Opinion Magazine
Number of visits: 9555486
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય શબ્દોની વૈશ્વિક સ્વીકાર્યતા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|2 February 2015

શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના દસમા અધ્યાય, વિભૂતિ યોગમાં, શ્રીકૃષ્ણે પોતે વૃક્ષોમાં પીપળો, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રોમાં વજ્ર, નદીઓમાં ગંગા, શબ્દોમાં ઓમકાર હોવાની વાત કરીને શ્રેષ્ઠતા ત્યાં પ્રભુતાનો સિદ્ધાંત સમજાવ્યો હતો. આ તર્જ પર કહેવું હોય તો કહી શકાય કે શ્રીકૃષ્ણ ડિક્શનરીઓમાં ઓક્સફર્ડ બનવાનું પસંદ કરે! ઓક્સફર્ડની અંગ્રેજી ડિક્શનરી વિશ્વશ્રેષ્ઠ મનાય છે, કારણ કે તે લગભગ તમામ શબ્દોને આવરી લેતી અને ભૂલરહિત છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં શબ્દોની સાચી જોડણી, શબ્દનો અર્થ, તેનું ઉચ્ચારણ તેમ જ શબ્દનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જાણવા મળે છે. ઓક્સફર્ડ ડિક્શનરીને યાદ કરવાના આજે બે નિમિત્ત છે. એક તો ઇ.સ. ૧૮૮૪ની આજની તારીખે એટલે કે ૧ ફેબ્રુઆરીના રોજ ઓક્સફર્ડ ડિક્શનરીનો પહેલો ખંડ પ્રસિદ્ધ થયો હતો. બીજું નિમિત્ત એ છે કે ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ દ્વારા જ પ્રકાશિત કરવામાં આવતી ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી(ઓએએલડી)ની નવમી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ તાજેતરમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે.

એકવીસમી સદીમાં દુનિયા એક નાનકડા ગામડા જેવી બની ગઈ છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી અવ્વલ છે અને અંગ્રેજી વિશ્વભાષાનો દરજ્જો અને દબદબો ભોગવે છે, એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. અંગ્રેજી વેપારી ભાષા તરીકે પણ વગોવાતી હોવા છતાં તે કરોડો લોકોની વહાલી ભાષા છે. અંગ્રેજીની સ્વીકાર્યતા આટલી વ્યાપક હોવાના ઐતિહાસિક કારણોની ચર્ચા તો ઘણી લાંબી થાય, પણ એક બાબત નોંધવી જ રહી કે ભાષા તરીકે અંગ્રેજીએ અનેક પ્રદેશો-દેશોની ભાષાના શબ્દોને આવકાર્યા અને સ્વીકાર્યા હોવાને કારણે જ તે આ હદે સ્વીકાર્ય બની છે. અંગ્રેજી ભાષાની જેમ અંગ્રેજીનો શબ્દકોશ એવી ઓક્સફર્ડ ડિક્શનરી પણ નવા નવા શબ્દોને સ્વીકારે છે અને પોતાનામાં સમાવતી રહી છે. એમાં ય ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરી, જે ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે, જેમના માટે અંગ્રેજી બીજા ક્રમની ભાષા છે, એટલે કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી નથી એવા લોકો માટે આ ડિક્શનરી પ્રકાશિત થાય છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીનું પહેલી વાર ૧૯૪૮માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ ડિક્શનરીનું આજ સુધીમાં ત્રણ કરોડ ૮૦ લાખ કોપીનું વેચાણ થયું છે તો ૧૩ લાખ લોકોએ તેની એપ ડાઉનલોડ કરી છે. ઓક્સફર્ડ યુનિર્વિસટી પ્રેસ મુદ્રિત સ્વરૂપ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ડી.વી.ડી. ફોરમેટમાં પણ પ્રસિદ્ધ કરે છે. લર્નર્સ ડિક્શનરીનું આ વખતે પહેલી વાર ઓનલાઇન વર્જન પણ લોન્ચ થયું છે.

ઓક્સફર્ડ એડવાન્સ્ડ લર્નર્સ ડિક્શનરીની જે લેટેસ્ટ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે, તેમાં ૯૦૦ જેટલા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આપણા માટે આનંદની બાબત એ છે કે ૯૦૦ શબ્દોમાંથી ૨૪૦થી વધારે શબ્દો તો ભારતીય ભાષાઓના અને ભારતીય અંગ્રેજીના સમાવાયા છે. ભારતીય લોકો દુનિયાભરમાં પ્રસર્યા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી વિદેશોમાં જે રીતે ભારતીય મૂળના લોકો પ્રભાવશાળી બનતા ગયા છે, તેને કારણે ભારતીય ભાષા અને સંસ્કૃિતનો પ્રભાવ પણ વિસ્તર્યો છે. ઓક્સફર્ડની લેટેસ્ટ આવૃત્તિમાં ખાસ કરીને ભારતીય ભોજનના શબ્દોને સ્થાન મળ્યું છે. ભારતીય વ્યંજનો ગ્લોબલ થઈ રહ્યા છે ત્યારે ભારતીય ભાષાના 'પાપડ', 'ખીમા' અને 'કરી લીફ' (કઢીમાં નાખવાની પાંદડી) જેવા શબ્દોને સમાવવામાં આવ્યા છે. ભારતમાં બોલાતી અંગ્રેજી ભાષામાં અનેક નવા અંગ્રેજી શબ્દો સર્જાયા છે તો સાથે સાથે અંગ્રેજી શબ્દોને ભારતમાં નવો-વિશિષ્ટ અર્થ પણ પ્રાપ્ત થયો છે. આવા શબ્દોમાં 'જુગાડ', 'કિટ્ટી પાર્ટી', 'વિદેશી', 'મિક્સી' (ખાદ્ય પદાર્થો માટેનું મિક્ચર), 'ટાઇમપાસ'નો સમાવેશ થયો છે. ઓ.એ.એલ.ડી.ની આઠમી આવૃત્તિમાં રોટી, થાળી, પાન, બિરયાની, ભાજી, સમોસાં, સારી, દુપટ્ટા, સલવાર, કમિઝ, ચુડીદાર, બોલિવૂડ, ભાંગડા, રાગ, મોન્સુન, મેદાન, ઓટો રિક્સા વગેરે આશરે ૨૦૦ જેટલા શબ્દો સમાવાયા હતા.

ઓક્સફર્ડ ડિક્શનરી સતત અપડેટ થતી રહે છે. ડિક્શનરી તરોતાજા રાખવા માટે તેના નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં ફરે છે અને અંગ્રેજીમાં પ્રચલનમાં આવ્યા હોય એવા નવા નવા શબ્દો શોધે છે અને આ નવા શબ્દો અંગે ચર્ચા-વિચારણા કરીને કયા કયા શબ્દોને નવી આવૃત્તિમાં સમાવવા એનો નિર્ણય લેવામાં આવે છે. હવે તો સોશિયલ મીડિયામાં વપરાતા નવા શબ્દોને પણ આ ડિક્શનરીમાં સમયાંતરે સમાવવામાં આવે છે. નવી આવૃત્તિમાં ૨૦ ટકા શબ્દો સોશિયલ મીડિયામાંથી લેવાયા છે!

ઓક્સફર્ડ જેવી વિશ્વમાન્ય ડિક્શનરીમાં ભારતીય શબ્દો ઉમેરાય તેનો ગર્વ લેવાની સાથે સાથે આપણે ભારતીય ભાષાઓના શબ્દકોશ અંગે પણ ચિંતા અને ચર્ચા કરવી રહી. ગુજરાતીમાં નર્મદે તૈયાર કરેલો નર્મ કોશ, ગાંધીજીની પ્રેરણાથી તૈયાર થયેલો સાર્થ જોડણીકોશ, કે.કા. શાસ્ત્રીએ તૈયાર કરેલો શબ્દકોશ છે તો રતિલાલ ચંદરયાના અથાક પ્રયાસોથી ગુજરાતી લેક્સિકોન નામે ઓનલાઇન કોશ પણ ઉપબ્ધ થયો છે. જો કે, ગુજરાતી ભાષાના આ જુદા જુદા કોશ અંગે મોટા ભાગના કોસિયા (કોમન મેન) અજાણ છે, એ કમનસીબી ક્યારે દૂર થશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ’, 01 ફેબ્રુઆરી 2015

http://sandesh.com/article.aspx?newsid=3037512

Loading

એન.આર.આઈ. ભારતીયોને બોબી જિન્દાલનો ડાબા હાથનો તમાચો

જેકબ ડેવિસ|Opinion - Opinion|1 February 2015

ભારત-ભારત કરીને કૂદાકૂદ કરતા એન.આર.આઈ.ઓને એવા જ એક એન.આર.આઈ. બોબી જિન્દાલે પાંચ આંગળાંની છાપ ગાલ ઉપર ઊપસી આવે એવો જોરદાર તમાચો ઠોક્યો છે.

અમેરિકાના લુસિયાના રાજ્યના ગવર્નર અને ભવિષ્યમાં અમેરિકાના પ્રેસિડન્ટ બનવાની ભરીભરી શક્યતા ધરાવનાર બોબી જિન્દાલે ભારતીય ઓળખ બાબત અણગમો વ્યક્ત કરી જણાવ્યું કે ‘મારાં માતાપિતા ૪૦ વર્ષ પહેલાં ‘ભારતીય અમેરિકન’ બનવા નહિ, પણ ‘અમેરિકન’ બનવા ભારત છોડીને આવ્યાં હતાં. અમેરિકા દેશ નહિ, સ્વપ્ન છે.’

અહીં એક નુક્તેચીની કરી લઉં કે કોઈએ એક-બે વર્ષ પહેલાં એક સરસ કૉમેન્ટ કરી હતી કે ‘જો અમેરિકા દરવાજા ખોલી નાખે, તો ભારતના અડધા કરતાં વધારે ભારતીય રીતસર અમેરિકા તરફ દોટ મૂકે !’ અમેરિકાને એમની મરજી વિરુદ્ધ ફરજિયાત દરવાજા બંધ કરવા પડે એવી પરિસ્થિતિ પેદા થાય. અર્થાત્‌ ‘અમેરિકા સ્વપ્ન’ છે, એ હકીકત સ્વીકારીને ચાલવામાં વાંધો નથી.

જિન્દાલે એ પણ કહ્યું કે ‘જે લોકો પોતાની જૂની સંસ્કૃિતને વળગી રહેવા માગે છે કે નવી સંસ્કૃિત ઊભી કરવા માગે છે કે અન્ય સંસ્કૃિત સાથે ભળી જવા માગે છે, તે અંગે જે ભેદભાવ છે, તે સ્વાયત્ત રાષ્ટ્ર માટે વાજબી છે !’ એટલે પોતે સ્વીકારેલા દેશમાં તમામ ભેદભાવ વાજબી રીતે સ્વીકારવા તે સંમત છે. જ્યારે આપણે એક રાષ્ટ્ર, એક સંસ્કૃિત, એક ભાષા, એક ધર્મ, અને એક વોટ નોટ-કરીને લડવામાંથી ઊંચા આવતા નથી. બોબી જિન્દાલ ગર્વનર બને કે એક નાના ગામડાગામમાં મેયર બને તો પણ અહીં પતાસાં વહેંચાય છે. પણ અહીંની નાગરિક બનેલી બાઈ વડાંપ્રધાન ના બની બેસે એ માટે ચોટલો જ નહિ, ડોકાં કાપવા પણ તૈયાર છીએ ! જેના પિતા ભારતીય હતા, એ સિવાય કશું ભારતીય નથી, ન ભાષા, ન માતા, ન પતિ, ન કુટુંબ, છતાં વિલિયમ્સ ઘર-ઘરનું લાડકું નામ બની ગયું ! આપણને પરાયાં આપણાં લાગે છે ને આપણા પરાયાં !

આ એન.આર.આઈ. (મને ખબર નથી કે પરદેશના નાગરિક થઈ ગયા છે, તેઓ પણ એન.આર.આઈ. ગણાય કે નહિ!) પરદેશમાં લઘુમતી તરીકે મળતા ભરપૂર લાભ મેળવે છે. માનવ-અધિકાર આગળ ધરી સમાન હક્કો મેળવે છે. તે પોતાના પિતૃઓના દેશને આ બાબતથી વંચિત રાખવા માગે છે ! હું હમણાં જ પરદેશમાં ગયો હતો. ત્યાં પુષ્ટિમાર્ગના એક મંદિરનું ઉદ્દઘાટન હતું. અને અમને પણ આમંત્રણ હતું. એક યજમાન મિત્ર કહે : ‘અહીંની સરકાર આપણી લઘુમતી માટે ખૂબ સારી છે. અમને આ મંદિરના ઉદ્દઘાટન (પ્રાણપ્રતિષ્ઠા) માટે ૪૦,૦૦૦/- ડૉલર આપ્યા છે. એટલે અમારો જમણવાર સહિત તમામ ખર્ચ એમાંથી નીકળી જાશે.’ મેં કહ્યું : ‘તમારે જલસા છે !’

એ જ એન.આર.આઈ. ભારતમાં એકચક્રી રાજ્ય સ્થાપવા ગતિમાન છે ! જે લાભ પોતાને મળે છે, એ લાભ પોતાના પિતૃદેશમાં લઘુમતીઓ લઈ ન જાય તે માટે ખૂબ સતર્ક છે ! પરદેશના નાગરિક થઈ ગયેલા લોકોના ઘેરઘેર એક જ વાત થતી. ‘ભારતમાં આપણી સરકાર ક્યારે લાવીએ. અને આપણી સંસ્કૃિત ક્યારે બચાવીએ.’ કહેવાનું મન તો થયું કે ‘ભલા માણસ દેશ છોડી દીધા પછી તમારાં છોકરાંને બચાવો તો ય ઘણું છે !’

એક-બે જગ્યાએ મેં જીભાજોડી પણ કરી. પછી હકીકત સ્વીકારી લીધી. એક જગ્યા પર જમવા ગયા. યજમાન યુવાનને તો આવા રાજકારણમાં રસ નહોતો. પણ તે ઘરના વડીલે મને પૂછ્યું : ‘આ વખતની ચૂંટણીમાં આપણી સરકાર નક્કી જ છે. તમને શું લાગે છે ?’ જીભાજોડી કરી મારે જમવાનો મૂડ બગાડવો નહોતો, છતાં મેં તેમને કહ્યું : ‘જો ચાલે તો આજે જ તમારા નેતાની તાજપોશી કરી આવો.’

મને કહે ‘હા, આ લઘુમતીને પાઠ શીખવે એવી સરકારની જરૂર છે.’ જો કે વાતનો ત્યાં અંત આવ્યો અને સુખેથી જમવાનું પત્યું. પરદેશમાં પોતાને જે લાભ મળે છે, તે પોતાના દેશમાં બીજાને ન મળે તે જોવા આકાશપાતાળ એક કરતી આ લાગણી કયા કારણે બળવતર બને છે, મારા માટે તેની મૂંઝવણ હજી જેમની તેમ છે !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 04-06

Loading

રજનીભાઈને અંતિમ : આવજો

અચ્યુત યાજ્ઞિક|Profile|1 February 2015

રજનીભાઈને અંતિમ ‘આવજો’ 

રજનીભાઈ કોઠારીની અંતિમ વિદાય સાથે ભારતના અને વિશ્વના રાજપથ તથા જનપથના મર્મજ્ઞ અને મીમાંસકે વિદાય લીધી. વિદ્યાપુરુષ લેખે વિચારવિશ્વમાં વિહરવાની સાથોસાથે સર્વજન હિતાયની ભાવના સદાય તેઓના હૈયે વસી હતી તથા ભારતની લોકશાહીના કેન્દ્રમાં અદના માણસને સ્થાપવા તેઓ જીવનભર કટિબદ્ધ રહ્યા હતા.

પાલનપુરના જૈન ઝવેરી પરિવારનું એકનું એક સંતાન. પરિવારની ઇચ્છા તો પરંપરા પ્રમાણે વેપાર ધંધામાં જોડાય તેવી જ રહી, પરંતુ રજનીભાઈને નાનપણથી વાંચવા-લખવાની લગની. પરિણામે ઉચ્ચ અભ્યાસ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પૂર્ણ કર્યા પછી તેઓ સન ૧૯૫૭માં વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા અને ત્યારથી શરૂ કરી આજીવન શિક્ષણ સાથે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે જોડાયેલા રહ્યા. વડોદરામાં તેઓએ રાવજીભાઈ ‘મોટા’ દ્વારા પ્રવર્તિત ‘રેનેસાં ક્લબ’ના વિચાર-મંથનને વેગીલું બનાવવામાં ફાળો આપ્યો અને ત્યારે જે નવી પેઢી આ મંથનમાં સામેલ હતી તેની સાથે તેઓનો જીવનભરનો નાતો રહ્યો. આ નાતાને પરિણામે ગુજરાતને સમર્થ સમાજવિજ્ઞાનીઓ સાંપડ્યા એ વિસરી શકાય તેમ નથી.

રજનીભાઈના જીવનમાં નવો અધ્યાય પણ વડોદરામાં હતા ત્યારે શરૂ થયો. આ નવો અધ્યાય એટલે વાસ્તવિક રાજકારણ સાથે સંપર્ક, જે ગહન સંશોધનની દિશા તરફ દોરી ગયો. આ સંપર્ક એટલે સન ૧૯૬૧ના આરંભે ભાવનગરમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કૉંગ્રેસના નેતાઓ તથા કાર્યકરો સાથેની અંતરંગ લાંબી વાતચીત. આ પછી રાજકારણના વિવિધ પરિમાણોનું સંશોધન પાંગરતું ગયું અને દશકા પછી ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ લેખે પુસ્તકકારે પ્રગટ થઈ રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સીમાસ્થંભ બની રહ્યું. પછી આ પુસ્તક માત્ર ભારતના જ નહીં ત્રીજી દુનિયાના રાજકીય પ્રવાહો અંગે તેમ જ વિશ્વશાંતિ તથા સહકારની ભાવના વિકસે તે દિશામાં સંખ્યાબંધ પુસ્તકોનું આલેખન વણથંભ્યું રહ્યું.

પોતાના સંસ્મરણોનું આલેખન કરતાં ‘મેમોયર્સ’ નામના પુસ્તકમાં તેઓએ તેમના જીવનના ત્રણ ઉત્કટ અનુરાગને વર્ણવ્યાં છે – પ્રથમ સ્થાને વિચારવિશ્વ તથા વિચારધારા, બીજા સ્થાને સંસ્થાનિર્માણ તથા ત્રીજા સ્થાને રાજકારણ. આ સંસ્થાનિર્માણનો યશસ્વી આરંભ એટલે ‘સેન્ટર ફોર ધી સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’. સન ૧૯૬૩માં તેઓ દ્વારા સ્થાપિત આ સંસ્થા ઉત્તરોત્તર વિકસતી ગઈ અને સમાજવિદ્યા ક્ષેત્રે સૈદ્ધાંતિક તેમ જ સર્વેક્ષણાત્મક અભ્યાસો દ્વારા નવી દિશાઓ ખોલતી ગઈ. ચૂંટણીઓનો અભ્યાસની પહેલ ઠેઠ સાતમા દાયકાથી શરૂ થયેલી જે સતત ચાલતી રહી. નિયમોની જંજાળ પહેલેથી ઓછી રાખી એટલે સેન્ટરમાં ‘બૌદ્ધિક અડ્ડા’નું વાતાવરણ ધબકતું રહ્યું અને મક્ત વિચારણાનું બીજું નામ આ સંસ્થા બની રહી.

જેમ રજનીભાઈએ પોતે જણાવ્યું છે તેમ રાજકારણ સાથેનો તેમનો અમીટ સંબંધ પહેલેથી જોડાયેલો રહ્યો. આઠમા દાયકાના આરંભથી ઇન્દિરા ગાંધીના સલાહકાર તરીકેની ઓળખ ઉપસી જે કટોકટી લાદવામાં આવી ત્યારે દૂર થઈ. તેઓ કટોકટીના મુખર ટીકાકાર બનીને દેશ છોડી અમેરિકામાં રહી નાગરિક અધિકારોના પ્રવક્તા બન્યા. લોકોના મૂળભૂત અધિકારોનું જતન તેમના હૈયે વસ્યું હતું અને એટલે જ ‘પી.યુ.સી.એલ.’ના પ્રમુખ બની નવમા દાયકાના મધ્યમાં તેઓએ નાગરિક અધિકારોનો અવાજ ગુંજતો રાખ્યો.

રાજકારણ સાથેનો અતૂટ સંબંધને કારણે જ્યારે વી.પી. સિંહ વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓએ સક્રિય રહીને ‘આયોજન પંચ’ના સભ્ય લેખે પ્રદાન કર્યું. વિશેષમાં વી.પી. સિંહની સરકાર દ્વારા અન્ય પછાત વર્ગો માટે અનામતનો આરંભ થયો તેની પછીતે પણ તેઓની સબળ ભૂમિકા હતી જે બહુ જાણીતી વાત નથી.

લોકશાહીની સુરક્ષા અને સંવર્ધન કેવળ રાજકારણથી નથી થઈ શકતું તેમ જ સમાજવિદ્યા ધરાતલના સંપર્ક અને સંસર્ગ વિના અધૂરી રહે છે તેવી પ્રતીતિ તેમને પહેલેથી હતી એટલે નવમા દાયકાના આરંભે તેઓએ ‘લોકાયન’ની યાત્રા શરૂ કરી. મૂળે આ લોકાયન એટલે કે લોકયાત્રા સી.એસ.ડી.એસ. સંસ્થાનો પ્રકલ્પ હતો. આ પ્રકલ્પમાં બુદ્ધિશીલો સાથે કર્મશીલોનો સંવાદ સાધવાનો સંકલ્પ હતો જે અનેક રીતે સિદ્ધ થયો. પ્રકલ્પ પૂરો થયા પછી પણ લોકાયન સ્વતંત્ર રીતે સક્રિય રહ્યું તથા દેશમાં પદ્દલિતોના પ્રશ્નોને વાચા આપતું રહ્યું.

નવમા દાયકાના મધ્યથી રામજન્મભૂમિ નામે કોમી પરિબળોને હરણફાળ ભરવા માંડી ત્યારે રજનીભાઈએ સાંપ્રદાયિકતા સામે અવાજ બુલંદ કરવા માંડ્યો હતો. તેઓ માનતા હતા કે ભારતીય જનતા સાંપ્રદાયિક્તાને જાકારો આપશે પરંતુ આજે જ્યારે આ પરિબળ રાજપથ ઉપર કૂચકદમ માંડી રહ્યાં છે ત્યારે જનપથ ઉપર કદમ માંડતા સૌની સામે નવો પડકાર ખડો થયો છે. આશા રાખીએ કે રજનીભાઈએ સામાજિક વિદ્યા અને કર્મને સાંકળીને જે માર્ગ પ્રશસ્ત કર્યો તે માર્ગે નવા પડકારોનો સામનો બળવત્તર બનતો રહેશે.

e.mail : setumail@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 10

Loading

...102030...3,8173,8183,8193,820...3,8303,8403,850...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved