Opinion Magazine
Number of visits: 9553074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચેત મછંદર, પાંચ સાલ કેજરીવાલ!

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|14 February 2015

રાજ્યારોહણ — દિલ્હીના ઈતિહાસ પ્રસિદ્ધ રામલીલા મેદાનમાં દેશની લોકશાહી આજે વેલેન્ટાઈન ઘટનાનો અનુભવ કરશે …

કેમ જાણે હૈયે હૈયું દળાતું હોય એવા જનવિરાટની સાખે દિલ્હીના રામલીલા મેદાનમાં આજે અરવિંદ કેજરીવાલ અને આપ મંત્રીમંડળ શપથ લેશે ત્યારે ભારત વર્ષની લોકશાહી વિકલ્પખોજ નિજને એનો ભેરુબંધ ને બડકમદાર – કહો કે વેલેન્ટાઈન – મળી રહ્યાનો આનંદ અનુભવશે.

અલબત્ત, આ આનંદ જે અનુકાર્ય માગી લેશે એનો તો કોઈ છેડો જ નથી હોવાનો; કેમ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ સાંભળ્યો નથી. ભારતવર્ષે તખ્તપલટાઓ તો પૂર્વે પણ જોયા છે, અને હજુ પણ જોશે. 1977માં જનતા રાજ્યારોહણ પર્વ ભલે ટૂંકજીવી પણ એક સ્વાતિ ક્ષણ શી અનુભૂતિ લઈને આવ્યું હતું. વિપળવાર વાસ્તે પણ કેમ ન હોય શબ્દોને એમનો અસલ અર્થ પાછો મળતો અનુભવાય એવી સાક્ષાત્કારક ક્ષણો એ હતી. બીજાં પણ નાનાંમોટાં ઉદાહરણો જરી તાણીતૂસીને આપી શકાય. ગમે તેમ પણ, 1977ના અખિલ હિંદ જનાદેશ સામે આ તો માત્ર એક રાજ્યની જ ઘટના છે. તો, એનો આટલો અતિશે મહિમા કેમ, કોઈ પણ પૂછી શકે. ભાઈ, લાંબી તવારીખમાં જઈએ અગર ન જઈએ પણ એટલું ચોક્કસ સમજી લઈએ કે હમણેના દાયકાઓમાં આપણે ત્યાં જે પરિવર્તનો આવ્યાં – એમાં કાંક ને કાંક સારું પણ હશે સ્તો – એ બધાં ઘણુંખરું તો સ્થાપિત પક્ષો વચ્ચે માંહોમાંહે ઘરગથ્થાં રમવા જેવાં હતાં. લાલ, પીળોને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીનાં બધાં મેળવણીથી થાય એવો ઘાટ એ હતો. પક્ષ ‘અ’ વિ. પક્ષ ‘બ’ અગર તો ‘અઆઈ’ સામે ‘કકાકી’ એવા સૌ રાબેતાશાઈ જમાવડા એ હતા. મોટે ભાગે સત્તામાંથી ઊગી સત્તામાં આથમતી એ રાજનીતિ હતી.

હમણેનો, આ એક દિલ્હી વિધાનસભાનો જંગ એવો લડાયો કે એમાં સઘળાં અક્ષૌહિણી તામઝામ અને સરંજામ સાથે સત્તાનાં બળો એક પા અને જનતાનાં બળો બીજી પા એવું એક ચિત્ર ઊપસી રહ્યું હતું. કદાચ, છેલ્લા પાંચકામાં દિલ્હીએ જંતરમંતરથી માંડીને રામલીલા મેદાન અગર ઇન્ડિયા ગેટ જેવા વિસ્તારોમાં લોકનું ઘર બહાર આવવું, કહો કે રણમોઝાર આવવું, પૂર્વે નહીં એટલી તાદાદ અને એટલી ઉલટથી જોયું એનો જ આ એક નવમુકામ હતો. અણ્ણા હજારેના ભ્રષ્ટાચારવિરોધી અભિયાનમાં અને નેતૃત્વમાં નિર્ભયા-દામિનીના પ્રશ્ને દિલ્હીનું લોક દળકટકની પેઠે રસ્તે ઊતર્યું હતું. કોઈ ચાલુ પક્ષના હાથની નહીં કે કોઈ ચાંપચલાઉ સંગઠનના વશની નહીં એવી આ સ્વયંસ્ફૂર્ત ચહલપહલ હતી. આ ઉદ્યુક્તિ, સિવાય કે તે રાજકીય અભિવ્યક્તિમાં પરિણમે, અસરકારક છતાં ઉભરો માત્ર બની રહે એવું પણ બની શક્યું હોત. પણ અણ્ણાના આંદોલનમાં એક એવું વ્યક્તિત્વ અગ્ર ભાગી હતું જેને આ ઉદ્યુક્તિનું એક રાજકીય નવરૂપ ખપતું હતંુ. આ આંદોલનમાં બે સ્કૂલો હોવાનું તરત જ સમજાવા લાગ્યું હતું. એક સ્કૂલ કિરણ બેદી પ્રકારનાં વ્યક્તિત્વની હતી જે ચાલુ પક્ષગોઠવણ મારફતે કામ લેવાની ગતમાં હતી. આ અભિગમ એમને, પછી, ભા.જ.પ. સુધી દોરી ગયો અને દેશજનતાએ અક્ષરશ: નેત્રદીપક એવું એક દૃશ્ય જોયું : જામીનધન્ય પક્ષપ્રમુખ અને તેજસ્વી પુલીસ અફસર બેઉ હવે જોડાજોડ હતાં! ‘સ્વચ્છ રાજનીતિ’ની મથામણને સારુ આ ફોટોફ્રેમ ખુદકુશીના દસ્તાવેજીકરણથી કમ નહોતી. કેજરીવાલે ગાંધી-જેપી પરંપરામાં સ્થાપિત પક્ષોથી સ્વતંત્ર નાગરિક શક્તિમાં સાર્થકતા શોધી અને આ શક્તિને સુવાંગ પોતીકું વાહન મળે એવી કોશિશ કીધી.

અણ્ણા જનતાની શક્તિને જાણતા હતા અને આપ સમાન બળ નહીં એ જુગજૂની કહેતી એમને હૈયાસરસી હતી. પણ આંદોલનના જીવને સારુ પ્રત્યક્ષ રાજકીય વિકલ્પનો ખયાલ સ્વાભાવિક જ છેટો હતો. બલકે, આ સમર્પિત એટલી જ સરળભોળી શખ્સિયતને વ્યક્તિગત અને પક્ષગત સત્તાસ્વાર્થ વાસ્તે હાઈજેક કરવાની કોશિશ પણ થતી રહી હતી. સદ્દભાગ્યે મે 2011ની ગુજરાતયાત્રામાં પ્રત્યક્ષ દર્શનને પરિણામે આ કોશિશ નાકામ રહી, અને આજે કિરણ બેદીના ભા.જ.પ. પ્રવેશ બાબતે અણ્ણાએ પોતાની નાપસંદગી ને નારાજગી પ્રગટ કરવામાં કોઈ સંકોચ રાખ્યો નથી. સ્વાસ્થ્યવશ, આ દિવસોમાં દિલ્હી પહોંચવું એમને માટે સરળ ન હોય તોપણ એમણે ‘પ્રામાણિક’, ‘બુદ્ધિમંત’ અને ‘સમર્પિત’, કેટલીક બાબતોમાં ‘બ્રાઈટર ધેન મી’ અરવિંદને આશીર્વાદ અવશ્ય આપ્યા છે તેમ જ મોદીએ સપનસોદાગરથી વેચેલા ‘અચ્છે દિન’ નાખી નજરે ક્યાં ય વરતાતા નથી એમ કહેવા સાથે આઠ આઠ મહિના પછી પણ ક્યાં છે જનલોકપાલ એવો જાહેર સવાલ સુધ્ધાં ઉઠાવવાપણું જોયું છે.

જનવિરાટની સાખે શપથબદ્ધ થઈ રહેલા અરવિંદે આંદોલન અને સંચાલનના રાજકારણ વચ્ચે સાર્થક સંબંધનો કોઠો વીંધવાનો છે તો સ્થાપિત પક્ષોથી ઉફરા એક જનવાદી પક્ષ તરીકે લાંબી લીટી પણ દોરવાની છે. દેખીતી રીતે જ, 1977 કરતાં આ એક લાંબી અને દૂસી લડાઈ હોવાની છે. ખાસ તો, વિકાસની આમજનતાલક્ષી વ્યાખ્યા તેમ જ સંપોષિત સહભાગી સંતુલિત વિકાસનીતિનો પંથ કાપવાનો છે. દિલ્હી ઘટના, પડકાર જોતાં કદાચ પાશેરામાં પહેલી પૂણીથી વધુ નથી. પણ મે 2011ના અણ્ણાના મોહભંગની જેમ ગુજરાત છેડેથી એક બીજો પણ કરવા જોગ ઉલ્લેખ તો છે. ફેબ્રુઆરી 1974માં જયપ્રકાશની ગુજરાતયાત્રાને પગલે બની આવેલ લોકસ્વરાજ આંદોલને આગળ ચાલતાં જનતા મોરચા વાટે જનતા પક્ષનો અને 1977ની લોકશાહી પુન: પ્રતિષ્ઠાનો પથપ્રશસ્ત કર્યો હતો.

હા ભાઈ, આ પણ એક ગુજરાત મોડેલ છે! થોભો, રાહ જુઓ … ઓવર ટુ અરવિંદ!

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14 ફેબ્રુઆરી 2015

Loading

અલ્વિદા દિલ્હી

ઉમાશંકર જોશી|Poetry|13 February 2015

[એપ્રિલ 1976]

અલ્વિદા ! દિલ્હીનાં ફૂલો અલ્વિદા !
શિયાળુ બપોરનો હૂંફાળો તડકો પીતાં
સારી દિલ્હીમાં અમે જ બસ અમે છીએ
ફૂલ્યાં ન માતાં,
વેશ ખુશ્બૂ, લુચ્ચી ચુપકીદી,
− ક્યાંક રંગોની છોળ, રંગોનો શોર;
ગુલાબ જ લોને :
રાતાં, સુનેરી-તડકાથી છલોછલ,
સિંદૂરિયા, મિશ્રરંગી, … કહું ?
મને ગમે છે ગુલાબી ગુલાબો.
સલામ સૌનેય તે હમેશાં થઈ ગઈ.

રસ્તાઓને ખેંચતાં, ચોમેર ફેકતાં મધ્યવર્તુળોમાં
ટોળે વળેલાં ઉત્-કંઠ ફૂલોને તરછોડી
દોડી જતાં શુંનું શું થયું ?
નજરથી તમને પસવાર્યા વિના, કહો જો,
કદી આગળ વધ્યો છું હું ?

દિલ્હીની વિલંબાતી વસન્તની
વિજય ફરફરતી પતાકા, ફૂલો, અલ્વિદા !

અલ્વિદા દિલ્હીનાં વૃક્ષો !
બારી પાસેના શુકવત્સલ બુલ્બુલી સિલ્વર ઓક, અલ્વિદા !
રસ્તાની અદબ રાખી બે બાજુ તોતિંગ હારબંધ ઊભાં વૃક્ષો;
રહેવાતું નહીં, ઉપર બાહુઓ લંબાવી ભેટતાં;
રસ્તાને ભીંસતાં,
રસ્તાના રસ્તાપણાને પીસતાં,
એક હર્યાભર્યા પાંદડાંના મંડપથી મંદિર રચી દેતાં
એકાન્ત શાંતિનું મહાનગરમાં.
કોઈ રોકાય નહીં, ટોકતાં નથી.
કોઈક જ ચાલનાર નીકળે, ઊભાં ઊભાં જુએ છે
રાહ શાની ? ગમે તેમ, પણ …
માનવી નાનો, એને ઊંચાં ઊંચાં વૃક્ષ જોઈએ
ટેકા માટે, નહીં તો એ ગબડી પડે.
દિલ્હી, તારાં વૃક્ષો વિના
દિલ્હીમાં માનવી – દેશને ખૂણેથી ખેંચાતાં માનવી
ગાંડાં થઈ ગયાં હોત.
મધ્યવર્તુળનાં છત્ર સમાં વૃક્ષો
રાજપથ-ફરતાં ઘટાઝૂમતાં વૃક્ષો
લાંબા લાંબા રાજમાર્ગો પર હરિયાળી હથેળી ફેલાવતાં વૃક્ષો
ઊંચાં ઊંચાં એકલવાયાં નિજ-મગ્ન
વૃક્ષો દિલ્હીનાં, અલ્વિદા !

અલ્વિદા સંસદ !
સંસદગૃહ, તારા કૉરિન્થિયન સ્તંભો સમક્ષ
ગમે તેવો માનવ, મહામાનવ, દેવ માનવ
તેય માંડ માનવ જેવડો લાગે.

સમયની ગુહા સમા ગુંબજની નીચે, પરંતુ,
એના સ્વરમાં ક્યારેક ક્યારેક
વૈખરીનાં અવિશ્રાન્ત વારિવલોણાં વચ્ચે
માનવતા-ભીંજ્યો
અમૃતરણકો જાગે.

અલ્વિદા કેન્દ્રીય ખંડ !
અજબ આ ભારતચૉરો …
દેકારા, હોકારા, પડકારા,
આ – તે વાતોના ગબારા,
ખુશખુશાલ અટ્ટહાસ્ય,
ઉપહાસ,
ક્યારેક ઉગ્ર સ્ફોટ …
એક એક આદમી અનેક સમસ્યાઓનું પોટકું.
નાનાં નાનાં ઝૂમખાં, આકાર પામતા ઉકેલ
કે ઊંડી ઊતરતી વાસી વ્યથાઓ ?
સાત પ્રવેશે, પાંચ જાય, ભરતીઓટ … ઓટભરતી …
ચરુ ઊકળ્યા કરે.
દીવાલો પર દિવંગત નેતાઓની માણસ-અદકેરી છબીઓ
છે – નથી સમી.
વીજળી પ્રકાશ ચોપડેલી ગાંધી બાપુની આંખો બધું જોયાં કરે.
મારા દેશનું ધન આ,
પ્રજાહિતનાં રખોપાં કરનારા,
ખૂણેખૂણાના જાણતલ.
માનવજાતિના સાતમા ભાગની ચિંતા
આ સૌને સોંપીને પ્રભુ જરીક આરામ કરે છે.
જોઈ રહું, મૌનપણે મોહું
ચૉરાની અડાબીડ ભીડ પર.
તું બોલ્યે જા, ચૉરા ! ચૉરો બોલે, સમય બોલે.

એકાએક સોપો પડ્યો.
કોઈક ગણગણ્યું : હવે જબાન-બંધ જાણજો.
ફલાણા ભાઈ કરે આપણા પક્ષની વાત જો,

ભૂંડાએ વગોવ્યાં મોટાં ખોરડાં.
કોઈ આંખ ચોળે,
કોઈ આંખ ચોરે, − સલામ અધવચ પડી જાય.
મોં કહો કે તોબરા, અંદર શબ્દ ચાવ્યાં કરે.
પોલાં હાસ્ય, બોદી ચાલ, …
વડાઓની આસપાસ ઘૂમતો આછો માનવ-બણબણાટ.
દીવાલ પરની છબીઓ માત્ર બોલે,
બોલે મહાત્માનું મૌન.

શબ્દ, તું મને અહીં લઈ આવ્યો,
લઈ ચાલ ત્યાં,
જ્યાં તું કર્મ સાથે સરસાઈ કરે,
જ્યાં અર્ધેક ઇશારે દુનિયા વરતી જાય સત્તાનો ફરેબ,
જે આપતો આશા ને લઈ લે ભાષા.

અલ્વિદા, શાહજહાનાબાદ, આમપ્રજાની દિલ્હી !
જામા મસજિદના ઊડવા કરતા નમણા મિનારા,
લાલ કિલ્લાના સ્વપ્નિલ કોટકાંગરા,
રાજઘાટ શાંતિવન વિજયઘાટની ઊની ઊની સ્મૃિતરાખ
− તે તો હૈયે સદાયે −
નિર્જીવ મૃત્યુદમામ અલ્વિદા !

અલ્વિદા, પુરાણા કિલ્લા ! એક અસ્ત પામેલી દિલ્હી.
કાંકરે કાંકરે, અધઊભી ભીંત-કરાડે, કરાળ બખોલે,
મૃત્યુનાં જડબાંની નિશાની ભીષણ.
મહાનગરની વચ્ચે વચ્ચે અનેક
બાવળની કાંટ્યમાં સાંજુકી વેળા
જાગી ઊઠતી શિયાળવાંની લાળી,
જાણે મહાનગરની કરોડરજ્જુમાં કાળધ્રુજારી.

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો −
ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની − શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે
એને વધુ વાંકી વાળતી

દુનિયાની રાજધાનીઓ
રૂડી રૂડી વાતોને નામે.
સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,
જીવી જઈશ,
દિલ્હીપણાને કરી તારી − અને મારી પણ −
દિલી અલ્વિદા ?

નવી દિલ્હી, 25-04-1976

[વંચાયું તા. 08-01-1977, અમદાવાદ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિસંમેલનમાં]

(‘ધારાવસ્ત્ર’)

Loading

વૅલેન્ટાઇન ડે પર साँझी विरासत

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|13 February 2015

‘कहते है कि प्यार अंधा होता है। यकिनन नहीं। ना कल था ना आज है।

प्यार नहीं, नफरत अंधी होती है।

अंधे तो वो है जो निर्दोष युवाओं को प्रेम की सजा देते है, पीडा देते है, अपमानित करते हैं, उनका बहिष्कार करते है, जिंदा जलाते है। 

नफरत से घिरे वो लोग प्यार में उन्नत हों इस उम्मीद के साथ, …।

આ ચોટદાર શબ્દોથી, લવજિહાદના ઝનૂની માહોલમાં, ‘લોકનાદ’ના આ વર્ષના તારીખિયાની શરૂઆત થાય   છે. કૅલેન્ડરનાં દર બે મહિનાનાં પાને પ્રેમ વિષય પર ભારતની ભાષાઓના ઐતિહાસિક કવિઓની પંક્તિઓ હિન્દી અને અંગ્રેજી અનુવાદ તેમ જ કર્તાઓના ટૂંકા પરિચય સાથે મૂકવામાં આવી છે. જેમ કે પહેલા બે મહિના માટે કબીર છે :

हमन हैं इश्क मस्ताना,
हमन को होशियारी क्या।
रहें आझाद या जग में,
हमन दुनियाँ से यारी क्या।।

અન્ય પાનાં પર છે પંજાબી કવિઓ બુલ્લે શાહ અને શાહ હુસેન, ગુજરાત-રાજસ્થાનનાં દાદુ દયાલ અને મીરાં, હિન્દી સહિત અનેક ભાષાઓમાં લખનાર રહીમ. આ પ્રકારનું અર્થપૂર્ણ અને સુરુચિસભર કૅલેન્ડર साँझी विरासत નામે ગયાં પંદર વર્ષથી બહાર પડે છે. તેમાં દર વર્ષે એક વિષય પસંદ કરવામાં આવે છે અને તેને લગતી કાવ્યપંક્તિઓ મૂકવામાં આવે છે. કવિઓ ભારતીય સંત કે સૂફી પરંપરાના હોય છે. અત્યાર સુધી શાંતિ,સાંસ્કૃિતક સમરસતા, જ્ઞાતિપ્રથા, માટી, પાણી અને હિંસા જેવા વિષયો પરનાં કૅલેન્ડર બન્યાં છે. આ વર્ષે જે કવિઓ છે તે ઉપરાંત પહેલાં અખો, તુકારામ, તુલસી, નરસિંહ, નાનક, બહિણાબાઈ જેવાં રચનાકારોનો સમાવેશ થઈ ચૂક્યો  છે.

‘સાંઝી વિરાસત’ ગુજરાતના અનોખા લોકધર્મી કલાકાર તેમ જ સંશોધક ચારુલ અને વિનયના અનેક કામમાંનું એક છે. આ દંપતી સામાજિક નિસબત ધરાવતાં હૃદયસ્પર્શી મૌલિક ગીતોનો ‘ઇન્સાન હૈં હમ’ કાર્યક્રમ માટે સમાજકાર્યના ક્ષેત્રે જાણીતું છે. ગયા બે દાયકા દરમિયાન દેશભરનાં શહેરો અને અંતરિયાળ ગામોમાં તેની પાચસો જેટલી રજૂઆતોથી થઈ છે. વિનયે ડફલીના અને ચારુલે ઘૂંઘરુના તાલે ગાયેલાં ગીતોની આર્તતા હજારો દેશવાસીઓને ભાવવિભોર બનાવતી રહી છે. કાર્યક્રમમાં ઉત્કટતાપૂર્વક રજૂ થતાં દસેક ગીતો અદના આદમીને સમજાય તેવી અને સોંસરી ભાષામાં લખાયેલાં છે અને સહજ યાદ રહી જાય તેવી સ્વરરચના પામેલાં છે. ‘મંદિર મસ્જિદ ગિરજાઘરને બાંટ દિયા ભગવાન કો ….’ ગીત તો દેશના ‘સેક્યુલર ઍન્થેમ’ એટલે કે ‘બિનસાંપ્રદાયિકતાના રાષ્ટ્રગીત’ તરીકે જાણીતું થયું છે. તે ગુજરાતમાં 1985માં થયેલાં કોમી રમખાણોને પગલે લખાયું છે.

ત્યાર પછીનાં વર્ષોમાં વેદનાનાં અને સપનાનાં સુંદર ઊર્મિકાવ્યો સમાં ગીતો રચાતાં ગયાં, ‘લોકનાદ’ના ઉપક્રમે ગવાતાં રહ્યાં. ‘ઇન દિનોં …’ ગીતમાં સર્વત્ર ફેલાયેલી હિંસાની વાત છે. તેમાં એક પંક્તિ છે : ‘ચુપ રહેના હી હિંસા કી શુરૂઆત હૈ, કાતિલોં મેં ગિને જાનેકી બાત હૈ’. પૃથ્વી અને જિંદગીની સુંદરતાની વાત કરતાં ‘ઇન્સાન હૈં હમ …’ ગીતનો સંદેશ છે : ‘હિંદુ યા મુસલમાન, સિખ હૈં, ઈસાઈ હૈં યા પારસી હૈં હમ / પ્યાર સે એતબાર સે આજ સે કહે ઇન્સાન હૈં હમ …’ . ‘રબ્બા યાર’ ગીતમાં સહુને જોડતા,આવરી લેતા માણસાઈભર્યા પ્રેમનું ગાન છે. ‘આઓ લકીરેં મિટા દેં …’ રચના માણસોને લડાવતી-જલાવતી, લોકો પાસે દીવાલો ચણાવતી સરહદો વિશે છે. ‘જાનને કા હક’ ગીત માહિતી અધિકારની ચળવળમાં બધે ગવાય છે. તેમાંની એક પંક્તિ છે : ‘મેરે વોટોં કો યે જાનને કા હક રે / ક્યું એક દિન બડે બડે વાદે, ફિર પાંચ સાલ કામ નહીં.’ રોજગાર અધિકાર ચળવળ માટે 2005માં ‘હાથોં કો કામ’ ગીત લખાયું છે. આ ઉપરાંત વિનય-ચારુલના રચનાગુચ્છમાં બાળપણ અને બાળમજૂરી, શસ્ત્રવ્યાપાર અને વિશ્વશાંતિ, માનવનાં પ્રગતિ અને ગૌરવની વાત પણ ઝીલાય છે. દરેક ગીત પછીની કૉમેન્ટરીમાં જે તે સમયગાળાના બનાવો તેમ જ તેમની વંચિતવર્ગો પર પડતી અસર જેવા મુદ્દાઓને સમાવી લેવામાં આવે છે.

વિનય-ચારુલે ગુજરાતના માલધારી અને અગરિયાઓ પર કરેલું તલસ્પર્શી સમાજશાસ્ત્રીય સંશોધન માતબર પ્રકાશનોમાં પ્રસિદ્ધ થયું છે. તેના માટે તેઓ આ ઉપેક્ષિત સમુદાયો સાથે મહિનાઓ રહ્યાં અને માઈલો રખડ્યાં છે.વિનય મહાજન પંજાબમાંથી કૃષિ વિષયમાં એન્જિનિયર થયા પછી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ(આઇ.આઇ.એમ.)માંથી અનુસ્નાતક થયા છે. તેમણે હાંસિયા બહારના લોકોના રોજીરોટીના સવાલો પર અભ્યાસ શરૂ કર્યો. સાથે તેમણે જુદી જુદી લોકચળવળો તેમ જ સંગઠનો માટે જળસિંચન, બાગાયત અને સજીવ ખેતીના પ્રોજેક્ટ કર્યા. તેમણે 1994માં લોકોના પ્રશ્નોને સમજવા માટે ગુજરાતના સાગરકિનારે 500 કિલોમિટરની સાઈકલ-યાત્રા કરી.

ચારુલ ભરવાડા મુંબઈમાં સ્થાપત્યશાસ્ત્રની પદવી મેળવ્યાં બાદ અમદાવાદના સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટ ઍન્ડ પ્લાનિન્ગ ટેકનોલૉજી(સેપ્ટ)માંથી અનુસ્નાતક થયાં. કડિયાકામ કરતી મહિલાઓને બાંધકામની વૈકલ્પિક પદ્ધતિઓની તાલીમ આપવાની શરૂઆત કરી. પછી તેમણે વંચિત સમૂહોનાં વિસ્થાપન, પાણી અને ઝૂંપડપટ્ટીઓનાં પુનર્વસનનો અભ્યાસ શરૂ કર્યો. ચારુલ અને વિનય કૉર્પોરેટ કે ઉદ્યોગ ક્ષેત્રે દર વર્ષે લાખો રૂપિયાનાં પૅકેજ મેળવી શક્યાં હોત. છેવાડાના લોકો અંગેના સંશોધનના અનુભવો આ કલાકારોને  ગીતરચનાઓ માટે સામગ્રી તેમ જ કાર્યક્રમને અનોખી સચ્ચાઈ આપે છે. દેશભરના શ્રમજીવીઓ, કાર્યકરો તેમ જ નિસબત ધરાવતા નાગરિકોએ આ ગીતોને હોંશભેર અપનાવ્યાં છે, હજારો કૅસેટ અને સી.ડી. લોકોએ વસાવી છે. તેમાં  વિનય-ચારુલને તેમનાં કામની મોટામાં મોટી કદર જણાય છે.

પચાસે પહોંચેલા વિનય અને છેંતાળીસ વર્ષનાં ચારુલનાં કાર્યક્રમો ચાલુ છે. સાથે શ્રમજીવીઓ, ખોવાયેલાં સંતાનો, બંધારણના આમુખના સાર જેવા વિષયોને લગતાં ગીતોનાં એક નવા આલ્બમની તૈયારી છે. તેનું લોકાર્પણ પંદરમી માર્ચે દાંડીયાત્રાની જયંતીએ ‘લોકનાદ’એ ભારતના સંવિધાન વિશે યોજેલી ત્રણ દિવસની યુવાશિબિરના છેલ્લા દિવસે થશે.

[08 ફેબ્રુઆરી 2015]

+++++

સૌજન્ય : કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 ફેબ્રુઆરી 2015

Loading

...102030...3,8073,8083,8093,810...3,8203,8303,840...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved