Opinion Magazine
Number of visits: 9552674
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી, જનવિરાટ સમક્ષ મુખોમુખ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|28 February 2015

આ અંક પ્રેસમાં જવામાં છે એના પૂર્વકલાકોમાં, રાષ્ટ્રપતિના અભિભાષણની પરની ચર્ચામાં વડાપ્રધાનની અસરકારક રજૂઆત સાંભળ્યા પછી, હું બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે જોઉં છું કે જોગાનુજોગ આજનો દિવસ ગોધરા-અનુગોધરા વરસીનો છે. ફેબ્રુઆરી ૨૦૧૫ની કોઈ એક મહદ્દ લબ્ધિ વખત છે ને હોય તો એ છે કે આટલાં વરસમાં પહેલી વાર, કહો કે ખાંડવ વન દહનના એક આખા દોર પછી કદાચ પહેલી જ વાર, નવી દિલ્હીના એક ખ્રિસ્તી સમારોહમાં નમોએ સરકારની સેક્યુલર ભૂમિકા વિશે અને ધર્મકોમી હિંસાચારના સત્તાવાર વિરોધ તેમ જ નિષેધની રીતે વિચારો વ્યક્ત કર્યા છે, અને એની ઝાંખીપાંખી ઝલક ૨૭મી ફેબ્રુઆરીના લોકસભાના ભાષણમાં પણ જોવા મળી છે.

બને કે ઓબામાએ ભારતની મુલાકાત આટોપતી વેળાએ તેમ જ અમેરિકા પહોંચ્યા પછી પણ આપણે ત્યાંના ધર્મકોમી હિંસાચારી પ્રવાહો અને પરિબળો વિશે દો ટૂક વચનો ઉચ્ચાર્યા તેથી નમોને પક્ષે આ એક પીઆર અનિવાર્યતા પણ ઊભી થઈ હોય. આપણે કારમાં બેઠા હોઈએ (અલબત્ત, ડ્રાઇવ બીજું કોઈ કરતું હોય) અને માનો કે ગલૂડિયું કચડાઈ મરે તો પણ અરેરાટી થાય છે એવી બોબડી, કંઈક ખંધી, કંઈક માસૂમ સંમિશ્ર સમજૂત ગોધરા-અનુગોધરા સંદર્ભે આપી શકતી અને એમ તબિયતથી હાથ ઊંચા કરી શકતી શખ્સિયતને પક્ષે આ ઓબામા ઇફેક્ટ એ ગુણાત્મક સુધારો ગણાઈ શકે ? નીવડ્યે વાત.

ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાનો નકરો જોગાનુજોગ જ નહીં પણ સમયસંધાનપૂર્વકનું આયોજન કહી શકાય તે મુસ્લિમોના ઘેટ્ટોઆઇઝેશન વિશે (જેનો એક પેરેલલ ભગવદ્દગોમંડલે આપણા અંત્યજવાડામાં જોયો છે એને વિશે) સંવેદનસિક્ત એટલા જ સ્વાધ્યાયપ્રવણ શોધપ્રબંધના પ્રકાશનનું છે. જે અલાયદી વસાહતો છે જ નહીં એવો દાવો એક તબક્કે રાજ્ય સરકારનો હતો તે પૈકીની કેટલીકનો આ સીધો અભ્યાસ છે, અને ટાપુદુનિયાના એક અલગ અહેસાસનો કંઈક અંદાજ એમાંથી મળે છે. આ રીતે ધરાર છૂટા પાડી દેવાયેલાઓ, પછીથી, ‘રાષ્ટ્ર’ના અંગભૂત હોવા વિશે વિશ્વાસની કટોકટી અનુભવે, નાગરિકને નાતે એક વિતૃષ્ણાના દોરમાંથી પસાર થાય અને નાગરિક સમાજની મર્યાદાઓ તેમ જ રાજ્ય સરકારની પ્રતિગામી ભૂમિકાવશ આખું વસાહતી જીવન ધર્મકોમની અલાયદી ઓળખને તાબે થતું ચાલે, એ કોની સિદ્ધિ ? કોની જવાબદારી ? ભલા ભાઈ, આખરે તો, કોઈ પણ સાંકળ એની નબળામાં નબળી કડી જેટલી જ મજબૂત હોઈ શકવાની છે એટલું તો તમારા સ્વાર્થને ખાતર પણ સમજો.

‘રાષ્ટ્રવાદ’ અને ‘મજબૂત સરકાર’ જ્યારે નાગરિક સમાજનાં મૂલ્યોથી ઉફરા એવા એક ખયાલ તરીકે વિકસે એટલે કે વકરે છે ત્યારે તે એક ઝનૂની સંપ્રદાયનું રૂપ લે છે અને દલિતવંચિત સૌ, કહો કે ‘ધ અધર’ ઉર્ફે નઠારાનકામા અમારા સિવાયનાઓ તરીકે, એને હસ્તક ઉપેક્ષા ને શોષણનો ભોગ બને છે. હકીકતે, એડવર્ડ સઇદે ‘અધરાઇઝેશન’ની જે પ્રક્રિયા (વસ્તુતઃ વિક્રિયા) વર્ણવી છે – બધાં દૂષણો સામેવાળામાં પરબારાં આરોપવાં – તે આપણા સમયનો એક અભિશાપ છે; જેમ કે ‘વિકાસ’-‘વિકાસ’ની લાયમાં આપણને વિકાસથી થતા વંચિતોની સુધબુધ રહેતી નથી. કદાચ, એની ભાળસંભાળ જરૂરી નથી લાગતી. બલકે, ‘વિકાસવિરોધીઓ’માં આતતાયીનાં દર્શનની માનસિકતા બની આવે છે.

જમીનની અધિગ્રહણ જોગવાઈ નિમિત્તે નમો સરકારનાં વટહુકમી વલણોમાં (અને અગાઉની સરકાર વખતે શક્ય બનેલ કોન્સેન્સસને સ્થાને ખેડૂતને વંચિત કરી શકતી કલમી મારામારીમાં) તમે આ વિકાસ વિશેનો નવ્ય ‘સાક્ષાત્કાર’ કરી શકો છો. જો કે યુપીએ સરકારનું વિકાસદર્શન તત્ત્વતઃ જુદું નહોતું; પણ ત્યારે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ(એન.એ.સી.)ને કારણે શોષણસપાટામાં કંઈક રોક શક્ય બની શકતી હતી, અને જેમ વિકાસથી તેમ વિકાસના વંચિતો છેક જ વિમર્શ બહારના નહોતા બની જતા.

બેશક, એન.એ.સી. વિશે ટીકાત્મક સમીક્ષાની એક ભૂમિકા નાગરિક છેડેથી કદરબૂજ સાથે અને છતાં ત્યારે અવશ્ય હતી. અને તે એ કે એન.એ.સી.ની હેસિયત રાજદરબારનાં નવરત્નોની હશે પણ લોકમત ઘડતાપ્રેરતાદોરતા અને એ રીતે પોતાનો વક્કર ને પોતાનું સૅન્ક્શન ધરાવતા પ્રતિભાપરિબળનું કાઠું એનું નહોતું તે નહોતું. ચાલુ સદીનો બીજો દસકો બેસતે અણ્ણાના લોકપાલ આંદોલન તેમ જ અક્ષરશઃ અસાધારણ એવી નિર્ભયા ઉદ્યુક્તિ સાથે જાહેર જીવનમાં જે બની આવ્યું એ સ્વાભાવિક જ ગુણાત્મકપણે ન્યારું ને નિરાળું હતું. આજે જાહેર સમીક્ષકો ભૂમિ અધિગ્રહણ વટહુકમમાં ‘એન.ડી.એ.ની લોકપાલ મોમેન્ટ’ જુએ છે એનું રહસ્ય આ પૃષ્ઠભૂમાં પડેલું છે. ભૂમિ અધિગ્રહણની અને એવી વિકાસપંથી રાજકીય માન્યતા સામે રાજગોપાલના યોજકત્વમાં અસાધારણ કૂચ યુપીએ સરકારે જોઈ હતી અને એને ઘટતું કરવાની ખાતરી આપી હતી. એ જ દોર, જૂનીનવી સરકારોની અકર્મણ્યતા સંદર્ભે, રાજગોપાલ આગળ ચલાવતા રહ્યા છે. નવી સરકારના વટહુકમે આ દોરને અનુકૂળ જલવાયુ પૂરાં પાડ્યાં અને એણે અણ્ણા સહિતના બહુપક્ષી ને એથી પણ અધિકા જનવિરાટ સમક્ષ મુખોમુખ થવાની નોબત આવી છે.

જ્યાં સુધી અધિગ્રહણ વટહુકમનો સવાલ છે, કેન્દ્રીય મંત્રી વેંકય્યા નાયડુએ કહ્યું છે કે ગૃહમાં ચર્ચા દરમિયાન સૂચનો આવકાર્ય છે, પણ મૂળભૂતપણે પાછા હટવાનો તો સવાલ જ નથી. કદાચ, નમોનું વલણ એક ‘મક્કમ’તાનો સંદેશ આપી છાકો પાડી દેવાનું જણાય છે. ઇંદિરા ગાંધીએ જયપ્રકાશ સાથે સઘળી સંવાદશક્યતાઓ છાંડીને એક મજબૂત નેતા તરીકે જે રાહ લીધો હતો તેનો વિપરીતપરિણામી પેરેલલ આ ક્ષણે કોઈ સંભારી આપે તો તે અપ્રસ્તુત નહીં લેખાય.

જેમ મનમોહન સિંહ સામે અણ્ણાની લોકપાલ ક્ષણવિશેષ હતી તેવી આ એક ભૂમિ અધિગ્રહણ ક્ષણવિશેષ મોદી સામે છે એમ પણ તમે કહી શકો. પણ આ બે પરિસ્થિતિ વચ્ચેનો પાયાનો ફરક પણ તમે જોઈ શકો છો પૂર્વે ભા.જ.પ. પોતાને અણ્ણા આંદોલનના એકંદરે એકમાત્ર અગર વડા લાભાર્થી તરીકે કલ્પતો હતો. અત્યારે, કેમ કે ભા.જ.પ. કેન્દ્રમાં સત્તારૂઢ છે, લાભાર્થીઓ બીજા એટલે કે ભા.જ.પ. સિવાયના પક્ષો હોઈ શકે છે. પણ કેવળ એટલો જ ફરક નથી. ‘આપ’ના પ્રભાવક ઉદય અને દિલ્હીવિજય સાથે આખો વિમર્શ કૉંગ્રેસ-ભા.જ.પ.માં સીમિત ન રહેતાં સ્થાપિત પક્ષોથી ઉફરા એવા વ્યાપક લોકવિમર્શનું સ્વરૂપ પકડી રહ્યો છે. વિકલ્પખોજે કૉંગ્રેસ સામે વખાના માર્યા ભા.જ.પ.માં લાંગરવું પડે એવી અનિવાર્યતાને બદલે એક નવ્ય નાગરિક વિકલ્પ(કહો કે સેક્યુલર વિકલ્પ)ની શક્યતાઓ ઊભી થઈ છે.

અલબત્ત, રોમ રાતોરાત બંધાયું જાણ્યું નથી અને કોઈ નરવોનક્કુર વિકલ્પ રાતોરાત દેશભરમાં બનવો શક્ય નથી એ સાચું. પણ સંકેત અને શક્યતા સહ વ્યાપક વિકલ્પવિચારનું એક વાયુમંડળ બનતું દીસે છે એ પણ સાચું. આ દિવસો, દિલ્હીમાં આપને પક્ષે બીજલીપાની વચનોના અમલના છે. પણ નાગરિક છેડેથી અપેક્ષિત રસ, તપાસ અને આશ ખરું જોતાં એથી આગળ જતી છે. વિકાસવેશી અને સંસ્કૃિતવેશી રાષ્ટ્રવાદની મુશ્કેલી એ છે કે ‘વૃદ્ધિદર’ અને કથિત ‘ચિતિ’ શક્તિના અભિગમમાં સામાન્ય માણસનું કેન્દ્રસ્થ મહત્ત્વ નથી રહેતું. એનું હાંસિયામાં મુકાવું તે, આ ચર્ચામાં કોઈ મુદ્દો જ નથી. રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને મજબૂત રાષ્ટ્ર-રાજ્યનું લૉજિક કહો, તર્કશાસ્ત્ર જ નહીં પણ મનોવિજ્ઞાન કહો, એમાં સામાન્ય માણસ કદાચ શોધ્યો જ જડતો નથી.

તો, આ લૉજિકમાં અને આ મનોવિજ્ઞાનમાં તમે જુઓ કે આફ્સ્પા જેવા જુલમી હોઈ શકતા કાયદાનું માપબહારનું મહિમામંડન થાય છે. એમાં ઢીલ મૂકવાની, સુધારો કરવાની, ઉત્તરપૂર્વથી માંડીને કાશ્મીર સુધી રાષ્ટ્રરાજ્યની લશ્કરી રીટ ચલાવવાની નીતિ સ્થાનિક જનતાને ‘ભારત’વિમુખ કરી રહી છે એ વાનું જો આપણી પહોંચ બહાર રહેતું હોય તો એનું કારણ કદાચ એ છે કે રાષ્ટ્રરાજ્યવાદની સામ્રાજ્યશાહી સમજથી આપણી સંવેદના બહેર મારી ગયેલી છે.

Cartoonscape 

[courtesy : "The Hindu", 28.02.2015]

હવે તરતમાં જ જમ્મુ-કાશ્મીરમાં પી.ડી.પી.-બી.જે.પી. મિશ્ર સરકાર રચાઈ રહી છે. શપથવિધિ બાદ સંયુક્ત લઘુતમ કાર્યક્રમ જાહેર થશે. વિગતોમાં જે હશે તે હશે, પણ એક વાત સાફ છે કે ૩૭૦ની નાબૂદીની તાકીદ અને આફ્સ્પાવાદનો દબદબો પૂર્વવત્ રહેવાનો નથી. રાષ્ટ્રવાદની સંઘપરિવારી વ્યાખ્યાથી દેખીતી રીતે જ આ એક જુદી વાત બની રહી છે. હજુ હમણાં સુધી ચૂંટણી પ્રચારમાં જે ઊછાળી ઊછળીને કહેવાતું હતું એના કરતાં આ જુદું વલણ કેવળ વ્યૂહાત્મક મટી કાંઈક મૂલ્યાત્મક બને તો વાત બની શકે. (એમ તો, નાણા પંચની ભલામણને ધોરણે રાજ્યોને વિશેષ હિસ્સો આપવાનું, ‘કો-ઓપરેટિવ ફેડરલિઝમ’નું વલણ પણ એકલઠ્ઠ જડબેસલાક મજબૂત કેન્દ્રવાદી રાષ્ટ્રરાજ્યવાદ કરતાં જુદું પડે છે.)

મુદ્દાની વાત એ છે કે ૧૯૯૨ના અતિરેકી ઘટનાક્રમ પછી ૧૯૯૮થી શરૂ થયેલા એન.ડી.એ. કાળમાં વાજપેયીના નેતૃત્વમાં અડવાણીએ પથસંસ્કરણ(કોર્સ કરેક્શન)ની કોશિશ કરી. સાંસ્કૃિતક રાષ્ટ્રવાદ ઉર્ફે હિંદુત્વ રાજનીતિને એકંદરે સુશાસન(ગવર્નન્સ)ના ખાંચામાં અને ઢાંચામાં ઢાળવાની કોશિશ આ અચ્છા કૉપીકારની હશે, પણ ૨૦૦૨ સાથે એમનો આશામિનાર ધ્વસ્ત થઈ ગયો; કેમ કે અમેરિકી ટિ્વન ટાવર્સને જેમ કોઈ બીજાની જરૂર ધ્વસ્ત થવા માટે હતી તેવી જરૂરત આ આશામિનારને નહોતી – એણે પોતે જ વિધ્વંસને પાળ્યો હતો. ૨૦૦૨ને કારણે કૉંગ્રેસ-યુ.પી.એ.ને દેશમાં એક દાયકો મળી ગયો એ નફામાં. ગમે તેમ પણ, આજે મોદીવ્યૂહ અગાઉના વીસ ટકા મતને બદલે ભા.જ.પ.ના ખુદના સુવાંગ ત્રીસ ટકા મતે દિલ્હી પહોંચ્યો છે તે જો હકીકત છે તો એ પણ એટલું જ સાચું છે કે અડવાણીએ કોશિશ કરી હતી એના કરતાં અનેકગણું પથસંસ્કરણ એણે કરવાનું છે. એક વસ્તુ અડવાણી-મોદી બેઉને સમજાવી જોઈએ કે ‘એકં સદ્ વિપ્રાઃ બહુધા વદન્તિ’નો શુકપાઠ ૧૯૯૨ અને ૨૦૦૨ પછી તમને ડાઇરેક્ટ ઍક્શન પછીના એ ઝીણાની પંગતમાં મૂકી આપે છે જેમાં પાક બંધારણ સભામાં સેક્યુલર ભૂમિકાની એમની જિકર બેમતલબ બની રહી હતી.

રાષ્ટ્રવાદની તમારી આખી પરિભાષા અને પરિકલ્પના આમૂલ પુનર્વિચાર માગે છે એટલું તો સમજો, ભાઈ !

ફેબ્રુઆરી ૨૭, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 01, 02 અને 15

Loading

પારકી ભૂમિ પર હક અને સ્વમાન માટે અહિંસક જંગ લડનાર જયાબહેન દેસાઈ

ઉર્વીશ કોઠારી|Diaspora - Features|27 February 2015

ગુજરાતે – ભારતે જેમને યાદ કર્યાં નથી, અને બ્રિટન જેમને ભૂલ્યું નથી એવાં, બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી હડતાળનાં ગુજરાતી નાયિકાની મોટા ભાગના ગુજરાતીઓ માટે અજાણી રહેલી કથા

Jayaben Desai / જયાબહેન દેસાઈ ઃ ટચૂકડું કદ, બુલંદ જુસ્સો 

ગુજરાતગૌરવ, ગુજરાતની અસ્મિતા, ગાંધીનું ગુજરાત – આ બધા શબ્દપ્રયોગો સરકારી કે બિનસરકારી રાહે છૂટથી ઉછળતા રહે છે. પરંતુ તેમની વ્યાખ્યા નીતાંત સરકારી અને સગવડિયા હોય છે. ‘ગુજરાતની અસ્મિતા’નાં વાવટા ફરકાવનારાને છેવટે તો એ વાવટામાંથી પોતાના વાઘા – કે સૂટ – સીવડાવવામાં જ રસ હોય છે. આ માનસિકતાને કારણે સમાજમાં રોલમૉડેલ – ચોક્કસ બાબતમાં પ્રેરણા આપી શકે એવાં વ્યક્તિત્વો-ની તીવ્ર ખોટ પડે છે. એ ખાલી જગ્યામાં કંઈક બાવા-બાવીઓ-કથાકારો ને ચલતા પૂર્જાઓ ગોઠવાઈ જાય છે. જે સમાજમાં ગરોળીનું કદ ધરાવતાં વ્યક્તિત્વો ડાયનોસોર બનીને ઝળુંબતાં હોય, તેની દયા ખાવા સિવાય બીજું શું થઈ શકે?

વિદેશમાં વસતા ગુજરાતીઓનાં નામના રાસડા લેવાની સંસ્કૃિત છેલ્લા થોડા વખતમાં ઠીક ઠીક ફૂલીફાલી છે, પરંતુ હરામ છે જો તેમાં ક્યાં ય બ્રિટનનાં જયાબહેન દેસાઈનું નામ સાંભળવા મળ્યું હોય. બ્રિટનના ઇતિહાસની સૌથી લાંબી (૬૯૦ દિવસની) હડતાળનાં ગુજરાતી – અને તે પણ સાડીધારી – સૂત્રધાર તરીતે જયાબહેન દેસાઈનું નામ બ્રિટનમાં ભારે આદરથી લેવાય છે. ઇન્ટરનેટ પર તેમના વિશેનાં અઢળક લખાણ અને તેમના ઇન્ટરવ્યુની વીડિયો પણ જોવા મળે છે. થોડા વખત પહેલાં બ્રિટનના કામદારોના સંઘર્ષ અને તેમના દસ્તાવેજીકરણના ભાગરૂપે ‘યુનિવર્સિટી ઑફ લીડ્‌ઝ’ દ્વારા દક્ષિણ એશિયાની બે મહિલાઓની લડત વિશે ચિત્રવાર્તા પ્રકાશિત થઈ. તેમાં એક નામ જયાબહેન દેસાઈનું હતું.

Striking Women / Jaya Desai / જયાબહેન દેસાઈ (courtesy : Vipool Kalyani / વિપુલ કલ્યાણી)

એક વેળાના પૂરા ખેડા જિલ્લાનાં જયાબહેન પતિ સૂર્યકાંત દેસાઈ સાથે ટાન્ઝાનિયા છોડીને બ્રિટન પહોંચ્યાં, ત્યારે સામે સુખને બદલે સંઘર્ષ મોં ફાડીને ઊભો હતો. ટાન્ઝાનિયામાં ફેક્ટરીમાલિક પતિનાં ગૃહિણી તરીકે જીવતાં જયાબહેનને ૧૯૭૦ના દાયકાના બ્રિટનના ભેદભાવભર્યા માહોલમાં પરચૂરણ કામ કરવાનો વારો આવ્યો. પરંતુ ‘ગ્રુનવિક/ Grunwick ફિલ્મ પ્રોસેસિંગ લેબોરેટરી’માં તેમની નોકરી ઐતિહાસિક બની રહેવાની હતી.  આ કંપનીનું કામ એવું હતું કે ગ્રાહકો ટપાલથી તેને કેમેરાના રોલ મોકલે. તેને ડેવલપ કરીને, તેની પ્રિન્ટ કાઢીને કંપની તેમને પાછા મોકલી આપે. બ્રિટનના રૂઢિચુસ્ત પક્ષના સભ્ય જૉન વૉર્ડની માલિકીની આ કંપનીમાં ભારતીય કામદારોને અંગ્રેજ કામદારો કરતાં – અને સરકારી દર કરતાં – ત્રીજા ભાગનું વેતન મળે. કામ મેળવવાની તેમની ગરજનો પૂરો ગેરફાયદો ઉઠાવવામાં આવે અને મેનેજમેન્ટની જોહુકમીનો પાર નહીં.

‘ગ્રુનવિક’ના ૪૦૦ કામદારોમાંથી ૮૦ ટકા ભારતીય મૂળના હતાં. પરંતુ શોષણ સામે અવાજ ઉઠાવવાને બદલે તેને તાબે થઈ જવાનો ભારતીયોનો સ્વભાવ અંગ્રેજ માલિકોને બહુ અનુકૂળ આવી ગયો હતો. ૧૯૭૬ના ઉનાળામાં ‘ગ્રુનવિક’માં માહોલ બદલાયો. કંપનીનું એરકન્ડિશનિંગ મશીન બંધ પડ્યું હતું ને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નહીં. એ વર્ષે દેવશી ભુડિયા નામના ગુજરાતી કર્મચારીને ‘કામમાં ઢીલાશ’ના આરોપસર અપમાન કરીને કાઢી મુકવામાં આવ્યા. તેમની સાથે થયેલા વર્તનના વિરોધમાં બીજા ત્રણ ગુજરાતીઓ પણ કામ છોડીને નીકળી ગયા.

ઑગસ્ટ ૨૦, ૧૯૭૬નો એ દિવસ હતો. ફેક્ટરીનો સમય સાંજે પાંચ વાગ્યે પૂરો થાય. તેના બે કલાક પછી જયાબહેન દેસાઈ ઘરે જવા નીકળ્યાં, ત્યારે ગોરા મેનેજરનું તેમની પર ધ્યાન પડ્યું. એટલે તેમણે ગુસ્સાથી કહ્યું, ‘અમારી રજા વગર તારું કામ પૂરું થઈ ગયું, એવું તે કેમ માની લીધું? તને પણ આ ફેક્ટરીમાંથી બરતરફ કરવામાં આવે છે.’

પરાયા દેશમાં, કામની સખત જરૂર અને વિદ્રોહ માટે પ્રતિકૂળ વાતાવરણ છતાં, જયાબહેન દેસાઈ આ અપમાન સહન કરી શક્યાં નહીં. માંડ ચાર ફૂટ દસ ઇંચ ઊંચાઈને કારણે, ટચૂકડા કદનાં લાગતાં જયાબહેને ગોરા ઉપરીને આપેલો જવાબ બ્રિટનની કામદાર ચળવળના ઇતિહાસમાં સૌથી યાદગાર બની ચૂક્યો છે. તેમણે સંભળાવી દીઘું,  "What you are running here is not a factory, it is a zoo. But in a zoo there are many types of animals. Some are monkeys who dance on your fingertips, others are lions who can bite your head off. We are the lions, Mr. Manager." (તમે આ ફેક્ટરી નહીં, પણ પ્રાણીસંગ્રહાલય ચલાવો છો. તેમાં અનેક જાતનાં પ્રાણી છે. કેટલાંક તમારી આંગળીના ઈશારે નાચનારાં બંદર છે, ને તમને ફાડી ખાય એવા સિંહ પણ છે. અમે એવાં સિંહ છીએ, મિસ્ટર મેનેજર) આ વાક્યો બ્રિટનનાં તમામ પ્રસાર માધ્યમોમાં અનેક વાર લખાયાં – બોલાયાં અને અમર થઈ ગયાં છે. ઇન્ટરનેટ પર ‘જયાબહેન દેસાઈ’ના નામે સર્ચ કરતાં આ વાક્યો અચૂક મળી આવશે.

Jayaben Desai / જયાબહેન દેસાઈ 

બીજા દિવસથી જયાબહેને ગ્રુનવિક ફેક્ટરીની બહાર પિકેટિંગની શરૂઆત કરી. ઉદારમતવાદી ધોળા લોકોના સહયોગ અને સલાહથી તે એક યુનિયનનાં સભ્ય બન્યાં અને તેમની ઝુંબેશે જોર પકડ્યું. ફેક્ટરીમાં કામ કરનારી ૧૩૬ બહેનો તેમની સાથે જોડાઈ. એ સૌ સૂત્રો લખેલાં પાટિયાં સાથે, જયાબહેનની આગેવાની હેઠળ, ફેક્ટરીની બહાર ઊભાં રહીને વિરોધ પ્રદર્શન કરે. લંડનની અન્ડરગ્રાઉન્ડ રેલવેનાં સ્ટેશનો પર જઈને પ્રવાસીઓમાં ચોપાનિયાં વહેંચે. જે બ્રિટનમાં ‘ગ્રુનવિક’ના ઉપરી જેવા ગોરાઓ હતા, એ જ બ્રિટનમાં આ હડતાળને વધાવી લેનારા ગોરા પણ હતા. દેશનાં પ્રસાર માધ્યમોને શરૂઆતમાં સાડી પહેરેલી મહિલાઓનું આવું સાહસ જોઈને કૌતુક થતું. પછી માન થયું. ‘Strikers In Saree’ (સાડીધારી હડતાળિયાં) તરીકે તેમના અહેવાલો છપાવા લાગ્યા. ‘ગ્રુનવિક’માં ટપાલ પહોંચાડતી એક પોસ્ટ ઑફિસના ગોરા કર્મચારીઓએ પણ જયાબહેનનો પક્ષ લીધો અને કંપનીમાં ટપાલ પહોંચાડવાનો ઇન્કાર કરીને હડતાળને ટેકો આપ્યો. તેમની સામે કંપની કૉર્ટમાં ગઈ અને ટપાલ કર્મચારીઓની હડતાળને ગેરકાયદે ઠરાવતો હુકમ લઈ આવી. પરંતુ ત્યાં સુધી મામલો ગ્રુનવિકનો મટીને રાષ્ટૃીય બની ચૂક્યો હતો.

દેશભરમાંથી હડતાળને ટેકો આપવા આવતાં લોકો સમક્ષ જયાબહેન તેમને ફાવે એવા અંગ્રેજીમાં કહેતાં હતાં, ‘અમારી લડત પગારવધારા માટે નહીં, પણ આત્મસન્માન માટેની છે.’ હડતાળને તોડવા માટે કંપનીએ વધારે પગારે ગોરા કામદારોને તેમના ઘરે બસ મોકલીને તેડાવ્યા. પરંતુ બસ ફેક્ટરીની બહાર પહોંચી ત્યારે જયાબહેન અને તેમનાં સાથીદારો હાથમાં ‘SCAB’ લખેલાં પાટિયાં લઇને ઊભાં હતાં. (‘સ્કેબ’ અપમાનસૂચક શબ્દ છે, જે હડતાળમાં ન જોડાનાર કે હડતાળ પર ઊતરેલા લોકોની જગ્યાએ કામ કરનાર માટે વપરાય છે.) જયાબહેન અને સાથીદારોના ઘેરાને કારણે એક પણ કામદાર બસની બહાર ઊતરી શક્યો નહીં અને બસ પાછી ગઈ.

૬૯૦ દિવસ સુધી ચાલેલી આ હડતાળમાં દેશનાં બીજાં કેટલાંક યુનિયન જોડાયાં, રાજકારણ પણ ભળ્યું ને સમાધાન માટે તપાસસમિતિ નીમાઈ. બ્રિટનમાં રહીને આ હડતાળનો અને તેમાં જયાબહેન દેસાઈની ભૂમિકાનો વિગતે અભ્યાસ કરનાર તથા તેના વિશે છ-માસિક “સાર્થક જલસો”ના ઑક્ટોબર, ૨૦૧૩ના અંકમાં લખનાર કૅપ્ટન નરેન્દ્ર(http://captnarendra.blogspot.in)ના શબ્દોમાં ‘જનતાની સ્વપ્રેરિત લડતમાં રાજકારણી ચૌદશિયા જોડાય, તો તેનો અંજામ કટુ જ નીવડે. સંઘર્ષમાં જીત થાય તો તેનો યશ આ પક્ષો લઈને પોતાનો રાજકીય સ્વાર્થ સિદ્ધ કરે છે. લડતમાં કદાચ હાર થાય તો તે હાર યોદ્ધાઓની છે એવું કહીને પક્ષો હટી જાય છે.’ જયાબહેનની લડતમાં ડાબેરી રાજકારણીઓ થોડો સમય સાથે રહ્યા, પણ દેશમાં માર્ગારેટ થેચરના રૂઢિચુસ્ત પક્ષનો પ્રભાવ જોયા પછી એ લડતમાંથી ખસી ગયા. છેવટે લડત અનિર્ણિત રહી અને પાછી ખેંચાઈ. પરંતુ તેમાં જયાબહેનની કામગીરી એળે ગઈ ન હતી. દેશમાં કામદારોના શોષણ અને તેની સામે એક ભારતીય મહિલાએ ઉઠાવેલા અવાજની કથાઓ પ્રચલિત બની, બહારથી આવનારા કામદારો પ્રત્યેના અભિગમમાં થોડો બદલાવ આવ્યો અને રંગદ્વેષી હોવા છતાં પોતાની જાતને ન્યાયના ઠેકેદાર ગણનારા ગોરાઓને નીચાજોણું થયું.

જયાબહેન દેસાઈ / Jayaben Desai

લડત પછી પણ જયાબહેનનું નામ અને કામ બ્રિટનમાં જાણીતાં રહ્યાં. ડિસેમ્બર ૨૩, ૨૦૧૦ના રોજ જયાબહેનનું અવસાન થયું ત્યારે બ્રિટનનાં પ્રમુખ અખબારોમાં તેમને ભવ્ય અંજલિ આપતાં લખાણ પ્રગટ થયાં, પરંતુ ‘ગુજરાતની અસ્મિતા’ કે ‘ગુજરાતગૌરવ’ની યાદીમાં જયાબહેનનો કદી સમાવેશ થયો નહીં. જયાબહેનને એની જરૂર ન હતી અને ગુજરાતના બોલકા વર્ગને સ્વતંત્રમિજાજી અને કામદારોના હક માટે લડનારાં ‘ગૌરવ’ની જાણ કે ખપ કે બન્ને ન હતાં. 

Monday, February 23, 2015

સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/2015/02/blog-post_23.html

Loading

વૉટ્સ-અપની ચરી …

મહેન્દ્ર શાહ|Opinion - Cartoon|26 February 2015

રિયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી ઃ

આ કાર્ટૂન મારી ૫૦ વર્ષ જૂની મેમરી લેનમાં લઈ જાય છે ! …

નાનપણથી જ ડ્રૉઈંગનો શોખ, અને એ શોખના લીધે સ્કૂલમાં રેસિડન્ટ આર્ટીસ્ટનું બિરુદ મળ્યું ! સ્કૂલના કોઈ પણ આર્ટ પ્રોજેક્ટ, મેળાવડાની સાઈનો, ડેકોરેશન વગેરે વગેરેની જવાબદારી અમારા ડ્રૉઈંગ શિક્ષકની આગેવાની હેઠળ મારી રહેતી, બદલામાં મને વ્યાયામ ક્લાસમાંથી હંમેશની છુટ્ટી ! એ વખતે તો આ ડીલ ..," Deal of the century !' જેવું ઘણું સરસ લાગેલું, પણ એના લીધે સ્પોર્ટસમાં રુચિ નહીં કેળવ્યાનો વસવસો પાછળનાં વર્ષો દરમ્યાન હંમેશાં રહ્યા કર્યો.
મૂળ વાત પર .., સ્કૂલેથી ઘરે જતાં મને ડાફેળાં મારવાની ટેવ. ખાસ તો રસ્તા પરની દુકાનોનાં સાઈન બૉર્ડઝ, લેટરીંગઝ, ટ્રક, રિક્સા પાછળની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો વગેરે જોવાનો, માણવાનો બહુ શોખ. સિનેમાનાં પોસ્ટરો પેઇન્ટ કરતા, નાટકોના પોસ્ટર્સ બનાવતા પેઇન્ટર્સને જ્યારે, જ્યાં તક મળે ત્યાં જોયા જ કરું !

એક દિવસ આમ જ સ્કૂલેથી ઘરે જતાં રસ્તામાં સ્ટોર ફ્રન્ટની સાઈનો, સિનેમાનાં પોસ્ટરો જોતાં જોતાં પસાર થઈ રહ્યો હતો. એકલવ્યની માફક મને એ સાઈનો, પોસ્ટરો સિવાય કંઈ જ દેખાતું હતું નહીં .., અને એ ધ્યાનને ડિસ્ટર્બ કરતો એકાએક ધડામ કરતો અવાજ, કંઈક ઢળવાનો, કંઈક ફૂટવાનો ને કંઈક દાઝવાનો બધી જ ક્રિયાઓનો એક સાથે આવ્યો. ચાની કીટલી અને કપરકાબી સાથે કોઈ દુકાનમાં ચા ડિલિવર કરવા જતા ચાવાળા છોકરા સાથે હું અથડાયો ! એની બધી ચા મારાં કપડાં પર, કીટલી છટકીને કપ રકાબી સાથે રોડ પર પડી ગઈ, કપ રકાબીઓ ફૂટી ગઈ ! દાઝવાનું દુ:ખ, પેઈન તો એક બાજુ રહ્યું .., ચાવાળા છોકરાએ બૂમાબૂમમ કરી દીધી, ખેંચીને મને સામે ચાની દુકાન પર એના શેઠ પાસે લઈ ગયો. "You break it .., you buy it!" દુકાનની પોલિસી ! છોકરાના શેઠે એને મારી સાથે ફૂટેલા કપરકાબીના ટુકડાઓ સાથે મારા ઘરે મોકલી, ચા તથા કપરકાબીના પૈસા વસૂલ કર્યા !

વૉટ્સ અપ ચેક કરતાં કરતાં બત્તીના થાંભલા જોડે, કોઈ લારીવાળા જોડે અગર કોઈ બે’ન જોડે અથડાઈ જવું, એ નવું નથી !

− મહેન્દ્ર શાહ

e.mail : mahendraaruna1@gmail.com

Loading

...102030...3,7983,7993,8003,801...3,8103,8203,830...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved