહેર ડિઝાઈન કરવાનું કામ ભારત સરકાર દ્વારા લ કોર્બુઝિયરની ફર્મને સોંપાયું હતું. ચંદીગઢનો માસ્ટર પ્લાન લ કોર્બુઝિયરે તૈયાર કર્યો હતો. એ પછી ચંદીગઢની વિધાનસભા, રાજ્યપાલ નિવાસ, મ્યુિઝયમ એન્ડ આર્ટ ગેલેરી, આર્કિટેકચર કોલેજ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ઓપન હેન્ડ મોન્યુમેન્ટ તેમ જ સુખના તળાવની ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરની દેખરેખમાં થયું હતું, જેમાં તેમને પિયર જિનરેટ (પિતરાઈ) સહિત મેક્સવેલ ફ્રાય અને જેન ડ્રૂ નામના આર્કિટેક્ટે આસિસ્ટ કર્યા હતા. પિયર જિનરેટે વર્ષ ૧૯૬૫ સુધી પંજાબ સરકારના ચિફ આર્કિટેક્ટ એન્ડ ટાઉન પ્લાનિંગ એડવાઈઝર તરીકે સેવા આપીને ચંદીગઢના વિકાસમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ચંદીગઢ વિધાનસભા

ચંદીગઢ હાઈકોર્ટ

ચંદીગઢના ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વર્ષ ૧૯૫૧માં અમદાવાદના પહેલા મેયર ચિમનભાઈ ચીનુભાઈએ લ કોર્બુઝિયરને 'મ્યુિઝયમ ઓફ નોલેજ'નું પ્લાનિંગ કરવા આમંત્ર્યા હતા. આ મ્યુિઝયમ એટલે પાલડીમાં આવેલું સંસ્કાર કેન્દ્ર. એ જ વર્ષે મિલ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સુરોત્તમ હઠીસિંગે પણ લ કોર્બુઝિયરને એસોસિયેશનનું વડું મથક બાંધવાની જવાબદારી સોંપી હતી. આ વડું મથક એટલે અમદાવાદના આશ્રમરોડ પર આવેલું આત્મા હાઉસ. આત્મા હાઉસના બાંધકામ વખતે સુરોત્તમ હઠીસિંગે પોતાનું ઘર ડિઝાઈન કરવાનું કામ પણ લ કોર્બુઝિયરને સોંપ્યું હતું. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીક આવેલું આ ઘર અત્યારે શોધન વિલા તરીકે જાણીતું છે. એ જ વર્ષે અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્રી મનોરમા સારાભાઈએ પણ તેમના ઘરનો પ્લાન તૈયાર કરવાની જવાબદારી લ કોર્બુઝિયરને સોંપી હતી. સારાભાઈ વિલા તરીકે જાણીતું આ ઘર શાહીબાગમાં આવેલું છે. લ કોર્બુઝિયરે વિશ્વમાં ગણ્યાંગાંઠયા પર્સનલ બંગલો ડિઝાઈન કર્યા છે, જેમાંથી બે અમદાવાદમાં છે. લ કોર્બુઝિયરે અમદાવાદના આ ચારે ય પ્રોજેક્ટ પર કામ કરતી વખતે શહેરની સંસ્કૃિત, સ્થાપત્યો અને વાતાવરણથી વાકેફ થવા ઠેર ઠેર રઝળપાટ કરી હતી.

અમદાવાદમાં રખડપટ્ટી કરતી વખતે તેઓ એકવાર માણેક ચોક પણ ગયા હતા. અહીં નાનકડા ખોખા જેવી સોનીની દુકાનો જોઈને તેમને ખૂબ નવાઈ લાગી હતી. આવી એક દુકાનનું કદ માપવા તેઓ આડા સૂઈ ગયા હતા, જ્યાં તેઓ સરખી રીતે પગ પણ લંબાવી શક્યા ન હતા. સરખેજ રોઝાનું સ્થાપત્ય જોઈને લ કોર્બુઝિયર આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. સ્વિત્ઝર્લેન્ડની દસ ફ્રાંકની ચલણી નોટ પર જે વ્યક્તિની તસવીર છે એને અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના નેતાએ અમદાવાદમાં સરકારી યોજના અંતર્ગત કામ સોંપ્યું એ તત્કાલીન નેતાઓની કોઠાસૂઝ દર્શાવે છે. લ કોર્બુઝિયરે ચંદીગઢ અને અમદાવાદમાં કરેલા તમામ બાંધકામોમાં સ્થાનિક વાતાવરણ અને હવામાનનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેઓ બાંધકામની બાહ્ય સુંદરતાની સાથે તેની ઉપયોગિતા પર પણ એટલો જ ભાર મૂકતા હતા. લ કોર્બુઝિયરે અમદાવાદમાં ડિઝાઈન કરેલા ચારે ય મકાનોમાં સૂર્યપ્રકાશ, હવા, જમીન અને ચોમાસાંની ઋતુને ખાસ ધ્યાનમાં રાખ્યું હતું. તેમણે મૂકેલી એક એક ઈંટ પાછળ કોઈ કારણ રહેતું, જેના પર આજે ય સંશોધનો થઈ રહ્યા છે.

અત્યંત કુશળ ટાઉન પ્લાનર

વીસમી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ચરમસીમાએ હતી. ઔદ્યોગિક ક્રાંતિને પગલે પેરિસ જેવા શહેરોમાં રહેઠાણોની અછત સર્જાઈ હતી અને ઝૂંપડપટ્ટીઓનો પ્રશ્ન ગંભીર બની ગયો હતો. લ કોર્બુઝિયરનું કહેવું હતું કે, આર્કિટેકચરની મદદથી નીચલા મધ્યમ વર્ગનું જીવન-ધોરણ ઊંચુ લાવી શકાય છે. આ મુશ્કેલીના ઉપાયરૂપે તેમણે વર્ષ ૧૯૨૨થી જ કેટલાક હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં એક ઊંચી બિલ્ડિંગની અંદર દરેક પરિવારને સ્વતંત્ર એપાર્ટમેન્ટમાં મોકળાશ ધરાવતો લિવિંગ રૂમ, બેડ રૂમ, કિચન અને ગાર્ડન ટેરેસ મળે એવી ડિઝાઈન તૈયાર કરી હતી. ૧૯૨૦ના દાયકામાં લ કોર્બુઝિયરે વિવિધ શહેરોનો ઊંડો અભ્યાસ કરીને ૩૦ લાખ ઘરવિહોણાં લોકો માટે 'કન્ટેમ્પરરી સિટી' યોજના રજૂ કરી હતી, જેમાં તેમણે ૬૦ માળના બિલ્ડિંગોની આસપાસ તમામ સુવિધા ધરાવતું નાનકડું સિટી ઊભું કરવાની વાત કરી હતી. આજથી નવેક દાયકા પહેલાં લ કોર્બુઝિયરે માનવ જરૂરિયાતના તમામ સુવિધાની સાથે મહાકાય બિલ્ડિંગોની છત પર એરપોર્ટની કલ્પના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે લ કોર્બુઝિયરે પેરિસની આસપાસ નાના પાયે કોમર્શિયલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા, જેમાં ફ્રાંસના માર્સેઇ શહેરમાં 'યુનાઇટ દ હેબિટેશન' પ્રોજેક્ટ સૌથી વધુ જાણીતો છે. ૧૨ માળના આ બિલ્ડિંગમાં લ કોર્બુઝિયરે કુલ ૩૩૭ એપાર્ટમેન્ટ ડિઝાઈન કર્યા છે, જેમાં તમામ સાધન-સુવિધાની સાથે સુંદર ટેરેસ પર સ્વિમિંગ પુલ અને ઓપન એર થિયેટર પણ છે.

યુનાઈડ દ હેબિટેશન’ના એક એપાર્ટમેન્ટમાં આર્ટિસ્ટ સ્ટુડિયો, સ્વિમિંગ પુલ અને પાછળ કલાત્મક ચિમની.

જો કે, ટાઉન પ્લાનિંગની દૃષ્ટિએ લ કોર્બુઝિયરનું કામ ખૂબ નાના પાયે થઈ રહ્યું હતું, પરંતુ આ થિયરીનો સંપૂર્ણ અમલ કરવાની તક તેમને ચંદીગઢમાં મળી હતી. ચંદીગઢને તેમણે જુદા જુદા સેક્ટરમાં વિભાજિત કરીને ડિઝાઈન કર્યું હોવાથી શહેરીકરણની મોટા ભાગના મુશ્કેલીઓ આજે ય તેને સ્પર્શી શકી નથી. ગુજરાતની રાજધાની ગાંધીનગરનું ડિઝાઈનિંગ પ્રકાશ આપ્ટે અને એચ.કે. મેવાડાએ આ જ થીમ પર કર્યું છે. આ બંને આર્કિટેક્ટે ચંદીગઢના પ્લાનિંગ વખતે લ કોર્બુઝિયરની ટીમમાં એપ્રેન્ટિસ તરીકે સેવા આપી હતી. ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશનનું મહત્ત્વ ખૂબ વધી જશે એ વાત દાયકાઓ પહેલાં લ કોર્બુઝિયર સમજી ગયા હતા. આ કારણોસર તેમની દરેક યોજનામાં ટ્રાન્સપોર્ટેશનને ખાસ મહત્ત્વ અપાતું. મહાકાય બિલ્ડિંગો ડિઝાઈન કરવા બદલ કોર્બુઝિયરની ટીકા પણ થઈ હતી કારણ કે, આ પ્રકારના મકાનો રાહદારીઓ માટે અત્યંત કંટાળાજનક હોય છે. જો કે, એ જમાનામાં લ કોર્બુઝિયરનો હેતુ શહેરીકરણને લીધે સર્જાતા ઘરવિહોણાં લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો હતો. તેઓ ૨૭મી ઓગસ્ટ, ૧૯૬૫માં ૭૭ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણની મુશ્કેલીઓને આર્કિટેકચરની મદદથી હળવી કરવાની થિયરી રજૂ કરતા રહ્યા હતા.

એવું કહેવાય છે કે, મૂડીવાદના કારણે ઊભી થયેલા પ્રશ્નો વિશે વિચારીને જ લ કોર્બુઝિયર અતિ-જમણેરી જૂથો તરફ ઢળ્યા હતા. સામાન્ય વ્યક્તિનો વિચાર કરીને ઈનોવેટિવ થિયરી આપનારા આ આર્કિટેક્ટ હિટલરની તરફદારી કરતા હતા એ તેમના વ્યક્તિત્વનું વિરોધાભાસી પાસું છે. આમ છતાં, વીસમી સદીના મહાન આર્કિટેક્ટ તરીકે લ કોર્બુઝિયરને ભૂંસવા અશક્ય છે. 

સૌજન્ય : 'શતદલ' પૂર્તિ, "ગુજરાત સમાચાર", 06 અૅપ્રિલ 2015 તેમ જ ‘ફ્રેન્કલી સ્પીકિંગ’, 06/05/2015 

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vishal-shah

http://vishnubharatiya.blogspot.in/2015/05/blog-post.html

Loading

...102030...3,8223,8233,8243,825...3,8303,8403,850...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved