Opinion Magazine
Number of visits: 9770727
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુભાઈ પંચોળી ‘દર્શક’ નગર ખાતે મળનારી બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ

વિપુલ કલ્યાણી|Opinion - Literature|10 August 2015

સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.‘  

મનુભાઈ પંચોળી[15.10.1914 – 29.08.2001]ની 101મી જયંતીનું આ વરસ છે. િવશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ તેની સભ્યગણની બિરાદરીને સારુ મનુભાઈ પંચોળી ‘દર્શક’ અજાણ્યું નામ નથી. આ મુલકે મનુભાઈ ચારેક વાર આવ્યા છે અને અકાદમીના નેજા હેઠળ એમને નિરાંતવા સાંભળ્યા ય છે.

મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પામવા માટે એમના વિરાટ વ્યક્તિત્વને સમજવું પડે. તેમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં તરફ નજર નાંખવી પડે. તેમના વિશાળ શબ્દસાગરમાં તરવું પડે. વિવિધ વિચારોની પગદંડી પર લાંબુ ચાલવું પડે. ઇતિહાસનાં અધ્યયનની ઊંડી ખીણમાં ઊતરવું પડે. ક્યારેક પ્રકાશભાઈ ન. શાહની, ક્યારેક રઘુવીરભાઈ ચૌધરીની, તો ક્યારેક રમેશ ર. દવેની, તો વળી, ક્યારેક મનસુખભાઈ સલ્લાની આંગળી પકડીને થાક લાગે તેટલું ચાલવું પડે. 'દર્શક'ની બધી વાતો સરળતાથી સમજાઈ જાય તેવું પણ નથી, તેથી આપણી સમજને દર્શકની સમજના સ્તરે લઈ જવા થોડું મથવું પણ પડે.

જાણીતા વિચારક, વક્તા, કર્મશીલ તેમ જ “નિરીક્ષક”કાર પ્રકાશ ન. શાહ આ અવસરે મુખ્ય મહેમાન છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ મનુભાઈ પંચોળીને સંભારી, બે દિવસીય ભાષા-સાહિત્ય પરિષદ યોજવાનું ઠેરવ્યું છે. આ નવમી પરિષદ શનિવાર, 29 અૉગસ્ટ – રવિવાર, 30 અૉગસ્ટ 2015ના દિવસોએ, વેમ્બલી ખાતે, ‘માન્ધાતા યૂથ અૅન્ડ કમ્યુિનટી અૅસોસિયેશન’[20A Rosemead Avenue, Wembley HA9 7EE]ના હૉલમાં સવારે દશથી બેસશે.

આ દેશમાં વસતા ગુજરાતી ભાષા-સાહિત્યના એક વરિષ્ઠ સાહિત્યકાર અદમ ટંકારવી આ પરિષદના અધ્યક્ષસ્થાને વરાયા છે.

બે દિવસ પથરાઈ આ પરિષદની આછેરી વિગતો આ મુજબ છે :

શનિવાર સવારે મળનારી પહેલી બેઠક આરંભ – અભિવાદન – ઉદ્દબોધનની હશે. નવમી ભાષા-સાહિત્ય પરિષદના અધ્યક્ષ અદમ ટંકારવીનું ઉદ્દબોધન થશે. આ બેઠક વેળા ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રકાશભાઈ શાહને તેમ જ દીપકભાઈ બારડોલીકરને માનદ્દ અધ્યેતા (ફૅલૉ) પદથી સગૌરવ નવાજશે. અત્યાર પૂર્વે અધ્યેતા (ફૅલૉ) પદ એનાયત થયેલાની યાદી આમ છે : રઘુવીરભાઈ ચૌધરી, જગદીશભાઈ દવે, મનુભાઈ પંચોળી ‘દર્શક’ [દિવંગત], હસુભાઈ યાજ્ઞિક, જયન્તભાઈ મ. પંડ્યા [દિવંગત], મહેન્દ્રભાઈ મેઘાણી, પોપટલાલભાઈ જરીવાળા [દિવંગત] તેમ જ વિપુલભાઈ કલ્યાણી.

વળી, ચંપાબહેન પટેલનાં ચિત્રોનું એક પ્રદર્શન પણ વિધિવત્ સ્થળ પરે ઉદ્દઘાટિત કરાશે. વિચારપત્ર “ઓપિનિયન”ના તમામ અંકોની તૈયાર થયેલી ડી.વી.ડી.ને ય પ્રસંગ ટાંકણે લોક અર્પિત કરવામાં આવશે.

બપોરે મળનારી બીજી બેઠક : ‘રતિલાલ ચંદરિયા : દેણગી. ઈન્ટરનેટ જગત, ભાવિનો પથ તેમ જ દશા ને દિશા’. ભદ્રાબહેન વડગામાના સભાસંચાલન હેઠળ અશોક કરણિયા, નીરજ શાહ તેમ જ ધવલ સુધન્વા વ્યાસ વક્તવ્ય આપશે. રતિલાલભાઈનું આ પ્રદાન તે ગુજરાતી ડાયસ્પોરિક સમાજની મુખ્ય પ્રવાહને જબ્બર મોટી દેણગી છે.

સાંય ભોજન પછી મુશાયરો હશે અને તેનું સંચાલન અદમભાઈ કરશે. ‘ઝૈનાહ બિલાલ’ને નામ યોજાતી શાયરોની આ મજલિસના મેજબાન જાણીતા શાયર ઈબ્રાહિમભાઈ રાઠોડ ‘ખય્યામ’ હશે. જ્યારે આ મુલકે પ્રવાસે આવનારા આપણા જાણીતા સાહિત્યકાર ચિનુ મોદી મુશાયરા વેળા અતિથિ વિશેષ હશે.

રવિવારે સવારે મળતી ત્રીજી બેઠકનો વિષય ‘દર્શક’નું સાહિત્યવિશ્વ' હશે. પંચમ શુક્લના સભાપતિપદે આશાબહેન બૂચ, અનિલભાઈ વ્યાસ તથા ચિનુભાઈ મોદી વક્તા હશે. બપોરે મળતી ચોથી ને આખરી બેઠકનો વિષય : ‘મનુભાઈ પંચોળીની સમાજચર્યા’ છે. આ પરિષદના મુખ્ય મહેમાન પ્રકાશભાઈ ન. શાહ અતિથિ વક્તા હશે.

બન્ને દિવસોએ સવારે દશ વાગ્યાથી આ પરિષદનો આરંભ થશે. સવારસાંજ ચા-પાણી તેમ જ ભોજનની ગોઠવણ દરેકને સારુ કરી હશે.

Loading

સહૃદયી સજ્જનો સંગે સંવાદ

આશા બૂચ|Opinion - Opinion|9 August 2015

જાણે એક વાર્ષિક મિલનની પરંપરા હોય તેમ, ઓણ સાલની માફક આ સાલ પણ, બે દિવસ પહેલાં, વિપુલ કલ્યાણી માન્ચેસ્ટર આવ્યા એ નિમિત્તે તેમની સાથે અને દીપક બારડોલીકર સાથે સંવાદ કરવાનો લ્હાવો લીધો.

જ્યારે બે પત્રકારો, લેખકો અને કવિ ભેળા મળે ત્યારે સામાન્ય રીતે અખબારી જગત, સામયિકોમાંના લેખોની ગુણવત્તા અને સ્વ તથા અન્યના રચાયેલાં ગદ્ય-પદ્યની આલોચના જેવા મુદ્દાઓ પર વાત થતી હોય છે. પરંતુ આ ભેરુબંધ બેલડી કંઈક અનોખી હોવાથી, તેમનો મેળાપ કોઈક વિખૂટા પડી ગયેલા ભાઈઓ, વર્ષો પછી મળતા હોય તેમ, અતિ હૂંફાળા આવકાર અને પરસ્પરના કુશળ સમાચારોની આપ-લેથી શરૂ થાય.

કોઈ અૅજન્ડા વિનાની મિટિંગનો લાભ એ કે જેમ શઢવાળા વહાણને પવનનો રુખ જ્યાં લઈ જાય એ દિશા ભણી એ ચાલે તેમ, આ સંવાદ પણ સ્વૈરવિહારી હતો. કેટલાક આ દેશમાં અને ખુદ ભારતમાં પ્રકાશિત થતા સમાચારપત્રો અને વિચારપત્રોનું પોત હવે પાતળું થતું હોય તેમ જણાય છે, અને તેનું કારણ લખનારાઓ પાસે વિષય-જ્ઞાનનું ઊંડાણ અને સમજણનો અભાવ અને વાચક વર્ગની આ માધ્યમોમાં રજૂ થતા વિષયો પ્રત્યેની ઉદાસીનતા હોઈ શકે, તેમ આ બંને પત્રકારોને લાગ્યું. કોઈ પણ પ્રકારનું સાહિત્ય જે તે સમાજ જીવનની ઉપજ હોય છે અને સબળ સાહિત્ય સમાજ જીવનને બદલવા કે સુધારવામાં નિમિત્ત પણ બનતું હોય છે. આજથી બે-ત્રણ દાયકાઓ પહેલાં સમાજ અને સાહિત્ય વચ્ચેની આવી પરસ્પર લેણ-દેણ હતી તે હવે ઘટી ગઈ છે, અને લોકો પાસે સંવાદ માટેનાં નિતનવાં સાધનો ઉપલબ્ધ થવાને કારણે, પુષ્કળ માહિતી મળવા લાગી છે, પણ જ્ઞાન-નિધિનું જાણે તળિયું દેખાવા લાગ્યું છે, એવો સાર વાતચીતમાંથી મળ્યો.

દીપકભાઈએ પોતાના હૈયાની મૂંઝવણ કહી, ‘આ મારાં પુસ્તકોનું મારી હયાતી બાદ શું થશે ? મારે હાથે તેનો યોગ્ય નિકાલ કરવો છે. કોઈ વિકલ્પ હોય તો કહો.’ … શાંત પાણીમાં પથ્થર પડે અને જેમ વમળો ઊઠે તેમ અમારા સહુ વચ્ચે વિચારોની આપ લે થઈ.

માદરે વતનને સલામ કરીને પારકી ભૂમિમાં મૂળ નાખનાર સહુને એ અનુભવ વહેલો મોડો થવાનો જ કે તેમની માતૃભાષા પોતાનાં જ સંતાનો, બૃહદ્દ કુટુંબ અને સમાજમાંથી તડીપાર થઈ રહી છે. ભાષા માત્ર માનવ જાતની લાગણીઓ, વિચારો અને મંતવ્યો વ્યક્ત કરવાની જરૂરિયાતમાંથી નીપજી છે. તેનું પણ બુદ્ધિમત્તા જેવું છે, જો વપરાય નહીં તો નાશવંત બને. સંસ્કારની પેઠે એ પણ માત્ર મા-બાપ સાથે જ વાપરવાની જણસ નથી, એને માટે તો બૃહદ્દ પરિવારના સભ્યો, પડોશીઓ, શાળાઓ, સાથી કાર્યકરો, મનોરંજન અને સંદેશવ્યવહારનાં માધ્યમો, એમ બધા એક ભાષા બોલનાર, વાંચનાર, લખનાર હોય તો એ ટકે. જ્યાં કુટુંબમાં માત્ર બે+બે જણાં હોય, પાડોશી કોણ છે તેની પણ ખબર ન હોય અને શાળાથી માંડીને તમામ જગ્યાએ કમ્પ્યુટરની જાળ ફેલાયેલી હોય, ત્યાં ઇંગ્લિશ નથી ટકવા પામી તો લઘુમતી કોમમાં બોલાતી ભાષાઓનું શું ગજું ? કેમ્બ્રીજ દ્વારા લેવાતી ગુજરાતી, હિન્દી અને પંજાબી GCSE નામે પરીક્ષાઓ લેવાનું રદ્દ થયેલું તે હવે ફરી શરૂ કરવાના વાવડ છે. ઘરમાં ન બોલાતી ભાષા શીખીને નવી પેઢી શું મેળવશે તેમ અમને સહુને લાગ્યું. કદાચ એક ત્રાહિત ભાષાની માફક માત્ર જિજ્ઞાસા ખાતર થોડા લોકો શીખે એવી આશા ભર્યા સૂર સાથે એ સંવાદ ત્યાં અટક્યો.

અહીં મને “ભૂમિપુત્ર” પખવાડિકમાં વર્ષો પહેલાં આવેલી વાર્તા યાદ આવી, જે ટૂંકમાં લખું. એક વયોવૃદ્ધ સન્નારીને શિષ્ટ વાંચનનો અજબનો શોખ. ઘરમાં પુસ્તકોની અાલમારીઓ ભરી પડી હોય. પતિના અવસાન બાદ, દીકરી મળવા આવે ત્યારે બંને એ પુસ્તકોનો રસાસ્વાદ માણે. કાળનું કરવું અને એક દિવસ એ સુજ્ઞ વાચકનું અવસાન થયું. દીકરીએ માની અનેક વસ્તુઓ કુટુંબીઓ, પાસ પડોશીઓ અને તેમની સંભાળ રાખનારાઓને આપી દીધી, પણ પુસ્તકો આપતાં જાણે માને હંમેશાં માટે ભૂલી જતી હોય, તેમ લાગવાથી સંગ્રહી મુક્યાં. થોડા સમય બાદ એ બંધ પડેલા ઘરમાં ચોરી થઈ અને ટેલીવિઝન તથા ફર્નિચર ગાયબ થયું. એટલે જમાઈએ હવે માનું ઘર વેંચી દેવાનો વ્યવહારુ ઉપાય બતાવ્યો. આ દીકરીની પોતાની દીકરી અને દીકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલાં. ગુજરાતી કે હિન્દી વાંચી ન શકે. પોતાના પતિને સમય ન મળે એટલે હવે આ માની છેલ્લી સ્મૃિત જેવાં પુસ્તકો પણ આપી દેવાં પડશે, એમ વિચારી એ સોફા પર ફસડાઈ પડી. બરાબર ત્યારે જ આ યુવાન દોહિત્ર અને દોહિત્રીએ માને વચન આપ્યું, ‘અમે હવે ગુજરાતી વાંચતાં શીખીશું, એ પુસ્તકો વાંચીશું અને એ રીતે નાની અમારી વચ્ચે રહેશે.’ મને પણ દીપકભાઈને એવું વચન આપવાની ઈચ્છા થઈ, પણ એ સંભવ નથી જાણીને ચુપ રહી.

અમારું વાતોનું વહાણ પવનની દિશા પ્રમાણે યુનાઇટેડ કિંગ્ડમથી ઉપડી, ભારત-પાકિસ્તાન થઈને, વિશ્વના ફલક પર ચાલવા લાગ્યું. વકરતી સાંપ્રદાયિકતા, હિંસક મનોવૃત્તિ, રાજકારણીઓની સત્તા લાલસાને કારણે ખેલાતા જંગ, સમાચાર માધ્યમોની પક્ષપાતભરી કે પૂર્વગ્રહયુક્ત અહેવાલો આપવાની નીતિરીતિ વગેરેને કારણે દુનિયા આખીમાં કોમી એખલાસ ભયમાં છે એ વિષે અમે ખૂબ વાતો કરી. જેમ ઉત્તમ સાહિત્ય રચવાને અને ધર્મ કે પંથ સાથે કોઈ નિસ્બત નથી તેમ આતંકવાદને પણ કોઈ એક ધર્મ કે પંથ સાથે નિસ્બત નથી તેવું તારણ નીકળ્યું. મા-બાપ યોગ્ય ઉછેર કરી બાળકોને સારાસારનો વિવેક શીખવે, શિક્ષકો ઉત્તમ નાગરિકતાના પાઠો ભણાવે, અર્થવ્યવસ્થા યુવાવર્ગની શક્તિઓને ખીલવે અને રાજ્ય વ્યવસ્થા ન્યાય અને કાયદાનું રક્ષણ કરે તો આવી ભૂંડી હાલત ન  થાય એ બાબતે અમે સહુ સહમત હતાં.

ભારે મુદ્દાઓની હળવા મને ચર્ચા કરીને, ફરી મળવાના કોલ સાથે, વિખેરાયાં.

આશા છે આવતી મુલાકાત વખતે આ પરિસ્થિતિઓમાં કંઈક સુધારા થયા હોવાના ખુશખબર લઈને મળવાનું બને.

e.mail : 71abuch@gmail.com

છબી સૌજન્ય : જમીલ હાફેસજી [વિપુલ કલ્યાણી અને દીપક બારડોલીકર]

Loading

સુતોમુની સ્ટોરી : રામ રાખે તેને કોણ ચાખે

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 August 2015

આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં જાપાનમાં જ્યારે એક પછી એક બે શહેરો પર પરમાણુ હુમલો કરવામાં આવ્યો ત્યારે માનવ જાતે જે વિનાશ જોયો હતો તે આજે પણ ભુલાયો નથી. આશરે ૨,૫૦,૦૦૦ને એક ક્ષણમાં મોતના મુખમાં ધકેલનારા આ બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી, જેનું નામ છે – સુતોમુ યામાગુચી.

સુતોમુને જાપાન સરકાર દ્વારા સત્તાવાર રીતે બે બે પરમાણુ હુમલામાંથી બચી જનારા એક માત્ર અસરગ્રસ્ત તરીકે જાહેર કરાયા હતા. ૨૦૧૦ની સાલમાં ૯૩ વર્ષની વયે લાંબું આયુષ્ય ભોગવીને સુતોમુનું નિધન થયું ત્યારે નાગાસાકીના મેયરે તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહેલું, એક મૂલ્યવાન વાર્તા કહેનાર અમે ગુમાવ્યા છે. દુનિયાના સર્વપ્રથમ પરમાણુ હુમલાને નજરે નિહાળનારા સુતોમુ પરમાણુ શસ્ત્રોની વિનાશકતાને એટલી સચોટ રીતે વર્ણવતા કે પરમાણુ શસ્ત્રો પર રીતસર નફરત થઈ જાય.

સુતોમુની આખી સ્ટોરી જોઈએ તો ૧૬ માર્ચ, ૧૯૧૬ના રોજ નાગાસાકીમાં જ તેમનો જન્મ થયો હતો. સુતોમુ ભણીગણીને એન્જિનિયર બનેલા. તેઓ પરમાણુ હુમલાનો ભોગ બન્યા ત્યારે મિત્સુિબશી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એન્જિનિયર તરીકે જ નોકરી કરતા હતા. નાગાસાકીના રહેવાસી એવા સુતોમુ કંપનીના કામસર જ હિરોશિમા ગયા હતા. હિરોશિમામાં તેઓ ત્રણ મહિના રોકાયા હતા અને બરાબર છઠ્ઠી ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ તેઓ પોતાના બે સાથી કર્મચારી સાથે નાગાસાકી જવા નીકળ્યા હતા. તેઓ રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ સુતોમુને યાદ આવ્યું કે તેઓ ઓળખ કાર્ડ તો કંપનીની ઓફિસમાં ભૂલી આવ્યા છે. સાથીઓને જવા દઈને પોતે પાછા ફર્યા અને બરાબર એ જ વખતે હિરોશિમા પર અમેરિકા દ્વારા ઝીંકાયો લીટલ બોય નામનો પરમાણુ બોમ્બ અને એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં જીવતું જાગતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું.

સુતોમુ નજરે નિહાળેલી પરમાણુ વિસ્ફોટની એ ઘટના વિશે કહેતા કે તેઓ પોતાના મિત્રોને રવાના કરીને ઓફિસ તરફ પાછા ફર્યા ત્યારે તેમણે શહેરના આકાશ પર એક વિમાન ઊડતું જોયું. બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિરોશિમા ઉપર યુદ્ધવિમાનોનું ઊડવું સ્વાભાવિક હતું. સુતોમુએ વિમાનમાંથી પેરાશૂટ નીચે આવતાં જોયાં અને આંખ મટકું મારે ત્યાં સુધીમાં તો તેમણે આંખો આંજી નાખે એવો ધડાકાભેર મોટો ભડકો જોયો અને પછી કાળા ધુમાડાનો મોટો ગોળો ઉછળ્યો. જાણે સળગતો સૂરજ ઉપરથી ધરતી પર પડયો હોય એવું લાગેલું. શહેરની વચ્ચોવચ્ચ ફેંકાયેલા બોમ્બના ત્રણેક કિલોમીટરના ઘેરાવામાં રહેલા સુતોમુનું ઉપરનું અરધું શરીર દાઝી ગયું. માથાના તમામ વાળ બળી ગયા હતા. પરમાણુ બોમ્બની જ્વાળા જોવાને કારણે તેમની આંખે થોડાક કલાકો માટે અંધાપો આવી ગયેલો અને ધડાકાના અવાજને કારણે એક કાનનો પડદો ફાટી ગયો હતો.

એ દિવસે હિરોશિમામાં ૮૦,૦૦૦ લોકો ઓન ધ સ્પોટ મરણને શરણ થયેલા અને રેડિયેશનની અસરને કારણે માત્ર એક મહિનાના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવેલો. ખરા અર્થમાં 'મરદ' એવા સુતોમુ ઘાયલ હોવા છતાં હિંમત નહોતા હાર્યા અને બીજા જ દિવસે પોતાના શહેર નાગાસાકી જવા નીકળી ગયેલા.

નાગાસાકી જઈને તેઓ ૯મી તારીખે તો કંપનીની ઓફિસે પણ પહોંચી ગયેલા. તેઓ ઓફિસમાં પોતાના ઉપરી અધિકારી સાથે હિરોશિમાના પરમાણુ હુમલા અને સર્જાયેલા વિનાશની વાત જ કરતા હતા કે નાગાસાકી પર અમેરિકા દ્વારા ફેટ મેન નામનો બીજો પરમાણુ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ ઘટના અંગે સુતોમુ કહેતા કે મને તો લાગ્યું કે મશરૂમ આકારનો ગોળો હિરોશિમાથી છેક મારી પાછળ પાછળ અહીં પણ આવી પહોંચ્યો. હું જાણે કોઈ નરકમાંથી પસાર થઈ રહ્યો હોય એવો નાગાસાકીનો માહોલ હતો. નાગાસાકીમાં ૭૦,૦૦૦ લોકો માર્યા ગયેલા પણ સુતોમુ બીજી વખત પણ બચી ગયા.

સુતોમુએ પોતાના અનુભવ અંગે પુસ્તક લખેલું છે. પરમાણુ બોમ્બની પીડા અંગે તેમણે અનેક કાવ્યો પણ રચ્યાં હતાં. સુતોમુ આજીવન, પરમાણુ શસ્ત્રોની નાબૂદી માટે, મથતા રહેલા. સુતોમુ કહેતાં કે "બે બે પરમાણુ વિસ્ફોટોમાંથી મારા ચમત્કારિક બચાવ પછી મારી જવાબદારી બને છે કે દુનિયાના લોકો સુધી સાચી વાત પહોંચાડું."

પરમાણુ બોમ્બના અસરગ્રસ્ત તરીકે તેઓ હંમેશાં કહેતા, "પરમાણુ બોમ્બને હું ધિક્કારું છું, કારણ કે તે માનવીય ગરિમાને છાજે એવા નથી." સુતોમુને લકીએસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ગણવામાં આવે છે, જો કે તેઓ ખુદને જરા ય ભાગ્યશાળી માનતા નહોતા, કારણ કે તેમણે પોતાની નજરે લાખો લોકોને મોતના મુખમાં ધકેલાતા જોયા હતા. બુદ્ધ ધર્મ પાળતા સુતોમુનું સપનું હતું – પરમાણુ શસ્ત્રો-મુક્ત વિશ્વ. સુતોમુનું સપનું સાકાર નહીં થાય અને ફરી પરમાણુ શસ્ત્રો વપરાશે તો સુતોમુ જેવું ભાગ્ય કોની પાસે હશે?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય સંકેત’નામ લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 અૉગસ્ટ 2015

Loading

...102030...3,7983,7993,8003,801...3,8103,8203,830...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved